Opinion Magazine
Number of visits: 9458710
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કે.કે. નાની ઉંમરમાં કેવી રીતે યુવા દિલોની ધડકન બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 June 2022

કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કે.કે., “પ્રેમના અવાજ” તરીકે ભારતની નવી પેઢીનો સૌથી પસંદીદા ગાયક હતો. સ્વાભાવિક રીતે જ, ૩૧મી મેના રોજ, કોલકત્તામાં એક લાઈવ પરફોર્મન્સ આપીને હોટેલ પર પાછા ફરતી વખતે કાર્ડિયાક એરેસ્ટમાં તેનું અવસાન થતાં, દેશના લાખો યુવાનો-યુવતીઓએ એક સાથે સામૂહિક નિસાસો નાખ્યો. તેની ઉંમર માત્ર ૫૩ વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેણે ગાયિકીમાં જે મુકામ હાંસલ કર્યો હતો, તે જોતાં તેનું ભવિષ્ય ઘણું આશાસ્પદ અને અનેક સંભાવનાઓથી ભરેલું હતું. માત્ર ૩૧ વર્ષની વયે, 1999માં, તેના ડેબ્યુ આલ્બમ “પલ”થી કે.કે. યુવા દિલો પર છવાઈ ગયો હતો. તે આલ્બમનાં ગીતો આજે પણ સ્કૂલોની ફેરવેલ પાર્ટીઓમાં ગવાય છે.

કે.કે.એ બહુ ટૂંકા સમયમાં, હિન્દી ફિલ્મ સંગીતમાં લાજવાબ ગીતો આપ્યાં હતાં. જેમ કે, તડપ તડપ કે ઇસ દિલ કો (હમ દિલ દે ચૂકે સનમ), ડોલા રે ડોલા રે (દેવદાસ), ક્યા મુજે પ્યાર હૈ (વોહ લમ્હે), આંખો મેં તેરી (ઓમ શાંતિ ઓમ), ખુદા જાને (બચના યે હસીનો), પિયા આયે ના (આશિકી), મત આઝમા રે (મર્ડર-2), ઇન્ડિયા વાલે ( હેપ્પી ન્યૂ યર) અને તુ જો મિલા (બજરંગી ભાઈજાન).

“ધ હિંદુ” સમાચારપત્રના સિનિયર આસિસ્ટન્ટ એડિટર અનુજ કુમાર, કે.કે.ને શ્રદ્ધાંજલિ આપતાં લખે છે કે કે.કે.નો અવાજ, કિશોર કુમારની જેમ, વૈવિધ્યપૂર્ણ હતો. તેના અવાજમાં પ્રેમનો ઉલ્લાસ જેટલી દિલકશીથી છલકાતો હતો, એ જ રીતે પ્રેમની ઉદાસી પણ છવાતી હતી. જ્યારે પણ સ્ટેજ પરથી તેનો અવાજ માઈકમાં ગુંજતો, શ્રોતાઓનાં રૂવાંડા ઊભાં થઇ જતાં. અનુજ કુમાર પછી એક મહત્ત્વનું નિરીક્ષણ આપે છે, “આ પેઢીના જે પણ લોકો યૌવનની દહેલીજ પરથી પસાર થયા હશે, તેમના દિલોમાં કે.કે.નું કોઈ એક ગીત સચવાયેલું પડેલું હશે.”

કે.કે.ની (ઇન ફેક્ટ, કોઈ પણ ગાયક કલાકારની) લોકપ્રિયતાનું રહસ્ય, તેનો અવાજ કઈ ઉંમરના શ્રોતાઓને અપીલ કરે છે તેના પર છે. અનુજ કુમારના નિરીક્ષણમાં વૈજ્ઞાનિક તથ્ય છે. કૌમાર્યવસ્થા અને સંગીતની અભિરુચિ વચ્ચે ગહેરો સંબંધ છે. આપણે જ્યારે જવાન થતા હતા, ત્યારે આપણે જે ગીતો સંભાળતાં હતા, તેનો પ્રભાવ આપણા દિલોદિમાગ પર જેટલો ગહેરો હોય છે, તેટલો ગહેરો પ્રભાવ પાછળની ઉંમરમાં સાંભળેલાં ગીતોનો નથી હોતો.

ન્યુરોસાયન્સની ભાષામાં તેને ન્યુરલ નોસ્ટેલ્જિયા કહે છે; મજ્જાતંતુઓમાં સંગ્રહિત અતીતની યાદો. નોસ્ટેલ્જિયાને અતીતવિયોગ પણ કહે છે. એનો અર્થ એ કે અતીતની અમુક યાદો આપણને ઉદાસ કરી મૂકે, કારણ કે એ યાદો મજેદાર હતી, પણ હવે એ અતીત બની ગઈ છે અને તેને આપણે ફરી જીવી શકતા નથી. આમાં માત્ર સ્મૃતિ જ કામ નથી કરતી. આપણે સંભાળવાની, સુંઘવાની ઇન્દ્રિય પણ ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, પહેલો વરસાદ પડે ત્યારે ભીની માટીની સુંગંધ આપણને બાળપણમાં લઇ જાય છે અથવા આપણું પસંદીદા ગીત વાગે તો આપણો સ્કૂલ-કોલેજનો સમય જીવતો થઇ જાય છે.

ધારો કે તમે સંજય લીલા ભણસાલીની “ગલિયોં કી રાસલીલા” ફિલ્મ જોવા બેઠા છો અને તેમાં “નગાડા સંગ ઢોલ બાજે” ગીત આવે ત્યારે તે તમારી અંદર તમારી કોઈ જૂની યાદ તાજી કરી દે છે. એ ગીત કે ગરબા સાથે જોડાયેલી કોઈ ઘટના કે વ્યક્તિ તમને ઉદાસ કરી મૂકે છે. તમારામાં અચનાક એક મિસિંગની ભાવના જાગી જાય છે. તમે કોઈક દિવસ રાતે આકાશમાં જુઓ અને અચાનક તમને બાળપણમાં તમે કેવી રીતે તારા જોતા હતા તે યાદ આવી જાય. એક ઉર્દૂ શાયર જમાલ એહસાનીએ બહુ સરસ રીતે આ વાત લખી હતી :

‘જમાલ’ હર શહર સે પ્યારા વો શહર મુજ કો
જહાં સે દેખા થા પહલી બાર આસમાન મૈં ને

મગજના વિજ્ઞાનીઓ હવે સ્વીકારે છે કે સંગીતની જૂની યાદો બહુ મજબૂત રીતે માણસોને નોસ્ટેલ્જિક બનાવી દે છે. તેને મ્યુઝિકલ નોસ્ટેલ્જિયા કહે છે. માર્ક જોસેફ સ્ટર્ન નામના એક મનોવિજ્ઞાની, ‘સ્લેટ’ નામના સામાયિકમાં એક અનોખી વાત કરે છે. તેમના સંશોધન અનુસાર, 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણું  મગજ બહુ ઝડપી ન્યુરોલોજીકલ વિકાસ કરે છે અને એ સમય દરમિયાન આપણે જે સંગીત સાંભળ્યું હોય, તે મગજના ચાર લોબ્સ(ફ્રન્ટલ, પારીએટલ, ટેમ્પોરલ અને ઓસ્સીપિટલ)માં વણાઈ જાય છે. આને ગીત સાથેનું ન્યુરલ કનેક્શન કહે છે. તે વખતે આપણા તન-મનમાં કૌમાર્યવસ્થાનાં ગ્રોથ હોર્મોન્સ અધિક માત્રામાં હોય છે, જે આપણા અનુભવો અને અહેસસોની તીવ્ર ભાવનાત્મક સ્મૃતિઓ બનાવે છે. એ ગીતો કાયમ માટે આપણી અંદર એક સંમોહન પેદા કરે છે કારણ કે એની સાથે ગ્રોથ હોર્મોન્સ જોડાયેલાં હોય છે.

માર્ક જોસેફ સ્ટર્ન લખે છે, “આપણે કોઈ ગીત સાંભાળીએ છીએ ત્યારે તે આપણા ઓડિટરી (શ્રવણ) કોર્ટેક્સને ઉત્તેજિત કરે છે અને તેમાં ગીતના લય, તાલ અને રાગની જુગલબંધી સર્જાય છે. એ પછી આપણે એ ગીત સાથે શું કરીએ છીએ તેના પર આપણા મગજના રિએકશન નિર્ભર કરે છે. તમે જો સાથે સાથે એ ગીતને ગણગણવા લાગો, તો પ્રીમોટર કોર્ટેક્સ સક્રિય થાય, જેથી તમે ગાયનની મુવમેન્ટસનું સંકલન કરી શકો. તમે ગીતની સાથે ડાન્સ કરવા લાગો, તો મગજના ન્યુરોન્સ સંગીતની ધૂન સાથે સુમેળ સાધે. તમે જો ગીતના શબ્દો અને વાદ્યો પર ફોકસ કરો, તો પારીએટલ કોર્ટેક્સ સક્રિય થાય, જે અલગ-અલગ પ્રકારની ઉત્તેજનાઓ (સ્ટિમ્યુલી) પર ફોકસ રાખવામાં મદદ કરે છે. આપણી અંગત યાદોને જીવંત કરે તેવું ગીત આપણે સાંભળીએ, ત્યારે આપણા સંબંધો અને અંગત જીવનની ઇન્ફોર્મેશન જેમાં સંગ્રહિત હોય છે તે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સક્રિય થાય છે.

જેમ આપણી આંખ કોઈ વસ્તુની છબી બનાવે છે, તેવી રીતે અવાજ એ મગજની છબી છે. કોઈ વાદ્ય અથવા ગળાનો તાર સાઉન્ડ વેવ પેદા કરે છે અને તે હવાની ચીરીને આપણા કાનના પડદાને એટલી જ ફ્રિકવન્સીથી ધ્રુજાવે છે. બાળપણમાં મગજના ન્યુરલ વિકાસ વખતે, આવા અનેક અવાજોનાં ન્યુરલ કનેક્શન્સ સરજાય છે અને આપણે કૌમાર્યવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે એ જ કનેક્શનન્સ જાળવી રાખીએ છીએ જે આપણે નિયમિત વાપરતા હોઈએ. એમાંથી એક ન્યુરલ મેપ સરજાય છે જે આપણા સંગીતની પસંદનો આજીવન આધાર બને છે.

અલબત્ત, મોટા થયા પછી આપણે નવાં ગીતોને પણ ગમાડી શકીએ છીએ, પરંતુ જેની સાથે આપણો અંતરંગ નાતો બંધાય છે, જેની સાથે આપણી આઇડેન્ટિટી જોડાયેલી હોય છે, જેની સાથે આપણો ગહેરો ભાવનાત્મક લગાવ હોય છે તે 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણે સાંભળેલું સંગીત હોય છે. આપણે મગજની ફિઝીઓલોજીને જે વાત કરી, તેનો આધાર લઈને કહીએ તો, તરુણાવસ્થામાં આપણે “બહાર”થી આવતાં ગીતને સાંભળતા નથી, ગીત આપણી “અંદર”થી વાગતું હોય છે. એને જ આપણે “દિલનું સંગીત” કહીએ છીએ.

કે.કે.ના કસમયના અવસાનથી, ભારતના કરોડો યુવા દિલોને જે આઘાત લાગ્યો છે તે આપણે ઉપર વાત કરી તેનાથી સમજી શકાય છે. કોલકત્તામાં જે કોન્સર્ટ પછી તેનું અવસાન થયું, તે જ કોન્સર્ટમાં તેનું છેલ્લું ગીત પણ એવું જ હતું :

હમ રહેં યા ન રહેં કલ,
કલ યાદ આયેંગે યે પલ
પલ યે હૈ પ્યાર કે પલ

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જૂન 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—149

દીપક મહેતા|Opinion - Opinion|11 June 2022

આ પણ હતો ગુજરાતી લગ્ન ગીતોનો એક રંગ

જ્યારે આખા ઘરનું ફર્નિચર ૫૫૧ રૂપિયામાં મળતું!

લખી કંકોતરી પૂરા પ્રેમથી,
મારે અમુલખ લગ્ન પ્રસંગ,
ગાંધીજી પધારજો!
સાથે કસ્તૂરબાને લાવજો!
લઇ રામ અને દેવીદાસ,
બાપુજી પધારજો.
જો જો ભૂલતા શ્રી ગોપાળદાસને
એ તો સૌરાષ્ટ્રના શિરદાર, ગાંધીજી …
મહંમદ અને શૌકત સાથમાં,
બી અમ્માને લાવે નિર્ધાર,
વૃદ્ધ અબ્બાસને ન વિસારશો,
સૌ સત્યાગ્રહી સાથ,
બાપુજી પધારજો!  

હા જી, આ પણ હતો ગુજરાતી લગ્ન ગીતોનો એક રંગ. ગાંધીજીની આગેવાની નીચેની આઝાદી માટેની લડતની અસર આપણા સમાજજીવન પર ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે થઈ હતી! એ લડતના નેતાઓ વિષે, લડત દરમ્યાનની નાની-મોટી ઘટનાઓ વિષે તો થોકબંધ પુસ્તકો લખાયાં છે. આપણા સાહિત્યના એક કાળખંડને ‘ગાંધીયુગ’ એવું નામ અપાયું છે. પણ એ લડતનો પ્રવાહ લગ્ન જેવા માંગલિક પ્રસંગ સુધી આવાં ગીતો દ્વારા કેવી રીતે પહોંચ્યો હતો, તેના તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. પૂરાં પચાસ પાનાનું લગ્નગીતોનું પુસ્તક ‘લગ્નગીત મણિમાળા’. લેખક મણિલાલ મોહનલાલ પાદરાકર. ૧૯૨૪માં આ પુસ્તકની પહેલી આવૃત્તિની બે હજાર નકલ છપાયેલી. કિંમત પાંચ આના (આજના ત્રીસ પૈસા). છપાવી પ્રસિદ્ધ કરનાર હતા નડિયાદના બુકસેલર જદુલાલ નારણદાસ ચોક્સી. એક વાત નોંધી? ગીતમાં ગાંધીજી, કસ્તૂરબા, તેમના પુત્રો રામદાસ અને દેવદાસ વગેરેને આમંત્રણ તો છે જ, પણ સાથે મહંમદ અલી, શૌકત અલી, બી અમ્મા, અબ્બાસસાહેબ વગેરેને પણ નોતર્યાં છે. આજે કોઈ આવું ગીત લખે તો … જવા દો વાત.

પણ આ પાદરાકર હતા કોણ? ૧૯૮૭ના એપ્રિલની પહેલી તારીખે પાદરામાં જન્મ. અવસાન ક્યારે થયું તે જાણવા મળતું નથી. પાદરા, વડોદરા, અને મુંબઈમાં ભણીને મેટ્રિક થયા. સંસ્કૃતના અભ્યાસ માટે મુંબઈ ઉપરાંત અમદાવાદ અને વિજાપુર રહેલા. પછી મુંબઈમાં ઝવેરાતનો ધંધો કરતા. સાથોસાથ એક શ્રીમંત શેઠના એસ્ટેટ મેનેજર તરીકે પણ કામ કરતા. તેઓ પ્રભાવી વક્તા હતા તેમ કહેવાય છે. પાદરાકારે આઝાદી માટેની લડતમાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો કે કેમ એ તો ખબર નથી, પણ તેમનાં ઘણાં પુસ્તકો રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલાં છે. જેમ કે, રાષ્ટ્રીય રાસકુંજ (૧૯૩૦), રાષ્ટ્રીય રાસમંદિર (૧૯૩૧), રાષ્ટ્રીય નવરાત્ર (૧૯૩૦). આ ઉપરાંત નવજીવન નામનો નિબંધ સંગ્રહ, સાકી નામની નવલકથા અને પ્રણય મંજરી નામનો કાવ્યસંગ્રહ પણ તેમણે પ્રગટ કર્યાં હતાં. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રભા’, ‘ખેતી અને સહકાર’, ‘અંગબળ અને આરોગ્ય’, જેવાં સામયિકોના તેઓ તંત્રી હતા.

૧૯૨૪માં જ આવું બીજું એક પુસ્તક પ્રગટ થયું હતું અને તે પણ નડિયાદથી. નામ હતું ‘રાષ્ટ્રીય લગ્ન ગીત સંગ્રહ.’છપાયું હતું અમદાવાદમાં. પુસ્તકમાં છાપ્યું છે : “સંગ્રહ કરી છપાવનાર ને વેચનાર મણિલાલ મોહનલાલ માતરિયા, સાહિત્ય મંદિર, નડિયાદ.” આ પુસ્તક સંપાદન છે. પણ કેટલાક કાવ્યોના કર્તાનાં નામ આપ્યાં છે, ઘણાંનાં આપ્યાં નથી. કેટલાંક કાવ્યો નીચે માત્ર ‘માતરિયા’ એટલું છાપ્યું છે. એટલે મણિલાલ પોતે પદ્યરચના પણ કરતા હોવા જોઈએ. આ પુસ્તકની પણ ૨૦૦૦ નકલ છપાયેલી.

આ પુસ્તકની એક ખાસ બાબત છે ફટાણાં સાથે પણ રાષ્ટ્રીયતાને જોડી દેવાનું વલણ. જુઓ :

વેવાઈ તમે સાજન લઈ ભલે આવ્યા રે,
આવી અમને ભૂંડા વેશે શરમાવ્યા રે.
ટોપી પહેરી બન્યા ગોકુલની ગોપી રે,
વેવાઈ તમે પહેર્યા વિલાયતી જામા રે,
જામા પહેરી જાંગલાના બન્યા સાળા રે.
વેવાઈ તમે પહેરી વિલાયતી ધોતી રે,
ધોતી પહેરી માતાની કૂખ લજાવી રે.
વેવાઈ તમે પહેર્યા લેધરના બૂટ રે,
બૂટ પહેરી બન્યા સાહેબના પૂત રે.
વેવાઈ તમે બાળો વિલાયતી વેશ રે,
ખાદી પહેરી શોભાવો તમારો દેશ રે.

તો પ્રભુદાસ ઠક્કરનું આ સંવાદ કાવ્ય પણ જોવા જેવું છે:

છોકરો : બાપુ, વિદેશી વસ્ત્ર અંગે નહિ ધરું,
      વાળ્યું વિદેશીએ સત્યાનાશ રે.
બાપ : ભાઈ, ઊંચ કુટુંબ કહે આપણું
પહેરે વિદેશી જામા-સુરવાળ રે.
      લગ્ને ખાદી રે શોભે નહિ.
છોકરો :     બાપુ, ખાનદાની ખાદીમાં બધી,
      મૂકો વિદેશી વસ્ત્રમાં આગ રે.
બાપુ :       ભાઈ, સાસુ રે મહેણાં દેશે આપણી,
      કરશે જ્ઞાતિમાં સૌ ફિટકાર,
      લગ્ને ખાદી શોભે નહિ રે.
છોકરો : બાપુ, સહેવાશે ફિટકારો નાતના,
      નહિ સહેવાશે પ્રભુ ફિટકાર,
      લાવો લગનમાં ખાદી સૌ માટે.
સૂણી શબ્દો બાપુ ને સસરો ચેતીઆ,
લાવ્યા શુદ્ધ ખાદીનાં સૌ વસ્ત્રો
ખાદી વિના રે લગ્ન ના કરો.

એક જમાનામાં મુંબઈમાં ‘ગોળવાળાના ક્લાસ’ની વિદ્યાર્થીઓમાં બોલબાલા હતી. આ ક્લાસના માલિક-પ્રિન્સિપાલ હતા એરચ રુસ્તમજી ગોળવાળા. તેમણે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવાં પુસ્તકોની સાથોસાથ પારસી ધર્મ અને તેના વિધિવિધાન અંગે પણ પુસ્તકો લખ્યાં હતાં. ૧૯૨૯માં પ્રગટ થયેલું તેમનું પુસ્તક તે ‘પારસી લગ્ન : તેની બુલંદી અને તેના આશીર્વાદ.’ કિંમત એક રૂપિયો. કરિયાવરનો રિવાજ આપણે ત્યાં આજે પણ વ્યાપક છે. પણ અગાઉ પારસી સમાજમાં અને નાગર જ્ઞાતિમાં આ રિવાજ બિલકુલ નહોતો. બલકે આ બંને સમાજમાં છોકરાનાં માં-બાપ તરફથી છોકરીને ઘરેણાં તથા રોકડ પૈસા અપાતા. પણ આ પુસ્તક છપાયું ત્યાં સુધીમાં પારસીઓમાં ‘પલ્લું’ દાખલ થઈ ગયું હતું. લેખકે પ્રસ્તાવનામાં આ રિવાજનો ઉગ્ર વિરોધ કર્યો છે. પારસીઓ લગ્નની ધાર્મિક વિધિને ‘આશીરવાદ’ તરીકે ઓળખે છે. આ પુસ્તકમાં મૂળ ‘આશીરવાદ’ સાથે તેનો ગુજરાતી તરજુમો આપ્યો છે.

પણ આપણને વધારે રસ પડે તેવી તો છે આ પુસ્તકમાં છપાયેલી કેટલીક જાહેર ખબરો. જેમ કે મીનોચહેર હોરમસજી મિસ્ત્રીની આ જાહેર ખબર. એવણની દુકાનનું એડ્રેસ હુતું : ૧૦૩, ગનબાવ સ્ટ્રીટ, માણેકજી શેઠની વાડી પાસે, કોટ, મુંબઈ. અટક પ્રમાણે ધંધો સુતારી કામનો. એ વખતે પારસીઓમાં લગ્ન વખતે ‘પદ’ આપવાનો રિવાજ. તેમાં અપાય ઘરમાં વપરાય તેવી જણસો. આ દુકાનની એ માટે ‘પેકેજ ડિલ.’ તેમાં હોય બે બારણાંની સુંદર કાચની કબાટ, સુંદર ડિઝાઈનનો ડબલ બેડ, ઇઝીચેર, સુંદર ગાદી જડેલી બે ખુરસી, રાઉન્ડ માર્બલ ટોપની ટેબલ, કપડાં નાખવાનું પીંજરું, ટોવેલ હોર્સ, જરથોસ્ત સાહેબની આરસી, સુંદર લેમ્પ, બોર્ડરવાળું ગોદડું, બે તકિયા, બે ફ્રિલવાળા ગલેફ, ચારસો, મચ્છરદાની. અને પોલીશ થાય એ પહેલાં લાકડાની ક્વોલિટીની ખાતરી કરવા ગ્રાહક પોતાના મિસ્ત્રીને લઈને બધું ફર્નિચર જોઈ શકે. જાહેર ખબરમાં લખ્યું છે : “અલબેલી મુંબઈ નગરીની ફર્નિચર માર્કિટમાં અમો આજે બી બિનહરીફ છીએ.’ અને આવા સોજ્જા લાકડાના આટલા ફર્નિચરની કુલ કિંમત કેટલી? રૂપિયા પાંચ સો એકાવન ફક્ત! તો બીજી એક જાહેર ખબર આ પ્રમાણે છે : આ પુસ્તકમાંથી ‘લગ્નની બુલંદી’ વિષે વાંચી જલદી જલદી લગન કરો અને વાગો અમારી જાનીતી ને લોકમાનીતી ફેન્સી કાપડની દુકાનેથી ખરીદો.

૧૯૪૩માં પ્રગટ થયેલું ‘આપણાં લગ્નગીતો’ તેના સચિત્ર, સુઘડ છાપકામથી ધ્યાન ખેંચે તેવું છે.

આ પુસ્તકની એક વિશિષ્ટતા એ છે કે તે ચાર મહિલાઓની મહેનતનું પરિણામ છે. પુસ્તકના સંપાદકો છે ધનિષ્ઠાબહેન મજમુદાર, નિર્મળાબહેન ભટ્ટ, અને શ્રીદેવી બુદ્ધ. અને ચિત્રો કર્યાં છે લાઠીનાં પ્રવીણકુંવરબાએ. દિવાળીબહેન ભટ્ટે લખેલી પ્રસ્તાવનામાં કહ્યું છે : “આ સંગ્રહમાં પ્રસંગો પ્રમાણેનાં લોકપ્રિય લગ્નગીતોની ગૂંથણી ચૂંટણીથી કરવામાં આવી છે. લગ્નના એકેએક પ્રસંગને સમજી તેને અનુરૂપ કાવ્યોનું સંપાદન ખૂબ જ સફળતાપૂર્વક કર્યું છે અને ‘ઈશ્વરવિવાહ’, ‘સીતા સ્વયમવર’, ‘રૂક્ષ્મણી વિવાહ’ સમાં મહાગીતોને પણ આ સંગ્રહમાં પ્રગટ કરીને સંપાદિકાઓએ આપણા સાહિત્યનું લોકધન સાચવવાની જરૂર હતી તેને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.” અહીં સંગ્રહાયેલાં લગ્ન ગીતોને શ્રી ગણેશ, કંકોતરી, સાંજી, મંડપ, ચાક, પ્રભાતિયાં, માતાની સ્થાપના, ગૃહશાંતિ, જનોઈ, સામૈયું, વરઘોડો, માયરૂં, ચોરી, વળામણું, ગૃહલક્ષ્મીના ગરબા જેવા વિભાગોમાં વહેચ્યાં છે. પુસ્તકના લગભગ દરેક પાના પર સુંદર રેખાંકનો મૂક્યાં છે, જે ખાસ આ પુસ્તક માટે તૈયાર કરેલાં છે. પુસ્તક પ્રગટ કર્યું હતું લાઠીના ગુર્જર સાહિત્ય ભંડારે, અને ૧૭૮ પાનાંના આ પુસ્તકની કિંમત હતી ત્રણ રૂપિયા.

  

પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનું એક ચિત્ર

આ છેલ્લા ચાર અઠવાડિયાથી આપણે મુંબઈ નગરીમાં લગનનો માંડવો બાંધ્યો છે તે છોડતાં પહેલાં વરઘોડિયાંને કાંઈ ભેટ-બેટ આપવાની કે નહિ? આપીએ, એક જમાનામાં ખૂબ અપાતી ભેટ, કનુ દેસાઈનાં ચિત્રોનું આલ્બમ ‘લગ્નોત્સવ.’ એમાં હતાં ‘દાંપત્યજીવનના પ્રારંભકાળની મંગળ ભાવનાઓ, આશાઓ, અને આકાંક્ષાઓનાં આઠ ચિત્રો.’ અને ચિત્રો સાથે છોગામાં હતા કાકાસાહેબ કાલેલકર અને ડોલરરાય માંકડ જેવા પ્રતિષ્ઠિત લેખકોના લેખો. કાકાસાહેબ તેમના લેખમાં લખે છે : “નર અને નારી જ્યાં સુધી એકાકી છે ત્યાં સુધી તેઓ અપૂર્ણ છે. પોતાના જીવનમાં બંને તત્ત્વોને એ ઓતપ્રોત કરશે ત્યારે તેઓ સંપૂર્ણ થશે.” એક જમાનામાં કાકાસાહેબ ગુજરાતી લિપિમાં અમુક અક્ષરો દેવાનાગરીના વાપરવાના હિમાયતી હતા. એટલે તેમનો લેખ એ રીતે છપાયો છે, જે આજે આપણને વાંચતાં થોડી તકલીફ થાય. જ્યારે નોર્મલ ગુજરાતી લિપિમાં છપાયેલા લેખમાં ડોલરરાય માંકડે લગ્નવિધિ અને ખાસ કરીને સપ્તપદીનું મહત્ત્વ સમજાવ્યું છે. અને આટઆટલું ભેગું કરીને જાડા પૂંઠાના ફોલ્ડરમાં મૂકેલું તેની કિંમત કેટલી હતી, ૧૯૪૧માં? રોકડો સવા રૂપિયો, એટલે કે આજના એક રૂપિયો ૨૫ પૈસા! પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનો જન્મ ૧૯૦૭ના માર્ચની ૧૨મી તારીખે. અવસાન ૧૯૮૦ના ડિસેમ્બરની નવમી તારીખે. તેમણે ચિત્રોનાં આવાં ઘણાં આલ્બમ પ્રગટ કરેલાં. તેઓ ઘણા નામાંકિત લેખકોના પુસ્તકોના કવરની ડિઝાઈન તૈયાર કરી આપતા. ૧૯૪૫માં ‘રામ રાજ્ય’ ફિલ્મ માટે પ્લાસ્ટર ઓફ પેરિસનાં પૂતળાં બનાવી આપ્યાં ત્યારથી તેઓ ફિલ્મો સાથે સંકળાયા. બૈજુ બાવરા, નવરંગ, ભરત મિલાપ, અને ઝનક ઝનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં તેમણે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરેલું. ઝનક ઝનક પાયલ બાજે માટે ૧૯૫૭માં તેમને બેસ્ટ આર્ટ ડિરેક્શન માટેનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.

ઇતિ લગ્નકથા સમાપ્તમ્! લગ્ન પછી કુટુંબ. આવતા શનિવારે અથ શ્રી કુટુંબ માહાત્મ્યમ્!

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2022

Loading

સમયની રેતીમાં સમાધિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 June 2022

“બેટીનો નીચલો હોઠ રુદનથી કંપ્યો અને માએ તેને ખોળામાં ઉપાડી લીધી. પછી એવું થયું કે મા એ હોઠ બની ગઈ જે કંપી રહ્યો હતો. બેટીનું માથું ખભા પર રાખીને તેને સહેલાવા ગણગણવા લાગી કે એક મોટો હાથી રાહ જોઈને બેઠો છે કે બેટી આવે, તેની પર સવારી કરે, અને બંને ઝૂમ ઝૂમ કરે, અને પાંદડાં ગુસપુસ કરે છે અને સાંભળ સાંભળ વાર્તાઓ સંભળાવી રહ્યાં છે.

બેટી હસી પડી. આ થયું તો મા હાસ્ય બની ગઈ.

બેટીનું રુદન ધીરે ધીરે સ્થિર શ્વાસોમાં બદલાઈ ગયું અને માનું ડૂસકું શ્વાસ બની ગયું.

બેટી ઊંઘી ગઈ અને મા સુંદર સપનાં તેને ઓઢાડતી રહી.

એ પળે એક પ્રેમ દેહાકાર થયો. માનો શ્વાસ ખોવાતો ગયો, બેટીનો શ્વાસ કિલકારી કરવા લાગ્યો અને હાથીની પીઠ ઉલ્લાસથી બોલાવવા લાગી.”

ફ્રેંચ ફિલોસોફર, અને જેમણે નોબેલ પુરસ્કાર ઠુકરાવ્યો હતો તેવા એન્ટી-એસ્ટાબ્લીશમેન્ટ લેખક, જ્યાં-પોલ સાર્ત્રએ “સાહિત્ય શું છે” નામના એક પુસ્તકમાં લખ્યું હતું, “શબ્દો ભરેલી પિસ્તોલ જેવા હોય છે. લેખક જ્યારે બોલે છે ત્યારે તે ગોળી છોડે છે. એ કદાચ મૌન હોય, પણ તેણે ગોળી છોડવાનો વિકલ્પ પસંદ કર્યો જ છે, તો પછી તેણે એક મર્દની જેમ જ છોડવી જોઈએ, બરાબર નિશાન સાધીને, અને નહીં કે એક બાળકની જેમ માત્ર અવાજનો આનંદ લેવા માટે, આંખો બંધ કરીને આડેધડ.”

ભાષા અભિવ્યક્તિનું સાધન છે. તેને વાપરવા માટેની એક કળા હોય છે. જેમ અણઘડ હાથમાં રિવોલ્વર જાન લેવા સાબિત થાય, તેવી રીતે ભાષાને વાપરતાં ન આવડે તો અભિવ્યક્તિનું ખૂન કરી નાખે. ભાષાનો એક હુનર હોય છે. શબ્દોની એક મીઠાસ હોય છે. ઉચ્ચારનું એક સંગીત હોય છે. ભાષા પાસેથી કામ લેવું એ પીંછી પાસેથી કામ લેવા જેવું છે. કોઈ તેમાંથી પદ્ય બનાવે, કોઈ ગદ્ય ઉતારે, પણ તેના મનમાં એક ચિત્ર અથવા કલ્પના હોય છે અને તે શબ્દોના માધ્યમથી તેને “ચણે” છે.

ઉપર જે એક અંશ છે, તે બૂકર પુરસ્કાર વિજેતા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા “રેત સમાધિ”માંથી લીધો છે. ગીતાંજલિ શ્રી શબ્દો પાસેથી કેવું કામ લે છે તેનું આ ઉદાહરણ છે. બેટી રડે છે અને મા તેને છાની રાખે છે. આ એક સાવ સામાન્ય ઘટનાને, ગીતાંજલિએ પ્રેમની નક્કર અભિવ્યક્તિમાં તબદીલ કરી નાખી છે. બેટી રડે છે તો મા રડે છે. એ હસે તો મા હસે છે. બેટી શાંત થઇ જાય છે તો મા સ્થિર થઇ જાય છે. બેટી ઊંઘમાં સપનું જુએ છે તો મા પણ ઊંઘી જાય છે.

ભાષા “રેત સમાધિ”નું એક સશક્ત પાસું છે. એવાં બીજાં પણ છે. જેમ કે, નવલકથામાં ૮૦ વર્ષની એક વૃદ્ધ સ્ત્રીનો ડિપ્રેશન સાથે સંઘર્ષ છે અને સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની જીદ છે. સ્ત્રીના એ સંઘર્ષમાં અનેક નવાં પાત્રો વાચકને મળતાં રહે છે. ઘણીવાર તો સ્ત્રીના ઘરમાં પડેલી નિર્જીવ ચીજો જીવંત થઈને તેમના કિસ્સાઓ કહેવા લાગી જાય છે. જેમ કે :

“જિંદગી શું છે? નાનકડા વર્તુળમાં ચાલવાનું જાણે છે, જાણે એક પગદંડી પર હજુ તો શરૂ થઇ ત્યાં ખતમ. પરંતુ વિશાળ વિકરાળ પણ જાણે છે, જેમ પગદંડીમાંથી ખુલ્લા રસ્તા પર નીકળી આવે અને મોટા રસ્તાને જઈ મળે જે મહામાર્ગ હોય, ગ્રાન્ડ ટ્રંક રોડ જેવો ઐતિહાસિક હાઈવે હોય. તેનું પગદંડી સાથે દૂર-સુદૂર જોડાઈ જવું વાર્તામાં નવો વળાંક લાવે છે, ટ્રક ટ્રેકરોની ત્રાડથી પગદંડી ધ્રુજી ઊઠે છે, અથવા સિલ્ક રૂટ પર ચિરકાળથી ઉતારેલા રેશમી અહેસાસ તેને નરમીથી લપેટી લે છે. પગદંડી ચકિત થાય છે કે ક્યાંથી આવતા હશે રસ્તાઓ, ક્યા સમયમાંથી, ક્યા કાફિલાઓમાંથી, સરહદોમાંથી. અને ક્યાંથી ક્યાં આવી ગઈ હું, કેટલાં અલગ અલગ જીવન પાર કરીને. શું હજી પણ એ જ પગદંડી છું, કે તેનાથી પહેલાંની જરા અમથી કેડી? પણ આ સવાલ કોણ પૂછશે, ક્યારે, અત્યારે કોને ખબર?”

“રેત સમાધિ” એક મધ્યમ વર્ગીય પરિવારની દિનચર્યા, સગાં-સંબંધીઓ, વાદ-વિવાદ, લગાવ-અલગાવ અને ઈચ્છાઓ-સપનાંનું ચિત્રણ કરે છે. એમાં એક બેટી અને એક માના સંબંધની આસપાસ વાર્તા ફરે છે.

નવલકથા 80 વર્ષની એક વૃદ્ધ ચંદ્રપ્રભા વિશે છે. તેના પતિનું અવસાન થઇ ચુક્યું છે. ચંદ્રપ્રભા ડિપ્રેશનમાં આવીને તેના ઓરડામાં ભરાઈ ગયેલી છે. તેનો દીકરો અને દીકરી તેને બહાર લાવવા મહેનત કરે છે. એમાં, પરિવારના આપસી સંબંધો પણ ઉજાગર થાય છે. એક દિવસ અચાનક ચંદ્રપ્રભાને પાકિસ્તાન જવાનો વિચાર આવે છે, અને ખાટલામાંથી ઊભી થઈને જતી રહે છે. બધા તેને શોધે છે, પણ ચંદ્રપ્રભા તેની જૂની યાદો, જૂની જગ્યાઓ અને જૂના સંબંધોની ખોજમાં સરહદ પાર જતી રહે છે. બહાનું એવું છે કે ત્યાં રોઝી નામની એક ટ્રાન્સજેન્ડર સ્ત્રી છે, જેને કોઈ સામાન સોંપવાનો છે.

ચંદ્રપ્રભા મૂળ પાકિસ્તાનની ચંદા હતી અને ત્યાં તેના વિવાહ અનવર સાથે નક્કી થાય છે, પરંતુ વિભાજન પછી તે ભારત આવીને ચંદ્રપ્રભા બનીને નવી જિંદગી શરૂ કરે છે. બે સંતાનોની મા, ચંદ્રપ્રભાએ, તેનો વર્તમાન તો જીવી લીધો છે, પરંતુ કદાચ અતીત જીવવાનો રહી ગયો હતો. હવે તે પાછી ચંદા બનીને અનવરને શોધવા નીકળે છે. પ્રેમી તરીકે વિખૂટાં પડેલાં બંને મળે છે અને એકબીજાની માફી માંગે છે.

“રેત કી સમાધિ” ઇતિહાસની વાર્તા તો છે, જે સરહદ પાર જાય છે, સાથે એક સામાન્ય મહિલાની પણ કહાની છે, જે તેની ભીતર મનોજગતમાં જાય છે. રાજસ્થાન સાહિત્ય અકાદમીની અનિતા ગોયલ લખે છે, સંયુક્ત પરિવારથી શરૂ થતી આ નવલકથા સરહદોની કહાનીમાં તબદીલ થાય છે. તેમાં માત્ર ભારત-પાકિસ્તાનની જમીન પર દોરાયેલી સરહદોની જ વાત નથી, પરંતુ ઉંમરની સરહદો, સ્ત્રી-પુરુષ હોવાની સરહદો, જીવનની સરહદો, સમયની સરહદો, એકલતા અને પરિવારની સરહદો જેવી અનેક સરહદોના અસ્તિત્વ અને તેના તુટવાની વાર્તા છે.

નવલકથાનું શીર્ષક “રેત સમાધિ” સૂચક અને અર્થપૂર્ણ છે. અનિતા ગોયલ તેને રેતીમાંથી ઉઠતી સમાધિની કથા કહે છે. વાર્તામાં તેનો ઉલ્લેખ આવે છે. જેમ કે શરૂઆતમાં રેતીની સમાધિમાંથી ઉઠવાની વાત છે. ચંદ્રપ્રભા જીવન પ્રત્યે ઉદાસ છે, જીવવાની ઈચ્છા નથી, પણ જેમ જેમ તેની પર લદાયેલી જવાબદારીઓ ઓછી થાય છે અને તે તેમાંથી બહાર નીકળે છે.

ગીતાંજલિ શ્રી લખે છે, “તેની પર લદાયેલો વર્ષોનો કચરો રેતીની જેમ પડવા લાગ્યો. સરકી જાય, ગબડી પડે, એ આઝાદ થતી જાય, એ હળવી થતી જાય. એટલી હળવી કે રેતીની ભીતરથી જાણે સમાધિ ઉઠવા લાગે.”

વાર્તાના અંતમાં તેને જ્યારે ગોળી વાગે છે ત્યારે તે ઊંધા મોઢે રેતીમાં પડવાને બદલે આકાશ તરફ મ્હોં રાખીને પીઠ પર પડે છે. મૃત્યુ પછી જાણે તે રેતીમાં સમાધિસ્થ થઇ ગઈ હતી.

(પ્રગટ : “ગુજરાત મિત્ર”, “મુંબઈ સમાચાર”, જૂન 2022)

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3581,3591,3601,361...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved