જેમાંથી નીકળી શકવાની છૂટ ન હોય, એવા સંબંધનો કોઈ અર્થ નથી.
એ સંબંધ કોઈ પણ હોય—પતિ પત્નીનો, મિત્રોનો, કે પછી ભાષા સાથેનો સંબંધ. એક જ ભાષા જાણતા-પ્રયોજતા લોકો માટે કદાચ એ સંબંધ થોડો સરળ હશે, ગુજરાતીમાં જ જીવ્યા, ગુજરાતીમાં જ મર્યા જેવું. પણ ભારતમાં એવા બહુ ઓછા લોકો હશે જે એક જ ભાષા જાણતા હોય. મોટાભાગના લોકો ઓછામાં ઓછી બે ભાષાઓ તો બોલી જાણે છે. નસીબદાર હોય તો ત્રણ. અને એથી ય નસીબદાર હોય તો જેટલી ભાષા બોલી જાણતા હોય એ બધી જ ભાષાઓમાં લખી પણ શકે.
એકાધિક ભાષામાં લખતા લેખક માટે એક પ્રશ્ન વારંવાર સામે આવ્યા કરવાનો : “તમારી મૂળ ભાષા કઈ?”
આ પ્રશ્નનો ઉત્તર જેટલો ધારીએ છીએ એટલો સરળ નથી. મોટાભાગના લોકો માની લે છે કે માતૃભાષા એ જ મૂળ ભાષા. એલા ભઈ, જે ભાષામાં સપનાં આવે ઈ જ હાચી! પણ ભાષા પથ્થર જેવી નહિ, પાણી જેવી હોય છે. અડગ નથી રહેતી, વહ્યા કરે છે. વહ્યે જાય, જેમ જરૂર પડે એમ સ્વરૂપ બદલે. સ્વરૂપ શું, આખું ખોળિયું ય બદલે.
આ મૂળ ભાષાવાળો પ્રશ્ન છેલ્લાં થોડાં વર્ષોથી, જ્યારથી ગુજરાત છોડ્યું, ત્યારથી મારી સામે વારંવાર આવ્યો છે. નાનપણથી જ ગુજરાતી-અંગ્રેજી બંને ભાષાઓમાં હું લખતો-વાંચતો. સુરેન્દ્રનગરથી અમદાવાદ આવવાનું થયું ત્યારે એક સાહિત્યિક આબોહવા મળી, ગુજરાતીમાં લખતા લેખકો મળ્યા, અને ગુજરાતી લેખન વિકસ્યું. લખ્યું, છપાયું, એન્ડ સો ઓન.
પણ ગુજરાત છોડીને કર્ણાટક ભણવા જવાનું થયું એ સાથે જ અંગ્રેજીનું પલડું ભારે થઈ ગયું. આસપાસ સૌ કન્નડ અથવા અંગ્રેજી બોલે. અંગ્રેજીમાં લખતા લેખકો મળ્યા. મારી અભિવ્યક્તિની ભાષાએ સ્વરૂપ બદલવાનું શરૂ કર્યું. અંગ્રેજી લેખને વેગ પકડ્યો. બે વર્ષ કર્ણાટકમાં કાઢ્યા બાદ તરત જ કેનેડા આવવાનું થયું, અને ભાષાને ફરી એક વળાંક મળ્યો. અહીં તો ગુજરાતી જાણે છૂટી જ ગયું – બસ, ઘેર ફોન પર કે મિત્રો સાથે વાત કરું એટલા પૂરતું જ. એ સિવાય મારું લખવું, વાંચવું, બોલવું, બધું જ અંગ્રેજીમાં થવા માંડ્યું—જાણે મારી જાણ બહાર જ. ભાષાએ સ્વરૂપ નહિ, આખું ખોળિયું બદલ્યું. પહેલા ગુજરાતીમાં લખતો, અને પછી અંગ્રેજીમાં એનો અનુવાદ કરતો. છેલ્લા થોડા સમયથી અંગ્રેજીમાં પહેલા લખું છું, પછી એનો ગુજરાતીમાં અનુવાદ કરું છું.
છેલ્લી થોડીક વાર્તાઓ જે છપાઈ એ પહેલા અંગ્રેજીમાં લખેલી.
થોડા આરોપો ય લાદવામાં આવ્યા : “ભારતીય લેખક તો અંગ્રેજીમાં લખી જ ન શકે! તું કેમ લખે છે? જોજે, હવે તું સારું નહિ લખે! આપણી ભાષા એટલે આપણી ભાષા યાર! મા ને કેમ છોડાય?”
અકારણ ગ્લાનિ અનુભવાઈ. શું હું સાચા રસ્તે છું? કોઈ એક ભાષાને કચકચાવીને પકડી રાખવી કેટલી હિતાવહ? વળી, આપણે ભાષાને પસંદ કરીએ છીએ એવું માનવું ય ભૂલ છે. ભાષા આપણને પસંદ કરતી હોય એવી શક્યતાઓ વધારે નથી?
લેખક મૂંઝાય એટલે તરત પૂર્વસૂરિઓ તરફ નજર કરે. મારી પહેલા કોણે આ પ્રશ્ન ફેસ કરેલો? ગુજરાતીમાં અમુક નામો સામે આવ્યા : ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ક.મા. મુનશી, સૌએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પુસ્તકો લખેલાં છે. મરાઠીમાં અરુણ કોલટકર, દિલીપ ચિત્રે કે વિલાસ સારંગ જેવા સાહિત્યકારો છે જેઓ મરાઠી-અંગ્રેજી બંનેમાં લખતા. તમિલનાડુના એ.કે. રામાનુજન્ પણ છે, જે યુવાન વયે અમેરિકા સ્થાયી થયા અને આજીવન અંગ્રેજીમાં પહેલા લખતા રહ્યા, તામિલ અને કન્નડમાં પછી. ગિરીશ કર્નાડ ય યાદ આવે, જેમના શરૂઆતનાં નાટકો કન્નડમાં લખાયેલા પણ જીવનના છેલ્લાં થોડાં વર્ષો તેઓ અંગ્રેજીમાં નાટકો લખતા થયેલા. આ સૌ તો અધવચ્ચેના, એકાધિક ભાષાઓમાં વિહાર કરનારા.
આ ઉપરાંત બીજા બે અંતિમો ના દાખલા પણ છે. નિર્મલ વર્મા (હિન્દી) અને યુ.આર. અનંતમૂર્તિ (કન્નડ) બંને ફાંકડું અંગ્રેજી જાણતા, એટલું ફાંકડું કે અંગ્રેજીમાં લખવું એમના માટે જરા ય અઘરું નહોતું. અને છતાં, આજીવન તેઓ પોતપોતાની માતૃભાષામાં જ લખતા રહ્યા. નિર્મલ વર્મા તો દસેક વર્ષ યુરોપમાં રહેલા, અને છતાં હિન્દીમાં જ લખવું તેમણે ચાલુ રાખ્યું. બીજી તરફ કિરણ નગરકર જેવા લેખકો ય છે, જેમણે પહેલું પુસ્તક મરાઠીમાં લખ્યું, અને એ પછીના બધા જ અંગ્રેજીમાં. તેમના અંગ્રેજી પુસ્તક માટે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ ય એનાયત થયેલો. વિશ્વસાહિત્યમાં ય આવા અનેક દાખલા મળે. સેમ્યુઅલ બેકેટ પોતે આઈરીશ હતા, પણ પહેલા ફ્રેંચમાં લખતા, પછી તેનો અંગ્રેજીમાં અનુવાદ કરતા. વ્લાદીમીર નાબોકોવ રશિયામાં હતા ત્યાં સુધી તેમણે રશિયનમાં લખ્યું, પણ અમેરિકા સ્થાયી થયા પછી તેમણે બધું જ સર્જન અંગ્રેજીમાં કર્યું. એવું જ મિલન કુન્દેરાનું. શરૂઆતની નવલકથાઓ ચેક ભાષામાં લખી, છેલ્લી થોડી ફ્રેંચમાં.
હું વાંચ્યા કરું છું, મારી મથામણોનો ઉકેલ શોધવા. અને એક પુસ્તક નજરે ચડે છે: જુમ્પા લાહિરીનું, ૨૦૧૫માં પ્રકાશિત, જેનું શીર્ષક છે – ‘ઈન અધર વર્ડ્સ’ (In Other Words).
*
પુસ્તક તરત નજરે ચડવાના બે કારણો છે : પહેલું તો એ કે પુસ્તક એકસાથે બે ભાષાઓમાં છપાયું છે. ડાબી તરફ ઈટાલિયનમાં, જમણી તરફ અંગ્રેજીમાં. બીજું કારણ છે શીર્ષક – ઈન અધર વર્ડ્સ. બીજા શબ્દોમાં.
જુમ્પા લાહિરીનું નામ આપણે ત્યાં અજાણ્યું નથી. ભારતીય મૂળનાં, પણ જેમનો જન્મ ઇંગ્લેન્ડમાં અને ઉછેર અમેરિકામાં થયો એવાં આ લેખિકા અનેક માનઅકરામ મેળવી ચૂકેલાં છે, જેમાં અમેરિકાના પ્રતિષ્ઠિત પુલીત્ઝર પ્રાઈઝનો પણ સમાવેશ થઈ જાય છે. તેમની નવલકથા ‘નેમસેક’ પરથી ફિલ્મ પણ બની છે, જેમાં ઈરફાન ખાન અને તબુએ અભિનય કર્યો છે. મેં લાહિરીની વાર્તાઓ આ પૂર્વે વાંચેલી. ખૂબ ગમેલી. પણ આ પુસ્તક જે મારા હાથમાં આવ્યું એમાં વાર્તાઓ નહોતી. લાહિરીનું આ પહેલું આત્મકથનાત્મક પુસ્તક છે જેમાં તેઓ ઈટાલિયન ભાષા સાથેની તેમની આત્મીયતાની વાત કરે છે.
પુસ્તક વાંચવાનું શરૂ કરતાં જ હું ચમક્યો—લાહિરીનો દાખલો બીજા બધા જ લેખકોથી અલગ હતો. પુસ્તકમાં લાહિરી પોતે ઈટાલિયન ભાષા કેવી રીતે શીખ્યા એની વાત કરે છે, અને પછી કેવી રીતે ઈટાલિયનમાં લખતાં થયાં એની. હું એવું માનીને ચાલી રહ્યો હતો કે પુસ્તક મૂળ અંગ્રેજીમાં લખાયેલું હશે, લાહિરીનાં બીજા પુસ્તકોની જેમ જ. પણ પુસ્તક વાંચતા સમજાયું કે એ મૂળ ઈટાલિયનમાં લખાયેલું હતું, અને અંગ્રેજીમાં તેનો અનુવાદ થયેલો હતો. લાહિરીના પુસ્તકે ભાષા વિશેની, અભિવ્યક્તિ વિશેની મારી પોતે બનાવેલી અને ઉછીની લીધેલી, બધી જ માન્યતાઓને પ્રશ્નાર્થ હેઠળ લાવી દીધી, અને એનાં અનેક કારણો છે.
મોટાભાગના લેખકો એકાધિક ભાષા જાણતા હોય એનું કારણ હોય છે. કોઈ એ ભાષા બોલાતી હોય એવા દેશમાં જઈ વસે, તો કોઈના માટે ભાષા શીખવી એ રોજગારનો પ્રશ્ન હોય, તો કોઈને અલગ ભાષામાં શિક્ષણ મળ્યું હોય. પણ લાહિરીનો ઈટાલિયન સાથેનો સંબંધ આ બધાથી અલગ છે. ઈટાલિયન ભાષા શીખવાનું તેમની પાસે કોઈ કારણ નહોતું, ન તો એ સ્કૂલમાં ભણેલાં, ન તો તેમના માટે આ રોજગારનો પ્રશ્ન હતો, ન તે ઈટલી જઈને વસેલાં. તો પછી આ ભાષા શીખવાનું કારણ?
પ્રેમ.
લાહિરી જ્યારે સત્તાવીસ વર્ષના હતાં, ત્યારે એક કોલેજ ટ્રીપમાં ઈટલી ગયેલાં, અને એ વખતે આસપાસ ઈટાલિયન બોલાતું સાંભળી તેમને એ ભાષા સાથે પ્રેમ થઈ ગયો. પહેલી નજરનો પ્રેમ (કે પહેલા શ્રવણનો?). આમ જુઓ તો પ્રેમ એ કંઈ પણ કરવાનું કારણ નથી, પણ આમ જુઓ તો પ્રેમથી વિશેષ કંઈ પણ કરવાનું શું કારણ હોઈ શકે?
લાહિરી ઈટાલિયન માટેના તેમના ઝુરાપાની વાત કરે છે. કોઈ પ્રોષિતભર્તૃકાના જેવો જ એમનો ઝૂરાપો. ભાષા પોતાની તરફ લાહિરીને ખેંચ્યા કરે, અને લાહિરી ઈટલીથી, ઈટાલિયન ભાષાથી જોજનો દૂર, શું કરે? અમેરિકામાં રહ્યે રહ્યે એ ઈટાલિયન શીખવું શરૂ કરે છે, અને લગભગ વીસેક વર્ષ સુધી શીખ્યાં કરે છે. નવી ભાષા શીખવી શરૂ કરો, પણ જો ઉચિત વાતાવરણ ન હોય તો ભાષાને કાટ લાગવામાં વાર નથી લાગતી. મોટાભાગના લોકો કોઈ નવી ભાષા શીખે, પણ પછી એ ભાષા છૂટી જાય તો એ ફરી શીખવાનો પ્રયત્ન નથી કરતા. વીસ વર્ષમાં લાહિરી અનેક વાર ઈટાલિયન શીખવા પ્રયત્ન કરે છે, થોડુંઘણું શીખે છે, પણ વારંવાર, ભીના સાબુની જેમ, ભાષા હાથમાંથી સરકી જાય છે. પણ લાહિરી, કોઈ અગમ્ય કારણોસર, ઈટાલિયન છોડી નથી શકતાં. આખા પુસ્તકમાં વીસ વર્ષના એ ભાષાકીય પ્રેમાશ્લેષનો, એ ખેંચ-તાણનો હિસાબ છે.
નવી ભાષાને તેઓ અનેક ઉપમાઓથી નવાજે છે. આખા પુસ્તકનું ગદ્ય એટલું કાવ્યાત્મક છે કે ગદ્ય-પદ્યના સીમાડાં પણ, ભાષા કે સ્વરૂપના સીમાડાની જેમ જ, એક સગવડ માત્ર છે એ વાતની ફરી એકવાર પ્રતીતિ થાય. વીસ વર્ષ ઈટાલિયન શીખવાના પ્રયત્નને લાહિરી તરવાના અનુભવ સાથે સરખાવે છે. તેઓ કહે છે, કે વીસ વર્ષ તેઓ ઈટાલિયન શીખતાં રહ્યાં પણ ક્યારે ય પારંગત ન થયાં કારણ કે હંમેશાં તેઓ અંગ્રેજી ભાષાનું લાઈફજેકેટ પહેરી રાખતાં. ડૂબવા આવો તો લાઈફજેકેટ તમને બચાવી લે. પણ તરતા શીખવું હોય તો લાઈફજેકેટ કાઢવું પડે. ડૂબવાનો ડર હોય તો તરતા ક્યારે ય ન આવડે.
ઈટાલિયન વિશેના પ્રેમની વાત કરતાં તેઓ કહે છે કે તેમની સ્થિતિ એકતરફી પ્રેમિકા જેવી જ રહી છે. આજીવન તેઓ ઈટાલિયન ભાષાને ચાહતાં રહ્યાં, પણ એ ભાષાએ તેમને ખૂબ પજવ્યાં. મચક જ ન આપે! તેમને ઈટાલિયનનો મોહ હતો, વળગણ હતું, વળગણ હતું એટલે એ ભાષાની જરૂર હતી. પણ ઈટાલિયનને શું? ભાષાને માણસની જરૂર થોડી હોય?
લાહિરી તેમણે અનુભવેલા અલગ અલગ ભાષાકીય દેશવટાની વાત કરે છે. બંગાળી મા-બાપ હંમેશાં એવી અપેક્ષા રાખતા કે દીકરી બંગાળી શીખે અને પારંગત થાય. પણ લાહિરી માત્ર બોલવાનું શીખ્યાં, એ ય કાચું પાકું. ઘર પરિવારમાં હંમેશાં તેમને ફોરેનર જેવો અનુભવ થતો. અમેરિકામાં તેમની ઓળખ ભારતીય તરીકેની, એટલે એ દેશના લોકો એવી અપેક્ષા રાખે કે લાહિરીની “મૂળ” ભાષા તો કોઈ ભારતીય ભાષા જ હોવી જોઈએ. લાહિરી સારું અંગ્રેજી બોલતાં લખતાં તો તેમના અમેરિકન મિત્રોને આશ્ચર્ય થતું. અમેરિકામાં પણ લોકોની અપેક્ષાઓએ તેમને ક્યારે ય અંગ્રેજી ભાષામાં સ્થિર થવા ન દીધાં. ત્યાં પણ ફોરેનર જેવું. અને બાકી હતું તો ઈટાલિયન ભાષા તરફ ખેંચાયાં, એવી ભાષા જેની સાથે નહાવા-નીચોવવાનો ય સંબંધ નહિ. અને ઈટલી જેટલી વાર જતાં, ઈટાલિયન શીખવાનો પ્રયત્ન કરતાં, ત્યારે ઈટાલિયન લોકો પણ તાકી તાકીને જોતા, વિચારતા : આ બહેન કેમ અમારી ભાષા શીખવા માંગે છે?
વધુ ન રહેવાતા ચુમ્માલીસ વર્ષની ઉંમરે, ઘર પરિવાર સાથે લાહિરી ઈટલીમાં રહેવા આવી જાય છે, અને બે વર્ષ ત્યાં જ રહે છે. આ બે વર્ષ તેઓ અંગ્રેજીમાં કંઈ જ ન લખવા-વાંચવા-બોલવાનું નક્કી કરે છે, પોતાની જાત પર જ પ્રતિબંધ મૂકે છે. લાઈફજેકેટ છોડતાં જ ડર વધે છે, લાહિરીને લાગે છે તેઓ ડૂબી રહ્યાં છે, એટલે હવાતિયા મારે છે, હાથ-પગ જોરથી વીંઝવા શરૂ કરે છે. શબ્દકોશને સહારે, ઈટાલિયન મિત્રોને સહારે, ઈન્ટરનેટને સહારે, લાહિરી ધીરે ધીરે ઈટાલિયનમાં સ્થિર થાય છે. માથું પાણીની ઉપર રાખતાં તે શીખી જાય છે.
પારંગત બનવા તેઓ ઈટાલિયન લેખકોને વાંચવા શરૂ કરે છે. જેમને પોતે અનુવાદમાં વાંચેલા, એ સૌ લેખકોને તેઓ પહેલા વાંચે છે. સમજે છે, પણ થોડું થોડું. વાંચે છે, પણ ધીરે ધીરે. માણસ જ્યારે વાંચવાની શરૂઆત કરે ત્યારે હોય છે એવી સ્થિતિ લાહિરીની થાય છે. એ સ્થિતિમાં એક અનિશ્ચિતતા છે, એક ચંચળતા છે. પોતાની ચાલીસીમાં, બે બાળકોની માતા, અંગ્રેજીની પ્રતિષ્ઠિત લેખિકા, એક નવી ભાષાના સાવ અજાણ્યા પ્રદેશમાં વિહાર કરવા નીકળે પડે છે. એ નવી યાત્રાના ફળરૂપે તેમને ઘણું ય પ્રાપ્ત થાય છે: એક તો નવી ભાષામાં વાંચવાનો આનંદ. કલંકરહિત, કોઈ બાળક અનુભવે એવો આનંદ. અને બીજો, લેખક તરીકે થતો ફાયદો.
લાહિરી કહે છે કે કોઈ એક ભાષામાં પુસ્તકો લખ્યાં પછી, સ્થાપિત થયા પછી ભાગ્યે જ કોઈ નવી ભાષામાં લખવાની હિંમત કરે. કારણકે જેવું લખવું શરૂ કરશે કે લેખકને પોતાની અણઆવડતનો સામનો કરવો પડશે, અને એ તરત જ અસુરક્ષિત થઈ જશે. પણ નવા પ્રદેશમાં જવાના ફાયદા જણાવતાં લાહિરી કહે છે કે નવી ભાષામાં તેઓ વધારે ધ્યાનપૂર્વક વાંચે-લખે છે. જે ભાષા આવડે છે એને આપણે ‘ફોર ગ્રાન્ટેડ’ લઈએ છીએ, પણ જે નથી આવડતી એમાં બહુ ધ્યાનથી વાંચીએ છીએ. તેમની વાચક તરીકેની શક્તિઓ વિકસી છે, અને તેની અસર તેમના લેખનમાં પણ તરત નજરે પડે છે. ઈટાલિયનમાં લખતી વખતે લાહિરી પર કોઈ દબાણ નથી, કોઈ તેમની પાસે અપેક્ષા નથી રાખતું, કોઈ તેમના લખાણને ગંભીરતાથી ય નથી લેતું. ઈટાલિયનમાં લખવું એ તેમના માટે ખુલ્લા આકાશમાં ઉડવા સમાન છે. એક છુટકારાનો અનુભવ. ઈટાલિયનમાં લખતી વખતે લાહિરીનું સંપૂર્ણ ધ્યાન માત્ર એક વસ્તુ પર છે: એ રીતે વ્યક્ત થવું કે વાત સામેના માણસ સુધી પહોંચે. લાહિરી આ વાત સમજતાં જ કહે છે કે લેખકો આ પાયાની શરત બહુ જલદી ભૂલી જતા હોય છે. શૈલી, પ્રતીકો, ભાષાની રમતો, બધું જ પછી આવે છે. લખવાનો સૌપ્રથમ આશય એ છે કે વાત સમજાય. વાચકને પણ, પોતાને પણ.
અંગ્રેજી અને ઈટાલિયનમાં લખવા વચ્ચેનો તફાવત સમજાવતા લાહિરી કહે છે કે અંગ્રેજીમાં તેઓ ગાંડાની જેમ લખાણ વારંવાર સુધાર્યા કરે છે. લખે છે ઓછું, સુધારે છે વધારે. પણ ઈટાલિયનમાં તેઓ એક સૈનિક જેવા છે, જેનું કામ છે બસ આગળ વધવું. એના લીધે લખાણમાં એક સમય બાદ જે કૃતકતા ઘૂસી જતી હોય છે એનાથી લાહિરી બચી શક્યાં છે.
લાહિરી કહે છે કે સર્જનાત્મકતા માટે સલામતીથી મોટો ખતરો બીજો કોઈ નથી. અહીં તે જીવનની સલામતીની વાત નથી કરી રહ્યાં, પણ સર્જનાત્મક સલામતીની વાત કરી રહ્યાં છે. લેખકો એક ઘરેડમાં લખવા માંડે છે, જે પ્રકારનો પ્રવાહ હોય એમાં ફીટ થવા હવાતિયા મારે છે, સ્વરૂપની શક્યતાઓ તપાસવી બંધ કરી દે છે, જાતને પ્રશ્નો પૂછવાનું બંધ કરીને વાચકોને ઉત્તરો આપવાનું શરૂ કરી દે છે ત્યારે સમજી લેવું કે લેખકે સલામતીનું એક ઘર પોતાની આસપાસ રચી લીધું છે. એ ઘર છે, એ કેદ પણ છે. સર્જનાત્મકતા અસુરક્ષામાંથી આવે છે. ભાષાના બંધનો ગૂંગળાવવાનું શરૂ કરે, સ્વરૂપની દીવાલોને ધક્કો મારવાનું મન થાય એવા સંકુલ પ્રદેશોમાં સર્જનાત્મકતા ખીલે છે.
કોઈ એક ભાષામાં સ્થિર ન હોવાની વાતથી લાહિરીને પહેલા અસુરક્ષા હતી, પણ હવે તેને તેઓ એક શક્તિ ગણે છે. તેમને આવડતી ત્રણેય ભાષાઓમાં તેઓ એક ફોરેનર જેવો અનુભવ કરે છે, અને ક્યારેક બહારની વ્યક્તિ જે જોઈ શકે છે એ અંદરના માણસો નથી જોઈ શકતા. ફોરેનર પાસે એવો દૃષ્ટિકોણ હોય છે જે રહેવાસીઓ પાસે નથી હોતો.
લાહિરીનું પુસ્તક હું એકબેઠકે વાંચી જાઉં છું. પુસ્તક બંધ કરી, પેન્સિલને આંગળીઓ વચ્ચે રમાડતાં હું વિચાર્યા કરું છું. મગજમાં અનેક વિચારોના ફણગા ફૂટે છે. ગુજરાતી? અંગ્રેજી? બંને ભાષા! શા માટે હું જાતને બાંધુ? એ બધા જ પ્રશ્નો જે મને પજવી રહ્યા હતા, તે નજર સામે તરવરે છે. પણ સાથે જ, મારી સઘળી મૂંઝવણોનો જવાબ પણ તરત મારી આંખો સામે આવી જાય છે, જે પુસ્તકના સત્યાશીમાં પાના પર લખાયેલો છે : ભાષા ગૌણ છે, લખવું મહત્ત્વનું છે, કારણ કે શબ્દોનો અર્થ, માણસના અર્થની જેમ, અનંત છે.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર