Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરકર અને ઝીણા દેશના ભાગલાની પંગતમાં સાથે બેઠા હતા

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|28 May 2025

વિનાયક સાવરકર

“ભારતમાં પરસ્પર વિરોધી રાષ્ટ્રો એકબીજાની બાજુ બાજુમાં રહે છે. આજે ભારતને એક એકમ અને સમરૂપી રાષ્ટ્ર તરીકે માની શકાય તેમ નથી. તેનાથી વિપરીત, ભારતમાં બે રાષ્ટ્રો છે: હિન્દુઓ અને મુસ્લિમો.”

આ શબ્દો છે વિનાયક દામોદર સાવરકરના કે જે તેમણે ૧૯૩૭માં અમદાવાદ ખાતેના હિન્દુ મહાસભાના અધિવેશનમાં કહ્યા હતા.

“મારે મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત સાથે કોઈ વાંધો નથી. અમે હિન્દુઓ પોતે એક રાષ્ટ્ર છીએ અને એ એક ઐતિહાસિક હકીકત છે કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે.”

આ શબ્દો પણ સાવરકરના છે. તેમણે નાગપુરમાં તા.૧૫-૦૮-૧૯૪૩ના રોજ આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

આ છે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત : એટલે કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે અને તેથી તેઓ સાથે રહી શકે તેમ છે જ નહિ એવો સિદ્ધાંત.

આ સિદ્ધાંતનું પ્રતિપાદન મુસ્લિમ લીગ અને તેના મહંમદ અલી ઝીણા સહિતના નેતાઓએ કર્યું હતું. 

આવું કદી પણ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ કે કાઁગ્રેસ દ્વારા કે તેના અન્ય મહાન નેતાઓ દ્વારા કહેવાયું નહોતું કે આ સિદ્ધાંતને કદી પણ તેમણે ટેકો આપ્યો નહોતો. તેમણે તો નછૂટકે આઝાદી સમયે  દેશના ભાગલા સ્વીકારવા પડ્યા હતા. 

કાઁગ્રેસ, ગાંધી કે નેહરુ અને સરદારને દેશના ભાગલા માટે જવાબદાર ઠેરવતો એક પણ ઐતિહાસિક પુરાવો પ્રાપ્ત થતો નથી એમ અનેક વિદ્વાનો અને ઇતિહાસકારોનાં સંશોધનો સ્પષ્ટપણે કહે છે. 

સાવરકરે ૧૯૩૭માં આ કહ્યું તે પછી ૧૯૪૦માં મુસ્લિમ લીગ દ્વારા લાહોરમાં તેના માર્ચ-૧૯૪૦ના અધિવેશનમાં પાકિસ્તાનની માગણી કરતો ઠરાવ પસાર કરાયો હતો.

હકીકતો આ છે.

તા.૨૮-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મા અને સંતાનના સંબંધનું સત્ય અને સત્ત્વ 

સોનલ પરીખ|Opinion - Opinion|28 May 2025

આપણે બગડી જઈએ એટલા લાડ લડાવનાર માને આપણે થોડા અમસ્તા, નાના નાના લાડ પણ કેમ નહીં લડાવતા હોઈએ? અને મા પણ ગમે તેટલી ઉંમરે એનામાં સંતાનને ઠેકાણે રાખવાની ક્ષમતા છે એ કેમ ભૂલી જતી હશે? મધર્સ ડે પર શોધી કાઢીએ કોલાહલની વચ્ચે ખોવાઈ ગયેલા સુંદર ઝરણાના મધુર કલધ્વનિને …

સોનલ પરીખ

મધર્સ ડે એટલે મા અને માતૃત્વનું મહિમાગાન. દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે, સંબંધો પણ એટલી જ ઝડપથી બદલાઈ રહ્યા છે. નવા પડકારો સતત ઊભા થાય, નવી ક્ષમતાઓ કેળવવાની સતત જરૂર પડે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. 

પણ માણસનું મન અને એની માગણીઓ અને લાગણીઓ એટલી ઝડપથી બદલાઈ શકે નહીં. મા અને સંતાનના સંબંધો આજે પણ એટલા જ સુંદર અને દેખાતા હોય તે કરતાં ઘણા વધારે મજબૂત હોય છે, પણ જિંદગીના વેગીલા તોફાની પ્રવાહોમાં એ સંબધોનું નિર્મળ વહેણ ઘણીવાર ખોવાઈ જતું દેખાય છે. સંતાનો પોતાના અણસમજ-અહમને બાજુ પર મૂકી શકતાં નથી અને મા સમય સાથે પોતાની બદલાતી ભૂમિકાને સમજવામાં ક્યારેક પાછી પડે છે. પરિપક્વતાનું સ્તર બંને પક્ષે ઓછું કેળવાય છે, અતિપરિચય અવજ્ઞાનું કારણ બને છે, સંબંધોની શક્તિ નબળી પડે છે, યુવાન સંતાનો મા તરફ બેદરકાર બને છે અને વૃદ્ધ થતી જતી મા દીકરાના સંસારને એક ખૂણે પોતાની શાંતિ શોધી લે છે. ધીરે ધીરે એક સુંદર ઝરણાંનો કલધ્વનિ જિંદગીના કોલાહલો વચ્ચે ગુમ થતો જાય છે. મધર્સ ડે કોલાહલની વચ્ચેથી કલરવને શોધી કાઢવાનો દિવસ છે. આજના દિવસે બીજું કઈં ન કરો તો મા પાસે જઈને બેસજો, એટલું પૂછજો, ‘તું કેમ છે મા, મઝામાં તો છે ને? ચાલ, તને ક્યાંક ફરવા લઇ જાઉં.’ ત્યાર પછી એક જાદુ થશે. માના ચહેરાની કરચલીઓમાં કોમળતાનું સુંદર પૂર ઊમટશે અને તમને પણ તમારું ખાલીખમ હૃદય છલકાઈ ઊઠ્યાનો અનુભવ થશે. 

હમણાં ‘મૂવીઝ એન્ડ મોમ્સ’ નામનો એક લેખ વાંચ્યો. તેમાં હૉલિવૂડ ફિલ્મોમાં દેખાડાતી માની છબીની વાત હતી. પ્રેક્ષકોને ઈમોશનલ કરવા હોય ત્યારે બોલિવૂડની જેમ હૉલિવૂડની ફેવરિટ ફૉર્મ્યુલા પણ માતા અને સંતાનના સંબંધને કેન્દ્રમાં રાખતી ફિલ્મો બનાવવાની છે. ફરક એટલો છે કે આપણે ત્યાં દેખાડાતી મા સ્ટીરિયોટાઈપ્ડ – વધુ પડતી લાગણીશીલ, આંખમાંથી આંસુ ન ખૂટતા હોય તેવી ત્યાગ અને બલિદાનની દેવી હોય છે ત્યારે પશ્ચિમમાં મા વધારે વાસ્તવિક અને ઘણીવાર મનુષ્યસહજ નબળાઈઓથી ભરેલી હોય છે. એની પાછળ બંનેની જીવનશૈલી અને સંસ્કૃતિમાં રહેલો ફરક છે, અલબત્ત અપવાદ બંને જગ્યાએ હોઈ શકે. આપણે અત્યારે એવાં કોઈ લેખાંજોખાં કરવાના નથી, આપણે તો વાત કરીશું 1996માં બનેલી ફિલ્મ ‘મધર(નો વન મિસઅન્ડરસ્ટેન્ડ્સ યુ બેટર)’ની, જે હતી તો એક કોમેડી ફિલ્મ, પણ તેમાં મા અને સંતાનના સંબંધમાં રહેલા સત્ય અને સત્ત્વને સ્પર્શવાની તાકાત હતી. 

ફિલ્મની શરૂઆતમાં સાયન્ટિફિક ફિક્શનનો એક ફ્લોપ લેખક જોન હેન્ડરસન બીજી વાર છૂટાછેડા લઇ રહ્યો છે. ફોર્માલિટીઝ પૂરી થતાં જ માંડ છૂટી હોય એમ પત્ની ચાલી જાય છે. જોન ઘેર જઈને જુએ છે તો પત્નીની કમાણીમાંથી ખરીદાયેલું ફર્નિચર પણ ચાલ્યું ગયું છે. લિવિંગરૂમમાં રહેલી એકમાત્ર ખુરશીને ગોઠવવાની મથામણમાં સાંજ પડી જાય છે ત્યારે જોન અકળાય છે – શું કરું, મારા જ ઘરમાં મને ફાવતું નથી! 

અને તે નક્કી કરે છે, મા પાસે ચાલ્યો જાઉં. જો કે તેને મા સાથે પણ કદી બહુ ફાવ્યું નથી. 

તે માને ફોન કરે છે. ડિવૉર્સના સમાચાર સાંભળી મા ઠંડકથી કહે છે, ‘એ તો થવાનું જ હતું. મેં તો કહ્યું જ હતું. તારા જેવા અડબંગ સાથે કોઈ લાંબો સમય રહી શકે નહીં. ઠીક, હવે શું કરવાનો છે?’

‘કઈં નહીં. હમણાં તો તારી સાથે રહેવા આવું છું.’ 

‘મારી સાથે? શું કામ?’ મા ચોંકે છે. પતિના મૃત્યુ પછી અને બે જુવાન દીકરા પરણીને જુદા રહેવા ચાલ્યા ગયા પછી તે પોતાની નવી જિંદગીમાં સરસ ગોઠવાઈ ગઈ છે. પોતાની ઉંમરના એક પુરુષ સાથે ક્યારેક ડેટિંગ પણ કરી લે છે – ને આ આમ અચાનક ચાલીસ વર્ષનો દીકરો હૃદયભંગ થઈ સાથે રહેવા આવવાની વાત કરે છે – શું કરવું? 

પણ જોનનું હૃદય ભરાઈ આવ્યું છે. એ ગળગળો થઈને કહે છે, ‘મારાં લગ્ન બે વાર તૂટી ગયાં. હું ગાંડા જેવો થઈ ગયો છું.’ 

‘ગાંડા જેવો થઈ ગયો છે? મને ખબર નહીં કે તું ગાંડા જેવા થઈ જવાય એટલો સફળ લેખક થઈ ગયો છે.’ 

‘મજાક નહીં, મા. સફળતા તો પછી, મારાં પુસ્તકો તો કોઈ વાંચતું પણ નથી.’ 

‘તારી ઢંગધડા વગરની સાયન્સ ફિક્શન કોણ વાંચે? મેં તો કહ્યું જ હતું કે લખવાનું છોડ અને બીજું કઇંક કર. પણ તું અહીં શા માટે આવે છે?’

‘કારણ કે મા, સ્ત્રીઓ સાથેની મારી તકલીફોની શરૂઆત તારાથી જ થઈ છે. હવે તું જ રસ્તો કાઢી આપ.’ અને જોન સમાન લઈને મા સાથે રહેવા આવી જાય છે. 

આવી તો જાય છે, પણ આ તબક્કે તેને માટે મા સાથે રહેવું અને માને માટે દીકરા સાથે રહેવું સહેલું નથી. શરૂઆત અલબત્ત નાનાં નાનાં એડજેસ્ટમેન્ટ્સથી થાય છે, પણ કોઈ વાત પર મા-દીકરો એકમત થઈ શકતાં નથી. મોલમાં જાય છે તો ખરીદવાની દરેક ચીજ પર લાંબી દલીલો થાય છે. મા ફ્રિજ ખોલીને ખાવાનું કાઢે તો દીકરો માની સંઘરવાની રીત પર કટાક્ષ કરે ને મા દીકરાની ખાવાની ટેવોની ટીકા કરે. નાનો દીકરો જેફ અને એની પત્ની ક્યારેક આવે. એમને પાછી જુદી મુશ્કેલીઓ છે. પણ જોનને લાગે છે કે મા જેફને વધારે ચાહે છે. આ બાજુ માની પણ સમસ્યા છે. કોઈ વાર રાત્રિરોકાણ માટે જેને બોલાવતી એ બૉયફ્રેન્ડનું શું કરવું? વ્યક્તિવાદી પશ્ચિમી સમાજમાં કોઈને કોઈ સાથે કેમ ફાવતું નથી એ ફિલ્મમાં સરસ રીતે બતાવાયું છે. ખટપટ, ચડભડ, દલીલો, માથાકૂટ – આ બધામાંથી હાસ્યજનક પ્રસંગો ઊભા થતા જાય છે. પ્રેક્ષકોનાં ખડખડાટ હાસ્ય શમતાં નથી અને આ બાજુ નવેસરથી જાગેલી સ્નેહની સરવાણી માદીકરાનાં અંતર ભીંજવતી જાય છે, ધીરે રહીને બંનેને જોડતી આવે છે. દીકરાના ખોટકાયેલા એંજિનને ક્યાં ધક્કો મારવાની, ક્યાં ઝટકો આપવાની કે ક્યાં રિપેરિંગની જરૂર છે એ જાણતી મા તેને ઠોકી ઠોકીને ઠેકાણે લાવે છે. જોનની ‘જર્ની ઑફ હીલિંગ એન્ડ સેલ્ફ ડિસ્કવરી’ આખરે પૂરી થાય છે.  

ફરીથી પોતાની જિંદગી હાથમાં લેવા તૈયાર થયેલો જોન છેવટે ઘેર જવા નીકળે છે ત્યારે મા કહે છે, ‘આઈ લવ યુ.’ જોન કહે છે, ‘આઈ નો, યુ થિંક યુ ડુ …’ બંને હસે છે. ઉષ્માભર્યા આલિંગન સાથે ફિલ્મ પૂરી થાય છે અને આપણને સમજાય છે કે દુનિયાના કોઈપણ ખૂણે રહેતી, ગમે તે પોષાક પહેરતી ને ગમે તે ભાષા બોલતી મા, આખરે મા જ હોય છે. લોહીના સંબંધો ગરમ અને લાલ જ હોય છે અને ખરેખરી મુશ્કેલી પડે ત્યારે ગમે તેવા ભડભાદર દીકરાને કે ગમે તેવી લડાયક દીકરીને મા જ યાદ આવે છે.  

સાચું જ છે, મા જેવો મદદગાર મિત્ર બીજો કોઈ નથી. સમૃદ્ધિના નશામાં મા જૂની લાગે, આડી આવવા માંડે; પણ બરબાદીમાં મા જેવો બીજો કોઈ આશ્રય હોતો નથી. ગમે તેવી મુશ્કેલ ઘડી હોય, ગમે તેવી મોટી આફત ખડી હોય, મા ચૂપચાપ પ્રેમ, આધાર અને શાંતિ આપે જ છે. દુનિયાને કોઈપણ ખૂણે પચાસ વર્ષનું થઈ ગયેલું સંતાન મા પાસે આઠદસ વર્ષના બાળક જેવું લાલનપાલન અચૂક પામે જ છે. 

આપણે બગડી જઈએ એટલા લાડ લડાવનાર માને આપણે થોડા અમસ્તા, નાના નાના લાડ પણ કેમ નહીં લડાવતા હોઈએ ?

e.mail : sonalparikh1000@gmail.com

Loading

રામચંદ્ર ગુહા: ગાંધીજીના જીવનચરિત્રનો લહિયો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 May 2025

ગુહાએ ગાંધી પર જે કામ કર્યું, એમાં દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની હક્કલડાઈના ઉગમકાળે સ્થાનિક કાળી પ્રજાથી, ‘કાફરા’થી, કંઈક અંતર અને ધીરે ધીરે સુખ–દુ:ખના સાથીભાવની સમુત્ક્રાંતિનો અચ્છો ખયાલ મળે છે 

પ્રકાશ ન. શાહ

હજુ તો ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદશી આપણી નાનકડી દુનિયાની મહાઘટના અને એના લેખક રામચંદ્ર ગુહા સાથે મુખોમુખ થયાની (કહો કે રામ અમલમાં રાતામાતા હોવાની) વાતે માહો સરચાર્જ હશે, પ્રત્યક્ષ વ્યાખ્યાન ઉપરાંત વળતી સવારે થયેલ સહજ ચર્ચાનોયે ખુમાર હશે – અને એને ચોવીસ કલાક પૂરા થાય તે પહેલાં લેખક પ્રવીણ ગઢવી આપણી વચ્ચે નહીં રહ્યાના સમાચાર વીસમી મેની સવારે મળ્યા … ગુહાનાં વ્યાખ્યાન અને વાર્તાલાપના કેટલાક મુદ્દા ફરતે સહવિચારની દૃષ્ટિએ કંઈક લખવાનું વિચારતો હતો, અને પ્રવીણ ગઢ‌વી ગયાના સમાચારે તે પૈકી એક જ મુદ્દે મન કેન્દ્રિત થઈ ગયું.

ગુહા સાથેના વાર્તાવિનોદમાં નીકળેલો એક મુદ્દો ગાંધી-આંબેડકરને અંગે, સવિશેષ અલબત્ત દલિત બૌદ્ધિકોના ગાંધી વિષયક ટીકાભાવનો હતો. પ્રવીણ ગઢવીએ પોતાનું કથિત ઉજળિયાતપણું પરહરી દલિત હૃદયભાવ ધારણ કર્યો હતો – મિત્રો એમને સવાયા દલિત કહેતા – એ અર્થમાં ગુહા સાથેની ચર્ચામાં નીકળેલો એક છેડો, અહીં સહજ સંકળાઈ જાય છે.

રામચંદ્ર ગુહા

ગાંધી-આંબેડકર ચર્ચાએ ગુજરાતમાં, ખાસ કરીને અનામતવિરોધી ઉત્પાતના કાળથી જે દિશા પકડી છે, બે શત્રુઓ સામસામા દળકટક સાથે જાણે મેદાને જંગમાં હોય એવી, તેમાં કોઈક ક્ષણે તથ્યનો જય જણાય તો પણ સત્યનો ક્ષય થાય છે એ એક અવર્ણ/સવર્ણ તરીકે નહીં પણ નાગરિક તરીકે આપણા ખયાલમાં રહેતું નથી.

મારા સદ્દગત મિત્ર ભીમાભાઈ રાઠોડ (1949-1980) થોડાક સમય માટે ગુજરાત રાજ્યના બાબુભાઈ જશભાઈ મંત્રીમંડળના સૌથી યુવાન સભ્ય હતા ત્યારે અમારે કંઈક ચર્ચા થઈ અને એમણે સ્વહસ્તે (કોઈ માહિતી ખાતાની કરતબ-કામગીરી વગર) મારે માટે ‘નૂતન ગુજરાત’માં એક લેખ લખ્યો હતો. એમનો મુદ્દો એ હતો કે કૌરવ-પાંડવ સંગ્રામમાંથી ‘ગીતા’નો ઉદ્દભવ થયો જ્યારે અહીં તો બે ધર્મપુરુષો વચ્ચેની આપલે હતી, તો એમાંથી તો કંઈક અદકેરું અમૃત નીકળ્યું હોવું જોઈએ.

ગુહા-ગઢવી ઉલ્લેખે ફેરલાંગરું એ પહેલાં સંભારી લઉં કે છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન આપણા જાહેર જીવનમાં ગાંધી-આંબેડકર પ્રસંગમાં બે છેડાના ખાંડાં ખખડેલાં છે. ત્રણેક દાયકા પર અરુણ શૌરિ ‘‌વર્શિપિંગ ફોલ્સ ગોડ્ઝ’ લઈને આવ્યા અને એમણે આંબેડકરને સાવ ધોઈ નાખ્યા, બલકે ઝૂડી નાખ્યા. તો, ગુહા જેમને ‘અરુણ શૌરિ ઓફ ધ લેફ્ટ’ જેવી ઓળખે નવાજે છે એવાં અરુંધતી રોય હજુ ગયા દાયકામાં ‘ધ ડોક્ટર એન્ડ ધ સેઈન્ટ’ લઈને આવ્યાં અને એમણે સંતને (ગાંધીને) એક અર્થમાં ભોં ભેગા કર્યાનો લહાવો લીધો.

ગુહાએ ગાંધી પર જે કામ કર્યું, બે ખંડમાં (‘ગાંધી બીફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી : ધ યર્સ ધેટ ચેઈન્જ્ડ ધ વર્લ્ડ’) એમાં દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની હક્કલડાઈના ઉગમકાળે સ્થાનિક કાળી પ્રજાથી, ‘કાફરા’થી, કંઈક અંતર અને ધીરે ધીરે સુખ-દુ:ખના સાથીભાવની સમુત્ક્રાંતિનો અચ્છો ખયાલ મળે છે. એ જ ધારીએ દેશમાં આવ્યા પછી દલિત બાંધવો સાથેના તાદાત્મ્ય સહિતના સમતા સંઘર્ષની એક પરિપાટી વિકસે છે.

પ્રવીણભાઈ ગઢવી

તેઓ સામસામા છતાં સાથે હોઈ શકે છે એ વાત ગાંધીસૂચને આંબેડકરની બંધારણીય કામગીરી નિમિત્તે સહસા સૌની સામે આવે છે. અરુંધતી રોય આ વિકાસયાત્રાને એની સમગ્રતામાં નહીં જોતાં કોઈ કોઈ વિગતને એના સંદર્ભથી નિરપેક્ષપણે ચગાવે છે અને સંતહન્તાની કીર્તિ રળ્યાનો ઓડકાર ખાય છે. સામે છેડે, શૌરિએ તો આંબેડકરને ધરાર ‘ફોલ્સ ગોડ’ (પથ્થરના દેવતા) જાહેર કર્યા જ છે.

ઊલટ પક્ષે, પ્રવીણ ગઢવી 2019માં ‘ગાંધી: પુનરવલોકન’ લઈ આવ્યા. એને ઊઘડતે પાને એમણે આંબેડકરનું વાયકોમ સત્યાગ્રહ વખતનું એ વિધાન ટાંક્યું છે કે ‘જ્યારે કોઈ આપણી પાસે આવવા રાજી નથી ત્યારે ગાંધીએ દાખવેલ આ સહાનુભૂતિ ઓછી મહત્ત્વની નથી.’ તે સાથે ગાંધીજીએ ક્યારેક આંબેડકરને ઉદ્દેશીને લખ્યું હતું તે પણ સરસ સંભાર્યું છે : ‘તમારી મહાન માનસિક અને કાર્યની શક્તિને હું પિછાણું છું અને તમને જો મારા સાથી તરીકે મેળવી શકું તો રાજી થાઉં.’

હવે થોડા શબ્દો ‘પુનરવલોકન’ના લેખકીય આમુખમાંથી :

‘હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મેં ‘સત્યના પ્રયોગો’ વાંચી. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પણ વાંચ્યો. ગાંધીજી ત્યારથી મારા દિલમાં વસી ગયા. પછીથી ભારતના ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચ્યો. સાવરકરનાં પુસ્તકો વાંચ્યા. ત્યારે ગાંધીજીમાંથી મારી શ્રદ્ધા સહેજ ડગી ગઈ હતી … કોલેજમાં હું કાર્લ માર્ક્સ અને આંબેડકરના વિચારોથી પરિચિત થયો. ગાંધીજી થોડા હાંસિયામાં હડસેલાયા. ત્યાં રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ જોઈ … અને રોમાં રોલાં અને લૂઈ ફિશરની ગાંધીકથાઓ વાંચી. મારામાં ગાંધીજીનું પુનરાગમન થયું. માર્ક્સ અને આંબેડકર સાથે ગાંધીજી ભળી ગયા! કોમરેડ બની ગયા …’

પ્રવીણ ગઢવીની આંબેડકર માટેની ચાહના તેમ ગાંધી-વિવેચના વિશે અહીં વિગતે લખવાનો અવકાશ નથી પણ એમનું એક અવલોકન અવશ્ય ટાંકું : ‘એ વાત સાચી છે કે બાબાસાહેબ આંબેડકરે આજીવન ગાંધીજી સાથેનું સમાધાન સ્વીકાર્યું નહોતું. પરંતુ ઇતિહાસને હવે તટસ્થતાથી જોવો મૂલવવો રહ્યો.’

આ અવલોકન ટાંકું છું ત્યારે ગોપાલ ગુરુનાં એ વચનો સાંભરે છે કે અમે વાંકમાં છીએ, અમારી જવાબદારી છે, એવું ઉજળિયાત નેતૃત્વમાં સ્વીકારનારા ગાંધી કદાચ એકલા હતા. એમાંથી એમની જે મથામણ આવી એને પામવામાં આપણે ઊણા પડ્યા છીએ તો વાત ગાંધીની બધી ટીકા પછી પણ ઊભી રહે છે.

તે સવારે ગુહાની સાથે વાતમાં ડી.આર. નાગરાજનોયે ઉલ્લેખ થયો હતો, પણ વધારે વાતનો અવકાશ ન ત્યારે હતો, ન અત્યારે છે. પણ ગાંધી-આંબેડકર સંદર્ભે વ્યાપક વિમર્શની દૃષ્ટિએ ક્યારેક તો આપણે નાગરાજની દેવડીએ પણ પૂગવું જોઈશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 મે 2025

Loading

...102030...136137138139...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved