Opinion Magazine
Number of visits: 9669893
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોલિલ્લડા સરદારા : ખડગે કાઁગ્રેસને તારી શકશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 October 2022

એક સમયે જેની અખિલ ભારતમાં સત્તા હતી અને હવે જે એક સક્ષમ વિરોધ પક્ષની નવી ભૂમિકામાં પોતાને ઢાળવાની મથામણ કરી રહી છે, તે અખિલ ભારતીય કાઁગ્રેસ કમિટીના અધ્યક્ષ પદે, 24 વર્ષમાં એક બિન-ગાંધી વ્યક્તિની વરણી થાય, તે પાર્ટીના વિવિધતાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલા ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિન્હ છે. તેનાથી દેશની વિભિન્ન ચૂંટણીઓનાં બેલેટ-બોક્સમાં શું ફરક પડશે અથવા પડશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ દેશ અત્યારે જે સ્વરૂપમાં ઊભો છે, તેના એક મહત્ત્વના શિલ્પકાર ગણાતી કાઁગ્રેસ પાર્ટીમાં જે પણ ઊથલ-પાથલ થઇ રહી છે, તે એક સમજદાર નાગરિક માટે કુતૂહલનો વિષય ચોક્કસ બને.

આ પદ પર, 80 વર્ષના વરિષ્ઠ કાઁગ્રેસી મલ્લિકાઅર્જુન ખડગેની વરણીની સાથે, સોનિયા ગાંધીના કાર્યકાળનો અંત આવે છે, જે સૌથી લાંબો સમય સુધી કાઁગ્રેસનાં અધ્યક્ષપદે રહેવાનું ‘બહુમાન’ ધરાવે છે. સ્વતંત્રતા પહેલાંના તેના ઇતિહાસને સળંગ ગણીએ, તો 1885થી શરૂ કરીને કાઁગ્રેસમાં 97 લોકો અધ્યક્ષપદે રહી ચુક્યાં છે. ખડગે 98મા છે. સોમવારે જાહેર થયેલાં પરિણામમાં તેમને 7,897 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ શશી થરુરને 1,072 મત મળ્યા હતા.

1951માં પહેલીવાર જવાહરલાલ નહેરુ પાસે પાર્ટીની કમાન આવી હતી. તે પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના અધ્યક્ષ રહી ચુક્યાં છે. એ પાંચે વચ્ચે, કુલ 10 બિન-નહેરુ-ગાંધી વ્યક્તિઓ અધ્યક્ષપદે રહી ચૂકી છે. જો કે, આ સર્વેનો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો છે અને મોટાં ભાગનાં વર્ષોમાં પાર્ટી ગાંધી પરિવારના નિયંત્રણમાં રહી છે. ખડગે તેમાં અગિયારમા બિન-ગાંધી અધ્યક્ષ છે.

ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે કાઁગ્રેસને ‘પરિવારવાદી પાર્ટી’ કહીને કાયમ નિશાન બનાવી છે. ભા.જ.પ.માં આવો કોઈ આરોપ લાગી શકે તેમ નથી. જો કે, કાઁગ્રેસ હવે ભા.જ.પ.ના અધ્યક્ષને ‘રબર-સ્ટેમ્પ’ તરીકે ગણાવે છે, કારણ ભા.જ.પ.માં ઈલેકશન નહીં, સિલેકશન થાય છે. 137 વર્ષ જૂની કાઁગ્રેસ પાર્ટીમાં માત્ર પાંચ વખત જ ચૂંટણીઓ થઇ છે; 1939, 1950, 1977, 1977 અને 2000. સોમવારે તેની છઠ્ઠી ચૂંટણી હતી.

ખડગેની ચૂંટણીથી પાર્ટીને એક ફાયદો એ થશે કે તેના માથા પરથી ‘ગાંધી પરિવારની બાપીકી મિલકત’નું કલંક ભુંસાઈ જશે, પરંતુ એ ફાયદો બહુ સાધારણ જ હશે, કારણ કે ગાંધી પરિવાર તેને પાછલા બારણે ચલાવે છે તેવી છાપ યથાવત રહેવાની છે. એ સાચું પણ અનિવાર્ય દૂષણ છે. કાઁગ્રેસ પાર્ટીને ગાંધી પરિવારની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં ઘણો સમય લાગશે અને તેના માટે એક ગતિશીલ અધ્યક્ષની જરૂર પડશે. ખડગે એ વર્ગમાં આવતા નથી.

ખડગેની જીત અપેક્ષિત મનાતી હતી. તેઓ ગાંધી-પરિવારની ‘પસંદ’ના ઉમેદવાર હતા. ખડગે 50 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં ગાંધી પરિવારને સમર્પિત રહ્યા છે. તેઓ કર્ણાટકની વિધાનસભાની એક જ બેઠક પરથી 1972થી 2004 સુધી લગાતાર ચૂંટાતા આવ્યા હતા. તેના માટે કન્નડમાં તેમને ‘સોલિલ્લડા સરદારા’ તરીકે બોલાવામાં આવે છે; પરાજય વગરના નેતા.

ખડગે અધ્યક્ષપદની રિંગમાં ત્યારે આવ્યા હતા, જ્યારે ગાંધી-પરિવારની પહેલી પસંદ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતે રીતસર સોનિયા ગાંધી સામે બળવો કરી દીધો હતો. પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતને અખિલ ભારતીય કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાનો “પાયલોટ પ્રોજેક્ટ,” ડેપ્યુટી મુખ્ય મંત્રી અને પ્રદેશ કાઁગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટના કારણે નિષ્ફળ ગયો હતો. અથવા એવું કહો કે ગહલોતે પોતે જ તેને નિષ્ફળ બનાવ્યો છે.

ગહલોત રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ઉમેદવારી કરે, તો પાર્ટીના “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમ મુજબ તેમણે મુખ્ય મંત્રીની ખુરશી ખાલી કરવી પડે. ગાંધી પરિવારે પક્ષના અધ્યક્ષ પદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવા માટે ચૂંટણીની કવાયત હાથ ધરી, એમાં બે નેતાઓએ ઉમેદવારી કરવાની ઈચ્છા બતાવી હતી. એક, થિરુવંથપુરમ-કેરળના સાંસદ શશી થરુર અને બીજા ગહલોત. ઉમેદવારી કરવા માટે તેમણે સોનિયા ગાંધીની “મંજૂરી” પણ લીધી હતી. ગહલોત ઉમેદવારી પત્ર પણ ભરવાના હતા, પણ એ પહેલાં આગલી રાતે રાજસ્થાન કાઁગ્રેસમાં બળવો થયો, અને સરકાર તૂટી પડે એવી સ્થિતિ ઊભી થઇ.

દરઅસલ, “ભારત જોડો યાત્રા”માં વ્યસ્ત રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે ગહલોત ઉમેદવારી કરશે તો “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમનું પાલન થશે. તેમને ખબર નહોતી કે ગહલોત મુખ્ય મંત્રીની ખુરશી છોડવા ઇચ્છતા નથી. અથવા એવું કહો કે તેઓ તેમના હરીફ સચિન પાયલટને તેમના ઉત્તરાધિકારી બનવા દેવા માંગતા નહોતા. રાષ્ટ્રીય અધ્યક્ષપદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવાની કવાયત કેટલી પેચીદી છે એ આ ગહલોતના ઉદાહરણ પરથી સાબિત થાય છે. ખડગેએ આવું સળગતું ઘર હાથમાં લીધું છે.

32 વર્ષ સુધી જીત જાળવી રાખવાના તેમના વિક્રમના બદલામાં તેઓ ત્રણ વખત કર્ણાટકના મુખ્ય મંત્રી બનતાં-બનતાં રહી ગયા હતા, પરંતુ દર વખતે તે નિષ્ફળતાને સ્વીકારીને તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા. વ્યક્તિગત  મહત્ત્વાકાંક્ષાને બાજુએ મૂકીને પક્ષની નીતિઓ અને સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત રહેવાની તેમની વૃત્તિ તેમને કાઁગ્રેસમાં એક સન્માનનીય નેતા બનાવે છે.

જો કે તેનો અર્થ એ નથી કે કાઁગ્રેસના અધ્યક્ષ તરીકે તેમનો રસ્તો આસાન છે. અત્યાર સુધી કાઁગ્રેસ માટે જે ગાંધી પરિવાર આશીર્વાદરૂપ હતો, તે હવેના બદલાયેલા રાજકીય સંજોગોમાં અભિશાપ બની ગયો છે. અધ્યક્ષ માટેની વર્તમાન ચૂંટણી એ શાપને ઉતારવા માટેની કવાયત હતી. મુસીબત એ છે કે પાર્ટીમાં ગાંધી પરિવારની સર્વસ્વીકૃત છબીની તોલે આવે તેવો કોઈ નેતા પણ નથી. એ સાચું કે ગાંધી પરિવાર પાર્ટીને જીત અપાવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, પરંતુ સામે પક્ષે એ પણ એક વાસ્તવિકતા છે કે પક્ષના તમામ મણકા છૂટા ન પડી જાય તે માટે ગાંધી-પરિવારનો દોરો ટકી રહે જરૂરી છે. નહીં તો આંતરિક ખટપટો માટે કુખ્યાત કાઁગ્રેસીઓ પાર્ટીને લઈને ડૂબે તેવા છે.

ખડગેએ એ દોરો બાંધી રાખવાનો છે અને કાઁગ્રેસમાં નવું જોમ ઉમેરીને તેને ચૂંટણીનાં મેદાનમાં જીતનો ઘોડો પણ બનાવવાનો છે. 24 વર્ષમાં ખડગે પહેલા બિન-ગાંધી અધ્યક્ષ બન્યા છે એ હકીકત તેમના માટે એક મોટો ભાર છે. તેમણે એ જવાબદારીને સફળ સાબિત કરી બતાવવી પડશે. ખડગે સામે અંદર અને બહાર બંને મોરચે પડકારો છે. કાઁગ્રેસને ડૂબતું જહાજ ગણીને ઘણા નેતાઓ પાર્ટી છોડી ગયા છે, તેવા સંજોગોમાં તેમની ચૂંટણી એ ધોવાણને ખાળવા માટે અગત્યની હતી. ખડગેએ પાર્ટીને બચાવવાની પણ છે અને બદલવાની પણ છે.

બ્રિટનમાં એક જમાનાની સશક્ત લેબર પાર્ટીની આજે જે હાલત છે, તેવી જ હાલત કાઁગ્રેસની છે અને લેબર પાર્ટી માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે જે કહ્યું હતું, તે કાઁગ્રેસને પણ એટલું જ લાગુ પડે છે. ગયા વર્ષે તેમણે કહ્યું હતું, “માત્ર નેતા બદલવાથી પાર્ટી ઊભી નહીં થાય. તેના માટે સંપૂર્ણ વિખંડન અને નવસર્જનથી ઓછુ ના ખપે.”

ટૂંકા ગાળામાં, ખડગેની પહેલી પરીક્ષા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ છે. બંને રાજ્યોમાં ભા.જ.પ.નો કાબૂ છે. બંને રાજ્યોમાં કાઁગ્રેસ નબળી છે એટલું જ નહીં, આમ આદમી પાર્ટી પૂરી ગંભીરતાથી ભા.જ.પ.ના મુખ્ય વિરોધ પક્ષની જગ્યા કબજે કરી રહી છે. ખડગે હજુ નવા છે એટલે આટલા ટૂંકા સમયમાં આ બે રાજ્યોમાં તે ખાસ ચમત્કાર નહીં કરી શકે, પરંતુ એમાં જેટલો પણ ધબડકો થશે તે તેમના નામે ઉધારાશે.

તેમનો લાંબા ગાળાનો પડકાર કાઁગ્રેસને એક લડાયક વિરોધ પક્ષ તરીકે અને અન્ય વિરોધી પક્ષોને એક દોરીએ પરોવાની તાકાત તરીકે સાબિત કરવાનો રહેશે. તેના માટે ખડગેએ કાઁગ્રેસની વૈચારિક દિશા નક્કી કરવી પડશે, કારણ કે આર્થિક મુદ્દાઓ, લઘુમતીઓના મુદ્દાઓ, હિન્દુત્વના મુદ્દાઓ અને રાષ્ટ્રવાદને લઈને પાર્ટીમાં સ્પષ્ટતાનો અભાવ છે, અને એટલે પાર્ટીના કાર્યકરોથી લઇને મતદારો સુદ્ધાં મુંઝવણમાં છે. અત્યાર સુધી તો કાઁગ્રેસ ભા.જ.પ. અને ખાસ તો નરેન્દ્ર મોદીની ટીકા કરવા સુધી જ સીમિત થઈને રહી ગઈ છે. તેણે જનતા સામે કોઈ વૈકલ્પિક વિચારધારા રજૂ નથી કરી.

રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં 11 જેટલાં રાજ્યોની ચૂંટણી થવાની છે. એમાં એક રાજ્ય ખડગેનું વતન કર્ણાટક છે. પાર્ટીમાં નેતાગીરીમાં અમુલ પરિવર્તન અને દક્ષિણના રાજ્યોમાં રાહુલની યાત્રા કાઁગ્રસને જો ચાવીરૂપ રાજ્યોમાં પણ સંતોષજનક લાભ કરાવી શકે, તો ખડગે માટે રસ્તો થોડો આસાન થશે. બાકી, કાઁગ્રેસનું પતન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી, ટોની બ્લેર કહે છે તેમ, તેનું વિખંડન ન થઇ જાય.

લાસ્ટ લાઈન :

“રાજકારણીઓ અને ડાઈપર્સને, એક જ કારણથી, વારંવાર બદલતા રહેવું જોઈએ.”

— માર્ક ટ્વેઇન 

ઇંગ્લિશ લેખક

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉત્સવ ટાણે સંગીતને સથવારે સ્વાસ્થ્ય બહેતર બનાવવાની ઉજવણી પણ કરી શકાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 October 2022

શા માટે અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં શરૂ કરાયો છે ‘હિલીંગ પાવર ઑફ મ્યુઝિક’નો કોર્સ? નાદ, સ્વર, ધ્વનિ – જેવા સમાનાર્થી શબ્દોની શરીર અને મન પર થતી અસરો વિશે આપણી ભારતીય સમજનું શું કહેવું છે?

આખરે દિવાળી પણ આવી પહોંચી અને આ વર્ષ પણ જોત-જોતામાં પૂરું થઇ જશે. તહેવારનો ઉત્સાહ અત્યારે બંધાશે અને પછી ક્યાંક ક્યાંક બધું ફટાફટ દોડી રહ્યું છેનો વિચાર પણ મગજમાં આવશે. સ્વાભાવિક છે સ્વજનોને મળીને તહેવાર ઉજવવાનું ટાણું છે, પણ દોડધામ તહેવાર અને ફરી દોડધામ વચ્ચે જે સમય મળવાનો છે એમાં મનને પ્રફુલ્લિત કરવા બીજું શું કરશો? મિત્રો કે સ્વજનોની મહેફીલમાં નાસ્તાની ઉજાણી અને હાસ્યની છોળ વચ્ચે સંગીતની સંગત હોય તો? અથવા તો દિવાળીની રજાઓમાં એક દિવસ એવો કે કોઇ ન હોય પણ માત્ર ઘરનાં સાથે બેસીને સરસ મજાનું સંગીત સાંભળે તો? સંગીત શા માટે?

તાજેતરમાં અમેરિકાના ટેક્સાસની હ્યુસ્ટન યુનિવર્સિટીએ એક નવો ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની વાત કરી છે. આ પ્રોગ્રામનું ફોકસ છે ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’. હીલિંગ શબ્દ માટે ગુજરાતીમાં જે અર્થ છે તેમાં છે રુઝ આવવી, દરદ મટાડનાર, સાજું કરનાર, વગેરે. આજ કાલ આમ પણ ઘણી બધી બાબતે હીલિંગને મહત્ત્વ અપાય છે જે માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ હોય છે. આપણને પશ્ચિમ સંસ્કૃતિનો મોહ છે અને રહેવાનો પણ એ લોકો આપણાં મૂળિયાંને વધુ ગંભીરતાથી લઇ રહ્યાં છે. સંગીત શીખવું, સાંભળવું કે શીખવવું પણ મેડિટેશન જેવો એક અનુભવ હોઇ શકે છે. આપણે ત્યાં મ્યુઝિક થેરાપી પર કૉલેજિઝ કે યુનિવર્સિટીમાં હજી સંગીતનો થેરાપીમાં ઉપયોગ થતો હોવાનું સાંભળવા નથી મળ્યું ,પણ આપણા શાસ્ત્રોમા સંગીતના મહત્ત્વની વાતોનો અખૂટ ભંડાર છે.

મુંબઇનાં જાણીતાં પત્રકાર, લેખક, ગાયક અને એક ઉમદા ઇન્ટરવ્યુઅર એવાં નંદિની ત્રિવેદીએ ‘સેહત કે સૂર’નામનું પુસ્તક સર્જયું છે, જેમાં વિવિધ રાગ-રાગિણી કઇ રીતે કોઇને પણ હીલ કરવા માટે લેખે લાગી શકે તેની વિગતવાર વાત કરાઇ છે. ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’નો આ રાગ જે યુ.એસ.એ.માં છેડાયો છે તેનો સંદર્ભ આપી જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, “વિશ્વમાં સૌથી પહેલો મ્યુઝિક થેરપી પ્રોગ્રામ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં 1944માં લોન્ચ થયો હતો. મ્યુઝિક થેરાપી માત્ર વાંચીને નહીં, અનુભવી સંગીતજ્ઞ કે યોગ્ય થેરાપિસ્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. સ્વર, નાદ, મંત્ર, ઓમકાર, સંગીત તથા સાત ચક્રોના સંબંધને માન્યતા મળી ચૂકી છે.” તેમણે પોતે પણ પોતાની સાથે થયેલો એક અનુભવ વહેંચ્યો, જે તેમણે પોતાની એક નોંધમાં પણ ટાંક્યો છે જ્યારે તે પોતે કોઇ કારણોસર ખૂબ સ્ટ્રેસમાં હતાં અને તેમણે પોતાની મિત્રને ઘરે જવાનું નક્કી કર્યું. મિત્રએ તેમની પ્રાથમિક પરોણાગત કરી, અને પછી મેડિટેશન રૂમમાં જ્યાં મંત્રોચ્ચારનું સંગીત હતું ત્યાં થોડી વાર સુવાનું સૂચન કર્યું. એક કલાકનો સમય ક્યાં વીત્યો, તે ખબર પણ ન પડી અને કોઇપણ પ્રકારની એન્ટિ એન્ક્ઝાઇટી પિલ કે બીજી કોઇ દવા વિના મન શાંત થયું હતું. નંદિની ત્રિવેદીનાં પુસ્તક ‘સેહત કે સૂર’માં સંગીતને કારણે હીલિંગનો અનુભવ થયો હોય તેવા કિસ્સા તો ટાંકેલા છે જ, પણ સાથે કયા રાગની મન પર કે શરીર પર કેવી અસર થાય, શાસ્ત્ર સાથે જોડાયેલા નવ રસ વગેરેની પણ વિગતો આપેલી છે.

સંગીત એટલે માત્ર વાદ્યો કે ગાયન જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં તો મંત્રોચ્ચાર પણ તાલબદ્ધ રીતે થાય છે. અમદાવાદ સ્થિત તેજસ રાવલ યંત્ર-મંત્ર અને તંત્રના જાણકાર અને કોસ્મિક એનર્જી હીલર છે. તેજસ રાવલનું કહેવું છે કે, “જ્યારે તમે કોઇ મંત્રોચ્ચાર કરો ત્યારે તેના શબ્દોને એક સૂર કે એક ચોક્કસ તાલમાં બોલાતા હોય છે. સ્વાભાવિક છે તેનો એક રિધમ બંધાય. હું મારી પાસે આવનારા, જેમને મંત્રોચ્ચાર પર ક્યારેક તરત વિશ્વાસ નથી બેસતો તેમને કહું છું કે માત્ર એ શબ્દોના ધ્વનિ અને રિધમને ધ્યાનમાં રાખો અને પછી તમને શું અનુભવ થાય છે તેની વાત કરો. નાદનું મહત્ત્વ બહુ મોટું છે અને એ સાબિત થયું છે કે તેનો પ્રભાવ મન, શરીર અને કર્મની દિશા પર પણ પડે છે.”

તો મુંબઇના સ્પિરિચ્યુઅલ હીલર બબિતા કકરાનિયાએ પોતાના ક્લાયન્ટ્સને સાઉન્ડ મેડિટેશનની અસરથી લાગણીઓને સંતુલિત કરતાં અને નકારાત્મકતાથી દૂર જતાં જોયાં છે. તેઓ નિયમિત પણે કોર્પોરેટ્સમાં અને નાના ગ્રૂપ્સમાં સાઉન્ડ હિલિંગ મેડિટેશનના સેશન્સ લે છે જે સાત ચક્રોને ફોકસમાં રાખીને કરાવાય છે.

ભારતમાં સંગીતના હિલીંગ પાવરની માત્ર સમજ નહીં બલકે જ્ઞાન રહેલું છે. હ્યુસ્ટનમાં જે કોર્સ શરૂ થયો તેની પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાં મ્યુઝિક થેરાપિસ્ટને બહુ ઝડપથી નોકરી મળી જાય છે અને હવે ત્યાં આ થેરાપિસ્ટની માંગ સામે ઉપલબ્ધિમાં ખેંચ પડવા માંડી છે. સંગીતની ડિગ્રી અને હેલ્થને લગતી સમજની દિશામાં શિક્ષણ આપવાનો એક કોન્શિયસ પ્રયાસ કરાયો છે, જેથી સારા મ્યુઝિક થેરાપિસ્ટ મળી રહે.

આ તો થયા ફેક્ટ્સ એટલે કે જે છે તેની વાત અને સંગીતની અઢળક શક્યતાઓના એક પાસા પર એક નજર. કોઇ ગીત વાગે અને આપણે ઝૂમી ઊઠીએ અને કોઇ ગીત વાગે અને આપણે રોઇ પડીએ તો એ બીજું કંઇ નહીં પણ સંગીતની આપણા મન પર, આપણી લાગણીઓ પરની એક અસર છે. આપણા શરીરનો પણ એક રિધમ છે, તેના વાઇબ્રેશન્સ છે – તરંગો છે અને સંગીત એક બહુ સશક્ત માધ્યમ છે જેની મદદથી આપણે શરીરના રિધમને, મનની સ્વસ્થતાને એક સંતુલિત સ્તરે લાવી શકીએ. સંગીત આખરે ક્ષમતાની વાત છે, તે કલાકાર કે પરફોર્મરના જાગૃકતાનું પ્રતિબિંબ છે અને માટે જ તેનામાં રૂઝવવાની – હીલિંગની શક્તિ છે.

બાય ધી વેઃ

સંગીતને સાથી બનાવી દેવાય તો દિવાળીનો મિજાજ દિવસમાં એકાદ વાર તો અનુભવી જ લેવાય. આ કારણોસર જ સંગીતને જીવનનો અંતરંગ ભાગ બનાવવું જોઇએ. વળી દરેક રાગ તેના પ્રહર, તેના રસ પ્રમાણે કયા રોગમાં કામ લાગી શકે તેની જાણકારી આપતા મ્યુઝિક થેરાપીના કોર્સ હ્યુસ્ટનની માફક ભારતમાં શરૂ થાય તો ય મજા પડી જાય. મનના ઘા પર સંગીતથી બહેતર મલમ બીજો ન હોઇ શકે તે માનવા માટે આપણે કોઇ સંશોધન કે ડિગ્રી કોર્સની જરૂર નથી, આપણે બધા વહેલી સવારે ઑલ ઇન્ડિયા રેડિયોનું ઓપનિંગ મ્યુઝિક, રાત્રે દૂરદર્શનના સમચારનું સંગીત અને મોડી રાત્રે હવા મહેલ સાંભળીને ઉછરેલાં છીએ, ત્યારે સંગીતની શક્તિ સમજાવવા આપણને પશ્ચિમી સમજની જરૂર નથી. હા ત્યાંથી એ શીખવું રહ્યું કે આપણી પાસે જે લખલૂટ વારસો છે તેને સાચવવો કેવી રીતે, તેનો અમલ આધુનિક યુગમાં કેવી રીતે કરવો અને તેનું મૂલ્ય કેવી રીતે કળવું.

બાકી તમારી દિવાળીમાં ધડાકા ઓછા પણ હીલિંગ સૂર અને તાલ તમારે કાને પડે એવી શુભેચ્છા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑક્ટોબર 2022

Loading

હિન્દુત્વવાદીઓને માત્ર અને માત્ર વિરોધીઓને નોખા તારવવામાં જ રસ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 October 2022

જ્યારે તકલીફ નજરે પડે ત્યારે પ્રજાકીય વિભાજનના નુસખા શોધો અને તેને રમતા કરો એ ભારતીય જનતા પક્ષનાં રાજકારણનું સ્વરૂપ છે. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં હિન્દીનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. દક્ષિણનાં રાજકીય પક્ષો હિન્દીનો વિરોધ કરી રહ્યા છે, વગેરે. અપેક્ષા મુજબ સામેથી પ્રતિકાર થયો. અમારા ઉપર હિન્દી લાદવામાં આવે એ ચલાવી નહીં લેવાય, વગેરે.

વાત એમ છે કે રાહુલ ગાંધીની પદયાત્રા દક્ષિણ ભારતમાંથી પસાર થઈ રહી છે અને તેમને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એ એક કારણ અને બીજું કારણ એ કે ભારતીય જનતા પક્ષ દક્ષિણ ભારતમાં કર્ણાટક છોડીને ખાસ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે બી.જે.પી.નો સંપૂર્ણ મદાર ઉત્તર અને પશ્ચિમ ભારતના હિંદુઓ ઉપર છે અને એ પણ એવા હિંદુઓ જેઓ હિંદુ રાષ્ટ્રવાદી છે. તેઓ બેરોજગારી અને ફુગાવા જેવી વાસ્તવિક સમસ્યા તરફ નજર કરતા ન થાય એ માટે આવા ફુગ્ગા છોડવામાં આવે છે. નિર્મલા સીતારામન્‌ શિક્ષણ પ્રધાન નથી, નાણાં પ્રધાન છે અને ભાષા જેવા વિષય સાથે તેમને કોઈ લેવાદેવા નથી, એ છતાં ફુગ્ગો છોડવા માટે તેમને પસંદ કર્યાં એનું કારણ એ છે કે તેઓ દક્ષિણ ભારતીય છે. નિર્મલા સીતારામન્‌ પોતે જે હિન્દી બોલે છે એ અસહ્ય હોય છે એ તો તમે જાણો જ છો. જો હિન્દી માટે આટલો બધો પ્રેમ છે તો એ ભાષા સરખી શીખતાં કેમ નથી? જાહેરમાં અશુદ્ધ હિન્દી બોલવી એ હિન્દી ભાષાનું અપમાન નથી? વળી હિન્દીમાં લખતાં તો તેમને આવડતું જ નથી.

તમારા ધ્યાનમાં કદાચ એક વાત નહીં આવી હોય જેના તરફ ધ્યાન દોરવાનો આ લેખમાં ઉદ્દેશ છે. એક દેશ એક ભાષા, એક દેશ એક રાષ્ટ્રધ્વજ, એક દેશ એક રાષ્ટ્રગીત, એક દેશ એક કાયદો, એક દેશ એક શિક્ષણ, એક દેશ એક ચલણ, એક દેશ એક માપ (અંગ્રેજી અને દેશીની જગ્યાએ દશાંશ), એક દેશ એક વેરો, એક દેશ એક વહીવટીતંત્ર વગેરે રાષ્ટ્રનિર્માણ માટેની ચીજોની જરૂરિયાત ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જ સમજાવા લાગી હતી. જરૂરિયાત સમજાવા લાગી એટલે એ વિષે ચર્ચા શરૂ થઈ. ચર્ચા વ્યાપક અને સઘન હતી.

પણ એક ફરક હતો. ત્યારે જે ચર્ચા થતી હતી તેના કેન્દ્રમાં ઉપાયની ખોજ હતી. ખોજ એ વાતની હતી કે આ કેવી રીતે સાકાર થઈ શકે? વ્યવહારમાં જોવા મળતી અને જે તે સમાજમાં રૂઢ થઈ ગયેલી વિવિધતાઓની વચ્ચે એક સરખાપણું કેવી રીતે લાવવું? આખો વિમર્શ ઉપાયલક્ષી હતો. વિમર્શ કરનારાઓએ મુખ્યત્વે બે ભેદ પાડ્યા. એક રાષ્ટ્રનિર્માણ માટેની જરૂરી ચીજો અને બીજી રાષ્ટ્રીય વ્યવહાર માટેની ચીજો. એક ચલણ, એક તોલ-માપ, એક તંત્ર વગેરે રાષ્ટ્રીય વ્યવહાર માટેની જરૂરી ચીજો હતી. અને એમાં પણ ઉતાવળ કરવામાં નહોતી આવી. મોટી વયના વાચકોને યાદ હશે કે આઝાદી પછી એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી જૂનાંનવાં બન્ને ચલણ અને જૂનાંનવાં બન્ને તોલમાપ ચાલતાં હતાં. નોટબંધીની જેમ રાતોરાત પરિવર્તન કરવામાં નહોતું આવ્યું.

તો કહેવાનું તાત્પર્ય એ કે રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્તરે ભાવનીક અને વ્યવહારિક એકતા સાધવા માટે જે ચર્ચા ચાલતી હતી એ મુખત્વે ઉપાયલક્ષી હતી. એક સરખું શિક્ષણ હોવું જોઈએ, પણ તેમાં અલગ અલગ પ્રાંતો, તેનો ઇતિહાસ અને પરંપરા, તેના હીરોઝ વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ. શાણા અને સમજદાર લોકો આના ઉપાય સૂચવતા હતા. એક ભાષા હોવી જોઈએ, પણ તેમાં પ્રાંતીય ભાષાઓ(જે પ્રાંતોમાં વસનારાઓની માતૃભાષા છે અને માટે તેના માટે તે વિશેષ છે)ને પણ આદરપૂર્વકનું સ્થાન મળવું જોઈએ. એકના ભોગે બીજાને નહીં. જે ભાષા અપનાવવાની છે (દેખીતી રીતે હિન્દી) એ ભાષા બને એટલી સરળ હોવી જોઈએ કે જેથી અપનાવનારને અપનાવવામાં ઝાઝી મુશ્કેલી ન પડે. આના ઉપાય શોધવામાં આવ્યા હતા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સ્થાપવામાં આવી હતી. સરળ લિપિના પ્રયોગ કરવામાં આવ્યા હતા. હિન્દુસ્તાની પ્રચાર સભા દક્ષિણનાં રાજ્યોમાં કામ કરતી હતી. હિન્દીના પ્રચાર માટે કોવિદ અને એવી બીજી પરીક્ષાઓ શરૂ કરવામાં આવી હતી. પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવતાં હતાં. એ જમાનામાં લોકો પોતાનાં નામની સાથે ડિગ્રી (જેમ કે બી. એ.) ઉપરાંત કોવિદ પણ લખતા.

ટૂંકમાં દેશને જોડવાની સાચી નિસ્બત હતી એટલે રાષ્ટ્રીય એકતાનો આખો વિમર્શ ઉપાયલક્ષી હતો અને ઉપાય અજમાવવામાં આવતા હતા. ઘણા લોકોએ તો આખી જિંદગી આવાં કામ પાછળ ખર્ચી હતી.

હિન્દુત્વવાદીઓનો અભિગમ જુદો છે. તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના નામે એક દેશ એક…ની વાત કરશે અને પછી જોશે કે આનો વિરોધ કોણ કરે છે. તેમને વિરોધીઓને વીણવામાં, જુદા તારવવામાં રસ છે. ઉપર કહ્યા એ લોકોને પણ વિરોધ અને વિરોધીઓનો સામનો કરવો પડતો હતો, પણ તેઓ વિરોધીને જીતવાનો પ્રયાસ કરતા હતા અને સરળ સ્વીકાર્ય ઉપાય બ્તાવતા હતા. માત્ર બતાવતા નહોતા, અજમાવતા હતા. હિન્દુત્વવાદીઓને માત્ર અને માત્ર વિરોધીઓને નોખા તારવવામાં જ રસ છે કે જેથી મંદબુદ્ધિ ધરાવનારાઓને ભોળવી શકાય કે જુઓ આ લોકો દેશના દુ:શ્મન છે અને અમે સાચા દેશપ્રેમી છે. નિર્મલા સીતારામને જાણીબૂજીને નિવેદન કર્યું હતું. તેમને ખબર હતી કે કેટલાક વિરોધ કરવાના છે અને વિરોધ કરનારાઓને નોખા તારવવામાં છે અને નોખા તારવ્યા પછી તેમને દેશના દુ:શ્મન ઠરાવવાના છે અને એ દ્વારા પોતાને સાચા દેશપ્રેમી સિદ્ધ કરવાના છે.

ઉપાયમાં તેમને કોઈ રસ નથી. ઉપર કહી એ રાષ્ટ્રને જોડવાની કોઈ બાબતે ઉપાયલક્ષી ચર્ચા તેમણે કરી નથી અને કોઈ ઉપાય બતાવ્યો નથી. ઉપાયમાં તેમને રસ નથી એટલે ઉપાય લઈને પ્રજાની વચ્ચે જવાનો અને જિંદગી ખર્ચવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. એક ઉદાહરણ બતાવો. એક પણ નહીં મળે, મારી ગેરંટી. તેમને તો માત્ર વિરોધ કરનારાઓને નોખા તારવવામાં જ રસ છે.

હવે કહો કે સાચો દેશપ્રેમી કોને કહેવાય? જે જરૂરિયાત અને તેની સાથે ઉપાય બતાવે એ કે માત્ર ગળા ફાડીને જરૂરિયાત જ બતાવ્યા કરે? જે વિરોધ કરનારને જીતવાનો પ્રયાસ કરે એ કે પછી તેને નોખા તારવીને દુ:શ્મન કરાર કરે એ? જે ઉપાયોની ખોજ કરે, ઉપાયો અજમાવે, ઉપાયોમાં સુધારાઓ કર્યા કરે, ઉપાયો માટે જિંદગી ખર્ચે એ કે પછી નોખા તારવેલાઓને ગાળો દેવામાં અને દેવડાવવામાં આયખું વિતાવે એ? વિચારો, સાચો દેશપ્રેમી કોને કહેવાય? હિન્દી ફિલ્મોમાંના નાના પાટેકરની માફક તાર સ્વરે જુદા તારવેલા વિરોધીઓને ગાળો દે એ કે પછી તામિલનાડુનાં ગામડાંમાં કોઈ એક ઝૂંપડામાં બેસીને તમિલ બાળકની પાટીમાં દેવનાગરી ભાષાનો अ પાડે એ? હિન્દી અને દેવનાગરી લિપિના પ્રચારકને તામિલોએ માર્યા હોય કે ગામડાંમાંથી ભગાડી મુક્યા હોય એવી એક ઘટના બતાવો.

પ્રેમ, રચનાત્મક અભિગમ અને ઉપાય લઈને લોકોની વચ્ચે જાવ તો લોકો જરૂર સાંભળવાના છે. બીજું વિરોધ કરનારાઓ તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતા. બહુમતી પ્રજા ખોજ અને ઉપાયમાં ભાગીદાર બનવા તૈયાર હોય છે. પણ હિન્દુત્વવાદીઓને આમાં કશામાં રસ નથી. તેમને તો ઊલટું આવું કયારે ય ન બને એમાં રસ છે. હિંદુઓને કોમવાદી બનાવવા માટે અને બનાવેલાઓના ચિત્તની અંદર દાખલ કરવામાં આવેલું કોમી ઝેર જળવાઈ રહે એ માટે વિરોધીઓ ક્યારે ય નાબૂદ ન થાય એમાં રસ છે. માટે પ્રેમ, રચનાત્મક અભિગમ અને કારગત ઉપાયમાં જોખમ છે.

તો પછી સાચા દેશપ્રેમી કોણ? જો બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હોય તો આજુબાજુમાં કોઈ સમજદાર માણસ હોય એને પૂછી જુઓ કે દેશ માટે સાચી નિસ્બત કોણ ધરાવે છે? તમે જો સાચા દેશપ્રેમી હો તો કોઈ ડાહ્યા વડીલને પૂછી જુઓ કે તમારે કયો માર્ગ અપનાવવો જોઈએ; ઉપાયનો કે આરોપનો? જીતીને સાથે લેવાનો કે નોખા તારવીને ગાળો દેવાનો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑક્ટોબર 2022 

Loading

...102030...1,3501,3511,3521,353...1,3601,3701,380...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved