Opinion Magazine
Number of visits: 9458646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનાં મૂળ તત્ત્વો અને એનાં આવરણો

મનસુખ સલ્લા|Opinion - Opinion|8 July 2022

અત્યારે દેશમાં જે માહોલ છે તેમાં લાગણીઓ વધુ સક્રિય છે. અંગત સંબંધોમાં લાગણી બળ પૂરું પાડે, પરંતુ રાષ્ટૃ કે તમામ નાગરિકો વિશે વિચારીએ ત્યારે નિરપેક્ષ વિચારને કેન્દ્રમાં મૂકવો જોઈએ. અત્યારનો મુખ્ય પ્રશ્ન ‘ધર્મ’ના સ્વરૂપ વિશેનો છે. તમામ ધર્મોના પ્રવર્તકો કોઈ વ્યક્તિ હોય છે. તેઓનાં મહાન કાર્યો અને વિચારોને કારણે લોકોએ તેમને ભગવાન, ખુદા, ઈશ, ગોડ તરીકે સ્વીકાર્યા હોય છે.

ધર્મ માટે એક સાદી વાત એ છે કે તેમાં અન્ય ધર્મ માટે આદર હોય, સન્માન હોય. કોઈ પણ ધર્મને ઊંચો કે નીચો ગણવાની જરૂર નથી. વળી ધર્મક્ષેત્રમાં બળજબરી, લાલચ કે ભયને સ્થાન નથી. એવું કરનારા ધાર્મિક તો નથી જ.

હવે એ વિશે સ્પષ્ટ થવું જરૂરી છે કે તમામ ધર્મોનાં મૂળ તત્ત્વો લગભગ સમાન હોય છે. માણસાઈને પોષણ આપનારા હોય છે. કોઈ પણ ધર્મ મનુષ્યનાં શુભ તત્ત્વોનો જ પુરસ્કાર કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સાદગી, નિરહંકાર, વિશ્વાસ વગેરેને જે ધર્મો પુરસ્કારતા હોય છે, કારણ કે એ મૂળ તત્ત્વો છે.

સાથે જ ધર્મ સાથે વ્યવહાર, રીતરિવાજ, ઉપાસના પદ્ધતિ પણ જોડાયેલાં હોય છે. એમાં તફાવત હોય તે સહજ છે. એ તફાવત માટે ન પક્ષપાત હોય, ન નફરત હોય. કારણ કે ધર્મ આખરે તો વ્યક્તિની અંગત બાબત છે, પસંદગી છે. જેને જે રુચે તે ધર્મ પાળે. એ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. હિન્દુધર્મ તો નાસ્તિકનો પણ સ્વીકાર કરે છે. માણસ સ્વભાવ અને વલણ મુજબ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ પસંદ કરતો હોય છે. એ વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. એમાં બીજા કોઈએ વચ્ચે નહીં આવવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની બળજબરી એ ધર્મથી વિરોધી બાબત છે. બળજબરી હોય ત્યાં ધર્મ હોઈ શકતો નથી.

છેલ્લી ત્રણ સદીમાં એક નવો વ્યાપક સંદર્ભ, પણ ઊભો થયો છે − તે લોકશાહી રાજ્યરચનાનો. રાજાશાહી, બાદશાહી કે કોઈ પણ પ્રકારના એકહથ્થુ શાસનની જગ્યાએ લોકશાહી રાજ્યરચના વધુ માનવતાવાદી હોઈ શકે છે. કારણ કે તેમાં બંધારણ અને કાયદાનું શાસન નિર્ણાયક હોય છે.

ધર્મક્ષેત્રમાં પણ મૂળતત્ત્વો સિવાયની બાબતોમાં બંધારણ અને કાયદાનું શાસન જ મહત્ત્વનું રહેવું જોઈએ. બંધારણ માનવ અધિકારોના રક્ષણ માટે હોય છે. લગ્નપ્રથા અને લગ્નસંસ્થા, કાયદાભંગની સ્થિતિ, સ્ત્રીઓ સાથે કે નીચલી ગણાતી જાતિ-જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં ધર્મના રીતરિવાજોને બદલે બંધારણના નિયમો જ લાગુ પડી શકે, એ ધર્મની બાબતો નથી, માનવઅધિકારની બાબતો છે, દા.ત. અસ્પૃશ્યતા. આ બાબતોમાં ધર્મને વચ્ચે નહીં લાવવો જોઈએ.

ઈસ્લામમાં વ્યાજ ન લેવું એવી ભલામણ છે. દોઢ હજાર વર્ષ પહેલાં સમાજને જાળવી રાખવા એ જરૂરી હતું. વ્યાજ ન લેવા પાછળ ખ્યાલ એ હતો કે બીજાને મુશ્કેલીમાં મદદરૂપ થવું જોઈએ, એનું વળતર ન લેવાય. આજે બેકીંગ પદ્ધતિ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રવેશી છે. બધા ધર્મના લોકો વ્યાજ લે છે કે આપે છે. પરિસ્થિતિ બદલાતા આ બદલાયું છે. એમાં ધર્મતત્ત્વનો ભંગ નથી. આજે શિક્ષણ, માંદગી, રોજ-બ-રોજની સુવિધાઓ અને સેવાઓ સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ નિ:શૂલ્ક આપે છે. એમાં નબળાને મદદરૂપ થવાની ભાવના જળવાય છે.

ધર્મના ક્ષેત્રમાં શબ્દોને નહીં વળગવું જોઈએ, એની પાછળનાં ભાવના, આદર્શ કે ધ્યેયને સ્વીકારવાં, સમજવાં જોઈએ. છૂટાછેડાનો કાયદો પિતૃપ્રધાન સમાજમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘડાવો જોઈએ. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. દરેક ધર્મ સૌ પ્રત્યે કરુણા અને માનવીય ગૌરવની વાત કરે છે તો તેમાં મહિલાઓના ગૌરવની બાદબાકી કેવી રીતે હોઈ શકે ? સતીપ્રથા, બહુપત્નીત્વ, સ્ત્રીઓના હકો એ ધાર્મિક મુદ્દો નથી સમાજવ્યવસ્થાનો, માનવીય ગૌરવનો મુદ્દો, તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે.

કોઈ પણ વિષય, તત્ત્વ કે રચનામાં અમુક પરિસ્થિતિમાં ખાસ હેતુથી અમુક બાબતો ગોઠવાયેલી હોય છે. તેમાં ચિરકાલીન તત્ત્વો હોય છે એમ જ તત્કાલીન જરૂરિયાત હોય છે. પરંતુ સમય જતાં મૂળ (ચિરકાલીન) તત્ત્વોને બદલે વ્યવહારો, પરંપરાઓ, રીતરિવાજો મુખ્ય બની જાય છે. એને જ ધર્મ ગણવાનું પણ શરૂ થઈ જાય છે. એમાંથી એને જાળવવાનું ઝનૂન ઊભું થાય છે.

ધર્મ અને ઝનૂન તદ્દન વિરોધી શબ્દો છે. તમામ ધર્મો તો ઉદાર, સહિષ્ણુ અને કરુણાળુ થવાનું શીખવે છે. પણ થાય છે એથી ઊલટું. તમામ ધર્મોમાં આ માટે સંઘર્ષો થયા છે. એ ધર્મવાળાએ જ એ ધર્મના લોકોને પજવ્યા કે પીડ્યા હોય છે. કોઈ વાર તત્કાલીન જરૂરિયાત માટે સદીઓ પહેલાં કહેવાયું હોય એને નવા સંદર્ભમાં બદલવાની મોકળાશ પણ હોવી જોઈએ. માનવતા મુખ્ય છે, રીતરિવાજ કે ઉપાસના પદ્ધતિ નહીં.

કોઈ પણ ધર્મમાં પૂજારી, પાદરી, મૌલવી કે ધર્મગુરુઓ રચાય છે. કારણ કે તેઓ અમુક ધારા-ધોરણો, વ્યવહારો, રીતરિવાજોને જાળવવાનું કામ કરે છે. પરંતુ તેમના શબ્દોને આખરી નહીં ગણવા જોઈએ. તેઓ પણ માનવીય મર્યાદાઓથી, અહંકાર, સ્વાર્થ કે ઈર્ષાથી ભરેલા હોઈ શકે છે. તેઓ પોતાનું સ્થાન મજબૂત રાખવા ધર્મતત્ત્વોને ગૌણ પણ ગણતા હોઈ શકે છે. એટલે વીસમી સદીના મહાન સાધક રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘દાણો બંધાય માટે ફોતરાં જરૂરી હોય છે, પણ આપણે ફોતરાં નહીં, દાણા ખાઈએ છીએ.’ આ વિવેક ધર્મક્ષેત્રમાં જાળવવા જેવો છે.

લોકશાહીના નાગરિક તરીકે આપણે ધર્મનાં મૂળ તત્ત્વો(સત્ય-પ્રેમ-કરુણા)ને પારખવા અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજારી, પાદરી કે મૌલવીઓએ જો ધર્મનાં મૂળતત્ત્વો આડે પડદો ઊભો કર્યો હોય તો એને પારખીને હટાવવો જોઈએ. જે કોઈ આપણે સત્ય-પ્રેમ-કરુણા સુધી લઈ જાય તેનો આદર કરીએ, પરંતુ જેઓ આપણને સંકુચિત, અભિમાની કે વિદ્વેષી બનાવે તેનાથી વેગળા થવું જોઈએ.

ધર્મતત્ત્વો અને એની ઉપાસના-પદ્ધતિ અને રીતરિવાજો એક નથી. રીતરિવાજો અને ઉપાસના પદ્ધતિઓનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે એ આપણને ધર્મતત્ત્વ સુધી લઈ જાય.

આજે માસમીડિયાનું ગાંડું પૂર આવ્યું છે. તેથી અસ્પષ્ટતા, ગેરસમજ, સંદર્ભરહિત હકીકતો, આખી વાતમાંથી ઉતરડીને અમુક જ બાબતને ઉપસાવવી આ બધું શક્ય બન્યું છે. કરુણતા એ છે કે લોકો વગર વિચાર્યે એને સ્વીકારે છે.

ધર્મક્ષેત્ર એવું શ્રદ્ધાક્ષેત્ર છે કે લોકો તપાસવા કે વિચારવાને બદલે માનીને બધું સ્વીકારી લે છે. રામકૃષ્ણ પરમહંસે બહુ વાજબી કહ્યું છે કે, ‘જેમ રૂપિયો સાચો છે કે બોદો એ ખખડાવીને લો છો એમ ગુરુને ખખડાવીને પસંદ કરવો જોઈએ.’ નહીં તો પૂજારી, પાદરી, મૌલવી આપણી આંખે પાટા બંધાવી દે એવું પણ બની શકે છે.

રાજકીય પક્ષો પણ જીતવાના સ્વાર્થમાં ગમે તેવાં વિધાનો, અવલોકનો કે અભિપ્રાયો રજૂ કરતા હોય છે. એના કેન્દ્રમાં સત્તા અને સ્વાર્થ હોય છે. પણ આપણે કાળજુ ઠેકાણે રાખીને એમને સાંભળવા જોઈએ. જે વિચાર કે અભિપ્રાય રાષ્ટૃને અને સમાન્ય જનને સમૃદ્ધિ, સ્વસ્થતા અને શાંતિ આપી શકે તેવો હોય તેનો જ સ્વીકાર કરવો જોઈએ. ધર્મનાં વાઘાં પહેરાવીને વહેંચાતા વિચારોને પારખતાં અને છોડતાં શીખવું એ આજની ગંભીર આવશ્યક્તા છે.

બહુ સાદી રીતે કહીએ તો જે જોડે, વિરોધને શમાવે અને સંવાદિતા વધારે એ જ ખરો ધર્મ છે. એ સિવાયનું ધર્મતત્ત્વ સિવાયનું છે. આપણે આવા કાળમાં દાખલ થઈ ચૂક્યા છીએ એ ધર્મના ભેદ વિના તમામ નાગરિકોએ સમજવું પડે તેમ છે.

06 જુલાઈ 2022

e.mail : mansukhsalla@gmail.com

C/403, Surel Apartment, Judges’ Bunglows area, AHMEDABAD – 380 015, India

Loading

વેશ્યાઓની વહાલી મા

સુરેશ જાની|Opinion - Opinion|7 July 2022

૨૦૦૭

હું ત્રિવેણી – ત્રિવેણી આચાર્ય, ગરવી ગુજરાતણ. ત્રણ ત્રણ દિવસથી હું રાતે ઊંઘી શકી ન હતી. બહુ મુશ્કેલીથી અને પોલિસની સહાયથી મૂળ ભુતાનની અને કમાટીપુરામાં સડતી, બે છોકરીઓ માંડ માંડ એ દોજખમાંથી બહાર આવવા કબૂલ થઈ હતી. પણ રાતોરાત એ ગાયબ થઈ ગઈ હતી. ‘કેટલી માસૂમ છોકરીઓ અને કેવા નરકમાં? હવે એમનો પત્તો શી રીતે મેળવવો?’

કમાટીપુરા – એશિયાનો બીજા નમ્બરનો વેશ્યાવાડો – મુંબાઈની ઝગમગાતી સોનાની થાળીમાં લોઢાની મેખ – સુધરેલી, સુંવાળી સંસ્કૃતિની નાલેશી અને હેવાનિયતનું જીવતું જાગતું પ્રતીક – સરેઆમ લૂંટાતી, કચડાતી કૂમળી કળીઓનાં ધોળે દહાડે વેચાણ – પ્રદર્શન.

છેક ૧૯૯૩માં ગુજરાતી સામાયિક ….….ના કાર્યકર હોવાના કારણે એક ફિલ્મ સ્ટારની પ્રેસ કોન્ફરન્સમાં કમાટીપુરાના નજીકના વિસ્તારમાં મારે જવાનું થયું હતું. આ બદનામ બસ્તીમાં એક નજર ફેરવવા ઘણા વખતથી મને કુતૂહલ થતું હતું. પણ તે દિવસે તો કોન્ફરન્સ પત્યા પછી મેં હિમ્મત કરી જ દીધી. બે ચાર જ્ગ્યાઓએ મેં લટાર મારી અને મારું મન વાસી છાશ જેવું ખાટું ખાટું થઈ ગયું. તે પહેલાં હું એમ જ માનતી હતી કે, આ સ્ત્રીઓ મહેનત મજૂરીનું કોઈ કામ કરવાની અસૂયા અને સાંસારિક જીવનની ઉપાધિઓ અને જવાબદારીથી છટકવા પોતાની રાજીખુશીથી આ ધંધો કરતી હશે. પણ એ કમનસીબ નારીઓની હતાશાથી ભરેલી, બેજાન આંખોમાંથી હું એમની અંતરની વેદના વાંચી શકી. એક બે જણીઓએ તો, એમના ડાઘિયા કૂતરા જેવા રખેવાળોની નજર ન હતી એટલે છૂપી રીતે એમની વ્યથાઓની કાળી કહાણી પણ ટૂંકમાં સમજાવી દીધી.

ઘેર આવીને મારા સ્વ. પતિ બાલકૃષ્ણને કદી ભૂલી ન શકાય તેવા મારા આ અનુભવની વાત કરી. તે પણ દુઃખી દુઃખી થઈ ગયા. તેમને પણ આ ‘અંદરની વાત’ની ખાસ ખબર ન હતી. તેમણે કહ્યું,” જો તે બધીઓ રાજીખુશીથી આ બદનામ ધંધો ન કરતી હોય તો શા માટે ત્યાંથી ભાગી જતી નથી?” તેમણે બીજી એક બાતમી પણ આપી. તેમનો એક મિત્ર આવી એક વેશ્યાના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન પણ કરવા તૈયાર હતો. તે છોકરી પણ દોજખમાંથી છૂટવા આતૂર હતી. તેમણે મને કહ્યું, “તું તો પત્રકાર છે. એ બે જણને મદદ કરે તો?”

આ વાત મારા મનમાં જડબેસલાક બેસી ગઈ. થોડાક દિવસો પછી અને બધી પૂર્વ તૈયારી બાદ, મારા પતિ,  તેમના એ મિત્ર અને પોલિસ મદદ સાથે હું એ કોઠામાં ગઈ, અમે એ છોકરીને છોડાવી. મને એ ઘડી હજી પણ યાદ છે કે, ‘બીજી ૧૩ છોકરીઓએ પણ તેમને સાથે લઈ જવા કેટલી બધી કાકલૂદી અમને કરી હતી?’ પોલિસે કહ્યું કે, ‘જે છોકરી સાથે આ જનાબ લગ્ન કરવાના છે, તેને જ તમે સાથે લઈ જઈ શકો. બીજીઓને સાથે  લાવવા અમે તો મદદ કરીશું, પણ એમની જવાબદારી લેવાનું કામ ભયાનક જોખમવાળું છે.”

પણ બાલકૃષ્ણનું ખમીર જ અલગ ને? તે તો ચૌદે ચૌદ છોકરીઓને સાથે લઈ જઈને જ જંપ્યા. અમારા કાંદિવલી ખાતેના ઘરમાં જ અમે એમને આશરો આપ્યો. એમાંની મોટા ભાગની છોકરીઓ નેપાળની હતી. ત્યાંની સામાજિક સંસ્થા ‘મૈતી નેપાલ’ સાથની વાટાઘાટો બાદ, એમને પોતાના દેશમાં પુનર્વસવાટની વ્યવસ્થા કરી આપવામાં અમને સફળ નીવડ્યા.

એ દિવસથી જ અમારા આ જીવન કાર્યના શ્રીગણેશ મંડાઈ ગયા. મિલિટરીમાંથી રિટાયર થયા બાદ બાલકૃષ્ણ ઇલેક્ટ્રોનિક સામાનનો સ્ટોર ચલાવતા હતા. તેમણે એ બંધ કરવાનું નક્કી કર્યું અને પૂરો સમય આ કામને જ આગળ વધારવાનું નક્કી કરી દીધું. તેમણે મને કહ્યું, “તારી નોકરી તું ચાલુ રાખ. પત્રકાર હોવાના કારણે આપણા આ કામમાં એ બહુ જ કામમાં આવશે. હવેથી મારો બધો જ સમય અને શક્તિ આ કમભાગી છોકરીઓ માટે જ.” મારા પતિની આ ઉદાત્ત ભાવના જોઈ એમની પત્ની હોવા માટે મને ગૌરવ થયું.

એ જ સાલમાં આવા જ એક અભિયાનમાં આપઘાત  કરીને મૃત્યુ પામેલી એક વેશ્યાના ત્રણ જ મહિનાના પુત્રનો કબજો અમે લીધો હતો. એ વહાલસોયું બાળક મને એટલું બધું ગમી ગયું કે, અમે એને દત્તક લઈ લીધો. આજે યુવાન બની ગયેલો એ ‘લવ’ પણ અમારા આ યજ્ઞમાં જોડાઈ ગયો છે.

પછી તો અમે બન્ને આ કામમાં ગળાડૂબ ખૂંપી ગયા. અમારી અંગત હેસિયત અને ગાંઠના ગોપિચંદન કરીને આ યજ્ઞ અમે ત્રણ વર્ષ ચાલુ રાખ્યો. નેપાળ / ભુતાનની છોકરીઓ જ મોટા ભાગે હોવાના કારણે એમને પાછી એમના દેશ ભણી વિદાય કરવાનું ‘મૈતી નેપાલ’ના સહકારથી સરળ હતું. ત્રણ વર્ષ પછી, એ લોકોએ જ એમની શાખા મુંબાઈમાં શરૂ કરી, અને અમારા માથેથી ખર્ચનો બોજો ઊતરી ગયો.

પણ અમારું કામ તો ચાલુ જ રહ્યું – વધતું જ રહ્યું. થોડાંક વર્ષો બાદ ઘણા લોકોની આર્થિક મદદ મળતાં અમે અમારી પોતાની આવી સંસ્થા ‘Rescue Foundation’ શરૂ કરી શક્યા. પણ દસ વર્ષ સુધી અમારું ઘર એ પાંજરેથી છુટેલી ભોળી કબૂતરીઓ માટે ‘માનું ઘર’ બની ગયું.

ચૌદ ચૌદ વર્ષની અથાક અને જોખમી કામગીરીના પ્રતાપે ઊભા થઈ શકેલા સમ્પર્કોના કારણે ૨૦૦૭ની એ ઉજાગરા અને વેદનાથી ભરેલી રાતના બીજા જ દિવસે, ‘એ બે ભુતાની છોકરીઓને દિલ્હી સગે વગે કરી દેવામાં આવી છે.’ એવા વાવડ મને મળ્યા. મારા બે સ્ટાફના માણસોને મેં દિલ્હી મોકલ્યા અને દિલ્હીની પોલિસની મદદથી એ છોકરીઓને ત્યાંના કૂટણખાનામાંથી છોડાવી. એમની વિધવા માને પણ તે લોકો ભુતાનથી દિલ્હી લઈ આવ્યાં અને બન્ને છોકરીઓ તેને સહીસલામત સુપ્રત કરી દીધી.

એ ‘મા’એ દીકરીઓ પાછી અપાવવા માટે ગળગળા સાદે જે આશિષ અમારા કામને આપી હતી – તે અમને અત્યાર સુધીમાં મળેલ અનેક પ્રમાણપત્રો, પારિતોષિકો અને સુવર્ણ ચન્દ્રકો કરતાં વધારે કિમતી હતી. આ આખું અભિયાન નવેક મહિના ચાલ્યું હતું, પણ એના કારણે મારી હિમ્મત અને પહોંચ અનેકગણાં વધી ગયાં.

અમે શરૂ કરેલા આ માનવતા સભર અભિયાનના પ્રતાપે હજારો કમનસીબ સ્ત્રીઓ અને છોકરીઓ કમાટીપુરાના દોજખમાંથી અને બીજેથી છૂટી શકી છે. ૨૦૦૩માં એક ઉદાર સખાવતીએ કાંદિવલી ખાતેનું જ સાત માળનું એનું મકાન અમારા આ કામ માટે દાનમાં આપી દીધું. હવે છૂટકારો પામેલી છોકરીઓ અને સ્ત્રીઓનાં રહેઠાણ માટેનો પ્રશ્ન ઉકલી ગયો.

કમનસીબે બે જ વર્ષ બાદ બાલકૃષ્ણ રસ્તા પરના અકસ્માતમાં ગુજરી ગયા. અમારા દસ દસ વર્ષના આ અભિયાનમાં એમને જાન ગુમાવવાની સેંકડો ધમકીઓ મળી હતી. એમની ઉપર આક્ર્મક હુમલા પણ કરવામાં આવ્યા હતા. પણ કુદરતનો આ  આઘાત મારા માટે અસહ્ય હતો. ‘મિલિટરી દિમાગ અને શાર્રીરિક બાંધાના એ જવાંમર્દ જેવી તાકાત મારામાં શી રીતે આવશે? એકલા હાથે હું શી રીતે આ અત્યંત જોખમી કામ ચાલુ રાખી શકીશ?’ આવા વિચારોએ મારી કમર તોડી નાંખી. પણ ૧૨-૧૫ વર્ષની એ કૂમળી કળીઓને બદનામી અને એઈડ્ઝની જીવલેણ ત્સુનામીમાં ઉશેટી દેતી, આ પાશવી પ્રથાનો ખોફનાક પંજો મને દિવસ રાત પ્રેરતો રહ્યો. બાલકૃષ્ણનો એ પ્રતાપી અવાજ હજુ મને પ્રેરી રહ્યો છે,

“ત્રિવેણી! એક ને એક દિવસ આપણે મરવાનું જ છે. પણ જીવતે જીવ મરી રહેલી આ માસૂમિયતોને નવું જીવન આપીને આપણો હર એક દિવસ સીમા પર દેશને માટે જાનફેસાની કરતા સૈનિકની ખુમારીવાળો બની ગયો છે.”

અને એ આઘાત હું જીરવી ગઈ. પત્રકાર તરીકેની નોકરી મેં છોડી દીધી અને બમણી તાકાતથી મારી દીકરીઓને બચાવવાના કામમાં પૂર જોશથી જોટાઈ ગઈ. મારા જીવનના સૌથી મોટા આઘાતમાંથી આવી હજારો કૂમળી કબૂતરીઓના નિસાસાઓએ મને ફરીથી જાગૃત કરી દીધી. ‘મારું શોણિત, મારા શરીરનો એકે એક કોશ હવે આ કિશોરીઓ માટે જ છે.’ એ ધખારો મારો જીવન મંત્ર બની રહ્યો.

અમે વર્ષે ૩૦૦ છોકરીઓને બચાવી લઈએ છીએ. અમુક તો માંડ આઠ વર્ષની હોય છે. મારી એ દીકરીઓ મને જે વ્હાલથી બાથ ભરે છે. તે મારે માટે રણમાં મીઠી વીરડી જેવું હોય છે.

ત્રેવીસ વર્ષ પછી…

રેસ્ક્યુ ફાઉન્ડેશન પાસે કાંદિવલી, થાણે અને પુણે ખાતે આશરો આપવા માટે ત્રણ વિશાળ મકાનો છે. ૧૨૫ માણસોનો સ્ટાફ છે અને અગણિત માહિતી આપનારા, ઉદાર દાતાઓ અને પડદા પાછળથી મદદ કરનારાઓ પણ છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ સંસ્થાને ઉદાર ગ્રાન્ટ આપે છે. દિલ્હીમાં પણ એની શાખા શરૂ થઈ રહી છે. ખેતીની આવક, ડેરી પેદાશો અને આશરો લેતી સ્ત્રીઓએ બનાવેલ હસ્ત કારીગરીની પેદાશોના વેચાણમાંથી સંસ્થાએ પોતાની આવક પણ ઊભી કરી છે.

જ્યારે એ છોકરીઓ દોજખમાંથી છૂટીને આશરો લે છે ત્યારે એમની શારીરિક અને માનસિક હાલત બહુ જ અસ્વસ્થ અને ગંભીર હોય છે. આત્મહત્યા કરવામાંથી એમને ઉગારી લેવા માટે બહુ જ પાકટ અને પ્રેમભરી માવજત જરૂરી બની રહેતી હોય છે. અમુક ગર્ભવતી હોય છે. કાયદાના સહારે એ ગર્ભપાત કરાવી શકે છે. પણ ઘણી માની મમતાથી જન્મ આપે છે. એમાંના ઘણાં સુખી કુટુંબોમાં દત્તક સંતાન બની નવી જિંદગી શરૂ કરે છે. અમુક તો પરદેશ પણ પહોંચી જાય છે.

પણ ઘણી સ્ત્રીઓ બીજે સ્થાયી થવા છતાં, એમને ‘માના આ થાનક’માં મળેલ પ્રેમની શીતળતા એ નિર્દોષ સંતાન પર વરસાવતા રહેવાની હિમ્મત અને મમતા કેળવી શકી છે.

રેસ્ક્યુ ફાઉન્ડેશન / ત્રિવેણી આચાર્યને મળેલ એવોર્ડ –

●      Stree Shakti Award for Women Entrepreneurs in 2008. In 2011

●      Civil Courage Prize of The Train Foundation, awarded annually to those “who resolutely combat evil”.

●      Asia Democracy and Human Rights Award of the Taiwan Foundation for Democracy by Taiwanese president Ma Ying-Jeou in 2010

●      Humanitarian Honoree of World of Children Award in 2013.

ત્રિવેણીનો મન ગમતો શેર – જે એની દીકરીઓને અવાર નવાર સંભળાવતી રહે છે –

पोंछ कर अश्क अपनी आंखोंसे मुस्कराओ तो कोई बात बने ।


सर झुकानेसे कुछ नहीं होगा, सर ऊठाओ तो कोई बात बने ।

સંદર્ભ –

મૂળ લેખ

http://www.thebetterindia.com/77898/triveni-acharya-sex-trafficking-rescue-mumbai/

વિકીપિડિયા પર –

https://en.wikipedia.org/wiki/Kamathipura

https://en.wikipedia.org/wiki/Triveni_Acharya

http://www.rescuefoundation.net/index.php

https://www.youtube.com/watch?v=cShR7ArQRTU

e.mail : surpad2017@gmail.com

Loading

વરહાદનો નિબંધ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2022

કાવ્યકૂકીઝ

હું પ્રાઈમરીનો ઈ-સ્ટુડન્ટ છું. મારા માસ્તરે વરહાદ પર નિબંધ લખવાનું કીધું છે તે લખતો છું. હાચું તો એ છે કે મને વરહાદ ગમતો નથી ને વરહાદ પર લખવાનું હો ગમતું નથી. તે એટલે કે હું મારો વરહાદ પાડું તે માસ્તરને ગમતું નથી. હું 2022નો વરહાદ પાડું તો એ મને માર્ક ની આપે. એને તો 1950ની નિબંધમાળામાં જે વરહાદ છે તે જ કાગળ પર પડવો જોઈએ, પણ હું તો મારો જ વરહાદ પાડા. ઢોર, તું શીદને ચિંતા કરે? માસ્તરે કરવું હોય તે કરે – એવું મારા ફાધર મને કે'તા હોય છે. શું છે કે મને વરહાદ દીઠો ગમતો નથી, પણ નિબંધ લખવો હોય તો ગમાડવો પડે છે ને લખવું પડે છે કે ભીના થવાની મઝા પડે. અમણાં કઉં તે મઝા પડે !

ઉપરવાળો લીંબું પીધું હોય તેમ બધું ભીનું કરે તેમાં મઝા હું પડે? મને તો કડાકા ભડાકા થાય તે હો ની ગમે. આપણામાં ને પેલા ચૂંટણી સરઘસમાં કોઈ તો ફેર હોય કે ની? આ વીજળી થાયને તે હો મને તો સિલિન્ડર ફાટતું હોય તેવું જ લાગે છે, જો ! વરહાદથી અનાજ પાકે તેવું કે'ય છે, પણ એ કૈં હાચું નથી. અનાજ ચોમાહામાં જ પાકતું હોય તો ઉનાળામાં હો ડોઝરું તો ભરાય જ છેને ! એટલે એવું કૈં નથી કે બધું વરહાદમાં જ થાય છે. મને બઉ વરહાદ પડે તે બે જ વાર ગમે. એક તો સ્કૂલે જતાં પહેલાં પડે તો ! ને બીજીવાર સ્કૂલમાં હોઉં ત્યારે પડે  તો, કારણ રજા પડી જાયને ! આમ તો તેલ લેવા હું જ જાઉં છું, પણ વરસતા વરહાદમાં મધર કાંદાના ભજિયાં બનાવે તે ફાધરના ખાતાં વધે તો મને હો મળે છે. મને બઉ ભાવે. મારા ફાધરને હો વરહાદ ની ગમે. એ તો ઘરની બા'ર હો ની નીકળે, તો હો ભગવાનને બે હાથ જોડીને કે'ય કે પાણી પાડતો જ રે’જે. જોઈએ તો બે લીંબું વધારે પીજે, પણ વરસતો રે’જે, હમયજો? ફાધરને એક ખોટી ટેવ એ છે કે એ બારે મહિના રસ્તા પર પાણી રેડતા જ રે'ય છે. ચોમાહામાં વરહાદ ધોધમાર પડતો હોય તો હો સડક પર પાણી છાંટવાનું ચૂકતા નથી ને જેટલું કીચડ થાય તેટલી એમને ખુશી વધારે થાય છે, તેમાં જો કોઈ પઈડું તો, તો બઉ દાંત કાઢે ને ભગવાનને કે'તા ફરે કે વરહાદ બઉ પાડ ને માણહોને હો પાડ !

તે એટલા માટે કે એ હાડવૈદ છે ..

000

('સંદેશ'ની મારી હળવી કોલમ)

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,3311,3321,3331,334...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved