Opinion Magazine
Number of visits: 9669876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોરબી હોનારત : એક્ટ ઓફ ગોડ નહીં, એક્ટ ઓફ ફ્રોડ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 November 2022

ભારતમાં પુલોનાં નિર્માણમાં બેદરકારી રાખવામાં આવે છે તે વાત નવી નથી. એમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો હોય છે તે વાત પણ નવી નથી. દરેક સરકારે આ બાબતમાં ઉદાસીનતા સેવી છે (અથવા તેમની મિલીભગત છે) તે પણ એટલી જ જાણીતી વાત છે. મોરબીના ઝૂલતા પુલની હોનારત, આપણી સિસ્ટમની ખામીનું પરિણામ છે. જે દેશમાં માણસના જીવનની કિંમત ન હોય, જ્યાં દંગાઓ કે દુર્ઘટનાઓમાં માણસોનું મરી જવું કર્મોનું ફળ કે ઈશ્વર-ઈચ્છા ગણાતું હોય, ત્યાં સિસ્ટમ નબળી અને ભ્રષ્ટ હોય તેમાં નવાઈ નથી.

દરેક દુર્ઘટનામાં બને છે તેમ, મોરબીની ઘટનામાં પણ છીંડે ચઢ્યો તેને ચોર માનીને ‘ન્યાય’ તોળી લીધાનો સંતોષ લઇ લેવામાં આવશે, પરંતુ આ હોનારત દેશમાં કેવું પોલંપોલ ચાલે છે તેની લેટેસ્ટ સાબિતી છે, અને એ છેલ્લી પણ નહીં હોય.

ભારતમાં, 1977થી 2017 સુધીના સમયગાળામાં 2,130 પુલો તૂટી પડ્યાની ઘટનાઓ બની છે. એમાં ગરનાળાં કે ફૂટબ્રિજની તો વાત જ નથી. આ બધા પુલો કાં તો તેના નિર્ધારિત ઉદેશ્યમાં નિષ્ફળ ગયા છે અથવા નિર્માણની વિવિધ અવસ્થાઓમાં તૂટી પડ્યા છે. દેશની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટીસ્ટ ડો. રાજીવ ગર્ગનો અભ્યાસ કહે છે કે દેશમાં પુલ તૂટી પડવાનાં મુખ્ય કારણોમાં પ્રાકૃતિક દુર્ઘટના (80 ટકા), પૂર (50 ટકા), ધરતીકંપ (26 ટકા), ઘસારો (10 ટકા), વધુ પડતો ભાર (4 ટકા), ડિઝાઈન (4 ટકા) અને માનવીય ભૂલ (3 ટકા) છે. ડો. ગર્ગ નોંધે છે કે ભારતમાં પુલ નિષ્ફળ જવાની સરેરાસ ઉંમર 34.5 વર્ષની છે, જે ઘણી ઓછી કહેવાય. અમેરિકામાં એ ઉંમર 52 વર્ષની છે. વિડંબના એ છે કે આટલા મોટા દેશમાં આ પ્રકારનો અભ્યાસ એક માત્ર ડો. રાજીવ ગર્ગના નામે જ બોલે છે.

છેલ્લા ચાર દાયકામાં બનેલી પુલ તુટવાની ઘટનામાં કુલ કેટલાં લોકોનાં મોત થયાં તેના પણ કોઈ અધિકૃત આંકડા નથી, પરંતુ મીડિયાના અહેવાલોને આધાર માનીએ, તો છેલ્લા બે દાયકા(2001થી 2019)માં નાના-મોટા પુલ તુટવાથી કુલ 460 લોકોનાં મોત થયાં છે. તેમાં આ મોરબીનો આંકડો (135) ઉમેરીએ તો તે સંખ્યા 595 થાય છે. આ બધી ઘટનાઓમાં અલગ-અલગ કારણો હતાં, પણ એમાં એક સામ્યતા પુલોની કમજોરીની હતી. જૂનાં પુલો તૂટે એ તો સમજમાં આવે, પણ નવા કે નિર્માણાધીન પુલો તૂટે તેમાં માનવીય બેદરકારી જ કારણભૂત હોય, અને તેનું એક માત્ર કારણ ભ્રષ્ટાચાર જ હોય.

એવું નથી કે આ કોઈને ખબર નથી, પણ કોઈ બોલતું નથી અથવા બોલે છે તો સિલેક્ટીવ બોલે છે. યાદ છે, 2016માં કોલકત્તામાં ફ્લાયઓવર તૂટી પડ્યો અને તેમાં 27 લોકોનાં મોત થયાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું? તેમણે મમતા બેનરજીની સરકારને નિશાન બનાવતાં કહ્યું હતું કે, “આ દૈવી કૃત્ય એટલા માટે છે કે આ હોનારત ચૂંટણી ટાણે ઘટી છે, જેથી લોકોને એ ખબર પડે કે તેમની પર કેવી સરકારનું શાસન છે. ઈશ્વરે એ સંદેશો આપ્યો છે કે આજે આ પુલ પડ્યો છે, કાલે તે પૂરા બંગાળને ખતમ કરી દેશે. તમારા માટે ઈશ્વરનો સંદેશો બંગાળને બચાવાનો છે.” આ હોનારત એક્ટ ઓફ ગોડ નહીં, એક્ટ ઓફ ફ્રોડ છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

જે સામાન્ય માણસને ખબર છે તે વડા પ્રધાનને પણ ખબર છે; પુલોના નિર્માણમાં ભ્રષ્ટાચાર થાય છે. બસ, એના વિશે કશું થતું નથી. થાય છે તો ખાલી ભાષણબાજી. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેટલા પૂરતા એક્શન લેવાય છે, પણ સમાચારોની શ્યાહી સુકાઈ જાય, પછી બધું રાબેતા મુજબ થઇ જાય છે. ગમે તેની સરકાર હોય, ભારતમાં અમુક બાબતો ક્યારે ય બદલાતી નથી, તેનું કારણ એ છે કે આપણે બદલાવનો દેખાડો કરીએ છીએ પણ પાયામાં આપણને માનવ જીવની કિંમત નથી.

પશ્ચિમના દેશો આટલો વિકાસ કરી શક્યા છે, તેનું કારણ ઈશ્વરની મહેરબાની નથી. તેનું કારણ ત્યાં માનવીય જીવનનું ઘણું મૂલ્ય છે. સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ન્યાયિક વ્યવસ્થા, ત્યાં દરેક સિસ્ટમના હૈયે પ્રત્યેક જીવનું મહત્ત્વ છે. એવું નથી કે ત્યાં ભ્રષ્ટાચાર નથી થતો. થાય છે અને ઘણો મોટો થાય છે, પરંતુ એ આમ લોકોના જીવના ભોગે નથી થતો. નાગરિકોના જાન-માલની રક્ષા ત્યાંની સરકારો માટે પહેલી પ્રાથમિકતા હોય છે અને લોકો સરકાર પાસે તેનો જવાબ માગી શકે છે. માત્ર ભારત જેવા થર્ડ વર્લ્ડના દેશોમાં જ ભયાનકમાં ભયાનક દુર્ઘટનાઓમાં સરકારોના પેટનું પાણી નથી હાલતું.

ભારતમાં રોડ-રસ્તા અને પુલનું નિર્માણ દરેક સ્તરે દૂઝણી ગાય જેવું છે. એકદમ પાયાની કહેવાય તેવી આ જરૂરિયાતોમાં પણ છ પ્રકારના લોકો તેમનાં નાણાંકીય હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઈજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.

આપણાં શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ તેના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને તેને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને “માથાનો દુઃખાવો” ગણે છે અને “ગમે-તેમ” કરીને તે પતે અને જાન છૂટે તેની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ કે પુલ મળે છે તે જ એક મોટો ચમત્કાર છે.

ગયા એપ્રિલ મહિનામાં બિહારમાં ગંગા પરનો નિર્માણાધીન પુલ તૂટી પડ્યો ત્યારે રોડ પરિવાન અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “આપણી પાસે એવી વ્યવસ્થા નથી જે પુલની આયુમર્યાદા કે  ટકાઉપણું નક્કી કરી શકે. આપણે અત્યાર સુધી આ ક્ષમતા હાંસલ કરી શક્યા નથી.” આ બતાવે છે કે આટલાં વર્ષોમાં આપણે કેટલું દુર્લક્ષ્ય સેવ્યું છે અને કેવી રીતે બેજવાબદાર સિસ્ટમ પેદા થઇ છે. બિહારની એ જ હોનારત બાબતે ગડકરીએ તેમના સચિવને પૂછ્યું, તો બાબુએ જવાબ આપ્યો હતો કે જોરથી પવન અને ઘેરું ધુમ્મસ આવ્યું એટલે પુલ તૂટી ગયો. મંત્રીજીએ બાબુને કહ્યું હતું, “તમે આઈ.એસ.એસ. ઓફિસર છો છતાં આવી વાતો કરો છો? પવનથી પુલ તૂટતો હોય?”

ખાટલે મોટી ખોડ એ છે કે રોડ-રસ્તા અને પુલમાં રાજકારણીઓના જ રસ અને હેતુ વધુ હોય છે એટલે તેમાં પ્રોફેશનલ ક્ષમતા વિકસી શકી નથી. પશ્ચિમમાં તમે રાજકારણીઓને પુલોના ઉદ્ઘાટન કરતાં જોયા છે?

2018માં, વારાણસીમાં એક ફ્લાયઓવર તૂટી પડ્યો તેમાં 18 લોકોનાં મોત થયાં હતાં. તે વખતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે યુ.પી. સ્ટેટ બ્રિજ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેકટર રાજન મિત્તલ સહિત છ લોકો સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. 2016માં, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પી.ડબલ્યુ.ડી. વિભાગનો હવાલો સંભાળ્યો હતો, ત્યારે તેમણે આ જ મિત્તલને પાણીચું પકડાવી દીધું હતું. કેમ? કારણ કે તેઓ અખિલેશના કાકા અને વિરોધી શિવપાલ યાદવના ‘ખાસ’ મનાતા હતા. શિવપાલને પણ ત્યારે મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. 2017માં, ભા.જ.પ. સત્તામાં આવ્યો, ત્યારે મિત્તલની એમ.ડી. તરીકે વાપસી થઇ હતી. આ વખતે તેઓ પી.ડબ્લ્યુ.ડી. મંત્રી અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ‘ખાસ’ હતા.

મોરબી હોનારતમાં જે નીચલા સ્તરના લોકોને પકડવામાં આવ્યાં હતા, તેમાં આ બ્રિજનું સંચાલન કરતી ‘ઓરોવા’ કંપનીના એક મનેજરે સ્થાનિક કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે કંપનીએ તો ખૂબ કામ કર્યું હતું, પણ આ દુર્ઘટના ઈશ્વરની ઈચ્છા હશે એટલે બની હશે.

વધતા ઓછા અંશે, દેશનાં તમામ પાટનગરોમાં આવી જ રીતે ‘ઈશ્વર’ની ઈચ્છાઓ પ્રમાણે થાય છે. આને જ ભગવાનના ભરોસે જીવવાનું કહે છે.

લાસ્ટ લાઈન :

“સત્તા માણસને ભ્રષ્ટ નથી બનાવતી; મૂર્ખાઓ જ્યારે સત્તામાં આવે ત્યારે સત્તા ભ્રષ્ટ થાય છે.”

— જ્યોર્જ બર્નાડ શો, ઇંગ્લિશ નાટ્યકાર

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 06 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઇલા ભટ્ટઃ  ગાંધીજીની ટેક રાખી, સ્વાશ્રયી બહેનોનાં આર્થિક સ્વરાજનાં ઘડવૈયાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 November 2022

ઈલા ભટ્ટ કહેતાં કે સશક્તિકરણ એક ક્રિયાપદ છે સંજ્ઞા નથી. કર્મશીલ જેમના થકી જિંદગીઓ બદલાઈ નહીં ઘડાઈ પણ તેમની વિદાય પછી આપણામાં પ્રેરણારૂપે જીવતાં ઇલા ભટ્ટનાં મૂલ્યોનું અમલીકરણ સૌથી મોટી શ્રદ્ધાંજલિ

ગાંધી બાપુ સ્ત્રી હોત તો? આ સવાલનો જવાબ છે ખાદીની સાડી, નાનો ગોળ ચાંદલો, સરસ રીતે ઓળાયેલા વાળ, મીઠો અવાજ, હેતાળ સ્મિત અને મક્કમ વ્યક્તિત્વમાં – એટલે કે ઇલા ભટ્ટમાં. નેશનલ ટ્રેડ યુનિયન સેલ્ફ એમ્પ્લોયડ વિમન એસોસિયેશન(SEWA – સ્વાશ્રયી મહિલા સેવા સંઘ – 1972)નાં સ્થાપક ઇલા ભટ્ટ હવે સદેહે નથી. પણ એ ખરેખર નથી? 89 વર્ષની વયે, ૨જી નવેમ્બરે અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં બપોરે ૧૨.૨૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો. ૩જી નવેમ્બરની સવારે જ્યારે માનવ મેદની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટેની પ્રક્રિયાઓ આગળ વધી રહી હતી, ત્યારે સેવા સાથે જોડાયેલી ગુજરાતના વિવિધ ગામડાંઓની બહેનોનો અવાજ ગુંજી રહ્યો હતો, ‘દરેક બહેન, ઇલા બહેન..’ – આ અવાજ ઘૂંટાતો જતો હતો. આ સંજોગોમાં એમ કહેવું કે ઇલા ભટ્ટ હવે નથી, એ કેટલું યોગ્ય? હવે તો બહુ બધાં ઇલા ભટ્ટ છે, ક્યાંક – કોઇને કોઇ રીતે પોતાનું કર્મ આગળ ધપાવતાં, ગાંધી મૂલ્યોની શીખીને એ પ્રમાણે જીવનારી દરેક બહેનમાં ઇલા ભટ્ટ જીવે છે.

રેમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, નિવાનો પીસ પુરસ્કાર, રાઇટ લાઇવલીહુડ એવોર્ડ, રેડક્લિફ પદક – આ ઇલા ભટ્ટને મળેલાં કેટલાંક સન્માનો અને પુરસ્કારોનાં નામ છે. તેમને મળેલાં માન અકરામની યાદી આખો લેખ ભરાશે તો ય ઓછી પડશે એટલાં છે, પણ ઇલા ભટ્ટ માત્ર આ સરપાવો કે સન્માનોમાં નહીં સેવાની બહેનો સાથે, લારી ધકેલીને વેપાર કરનારાઓ સાથે, રૂડીના રેડિયોમાં તો રાધનપુરમાં પડતર થયેલી જમીનમાં ઉગાડેલાં શાકભાજીના ક્યારામાં તો કચ્છનાં અંતરિયાળ વિસ્તારોમાં ભરતમાં આભલાં ભરતી બહેનોની સોયની મજબૂતાઇમાં ઓળખાતાં આવ્યાં છે અને એમ જ ઓળખાતાં રહેશે. નેલસન મંડેલા હોય કે હિલેરી ક્લિન્ટન કે પછી બાન કી મુન કે પછી જમુબહેન, મંજુલાબહેન કે અનિતાબહેન – ઇલા ભટ્ટ બધાં સાથે, બધાં માટે એક સરખાં. એમને નારીવાદી કે ગાંધીવાદી કહેવાં જોઇએ? ઇલા ભટ્ટને કોઇ વાદ સાથે સંબંધ હતો જ નહીં માત્રને માત્ર કર્મ સાથે સંબંધ હતો, છતાં ય આ સ્ત્રીઓના ઉત્થાન માટે, તેમને પગભર બનાવવા માટે તેમણે જે કર્યું તેમાં ગાંધીજી પણ અનેકવારી જીવી ગયાં તો સ્ત્રી સ્વાતંત્ર્યનો વિચાર વાસ્તવિકતામાં ફેરવાયો. ઇલા ભટ્ટ રાજા બનવામાં નહીં સાથે રહીને આગળ વધવામાં, નવાં આગેવાનો ઘડવાનાં લક્ષ્યને પાર પાડવામાં વ્યસ્ત રહેતાં. તેમની કામગીરીનાં પરિણામો નજર સામે દેખાય છે પણ મહિલા કામદારો માટે પિતૃસત્તાક સમાજમાં તેમણે જે લડત આપી હશે તેની તીવ્રતા તેને જોનારાં, અનુભવનારાં જ કળી શકે.

જે વર્તાતા નથી, જે દેખાતા નથી એમના અધિકારો માટે હોહા કર્યા વિના કેવી રીતે લડી શકાય તેના પુરાવા ઇલા ભટ્ટે આપ્યાં. અંગ્રેજીમાં તેમને માટે એક વિશેષણ વપરાતું આવ્યું છે, ‘જેન્ટલ રિવોલ્યુશનરી’ – મૃદુ ક્રાંતિકારી. તેમનાં મૌન અને મક્કમતા સામે ભલભલાએ નમતું જોખવું પડ્યું છે તો તેમના પ્રોત્સાહન અને પ્રેમથી લાખો સ્ત્રીઓને પોતાની આવડતનો પરિચય થયો છે.

ઇલા ભટ્ટે એવું ઘણું કર્યું જે કદાચ પહેલી જ વખત થયું હતું. ભારતમાં માઇક્રોફાઇનાન્સનાં જનની ગણતાં ઇલા ભટ્ટને પગલે ગરીબ સ્ત્રીઓ દ્વારા અને ગરીબ સ્ત્રીઓ માટે સૌથી પહેલી માત્રને માત્ર સ્ત્રીઓની સેવા કો-ઑપરેટિવ બૅંક શરૂ કરાઇ, જેને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ પણ મંજૂરી આપવી પડી. પચાસ વર્ષ સુધી બચતમાંથી ગામડાંની પગભર થયેલી તથા થવા માંગતી બહેનોને ડિવીડન્ડ મળ્યું. અમદાવાદ માટે ગૌરવની વાત એ છે કે બીજા કોઇ શહેરમાં એવી કોઇ બૅંક નથી જે હજારો – લાખો નહીં પણ કરોડોનું ક્રેડિટ તેના ખાતેદારોને આપતી હોય. જ્યારે પ્રગતિની વાત કરવી હોય તો ઇલા ભટ્ટે સેવા થકી કરેલી આ પ્રગતિથી મોટું તો વળી બીજું શું હોઇ શકે? કારણ કે સમાજના સૌથી નિમ્ન સ્તરે પૂંજીકરણ – મૂડીકરણ થયું હોવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઇ બીજું નથી. 

ગાંધીજીના ગમતાં ભજનમાં જે વૈષ્ણવજનનો ઉલ્લેખ છે તે ઇલા ભટ્ટ જેવાં જ હોઇ શકે. તેમનાં કામ થકી તેમના સુધી ઘણાં લોકો પહોંચ્યાં. અશ્વેતોની લડાઈનાં આગેવાન – જે આગવાં ગાંધીવિચાર જીવી રહ્યા હતા તેવા નેલ્સન મંડેલાએ ‘ધી એલ્ડર્સ’ નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું, જેમાં જીમી કાર્ટર, માર્ગારેટ થેચર જેવાં વૈશ્વિક સ્તરનાં પૂર્વ રાષ્ટ્ર આગેવાનો સભ્ય હતાં. ઇલા ભટ્ટ પણ આ ગ્રૂપનાં સભ્ય હતાં. કામગીરી વિશે વાત થતી ત્યારે અંતે ઇલા ભટ્ટનું મંતવ્ય પૂછવામાં આવતું કારણ કે જમીન સાથે જોડાઈને નહીં પણ ઘસાઈને કામ કરનારાં વૈશ્વિક આગેવાન તરીકે તો ઇલા ભટ્ટ જ હતાં. નેલ્સન મંડેલા ભારત જ્યારે તેમના ઘરે ‘ટોય હાઉસ’માં આવ્યા, ત્યારે ઇલા બહેને તેમને મોજાં ભેટ આપ્યા હોવાનો પ્રસંગ પણ મજાનો છે.

સ્ત્રીઓની ભાગીદારીમાં જ્યારે રોકાણ થાય ત્યારે બહેતર સમાજ ઘડાય એવું તે દૃઢતાથી માનતાં અને માટે જ તેમનો સિદ્ધાંતનો હિસ્સો હતાં સ્ત્રી, કર્મ અને શાંતિ.

ગાંધીજીના વિચારોને આત્મસાત કરનારાં, આગેવાન છતાં ય એક સ્વયંસેવક જેવું જીવન જીવનારાં ઇલાબહેને સતત એ અહિંસક સ્વસ્થ સ્વાશ્રયી સમાજ ઘડવાની કામગીરી કરી, એવો સમાજ જેના કેન્દ્રમાં સ્ત્રી હોય.

સ્ટ્રોક પછી ઇલા ભટ્ટ ફરી બેઠાં થયાં પછી ફરી માંદગીએ ઘેરો ઘાલ્યો. હૉસ્પિટલમાં હતાં ત્યારે ડૉક્ટર ‘તમારું નામ શું?’ પ્રકારના સવાલો ચોકસાઈ માટે પણ કરે તો આઇ.સી.સી.યુ.માં રહેલાં ઇલા ભટ્ટના મુંગા ચહેરા પર અણગમો છલકાઈ આવતો. સ્ટ્રોક આવ્યો – સાજા થયાં, તબિયત બગડતાં ફરી હૉસ્પિટલ જવું પડ્યું, ગોલ્બ્લેડરની સર્જરી કરી એ પછી પણ ગાવાનો રિયાઝ પૂર જોશમાં ફરી ચાલુ કરી દીધો હતો. ડૉક્ટરે જ્યારે એમ કહેલું કે, ‘મક્કમ થાવ, લડત આપો, જલદી સાજા થાવ’ ત્યારે સામે એમ પૂછ્યું હતું કે ‘લડત કેમ? તમારે બહારગામ જવાનું છે?’ સહેજ સારું લાગે તો કોઇ એકની એક વાત નહીં પણ કંઇ નવી માહિતી પર વાત માંડે એવા ઇલા ભટ્ટની સરળતા, તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમનું સ્મિત જ તેમની શક્તિ હતાં. સફેદ દીવાલો, લાકડાની ખુરશીઓ અને સેટીઓ વાળા નાનકડા ટોય હાઉસમાં જ પ્લાનિંગ કમિશન, રિઝર્વ બેંકની મિટીંગો થઇ, મેરી રોબિન્સન જેવાં અગ્રણીઓ પણ ત્યાં જ આવ્યાં અને આપણાં મહા-આત્મયી અને મહા – આત્મીય ઇલા ભટ્ટે ગીતો પણ ત્યાં જ ગાયાં.

બાય ધી વેઃ 

ઇલા ભટ્ટનાં અંતિમ સંસ્કાર ટાણે સેવાની બહેનોના નારામાં એક નારો હતો કે, ‘પચાસ લાખ હો કે રહેંગે’ .. હાલમાં સેવા સાથે વીસ લાખ બહેનો જોડાયેલી છે અને પોતાનાં બહેનને વિદાય આપતી વેળા આ દરેક સ્ત્રીએ ઇલા ભટ્ટને અને પોતાની જાતને સેવાની મજલ કેટલી આગળ ધપવાની છે તેનું વચન આપ્યું. તેમણે છેલ્લે જે શાલ ઓઢી હતી તે શાલ પર તેમના કુટુંબનાં સૌથી નાનાં સભ્યથી માંડીને સૌથી મોટાં સભ્યનાં હાથની છાપ લેવાઇ, તેમની તસવીરની આસપાસ રજનીગંધા અને મોગરાનાં ફૂલો એવાં મઘમઘતા હતાં કે જાણે દરેક શ્વાસે ધ્યાન ધરો તો કદાચ ઇલા ભટ્ટનો બહુ જાણીતો મીઠો અવાજ સુદ્ધાં કાને અથડાય. ઇલા ભટ્ટને સલામ અને ઇશ્વરનો પાડ કે આપણને, આપણાં સમાજને, ગામડાંની બહેનોને અને એમણે જેમને પ્રેરણા આપી એવાં તમામ વર્લ્ડ લીડર્સને એ મળ્યાં. ઇલા ભટ્ટ સાથે સંકળાયેલાઓનો અનુબંધ જોજનો સુધીનો છે અને રહેશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 નવેમ્બર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—169

દીપક મહેતા|Opinion - Opinion|6 November 2022

પોર્ટુગીઝ પાઉં અને મરાઠી ભાજીના કેવા રે મળેલા મનના મેળ!

ફૂટ પાથ પર વેચાતી વાનગી પહોંચી વૈભવી હોટેલોમાં   

માનશો? મુંબઈગરાઓ જેને પાઉંભાજી કહે છે, અને ગુજરાતમાં જેને ભાજીપાઉં કહે છે તેના નામમાંના બે શબ્દોમાંનો એકે શબ્દ ગુજરાતી નથી! એ ઝાપટવામાં કદાચ ગુજરાતીઓ નંબર વન છે, છતાં! માત્ર પાઉં શબ્દ જ નહિ, એ વાનગી પણ પોર્ટુગીઝોની દેણ છે. કારણ હિન્દુસ્તાનમાં પાઉં લાવ્યા પોર્ટુગાલીઓ. પોર્ટુગીઝ ઉચ્ચાર ‘પાઓ.’ ગુજરાતીમાં નાન્યતર જાતિમાં વપરાય છે, પણ મૂળ પોર્ટુગીઝમાં છે નર જાતિ. જૂની પોર્ટુગીઝમાં પાન, લેટિનમાં પાનેમ. આપણે ત્યાં હિન્દી અને મરાઠીમાં ‘પાવ’, બંગાળીમાં ‘પાવ-રોટી.’

ટૂંકમાં એક જાતનું ‘બ્રેડ’ જે પોર્ટુગીઝો સૌથી પહેલાં ગોવામાં લાવ્યા. પછી તેમની સત્તા આગળ વધતાં વધતાં મુંબઈ સુધી આવી, ત્યારે તેમની સાથે આ ‘પાઉં’ કે ‘પાવ’ પણ મુંબઈમાં દાખલ થયાં. હવે તો બ્રેડની જાતજાતની વેરાયટી મળતી થઈ છે પણ પાઉં-ભાજીમાં તો આ ‘દેશી’ પાઉં કે લાદી પાઉં જ ચાલે. એટલે કે આ વાનગીનો અડધો હિસ્સો પોર્ટુગીઝ છે. જો કે ‘પ્રમાણભૂત’ મનાતો સાર્થ ગુજરાતી જોડણીકોશ જુઓ તો તેમાં ‘પાઉં’ નહિ, પણ ‘પાંઉ’ જોવા મળે છે અને તે શબ્દ પોર્ટુગીઝ મૂળનો છે એમ પણ નોંધ્યું છે. પાઉં શબ્દ ભગવદ્ગોમંડળમાં જોવા મળે છે, પણ તેનો અર્થ આપ્યો છે: ‘ઢોકળા જેવો પોચો રોટલો.’ હવે તમે જ કહો, આટલું વાંચવાથી ‘પાઉં’ એટલે શું એ કોઈને સમજાય ખરું? અને હા, આ શબ્દ પોર્ટુગીઝમાંથી આવ્યો છે એવું તો નોંધ્યું જ નથી!

લાદી પાઉ

પણ માત્ર પાઉં પોર્ટુગીઝ દેણ છે એટલું જ નહિ. તેની સાથે ‘મિક્સ વેજિટેબલ્સ’ ખાવાની શરૂઆત પણ તેમણે જ કરી હતી. ૧૯૨૮માં અમેરિકામાં પહેલી વાર સ્લાઈસ્ડ બ્રેડ બનાવવામાં આવ્યું ત્યાં સુધી બધે ‘પાઉં’ની જ બોલબાલા હતી. આજે તો સ્લાઈસ્ડ બ્રેડની અનેક જાત બજારમાં મળે છે. પણ દેશી’ પાઉંની તોલે બીજું કોઈ ન આવે એમ ઘણા માને. મુંબઈમાં બેકરી વ્યવસાય મુખ્યત્વે પારસીઓ અને મુસ્લિમોના હાથમાં. એટલે એક જમાનામાં રુઢિચુસ્તો તો પાઉંને અડકે પણ નહિ. આજે હવે આવો છોછ ભાગ્યે જ કોઈ પાળતું હશે. પાઉંની લોકપ્રિયતાને કારણે કેટલીક મોટી કંપનીઓ પણ હવે ‘લાદી પાઉં’ બનાવે છે અને પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને વેચે છે. અસ્સલ બેકરીમાં મોટે ભાગે દિવસમાં બે વખત તાજાં પાઉં બને – વહેલી સવારે અને બપોરે. આવાં તાજાં પાઉંની સોડમ તમને પરાણે પાઉંની દુકાન તરફ ખેંચી જાય. બીજા વિશ્વયુદ્ધ વખતે અને તે પછી થોડાં વરસ દેશમાં લગભગ બધી વસ્તુની અછત હતી. પાઉંની પણ! રેશનમાં મળતા ઘઉં જતા કરો તો તેના બદલામાં પાઉં ખરીદવા માટેની કૂપન મળે. એ કૂપન પાઉંની કોઈ પણ દુકાનમાં આપીને પાઉં ખરીદવાના! અલબત્ત, એ વખતે ‘રેશનિંગ’ને કારણે ખાવાપીવાની ઘણીખરી વસ્તુઓ કાળાબજારમાં પણ વેચાતી તેમ પાઉં પણ કાળાબજારમાં વેચાતાં!

બીજું અડધિયું છે ‘ભાજી.’ આ લખનારે પૂરાં દસ વરસ ઉદર નિમિત્તે સેવ્યું દિલ્હી દ્વાર. ત્યારે ઘણી વાર ઓફિસની કેન્ટિનવાળા સાથે ગરબડ થતી. મોઢામાંથી આપોઆપ સવાલ નીકળી જાય : “આજ ભાજી ક્યા બનાઈ હૈ?” પેલો બાઘાની જેમ જોઈ રહે. કારણ હિન્દીભાષી પ્રદેશોમાં ‘સબ્ઝી’ બને, ભાજી નહિ. ભાજી શબ્દ ગુજરાતી અને મરાઠી બન્નેમાં વપરાય, પણ જુદા જુદા અર્થમાં. ગુજરાતીમાં મેથી, પાલખ, જેવાં શાક તરીકે વપરાતાં ‘લીફી વેજિટેબલ’ માટે ભાજી શબ્દ વપરાય છે. જ્યારે આપણે જેને ‘શાક’ કહીએ છીએ (દાળ, ભાત રોટલી, શાક) તેને માટે મરાઠીમાં ભાજી શબ્દ વપરાય છે. એટલે કે ‘પાઉંભાજી’માંનો બીજો શબ્દ ગુજરાતી નથી, મરાઠી છે. કારણ તેમાં જે વપરાય છે તે ગુજરાતી ભાજી નહિ, પણ મરાઠી ભાજી.

ઠીક છે. પોર્ટુગીઝ પાઉં અને મરાઠી ભાજી ભેગાં તો થયાં. પણ પછી આટલાં બધાં લોકપ્રિય કેમ થયાં? જવાબમાં કોઈ કહે કે અમેરિકન સિવિલ વોરને કારણે, તો તમે માનશો? પણ એ એક હકીકત છે. અમેરિકન સિવિલ વોરને કારણે ગ્રેટ બ્રિટનને રૂ કહેતાં કપાસની મોટી ખોટ પડી. કારણ ત્યાંની મિલો અમેરિકન કપાસ આયાત કરી કાપડ વણતી. વેપારી કોઈ પણ સ્થળ કે કાળના હોય, જે બાજુ ફાયદો જુએ એ બાજુ ઢળી જાય. પહેલાં પણ થોડું ઘણું રૂ હિન્દુસ્તાનથી ગ્રેટ બ્રિટન જતું. પણ હવે તેની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. એટલે ભાવ પણ આસમાને ગયા. ૧૮૬૧થી ૧૮૬૫ સુધી આ આંતરયુદ્ધ ચાલ્યું એ દરમ્યાન મુંબઈમાં પૈસાની રેલમછેલ થઈ. કપાસ ઉગાડવાવાળા ખેડૂતો ઉપરાંત તેની ગાંસડીઓ બાંધનારા, તેની હેરફેર કરનારાઓ, તેનો વેપાર કરનારાઓ, વગેરે ન્યાલ થઈ ગયા. કહેવાય છે કે મુંબઈમાં તો ઘણા લોકોએ ઘરનાં ગાદલાં-ગોદડાં ઉકેલીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું!

કપાસને લગતા કામકાજ માટે મજૂરો મોટી સંખ્યામાં મુંબઈ આવી કામ કરવા લાગ્યા. એ વખતે મજૂરોને લગતા કાયદા તો હતા નહિ. એટલે મજૂરો બાર-બાર કે તેથી ય વધારે કલાક કામ કરતા. ત્યારે એ લોકો ખાય શું? જવાબ : પાઉં-ભાજી. એટલે મિલ વિસ્તારમાં, કોટન-ગ્રીન (આજનું હોર્નિમન સર્કલ), એપોલો બંદર વગેરે વિસ્તારોમાં નાના નાના સ્ટોલ ઊભા થયા. તેમાં આ પાઉંની સાથે મરાઠી ભાજી વેચાતી. એ સ્ટોલવાળા બજારમાં જે સસ્તામાં સસ્તાં મળે એ શાક લાવીને, એ બધાંને ભેગાં કરીને ‘ભાજી’ બનાવતા અને પાઉં સાથે વેચતા. આ વાનગી બહુ મોંઘી નહિ, અને ખાધા પછી પેટ ભરાઈ જાય. વહેલી સવારથી મોડી રાત સુધી સ્ટોલ્સ પર આ પાઉં-ભાજી વેચાતી. કારણ પાળી બદલાય ત્યારે આવતા-જતા મજૂરો એ ખાઈને પેટ ભરે.

એ વખતની પાઉં-ભાજીમાં બીજાં શાક હોય કે ન હોય, બટેટાં તો રહેતાં જ. આજે પણ એક જૈન પાઉં ભાજીને બાદ કરતાં બટેટાં હોય જ. પણ હાડોહાડ સ્વદેશાભિમાનીઓને ખૂંચે એવી વાત એ છે કે આ બટેટાં કે બટાકા કે આલુ, સ્વદેશી નથી. પોર્ટુગીઝો આપણા દેશમાં આવ્યા ત્યારે પાઉંની જેમ બટેટાં પણ સાથે લેતા આવ્યા. હકીકતમાં ‘બટાટા’ શબ્દ જ પોર્ટુગીઝ ભાષાનો છે. જો કે હિબ્રૂ અને સ્પેનિશ જેવી ભાષાઓમાં આપણે જેને ‘શક્કરિયાં’ કહીએ છીએ તેને માટે તે વપરાય છે. જ્યારે પોર્ટુગીઝ, ગુજરાતી, મરાઠી, કોંકણી વગેરે ભાષાઓમાં ‘બટાટા’ ‘પોટેટો’ માટે જ વપરાય છે.

પોર્ટુગીઝોની ભારતને ભેટ, બટાટા

આમ જુઓ તો આ બટાટા મૂળ પોર્ટુગાલની પેદાશ પણ નહિ. મધ્ય અમેરિકાના પેરુમાં સાતથી દસ હજાર વરસ પહેલાં બટેટાંની ખેતી વ્યવસ્થિત રૂપે શરૂ થઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં સ્પેનિશ લોકો અમેરિકા અને ત્યાંથી યુરપ લઈ ગયા બટેટાંને. આજે મકાઈ, ઘઉં અને ચોખા પછી તેનું સ્થાન ચોથું આવે છે – ખેતીની પેદાશોમાં, અને ખાવામાં વપરાતી ‘ભાજી’ઓમાં. આજે દુનિયામાં પાંચ હજાર જાતનાં બટેટાં જુદા જુદા દેશોમાં ઉગાડવામાં આવે છે. દુનિયામાં બટેટાંનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે, ૭૮.૨ મિલિયન ટન. અને બીજે નંબરે આવે છે મેરા ભારત મહાન, ૫૧.૩ મિલિયન ટન.

જૈન પાઉં ભાજીમાં કાંદા લસણ તો ન જ હોય, પણ બટેટાંને બદલે કાચાં કેળાં નાખેલાં હોય. જ્યારે ચીઝ પાઉં ભાજીમાં ભાજી ઉપર ખમણેલું ચીઝ ઉમેર્યું હોય. ભાજીમાં દેશી પનીરના નાના ટુકડા અથવા મશરૂમ નાખીને પણ બનાવનારા અને ખાનારા હોય છે. આ બધા કરતાં કોલ્હાપુરી પાઉંભાજી થોડી જૂદી પડે. તેના મસાલામાં નાળિયેર (કે ટોપરું), સફેદ તલ, કાળા મરી, તજના ટુકડા, મેથીના દાણા અને લીલી વરિયાળી પણ હોય. બીજી બધી કોલ્હાપુરી વાનગીઓની જેમ કોલ્હાપુરી પાઉંભાજી પણ ખાસ્સી તીખી તમતમતી.

પાઉંભાજી બનાવવાની ખરી રીત એ છે કે ભાજી તવા પર જ બનાવાય, તપેલી જેવા બીજા કોઈ વાસણમાં શાકની જેમ નહિ. તેવી જ રીતે પાઉંને પણ વચ્ચેથી કાપી, માખણ લગાડી, પાઉં ભાજીનો મસાલો છાંટી, એ જ તવા પર શેકવાં જોઈએ. આ પાઉં ભાજીની શરૂઆત ભલે મિલ મજૂરોને કારણે થઈ. પણ વખત જતાં પહેલાં મુંબઈમાં અને પછી મુંબઈ બહાર પણ તે ખાસ્સી પોપ્યુલર થઈ. સ્ટ્રીટ ફૂડની આ વાનગીને પહેલાં હોટેલોએ અપનાવી. અને પછી તો તે ફાઈવ સ્ટાર હોટેલો સુધી પહોંચી. પણ ખરા ખવૈયા તો ‘બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધા કૃષ્ણ વિના તું બીજું બોલ મા’ની જેમ કોઈ ચોક્કસ દુકાનની જ પાઉંભાજી આરોગે. કાયમના ઘરાકને શું વધતું-ઓછું જોઈતું હોય છે તે દુકાનદાર પણ બરાબર યાદ રાખે. રસ્તા પરના કોઈ સ્ટોલ પાસે ઊભા ઊભા, શું વધારે, શું ઓછું નાખવું એ કહેતાં કહેતાં પાઉંભાજી ખાવાની જે લિજ્જત આવે તે કોઈ એરકન્ડીશન્ડ હોટેલમાં – પછી ભલે તે ગમે એટલા તારાવાળી હોય – ખુરસી કે સોફા પર બેસીને, ખાતાં ન જ આવે એમ ઘણાનો અનુભવ છે. ભેળ, પાણીપૂરી વગેરેની જેમ પાઉંભાજી પણ વ્યક્તિગત પસંદગી પ્રમાણે બનાવવાની અને ખાવાની વાનગી છે. એસેમ્બલી લાઈન પર બને તે પાઉં અને તેની સાથે પીરસવાની ભાજી બને. પાઉંભાજી નહિ. સાચી રીતે બનેલી વાનગીમાં પાઉં અને ભાજી જાણે એકબીજાંને કહી ન રહ્યાં હોય : ‘કેવા રે મળેલા મનના મેળ.’ અને એને ટેસથી આરોગનારા જાણે પ્લેટમાંનાં પાઉં અને ભાજીને જોઈને મનોમન ગણગણતા હોય : ‘એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો કેળ.’ અને એ ખાતી વખતે જો સાથે હોય ‘રુદિયાની રાણી’ તો તો પછી પૂછવું જ શું?

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 05 નવેમ્બર 2022

Loading

...102030...1,3381,3391,3401,341...1,3501,3601,370...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved