Opinion Magazine
Number of visits: 9568930
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

PFI: રાતે 2 વાગે મોદી જાપાનથી આવ્યા, સવારે 6 વાગે પ્રતિબંધ લાગ્યો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 October 2022

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અથવા પી.એફ.આઈ. એક આતંકી સંગઠન છે તેવા મત સાથે, તેના પર પ્રતિબંધ લગાવવાનો મુદ્દો દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે છેક 2010થી ચર્ચાનો વિષય બન્યો હતો. 2010માં, કેરળના એક પ્રોફેસર ટી.જે. જોસેફનો હાથ કાપી નાખવાની ઘટનામાં પી.એફ.આઈ.નું નામ ચર્ચામાં આવ્યું હતું. અર્નાકુલમ જિલ્લાના મુવ્ત્તુપુઝાની નિર્મલા કોલેજમાં મલાયલમ ભાષા ભણાવતા આ પ્રોફેસરે બીજા વર્ષની બી.કોમ.ના વિધાર્થીઓ માટે પરીક્ષાપત્રમાં એક પાત્ર અને ઈશ્વર વચ્ચે સંવાદને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. એ પાત્ર એક ફિલ્મમાંથી લેવાયું હતું, જેનું નામ નસીરુદ્દીન હતું. તે સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે અને જાત સાથે બડબડ કરે છે. પ્રોફેસર જોસેફે પ્રશ્નપત્રમાં તેનું નામ કુંજુ મહોમ્મદ કરી નાખ્યું હતું. સંવાદ એ રીતનો હતો કે કોઈને તે ઈશ્વર અને મહોમ્મદ પયગંબર વચ્ચેની વાતચીત લાગે.

‘મધ્યમમ’ નામના એક સ્થાનિક અખબારમાં આ પ્રશ્નપત્રના સમાચાર છપાયા પછી વિવાદ શરૂ થયો હતો અને કેરળના મુસ્લિમોમાં એવો ભાવ ઘર કરી ગયો કે પ્રોફેસરે પયગંબરની મજાક ઉડાવી છે. અનેક મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. એમાં પી.એફ.આઈ.ની વિધાર્થી પાંખ, કેમ્પસ ફ્રન્ટે પ્રોફેસર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. કેરળનાં અન્ય રાજકીય સંગઠનોએ પણ પ્રોફેસરની હરકતની નિંદા કરી હતી. જિલ્લા કલેકટરે સર્વ પક્ષીય બેઠકમાં પ્રોફેસર સામે પગલાં ભરવાનું પણ નક્કી કર્યું હતું.

એમાં, 4થી જુલાઈ 2010ના રોજ આઠ લોકોએ પ્રોફેસરને તેમના ઘર નજીક ઘેરી લીધા હતા અને તેમની પર તલવારો અને ચાકુઓથી હુમલો કર્યો હતો. તેમાં તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો અને સાથળમાં ઘા વાગ્યા હતા. પ્રોફેસરને સારવાર માટે કોચી લઇ જવાયા હતા, જ્યાં 16 કલાકના ઓપરેશન બાદ તેમનો હાથ જોડવામાં આવ્યો હતો. પોલીસે એ જ દિવસે પી.એફ.આઈ.ના બે કાર્યકરોની ધરપકડ કરી હતી. એ પછી પી.એફ.આઈ. એજન્સીઓની નજરમાં આવી ગયું હતું. એમાં ઘણા દરોડા પડ્યા હતા અને અન્ય કાર્યકરોની પણ ધરપકડ થઇ હતી. દરોડામાં પી.એફ.આઈ.ના આંતરરાષ્ટ્રીય સંગઠનો અને મુસ્લિમ દેશો સાથેના સંબંધો ઉજાગર થયા હતા.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રચના 2006માં પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન સીમીમાંથી ઊભા થયેલા કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને સુન્ની સંગઠન નેશલન ડેવલપમેન્ટ ફ્રન્ટના જોડાણમાંથી થઇ હતી. પી.એફ.આઈ. પોતાને ‘નવી-સામાજિક’ ચળવળ ગણાવે છે, જેનો ઉદેશ્ય લઘુમતી વર્ગને ન્યાય, સ્વતંત્રતા અને સલામતીનો છે. તેણે મુસ્લિમો માટે આરક્ષણની માંગણી કરી છે. તેણે યુ.એ.પી.એ. (અનલોફૂલ એક્ટીવિટી પ્રિવેન્શન એક્ટ) હેઠળ નિર્દોષ નાગરિકોની ધરપકડોનો પણ વિરોધ કર્યો હતો. વિડંબના એ છે કે પી.એફ.આઈ. એ જ કાનૂન હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત થયું છે.

સુરક્ષા એજન્સીઓ કહેતી આવી છે કે પી.એફ.આઈ. રાષ્ટ્ર-વિરોધી અને સમાજ-વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. 2012માં, કેરળ સરકારે દાવો કર્યો હતો કે આ સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનના બગલ બચ્ચા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા(સીમી)નું જ નવું સ્વરૂપ છે. પી.એફ.આઈ. કેરળ અને કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરરો સાથે પણ અથડામણોમાં સંડોવાયેલુ છે. તેના કાર્યકરો ઘાતક હથિયારો, બોમ્બ, ગનપાવડર અને તલવારો સાથે પકડાયા છે. તેનો સંબંધ તાલિબાન અને અલ-કાયદા સાથે હોવાના પણ આરોપ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પી.એફ.આઈ.ના 50 હાજરથી વધુ નિયમિત સભ્યો છે અને માત્ર કેરળમાં જ તેના સમર્થકો દોઢ લાખથી વધુ છે. સંગઠનમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો થઇ રહ્યો હતો. તેની કેડર લોકોને કટ્ટરપંથી બનાવવા માટે કામ કરતી હતી. એવું કહેવાય છે કે 22 રાજ્યોમાં સંગઠનની પહોંચ હતી.

અમિત શાહ ગૃહ મંત્રી બન્યા ત્યારથી પી.એફ.આઈ. પર તલવાર લટકતી હતી, એટલે તેના નેતાઓને એજન્સીઓના દરોડા અને પ્રતિબંધની નવાઈ લાગવી ન જોઈએ. 22મી સપ્ટેમ્બરે, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને અન્ય તપાસકર્તા એજન્સીઓએ અડધી રાતે આખા દેશમાં પી.એફ.આઈ.નાં ઠેકાણાંઓ પર દરોડાઓ હાથ ધર્યા અને 100 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી. દેશવ્યાપી દરોડાનો બીજો સિલસિલો 27મીએ થયો. 15 રાજ્યોમાં પી.એફ.આઈ.નાં 99 ઠેકાણાઓ પર દરોડામાં કુલ મળીને 247 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. બુધવારે વહેલી સવારે (5.30 કલાકે) ગૃહમંત્રાલયે યુ.એ.પી.એ. હેઠળ આતંકી ફંડિંગ અને હવાલા સંબંધી અપરાધ હેઠળ પી.એફ.આઈ.ને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કર્યું.

તેની સાથે પી.એફ.આઈ. ‘સંલગ્ન’ આઠ અન્ય સંગઠનોને પણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યાં; રેહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રેહેબ ફાઉન્ડેશન-કેરળ. આ પ્રતિબંધની માંગણી ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતે કરી હતી (ગુજરાતમાંથી 15 ‘પી.એફ.આઈ. સમર્થકો’ની ધરપકડ કરવામાં આવી છે).

સરકારના પ્રતિબંધ પછી હવે પી.એફ.આઈ. વિરોધ પ્રદર્શનો, સંમેલનો, કોન્ફરન્સ, ડોનેશન ગતિવિધિ કે કોઈ પ્રકાશનમાં ભાગ લઇ નહીં શકે. તે સંગઠનની કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદે ગણવામાં આવશે. કોઈ વ્યક્તિ તેની સાથે સંલગ્ન છે એવી ખબર પડે તો તેની સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરી શકશે. તે ઉપરાંત, સંગઠન સાથે જોડાયેલા લોકો પર વિદેશ યાત્રા-બંધી લાગશે, તેમનાં બેંક ખાતાં અને સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.

દરોડાથી લઈને પ્રતિબંધ સુધીની પૂરી કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર તેમ જ એન્ફોર્સમેન્ટ વિભાગના વડાઓએ પાર પાડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂવ વડા શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા રવાના થાય તે પહેલાં પી.એફ.આઈ. પર પ્રતિબંધનો નિર્ણય તેમની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ઇન ફેક્ટ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સામાન્ય રીતે વડા પ્રધાનની વિદેશ યાત્રાઓમાં સામેલ હોય છે, પરંતુ આ કિસ્સામાં ડોભાલને પી.એફ.આઈ. સામેની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. 27મીની રાતે 2 વાગે મોદી દિલ્હી પાછા આવ્યા, અને વહેલી સવારે 6 વાગે સંગઠન પર પ્રતિબંધનું જાહેરનામું જારી થઇ ગયું.

આ સંગઠન 15 વર્ષથી સક્રિય હતું પણ તેની સામેની કાર્યવાહીમાં કોઈ ઉતાવળ કરવામાં આવી ન હતી. હકીકતમાં, એજન્સીઓ પી.એફ.આઈ. સંબંધી માહિતીઓ અને પુરાવો ઘણા સમયથી એકઠી કરતી હતી. પૂરા દેશમાં રાતના અંધારામાં એક સાથે દરોડા પાડીને પી.એફ.આઈ.ને ‘ઊંઘતું ઝડપી’ લેવામાં આવ્યું તે એજન્સીઓનું કાબિલેદાદા કામ કહેવાય, પરંતુ દરોડામાં (આતંકી ફંડિંગના સૌથી મજબૂત પુરાવા) પૈસા કે હથિયારો નથી મળ્યાં તે બતાવે છે કે સંગઠન સાવ જ ઊંઘતું નહોતું.

અપેક્ષા પ્રમાણે જ, પી.એફ.આઈ. સામેની કાર્યવાહીને સ્વાભાવિક રીતે જ ભા.જ.પ. શાસિત રાજ્યોએ આવકાર આપ્યો છે, પણ વિપક્ષોએ બીજા મુદ્દા પણ ઉઠાવ્યા છે. કાઁગ્રેસના નેતા રશીદ અલીએ કાર્યવાહીના સમયને લઈને પ્રશ્ન કર્યો છે. તેમણે પૂછ્યું છે કે પી.એફ.આઈ. જો આતંકી સંગઠન હતું, તો સરકાર પાંચ વર્ષથી શું કરતી હતી? તેમના મતે આ કાર્યવાહી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સમાજવાદી નેતા અમીક જમાઈએ કહ્યું છે સરકારે તેની આર્થિક નિષ્ફળતાને ઢાંકવા આ કાર્યવાહી કરી છે.

કાઁગ્રેસના રણદીપ સુર્જેવાલાએ કાર્યવાહીને આવકાર આપતા કહ્યું છે કે હવે આર.એસ.એસ. સામે ક્યારે પગલાં ભરાશે? આર.જે.ડી.ના લાલુ પ્રસાદ યાદવે પણ પી.એફ.આઈ.ની જેમ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ. ડાબેરી સી.પી.એમ. પક્ષે કહ્યું છે પી.એફ.આઈ. અને આર.એસ.એસ. બંને કેરળ અને કર્ણાટકમાં હુમલાઓ કરીને ધ્રુવીકરણ કરે છે. એ.આઈ.એમ.આઈ.એમ.ના અસદુદ્દીન ઓવેસીએ કહ્યું છે કે તેઓ પી.એફ.આઈ.ની રીત-રસમ સાથે સંમત નથી, પણ આ રીતે પ્રતિબંધ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ મુસ્લિમ હવે સરકાર સામે મોઢું ખોલશે તેને પી.એફ.આઈ.નું ચોપાનિયું પકડાવી દઈને અંદર કરી દેવામાં આવશે.

અલબત્ત, પી.એફ.આઈ. સામેની કાર્યવાહીને ભારતીય જનતા પાર્ટી કર્ણાટક અને કેરળમાં આતંકવાદ સામેના નિર્ણાયક યુદ્ધ તરીકે પેશ કરીને મતો મેળવવા માટે ચોક્કસ કવાયત કરશે, કારણ કે તેને ખબર છે કે કોઈ પક્ષમાં આ કાર્યવાહી સામે બોલવાની રાજકીય હિમ્મત નથી, પણ એક વાત છે. પ્રતિબંધિત સંગઠનો એમ મરતાં નથી. એ નવા નામકરણ સાથે પુનઃ:જીવિત થાય છે. ઉલ્લેખનીય છે કે, સરકારે પ્રતિબંધ ઘોષિત કર્યો તેના કલાકોની અંદર પી.એફ.આઈ.ના રાજ્ય મહામંત્રી અબ્દુલ સત્તારે જાહેરાત કરી છે કે, “પી.એફ.આઈ.ના સભ્યો અને જાહેર જનતાને જણાવાનું કે પી.એફ.આઈ.નું વિસર્જન કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામું બહાર પાડયું છે. કાનૂનના પાબંદ નાગરિકો તરીકે અમારું સંગઠન આ નિર્ણયનો સ્વીકાર કરે છે.”

લાસ્ટ લાઈન :

“બંદૂકોથી તમે આતંકવાદીઓને મારી શકો, શિક્ષણથી તમે આતંકવાદને મારી કરી શકો.”

—મલાલા યોસફ્ઝાઈ

નોબેલ શાંતિ પુરષ્કાર વિજેતા પાકિસ્તાની કાર્યકર.
(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ–ડે”; 02 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી મૂલ્યો – વિચારોનું એક લેખકને માટે સાંપ્રત સમયમાં મહત્ત્વ …

પ્રતિભા ઠક્કર|Opinion - Opinion|3 October 2022

લેખક અને લેખન – 

       સત્ય, અહિંસા, સાધન-શુદ્ધિ એ તે કઈ બલાનું નામ 

       કોણ હતા એ ગાંધી અને કોણે દીધું’તું બધું સાંધી ?

       આ તો, ભાઈ, એવી થઇ ભવાઈ કે કામે લાગ્યા મુન્નાભાઈના ગાંધી … 

સાંપ્રત સમયમાં ગાંધી – મૂલ્યો કે વિચારો વિષે વિચારીએ ત્યારે અને એમાં પણ એક લેખકને માટે ત્યારે એક બહુ જ અસ્પષ્ટ ચિત્ર નજરે ચડે છે. મનમાં એક ચિંતાનો માહોલ ખડો થઇ જાય છે.

એક બાજુ યોજાતા એવોર્ડ સમારોહો, મહેફીલો, રેલીઓ, પ્રદર્શનોમાં અટવાયેલાં ગાંધી ચિત્રો જાણે ગુંગળામણ અનુભવતાં જોવા મળે છે. અને સ્વતંત્ર બુદ્ધિથી સામાજિક નિસ્બત સાથેનાં લેખન સામે એક પ્રશ્નાર્થ ઊભો થઇ ગયો છે. એક ધૂંધળું ચિત્ર નજર સામેથી પસાર થાય છે.

એક બાજુ માનવ આકારનાં ઘેટાંનાં ટોળાં જેવો દેખાતો સમૂહ જે લાભાર્થી લેખકોનો છે એ હાથમાં અવનવા એવોર્ડ્સ – માનપત્રો લઇ હરખાતાં હરખાતાં પસાર થાય છે, અને બીજી બાજુ બહુ થોડાં ‘માનવ’ આક્રોશ ભર્યા ચહેરાં સાથે સામાજિક નિસ્બત જાળવી લખતાં, બોલતાં નજરે ચડે છે.

અહીં મારી આજની વાત શરૂ થાય છે કે, આ પરિસ્થિતિમાં ગાંધી વિચારો અને મૂલ્યો ખૂબ જરૂરી બની રહે છે. આમ તો કોઈ પણ સમયની સમસ્યાનાં ઉકેલ માટે ગાંધીનાં ‘સત્ય’, ‘અભય’, ‘સાધનશુદ્ધિ’ આ ત્રણ સનાતન મૂલ્યોની પરખ રાખી અને અમલમાં મૂકી લખાતું સાહિત્ય માનવીય ગૌરવ ને પુરસ્કૃત કરે છે, નહિ કે સત્તાસ્થાને બેસેલાઓની ચાપલુસી કરી મેળવાયેલ પુરસ્કારો.

આપણી આસપાસના પ્રવર્તમાન માહોલમાં સ્વાર્થની આ દૌડ બહુ ભયંકર બનતી જાય છે. ચારે બાજુ ગુન્ડાગીરી, ચાંચિયાગીરી, ચમચાગીરી કે ઘેટાંગીરી જેવા શબ્દો જ્યારે લખનારા વર્ગનાં લોહીમાં ભળી ગયા હોય, ત્યારે આપણી સાથે જીવતાં લોકોની સંવેદનાઓ ને જીવતી રાખવાનો કસબ આપણને ગાંધી વિચારોમાંથી ચોક્કસ મળી આવે.

માત્ર ને માત્ર ઉપભોક્તાવાદમાં ફસાયેલો આપણો સમાજ, સત્તાનાં રાજકારણને ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિથી ચલાવી લેનાર આ સમાજને જો કોઈ બચાવી શકે એમ હોય તો આ વિચારોનો ફેલાવો અને સમજ જ બચાવી શકશે.

રેગીસ્તાન બનતાં જતાં લોકોનાં ભાવજગતને ઢંઢોળવા સામાજિક નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે અને લોકો સુધી પહોંચશે તો સ્વસ્થ સમાજ બનવા તરફ ગતિ કરશે.

ગાંધી વિશેનાં સાચા ખોટા લખાણો સર્વે ઊગતી પેઢીને ગેરમાર્ગે દોરે છે ત્યારે હકીકતનાં ભય વગર અને કોઈ પણ જાતની લાલચ વગર સત્ય સાથે લખનારા લેખકોની હત્યાઓનો સિલસિલો એ આ સદીની સહુથી મોટી દુર્ઘટના ગણી શકાય ત્યારે ગાંધી વિચારો અને મૂલ્યોનાં પુન:સ્થાપનની તાતી જરૂરત છે.

ઉપભોક્તાવાદને હિસાબે આખો સમાજ એક બજાર બની ગયું છે, ત્યારે બજાર કિંમત અને મૂલ્યોનાં અર્થ વચ્ચે તફાવત છે. લેખનનાં મૂલ્યોને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર વાહ-વાહી  મેળવવા માટેનું લખાણ સમાજ માટે પ્રશ્નાર્થ છે. ત્યારે આજની પેઢી અને આવતીકાલની પેઢી બંને જીવનનાં મૂલ્યો સમજે અને ગાંધી વિચાર પ્રમાણે સત્ય અને અભય અપનાવી નિરર્થક અને દૂષિત વિચારો અને પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી લેખકોની છે.

ધાકધમકી અને પ્રલોભનોને વશ થયા વગરનું, નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે, અને લોકો સુધી પહોંચશે તો ચોક્કસ પરિણામ મળશે. અલબત્ત, વેચાઈ ચૂકેલું લેખન જગત અને પત્રકારત્વ જગત જોઈને આમાં કશું થઇ શકે નહિ એવું કહીને રેતીમાં મોં ખોસીને બેસી ન રહેતા ગાંધીગીરીને વધુ વિશાળ ફલક પર લાવવાની જવાબદારી નિસ્બત ધરાવનાર લેખકોની જ છે.

કળા ખાતર કળા નહિ પણ લેખન પ્રતિબદ્ધતા જાળવવા માટે ગાંધીનાં સત્ય, અભય અને સાધન શુદ્ધિ જેવાં મૂલ્યો આજના સમયમાં પ્રસ્તુત છે.

(‘ગુજરાતી લેખક મંડળ’ સંપાદિત ‘ગાંધી’ ૧૫૦ વિશેષાંક )
સૌજન્ય : પ્રતિભાબહેન ઠક્કરની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોણ સમજશે

બીજલ જગડ|Opinion - Opinion|3 October 2022

બધા પ્રશ્નો ફૂઝુલ છે કોણ સમજશે ?

નિર્દોષ છે ભૂલ સાચું ખોટું કોણ સમજશે?

માનું છું સઘળું જરા યે શક કર્યા વિના,

વાત સાચી છે નથી ભ્રમણા કોણ સમજશે?

આ કશી ફરિયાદ છે એ ના સમજીશ કદી,

મારું મન ના ઠલવાયું આ કોણ સમજશે ?

શબ્દોમાં નહિ આવી શકે સઘળી એ વાતો,

ગંભીર છે પ્રેમની કથાઓ  કોણ સમજશે?

પણ હવે આ બધું ય કહેવામાં સાર શો ?

દિલની વાતો દિલમાં રહી કોણ સમજશે ? 

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,3331,3341,3351,336...1,3401,3501,360...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved