Opinion Magazine
Number of visits: 9568916
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નવા યુગનો નાંદી’ અને ‘પ્રાણવંતો પૂર્વજ’ વીર કવિ નર્મદ 

સોનલ પરીખ|Opinion - Opinion|17 September 2022

માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા [એટલે કે 24 ઑગસ્ટ 2022ના રોજ] જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. વાત કરીએ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમની, એમની જિંદગીની …

માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે; નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ, સુધારાનો સેનાની એવાં એવાં વિશેષણોથી જેને નવાજવામાં આવે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. પણ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ હતી, એમની જિંદગી હતી. કહેતા, ‘ઝટ્ટ ડોળી નાખો રે મનજળ થંભ થયેલું’ સાહિત્ય, સમાજ, શિક્ષણ, ધર્મ, જીવન તમામ ક્ષેત્રે સ્થગિતતા અને બંધિયારપણાનો સતત વિરોધ કરનાર નર્મદ, અર્વાચીન ગુજરાતી ભાષા આમ તો દલપતરામથી પ્રગટી ગણાય, છતાં અર્વાચીનોમાં આદ્ય ગણાય છે, કેમ કે નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂર્ણ અર્થમાં પ્રગટી છે.

પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. જન્મ 1833માં, મહાત્મા ગાંધી કરતાં 35 વર્ષ પહેલાં. જન્મ સુરતમાં અને ભણતર સુરત અને મુંબઈમાં. મુંબઈમાં તેઓ ઘણું રહ્યા, મુંબઈના પ્રવાહો ઝીલ્યા, પોતે પણ ખીલ્યા-ઊઘડ્યા-વિસ્તર્યા, મગજ મુંબઈની હવાથી છલોછલ રહ્યું, છતાં દિલ ભરીને ચાહ્યું તો સુરતને જ – ‘મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી’ ‘ભટનું ભોપાળું’ના સર્જક અને વિવેચક નવલરામ (જન્મ – 1836) અને ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર તુલજાશંકર (જન્મ – 1835) નર્મદના સમકાલીનો – સહાધ્યાયીઓ પણ હોઈ શકે.

શિક્ષણ દરમ્યાન ધીરા ભગતની કાફીઓ વાંચી નર્મદને કાવ્યસર્જનની પ્રેરણા મળી. એમના જેવા છંદો નર્મદે રચ્યા પણ ખરા, પણ પછી એ સુધારા તરફ વળ્યા. મુંબઈમાં અભ્યાસ દરમ્યાન ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય બનેલા નર્મદે 1850માં ત્યાં ‘મંડળી મળવાથી થતા લાભ’ પર એક દીર્ઘ ભાષણ આપ્યું. 1851માં આ જ ભાષણ છપાવીને પ્રગટ કર્યું અને આમ ગુજરાતી ભાષાને એનું પ્રથમ ગદ્ય પ્રાપ્ત થયું.

1852માં નર્મદ રાંદેરની એક શાળામાં શિક્ષક હતા. સર્જનસાધના ચાલુ જ હતી. એક કડિયો એક દિવસ છંદોબદ્ધ ગાન ગાતો હતો. નર્મદે એને અટકાવીને પૂછ્યું, ‘આવું ગાન ક્યાંથી શીખ્યા?’ ‘મારી પાસે એક પુસ્તક છે, છંદરત્નાવલિ.’ ‘મને એ જોવા આપશો?’ ‘હું એ કોઈને આપતો નથી. મારે ઘેર આવીને જોવું હોય તો જોજો.’ ‘પણ મારે એમાંથી નોંધો કરવી હોય તો?’ ‘તે કરજો ને. પણ ઘેર લઈ જવા નહીં દઉં.’ નર્મદે એના ઘેર જઈ પુસ્તક વાંચ્યું, ફરી ફરી વાંચ્યું અભ્યાસ કર્યો. એમાંથી શબ્દોમાં રસ પડી ગયો અને ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ તૈયાર કર્યો.

પહેલું પુસ્તક ‘અલંકારપ્રવેશ’ 1857માં પ્રગટ થયું, છેલ્લું ‘ધર્મવિચાર’ 1886માં. આ ત્રણ દાયકામાં એમણે સોએક જેટલાં પુસ્તકો આપ્યાં. યુનિવર્સિટી અને છાપખાનાં તાજાં શરૂ થયાં હતાં એનો ભરપૂર લાભ નર્મદને સાહિત્યસર્જન અને સમાજસુધારો આ એની બન્ને પૅશન સંદર્ભે પુષ્કળ મળ્યો.

1856માં નર્મદે ‘તત્ત્વશોધક સમાજ’ની સ્થાપના કરી. શાળાની ‘સાડાદસથી પાંચ લગી કાહુકાહુ થાય’ એવી નોકરી 1858માં કોઈને જણાવ્યા વિના છોડી – ‘કલમ, તારે ખોળે છઉં.’ અને ‘ડગલું ભર્યું કે ના હઠવું.’ ‘કન્યાકેળવણી’ ગ્રંથ લખ્યો, હિંદુ ધર્મમાં વ્યાપેલા કુરિવાજો જોઈ નર્મદે ‘હિંદુઓની પડતી’ ગ્રંથ લખ્યો જે સુધારાનું બાઈબલ ગણાયો. વિધવાવિવાહને ઉત્તેજન તો આપ્યું, પણ દાખલો બેસાડવા પોતે એક વિધવા સાથે લગ્ન પણ કર્યાં.

સુધારાના વિચારોને વાચા આપવા નર્મદે 1864માં ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. પહેલા અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકી હતી: અમારા નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપકની ને બહાર ડાંડિયો હોય; ડાંડીની મહેનતથી ધજાડાંડી સોહાય, દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય …’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયા’ના લેખોએ જ નર્મદને ‘સુધારાના સેનાની’નું બિરુદ અપાવ્યું. નર્મદ એના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની તે નર્મદે એનાથી વર્ષો પહેલાં સેવી હતી.

‘વીરસિંહ’ નામની કૃતિ માટે નર્મદે વીરવૃત્ત નામનો નવો છંદ પ્રયોજ્યો હતો. ‘વીરસિંહ’ને તે મહાકાવ્ય તરીકે રચવા માગતો હતો. એ મહેચ્છા અધૂરી રહી, પણ વીરવૃત્તના જનક તરીકે નર્મદ પ્રસિદ્ધ થયો. આ જ છંદમાં અન્ય કાવ્યો રચાયાં : ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો બાગે, યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે’ જન્મભૂમિ ગુજરાતનું ગૌરવ ગાતું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત’ આજે પણ મન મોહી લે.

મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી નર્મદે કાવ્યનાં અનેક સ્વરૂપે લોકો સમક્ષ ઉઘાડ્યાં. ગુજરાતી ગદ્યને ઘડવામાં એનો સિંહફાળો છે. રસપ્રવેશ, અલંકારપ્રવેશ, પિંગળપ્રવેશ, નર્મદ વ્યાકરણ જેવાં એમનાં કાવ્યશાસ્ત્રનાં પુસ્તકોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’ લખી નર્મદ મહાત્મા ગાંધીના સમર્થ પુરોગામી બન્યા છે. ‘આ તો બસ એક ખરડો છે જે હું લોકો સમક્ષ મૂકું છું.’ એવી નમ્રતા દાખવનાર નર્મદ ગુજરાતી ભાષાના માનસન્માન માટે અત્યંત જાગૃત હતા અને એને માટે બેધડક લડતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા પણ તેને અંગત માનસન્માનનો વિષય ન બનાવવા સજાગ રહ્યા. એમના ઘરનું નામ ‘સરસ્વતીમંદિર’ હતું.

પશ્ચિમના અંગ્રેજી કાવ્યોના પરિશીલનથી નર્મદ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપનાને મહત્ત્વ આપતા. ‘જોસ્સો’, અર્વાચીન ઊર્મિકાવ્યોનો પ્રારંભ, પ્રકૃતિ-પ્રણય જેવા વિષયો, સંસારસુધારો અને દેશાભિમાન નર્મદની બહુ મોટી વિશેષતાઓ ગણાય. નર્મદ ખૂબ પ્રવાસ કરતા. પરદેશ ગયા નહોતા, પણ મહીપતરામ પરદેશ જવા માગતા હતા એમને ખૂબ મદદ કરી. પણ એ જ મહીપતરામે પાછા આવી નાત આગળ નાકલીટી તાણી પ્રાયશ્ચિત કર્યું ત્યારે એની ખૂબ ટીકા કરી. વર્ડઝવર્થના પ્રકૃતિકાવ્યોથી પ્રેરાઈ એમણે ‘બ્રહ્મગિરિ’ નામનું સુંદર કાવ્ય રચ્યું હતું : ‘ચોપાસ બધું સૂનકાર લાગે, વચ્ચે ઝરાના મૃદુ શબ્દ થાયે, લહેરો વળી વાયુની મંદ આવે, જૌં રૂડો ડુંગર પૂર્ણ ભાવે’.

આર્થિક મુશ્કેલીઓ ખૂબ તાવતી. પચીસ વર્ષના સંઘર્ષ બાદ મિત્રોની ભલામણથી ગોપાળદાસ તેજપાલ પાઠશાળામાં નોકરી સ્વીકારવી પડી ત્યારે નર્મદની આંખોમાં આંસુ હતાં. સંકલ્પ તોડ્યાના આઘાતમાં ત્યાર પછી બહુ જીવ્યા પણ નહીં. 1866માં 52 વર્ષની વયે એમનું અવસાન થયું. ઉત્તરવયમાં સુધારાની પ્રવૃત્તિ છોડી તેઓ ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યા હતા. 

‘અવસાનસંદેશ’ એ નર્મદની અદ્દભુત રચના છે. પોતાના અવસાન સંદર્ભે આપણી ભાષાના કોઈ કવિએ આવી વાણી ઉચ્ચારી નથી. સંદેશ છે, ‘નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક’ રસિકડા સંબોધન નર્મદ જ કરી શકે – કહે છે, ‘હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી’ અને ‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી …’ પોતાના વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો નર્મદનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવાય છે.

ગુજરાતી ભાષાની થતી ઉપેક્ષા અને ભાષાગૌરવના અભાવને જોઈ નિરંજન ભગતે લખ્યું છે, ‘ક્યાં તુજ જોસ્સો કૅફ, ક્યાં આ જંતુ માણહાં; માથા પરની રૅફ, નર્મદ સહેજ ખસી ગઈ’ નામર્દાઈનું આ મહેણું વાગે એવું છે, પણ ખોટું નથી. ગુજરાતી ભાષામાં ગુજરાતની સંસ્કૃતિની સુગંધ છે, એની માટીની મહેક છે. એ ન ભૂલીએ. પણ ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમનો અર્થ અન્ય ભાષાનો બહિષ્કાર એવો ન કરીએ. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે એનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

છબીસૌજન્ય : ‘વિકિપીડિયા’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 ઑગસ્ટ 2022

Loading

ગૈરફિલ્મી ગુલઝાર : કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં

સોનલ પરીખ|Opinion - Opinion|16 September 2022

ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. ફિલ્મોએ તેમનામાં રહેલી સર્જકતાને એક ઓળખ આપી છે, ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી; છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’ તો મળીએ, ગૈરફિલ્મી ગુલઝારને?

દસેક વર્ષ પહેલાની વાત. ‘જય હો’ માટે ઑસ્કાર એનાયત થયો એ પછીની સવાર. ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો. એમણે શાંતિથી મિત્ર અરુણ શેવાટેને કહ્યું, ‘પ્લાસ્ટિક હટા દેના ભાઈ, યે ફૂલ સાંસ નહીં લે સકેંગે …’

આ ગુલઝાર. 18 ઑગસ્ટે તેમને 88 વર્ષ પૂરાં થયાં. એ પહેલા ત્રણ દિવસે આઝાદીના સુવર્ણમહોત્સવ સમો સ્વાતંત્ર્યદિન ગયો. અનેક શહેરોમાં ભાગલા અને સ્વાતંત્ર્યને લગતાં પુસ્તકોનાં વિમોચન અને પ્રદર્શન થયાં. તેમાં ગુલઝારનાં ભાગલાવિષયક કાવ્યોનું એક અંગ્રેજી પુસ્તક ધ્યાન ખેંચતું હતું : ‘ફૂટપ્રિન્ટ્સ ઑન ઝિરો લાઈન’. મૂળ ઉર્દૂ પુસ્તકનું અંગ્રેજી રક્ષંદા જલિલ નામની યુવાન લેખિકાએ કર્યું છે, પ્રકાશક હાર્પર કૉલિન્સ. તેનું વિમોચન અમૃતસરના પાર્ટિશન મ્યુઝિયમમાં થયું હતું. દેશભરનાં અખબારો અને અન્ય માધ્યમોએ તેની નોંધ લીધી હતી. પંદરેક વર્ષ પહેલા ગુલઝારનાં જ ગીતોની મહેફિલ રચી પ્રીતિબહેન કોઠીએ ગુલઝારના પુસ્તક ‘રાવી પાર’ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું હતું. પ્રકાશક એન.એમ. ઠક્કર. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે આવેલા ગુલઝાર કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી ઉપસ્થિત રહ્યા હતા. ગુલઝારની વાત કરીએ ત્યારે એક પ્રકારની ‘સીલન’નો અનુભવ થયા કરે. સીલન ગુલઝારનો પ્રિય શબ્દ છે જેનો અર્થ થાય છે ભીનાશ. તરબોળ કરતી નહીં, જરા જરા ઝમતી ઠંડી ભીનાશને સીલન કહે છે.

ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. સંવાદ, પટકથા, ગીતો કે દિગ્દર્શનના રૂપમાં તેમનામાં રહેલી સર્જકતાને ઓળખ મળી છે. ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી, છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’ ગુલઝારની ફિલ્મો અને એમનાં ગીતો વિશે આપણે ઘણું જાણીએ છીએ. ક્યારેક ગૈરફિલ્મી ગુલઝારને પણ મળીએ તો કેવું?

ગૈરફિલ્મી ગુલઝારની હસ્તી ફિલ્મી ગુલઝાર કરતાં ઘણી મોટી છે. પાંચ કાવ્યસંગ્રહ, બે વાર્તાસંગ્રહ અને સોળ બાળપુસ્તકો તેમના નામે બોલે છે. ઉપરાંત પણ તેમની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. માત્ર વિગત નોંધીએ તો પણ લેખનું ફલક નાનું પડી જાય. આજે વાત કરીશું એમની થોડી વાર્તાઓની. આ વાર્તાઓમાંની અમુક આપણે 1993થી 1995 સુધી પ્રગટ થતી ગુલઝાર દિગ્દર્શિત સિરિયલ ‘કિરદાર’માં જોઈ છે. કિરદાર એટલે પાત્ર. જિંદગીના રંગમંચ પર જીવતાં પાત્રો આ વાર્તાઓમાં સાકાર થયાં હતાં. તેનું શીર્ષકગીત જગજિત સિંહે ગાયું હતું. શબ્દો અલબત્ત, ગુલઝારના હતા: કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં, ગયે વક્તોં કી ડ્યોઢી મેં ખડે કુછ યાર મિલતે હૈં; જિસે હમ દિલ કા વીરાના સમઝકર છોડ આયે થે, વહાં ઉજડે હુએ શહરોં કે કુછ આસાર મિલતે હૈં’ – ગુલઝારની વાર્તાઓમાં આ છે: ઉજ્જડ લાગતા હૃદયમાં છુપાયેલી એક સૃષ્ટિ અને એ સૃષ્ટિના અવશેષોમાં પોતાને શોધતાં પાત્રો ઉર્ફે આપણે સહુ.

કેવાં કેવાં પાત્રોની બનેલી છે આ સૃષ્ટિ? ‘રાવી પાર’ વાર્તામાં ભાગલાસમયની ઊથલપાથલનો શિકાર દર્શનસિંહ, સદ્યપ્રસૂતા પત્ની અને બે નવજાત બાળકોને લઈ રાવી નદી પાર કરી રહેલી ટ્રેનના છાપરા પર બેઠેલો છે. અચાનક ધ્યાન જાય છે, એક બાળક મરી ગયું છે. સાથી મુસાફર કહે છે, ‘એનું શબ લઈને ક્યાં ક્યાં ફરીશ, પધરાવી દે રાવીમાં.’ આઘાતોથી બાવરો બનેલો દર્શનસિંહ બાળકને નદીમાં ફેંકે છે અને એનું ઝીણું રુદન સાંભળી ચોંકી ઊઠે છે, ‘હું શું કરી બેઠો? જીવતા બાળકને ફેંકી દીધું?’ જુએ છે તો વિક્ષિપ્ત પત્ની મૃત બાળકને છાતીએ લગાડી નિર્વિકાર બેઠી છે.

‘સનસેટ બુલિવાર્ડ’માં અત્યારે જેનો કોઈ ભાવ નથી પૂછતું એ જૂના જમાનાની જાજરમાન હીરોઈન ભવ્ય ભૂતકાળ સાથે નાતો તોડવા તૈયાર નથી, પણ એથી કંઈ વાસ્તવિકતાને અવગણી તો શકાતી નથી. એનું શું થાય છે તે જોવું હોય તો યુ ટ્યુબ પર ‘કિરદાર’નો એ નામનો એપિસોડ જોજો. ‘કિરદાર’ની બીજી એક વાર્તા ‘હિસાબકિતાબ’માં માણસ અંગત સંબંધોમાં પણ કેવો ગણતરીબાજ હોઈ શકે તેનું સરસ ચિત્રણ છે. ‘હાથ પીલે કર દો’માં મુગ્ધ પ્રેમ અને કૌટુંબિક-સામાજિક મર્યાદાઓના પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંઘર્ષનું માર્મિક આલેખન છે.

કિશોર માનસને કળવું અઘરું છે: પણ ગુલઝાર તેને બરાબર સમજે છે. ‘જીના યહાં’નો અગિયાર વર્ષનો સમીર છે તો રાજકુમાર પણ બીમારીઓથી ઘેરાયેલો. લોકોની હમદર્દીથી તેનો અહમ એટલો આળો બન્યો છે કે તેના પિતા જ્યારે લગ્ન કરીને નવી રાણી લાવે છે ત્યારે તેનું સૌના આકર્ષણ અને હમદર્દીનું કેન્દ્ર બની જવું તેનાથી સહેવાતું નથી. ‘દાદી ઔર દસ પૈસા’નો ગરીબ ચક્કુ દાદીના સંઘર્ષને સમજી શકતો નથી અને તેના પર ગુસ્સો કરી ભગવાનની વાટકીમાંથી દસ પૈસા ચોરી ઘરમાંથી ભાગી જાય છે. રાત્રે એક સ્ટેશને ઊતરે છે અને અભાનપણે દાદી જેવી દેખાતી એક ભિખારણની ચાદરમાં સૂઈ જાય છે. સવારે તેને ખબર પડે છે કે એ બાઈ તો ક્યારની મરી ગઈ છે.

‘મર્દ’ના કપિલને એ નાનો હતો ત્યારથી તેનાં માબાપે પોતાના નિષ્ફળ દાંપત્યથી બચાવવા હૉસ્ટેલમાં મૂકેલો છે. માબાપ છૂટાં પડે છે. પિતા બીજી સ્ત્રીને પરણી જાય છે અને મા એક પુરુષ સાથેની મૈત્રીના પરિણામે સગર્ભા બની છે. વેકેશનમાં આવતા પુત્રથી કંઈ છુપાવવું હવે શક્ય નથી – પણ મા કશું કહે એ પહેલા કપિલ રોષે ભરાઈને કહે છે, ‘તને એમ છે કે હું કશું સમજતો નથી? તારા પેટમાં રમણ અંકલનું છોકરું છે ને?’ ત્યારે માને લાગે છે કે આ તેનો પુત્ર નહીં, એક પુરુષ બોલે છે.

‘સીમા’ વાર્તાની પરિણીત સીમા અતિવ્યસ્ત પતિથી કંટાળી તેના એક મિત્રના પ્રેમમાં પડે છે અને તેની સાથે રહેવા ચાલી જાય છે. પણ સંબંધ એમ તોડવાથી તૂટી જાય ખરા? અને પછી પાછા ફરવું પણ સંભવ રહે ખરું? – આ સવાલો વાર્તાને અંતે વાચકના મનમાં રમતા રહી જાય છે. ‘અદ્ધા’માં એક અડધિયો એટલે કે ઠિંગુજી બધાને કામ આવીને, નિર્મળ પ્રેમ આપીને, પુરુષ તરીકે તેના મનમાં જાગતા પ્રેમનો પ્રતિસાદ ન મળ્યાનું દુ:ખ મનમાં જ સમાવીને અંતે એક બજારુ જેવી સ્ત્રીના બાળકને અપનાવીને શરીરે વામન હોવા છતાં નોર્મલ પુરુષ કરતાં ઊંચેરો પુરવાર થાય છે. ‘ગુડ્ડી’માં એક કિશોરીનો દિલીપકુમાર પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો છે તો ‘લેકિન’માં છે એક ભટકતા આત્માની કરુણ સ્થિતિ અને તેને ઉગારતો એક મ્યુઝિયમ ક્યૂરેટર. વાર્તાની શરૂઆત જે વાક્યથી થાય તે જ વાક્યથી તેનો અંત લાવી ગુલઝાર સંવેદનાનું વર્તુળ પૂરું કરતા હોય છે. દરેક પાત્રની મનોભૂમિ જુદી માટી અને જુદા રંગથી બનેલી હોય છે.

ફિલ્મસર્જક, પટકથાકાર, વાર્તાકાર, કવિ, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ સહિત અનેક સન્માનપ્રાપ્ત ગુલઝારને કઈ રીતે ઓળખાવું ગમતું હશે? જવાબ એમની જ એક પંક્તિ આપે છે, ‘હાં, વહી વો અજીબ સા શાયર, રાત મેં ઊઠ કે કોહનિયોં કે બલ, ચાંદ કી ઠોડી કો ચૂમા કરતા હૈ …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑગસ્ટ 2022

Loading

શિક્ષણની કચરાગાડી અને કચરાગાડીનું શિક્ષણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 September 2022

એક વિદ્યાર્થીને સવાલ પુછાયેલો કે માણસને કેટલી આંખ હોય છે? ને એ કેટલી હોય છે તે ગણવા જતાં તે પકડાઈ ગયેલો. આમ તો આ ટુચકો છે પણ આજના વિદ્યાર્થીઓને જોઈએ તો મોટાભાગના એટલા જ્ઞાની છે કે માણસને એક નાક હોય તેની પણ એ ગણીને ખાતરી કરે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ બધાં બે વર્ષ પહેલાં હતાં એટલાં જ ફ્રેશ છે. બે વર્ષ પહેલાં ઘણાં એકડો જાણતા ન હતા ને આજે પણ નથી જ જાણતા. બે વર્ષ ભણ્યા જ નહીં ને માસ પ્રમોશનમાં ત્રીજામાં આવી ગયા. ત્રીજામાં હોય કે પહેલામાં, શિક્ષણ ભેદભાવ કરતું નથી. ત્રીજાવાળો પણ એટલું જ જાણે છે, જેટલું પહેલાંવાળો જાણે છે. મજાની વાત એ છે કે આ જે જાણે છે, શિક્ષણ વિભાગ પણ એટલું જ જાણે છે. સદ્દભાગ્યે મંત્રીઓ બહુ ધાર્મિક આવ્યા છે. એ બધા એટલા ધાર્મિક છે કે રોજ જ ‘કમળપૂજા’ કરે છે. છાપાંઓમાં રોજ ભગવાનોનાં આખા પાનાનાં ફોટા છપાય છે તેનાં સવારમાં ભાવિક ભક્તો દર્શન કરે છે ને જેમ ટ્રેન ઉપડે ને સ્ટેશન આવે જ, તેમ ભગવાનનું નામ ઊઠતાબેસતા, ખાતાપીતા, જાગતાઊંઘતા ઓટોમેટિકલી લેવાયાં જ કરે છે. આ અખંડ સેવાપૂજામાં મંત્રીઓ પણ એટલું જ જાણે છે જેટલું પહેલાંનું બાળક જાણે છે. આને કહેવાય સમાનતા ! બાળક અને મંત્રી, સરખાં જ્ઞાની.

આમ તો શિક્ષણ વિભાગમાં ભાગ ઘણાં છે. બધાં ભાગે પડતું વહેંચી ખાય છે. કામ કોઈને હોતું નથી, પણ ફુરસદ તો કોઈને જ હોતી નથી. આ લગભગ તમામ વિભાગની ખાસિયત છે. કામ કરે છે એવું લાગવું જોઈએ એટલે સાહેબો તેમના ટેકેદારોને – ઠેકેદારોને આદેશ કરે છે કે યુનિવર્સિટી, કોલેજો, સ્કૂલો પાસેથી કામ લો. એ કામ કેવી રીતે લેવું? તો કે ફટાફટ પરિપત્રો બહાર પાડો. પાડતા જ રહો. સૂચનાઓ આપો કે આ કરો. તે કરો. આ ન કરો, તે ન કરો. વળી સાહેબોની સૂચના પણ ખરી કે પરિપત્રો કરીને બેસી ન રહો. જુઓ કે કામ થયું છે કે નહીં? બધાંના જવાબો લો. પ્રાથમિક સ્કૂલો હોય તો જુઓ કે તેને પાઠ્યપુસ્તકો સમયસર ન મળે. તો, એનું પણ બરાબર ધ્યાન રાખો કે તમને સમયસર પરિપત્રોનો જવાબ મળે જ મળે. ખુરશીમાં જાગવાની ટેવ રાખો. એનું પણ ધ્યાન રાખો કે કોઈને સમયસર જવાબ અપાઈ ન જાય. કોઇની માંગણી હોય તો તે સમયસર પૂરી ન થાય તેની કાળજી રાખો. પરિપત્રો જ શિક્ષણ વિભાગનો પ્રાણ છે. એટલા પરિપત્રો મોકલો કે સ્કૂલો જવાબ આપવામાં જ પૂરી થઈ જાય.

આ 13 તારીખે જ શિક્ષણ બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં રોજના પાંચ કલાક લેખે સપ્તાહમાં 27 કલાક ભણાવવા સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડી.ઇ.ઓ.ને પરિપત્ર કરીને સૂચવાયું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં રિસેસને બાદ કરતાં, અઠવાડિયાનું 27 કલાકનું શિક્ષણ થાય તે જોવાય. બોર્ડે આચાર્ય સંઘને પણ જાણ કરી છે. આમ તો સાધારણ રીતે સ્કૂલોમાં રોજના પાંચ કલાકનું શિક્ષણ થાય એવું વર્ષોથી બનતું આવ્યું છે, છતાં બોર્ડે પરિપત્ર બહાર પાડવો પડ્યો એના પરથી લાગે છે કે સ્કૂલોમાં શિક્ષણ પૂરતા કલાકોનું થતું નથી. ક્યાંક મરજી મુજબના કલાકો કોઈએ શિક્ષણને માટે નક્કી કર્યા હોય એમ બને. તે વગર શિક્ષણ બોર્ડ 27 કલાકનું ફરમાન છોડે નહીં. શિક્ષણ કાર્ય અધૂરું ન રહે એટલે આ પરિપત્ર થયો હોય એમ લાગે છે, પણ ધારો કે 27 કલાકનું ટાઈમટેબલ નક્કી થાય છે તો પણ શિક્ષકો કે શિક્ષણ બોર્ડ એમ કહી શકે એમ છે કે શિક્ષણ 27 કલાકનું થશે જ થશે?

સાચું તો એ છે કે વર્ગશિક્ષણ ઘટી ગયું છે. માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં ભણી લે છે, પણ પ્રાથમિકનું પાયાનું શિક્ષણ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું અપાય છે એ વિષે બે મત નથી. બે વર્ષ કોરોનાને લીધે બગડયાં, પણ તે પછી પણ, બધું મુક્ત થયું છે છતાં, શિક્ષણ પાટે ચડ્યું નથી. ઓનલાઈન શિક્ષણ કોરોના કાળમાં એક વિકલ્પ તરીકે ઠીક હતું, પણ હજી એ રીતે જ શિક્ષણ આપવાનો ઉપક્રમ ઠીક નથી. વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે આવતાં થયાં હોય તો પ્રત્યક્ષ શિક્ષણનો મહિમા વધવો જોઈએ, પણ એવું પૂરતી માત્રામાં થયું હોવાનું જણાતું નથી. યુનિટ ટેસ્ટ વીથ ઓપન બુકનું ચલણ, પ્રત્યક્ષ શિક્ષણ શક્ય ન હતું ત્યારે ઠીક હતું, પણ હજી એકમ કસોટીનો કેડો ન મુકાય તે બરાબર નથી. પ્રાથમિક શાળાઓમાં તો શિક્ષક એકમ કસોટીઓ લેવામાંથી જ ઊંચો નથી આવતો. એમાં અનધિકૃત રીતે એવો આગ્રહ પણ રખાય છે કે 25 માર્કસમાંથી 20 માર્કસ ન આવે ત્યાં સુધી કસોટી લેવાનું ચાલુ રાખવું. એથી વિદ્યાર્થીને પરીક્ષાનો મહાવરો થતો હશે, પણ તેને પ્રત્યક્ષ શિક્ષણનો મહાવરો થતો નથી તે હકીકત છે. ઘણીવાર તો એમ લાગે છે કે સતત પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે. પરીક્ષા એ જ શિક્ષણ છે જાણે ! ભણાવવાનું તો લગભગ બધેથી જ ભુલાઈ ગયું છે. તે કદાચ ટ્યૂશન કલાસો પૂરતું જ સીમિત થઈ ગયું છે. આમ તો પરિપત્રમાં 27 કલાકનો વાયદો થયો છે, પણ બહુ જ પ્રમાણિકતાથી એ તપાસવા જેવું છે કે 27 કલાકની અપેક્ષાઓ ભણાવવા માટે છે કે ઈતરપ્રવૃત્તિઓ માટે?

જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી શિક્ષકનો ઘણો સમય કસોટીઓ લેવામાં જ વીતે છે. બાકીનો સમય આચાર્યનો અને શિક્ષકોનો પરિપત્રોના જવાબો આપવામાં, આ કે તે દિવસોની, તહેવારોની ઉજવણીમાં, પ્રવેશોત્સવમાં આવેલા મહેમાનોને જોગવવામાં જાય છે. આ ઉપરાંત ચૂંટણી, વસતિ ગણતરી, રસીકરણ ને એવાં ઘણાં કામોમાં શિક્ષકોને જોતરવામાં આવે છે ને એની સીધી અસર શિક્ષણ પર પડે છે. પરિપત્રો ને બીજા એટલા ફતવાઓ સ્કૂલોને માથે મરાતા રહે છે કે સ્કૂલે પરિપત્રો વાંચવા અને તેનો જવાબ આપવા વધારાનો સ્ટાફ રાખવો પડે. આમ તો પેપરલેસ ઑફિસોની કલ્પનાઓ થઈ છે, પણ કોમ્પ્યૂટર ઓપરેટેડ ઈ મેઈલ કે મેસેજિસથી લેબરમાં બહુ ફરક પડતો નથી. કેટલાક શિક્ષકો સાહેબોથી, સરકારથી એટલો સંકોચ અનુભવે છે કે તેમની મુશ્કેલીઓ ક્યાં ય રજૂ કરી શકતા નથી. ખરેખર તો શિક્ષકોને અભિવ્યક્તિની મોકળાશ જ ઓછી છે. પણ, તેઓ ખરેખર ઈચ્છે છે કે તેમને વિદ્યાર્થીઓને ભણાવવા દેવાય. બીજા કેટલાક એવા પણ છે જેમને પેન્શન અને પે સ્કેલ માટે રેલી-રેલા કાઢવામાં વ્યસ્ત રહેવાનું ગમે છે. એમને એ અંગે જ એટલું વિચારવાનું રહે છે કે ભણાવવાનું તો યાદે ય નથી આવતું.

શિક્ષણ ખાતું કે મંત્રી ભલે શિક્ષણ બાબતે આશ્વસ્ત હોય, પણ ગુજરાતનું શિક્ષણ અનેક રીતે પુનર્વિચાર માંગે છે. શિક્ષણનો દેહ તો હાથ લાગે છે, પણ આત્મા હાથ લાગતો નથી. આત્મીયતા આઉટડેટેડ થતી જાય છે ને બધું જ એક વ્યવહાર પૂરતું, વિધિ પૂરતું, ફરજ પૂરતું થતું હોવાનું લાગે છે. ચાલે છે બધું જ ! સ્કૂલો ખૂલે છે, વિદ્યાર્થીઓ આવે છે, શિક્ષકો વર્ગો લે છે, પરીક્ષાઓ થાય છે, ટોપર્સ ફોટાઓ પડાવે છે, પણ બધું યંત્રવત છે. બધે જીવતાં રોબોટ્સ ફરતાં લાગે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સજીવ સંવાદ ખાસ જણાતો નથી અને એની કદાચ કોઈને પડી પણ નથી. દુ:ખદ કૈં હોય તો તે આ છે.

ક્યારેક તો એમ પણ લાગે છે કે શિક્ષણને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. કારણ કોઈ જ તેને ગંભીરતાથી લેતું નથી. એક સમયે અંગ્રેજોએ કારકૂનો પેદા કરવા હતા તે કર્યા. હવે આ દેશી અંગ્રેજોએ અભણ પેદા કરવા છે એટલે ભણેલા અભણ પેદા કરવાના બે પાળીમાં કારખાનાઓ ચલાવે છે ને જ્ઞાન સિવાય જે શક્ય હોય તે, શૈક્ષણિક સંસ્થાઓ, ગજવાં ખંખેરીને પૂરું પાડે છે. જેને શિક્ષણ કહેવાય તે ખરેખર શું છે તે તો પીએચ.ડી. થઈ ગયા પછી પણ ખબર નથી પડતી. એમ લાગે છે કે મોટ્ટી કચરાગાડી ગુજરાતમાં ફરે છે ને એમાં સૂકો કચરો, લીલો કચરો, હાનિકારક કચરો વગેરે કેટેગરી પ્રમાણે છૂટો પડે છે. આ બધું જે તે યુનિવર્સિટી, કોલેજો, સ્કૂલો, શિક્ષણ બોર્ડ વગેરે .. પરીક્ષાથી કે માસ પ્રમોશનથી છૂટું પાડે છે ને એ બધાં પછી પણ એ કહેવાય છે તો કચરો જ ! જોવાનું એટલું જ છે કે કયો કચરો કોને કામ લાગે છે. ક્યારેક તો કચરા પર દિવાસળી મૂકવાનુંયે મન થાય, પણ ધુમાડો પણ તો પ્રદૂષણ જ કરશેને ! એટલે કચરાગાડી બદલાય તો જ કૈં ફેર પડે, પણ,‘એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી?’

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,3501,3511,3521,353...1,3601,3701,380...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved