Opinion Magazine
Number of visits: 9458776
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આત્મવંચના નહીં રાષ્ટૃવંચના કરતા શાસકો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 June 2022

અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા ત્યારે તેમણે, ૨૦૧૩ની સાલમાં, ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું ; ‘સેલ્ફ-ડીસેપ્શન : ઇન્ડિયાઝ ચાઈના પોલિસી.’ એ પુસ્તકના મુખપૃષ્ટ ઉપર તેમણે તે સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીનના પ્રમુખ હુ જિન્તાઓને ઝૂકીને અભિવાદન કરતા બતાવ્યા છે. પુસ્તકનું શીર્ષક. ‘સેલ્ફ-ડીસેપ્શન’ તો બોલકું છે જ પણ મુખપૃષ્ટ પરની તસ્વીર વધારે બોલકી છે. તેમણે પોતે ‘મંથન’ નામના થીંક-ટેંક પ્લેટફોર્મ પરથી બોલતા કહ્યું હતું કે તેમણે મનમોહન સિંહની ચીનના નેતાને ઝૂકીને અભિવાદન કરતી તસ્વીર ચાહી કરીને મૂકી હતી કે જેથી વાચકને ખબર પડે કે ભારતના શાસકો (કાઁગ્રેસ વાંચો) કેટલા બુઝદિલ છે. લળીલળીને ચીનના નેતાઓના ઓવારણા લેવામાં આવે છે અને ચીનના નેતા જુઓ, એક સેન્ટીમીટર પણ ઝુકતા નથી. તેમનું કહેવાનું એમ હતું કે દેશને એવા નેતાની જરૂર છે જે ચીનના નેતાઓ સામે ટટ્ટાર ઊભા રહે અને આંખમાં આંખ મેળવીને વાત કરી શકે. માટે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ ત્યારે એવો દાવો પણ કર્યો હતો.

એ સમયે ચારેકોરથી ડૉ. મનમોહન સિંહ ઉપર બાણવર્ષા થતી હતી. દેશને સિંહની જરૂર છે ત્યારે સસલું શાસન કરે એ કેમ ચલાવી લેવાય! દેશને મોટાં સપનાં જોઈ શકનારા અને બુલંદ ઈરાદો ધરાવનારા, કૃતનિશ્ચયી સ્વચ્છતાની મૂર્તિ સમાન નેતાની જરૂર છે ત્યારે ડૉ. મનમોહન સિંહ નામના શિયાળવાને કેમ ચલાવી લેવાય જે પડકારો ઝીલી શકતા નથી! ઔર તો ઔર જેની રાજકીય સમજ ગામડાના સરપંચ જેટલી પણ નથી અને સવારે પૂર્વ દિશામાં જાય અને સાંજે પશ્ચિમ દિશામાંથી નીકળે એ અણ્ણા હજારેએ ડૉ. મનમોહન સિંહ જેવા આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવનારા અર્થશાસ્ત્રી ઉપર બાણવર્ષા કરી હતી. ત્યારે ડૉ. મનમોહન સિંહે માત્ર એટલું જ કહ્યું હતું કે મને ભરોસો છે કે સમય મને ન્યાય આપશે.

અરુણ શૌરીના પુસ્તક ઉપરનું કવર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારું છે, કારણ કે ડૉ. મનમોહન સિંહે ચીનના ડરથી દલાઈ લામાને મળવાનું ટાળ્યું નથી. ખરું પૂછો તો ભારતનો ૨૦૧૪ સુધીનો એક પણ વડા પ્રધાન એવો નથી જેણે ચીનના ડરથી દલાઈ લામાને મુલાકાત ન આપી હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા અને એક માત્ર વડા પ્રધાન છે જે ચીનના ડરથી દલાઈ લામાને મળતા નથી. દલાઈ લામાને આઠ વરસમાં એક પણ મુલાકાત આપી નથી. દલાઈ લામા માત્ર તિબેટી નેતા નથી, આખા જગતમાં આદરણીય પુરુષ છે.

ખેર, અરુણ શૌરીનાં ચીન વિશેના પુસ્તક ઉપરની તસ્વીર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારી છે એમાં ના નહીં, પણ શીર્ષક સાચું છે અને અત્યારના શાસકો માટે તે વધારે સાચું છે. સેલ્ફ-ડીસેપ્શનનો અર્થ થાય છે, આત્મવંચના. પોતાની જાતને છેતરવી અથવા ખોટા ભ્રમમાં રહેવું. જવાહરલાલ નેહરુ ચીન વિષે ખોટા ભ્રમમાં રહ્યા હતા અને ચીન ઉપર ભરોસો કરવાની ભૂલ કરી હતી એ એક હકીકત છે. પણ અત્યારના શાસકો તો તેમનાથી એક ડગલું આગળ ગયા છે. તેઓ માત્ર આત્મવંચના નથી કરતા, રાષ્ટ્રવંચના પણ કરે છે. નહીં બોલીને, આંખ આડા કાન કરીને, મોઢું ફેરવી લઈને પ્રજાને પણ ભ્રમમાં રાખે છે કે ચીનની સરહદે બધું સમુસૂતરું છે, જ્યારે કે સ્થિતિ બિલકુલ ઊલટી છે.

ચીનની સરહદે શું ચાલી રહ્યું છે એના સમાચાર આપણને અમેરિકા આપે, યુરોપિયન યુનિયન આપે, સેટેલાઈટ તસ્વીરો આપે, ‘ઈકોનોમિસ્ટ’ અને એવાં બીજાં જાગતિક પ્રતિષ્ઠા ધરાવનારાં સામયિકો આપે, બી.બી.સી. અને અલ ઝઝીરા જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલો આપે, વિશ્વની પ્રતિષ્ઠિત થીંક-ટેન્કો આપે, સ્વતંત્ર રાજકીય નિરીક્ષકો આપે અને આપણા શાસકો? આપણા શાસકો મૂંગા રહે અને રાફેલ વિમાનને કોઈની નજર ન લાગે એ માટે તેના પૈડાંને લીંબુ-મરચાં બાંધે. વાહરે, ચીન વિશેની નીતિ. અરુણ શૌરી અત્યારે મરવા જેવી લાજ અનુભવી રહ્યા છે એનું કારણ આ છે.

બુધવારે અમેરિકન લશ્કરના કમાન્ડીંગ જનરલ ચાર્લ્સ એ. ફ્લીને દિલ્હીમાં (આય રિપીટ દિલ્હીમાં) કહ્યું છે ચીન ભારતની સરહદે લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે એ જોતા સરહદે સ્થિતિ ચિંતાજનક છે. આવું અમેરિકાએ પહેલીવાર નથી કહ્યું. સૌથી પહેલાં આપણા વડા પ્રધાનના નાદાન અમેરિકન મિત્ર અને એ સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને ભારતની ભૂમિ ઉપર કબજો જમાવ્યો છે અને તેને કારણે મારા મિત્ર નરેન્દ્ર મોદી હતપ્રભ અને દુઃખી છે. દોસ્ત હો તો ઐસા. એ પછી વખતોવખત અમેરિકા ચીનની લશ્કરી તૈયારીઓ વિષે નિવેદન કરતું રહ્યું છે અને ભારતને ચેતવણી આપતું રહ્યું છે. વચ્ચે અહેવાલ આવ્યા હતા કે ચીનની સરહદે પહેલા આઠ હજાર ચીની સૈનિકો હતા જે હવે પચાસ હજાર છે. આ વખતે પહેલી પંક્તિના લશ્કરી અધિકારીએ દિલ્હીમાં આવીને કહ્યું એ ઓછી ગંભીર તાકીદ નથી. પણ ભારતના શાસકો ચૂપ છે. મોઢું ખોલે એ બીજા. અમંગળ વાસ્તવિકતાઓ જોવાની જ નહીં ને!

હજુ હમણાં પખવાડિયા પહેલાં યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત રશિયાની યુક્રેન ઉપરની ચડાઈની બાબતે ચૂપ એટલા માટે છે કે તેને ચીનનો ડર છે. રશિયા રશિયન રાષ્ટ્રવાદથી પ્રેરાઈને જેમ યુક્રેન ઉપર દાવો કરે છે એમ ચીન પણ ભારતના કબજા હેઠળની ભૂમિ ઉપર દાવો કરી રહ્યું છે. રશિયાની જેમ ચીન જો એ ભૂમિ કબજે કરવા આક્રમણ કરે તો રશિયા ભારતને મદદ કરશે એવી ભારતની અપેક્ષા છે. ચીન ભારત સાથેની સરહદે જે રીતે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે એ જોતાં આવી શક્યતા ઘણી મોટી છે. ટૂંકમાં ચારે તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચીન લશ્કરી જમાવટ કરી રહ્યું છે અને ભારત સામે ખતરો છે. રાહુલ ગાંધીએ પણ આમ કહ્યું હતું ત્યારે ગોદી મીડિયાએ અને બી.જે.પી.ના સાયબર સેલે તેમને ચીનના પ્રવક્તા તરીકે ઓળખાવ્યા હતા.

પણ ભારતના શાસકો ચીનની દિશામાં નજર સુદ્ધાં કરતા નથી. આ આત્મવંચના નથી રાષ્ટ્રવંચના છે. ડૉ. મનમોહન સિંહ ઝુકીને અભિવાદન કરતા હતા એ તેમની ખાનદાની હતી. અદના માણસને પણ ડૉ. મનમોહન સિંહ આદર આપે છે અને પૂરા આદર સાથે ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે એમ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને તેમનાં સંસ્મરણો વાગોળતા કહ્યું છે. એમાં આત્મવંચના નહોતી અને રાષ્ટ્રવંચના તો જરા ય નહોતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જૂન 2022 

Loading

બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેન્જમેન્ટઃ મુસ્લિમ દેશોની નારાજગી વહોરવાનું આપણા અર્થતંત્ર કે લોકતંત્રને જરા ય પોસાય તેમ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 June 2022

કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે, પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફીડન્સ’ આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે

નવીન કુમાર જિંદાલ અને નૂપુર શર્માને મુસ્લિમ ધર્મ અને મોહંમદ પૈયગંબર વિષેની ટિપ્પણીઓ ભારે પડી. ખાડી પ્રદેશના ત્રણ દેશોએ ત્યાં નીમાયેલા એલચીને બોલાવીને ભારતે તેમની જાહેર માફી માંગવી પડશે તેવી માંગણી કરી. આ હોબાળાની લાંબી ચર્ચા કરવાનો ઇરાદો નથી કારણ કે તમે બધા તેનાથી વાકેફ તો છો જ. ચર્ચા એ કરવાની છે કે આમ તો કોઇની ય સાડાબારી ન રાખનારા ભારતે રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા અને દિલ્હીના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને ઘરભેગા કર્યા કારણ કે ગલ્ફ પ્રદેશના દસ દેશોને વાંકુ પડે એ પોસાય તેમ નહોતું. આટલું ઓછું હોય એમ અંદરખાને બંધારણની ઐસી તૈસી કરનારા ભા.જ.પા.એ બંધારણને પોતે એક રાષ્ટ્ર તરીકે કેટલું મહત્ત્વ આપે છે અને પોતે કેટલો બિનસાંપ્રદાયિક દેશ છે એવી જાહેરાત પણ કરી. બહારના દેશો માટે તાત્કાલિક ધોરણે બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેનેજમેન્ટ કરવામાં આવ્યું કારણ કે એ કરવા સિવાય છૂટકો નથી. આપણે એ વાત માંડવાની છે કે આ ગલ્ફ પ્રદેશના દેશોને વાંકુ પડે તે આપણને પોસાય તેમ કેમ નથી?

ભા.જ.પા.એ પોતાના જ નેતાઓ સામે પગલાં લીધાં તે જ બતાડે છે ગલ્ફ પ્રદેશોની આપણને ગરજ છે.  મુસલમાન વિરોધી ઘુરકિયાં અને ગર્જના બિલ્લીનું મ્યાંઉં બની ગયાં તેનું કારણ છે અર્થતંત્ર. ગલ્ફ પ્રદેશમાં આવેલા યહૂદી દેશ ઇઝરાયલ સિવાય – સાઉદી અરેબિયા, કતાર, ઇરાન, ઇરાક, બહેરિન, કુવૈત, યુનાઇટે આરબ એમિરાત્સ, ઓમાન, જોર્ડન અને યમન – આ દસેય દેશોને ભેગા કરીએ તો વિશ્વના પાંચમા ભાગના મુસલમાનોની વસ્તી થાય અને મુસલમાનોના મુદ્દા, દૃષ્ટિકોણ, હક વગેરે માટેના સૌથી મોટા અને મહત્ત્વના પોકાર આ ખૂણાઓમાંથી જ ઊભા થતા હોય છે. ભારતને ગલ્ફ પ્રદેશની પરવા હોય તે સ્વાભાવિક છે કારણ કે મોટા ભાગના દેશો સાથે ભારતના સંબંધો સારા જ રહ્યા છે. વળી એ જગજાહેર વાત છે કે કોઇ પણ સંબંધ સ્વાર્થ વગર તો હોય નહીં. અહીં ગેસ – ઓઇલ અને વ્યાપાર બે બહુ મોટા પાસા છે જેને કારણે સારાસારી રાખવી પડે. વળી આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે.

ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર ભારતની ૮૪ ટકાથી વધુ પેટ્રોલિયમ ડિમાન્ડ – જેમાં ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે – તે આયાતથી પૂરી થાય છે. છેલ્લાં ૧૫ વર્ષમાં ભારતની ક્રુડ ઓઇલની આયાતને પહોંચી વળવામાં ૬૦ ટકા જેટલો હિસ્સો પર્શિયન ગલ્ફ દેશોનો છે. ૨૦૨૧-૨૨માં ભારતમાં ઓઇલનો સૌથી વધુ જથ્થો પહોંચાડનાર દેશ હતો ઇરાક. એક સમયે ઇરાકનો હિસ્સો કૂલ આયાતમાં ૯ ટકા હતો તે વધીને હવે ૨૨ ટકા થયો છે. ૧૭થી ૧૮ ટકા જેટલો હિસ્સો સાઉદી અરેબિયાનો છે, તો કુવૈત અને યુ.એ.ઇ.એ લાંબા સમયથી મોટા જથ્થામાં ભારતને ઓઇલ પહોંચાડ્યું છે. યુ.એસ.એ.ના પ્રતિબંધોને કારણે ઇરાનની ભાગીદારી ભારતને ઓઇલ પહોંચાડવામાં સાવ એક ટકા જેટલી રહી ગઇ છે – જે એક સમયે બીજા ક્રમાંકનો સૌથી મોટો આયાતી દેશ હતો. આપણે ત્યાં ૪૧ ટકા ગેસ કતારથી આવે છે. આ લેવડ દેવડ તો ખરી પણ ૧૩.૪૬ મિલિયન ભારતીય નાગરિકો જે વિદેશમાં કામ કરી રહ્યા છે અને તેમાંથી બીજા દેશોનું નાગરિકત્વ લેનારા ભારતીયોની વાત કરીએ તો આ આંકડો ૩૨ મિલીયન જેટલો છે. માત્ર વિદેશમાં કામ કરનારા ભારતીયોની ગણીએ તો સૌથી વધુ ભારતીયો ગલ્ફ પ્રદેશમાં છે. યુ.એ.ઇ.માં ૩.૪૨ મિલિયન, સાઉદી અરેબિયામાં ૨.૬ મિલિયન અને કુવૈતમાં ૧.૦૩ મિલિયન જેટલા ભારતીયો છે. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર વિદેશથી ભરણું મેળવવાને મામલે ૨૦૨૦માં ભારતે સૌથી વધુ રકમ – ૮૩.૧૫ મિલિયન રકમ મેળવી છે. ૨૦૧૮માં રિઝર્વ બેંકે જણાવ્યા અનુસાર ભારતને મળતા ભરણામાંથી ૬૯ બિલિયન ભરણામાંથી ૫૦ ટકાથી વધારે ભરણું ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલમાંથી મળે છે. ગલ્ફના દેશોમાં મોટા સ્ટોર્સ અને રેસ્ટોરન્ટના માલિકો ભારતીય છે. હાલમાં થયેલા વિવાદમાં આ બધા ભારતીયોના બિઝનેસને નુકસાન પહોંચે તેવું જોખમ પણ ખડું થયું કારણ કે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનો અવાજ આ મુસ્લિમ દેશોમાં ઊભો થયો. વળી આ આર્થિક આધાર માત્ર એક તરફી નથી, કારણ કે યુ.એ.ઇ. અને ભારત વચ્ચેનો દ્વિપક્ષી વેપાર અંદાજે ૭૨.૯ બિલિયન જેટલો છે જેમાં ભારતની નિકાસની રકમ ૨૮.૪ બિલિયન જેટલી છે. ગલ્ફ પ્રદેશ ખાદ્ય પદાર્થોને મામલે આયાત પર નભે છે. ભેંસનું માંસ, ચોખા, મસાલા, દરિયાઇ ઉત્પાદનો, ફળ, શાકભાજી અને ખાંડ જેવી અગત્યની ચીજો ભારતથી જ આ દેશોમાં મોકલાય છે. આ દેશોની એવિયેશન ઇન્‍ડસ્ટ્રી એ.એ.ઇ. ભારતીય ફ્લાયર્સ પર નભે છે. ગલ્ફમાં ગ્લોબર ટ્રાન્ઝિટ હબ વધ્યાં પછી જ્યારે એમિરાટ્સ, એતિહાદ એરવેઝ, કતાર એરવેઝ જેવી એરલાઇન્સની સેવાઓ વધતાં તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માર્કેટ જેની પર મોટે ભાગે યુ.એસ. અને ભારતીય એરલાઇન્સનો કાબૂ હતો તે ભાગીદારી પણ ઘટાડી છે.

૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે મોટા ભાગના ગલ્ફ પ્રદેશના દેશો સાથે સંબંધો મજબૂત રહે તેની તકેદારી રાખી છે. વળી આ બધું માત્ર ડિપ્લોમસી પૂરતું નથી રહ્યું, જરૂર પડ્યે તેમણે પોતાના ભાષણોમાં પણ ગલ્ફ દેશો સાથે ભારતને બહુ જ સારા સંબંધો બન્યા છે તેવું કહ્યું છે. વળી વિદેશ પ્રવાસો કર્યા ત્યારે પણ વડા પ્રધાને ગલ્ફ પ્રદેશના મહત્ત્વના દેશોની મુલાકાત લીધી જ છે. આ દેશોના બહુ પ્રતિષ્ઠિત એવી મસ્જિદની મુલાકાત પણ વડા પ્રધાને લીધી છે જેમ કે અબુ ધાબીનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મૉસ્ક અને મસ્કતનું સુલ્તાન કબૂસ ગ્રાન્ડ મૉસ્ક.

ટૂંકમાં ગલ્ફના દેશો સાથે શિંગડા ભેરવવાનું એક રાષ્ટ્ર તરીકે ભારતને જરા ય માફક આવે તેમ નથી. આપણે ‘વિકાસ’ના રસ્તે ચાલીએ છીએ પણ હજી વિકસીત દેશ નથી બન્યા. આપણા અર્થતંત્રએ પણ બહુ ભોગવ્યું છે, આપણને આંતરરાષ્ટ્રીય વેપાર વાણીજ્યમાં તંગ સંજોગો જરા ય સદે એમ નથી. સુરક્ષા અને સલામતીની દૃષ્ટિએ પણ આપણને આ તમામ દેશો સાથે સારો સંબધ રહે તે જરૂરી છે. ભારત અને યુ.એ.ઇ., સાઉદી અરેબિયા અને ઓમાન જેવા રાષ્ટ્રો તો સહિયારી મિલીટરી એક્સર્સાઇઝ પણ કરે છે.

વિદેશ નીતિને ગણતરીમાં લઇએ તો પાકિસ્તાન સાથેના તણાવની ખાઇ આ બધા વિવાદમાં ગહેરી બની શકે છે અને જો તે તેના જૂના મિત્ર રાષ્ટ્ર એવા સાઉદી અને યુ.એ.ઇ. સાથે પોતાના સંબંધો મજબૂત કરવામાં કંઇ બાકી નહીં રાખે. પાકિસ્તાનને આમે ય દિલ્હી અને ગલ્ફના દેશો વચ્ચેની સારા સંબંધો હંમેશાં નડ્યા છે.

કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે, પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફીડન્સ’ આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે.

બાય ધી વેઃ

આ પહેલાં આ મુસ્લિમ દેશો સાથેના સંબંધોમાં ધર્મ ક્યારે ય આડે નથી આવ્યો. બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ ઘટી ત્યારે પણ આ દેશોને એવી ખાતરી હતી કે ભારત પોતાની લોકશાહી – બિનસાંપ્રદાયિક વ્યવસ્થાને વળગી રહેશે પણ પયંગબર અને તેમનાં પત્ની વિશે ઊતરતું બોલાય ત્યારે ભારત એક ‘બિનસાંપ્રદાયિક’ દેશ તરીકે પોતાની ફરજ ચૂક્યો છે એવું જ સાબિત થાય. કેન્દ્ર સરકારને એક માત્ર ચાહ હશે કે આટલા બધા હોબાળા પછી ‘ધંધા-ધાપા’ જરા તરા પણ હવાઇ ન જાય, નહીંતર માંડ બેઠા થઇ રહેલા અર્થતંત્રની બેવડ વળેલી કમર પર બીજો ફટકો પડશે. આમે ય ઘરમાં ગમે એટલા ધાંધિયા હોય, બહાર તો થપ્પડ મારીને ગાલ રાખવા સિવાય આપણી સરકાર પાસે બીજો કોઇ રસ્તો છે જ નહીં. બોલેલું જેટલું નૂકસાન કરી શકે છે તેનો ખ્યાલ હવે બીજી ટર્મમાં પહોંચ્યા પછી ય ભા.જ.પા. સરકારને ન સમજ પડે તો પછી ભગવાન કે અલ્લાહ કોઇ તેમની વહારે નહીં ધાય, એ પાક્કું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  12 જૂન 2022

Loading

મન્તવ્ય-જ્યોત—13

સુમન શાહ|Opinion - Opinion|12 June 2022

જ્યોત ૧૩ : શૈલી અને શૈલીવેડા

સાહિત્યસંસારમાં કેટલીક આયરનીઝ – વક્રતાઓ – જોવા મળે છે. વક્રતાનો અહીં સંકેતાર્થ એ છે કે લેખકે ધાર્યું હોય કંઈ ને એનાથી લખાઈ જાય કંઈ. તો વળી, લેખકે બરાબર લખ્યું હોય પણ વાચકથી જુદું જ સમજાઇ જાય અથવા એ કશું સમજ્યો જ ન હોય.

એવી એક વક્રતા શૈલી અને શૈલીવેડા વિશે છે. લેખકને પાક્કું થઈ ગયું હોય કે પોતાની શૈલી બેજોડ છે, પણ એના વાચકોને લાગે કે આ ભાઈ તો અવારનવાર કારણ વગર શબ્દોથી રમે છે અને  આપણને રમાડે છે; વાંચવાની મજા પડે છે, પણ વાંચ્યાનો કશો લાભ જડતો નથી.

વાત બરાબર છે. રાગ મલ્હારનું ગાયન આલાપ ને તાન લગી પ્હૉંચે એ સરસ, પણ વચ્ચે વચ્ચે ગાયકે સૂરે સૂરે પોતાની બિનજરૂરી હોશિયારી બતાવી હોય તો એ ગાયન કંટાળાજનક ‘રાગડો’ લાગે છે. વિધિસરનું નૃત્ય કરવાને સ્થાને નર્તકી જાતજાતનાં નખરાં કરે, ચિત્રવિચિત્ર અંગભંગિઓ કરે, ત્યારે નૃત્ય ‘નાચ’ લાગે છે. સાહિત્યકલામાં પણ, સર્જક એની રચનામાં અનાવશ્યક કંઈ પણ ઘુસાડે છે તો રચના વણસી જાય છે. એની શૈલી શૈલીવેડાની અસર આપે છે. વક્રતા એ છે કે એની એને ખબર જ નથી પડતી !

શૈલી અને શૈલીવેડા વચ્ચેનો ફર્ક સમજવા માટે કોઈ એક કૃતિ લઇને વાત કરવી જોઇએ. પરન્તુ આ જ્યોતમાં એ અર્થે માત્ર ઇશારા કરી શકું છું, તો ક્ષમા કરશો :

હું જો મારાં પાત્રોનાં નામ બોલવામાં કે વાંચવામાં પણ અટપટાં હોય એવાં રાખું તો ચાલે? ના, મેં ચતુરાઈ વાપરી કહેવાશે. વાર્તાવસ્તુ સાથે એ અસંગત અને આગન્તુક ઠરશે.

શિવકુમાર જોશી પાત્રોનાં નામ એવાં પાડે કે આપણે મલકી પડીએ. એ નામો ઘણુંખરું સંસ્કૃત હોય. વાર્તા વાંચતાં આપણને ‘સંભળાય’, સારું લાગે. પણ જિજ્ઞાસુ વાચક એવા કોઇ નામનો અર્થ પકડવા માગે તો એણે કોઈ પણ્ડિતની સહાય લેવી પડે. એક વાર શિવકુમાર કૅમ્પસના નિવાસે મારા અતિથિ હતા. મેં એમને કહ્યું તમારાં પાત્રોનાં નામ અધ્ધર લાગે છે, તો ક્હૅ, સુમનભાઈ, મને મજા પડે છે. મેં કહેલું : હા પણ સામાન્ય વાચકની કજા થાય છે : તો હસવા લાગેલા.

ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’-થી માંડીને લગભગ બધાં જ પાત્રનામ તે પાત્રના ગુણાવગુણ અનુસાર પાડ્યાં છે – લક્ષ્મીનંદન – પ્રમાદધન – ગુણસુંદરી … નામ જ સૂચવી દે કે તેની વ્યક્તિતા કેવીક છે. કથાવસ્તુને એકદમ ઉપયુક્ત ગો.મા.ત્રિ.ની સમગ્ર શૈલીનો વાચકને અણસાર આવી જાય છે.

‘કાચના કબાટમાંથી કાચી કૅરીનું કચુમ્બર’ આપણે બધા કરી ચૂક્યા છીએ. પણ,

‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’-માં

કવિએ જે વર્ણસગાઇ રચી છે, તે જોતાં આપણને સમજાઈ જાય છે કે કવિ શબ્દાલંકાર પાસેથી પણ કાવ્યોપકારક અલંકૃતિ સરજી શકે છે. એ એમની શૈલીનું નાનકડું દૃષ્ટાન્ત છે.

પણ કાવ્યમાં જો આવી ને આવી વર્ણસગાઈયુક્ત પંક્તિઓ આવ્યા કરે તો પેલી ઉપકારકતાનો વળ છૂટી જાય. પણ રાજેન્દ્રભાઈમાં એવું કદી સંભવે નહીં. બીજી જ પંક્તિ,

‘વિજનપથને ચીલે ચીલે તમિસ્રમહીં ઘન’, ડમણીની મુશ્કેલ દિશા દર્શાવી દે છે, ને પેલી વર્ણસગાઇ સાથે એક અપ્રતિમ કાવ્યાર્થ-સગાઇનું સાયુજ્ય રચાઈ આવે છે.

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિમાં ઘરેલુ બોલચાલના શબ્દો સાથે એટલા જ અનાયાસ સંસ્કૃત શબ્દોનું સુખદ સમ્મિલન થતું હોય છે. જેમ કે, સુખ્યાત કાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્ને’-ની પ્રારમ્ભિક પંક્તિઓ :

‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત 
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય ક્લાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક, 
જેવું વિલમ્બિત લયે મૃદુ મન્દ ગાન, 
તેવું જ મારું સહજે ઉર સ્પન્દમાન.’

એ સમ્મિશ્ર શૈલીનો પ્રભાવ ક્લેશકર નથી નીવડતો, પૂરેપૂરો રસાનન્દદાયી બની રહે છે. એમની શૈલીનો સઘન અભ્યાસ કરનાર ધન્ય થઈ જાય એવો એમાં જાદુ છે. હું અટકું.

નિબન્ધ, સમીક્ષા કે પત્રકારત્વમાં પ્રયોજાતું ગદ્ય સાફ સીધું અને સરળ હોવું જોઈએ. એવા ગદ્યની ભૂમિકાએ લેખકની શૈલી સંભવે છે ને ઉત્ક્રાન્ત થતી રહે છે. કેટલાક નિબન્ધકારો વિચારો પર વિચારો થોપ્યે જ જાય, મોટા ભાગના વિચારો જાણીતા ને સૅકન્ડ હૅન્ડ હોય, શું મળે? કેટલાક વિવેચકો કારણ વગર પારિભાષિક સંજ્ઞાઓ ઠાંસતા જાય, એકે ય સંજ્ઞાની સમજૂતી ન આપે, શું થાય? કેટલાક પત્રકારો માહિતી જથ્થાબંધ ઠાલવતા હોય, ક્યાંથી લાવ્યા એ ભાગ્યે જ કહે, શું થાય?

પણ જો કોઈ સાહિત્યકાર પત્રકાર હોય તો શું થાય? ધારો કે એક સર્જક વાર્તાકાર છાપામાં કૉલમ લખતો હોય તો શું થાય? હથોટીને કારણે લખાણને ચટપટું તો સરળતાથી કરી શકે. પોતાને આવડતી બધી ભાષાઓના શબ્દોનાં અહીંતહીં છાંટણાં કરતો ચાલે. અપરિચિત શબ્દોની ફટાકડીઓ ફોડતો રહે. સર્જક હોય એટલે એને મુદ્દા પર આવવાની ટેવ ન હોય, કેમ કે એને ડર કે નહિતર બધું બોલકું થઇ જશે – લાઉડ ! પણ એને ભાન ન હોય કે પત્રકારત્વને એવી મભમ સર્જકતા નથી ખપતી. એટલે મુદ્દા પર આવે નહીં, ચાટૂક્તિઓ કરતો જાય, વ્યંગનાં તકલાદી તીર ફૅંકતો રહે. પોતાને જેમાં ફાવટ ન હોય એ સાહિત્યપ્રકારોની ઠેકડી ઉડાડે. પોતે વાર્તાકાર એટલે કવિતાને નકામી ગણે. પોતે સર્જક એટલે વિવેચનને નગણ્ય ગણે. કોઈને ચાતુરીથી ઉતારી પાડે, કોઈને કળ વાપરીને ચડાવે. ટૂંકમાં, જાતભાતનાં તિકડમ્ ને ફાલતુ બાબતોની ભરમાર કરે – ચવચવનો મુરબ્બો જ જોઈ લૉ ! કેટલા ય શબ્દો, વાક્યો, વાક્યોની ગલીકૂંચીઓ, સરેરાશ વાચકને તો પલ્લે જ ન પડે. રાઇટિન્ગ ભાસે ઇન્ટરેસ્ટિન્ગ પણ નોએબલ? જરા ય નહીં !

છતાં પણ એ અને એના વર્ગના અન્યો એટલે ચમકતા રહે છે કે આપણા સાહિત્યમાં શૈલીવિજ્ઞાન પ્રવેશ્યું નથી. એટલે, શૈલીકાર અને શૈલીખોર વચ્ચેનો ફર્ક ચોખ્ખો થયો નથી. વિવેચકોએ અને ખાસ તો અધ્યાપકોએ એ ફર્કને સતત માંજતા-અજવાળતા રહેવું જોઇએ, પણ એ પરત્વે એમનું ધ્યાન ગયું લાગતું નથી.

કોઇ પણ લેખનમાં ચતુરાઈની નહીં પણ હમેશાં જરૂર પડે છે, સચ્ચાઈની. શૈલી આપવડાઇ માટે નથી, જાતપ્રદર્શનનો વિષય નથી. શૈલી તો જાતને એના પૂરા સ્વરૂપમાં દર્શનીય કરી આપે છે, ને સાચા લેખકો એમ પ્રેમથી થવા દે છે.

= = =

(June 12, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3571,3581,3591,360...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved