Opinion Magazine
Number of visits: 9458757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોનું દળદર ફીટશે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 June 2022

૧૯૮૪નું વરસ આંતરરાષ્ટ્રીય યુવા વરસ તરીકે મનાવાયું હતું. તેના અનુસંધાને ૧૯૮૮માં દેશની પહેલી રાષ્ટ્રીય યુવા નીતિ ઘડાઈ હતી. તે પછી ૨૦૦૩ અને ૨૦૧૪માં પણ યુવા નીતિ આવી હતી. હાલમાં રાષ્ટ્રીય યુવા નીતિ ૨૦૨૧નો મુસદ્દો જાહેર વિમર્શ માટે દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવા અને તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વને નિખારવાના હેતુસર ઘડાતી રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોને કેટલો લાભ થાય છે તે સવાલ તો રહે જ છે.

કવિ ઝવેરચંદ મેઘાણી જેના ઘટમાં ઘોડા થનગનતા હોય, જેનો આતમ પાંખ વીંઝતો હોય અને જેની આંખ અણદીઠેલી ભોમ પર મંડાયેલી હોય તેને યુવાન ગણે છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની યુવાનની પરિભાષા ઉંમર કે વય સાથે સંકળાયેલી છે. ૧૫થી ૨૪ વરસની વયની વ્યક્તિને તે યુવાન ગણે છે. ભારત સરકારની યુવા નીતિમાં આ વય બદલાતી રહી છે. ૨૦૦૩માં ૧૩થી ૩૫ વરસ અને ૨૦૧૪માં ૧૫થી ૨૯ વરસની વય યુવાન માટે ઠરાવી હતી. ૨૦૨૧ની યુવા નીતિના મુસદ્દામાં ૧૫થી ૨૯ અને ૧૩થી ૩૫ એમ બંને વયનો ઉલ્લેખ છે.

જેમ સરકારી યુવા નીતિમાં યુવાનની ઉંમર બદલાતી રહે છે, તેમ તેના ઉદ્દેશો પણ બદલાતા રહે છે. યુવાનોને આર્થિક રીતે ઉત્પાદક અને સામાજિક રીતે ઉપયોગી બનાવવા માટે તેમના વ્યક્તિત્વ અને કાર્યાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાના અવસર પેદા કરવાનો ઉદ્દેશ ૧૯૮૮ની પ્રથમ યુવા નીતિનો હતો. તે કેટલો ફળીભૂત થયો છે તેની ચર્ચા વિના તે પછીની યુવા નીતિના ઉદ્દેશો ઘડાતા રહ્યા છે. ૨૦૧૪ની નીતિનો ઉદ્દેશ યુવાઓની ક્ષમતાનો વિકાસ સાધી તેમના થકી ભારતને અન્ય રાષ્ટ્રોમાં મોભાનું સ્થાન અપાવવાનો હતો.

૨૦૧૪ની નીતિની પાંચ વરસે સમીક્ષા કરવાની હતી. પણ હવે આઠેક વરસે નવી નીતિ આવી રહ્યાના પડઘમ સંભળાય છે. ભારતને આગળ વધારવા માટે યુવાનોની ક્ષમતાઓને મોકળું મેદાન પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવતી ૨૦૨૧ની યુવા નીતિમાં આગામી દસ વરસ માટે યુવા વિકાસનો દૃષ્ટિકોણ અને સંકલ્પ વ્યક્ત થયા છે. ૨૦૧૪ની યુવા નીતિના પ્રાથમિકતાના ક્ષેત્રો અગિયાર હતા પણ હાલની નીતિમાં પાંચ જ પ્રાથમિકતાના ક્ષેત્રો છે. શિક્ષણ, યુવા નેતૃત્વ અને વિકાસ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા, તંદુરસ્તી અને રમતગમત તથા સામાજિક ન્યાયની પાંચ પ્રાથમિકતા સાથે ૨૦૩૦ના વરસને લક્ષ્યાંક સિદ્ધિનું વરસ નવી યુવા નીતિમાં ઘોષિત કરવામાં આવ્યું છે.

ડેમોગ્રાફિક ડિવિડન્ડ  કહેતા યુવા ધનથી ભારતવર્ષ છલકાઈ રહ્યું છે. દેશની કુલ વસ્તીમાં ૧૫થી ૨૯ વરસના લોકોનું પ્રમાણ ૨૭.૫ ટકા અને ૧૩થી ૩૫ વરસનું ૪૧.૩ ટકા છે. દેશમાં ૧૫થી ૨૪ વરસના યુવાનો ૨૩.૨૧ કરોડ છે. ઉત્તર પ્રદેશમાં ૬.૩૭ કરોડ અને ગુજરાતમાં ૧.૭૮ કરોડ લોકો ૧૪થી ૨૩ વરસની વયના છે. દેશમાં ૧૫થી ૨૯ વરસના લોકોનો સાક્ષરતા દર ૭૪.૦૪ ટકા અને દેશની સામાન્ય રાષ્ટ્રીય આવકમાં યોગદાન ૩૪ ટકા છે.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળમાં યુવા વસ્તી વધારે છે. કેરળ અને તમિલનાડુમાં યુવાનો કરતાં વૃદ્ધોની વધુ વસ્તી હોવી એ હકીકતનો નિર્દેશ કરે છે કે ઉત્તરના પછાત રાજ્યોમાં યુવા અને દક્ષિણના વિકસિત રાજ્યોમાં વૃદ્ધ વસ્તી વધુ છે.

લગભગ દરેક યુવા નીતિમાં શિક્ષણ અને રોજગારનો પ્રાથમિકતાના ક્ષેત્રમાં સમાવેશ થયો છે. છતાં આ બંનેની બાબતમાં દેશનો યુવા સૌથી વધુ અજંપ છે. શિક્ષણના ખાનગીકરણનો વ્યાપ વધ્યા પછી ઉચ્ચ શિક્ષણ વધુ દોહ્યલું બન્યું છે. એવું જ રોજગાર અંગે કહી શકાય. કૌશલ વિકાસ અને વ્યવસાયલક્ષી શિક્ષણના થીગડાથી ન તો શિક્ષણનો સવાલ ઉકલે છે કે ન તો રોજગારનો. આ વરસના બજેટમાં કોરોના મહામારીના અનુભવને આધારે ડિજિટલ શિક્ષણ પર ભાર મુકાયો છે. પરંતુ ભૂતકાળના અનુભવો પરથી સફળતાની શક્યતાઓ વર્તાતી નથી. યુવા વિકાસની પ્રત્યક્ષ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકાર યુવા દીઠ વાર્ષિક રૂ.૧,૧૧૦ ખર્ચતી હોય તો તેનાથી યુવાનોનું દળદર કઈ રીતે ફીટે ? દેશમાં ૩૦ ટકા યુવા શ્રમિકો રોજગારવિહોણા બન્યા હોય અને ૩ કરોડ યુવાનો બેકાર હોય ત્યારે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની વાત પણ ઠાલી લાગે છે.

યુવા નેતૃત્વ પણ શબ્દફેરે તમામ યુવા નીતિમાં જોવા મળે છે. વહીવટના તમામ ક્ષેત્રોમાં યુવા નાગરિકોની ભાગીદારી, સહાયક વહીવટી તંત્ર ઊભું કરવું અને શહેરી વહીવટમાં યુવા ભાગીદારીને પ્રોત્સાહન જેવી બાબતોના અમલ અંગે ભાગ્યે જ નક્કર વિચારણા થતી હોય છે. રાજકીય પક્ષોની યુવા પાંખો નેતાઓની સભાઓની ભીડ એકઠી કરવાનું સાધન માત્ર છે. દેશમાં યુવા વસ્તી વધે પણ અઠાર વરસના મતાધિકાર પછી સંસદ અને ધારાસભાઓમાં વૃદ્ધો વધે તે ભારતીય લોકતંત્રની બલિહારી છે. ભારતની પહેલી લોકસભામાં ૬૬થી ૭૫ વરસના સભ્યો માત્ર ૧૧ (૨.૩૮ ટકા) જ હતા.પરંતુ વર્તમાન લોકસભામાં ૬૦ વરસથી વધુ ઉંમરના ૧૭૭ સાંસદો છે. પહેલી લોકસભામાં ૨૫થી ૩૫ વરસના યુવા સાંસદો ૮૨ (૧૭.૭૫ ટકા) હતા. જે સોળમી લોકસભામાં ઘટીને ૧૯ (૩.૬ ટકા) છે. પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ ટકા હતી. પરંતુ સોળમીમાં ૫૬ વરસ હતી. વડીલોના ગૃહ રાજ્યસભાના સૌથી યુવા સભ્યની ઉમર ૩૩ વરસ છે જે યુ.નો.એ યુવાનની ઠરાવેલી ઉંમર કરતાં નવ વરસ વધુ છે ! આ વરસે જ યોજાયેલી યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની સરેરાશ ઉંમર ૫૨.૭ વરસ છે. આ વાસ્તવિકતા યુવા નીતિમાં દર્શાવેલ યુવા નેતૃત્વની પ્રાયોરિટીની પોલ ખોલી નાંખે છે.

યુવા નીતિમાં તમામ યુવાનોને એક જ સરખા ગણવાનું વલણ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી, ગરીબ અને તવંગર, અભણ અને ભણેલા, યુવક અને યુવતી જેવા ભેદ ધ્યાનમાં રખાતા નથી. યુવા નીતિમાં ક્યારેક જ લૈંગિક ન્યાય, બાળવિવાહ, સ્ત્રીઓ પ્રત્યે દુર્વ્યવહારનો ઉલ્લેખ છે. જે  અર્ધી આબાદીની ધરાર ઉપેક્ષા છે.

રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૩૦ના લક્ષ્યાંક સાથેની નવી યુવા નીતિ ચર્ચામાં છે, ત્યારે રાજ્યકક્ષાએ ગુજરાતની સ્થાપનાના શતાબ્દી વરસ ૨૦૬૦ની યુવા નીતિની તૈયારીઓ ચાલી રહી છે. વિકાસનું ગુજરાત મોડેલ યુથ પોલિસી અંગે પણ ઘણું ઘણું આગળનું વિચારે છે, નહીં ? ૨૦૦૨ના બી.જે.પી.ના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ યુવા ઉત્કર્ષ યોજનાનું વચન અપાયું હતું. હવે રાજ્યમાં મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે ! આ પ્રગતિ કંઈ સાધારણ છે ?

યુવાન એટલે રમતગમત એ બાબત સરકારોના મનમાં એવી ઠસી ગઈ છે કે કેન્દ્ર અને રાજ્યોમાં યુવા બાબતના મંત્રાલય અને વિભાગ સાથે જ રમતગમત પણ હોય જ છે. યુવાન એટલે માત્ર રમતગમત જ નહીં શિક્ષણ અને રોજગાર પણ એ સ્વીકારીને યુવા બાબતો સાથે શિક્ષણ કે  રોજગારનો વિભાગ કે મંત્રાલય પણ જોડાય એટલું પણ યુવા નીતિમાં હોય તો ભયો ભયો.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હે દયાળુ ! પંખીઓ ઓછાં થઈ રહ્યાં છે

રમણીક અગ્રાવત|Opinion - Opinion|15 June 2022

 

વડલો કહે છે વનરાયું સળગી,
મેલી દિયો જૂના માળા,
ઊડી જાવ પંખી પાંખોવાળાં …

આગાનમાં પ્રકૃતિનું એક પ્રતિનિધિ એવું ઝાડ પંખીઓને વિનવણી કરે છે કે હું સળગું છું. મારી ડાળીઓ અગનજાળથી ભડભડી ઊઠી છે. તમારા માળાઓ સળગી જવામાં હવે ઝાઝી વાર નથી. તમે જતાં રહેશો એ મોટું દુઃખ હશે. પણ તમારે હવે મને છોડી દેવાનો સમય આવી પહોંચ્યો છે. જાવ, હવે તમે જાવ!

કઠણ હૃદયે પોતાનાંઓને વિદાય કરવાં પડે છે. સૃષ્ટિના આરંભકાળમાં પંખીઓ પ્રથમ હતાં. સૂક્ષ્મ જીવાતો પછી સૃષ્ટિ પર આવનાર, આ પૃથ્વીને પૃથ્વી બનાવનાર પંખીઓ પ્રથમ હતાં. એ હવે ઓસરી રહ્યાં છે. પંખીઓની સેંકડો પ્રજાતિઓ વિનાશ પામી ચૂકી છે કે વિનાશ પામવાની તૈયારીમાં છે.  આપણી આસપાસ હંમેશાં ચહકતી રહેતી ચકલીઓ ઓછી થતી જાય છે. મોર અને ઢેલનાં ટોળાં ઓછાં થતાં જાય છે. આ પંખીઓ ઈશ્વર જેવાં સર્વવ્યાપક છે. અહીં, ત્યાં, બધે-બધે પંખીઓ વસે છે. ઊડે છે, રમે છે, ચહચહાટના સંગીતથી આ દુનિયાને ભરી ભરી બનાવી દે છે. એ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે. એ પંખીઓ ધીમેધીમે ઓસરી રહ્યાં છે. શ્રાદ્ધપક્ષમાં ખબર પડે છે કે કાગડાઓ કેમ દેખાતા નથી ! ગીધપક્ષીઓ લુપ્ત થવાને આરે પહોંચેલી પંખીજાતોમાં ગણાય છે. કેમ ઓસરી રહ્યાં છે આ નિરર્થક પ્રલાપમાં જ મસ્ત રહેનારાં પંખીઓ?!

યાયાવર પંખીઓ દુનિયાભરમાં માહિતી લઈ જાય છે કે ક્યાં જળભંડારો સાબૂત છે. ક્યાં અનાજની ઊપજ તૈયારીમાં છે. ક્યાં રહેવા જેવું છે. આ સંદેશ વાહકો પારવાં પડી રહ્યાં છે. આ પંખીઓને આવવામાં સહેજ મોડું થાય તો આપણને ચિંતા થઈ જાય છે. અરે, આ વખતે હજી સુધી કેમ દેખાયાં નહીં? શું થયું હશે?

દુનિયાના વિવિધ દેશોમાં આ પંખીઓની આવનજાવનનું ચક્ર ખંડિત થઈ રહ્યું છે. ક્યાંક મોડાં મોડાં આવે છે. ક્યાંક આવતાં જ નથી પંખીઓ. આ માત્ર આપણી આસપાસનું અવલોકન નથી. બર્ડ લાઇફ ઇન્ટરનૅશનલ સંસ્થાનો અહેવાલ પણ કહે છે કે આ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે.

આ પંખીઓ દ્વારા આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની તંદુરસ્તીનો આપણને સંકેત મળે છે. પંખીઓની તંત્રમાં પરિવર્તન પ્રત્યેની સંવેદનશીલતા અને પૃથ્વી પર તેમની સર્વવ્યાપકતાથી આપણને અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. પંખીઓ બોલ્યાં વિના આપણને સમજાવે છે કે ક્યાં તળાવો ખાલી થવામાં છે. કઈ જગ્યાએ પાણી પીવા જેવું રહ્યું નથી. ક્યાંક્યાં હવામાં ઝેર ઘોળાઈ ચૂક્યું છે. આવા સંકેતો આપણને હવે કોણ આપશે કે પછી એમનાં ઓછાં થવું એ જ આ સંકેત છે!

સમય સાથે વેરાન બનતાં જતાં જંગલોએ, સુકાઈ રહેલી નદીઓએ, ઓસરી રહેલાં જળાશયોએ પંખીઓનો આશરો છીનવી લીધો છે. હવામાં ઘોળાઈ ચૂકેલાં ઝેર વસમાં બની રહ્યાં છે. માણસોનો આમાં કોઈ કરતા કોઈ વાંક નથી. માણસો તો બહુ દયાળુ છે!

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 16

Loading

અદાલતોને બુલડોઝરોનો પડકાર

અનુવાદ : સ્વાતિ સંજય ભાવે|Opinion - Opinion|14 June 2022

બુલડોઝરોએ બંધારણીય અધિકારો સામે પડકાર બન્યાં ફેંક્યો છે. પણ આપણી સહુથી ઊંચી કક્ષાની અદાલતો પ્રતિભાવ આપી નથી રહી. એવું લાગે છે કે જાણે તે બધિર કે બેહોશ છે. બળનો ઉપયોગ ગેરબંધારણીય રીતે કરી રહેલી સરકારો સામે આવી છે ત્યારે અદાલતો એક પ્રકારની પદ્ધતિસરની નિષ્ક્રિયતામાં સરી પડી છે.

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, પછી ગુજરાત, આસામ, ત્રિપુરા અને દિલ્હીમાં વધુ ને વધુ ઘરો તોડી રહેલાં મ્યુનિસિપલ સત્તાવાળાઓની જાણે બુલડોઝર મંડળી બની છે, અને મૂળભૂત અધિકારોના ભંગનો ફેલાવો વધતો જઈ રહ્યો છે. પણ બૂલડોઝરનાં પૈડાં કરતાં ન્યાયનાં ચક્રોની ગતિ ઘણી ધીમી છે.

એપ્રિલમાં ખરગોનનાં રમખાણોનાં પગલે કરવામાં આવેલાં ડિમૉલિશનને લઈને મધ્ય પ્રદેશની વડી અદાલતે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. પણ તે પછી અત્યાર સુધી કશું જ થયું નથી. દિલ્હીમાં જહાંગીરપુરીમાં થયેલા ડિમૉલિશન પર સર્વોચ્ચ અદાલતે 20 એપ્રિલે સ્ટે આપ્યો અને કેસની  સુનાવણી ઑગસ્ટમાં રાખી. અદાલતોએ વધુ તાત્કાલિકતા અને તાકીદ બતાવવી જોઈએ.  ન્યાયતંત્રની મુખ્ય ફરજ યોગ્ય ન્યાયિક પ્રક્રિયાથી ગુનો અને સજા નિશ્ચિત કરવાની છે. તે અત્યારે દાવ પર લાગી છે ત્યારે વડી  અદાલતો અને સર્વોચ્ચ અદાલતો સુઓ મોટૂ નોટિસ પણ કાઢી શકે. 

ન્યાયતંત્રને પોતાની ભૂલ સુધારવાની તક પ્રયાગરાજમાં કરવામાં આવેલાં ડિમૉલિશનની સામે ગઈ કાલના સોમવારે અલ્લાહબાદની વડી અદાલતમાં દાખલ થયેલી યાચિકા પૂરી પાડી શકે તેમ છે. એ યાચિકા એમ કહે છે કે સત્તાવાળાઓએ જે ઘર તોડી પાડ્યું તે ‘હિંસક દેખાવો’ યોજનાર આરોપીની પત્નીના નામે છે.  આ હકીકત બુલડોઝર અ‍ૅક્શનના સહુથી ખરાબ પાંસા પર સીધો પ્રકાશ ફેંકે છે.

ગુનેગાર કોણ છે તે અદાલતોની બહાર નક્કી થાય છે, એટલું જ નહીં આરોપીના પરિવારને સજા આપવામાં આવે છે. સામૂહિક સજાનો ખ્યાલ મધ્ય યુગમાં લોકપ્રિય હતો, એટલું જ નહીં તેને કાનૂન તરીકેની  માન્યતા પણ હતી. આવા ન્યાયને બંધારણીય લોકશાહીમાં કોઈ સ્થાન નથી. અને છતાં ગયાં બે-એક વર્ષમાં અને એમાં ય હમણાંના થોડાં અઠવાડિયામાં રાજ્યના અધિકરીઓના હુકમે ચાલતાં બુલડોઝરો કાયદાના શાસન અંગે ભયજનક સવાલો ઊભાં કરી રહ્યાં છે.

‘બુલડોઝર ન્યાય’ની સામે ન્યાયિક અવરોધ ઊભો કરવો વડી અદાલતોની અખત્યારીમાં છે. મુખ્ય મંત્રી કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ ન્યાયાધીશોના હુકમને ઉથાપે એવી સંભાવના ઓછી છે. જ્યારે અદાલતો મજબૂત રીતે હસ્તક્ષેપ કરે છે ત્યારે માથાભારે વ્યવસ્થાતંત્રો પણ સુધરતાં હોય છે. આનો સરસ દાખલો લખીમપુર ખેરીની તપાસ અંગે સર્વોચ્ચ અદાલતે નિર્દેશો આપ્યા તે હકીકતથી મળે છે. 

ન્યાયવ્યવસ્થા એની તમામ મર્યાદાઓ છતાં નાગરિક અધિકારોના રક્ષક તરીકે કાર્યરત છે. એને બુલડોઝરથી નિષ્ક્રિય બનાવી શકાતી નથી.

‘ધ ટાઇમ્સ ઑફ  ઇન્ડિયા’ (14 જૂન 2022) ના તંત્રીલેખનો  અનુવાદ

https://timesofindia.indiatimes.com/blogs/toi-editorials/system-bull-dazed-as-bulldozers-roll-on-higher-courts-almost-seem-to-be-in-a-daze-they-must-respond/?fbclid=IwAR0J7-wWDZzDVK6cFVhlaGn6c_zz4t_C0rGL6enNp-ZdZtas2pZ5ZVRQdWo

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3531,3541,3551,356...1,3601,3701,380...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved