Opinion Magazine
Number of visits: 9458711
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેશ્યાઓની વહાલી મા

સુરેશ જાની|Opinion - Opinion|7 July 2022

૨૦૦૭

હું ત્રિવેણી – ત્રિવેણી આચાર્ય, ગરવી ગુજરાતણ. ત્રણ ત્રણ દિવસથી હું રાતે ઊંઘી શકી ન હતી. બહુ મુશ્કેલીથી અને પોલિસની સહાયથી મૂળ ભુતાનની અને કમાટીપુરામાં સડતી, બે છોકરીઓ માંડ માંડ એ દોજખમાંથી બહાર આવવા કબૂલ થઈ હતી. પણ રાતોરાત એ ગાયબ થઈ ગઈ હતી. ‘કેટલી માસૂમ છોકરીઓ અને કેવા નરકમાં? હવે એમનો પત્તો શી રીતે મેળવવો?’

કમાટીપુરા – એશિયાનો બીજા નમ્બરનો વેશ્યાવાડો – મુંબાઈની ઝગમગાતી સોનાની થાળીમાં લોઢાની મેખ – સુધરેલી, સુંવાળી સંસ્કૃતિની નાલેશી અને હેવાનિયતનું જીવતું જાગતું પ્રતીક – સરેઆમ લૂંટાતી, કચડાતી કૂમળી કળીઓનાં ધોળે દહાડે વેચાણ – પ્રદર્શન.

છેક ૧૯૯૩માં ગુજરાતી સામાયિક ….….ના કાર્યકર હોવાના કારણે એક ફિલ્મ સ્ટારની પ્રેસ કોન્ફરન્સમાં કમાટીપુરાના નજીકના વિસ્તારમાં મારે જવાનું થયું હતું. આ બદનામ બસ્તીમાં એક નજર ફેરવવા ઘણા વખતથી મને કુતૂહલ થતું હતું. પણ તે દિવસે તો કોન્ફરન્સ પત્યા પછી મેં હિમ્મત કરી જ દીધી. બે ચાર જ્ગ્યાઓએ મેં લટાર મારી અને મારું મન વાસી છાશ જેવું ખાટું ખાટું થઈ ગયું. તે પહેલાં હું એમ જ માનતી હતી કે, આ સ્ત્રીઓ મહેનત મજૂરીનું કોઈ કામ કરવાની અસૂયા અને સાંસારિક જીવનની ઉપાધિઓ અને જવાબદારીથી છટકવા પોતાની રાજીખુશીથી આ ધંધો કરતી હશે. પણ એ કમનસીબ નારીઓની હતાશાથી ભરેલી, બેજાન આંખોમાંથી હું એમની અંતરની વેદના વાંચી શકી. એક બે જણીઓએ તો, એમના ડાઘિયા કૂતરા જેવા રખેવાળોની નજર ન હતી એટલે છૂપી રીતે એમની વ્યથાઓની કાળી કહાણી પણ ટૂંકમાં સમજાવી દીધી.

ઘેર આવીને મારા સ્વ. પતિ બાલકૃષ્ણને કદી ભૂલી ન શકાય તેવા મારા આ અનુભવની વાત કરી. તે પણ દુઃખી દુઃખી થઈ ગયા. તેમને પણ આ ‘અંદરની વાત’ની ખાસ ખબર ન હતી. તેમણે કહ્યું,” જો તે બધીઓ રાજીખુશીથી આ બદનામ ધંધો ન કરતી હોય તો શા માટે ત્યાંથી ભાગી જતી નથી?” તેમણે બીજી એક બાતમી પણ આપી. તેમનો એક મિત્ર આવી એક વેશ્યાના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન પણ કરવા તૈયાર હતો. તે છોકરી પણ દોજખમાંથી છૂટવા આતૂર હતી. તેમણે મને કહ્યું, “તું તો પત્રકાર છે. એ બે જણને મદદ કરે તો?”

આ વાત મારા મનમાં જડબેસલાક બેસી ગઈ. થોડાક દિવસો પછી અને બધી પૂર્વ તૈયારી બાદ, મારા પતિ,  તેમના એ મિત્ર અને પોલિસ મદદ સાથે હું એ કોઠામાં ગઈ, અમે એ છોકરીને છોડાવી. મને એ ઘડી હજી પણ યાદ છે કે, ‘બીજી ૧૩ છોકરીઓએ પણ તેમને સાથે લઈ જવા કેટલી બધી કાકલૂદી અમને કરી હતી?’ પોલિસે કહ્યું કે, ‘જે છોકરી સાથે આ જનાબ લગ્ન કરવાના છે, તેને જ તમે સાથે લઈ જઈ શકો. બીજીઓને સાથે  લાવવા અમે તો મદદ કરીશું, પણ એમની જવાબદારી લેવાનું કામ ભયાનક જોખમવાળું છે.”

પણ બાલકૃષ્ણનું ખમીર જ અલગ ને? તે તો ચૌદે ચૌદ છોકરીઓને સાથે લઈ જઈને જ જંપ્યા. અમારા કાંદિવલી ખાતેના ઘરમાં જ અમે એમને આશરો આપ્યો. એમાંની મોટા ભાગની છોકરીઓ નેપાળની હતી. ત્યાંની સામાજિક સંસ્થા ‘મૈતી નેપાલ’ સાથની વાટાઘાટો બાદ, એમને પોતાના દેશમાં પુનર્વસવાટની વ્યવસ્થા કરી આપવામાં અમને સફળ નીવડ્યા.

એ દિવસથી જ અમારા આ જીવન કાર્યના શ્રીગણેશ મંડાઈ ગયા. મિલિટરીમાંથી રિટાયર થયા બાદ બાલકૃષ્ણ ઇલેક્ટ્રોનિક સામાનનો સ્ટોર ચલાવતા હતા. તેમણે એ બંધ કરવાનું નક્કી કર્યું અને પૂરો સમય આ કામને જ આગળ વધારવાનું નક્કી કરી દીધું. તેમણે મને કહ્યું, “તારી નોકરી તું ચાલુ રાખ. પત્રકાર હોવાના કારણે આપણા આ કામમાં એ બહુ જ કામમાં આવશે. હવેથી મારો બધો જ સમય અને શક્તિ આ કમભાગી છોકરીઓ માટે જ.” મારા પતિની આ ઉદાત્ત ભાવના જોઈ એમની પત્ની હોવા માટે મને ગૌરવ થયું.

એ જ સાલમાં આવા જ એક અભિયાનમાં આપઘાત  કરીને મૃત્યુ પામેલી એક વેશ્યાના ત્રણ જ મહિનાના પુત્રનો કબજો અમે લીધો હતો. એ વહાલસોયું બાળક મને એટલું બધું ગમી ગયું કે, અમે એને દત્તક લઈ લીધો. આજે યુવાન બની ગયેલો એ ‘લવ’ પણ અમારા આ યજ્ઞમાં જોડાઈ ગયો છે.

પછી તો અમે બન્ને આ કામમાં ગળાડૂબ ખૂંપી ગયા. અમારી અંગત હેસિયત અને ગાંઠના ગોપિચંદન કરીને આ યજ્ઞ અમે ત્રણ વર્ષ ચાલુ રાખ્યો. નેપાળ / ભુતાનની છોકરીઓ જ મોટા ભાગે હોવાના કારણે એમને પાછી એમના દેશ ભણી વિદાય કરવાનું ‘મૈતી નેપાલ’ના સહકારથી સરળ હતું. ત્રણ વર્ષ પછી, એ લોકોએ જ એમની શાખા મુંબાઈમાં શરૂ કરી, અને અમારા માથેથી ખર્ચનો બોજો ઊતરી ગયો.

પણ અમારું કામ તો ચાલુ જ રહ્યું – વધતું જ રહ્યું. થોડાંક વર્ષો બાદ ઘણા લોકોની આર્થિક મદદ મળતાં અમે અમારી પોતાની આવી સંસ્થા ‘Rescue Foundation’ શરૂ કરી શક્યા. પણ દસ વર્ષ સુધી અમારું ઘર એ પાંજરેથી છુટેલી ભોળી કબૂતરીઓ માટે ‘માનું ઘર’ બની ગયું.

ચૌદ ચૌદ વર્ષની અથાક અને જોખમી કામગીરીના પ્રતાપે ઊભા થઈ શકેલા સમ્પર્કોના કારણે ૨૦૦૭ની એ ઉજાગરા અને વેદનાથી ભરેલી રાતના બીજા જ દિવસે, ‘એ બે ભુતાની છોકરીઓને દિલ્હી સગે વગે કરી દેવામાં આવી છે.’ એવા વાવડ મને મળ્યા. મારા બે સ્ટાફના માણસોને મેં દિલ્હી મોકલ્યા અને દિલ્હીની પોલિસની મદદથી એ છોકરીઓને ત્યાંના કૂટણખાનામાંથી છોડાવી. એમની વિધવા માને પણ તે લોકો ભુતાનથી દિલ્હી લઈ આવ્યાં અને બન્ને છોકરીઓ તેને સહીસલામત સુપ્રત કરી દીધી.

એ ‘મા’એ દીકરીઓ પાછી અપાવવા માટે ગળગળા સાદે જે આશિષ અમારા કામને આપી હતી – તે અમને અત્યાર સુધીમાં મળેલ અનેક પ્રમાણપત્રો, પારિતોષિકો અને સુવર્ણ ચન્દ્રકો કરતાં વધારે કિમતી હતી. આ આખું અભિયાન નવેક મહિના ચાલ્યું હતું, પણ એના કારણે મારી હિમ્મત અને પહોંચ અનેકગણાં વધી ગયાં.

અમે શરૂ કરેલા આ માનવતા સભર અભિયાનના પ્રતાપે હજારો કમનસીબ સ્ત્રીઓ અને છોકરીઓ કમાટીપુરાના દોજખમાંથી અને બીજેથી છૂટી શકી છે. ૨૦૦૩માં એક ઉદાર સખાવતીએ કાંદિવલી ખાતેનું જ સાત માળનું એનું મકાન અમારા આ કામ માટે દાનમાં આપી દીધું. હવે છૂટકારો પામેલી છોકરીઓ અને સ્ત્રીઓનાં રહેઠાણ માટેનો પ્રશ્ન ઉકલી ગયો.

કમનસીબે બે જ વર્ષ બાદ બાલકૃષ્ણ રસ્તા પરના અકસ્માતમાં ગુજરી ગયા. અમારા દસ દસ વર્ષના આ અભિયાનમાં એમને જાન ગુમાવવાની સેંકડો ધમકીઓ મળી હતી. એમની ઉપર આક્ર્મક હુમલા પણ કરવામાં આવ્યા હતા. પણ કુદરતનો આ  આઘાત મારા માટે અસહ્ય હતો. ‘મિલિટરી દિમાગ અને શાર્રીરિક બાંધાના એ જવાંમર્દ જેવી તાકાત મારામાં શી રીતે આવશે? એકલા હાથે હું શી રીતે આ અત્યંત જોખમી કામ ચાલુ રાખી શકીશ?’ આવા વિચારોએ મારી કમર તોડી નાંખી. પણ ૧૨-૧૫ વર્ષની એ કૂમળી કળીઓને બદનામી અને એઈડ્ઝની જીવલેણ ત્સુનામીમાં ઉશેટી દેતી, આ પાશવી પ્રથાનો ખોફનાક પંજો મને દિવસ રાત પ્રેરતો રહ્યો. બાલકૃષ્ણનો એ પ્રતાપી અવાજ હજુ મને પ્રેરી રહ્યો છે,

“ત્રિવેણી! એક ને એક દિવસ આપણે મરવાનું જ છે. પણ જીવતે જીવ મરી રહેલી આ માસૂમિયતોને નવું જીવન આપીને આપણો હર એક દિવસ સીમા પર દેશને માટે જાનફેસાની કરતા સૈનિકની ખુમારીવાળો બની ગયો છે.”

અને એ આઘાત હું જીરવી ગઈ. પત્રકાર તરીકેની નોકરી મેં છોડી દીધી અને બમણી તાકાતથી મારી દીકરીઓને બચાવવાના કામમાં પૂર જોશથી જોટાઈ ગઈ. મારા જીવનના સૌથી મોટા આઘાતમાંથી આવી હજારો કૂમળી કબૂતરીઓના નિસાસાઓએ મને ફરીથી જાગૃત કરી દીધી. ‘મારું શોણિત, મારા શરીરનો એકે એક કોશ હવે આ કિશોરીઓ માટે જ છે.’ એ ધખારો મારો જીવન મંત્ર બની રહ્યો.

અમે વર્ષે ૩૦૦ છોકરીઓને બચાવી લઈએ છીએ. અમુક તો માંડ આઠ વર્ષની હોય છે. મારી એ દીકરીઓ મને જે વ્હાલથી બાથ ભરે છે. તે મારે માટે રણમાં મીઠી વીરડી જેવું હોય છે.

ત્રેવીસ વર્ષ પછી…

રેસ્ક્યુ ફાઉન્ડેશન પાસે કાંદિવલી, થાણે અને પુણે ખાતે આશરો આપવા માટે ત્રણ વિશાળ મકાનો છે. ૧૨૫ માણસોનો સ્ટાફ છે અને અગણિત માહિતી આપનારા, ઉદાર દાતાઓ અને પડદા પાછળથી મદદ કરનારાઓ પણ છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ સંસ્થાને ઉદાર ગ્રાન્ટ આપે છે. દિલ્હીમાં પણ એની શાખા શરૂ થઈ રહી છે. ખેતીની આવક, ડેરી પેદાશો અને આશરો લેતી સ્ત્રીઓએ બનાવેલ હસ્ત કારીગરીની પેદાશોના વેચાણમાંથી સંસ્થાએ પોતાની આવક પણ ઊભી કરી છે.

જ્યારે એ છોકરીઓ દોજખમાંથી છૂટીને આશરો લે છે ત્યારે એમની શારીરિક અને માનસિક હાલત બહુ જ અસ્વસ્થ અને ગંભીર હોય છે. આત્મહત્યા કરવામાંથી એમને ઉગારી લેવા માટે બહુ જ પાકટ અને પ્રેમભરી માવજત જરૂરી બની રહેતી હોય છે. અમુક ગર્ભવતી હોય છે. કાયદાના સહારે એ ગર્ભપાત કરાવી શકે છે. પણ ઘણી માની મમતાથી જન્મ આપે છે. એમાંના ઘણાં સુખી કુટુંબોમાં દત્તક સંતાન બની નવી જિંદગી શરૂ કરે છે. અમુક તો પરદેશ પણ પહોંચી જાય છે.

પણ ઘણી સ્ત્રીઓ બીજે સ્થાયી થવા છતાં, એમને ‘માના આ થાનક’માં મળેલ પ્રેમની શીતળતા એ નિર્દોષ સંતાન પર વરસાવતા રહેવાની હિમ્મત અને મમતા કેળવી શકી છે.

રેસ્ક્યુ ફાઉન્ડેશન / ત્રિવેણી આચાર્યને મળેલ એવોર્ડ –

●      Stree Shakti Award for Women Entrepreneurs in 2008. In 2011

●      Civil Courage Prize of The Train Foundation, awarded annually to those “who resolutely combat evil”.

●      Asia Democracy and Human Rights Award of the Taiwan Foundation for Democracy by Taiwanese president Ma Ying-Jeou in 2010

●      Humanitarian Honoree of World of Children Award in 2013.

ત્રિવેણીનો મન ગમતો શેર – જે એની દીકરીઓને અવાર નવાર સંભળાવતી રહે છે –

पोंछ कर अश्क अपनी आंखोंसे मुस्कराओ तो कोई बात बने ।


सर झुकानेसे कुछ नहीं होगा, सर ऊठाओ तो कोई बात बने ।

સંદર્ભ –

મૂળ લેખ

http://www.thebetterindia.com/77898/triveni-acharya-sex-trafficking-rescue-mumbai/

વિકીપિડિયા પર –

https://en.wikipedia.org/wiki/Kamathipura

https://en.wikipedia.org/wiki/Triveni_Acharya

http://www.rescuefoundation.net/index.php

https://www.youtube.com/watch?v=cShR7ArQRTU

e.mail : surpad2017@gmail.com

Loading

માઓ હિટલર કરતાં ચાર ડગલાં આગળ હતા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 July 2022

ચીનની વાત આવે, ત્યારે સામાન્ય રીતે તેની આર્થિક અને લશ્કરી તાકાત માટે અહોભાવ વ્યકત થતો હોય છે, પરંતુ તેના ઇતિહાસમાં અંધાધૂંધી અને તબાહીનો એક ગાળો જો તપાસવામાં આવે, તો તેની વર્તમાન પ્રગતિ કેટલી ઇચ્છનીય છે તેવો પ્રશ્ન થાય. સાંસ્કૃતિક ક્રાંતિ(કલ્ચરલ રિવોલ્યુશન)ના નામે ચીનનો એક દાયકો એવો હતો, જેમાં તેનું અર્થતંત્ર નષ્ટ થઇ ગયું હતું, લાખો લોકોની જિંદગી તબાહ થઇ ગઈ હતી. એ એક આવું ગૃહયુદ્ધ હતું જેના પરિણામે દેશ ભૂખમરા તેમ જ ખૂનામરકીમાં સરકી ગયો હતો.

ચીનના ઇતિહાસમાં 16 મેનું ખાસ મહત્ત્વ છે. એ દિવસે, 1966માં, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ-ત્સે—તુંગે, ચીની કોમ્યુનિઝમનું શુદ્ધિકરણ કરવા અને સ્વદેશી વિચારધારા (જેને ચીનની બહાર માઓવાદ કહે છે) લાગુ કરવા માટે એક ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. દસ વર્ષ પછી, 1976માં માઓના અવસાન સાથે એ ક્રાંતિ નિષ્ફળ સાબિત થઇ હતી. જો કે તે દરમિયાન ચીનની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું ભયાનક નુકસાન થયું હતું.

ચીનના વિકાસની ગાડી પૂરપાટ દોડી જ માઓના અવસાન પછી. સાંસ્કૃતિક ક્રાંતિનું મૂળ માઓની ગ્રેટ લીપ ફોરવર્ડ ચળવળમાં છે. આપણે ત્યાં જેમ પંચ વર્ષીય યોજના હતી, તેવી રીતે માઓએ 1958થી 1962 વચ્ચે આર્થિક અને સામાજિક સુધારની ચળવળ શરૂ કરી હતી. અમુક લીડરો બહુ મોટી મોટી યોજનાઓ ઘડતા હોય છે, અને પછી વગર વિચારે તેનો અમલ કરતા હોય છે. ગ્રેટ લીપ ફોરવર્ડ યોજના એવી જ હતી. એમાં દેશમાંથી પરંપરાગત કૃષિ અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી દઈને તેના સ્થાને કોમ્યુનિસ્ટ વિચારધારા અનુસાર સહકારી કૃષિ અને ઔદ્યોગિક વ્યવસ્થા લાવવાનો ઈરાદો હતો.

સાદી ભાષામાં કહીએ તો ચીનના ખેડૂતોએ સરકારના દિશાનિર્દેશો પ્રમાણે સહકારી ધોરણે ખેતી કરવાની અને દેશના ઔધોગિકરણમાં આર્થિક યોગદાન આપવાનું. આ સુધાર ઉપરથી નીચે, જબરદસ્તી લાગુ કરવામાં આવ્યો હતો. માઓની ગણના વિશ્વ ઇતિહાસના સૌથી દૃઢ નેતા તરીકે થાય છે. દૃઢ નેતાની સમસ્યા એ છે કે તમને એ ખબર ન પડે તે એ નાયક છે કે ખલનાયક. તેનું આકલન તેના ગયા પછી ભાવિ પેઢીઓ કરે છે. આપણે હિટલર અથવા સ્ટાલિનની તાનાશાહીના અનેક કિસ્સા સાંભળ્યા છે, પરંતુ ચીનના માઓ તેમનાથી ચાર પગલાં આગળ હતા.

પાંચ વર્ષમાં પશ્ચિમની સત્તા સામે ઊભા રહેવાની તાલાવેલીમાં માઓએ જે ફરજિયાત સહકારી-કૃષિ દાખલ કરી એમાં એવી તબાહી મચી કે 3થી 4 કરોડ લોકો ભૂખે, ગરીબીમાં, મજદૂરીમાં, હત્યામાં અને આત્મહત્યા મરી ગયા. માનવ ઇતિહાસમાં વિનાયુદ્ધે આટલા બધા માણસો મરી ગયાનું આ એકમાત્ર ઉદાહરણ છે. આખા દેશમાંથી ખાનગી ખેતરો નાબૂદ કરી નાખવાની ઉતાવળમાં ચીનમાં ભયાનક દુકાળ પડ્યો હતો અને ગામડાંના લોકો વનસ્પતિ ખાઈને જીવતા રહેતાં હતા.

ગ્રેટ લીપ ફોરવર્ડની આ પંચ વર્ષીય યોજના ભયાનક રીતે નિષ્ફળ ગઈ, તેના માટે માઓએ પાર્ટીના જૂનાં કમ્યુનિસ્ટો, દેશના બુદ્ધિજીવીઓ અને મૂડીવાદીઓને જવાબદાર ઠેરવ્યા. મજબૂત નેતાઓની આ એક બીજી મુશ્કેલી હોય છે. તેને ક્યારે ય પોતાના વિચારો કે વહીવટમાં શંકા ન પડે. એ પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર બનાવે. માઓને લાગ્યું કે દેશમાં વધુ પડતી જ આઝાદી છે, અને એટલે જ મોટા સુધાર થતા નથી. માઓને લાગ્યું તેના માટે ચીની સમાજના પારંપરિક ચાર જૂના સ્તંભ (તેને ફોર ઓલ્ડ કહે છે) ખતમ કરવા પડેશે; જૂના વિચારો, જૂની સંસ્કૃતિ, જૂના રિવાજો અને જૂની આદતો.

સાદી ભાષામાં કહીએ તો, માઓએ પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર તેમના હરીફો અને ટીકાકારોને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું, જેથી તેમની સત્તા સુરક્ષિત થઇ જાય. રાજનૈતિક કટ્ટરવાદથી યુવાનો જલદી ગેરમાર્ગે દોરાઈ જાય છે. દુનિયાના અધિકતમ દેશોનો આ ઇતિહાસ છે. માઓની સાંસ્કૃતિક ક્રાંતિ પણ એમાંથી બાકાત નહોતી. માઓએ કથિત શત્રુઓની સફાઈ કરવા માટે યુવાનોને ઉશ્કેર્યા હતા. ત્યાં સુધી કે કોલેજો બંધ કરી દેવામાં આવી હતી, જેથી વિધાર્થીઓ ‘રાષ્ટ્રના ઘડતર’માં સંપૂર્ણ ધ્યાન આપી શકે.

16 ઓગસ્ટ 1966ના રોજ બેજિંગના તિયાનમેન ચોકમાં હજારો યુવાનોની રેલીમાં માઓએ ક્રાંતિકારી નારાઓ લગાવડાવ્યા હતા (આ જ તિયાનમેન ચોક પર, 1989માં સરકાર વિરોધી રેલીમાં ભેગા થયેલાં યુવાનો પર ચીનીએ સેનાએ ગોળીઓ છોડી હતી અને ટેન્કો ચલાવી હતી જેમાં 10 હજાર લોકો માર્યા ગયા હતા. ચીનમાં એ ઇતિહાસ આખો મિટાવી દેવાયો છે). આ યુવાનોમાંથી રેડ ગાર્ડસ નામના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ એક સમાંતર સૈન્ય હતું. એ યુવાનોએ પુસ્તકાલયો પર હુમલાઓ કર્યા, પુસ્તકો સળગાવી દીધાં, સંગ્રહાલયો, થિયેટરો, બૌદ્ધ મંદિરો, ચર્ચ, મસ્જિદો તબાહ કરી દીધી હતી, પ્રોફેસરો, લેખકો, બુદ્ધિજીવીઓની મારપીટ કરી હતી.

સપ્ટેમ્બર-ઓક્ટોબર 1966માં ખાલી બેજિંગમાં જ 2,000 લોકોને અને શાંઘાઈમાં 1,500 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આ તબાહીમાં પોલીસનું પણ મૌન સમર્થન હતું. ખુદ માઓ જ હિંસાને પ્રોત્સાહન આપતાં હતા. જે યુવાન હત્યાઓ કરે તેને  દેશભક્ત માનવામાં આવતો હતો. કહેવાય છે કે 1966થી 1969 વચ્ચે લગભગ 5 લાખ લોકો માર્યા ગયા હતા. ટૂંકમાં, માઓવાદનો વિરોધ કરતી હોય તેવી વ્યક્તિઓ અને વસ્તુઓને શોધી-શોધીને નષ્ટ કરવામા આવી હતી.

આ ક્રાંતિમાં માઓ-ત્સે-તુંગની ત્રીજી પત્ની જિયાંગ કિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ઇન ફેક્ટ, તેની સાથે બીજા ત્રણ નેતાઓ (ઝાંગ ચૂંકીઓ, યાઓ વેનયુઆન અને વાંગ હોંગવેન) પણ હતા. આ ચાર જણાની ટીમ ગેંગ ઓફ ફોર કહેવાય છે. આ ચંડાળ ચોકડી ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ચલાવતી હતી અને આ હિંસક ક્રાંતિનો દોરી સંચાર કરતી હતી. માઓનું સ્વાસ્થ્ય કથળ્યું ત્યારે આ ગેંગ જ દેશ ચલાવતી હતી.

એ દરમિયાન, માઓની તેમના વિરોધીઓ દ્વારા હત્યાની કોશિશ થઇ હતી જે નિષ્ફળ રહી હતી. 1987માં, માઓનું અવસાન થયું અને ક્રાંતિ ધીમી પડી ગઈ. એ પછી પણ માઓવાદના પ્રચાર માટે જિયાંગ કિંગે તેનું આક્રમણ ચાલુ રાખ્યું હતું, પરંતુ અંતત: નવી સરકારે જિયાંગ અને તેના ત્રણ સાથીઓને પકડી લીધા હતા.

1981માં, તેમની સામે રાજદ્રોહ અને અન્ય અપરાધ બદલ ખટલો ચલાવામાં આવ્યો હતો. તેમની સામે 34,375 લોકોના મોતનો આરોપ હતો. અ ખાટલો દેખાડા માટે જ હતી. ગેંગના ત્રણ સભ્યોએ તેમનો બચાવ કરવા કોશિશ કરી નહોતી. ખટલા દરમિયાન, હોંગવેન અને વેનયુઆને તેમની પરના આરોપ સ્વીકારી લીધા હતા અને પ્રશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો. ઝાંગ ચૂંકીઓએ તે નિર્દોષ હોવાનું ગાણું ગાયે રાખ્યું હતું. માઓની પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી અને પોતે નિર્દોષ છે તેવું કહીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. તેણે એવો બચાવ કર્યો કે તેણે ચેરમેન માઓના આદેશોનું પાલન કર્યું હતું.

આ ચારેને આજીવન કેદની સજા ફરમાવામાં આવી હતી. ત્રણ સભ્યો સજા ભોગવીને વારાફરતી અવસાન પામ્યા હતા. જિયાંગને તેની દીકરીના ઘરમાં નજરકેદ કરવામાં આવી હતી. 1984માં તેણે જાતે જ જીવનનો અંત આણી દીધો હતો.

માઓની સાંસ્કૃતિક ક્રાંતિમાંથી દુનિયા એટલું શીખી કે એક નેતાને જ્યારે તારણહારની કક્ષાએ મૂકી દેવામાં આવે ત્યારે તે તેની અંગત મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે અકલ્પનીય તબાહી નોતરે છે. હિટલર અને સ્ટાલિનના કિસ્સામાં પણ આવું જ થયું હતું.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જુલાઈ 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દોસ્ત – દોસ્તી

બીજલ જગડ|Poetry|6 July 2022

એ દોસ્ત આપણી દોસ્તી,
જો મ્હેર તારી આપદા ટળે.

દોસ્તીની વસંત બારમાસી,
અહમનાં ફૂલ ખરતાં મળે.

મારી ભર્યા કૂવાની ઉદાસી,
તારી હાજરીનું દોરડું તરે.

મિત્ર તણો હુંફાળો જીવ,
મારા વિશેની અંજલિ ફળે.

મૈત્રીનું લાગણી ભર્યું  ફૂલ,
શ્રીકૃષ્ણના દ્વારે જ મળે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,3321,3331,3341,335...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved