Opinion Magazine
Number of visits: 9569067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરમુખત્યાર શાસકોની મહત્ત્વાકાંક્ષાને પગલે લોકશાહીની પીછેહઠ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 October 2022

સરમુખત્યાર રાષ્ટ્રો લોકશાહીનું પોતાનું ‘વર્ઝન’ ચલાવે છે, પોતાની સત્તાનું આયુષ્ય લંબાય તેવો માહોલ ખડો કરે છે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા વિશ્વમાં સરકારો – ખાસ કરીને જ્યાં લોકશાહી હતી તેવા રાષ્ટ્રોની સરકારોનો ઝૂકાવ સરમુખત્યારશાહી તરફી થયો છે. એટલું જ નહીં પણ લોકશાહીનું દોરડું ઝાલી સત્તા પર પહોંચેલા નેતાઓ જે સરમુખત્યારી વલણ અપનાવી રહ્યા છે, તેમનું શાસન પણ લાંબુ ચાલી રહ્યું છે. બળાપા છતાં ય બધું એ જ રીતે ચાલ્યા કરે છે. આમ તો ઘણાં રાષ્ટ્રોમાં રાજકીય અસ્થિરતા છે જ પણ સરમુખત્યારી વલણનું એક ગજબ કહી શકાય તેવું ઉદાહરણ છે બ્રાઝિલનું. ૨૦૧૮માં જ્યારે જેર બોલસોનારો બ્રાઝિલના પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં તેમને મતદારોએ સાત ટર્મ સુધી કોંગ્રેસમાં મોકો આપ્યો હતો. ૨૦૧૮માં પહેલીવાર હારે તેવી શક્યતાઓ દેખાઇ ત્યારે બોલસોનારોએ એકથી વધારે વાર એમ કહ્યું હતું કે, “ભગવાન પણ મને પ્રમુખની ખુરશી પરથી નહીં હટાવી શકે.” જે લોકશાહીને કારણે તેને સત્તા મળી હતી તેનાથી સાવ વિરુદ્ધ આ વાત હતી. લોકશાહી પર જોખમ આખી દુનિયામાં વધી રહ્યું છે. ૧૨ દેશો એવા છે જ્યાં સ્થાનિક લોકશાહીનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફ પલટાયો છે. વેરાયટીઝ ઑફ ડેમોક્રસીના ડેટા અનુસાર પોલેન્ડ, નાઇજર, ઇન્ડોનેશિયા, બોત્સ્વાના, ગ્વ્આતેમાલા, ટ્યુનિશિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ગુયાના, મોરેશિયસ અને સ્લોવેનિયા – બ્રાઝિલ સિવાયના ૧૧ દેશ છે. ટર્કી, ફિલિપિન્સ અને હંગેરી જેવા દેશો લોકશાહીને બચાવવાની લડાઈમાં હથિયાર હેઠા મુકી ચૂક્યાં છે. લાંબા સમયથી જ્યાં લોકશાહી હતી તે દેશોમાં સરમુખત્યારી વલણનું મોજું ફરી વળ્યું છે તે તો ખરું પણ સરમુખત્યાર લીડર્સ વિશ્વ આખામાં સત્તાની બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. રશિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં સરમુખત્યારશાહી ઘર કરી ગઇ છે અને નાગરિકોની સ્વતંત્રતા પર કાતર ફરી વળી છે. ૨૦૦૦-ના દાયકાના પૂર્વાર્ધથી જ વૈશ્વિક સ્તરે લોકશાહીકરણની પ્રક્રિયા જાણે ખોટકાઇ ગઇ છે.

ચીન અને કતાર જેવા દેશોમાં સજ્જડ સરમુખત્યારશાહી છે – અહીં એકથી વધુ પક્ષોની વચ્ચે ચૂંટણી થાય એવી કોઇ વ્યવસ્થા જ નથી, એ પ્રથા તંત્રનો ભાગ જ નથી. જ્યાં ચૂંટણી લક્ષી સરમુખત્યારશાહી છે તેવા ટર્કી અને વેનેઝુએલા જેવા દેશોમાં ચૂંટણી થાય ખરી પણ નામ માત્રની – તેમાં પારદર્શિતા નહીં.  તેની સામે ચૂંટણીલક્ષી લોકશાહી હોય જેમ કે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં ચૂંટણી પારદર્શી અને વાજબી રીતે થાય પણ અમુક લઘુમતીને ત્યાં અધિકાર જ નથી અને નકરી અસમાનતા છે. ઉદારમતવાદી લોકશાહી જેમ કે જર્મની અને સ્વીડનમાં ચૂંટણીઓ સારી પેઠે થાય, લઘુમતીના અધિકારોની ખાતરી સાથે અને સત્તા વચ્ચે સંતુલન જળવાય.

ગયા અઠવાડિયે ઇટાલીમાં મતદારોએ બેનિટો મુસોલિનીની ફાસીવાદી સરમુખત્યારશાહીથી ઘડાયેલા પક્ષની ગઠબંધનની સરકારને સત્તાએ બેસાડી. ઇટાલીની સેન્ટર-લેફ્ટ પાર્ટી નેતાએ આ બદલાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને લોકશાહીને બચાવવાની પોતાની લડત નિષ્ફળ રહી તેવી લાગણી દર્શાવી હતી. વર્તમાન સંજોગોની વાત કરીએ તો આ શબ્દો વિશ્વના ઘણા રાષ્ટ્રો માટે પરિચિત છે. વિશેષજ્ઞોના મતે વિશ્વ આખામાં લોકશાહી પાછળ ધકેલાઇ રહી છે.  સ્વીડનમાં પણ થોડા વખત પહેલા નાઝીવાદી અને જમણેરી પક્ષને મતદારોનો જંગી ટેકો મળ્યો. ગમે કે ન ગમે, ફરીવાર કહેવાઇ રહ્યું હોય એવું પણ ભલે લાગે પણ વાસ્તવિકતા છે કે લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે અને સરમુખત્યારશાહીની પકડ મજબૂત થઇ રહી છે.

લોકશાહીનો વિકાસ ત્રણ તબક્કે થયો છે. પહેલાં તો ૧૯મી સદીની શરૂઆતમાં, ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અને છેલ્લે સિત્તેરના દાયકામાં – જ્યારે ૪૨ ઉદારમતવાદી લોકશાહી હતી. આજે આ આંકડો ૩૪નો છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વી-ડેમના રિપોર્ટ અનુસાર ઉદારમતવાદી લોકશાહીમાં રહેનારી વસ્તીની સંખ્યાની ટકાવારી પણ ૧૮ ટકાથી ૧૩ ટકા પર આવી ગઇ છે.

જે રીતે લોકશાહીના તબક્કા છે તે જ રીતે સરમુખત્યારશાહીના તબક્કા પણ વિશેષજ્ઞોએ આપ્યા છે – પહેલો તબક્કો હતો ૧૯૨૦ના દાયકામાં પછી, સાંઇઠના દાયકામાં અને હાલમાં ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પરિવર્તન હંમેશાં બળવા મારફતે નથી આવતા પણ કાયદેસર ચૂંટાયેલા નેતાઓને દ્વારા લવાય છે. એકવાર સત્તા પર આવ્યા પછી દરેક રાજકીય નેતા પોતાના હિત મુજબ રાજકીય માહોલ બદલે છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટાવાનો વખત આવે ત્યારે માહોલ તેમની તરફેણનો હોય અને તેમને જ જીત મળે. આમ થાય એટલે તેમને દરેક ચૂંટણીમાં સત્તા મળે જેની પર લોકશાહીની મહોર હોય – પછી ભલે તેમની કામગીરી અને અભિગમ લોકશાહીના નિયમોને નેવે મૂકી દે તેવી હોય.

યુરોપમાં આવી હળવી સરમુખત્યારશાહી ચલાવનારા છે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબ્રાન. ૨૦૧૦માં સત્તા પર આવ્યા પછી તેમણે માનવ અધિકારોને દૂર કર્યા, મીડિયાની સ્વતંત્રતા પર કામ મૂક્યો, ન્યાયતંત્રને વશમાં લીધું અને દેશમાં ચૂંટણી વ્યવસ્થાનું પણ નવેસરથી ઘડતર કર્યું. આ બધું કરવામાં આખી દુનિયાની નજરમાં તે જમણેરી વિચારધારાનું મૉડલ બની ચૂક્યા છે.

ફિલિપાઇન્સ જેવા દેશમાં પૂર્વ સરમુખત્યારના દીકરાને ચૂંટીને લોકોએ સત્તા પર બેસાડ્યો જેણે પ્રમુખ તરીકેના છ વર્ષમાં ન્યૂઝ મીડિયાને અસ્તવ્યસ્ત કરી દીધું અને ‘વૉર ઓન ડ્રગ્ઝ’ની લડતને પગલે હજારો લોકો મોતને ભેટ્યા. એલ સલ્વાડોરમાં પ્રમુખ નાયિબ બુકેલે 2019માં ચૂંટાયા અને ધારાસભા પર દબાણ લાવવા તેમણે કોંગ્રેસમાં સૈન્યને કામે લગાડ્યું તો સુપ્રિમ કોર્ટે જ્યારે તેમના સૈન્યને વાપરવાના ઇરાદાઓને રોકવાનો પ્રયત્ન કર્યો તો સુપ્રિમ કોર્ટનું પણ ઉલ્લંઘન કર્યું. પ્રમુખના કહ્યે હજારો લોકો આડેધડ કોઇપણ પ્રક્રિયા વગર જેલમાં પૂરી દેવાયા અને આખરે કટોકટી સર્જાઇ જેનું પરિણામ હિંસામાં ફરેવાયું.

વળી યુ.એસ.એ.ની વાત તો બાકી રહી. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળ દરમિયાન જે વલણ શરૂ થયું તેમાં રિપબ્લિકન પાર્ટીએ ઉદારમતવાદી લોકશાહી નીતિઓને વખારે નખાઇ છે અને માહોલ સરમુખત્યાર બન્યો છે. યુ.એસ.એ.માં રિપબ્લિક પાર્ટીની બહુમતી નથી છતાં પણ સરકાર પર અમુક પ્રકારનો કાબૂ તેઓ કરી શક્યા છે. ભૌગોલિક વિભાજનના વલણ અને કોંગ્રેસ તથા ઇલેક્ટોરલ કૉલેજના નાના રાજ્યો પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે અમેરિકન સરકારની દરેક શાખા એક પક્ષ કરતાં બીજા પક્ષની વધુ તરફેણ કરે છે.

કોઇ પણ બે રાષ્ટ્રોમાં એક સરખાં કારણોસર લોકશાહી નબળી નથી પડતી પણ છતાં ય દરેક રાષ્ટ્રમાં અમુક થીમ એકસરખાં હોય છે. જેમ કે લોકશાહી માટે જે જોખમ ગણાય તેવી ઘટનાઓને અપાતી પ્રતિક્રિયા જેની સીધી અસર રાષ્ટ્રીય ઓળખ પર પડે છે. પહેલાં તો સમાજમાં ધ્રુવીકરણ થાય – આની પાછળ કાં તો કોઇ સામાજિક બદલાવ હોય અથવા તો રંગભેદ, જાતિભેદ અને ધાર્મિક લઘુમતિનો ઉપયોગ કરી સરકારને મજબૂત કરવાનો પ્રયાસ થયો હોય. સમાજના આંતરિક જોખમો પર પોતે કામ કરશેની વાત કરી નેતાઓ પોતાનું પદ મજબૂત કરે – આમ કરવામાં તે લોકશાહીનું પોતાનું વર્ઝન ચલાવે જેમાં ભેદભાવ હોય અને ઉદારમતવાદી લોકશાહીના મોકળાશ ભર્યા, સમભાવી વિચારોને પાંગળા બનાવે.

આ સંજોગો જટિલ છે, ધીમી ગતિએ ઘણું બદલાઇ રહ્યું છે. નાના રાષ્ટ્રો પણ મહાસત્તા ગણાતા રાષ્ટ્રોની નીતિ અપનાવશે. સરમુખત્યારશાહી નેતાઓ સામાજિક ધ્રુવીકરણ અને અર્થતંત્રમાં અમુક વર્ગોને અગત્યતા આપી પોતાની સત્તાને પોષે તેવો માહોલ સર્જી રહ્યા છે.

તમે અહીં જે વાંચ્યું એ બધું આપણી આસપાસ પણ થઈ રહ્યું છે તેમ તમને નથી લાગતું?

બાય ધી વેઃ

આપણે ત્યાં છેલ્લા એક દાયકામાં હિંદુ ધર્મ મટીને વાદ બની ચૂક્યો છે – કારણ કે રાજકીય મેનેજમેન્ટ માટે એ ઝુકાવ અને તેવો જુવાળ જરૂરી છે. ભા.જ.પા.ને લાંબી રેસનો ઘોડો સાબિત કરવા માટે જે માહોલની જરૂર છે તે તબક્કાવાર ઘડાયો છે. જો કે ઇતિહાસ પુરાવો છે કે એવા રાષ્ટ્રો છે જે સરમુખત્યાર થવામાં હતા અને છતાં ય બળપૂર્વક ત્યાં લોકશાહીની પુનઃસ્થાપના થઇ. નાગરિકોમાં જાગૃતિ હશે તો સરમુખત્યારોને પણ જવાબ આપવા પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑક્ટોબર 2022

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૦) 

સુમન શાહ|Opinion - Literature|2 October 2022

પ્રકરણ : ૧૦ :

(આ પ્રકરણ ૧૯ પેજનું છે. એમાં ઉર્સુલા ઉપરાન્તનાં ૪ પાત્રોની રસપ્રદ વાર્તા છે.)

ઉર્સુલા સૉ વર્ષની થઇ ગયેલી, મોતિયાને કારણે આંધળી થઈ ગઇ હોત, તેમ છતાં, એની શારીરિક સ્ફુર્તિ, એનું માનસિક સંતુલન, એનું ચારિત્ર્ય, બધું અકબંધ જળવાઈ રહેલું. પરિવારની પ્રતિષ્ઠાને જાળવે એવા ગુણવાન પુરુષને ઘડનારું ઉર્સુલાથી ચડિયાતું કોઈ હોઈ શકે જ નહીં. એવો પુરુષ કે જે કૂકડાલડાઈઓ, ભ્રષ્ટ સ્ત્રીઓ, દુ:સાહસો અને યુદ્ધની વાતોથી, ઉર્સુલાના મતે એ ચાર આપત્તિઓથી, દૂર હોય. કેમ કે એ ચારને કારણે સ્તો સૌની બરબાદી થયેલી. બાકી એણે તો ગમ્ભીર ભાવે કહેલું, ‘આ તો પાદરી થવાનો, ને ભગવાન મને જિવાડશે તો એ ય જોવા પામીશ કે એક દિ એ પોપ થઈ ગયો છે.’ એને આવું બોલતી સાંભળીને બધાં હસતાં.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા વય વધવાની સાથે ખાસ્સો બદલાઈ ગયેલો. યુદ્ધ છોડ્યું એટલે દેશની વાસ્તવિકતા સાથે કશી નિસબત ન રહી, સમાજથી પણ વિમુખ થઈ ગયો. આખો દિવસ વર્કશોપમાં પુરાઈ રહૅ ને સોનાની ઝીણી ઝીણી માછલીઓ બનાવ્યા કરે. એ દિવસોમાં એક સૈનિક ઘરની દેખરેખ રાખતો’તો. એક વાર એ કળણ પાસેનાં ગામડાંમાં જઈને સોનાની માછલીઓ વેચી આવેલો ને ખૂબ સિક્કા લઈને પાછો ફરેલો; જોડે રાજ્યના ભાતભાતના સમાચાર પણ લાવેલો.

પણ ઔરેલિયાનોને એ સમાચારમાંનું કશું જ જાણવામાં રસ નથી પડતો. એણે કહ્યું, ’મારી આગળ રાજકારણની વાત ન કર, આપણું કામ હવે સોનાની આ માછલીઓ વેચવાનું છે’.

ઔરેલિયાનોને દેશદુનિયા વિશે કશું પણ જાણવાની ઇચ્છા ન્હૉતી રહી, તે એટલા માટે કે એની વર્કશોપ બરાબ્બર જામેલી. ઉર્સુલાએ એ જાણ્યું ત્યારે એને હસવું આવેલું. અતિ વ્યવહારુ બુદ્ધિવાળી એ બાઈને સમજાઈ ગયું કે ઔરેલિયાનોનો ધંધો ચાલે છે કેવી રીતે – માછલીઓના બદલામાં સોનાના સિક્કા ને પછી એ સિક્કામાંથી પાછી સોનાની માછલીઓ; પાછા સિક્કા, પાછી માછલીઓ; અને એમ ચાલ્યા જ કરે ! સાર એ કે જેમ વેચાય એમ બધો વખત એણે કામ જ કર્યા કરવું પડે – એક થકવી નાખનારું વિષચક્ર.

એ દિવસોમાં કિશોર ઔરેલિયાનો સેગુન્દોને મેલ્કીઆદેસની લૅબોરેટરીમાં રસ પડી ગયેલો. મેલ્કીઆદેસનાં ત્યાં સચવાયેલાં સ્વૈર રહસ્યોમાં એ ખાંખાખોળા કરવા લાગેલો. મેલ્કીઆદેસે એને ઘણી વાર દેખા ય દીધેલી.

અભરાઇઓ પર પૂઠાંથી બાંધેલાં પીળાં પડી ગયેલાં અને તડકામાં ઘઉંવર્ણી થઈ ગયેલી માનવત્વચાના રંગનાં પુસ્તકો હતાં. પણ હસ્તપ્રતો એકદમ બરાબર હતી. ઘણાં વર્ષો લગી રૂમ બંધ હતો તો પણ લાગતું’તું કે ઘરના બાકીના ભાગોની સરખામણીમાં રૂમની હવા વધારે તાજી છે.

ઔરેલિયાનો સેગુન્દો એક પુસ્તકના વાચનમાં ડૂબી ગયેલો. પુસ્તકનું કવર હતું નહીં ને શીર્ષક પણ ક્યાં ય દેખાતું ન્હૉતું. એણે કેટલીક વાર્તાઓમાં બહુ મજા પડી ગઈ :

એક વાર્તામાં એક સ્ત્રી હોય છે, ટેબલ પર બેઠી બેઠી ભાતના એક એક દાણાને ટાંકણીથી ઉપાડીને ખાતી’તી.

એક વાર્તામાં માછીમાર પડોશી પાસેથી એની જાળ માટેનું વજનિયું લઈ આવેલો. એ પછી પૈસાને બદલે પડોશીને એણે માછલી આપી, પણ માછલીના પેટમાં તો હીરો હતો.

બીજી એક વાર્તામાં ઇચ્છાઓ પૂરી કરે એવો એક જાદુઈ ચિરાગ હોય છે.

તો વળી, એકમાં ઊડતી શેતરંજીઓની વાત હોય છે.

એ તો આશ્ચર્યચકિત થઈ ગયેલો. એણે ઉર્સુલાને પૂછ્યું – શું એ બધું સાચું હતું? ખરેખર બનેલું? ઉર્સુલાએ સમજાવ્યું કે ઘણાં ઘણાં વરસો પર માકોન્ડોમાં જિપ્સીઓ આવેલા ત્યારે એ લોકો જાદુઈ ચિરાગ ને ઊડતી શેતરંજીઓ લાવેલા. ઉર્સુલા નિસાસો નાખીને બોલી, ‘એવું છે બેટા, દુનિયા પતવા આવી છે, એવી વસ્તુઓ આપણે ત્યાં હવે ક્યાંથી આવવાની?’

કેટલીયે વાર્તાઓના અન્ત ન્હૉતા કેમ કે પાછલાં પાનાં ન્હૉતાં. પુસ્તક એણે બંધ કર્યું ને હસ્તપ્રતો ઉકેલવા માંડ્યો; પણ ફાવ્યો નહીં કેમ કે એ અશક્ય હતું. અક્ષરો તાર પર કપડાંની જેમ સૂકવવા મૂક્યા હોય એવા લાગ્યા, વધારે તો મ્યુઝિકલ નોટેશન્સ લાગ્યા.

એક બપોરે બહુ ગરમી હતી. એવે વખતે હસ્તપ્રતોને એ કાળજીથી સમજવા કરતો’તો, એને એકાએક લાગ્યું કે રૂમમાં પોતે એકલો નથી, કોઈ બીજું પણ છે. બારીએથી અજવાળું આવતું’તું, ઘૂંટણ પર હાથ ટેકવીને કોઈ બેઠેલું, અને તે હતો, મેલ્કીઆદેસ.

મેલ્કીઆદેસની વય ૪૦-થી પણ ઓછી લાગતી’તી. એણે એ જ જૂની ફૅશનની બંડી ને હૅટ પ્હૅરેલાં – હૅટ કાગડાની પાંખો લાગે. ગરમીને લીધે એના માથેથી નિસ્તેજ લમણાં પર ‘તેલ’ નીતરતું’તું. ઔરેલિયાનો અને હોસે આર્કાદિયો નાના હતા ત્યારે જોયેલો, અત્યારે એવો જ દેખાતો’તો. ઔરેલિયાનો સેગુન્દો એને તરત ઓળખી જાય છે, એને દાદાની યાદ આવી ગયેલી, કેમ કે વારસાગત સ્મૃતિ પેઢી દર પેઢી ઊતરી આવેલી.

‘હૅલો’, એ બોલ્યો.

મેલ્કિઆદેસે કહ્યું, ‘હૅલો, યન્ગ મૅન’.

અને એ દિવસથી, કેટલાં ય વરસો સુધી, બન્ને જણા લગભગ રોજ્જે મળતા રહ્યા છે. મેલ્કીઆદેસ એની આગળ દુનિયા વિશે વાતો કરે, પોતાનું ડહાપણ એનામાં રેડવા કરે. પણ એણે હસ્તપ્રતોનો અનુવાદ કરવાની ધરાર ના પાડેલી, સમજાવેલું કે ‘કોઈ પણ વ્યક્તિ, સૉ વરસની થાય એ પહેલાં, એના અર્થ જાણી શકશે નહીં.’

મેલ્કિઆદેસ સાથેની એ મુલાકાતો ઔરેલિયાનો સદા ગુપ્ત રાખે છે.

એનો જોડિયો ભાઈ હોસે આર્કાદિયો સેગુન્દો ધરમ તરફ વળતો જણાય છે, તો પણ, અચાનક, કૂકડાલડાઈઓના ખેલાડી રૂપે, કૉક ફાઇટર રૂપે, વિકસી આવે છે, એટલું જ નહીં, કદીક, ગર્દભો સાથે કામાચાર કરતો પણ જોવા મળે છે.

એક જુદું પણ બને છે : બન્ને જોડિયા ભાઈ એકદમ જુવાન થયા, બન્ને એક સમાન લાગતા’તા, બન્નેએ એક જ સ્ત્રી સાથે સહશયન કર્યું, પેત્રા કૉટ્સ સાથે.

પેત્રા એક મુલાટ્ટો (મુલાટ્ટો = જેનાં મા-બાપમાં એક શ્વેત હોય અને એક અશ્વેત) યુવતી હતી, બદામી આકારની પીળી આંખો, પૅન્થર લાગે, પણ પેત્રાનું દિલ ઉદાર હતું, પ્રેમને માટેની એની આતશ અદ્ભુત હતી. એ માકોન્ડોમાં આવી ત્યારથી ચિઠ્ઠીઓ નાખીને લોકોને ઉપાડવા ક્હૅ ને એવી કરામતથી વસ્તુઓ વેચે. મેલ્કિઆદેસવાળા રૂમમાંથી ઔરેલિયાનો આમ તો બ્હાર જ ન્હૉતો આવતો, પણ એનામાં એકાએક કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની જુવાની જાગે છે અને એ વાસ્તવિક દુનિયામાં દાખલ થાય છે. કરામતમાં પેત્રાએ ચાલાકી કરીને એને ઍકોર્ડિયન જિતાડેલું અને ઘણી જ પરિચિત હોય એમ અભિનન્દન આપેલાં. કેમ કે એ પહેલી જ મુલાકાતમાં એ એના પ્રેમમાં પડી ગયેલી.

બે અઠવાડિયાં પછી ઔરેલિયાનો સેગુન્દોને ખબર પડી કે પેત્રા તો પોતાની સાથે ને ભાઈની સાથે વારાફરતી સૂવે છે ને એને ખબર જ નથી કે બે પુરુષો જુદા છે ! એને અનેકવાર ભ્રમ થયેલો કે – પોતે, ભાઈ છે? ના, નથી. તેમ છતાં, પોતાની એ વાતની એણે ચોખવટ ન કરી. પેત્રા એના હૈયાને ચાળાચસ્કા કરી પલાળે ને રૂમમાં ખૅંચી જાય, ત્યારે પણ નહીં.

હોસે આર્કાદિયો સેગુન્દોને પેત્રા કૉટ્સના સંસર્ગને કારણે યૌન રોગ થાય છે. એટલે એ એની સાથેના બધા જ સમ્પર્કો કાપી નાખે છે. પરન્તુ, ઔરેલિયાનો સેગુન્દો પેત્રા સાથે રહેવા મક્કમ હોય છે. ઔરેલિયાનો અને પેત્રાને બહુ બને છે, બન્નેને એકબીજા માટે ભાવના અને ભરપૂર આવેગ હોય છે.

એમના એવા સાયુજ્યમાં જાદુઈ કંઈક એવું હતું કે જેને પરિણામે ઔરેલિયાનોના ફાર્મનાં જાનવરો અદ્ભુત રીતનાં ફળદ્રૂપ, ઉપજાઉ, બની ગયેલાં ! એની ઘોડીઓ એક સાથે ત્રણ ત્રણ બચ્ચાંને જન્મ આપવા લાગી. એની મરઘીઓ દિવસમાં બે વાર ઈંડાં મૂકવા લાગી, અને એનાં સુવર એવી ઝડપે જાડાં થવા લાગ્યાં કે એ જાતની પ્રજનનક્ષમતાનો કશો ખુલાસો જ ન મળે, સિવાય કે એને બ્લૅક મૅજિકનો ખેલ કહી દઈએ !

ઔરેલિયાનોના નસીબની બલિહારી કે થોડાં જ વરસોમાં કશી યે મહેનત વિના માલેતુજાર બની ગયો. માકોન્ડોમાં એની પ્રગતિથી લોક ખુશ ખુશ થઈ ગયેલું. ઉર્સુલા એના એ પ્રપૌત્રને કહેતી, ‘હવે થોડી બચત કર, જીવનભર આ-નું-આ નસીબ નથી ટકવાનું.’ પણ ઔરેલિયાનો સેગુન્દો એને ગણકારતો નહીં.

રેમેડિયોસ ધ બ્યુટી —

Pic courtesy : society6

એક વાર એ પૈસાભરેલી મોટી પેટી સાથે દેખાયો. એના હાથમાં પેસ્ટ ને ટૂથબ્રશ હતાં. ગળું ફાડીને એકાએક એ ‘ફ્રાન્સસિસ્કો ધ મૅન’-નાં જૂનાં ગાયન ગાવા લાગ્યો. પછી ઘર પર એણે અંદર બ્હાર ઉપર નીચે બધે વન-પેસોની નૉટો ચૉંટાડી. (Today One-Peso to INR, 4.05) પિઆનોલા લાવેલા ત્યારથી સફેદ રંગે શોભતું મકાન એ કારણે વિચિત્ર લાગવા માંડ્યું.

એણે કામ સમ્પન્ન કીધું, કીચનનો આગલો ભાગ, બાથરૂમો, બેડરૂમો, કંઈ બાકી ન રાખ્યું. અરે, વધી તે નૉટો એણે આંગણામાં ફૅંકી દીધી !

એ બધું પત્યું. પછી ઉર્સુલાએ બધી નૉટો ઉખાડી લીધી. ભીંતોના રંગની કો’ક કો’ક પોપડીઓ ઉખડી ગયેલી. ઘર આખાને એણે ફરીથી સફેદ રંગે રંગાવ્યું. એ પ્રાર્થનાપૂર્વક બોલી, ‘હે પ્રભુ, આ ગામ વસાવ્યું ત્યારે અમે હતાં એવાં તું અમને પાછાં ગરીબ કરી દે, જેથી આ બરબાદી અંગે બીજા જનમમાં તારે અમને કશું પણ પૂછવું ન પડે.

વડદાદાની માફક હોસે આર્કાદિયો બ્વેન્દ્યા પણ શોધખોળો માટે હૉંશીલો અને આવેગશીલ હતો. એણે નૌકાઓ ને વહાણો માટેનો સમુદ્ર સુધીનો નદી-માર્ગ બનાવવાનો પુરુષાર્થ હાથ ધરેલો. વડદાદાને હતું એવું જ એ ગાંડપણ હતું. માકોન્ડોથી સમુદ્ર સુધીનો નદીમાર્ગ અશક્ય હતો કેમ કે નદી-તળ ખડકાળ હતું ને વ્હૅણ કેટલા ય ભાગોમાં તોફાની. પણ હોસે આર્કાદિયો બ્વેન્દ્યા કલ્પનાને બાજુએ રાખીને અંદરના કશા અકળ ઉછાળનો માર્યો પુરુષાર્થને પકડી રાખે છે – જો કે પેત્રા કૉટ્સ સાથેનું સાહસ અનિર્ણિત હતું તો પણ એણે ટકાવી રાખેલું; એ સિવાયની કોઈ સ્ત્રીને જાણવાની એણે કદ્દીયે ચેષ્ટા નહીં કરેલી.

રેમેડિયોસ ધ બ્યુટીને કાર્નિવલની રાણી ઘોષિત કરાય છે. એ અપૂર્વ અને સૌથી રૂપસુન્દર મનાવા લાગી છે. તો પણ એક બાળકના જેવી એ અજ્ઞાન અને નિર્દોષ છે. પોતાને પવિત્ર જચાવવા પૂજારીનો સ્વાંગ રચતા કૅત્રિનાના સ્ટોરના પેલા અધમ પુરુષો રેમેડિયોસનો ચ્હૅરો પળભર જોવા મળે એ માટે ચર્ચમાં જતા. મોટા ભાગનાઓની સુખદ ઊંઘ હરામ થઈ ગયેલી. બાકી તો કળણ સમગ્રમાં સૌને એ બધા શુભ દૃષ્ટિમતિવાળા દીસતા’તા !

જો કે, કાર્નિવલમાં વિપત્તિ ઊતરી આવે છે. એક પ્રતિસ્પર્ધી રાણી ફર્નાન્ડા ડેલ કાર્પિયો આવે છે. એને ભેદી અંગરક્ષકો દોરતા હોય છે. અંગરક્ષકો હુલ્લડ શરૂ કરે છે, ફાયરિન્ગ કરે છે, ઉત્સવી અનેક માર્યા જાય છે.

===

(October 2, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી નામનો માણસ કાં આપીને જાય છે અને કાં લઈને જાય છે

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|2 October 2022

મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો માણસ છે જે જીવનમાં પ્રવેશે તો કાંઈક આપીને જાય અને કાં લઈને જાય. આ કથન મારું નથી. આ કથન હજારો લોકોનું છે, જેમણે ગાંધીજી સાથે કામ કર્યું હતું, અથવા ગાંધીનો અભ્યાસ કર્યો હતો અથવા અમસ્તા જ કુતૂહલ ખાતર આ માણસ હતો કોણ એ જાણવા માટે ગાંધીજીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. એ દરેકને એવો અનુભવ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે કે આ ગાંધી નામનો માણસ કાં આપીને જાય છે અને કાં લઈને જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાં પકડાવીને જાય છે, કાં છોડાવીને જાય છે. તેમણે દરેકે પોતપોતાની રીતે અલગ અલગ ભાષામાં ગાંધીજી માટે આવું કહ્યું છે. ખાતરી કરવી હોય તો તમે કરી શકો છો. એકાદ હજાર કથન મળી આવશે.

અનેકાંતવાદ અથવા સ્યાદવાદ સમજ્યા વિના કે અપનાવ્યા વિના જૈન તરીકે સો વરસ જીવી શકાય અને જૈનની આગલી પેઢી મૂકી જવાય. અને આવું જ બીજા ધર્મોના અનુયાયીઓ માટે. ધર્મને સમજ્યા વિના ધાર્મિક થઈ શકાય. ખરા અર્થમાં ‘સન્યાસી’ થયા વિના વસ્ત્ર બદલીને સન્યાસી થઈ શકાય, સન્યાસી તરીકેની કીર્તિ સાથે મરી શકાય અને ચેલા પણ પાછળ મૂકીને જઈ શકાય. અંગત જીવનમાં કોઈ પ્રકારનો ત્યાગ કર્યા વિના સમાજવાદી કે સામ્યવાદી બની શકાય. વધુ સંગ્રહ (શોષણ દ્વારા) અને થોડીક સખાવત કરીને ધનપતિ દાનેશ્વરી તરીકે પંકાઈ શકાય અને મૂડીવાદનો માનવીય ચહેરો ચીતરીને મૂડીવાદી થઈ શકાય. રાષ્ટ્રને સમજ્યા વિના કે રાષ્ટ્ર માટે ઘસાયા વિના (ત્યાગ અને બલિદાન તો બહુ દૂરની વાત છે) રાષ્ટ્રવાદી થઈ શકાય. ન ગમતા અવાજોને સાંભળ્યા વિના કે તેને ગૂંગળાવીને પણ લોકશાહીવાદી બની શકાય.

આ બધું જ શક્ય છે અને માટે લોકોને ધાર્મિક, સમાજવાદી, મૂડીવાદી, રાષ્ટ્રવાદી બનવામાં કોઈ તકલીફ પડતી નથી; કારણ કે એમાં ખાસ કાંઈ છોડવું પડતું નથી કે અપનાવવું પડતું નથી. એમાં ઢોંગ અને બેવડા જીવન માટે જોઈએ એટલી મોકળાશ મળે છે. માત્ર ગાંધી એક એવો માણસ છે જે પરેશાન કરે છે.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના ‘ચંપારણ કા ઇતિહાસ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ગાંધીએ ભય છોડાવી નિર્ભયતા પકડાવી. તેમણે નોકર – ચાકરવાળી સામંતશાહી જીવનશૈલી છોડાવી અને સ્વાશ્રય પકડાવ્યો. તેમણે પોતાનાથી ઉતરતાની સેવા લેવાની જગ્યાએ અમને તેમની સેવા કરતા કર્યા. તેમણે કાનૂનનો આશ્રય લેવાની જગ્યાએ પ્રજવિરોધી અન્યાયી કાનૂનનો અસ્વીકાર કરતા શીખવ્યું. તેમણે અંગ્રેજની જગ્યાએ પ્રજાજનની ભાષા અપનાવતા કર્યા. તેમણે છેવાડાના માણસની દયા ખાવાની જગ્યાએ તેની અંદર રહેલી આંતરિક તાકાતનો પરિચય કરાવ્યો. હિંસાની જગ્યાએ અહિંસાની તાકાતનો પરિચય કરાવ્યો. તેમણે અમને પોતપોતાને રસોડે જમવાની જગ્યાએ એક રસોડે જમતા કર્યા. રાજેન્દ્રબાબુએ તેમની અંદર માત્ર એક અઠવાડિયામાં થયેલા પરિવર્તન વિશે ઉક્ત પુસ્તકમાં લખ્યું છે.

અને આ બધું જ માત્ર એક અઠવાડિયામાં. અને આવો અનુભવ એકલા રાજેન્દ્રબાબુને નહોતો થયો. પણ એ સમયે ચંપારણમાં ગાંધીજીની સાથે ઉપસ્થિત હતા એવા આચાર્ય કૃપલાણી, અનુગ્રહ નારાયણ સિંહ જેવા એક ડઝન નેતાઓને થયો હતો. આવું સામાન્ય જનતાની સાથે પણ થયું હતું. આવું જ, આજે પણ એ લોકોની સાથે થઈ રહ્યું છે જે ગાંધીને સમજવાનો પ્રયાસ કરે છે. આ માણસ કાંઈક છોડાવે છે અને કાંઈક પકડાવે છે.

ગાંધીજીના આગમન પછી દેશના રાજકારણમાં જે પરિવર્તન આવ્યું એ આ હતું. ઘણું બધું છોડવું પડે એમ હતું અને ઘણું બધું અપનાવવું પડે એમ હતું. આ છોડવા અપનાવવાની જદ્દોજહદ આસાન નહોતી. રૂઢ માન્યતાઓ અને સંસ્કારો છોડવા પડે એમ હતાં. બીજાં કરતાં  સામાજિક કે શૈક્ષણિક રીતે ઉપરવટ હોવાને કારણે મળતા લાભ છોડવા પડે એમ હતાં. બીજા પાસે સેવા કરાવવાનાં સદીઓ જૂનાં સંસ્કાર કે અધિકાર છોડવા પડે એમ હતાં. છેવાડાના માણસ સાથે એકપંક્તિએ બેસવાનું હતું. હરિજનોને અપનાવવા પડે એમ હતાં. સાચી નિસ્બત વિનાના નકલી સમાજવાદ રાષ્ટ્રવાદની કલાઈ ટકાવી રાખવી મુશ્કેલ હતી. સ્થાનિક ભાષા અને મહિલાઓનો રાષ્ટ્રજીવનમાં સહભાગ સ્વીકારવા પડે એમ હતાં. સાદગી અપનાવવી પડે એમ હતી. હવે ઢોંગ માટે કે અંગત જીવન અને જાહેર જીવન એમ બે અલગ અને વિરોધાાસી જીવન માટે જગ્યા રહી નહોતી.

ગાંધીજીના આગમન પછી દરેક ભારતીયે છોડવા અને અપનાવવાને લગતા નિર્ણયો લેવા પડયા હતા અને આજે પણ લેવા પડે છે. આ માણસથી છૂટકારો નથી. જે લોકો ધર્મ, જ્ઞાતિ, ભાષા કે જે તે પ્રકારની સરસાઇ છોડવા માગતા નથી એવા લોકો ગાંધીજીને બદનામ કરે છે. સો વરસથી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમનું ચારિત્ર્યહનન કરવામાં આવે છે અને હનન (હત્યા) પણ કરવામાં આવી છે. જે લોકો સુખસુવિધાવાળું જીવન છોડી શકતા નથી અને લોકોની વચ્ચે લોકોની જેમ રહી શકતા નથી, જે લોકોને અંગ્રેજી દ્વારા આર્થિક સુખાકારી મળે છે અને તેને જે છોડવા માગતા નથી એવા લોકો ગાંધીજીને અવ્યવહારુ આદર્શવાદી કહીને પોતાનો પિંડ છોડાવે છે.

પણ તમને શું લાગે છે? ગાંધીજી જે છોડવાનું અને અપનાવવાનું કહે છે એ યોગ્ય છે કે અયોગ્ય? એ ગાંધીજીના યુગ માટે, આજ માટે અને આવતીકાલ માટે દુરસ્ત છે અને માટે ગાંધી લાખ પ્રયત્નો પછી પણ મારતો નથી અને મારવાનો પણ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑક્ટોબર 2022 

Loading

...102030...1,3351,3361,3371,338...1,3501,3601,370...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved