Opinion Magazine
Number of visits: 9458681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હત્યા જ જો ધર્મ હોય તો અધર્મ આપણે કોને કહીએ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 July 2022

સાચું તો એ છે કે હવે જગતમાં ખોટું કૈં રહ્યું જ નથી. બધું જ ખોટું, સાચું થઈ ગયું હોય તેમ ક્યાં ય અસત્ય જેવું કૈં લાગતું જ નથી. ચારે બાજુએ અનાચાર જ સદાચારની જેમ ફેલાઈ રહ્યો છે. ખોટું જ એટલું બધું વ્યાપકપણે ચાલે છે કે ખરું કોને કહેવાય એની સમજ જ નથી પડતી. બળાત્કાર, ખૂનની ઘટનાઓ વગરનું વર્તમાનપત્ર જડતું નથી. ખૂન સ્વાભાવિક થઈ ગયાં છે. જાણે કોઠે પડી ગયાં છે ! આઝાદી સાથે વારસામાં મળેલી કોમી હોળી હજી ક્યાંક ક્યાંક સળગતી જ રહે છે. નાની નાની વાતમાં (અ)ધર્મ એટલો ઊંડે ઊતરી ગયો છે કે લોહી ઠંડું પડતું જ નથી. કોઈ કૈં જરા ધર્મ વિષે બોલે છે કે તેમાં ખોટું શું છે તેની ખોળાખોળ ચાલુ થઈ જાય છે. બીજું ગમે તે બોલો, પણ ધર્મ વિષે કૈં બોલાયું કે તેનો હિંસક વિરોધ શરૂ થઈ જાય છે. ભાગ્યે જ કોઈ ધર્મ એમાંથી બાકાત હશે. કોણ જાણે કેમ પણ કટ્ટરતા જ ધર્મ થઈ પડ્યો છે. બહુ મહેનત કરીને ઝનૂન ઉછેરવામાં આવી રહ્યું છે. આ સારું નથી. દુ:ખની વાત છે કે હિન્દુઓ પણ વાત વાતમાં ઉશ્કેરાય છે. તે પણ બદલાની વાતો કરતા થયા છે. કેટલાક વિધર્મીઓ, હિન્દુઓ તરફ આંગળી ચીંધે છે કે હિન્દુઓ પણ ઝનૂનને પોષે છે, તો તે સંદર્ભે એટલું જ કહેવાનું કે કોઈ હિંદુએ આજ સુધી તલવારની અણીએ કોઈને મુસ્લિમ બનાવ્યો નથી. ઝઘડાની શરૂઆત ક્યારે ય હિન્દુઓથી થઈ નથી. પહેલો પથ્થર હંમેશાં સામેથી આવ્યો હોય ને પછી પ્રતિક્રિયા આવી હોય એમ બને, બાકી પહેલ હિન્દુઓએ કરી નથી. એનું કારણ છે કે હિન્દુ ધર્મ મૂળથી જ સહિષ્ણુ અને ઉદાર રહ્યો છે. એની ધીરજની કસોટી અનેકવાર થઈ છે ને થતી રહે છે. 28 જૂને ફરી એક વાર કસોટી કરતી એક ભયંકર ઘટના રાજસ્થાનનાં ઉદેપુરમાં બની છે.

કનૈયાલાલ નામના ઉદેપુરના એક દરજીની બે મુસ્લિમો – રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે દુકાનમાં ઘૂસી જઈને છરીના 26 ઘા મારીને કરપીણ હત્યા કરી છે. આ અરેરાટીપૂર્ણ જઘન્ય અપરાધનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેને વાયરલ પણ કરવામાં આવ્યો, જેથી દહેશત ફેલાય. વીડિયોમાં હત્યારાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી અને કોઈ પણ જાતના ખોફ વગર આપી. આ પૂર્વ નિયોજિત કાવતરું હતું. એક જણ છરીના ઘા મારે અને બીજો એનો વીડિયો ઉતારે એવું આયોજન હતું. દુકાનમાં સી.સી.ટી.વી. કેમેરા હતો અને બે કારીગરો કામ કરતા હતા, પણ તેની હત્યારાઓને જરા ય ચિંતા ન હતી. તે ધોળે દિવસે કોઈ ખોફ વગર દુકાનમાં ઘૂસ્યા ને માથું અલગ કરી નાખવાની ગણતરીએ હત્યા કરીને ચાલતા થયા. જો કે, પોલીસ હત્યારાઓને પકડવામાં સફળ થઈ છે ને કાનૂની રીતે એમના પર હવે કામ ચાલશે, પણ આ હત્યા અનેક પ્રશ્નો ઊભા કરે છે.

મૂળ વાત આટલી છે. કનૈયાલાલની પોસ્ટ તેનાં દીકરાની ભૂલથી મુકાઇ હતી, જેમાં નુપૂર શર્માનાં સમર્થનની વાત હતી. દરજીને તો સ્માર્ટ ફોન વાપરવાની આવડત ન હતી, પણ પોસ્ટ મુકાઇ જતાં, ડરીને કનૈયાલાલે પોલીસ રક્ષણ માંગ્યું હતું ને ત્યારે તેણે ઉમેર્યું હતું કે તેના મુસ્લિમ પડોશીએ જ તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી ને તેણે જ પોસ્ટ વાયરલ કરી હતી. તે એ પણ જાણતો હતો કે દરજીને ફોન વાપરતાં આવડતું નથી. જે નૂપુર શર્માનું સમર્થન કરવાની વાત તેની જાણ બહાર વાયરલ થઈ હતી, તે શર્માને તો કૈં થયું ન હતું, પણ એક દરજી બલિનો બકરો બની ગયો હતો.

આમાં પોલીસની ભૂમિકા પણ સંદિગ્ધ રહી છે. એક તરફ કનૈયાલાલની ધરપકડ પણ કરવામાં આવી હતી ને જ્યારે તેણે રક્ષણ માંગ્યું ત્યારે પોલીસે હત્યારાઓની સાથે મુલાકાત ગોઠવીને વાતને વાળી લીધી હતી.  ગંભીરતાથી વાતને લેવાઈ ન હતી. દરજીએ મોતની મળેલી ધમકીને પગલે અઠવાડિયું  દુકાન પણ બંધ રાખી હતી ને જે દિવસે તેણે દુકાન ખોલી એ જ દિવસે કમનસીબે તેની હત્યા થઈ ગઈ હતી. હત્યારાઓ હત્યા કરીને કોઈ ધાર્મિક કાર્ય પાર પડ્યું હોય તેમ નિર્ભય થઈ ગયા હતા. કોઈ ધર્મ હત્યાની અનુમતિ આપતો નથી, પણ કટ્ટરપંથીઓ એવું માનીને ચાલતા હોય છે કે હત્યા ધાર્મિક કાર્ય છે.

કનૈયલાલની હત્યાને પગલે રાજસ્થાન સરકારે શાંતિ જાળવવાની ને ગુનેગારને બક્ષવામાં નહીં આવે એવી  વાત રાબેતા મુજબ કરી છે, તો બધાંએ જ હત્યાની નિંદા પણ કરી છે, એ નિંદા કરવામાં પાકિસ્તાન પણ ખરું. આ હત્યાને આતંકવાદ સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણ આ હત્યા તાલિબાની સ્ટાઇલે કરવામાં આવી છે. એક વાત નક્કી છે કે આતંકવાદી ઘટના ગમે ત્યાં બને તો પણ તેનો છેડો પાકિસ્તાનમાં તો નીકળે જ છે. કનૈયાલાલની હત્યાનું પગેરું પણ પાકિસ્તાનમાં નીકળે છે. નુપૂર શર્માનું નિવેદન આવ્યું ત્યારે વિદેશી મુસ્લિમ રાષ્ટ્રોએ ભારતનો સામૂહિક વિરોધ નોંધાવેલો. એમાંનાં કોઈએ ઉદેપુરની આ હત્યાને મામલે અત્યાર સુધીમાં એક હરફ સુધ્ધાં કાઢયો નથી. એટલે બતાવવાના ને ચાવવાના તો બધે જ જુદા છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત કનૈયાલાલને ઘરે ખરખરો કરવા જઈ આવ્યા છે. તેમણે 31 લાખના વળતરની જાહેરાત પણ કરી છે ને ઘટનાના તાર પાકિસ્તાન સાથે જોડાતા હોવાનો સંકેત પણ આપ્યો છે. એ હકીકત છે કે આરોપીઓ પાસેથી 8થી 10 નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે જેની મદદથી આરોપીઓ સંપર્કમાં રહેતા હતા, એટલું જ નહીં, આરોપીઓ રાજસ્થાનના 8 જિલ્લાઓમાં આઈ.એસ.આઈ.એસ. માટે સ્લીપર સેલ પણ બનાવી રહ્યા હતા. કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાઓ શક્ય નથી એટલે હવે ટાર્ગેટ કિલિંગ દ્વારા દહેશત ફેલાવવામાં આવે છે, એ જ રીતે રાજસ્થાનમાં પણ કનૈયાલાલનો શિકાર થયો હોય એમ બને. રિયાઝે આતંકી હેતુઓ પાર પાડવા કરાંચીમાં 45 દિવસની ટ્રેનિંગ પણ લીધી છે ને તે દાવતે ઇસ્લામ નામનાં આતંકી સંગઠન સાથે જોડાયો હોવાનું પણ બહાર આવ્યું છે. એ સંસ્થાના મૌલાનાએ રિયાઝનું બ્રેઇન વોશ કર્યું હતું. કનૈયાલાલની હત્યા કરવાનું 20 જૂને નક્કી કરવામાં આવ્યું હતું ને રિયાઝના તાર તો અન્ય આતંકી સંગઠન અલસુફા સાથે પણ જોડાયેલા છે જેની મદદથી જયપુર અને અન્ય શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરું પણ ઘડાયું હતું.

ચાર દિવસથી ઉદેપુરમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. ઈન્ટરનેટ સેવાઓ રાજ્યમાં બંધ કરી દેવામાં આવી છે, તો સમગ્ર રાજસ્થાનમાં મહિના માટે 144મી લાગુ કરી દેવાઈ છે. જયપુર, ઉદેપુરમાં લોકરોષ ચરમસીમાએ છે. સીટ અને એન.આઈ.એ.એ તપાસ હાથ ધરી છે. એસ.કે. એન્જિનિયરિંગ નામની ફેક્ટરી પણ તપાસ દરમિયાન હાથ લાગી છે જ્યાં આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે હથિયાર બનાવ્યું ને એ હથિયાર ત્યાંથી મળી પણ આવ્યું છે. અહીં હત્યા પહેલાં ને પછી વીડિયો પણ બનાવાયો હતો. હાલ તો સીટ દ્વારા ફેક્ટરી અને ઓફિસને જપ્ત કરવામાં આવી છે. હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા ગુરુવારે મૌન રેલી કાઢવામાં આવી હતી ને રાજ્યભરમાંથી હત્યારાઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે એવી માંગ ઊઠી છે. આ એક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે.

એક વાત સ્પષ્ટ છે કે આ કાવતરું છે અને પોલીસ અને સરકારની ઉદાસીનતાને કારણે એ પાર પડ્યું છે. કનૈયાલાલના બે દીકરાઓના કહેવા મુજબ જો પોલીસે રક્ષણ પૂરું પાડ્યું હોત તો તેમનો પિતા જીવતો હોત, પણ પોલીસે વાતને ગંભીરતાથી લીધી નહીં ને પરિણામ હત્યામાં આવ્યું. રાજ્ય સરકાર પણ રાજસ્થાનમાં ચાલી રહેલી આતંકી હિલચાલને મામલે જોઈએ એટલી સજાગ નથી જણાતી. જયપુરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની વાતો તો હવે બહાર આવી ગઈ છે, પણ એ ઉપરાંત પણ બીજી વાતો હશે જે બહાર આવી નથી. એ અંગે સરકાર સતર્ક નહિ રહે તો આતંકીઓનો ઇરાદો તો રાજસ્થાનને ભડકે બાળવાનો છે જ. સરકારે પૂરતી સતર્કતા દાખવવાની રહે જ છે.

એ પણ છે કે મોટે ભાગના વિધર્મીઓ આ દેશમાં શાંતિથી રહે જ છે ને તે ભારતીય જન જીવનમાં ભળી-ગળી ગયેલા છે, પણ કેટલાક કટ્ટરવાદી તત્ત્વો શાંતિ નથી જ ઇચ્છતા. કોઈને કોઈ રીતે ઝનૂન પોષ્યાં વગર એમને રાહત થતી નથી. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને પણ ધ્યાન ખેંચતા કહ્યું છે કે મદ્રેસાઓમાં અપાતું શિક્ષણ નાનેથી જ બાળકોમાં ઝનૂન જ સીંચે છે. આવું કરવાથી શું હાથમાં આવતું હશે તે નથી ખબર, પણ એનાથી બીજાઓને તો ઠીક પણ એ કટ્ટરવાદીઓના હાથમાં પણ કૈં આવતું હોય એમ લાગતું નથી. લોહી વાવવાથી તો લોહી જ ઊગે ને ! કેમ એવું છે કે ધર્મો લાગણી, પ્રેમ અને સહકારના અભાવમાં જ લાગણી, પ્રેમ અને સહકારની અપેક્ષા રાખે છે? ગળાકાપ સ્પર્ધાઓ વચ્ચે જીવન રોજે રોજ સાંકડું થતું જાય છે ત્યારે ખરેખર ગળું કાપવાથી તો જિંદગી વધારે સાંકડી થઈ રહી છે તે કેમ નહીં સમજાતું હોય? કોઈને હવે દયા, માયા, પ્રેમની જાણે જરૂર જ ન રહી હોય તેમ સૌ બેફિકર ને બેફામ થઈ ગયા છે. આ બરાબર છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જુલાઈ 2022

Loading

ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનજી સાહેબ

દીપક મહેતા|Opinion - Opinion|1 July 2022

પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી મુદ્રણનો પાયો નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એમનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. હા, મોટે ભાગી આપણે તેમને પહેલવહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક-તંત્રી તરીકે ઓળખીએ છે, પણ ફરદુનજીનો ફાળો એના કરતાં ઘણો વધુ મોટો છે. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહિ. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી. પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા તે પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.

પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાઈબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં એક આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ! પણ પછી અણધારી રીતે અંગ્રેજ સરકારના લશ્કરના દેશી સિપાઈઓ માટેની ટોપીનાં ખોખાં બનાવવાનું કામ મળી ગયું. થોડા દિવસમાં એકલે હાથે ૩૦૦૦ ખોખાં બનાવી દોઢ હજાર રૂપિયા કમાયા!

બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? ૧૮૧૨માં કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે તેમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું તેને ન પોતાનું નામ આપ્યું, ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહિ! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. એમણે શરૂ કરેલું પંચાંગ આજે પણ દર વર્ષે નિયમિત પ્રગટ થાય છે, ‘મુંબઈ સમાચાર પંચાંગ’ તરીકે. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તકો છાપ્યાં : ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં, એક ગુજરાતીએ, પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. તેમાંનું એક તે ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક તે સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલો પહેલો અનુવાદ. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. તેમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી તેમ પ્રેસ મોટું કરતા ગયા.

અને પછી એ જ પ્રેસમાં છાપીને ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે શરૂ કર્યું અઠવાડિક ‘શ્રી મુમબઈનાં શમાચાર’ જે આજે પણ ‘મુંબઈ સમાચાર’ નામે પ્રગટ થાય છે. માત્ર આપણી ભાષામાં નહિ, માત્ર આપણા દેશમાં નહિ, આખા એશિયામાં આજે પ્રગટ થતાં બધી ભાષાનાં અખબારોમાં સૌથી જૂનું અખબાર. તે વખતે માસિક લવાજમ રાખેલું બે રૂપિયા. પહેલો અંક છપાયો તે પહેલાં ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા. પચાસ નકલો મુંબઈ સરકારે નોંધાવેલી. બાકીના ગ્રાહકોમાં ૧૪ અંગ્રેજ, ૮ હિંદુ, ૬ મુસ્લિમ, અને ૬૭ પારસી હતા. પછીનાં દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાતા થયા.

પણ ચડતી પછી પડતી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ થયો તેમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, ‘મુંબઈ સમાચાર’ અને તેનું છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના અંગ્રેજ હકુમતામાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા, અને ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા. કારણ દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. પણ જીવ હતો છાપખાનામાં. એટલે દમણમાં પહેલા લિથોગ્રાફ અને પછી મુવેબલ ટાઈપ વાપરતું છાપખાનું શરૂ કર્યું. તેમાં પણ થોડાં પુસ્તકો છાપ્યાં. સાથોસાથ વૈદક અને જ્યોતિષીના ધંધા પણ કર્યા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. ગુજરાતી મુદ્રણ રૂપી શકુંતલાના જનક વિશ્વામિત્ર હતા બહેરામજી છાપગર, પણ ફરદુનજી તેના પાલક પિતા બન્યા. એટલું જ નહિ, ફરદુનજી એટલે અર્વાચીન યુગના પહેલા ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહિ, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર.

Loading

જેનું સન્માન કરવું જોઈએ તેને જેલમાં પૂરવાની જરૂર કેમ પડી?

રમેશ સવાણી|Opinion - Opinion|1 July 2022

સોશિયલ મીડિયામાં સ્વાર્થી અને ક્રિમિનલ માનસિકતાવાળા લોકો જુઠ્ઠાણાં/ગપ્પાં હાંકતા હોય છે. બાંગ્લાદેશની હત્યાનો વીડિયો પશ્ચિમ બંગાળનો છે, તેમ કહીને નફરત/ધૃણા ફેલાવતા હોય છે. બિહારમાં મુસ્લિમો દ્વારા એક હિન્દુને માર મારવામાં આવે છે, તેવો વીડિયો હકીકતમાં બાંગ્લાદેશનો હતો ! મારવાડી છોકરીને બુરખો ન પહેરવા બદલ સળગાવી દેવાની ઘટનાનો વીડિયો ગ્વાટેમાલાનો હતો ! આવા વીડિયો સાચા છે કે ખોટા તે ચેક કરવાનું કામ ‘ઓલ્ટ ન્યૂઝ’ કરે છે. Alt-ઓલ્ટ ન્યૂઝની સ્થાપના અમદાવાદમાં 2017માં થઈ હતી. તેના સ્થાપકો છે પ્રતીક સિંહા (જન સંઘર્ષ મંચના સ્થાપક, એડવોકેટ મુકુલ સિંહાના પુત્ર) અને મોહમ્મદ ઝૂબૈર. બન્ને સાચુકલા Software engineer છે. તેમની સત્યની શોધના કારણે અસંખ્ય કિસ્સાઓમાં ધૃણાનું વાવાઝોડું ફેલાતું અટકી ગયું છે અને અનેક લોકોના જીવ બચી શક્યા છે ! દિલ્હી પોલીસે 27 જૂન 2022ના રોજ, IPC કલમ-153A (જુદા જુદા સમૂહો વચ્ચે દુશ્મનીને ઉત્તેજન આપવું.) અને 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય) હેઠળ મહમ્મદ ઝૂબૈર(33)ને એરેસ્ટ કરી જેલમાં પૂરેલ છે !

બે સંસ્થાઓએ; ઝૂબૈર સામેની દિલ્હી પોલીસની કાર્યવાહીનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે. EGI-એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ 28 જૂન 2022ના રોજ, કહ્યું છે : ‘નૂપુર શર્માએ ટી.વી. ડિબેટ દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરેલ; તેને પ્રકાશમાં લાવનાર ઝૂબૈર સામે પોલીસે ઈરાદાપૂર્વક ખોટી કાર્યવાહી કરી છે ! ઝૂબૈરને તાત્કાલિક છોડી મૂકવામાં આવે અને તેમની સામેનો કેસ પરત ખેંચવામાં આવે !’ ઓનલાઈન ન્યૂઝ સંગઠન DIGIPUB News India Foundationએ 27 જૂન 2022ના રોજ કહ્યું છે : ‘એક લોકતંત્રમાં, જ્યાં પ્રત્યેક વ્યક્તિને બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીનો હક છે. પત્રકારો સરકારી સંસ્થાઓના દુરુપયોગ સામે જાગૃત પ્રહરીની ભૂમિકા નીભાવે છે; તેમની સામે કાયદાનો દુરુપયોગ ઉચિત નથી !’ આશ્ચર્યની વાત એ છે કે 2018માં ઝૂબૈરે ટ્વિટ કરેલ તેનો ગુનો જૂન 2022માં દાખલ થયો છે ! ઝૂબૈરે ટ્વિટમાં લખેલ કે “2014 સે પહલે : હનીમૂન હોટલ ઔર 2014 કે બાદ : હનુમાન હોટલ !” ટ્વિટમાં એક તસ્વીર હતી તેમાં હનીમૂન હોટલના સાઈનબોર્ડમાં સુધારો કરીને હનુમાન હોટલ કરેલ હતું ! હનુમાનભક્ત @balajikijaiinએ ટ્વિટ કરેલ કે ‘હમારે ભગવાન હનુમાનજી  કો હનીમૂન સે જોડના હિન્દુઓ કા સીધા અપમાન હૈ; ક્યોંકિ વહ બ્રહ્મચારી હૈ. કૃપયા ઈસ આદમી કે ખિલાફ કાર્યવાહી કરેં.’ ઝૂબૈરે ટ્વિટ સાથે જે ચિત્ર મૂકેલ તે વાસ્તવમાં 1983માં બનેલ રુષિકેશ મુખર્જીની કોમેડી ફિલ્મ ‘કિસી સે ન કહેના’નું હતું ! આ ‘હનુમાનભક્ત’નું ટ્વિટર એકાઉન્ટ 30 જૂન 22ના રોજ ગાયબ થઈ ગયું છે ! દિલ્હી પોલીસ ફરિયાદી ‘હનુમાનભક્ત’ને શોધી રહી છે ! 2018ના ધાર્મિક લાગણી દુભાવનાર ટ્વિટ અંગે 2022માં અદૃશ્ય ફરિયાદી ફરિયાદ કરે અને દિલ્હી પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તે ચમત્કાર જ કહેવાય ! બીજી તરફ, દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાના નૂપુર શર્માને એરેસ્ટ કરવાનું વિચારી પણ શકતા નથી !

ઓલ્ટ ન્યૂઝ દેશના લગભગ મોટા-નાના મીડિયા હાઉસની ખબરોનું ‘ફેક્ટચેક’ કરે છે. તેણે અનેક ફેઈક ન્યૂઝના પર્દાફાશ કરેલ છે. ઓલ્ટ ન્યૂઝની આ કામગીરીને દેશ-વિદેશમાં બિરદાવવામાં આવી છે. PRIO-Peace Research Institute Osloએ; ઝૂબૈર તથા ઓલ્ટ ન્યૂઝના સંસ્થાપક પ્રતીક સિંહાને નોબલ શાંતિ પુરસ્કાર માટે પોતાના વાર્ષિક શોર્ટલિસ્ટમાં સામેલ કર્યા હતા ! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝૂબૈરની એક મોટી ફેન ફ્લોઈંગ છે. સવાલ એ છે કે જેનું સન્માન કરવું જોઈએ તેને જેલમાં પૂરવાની જરૂર કેમ પડી? ઓલ્ટ ન્યૂઝ ટીમે 2019માં ‘India Misinformed : The True Story’ નામનું પુસ્તક લખ્યું છે, જે સત્તાપક્ષને બહુ ખટકે છે ! તેમાં જમણેરી વેબસાઈટસ તથા જૂઠા/ખોટા સમાચાર આપતા 40 સ્રોતોની ઓળખ કરી છે. સત્તાપક્ષના IT Cellના જૂઠનો સતત પર્દાફાશ કરનારને કોઈ પણ રીતે ચૂપ કરવા સરકાર તત્પર બની જાય તે સમજી શકાય તેમ છે. સમાજમાં  ધ્રુવીકરણ ઈચ્છતા અને દુષ્પ્રચાર કરનારાઓને ઝૂબૈરની સતર્કતા આંખના કણાની જેમ ખૂંચતી જ હોય !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3381,3391,3401,341...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved