Opinion Magazine
Number of visits: 9458647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અઘરું તો છે

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|12 July 2022

સહુ કહે; એ માનવું અઘરું તો છે;

જૂઠ પણ સ્વીકારવું અઘરું તો છે.

જેનો પડછાયો ય મંજૂર હોય નહિ,

એની સાથે ચાલવું અઘરું તો છે.

જેઓ હાલી નીકળ્યા હલકટ થઈ,

એમને પડકારવું અઘરું તો છે.

આવતીકાલો વિષે પ્રશ્ર્નો ન કર;

કે કશું પણ ધારવું અઘરું તો છે. 

હું સૂતેલાંને જગાડું ઢંઢોળી,

જાણું છું; કે જાગવું અઘરું તો છે.

હર પળે રંગો બદલતા બહુરૂપી !

કદ કોઈનું માપવું અઘરું તો છે.

સરઘસો, રેલી અને પાગલપણું,

એથી અળગા થઇ જવું અઘરું તો છે. 

ખેસ પ્હેરી જૂઠનો જાહેરમાં,

સત્યને લ્હેરાવવું અઘરું તો છે.

મારું પોતાનું ય કૈં જીવવું પડે,

સહુના જેવું લાગવું અઘરું તો છે.

સ્હેજ હો તો મનને પણ સમજાવીએ,

સાવ પથ્થર થઇ જવું અઘરું તો છે.

રોજ મારી નાગરિકતા તરફડે,

રોજ છાપું વાંચવું અઘરું તો છે.

શાહી ફરમાનો મુબારક હો તને,

એ કહે ત્યાં નાચવું અઘરું તો છે.

ખૈર હો મારા મુલક; તારી હવે,

સત્યને સમજાવવું અઘરું તો છે. 

તું  ‘પ્રણય’, ઘરબાʼરવાળો શખ્સ છે, 

બાળી ઘરને – તાપવું અઘરું તો છે.

તા. ૦૨/૦૬/૨૦૨૨

Loading

લંકાદહન હનુમાન જ નહીં, શ્રીલંકન પ્રજા પણ કરી શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 July 2022

રામાયણમાં હનુમાને રાવણની લંકા ફૂંકી હતી, તે વાતને યુગો વીત્યા. તે પછી ફરી એવી સ્થિતિ આવી છે કે શ્રીલંકા ફરી સળગ્યું છે. કોણ જાણે કેમ પણ, રાવણનાં માથાં એટલાં વધ્યાં છે કે આ વખતે શ્રીલંકન પ્રજાએ જ હનુમાનનું કાર્ય કરવાનું આવ્યું છે. એ એટલી ઉશ્કેરાઈ છે કે તે હનુમાનની રાહ જોઈ શકે એમ નથી. પ્રજા એટલી પીડાઈ છે કે તેણે જ સરકારને આગ ચાંપવા માંડી છે. શ્રીલંકન સરકારનો કારભાર એટલો કથળ્યો છે કે તેના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપકસેએ અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજકીય પદો છોડવાં પડ્યાં છે. બે દિવસ પર પ્રજાએ વડા પ્રધાનના નિવાસ સ્થાનને આગ ચાંપી દીધી હતી. પ્રજા એટલી ઉશ્કેરાઈ કે તેણે રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો ને રાષ્ટ્રપતિને અંગરક્ષકોએ આર્મી હેડ ક્વાર્ટરમાં ખસેડવા પડ્યા. હેડક્વાર્ટરથી તેમણે 13 જુલાઈએ રાજીનામું આપવાની વાત કરી છે. જો ગોટબાયા રાજીનામું આપે ને બધું બરાબર ચાલે તો નવી નિમણૂક એકાદ મહિનામાં થાય એમ બને.

1948માં લોકતંત્રનો પ્રારંભ થયો, તે પછી શ્રીલંકામાં સૌથી ખરાબ સમય છેલ્લા થોડા મહિનાઓમાં આર્થિક સંકટનો આવ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈ.એમ.એફ.) શ્રીલંકામાં પરિસ્થિતિ બદલાય એની રાહ જુએ છે જેથી પેકેજ અંગે જાહેરાત થઈ શકે. અમેરિકાએ પણ થોડા સમય પર અપીલ કરી હતી કે કોઈ પણ સરકારે પ્રજાના અસંતોષને ઠારી શકે એવાં પગલાં ઝડપથી ભરવાં જોઈએ, પણ હકીકત એ છે કે સરકારને જ આર્થિક સંકટમાંથી ઉગરવાની ઈચ્છા ન હતી એટલે આવવું જોઈતું પરિણામ જ આવ્યું છે. રાજપકસે પરિવાર જે રીતે સરકારમાં વર્ચસ્વ જમાવીને બેઠો હતો તેમાં ભ્રષ્ટતા ન આચરાય એ શક્ય જ ન હતું.

અગાઉ પણ મેની શરૂઆતમાં ઉશ્કેરાયેલા લોકોએ કોલંબોમાં રાજપકસેના ભાઈ અને પૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપકસેના સત્તાવાર નિવાસ સ્થાનને ઘેરી લીધું હતું ને ત્યારે પણ મહિન્દાએ પરિવાર સમેત ભાગવું પડ્યું હતું. આ ઘટના રાષ્ટ્રપતિ નિમિત્તે ફરી બની. એપ્રિલ સુધી સરકારમાં રાજપકસે પરિવારના જ પાંચ સભ્યો સત્તામાં હતા. આ પરિવારનું રાષ્ટ્રીય બજેટ પર 70 ટકા જેટલું સીધું નિયંત્રણ હતું. એના પરથી પણ આ પરિવાર સત્તામાં શું કામ આવ્યો હશે તે સમજી શકાય એમ છે. આ પરિવાર પર 42 હજાર કરોડ દેશની બહાર લઈ જવાનો આરોપ છે. મહિન્દા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ હતા એ દરમિયાન મહિન્દાએ ભાઈ ગોટબાયાને તમિળ ચળવળને કચડી નાખવાનો આદેશ આપ્યો હતો. મહિન્દાનાં શાસન દરમિયાન જ ચીન અને શ્રીલંકા નજીક આવ્યાં અને ચીને 7 બિલિયન ડોલરની લોન આપી. જે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ માટે લોન લેવાઈ તેને નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો. ભૂતપૂર્વ લશ્કરી અધિકારી ગોટબાયા 2019માં રાષ્ટ્રપતિ થયા. એમણે કરવેરામાં કાપ મૂક્યો ને રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આગળ જતાં આ બાબત આર્થિક સંકટનું કારણ બની. 71 વર્ષના બાસિલ રાજપક્સે નાણા મંત્રી હતા. એમણે સરકારી કમિશન એ હદે ખાધું કે તે ‘મિસ્ટર 10 ટકા’ તરીકે ઓળખાયા. તેમના પર લાખો ડોલરનો ગેરઉપયોગ કરવાનો આરોપ હતો, પણ ગોટબાયા રાષ્ટ્રપતિ થયા કે તમામ કેસોનો વીંટો વાળી દેવામાં આવ્યો.

એક બાજુ પારિવારિક ભ્રષ્ટાચાર અને બીજી બાજુ ચીન, જાપાન, ભારત, જેવા દેશો પાસેથી તથા વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક…માંથી લેવાયેલી ભારે ભરખમ લોન, ગમે તેવા સમૃદ્ધ દેશને પણ નબળો પાડે. એ શ્રીલંકાને નસીબે પણ આવ્યું. બાકી હતું તે રાનિલ વિક્રમસિંઘેએ ચીનની લોન ચૂકવણીના બદલામાં હમ્બનટોટા બંદર 99 વર્ષ માટે લીઝ પર આપ્યું. એનાથી પતનની શરૂઆત થઈ. શ્રીલંકાની કુલ નિકાસ કરતાં આયાત 10 બિલિયન ડોલર વધારે છે. મેના અંત સુધીમાં તેનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને માત્ર 1.92 બિલિયન જ રહી ગયો છે ને તેને માથે 4 બિલિયન ડોલરનું દેવું છે. શ્રીલંકા આમ પણ આયાત પર નિર્ભર છે. દવાઓ, ખાદ્યપદાર્થ, બળતણ જેવી બાબતે તેણે આયાત પર જ આધાર રાખવો પડે છે. દેખીતું છે કે વિદેશી હુંડિયામણની અછત હોય તો ચીજવસ્તુઓની ખરીદી ઘટે ને તેની તંગી ઊભી થાય ને તે મોંઘવારી વધારવામાં જ પરિણમે. આગામી થોડા મહિનાઓમાં દવા, બળતણ, ખાદ્યસામગ્રીની ખરીદી માટે 6 બિલિયન ડોલરની જરૂર છે, પણ હાલના સંજોગોમાં શ્રીલંકાની ક્ષમતા જ એટલી નથી કે તે ખરીદી કરી શકે.

વારુ, કોરોનાએ અને આતંકી હુમલાઓએ શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો માર્યો. એપ્રિલ 2019માં ઈસ્ટર સન્ડે પર, કોલંબોમાં ત્રણ ચર્ચ પર આતંકી હુમલાઓમાં 260 લોકોએ જીવ ખોયા. એની અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ પડી. તેમાં કોરોનાએ ભરડો લીધો ને 2019માં જ પ્રવાસીઓમાં 21 ટકાનો ઘટાડો થયો. આ બધું જોતાં લાગે છે કે શ્રીલંકન સરકારની ભ્રષ્ટતા જ શ્રીલંકાને ડુબાડવામાં કારણભૂત છે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ દેશનું રાજકારણ સત્તાધારી રાજકીય પરિવારો બગાડતાં હોય છે. પરિવારવાદ જેમ ભારતને ફળ્યો નથી, એમ જ શ્રીલંકાને પણ ફળ્યો નથી. એમ પણ લાગે છે કે શ્રીલંકામાં વિપક્ષની પણ એવી કોઈ ભૂમિકા જણાતી નથી જે ભ્રષ્ટાચાર અને ઉધારીને પડકારે, વધારામાં શ્રીલંકન સરકારનો ભારત પરનો શંકાશીલ સ્વભાવ પણ ભાગ ભજવી ગયો છે. એક તબક્કે ભારતનો વિરોધ કરવાનું પણ શ્રીલંકા ચૂક્યું નથી, ખાસ કરીને તમિળ ચળવળને દબાવવામાં ભારત સાથેનું શ્રીલંકાનું વલણ આવકાર્ય રહ્યું નથી. એ જ કારણ છે કે શ્રીલંકાએ ભારત જેવો પડોશી હાથવગો હોવા છતાં ચીન પર ભરોસો મૂક્યો ને હમ્બનટોટા બંદર 99 વર્ષના પટે લખી આપ્યું. એ ખરું કે ચીનની રમતનો ભોગ શ્રીલંકા બન્યું છે ને હાલની પરિસ્થિતિનો લાભ લીધા વગર ચીન રહે તો તેને ચમત્કાર જ ગણવાનો રહે. શ્રીલંકાએ એ કદી ભૂલવા જેવું નથી કે ભારત સાથે બગાડયું હોવા છતાં, પડખે તો ભારત જ રહ્યું છે. ગયા એપ્રિલમાં બળતણનું સંકટ ઊભું થયું ત્યારે ભારતે 1.20 લાખ ટન ડીઝલ અને 40 હજાર ટન પેટ્રોલ તથા 2.5 અબજ ડોલરની સહાય શ્રીલંકાને આપવાની વાત કરી હતી. મેમાં જ્યારે મહિન્દા રાજપકસે એ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને 12 સાંસદોના ઘરે આગ લગાવી દેવાઈ ને હિંસામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, ત્યારે પણ ભારત દવા, અનાજ વગેરે મદદની સાથોસાથ જ 3.5 અરબ ડોલરની મદદ આપી ચૂક્યું હતું. આ ઉપરાંત ગઈ કાલે જ વિદેશ મંત્રી એસ. જયશંકરે જાહેર કર્યું છે કે આર્થિક સંકટને પહોંચી વળવા ભારત, શ્રીલંકાને હર સંભવ મદદ કરશે.

ઘરનાં ઘંટી ચાટે… એ સ્થિતિમાં પણ ભારત પડોશી રાષ્ટ્રોનું ભૂંડું નથી ઇચ્છતું એ જગજાહેર છે. 1962નું યુદ્ધ ભૂલીને ભારત ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને મન મૂકીને આવકારે છે. ભારતના વડા પ્રધાન ઓચિંતા જ નવાઝ શરીફની વર્ષગાંઠ પર અભિનંદન આપવા સીધા પાકિસ્તાન પહોંચી જાય છે કે નેપાળ, ચીનની શરમમાં તણાતું હોય તો પણ ભારત તેનું ભલું જ ઈચ્છે છે. વરસી પડવાની કોઈ જરૂર ન હોય, તો પણ ભારત બીજાં રાષ્ટ્રો જેવું નિષ્ઠુર થઈ શકતું નથી તે માનવતાને કારણે. પોતાના દેશમાં ટીકાને પાત્ર બનતું હોય તો પણ ભારત માણસાઈ ચૂકતું નથી, કારણ તે માણસમાં જ હોય છે, તેની અપેક્ષા પશુ પાસેથી રખાતી નથી. ભારતની વૈશ્વિક સ્તરે એ પ્રતિભા ઉપસી છે કે તે વિશ્વને મદદ કરી શકે. કોરોના કાળમાં રસી, અનાજ વગેરેની મદદ વિશ્વને કરવા ભારતે હાથ લંબાવ્યો છે ને તે માટે તેની થાય એટલી સરાહના ઓછી છે, પણ કેટલીક બાબતે ભારતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. શ્રીલંકાનો દાખલો સામે જ છે ત્યારે ભારતે એ ભૂલો કરવાથી બચવું જોઈએ જેને લીધે શ્રીલંકાએ પતન નોંતર્યું છે.

ગમે એટલું ભવ્ય રાષ્ટ્ર પણ ભ્રષ્ટ થાય તો તે મોડું વહેલું પડ્યા વગર રહેતું નથી. ભારતમાં ભ્રષ્ટાચાર નથી  એવું કહી શકાશે નહીં. એટલું છે કે રાજપકસે પરિવારે શ્રીલંકા ડુબાડયું, એવો પરિવારવાદ હવે ભારતમાં એટલો પ્રભાવક નથી, પણ કેટલાક રાજકારણીઓ ભ્રષ્ટ છે જ. આ ભ્રષ્ટતા જવી જોઈએ. એ ઉપરાંત ભારતનાં રાજકારણમાંથી વિપક્ષને ખતમ કરવાની યુક્તિઓ અટકવી જોઈએ. શ્રીલંકામાં વિપક્ષનો એવો પ્રભાવ નથી કે તે રાષ્ટ્રને પતન તરફ ધકેલાતું રોકે. લોકશાહીમાં વિપક્ષનું મહત્ત્વ ન સ્વીકારાય તો તે લોકશાહીને જ ખતમ કરે છે. દેશ એક તરફથી ભ્રષ્ટ થતો જાય ને બીજી તરફ અમર્યાદ લોનનો ગુલામ બને તો તે કેવી સ્થિતિએ પહોંચે તેનું તાજું ઉદાહરણ શ્રીલંકાએ પૂરું પાડ્યું છે.

છેલ્લે સૌથી મહત્ત્વની વાત તે જનતાનું મહત્ત્વ. લોકો બહુ સહિષ્ણુ છે. ઘણું વેઠે છે. તે જરૂરી ચીજવસ્તુઓ મોંઘી મળે તો ઓછી ખરીદીને પણ ચલાવી લે છે. રાજકારણીઓને ભ્રષ્ટ થતા જોઈને પ્રજા પણ ભ્રષ્ટ થાય છે, પણ એથી સરવાળે હાનિ રાષ્ટ્રને જ પહોંચે છે. એમાં પણ એક વર્ગ એવો છે જે આ બધાંથી દૂર, પોતાનું શોષણ થવા દે છે. પણ, એની પણ એક મર્યાદા છે. એનો ભંગ થાય છે ત્યારે તે સત્તા તરફ કીડિયારાની જેમ ધસે છે ને અજગર ભરડો લેતી સત્તાને ફોલી ખાય છે. એ સ્થિતિમાં સત્તાને ભાગવા સિવાય આરો રહેતો નથી. આ સ્થિતિ શ્રીલંકાની થઈ છે. ઈચ્છીએ કે શ્રીલંકા જેવી સ્થિતિ બીજા કોઈ દેશની ન થાય …

 000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જુલાઈ 2022

Loading

એબોર્શનની આંટીઘૂંટી: ગર્ભ મનુષ્ય કહેવાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 July 2022

અમેરિકામાં અત્યારે એબોર્શનને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે, એબોર્શન કરવાના 50 વર્ષ જૂના સંવૈધાનિક અધિકારને ખારીજ કર્યો નાખ્યો છે. મતલબ કે, અમેરિકામાં હવે રાજ્યો ઈચ્છે તો એબોર્શન પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકામાં, એબોર્શનની છૂટ કે પાબંધી રાજ્યોનો વિષય છે, પરંતુ 50 પહેલાંના એક સીમાચિન્હ રૂપ કેસમાં, તત્કાલીન સુપ્રીમ કોર્ટ જજોએ એબોર્શન કરવાને સંવૈધાનિક રક્ષણ આપ્યું હતું, જેથી સ્ત્રીને એ અધિકાર મળતો હતો કે તેણે એબોર્શન કરાવવું કે નહીં. હાલના છ કન્ઝર્વેટિવ જજોએ એ ફેંસલાને ઉલટાવી દીધો છે. એટલે, હવે રાજ્ય નક્કી કરશે કે એબોર્શનનો અધિકાર આપવો કે નહીં. 

અમેરિકામાં, આમ તો આ રાજનૈતિક મુદ્દો વધુ છે. રિપલ્બિકન લોકો (ડોનાલ્ડ ટ્રમ્પવાળા) એબોર્શનના પક્ષમાં નથી. હાલની સુપ્રીમ કોર્ટમાં બહુમતી જજો રિપલ્બિકન વિચારધારાવાળા છે એટલે તેમણે રાજ્યોને પ્રતિબંધ લગાવા, ન લગાવાની છૂટ આપી છે. અમેરિકામાં અત્યારે 6 રાજ્યોમાં એબોર્શન ગેરકાયદે છે, 3 રાજ્યોમાં પ્રતિબંધ પર સ્ટે છે, 10 રાજ્યોમાં પ્રતિબંધ આવી રહ્યો છે અને 11 રાજ્યોમાં એબોર્શનની છૂટ છે. 

કાનૂનની બહાર જઈને જોઈએ તો,વ્યાપક રીતે, એબોર્શનનો મુદ્દો નૈતિકતાનો પણ છે. 20મી સદીના મધ્યમાં, સર્જીકલ એબોર્શનની તકનીક પ્રચલિત બની, ત્યારથી તેની યોગ્યતા-અયોગ્યતાને લઈને ગરમાગરમ બહસ પેદા થઇ છે. એમાં ત્રણ પાયાના પ્રશ્નો છે; કોઈ વ્યક્તિનું ખૂન કરવું યોગ્ય છે? (આમાં યુદ્ધ કે ફાંસીનો મુદ્દો પણ આવે). એક વ્યક્તિ(જેમ કે માતા)નો અધિકાર બીજા(જેમ કે ગર્ભ)ના અધિકારથી ઉપર હોય? અને ગર્ભને માણસ કહી શકાય?

આમાં, ગર્ભને માણસ કહેવાય કે ન કહેવાય તેના પર બાકીના બે મુદ્દા ટકેલા છે. એબોર્શનની બાબતમાં લોકો બે વર્ગમાં વહેંચાયેલા છે; પ્રો-લાઈફ (જીવન સર્વોપરી છે) અને પ્રો-ચોઈસ (મારા શરીર પર મારો અધિકાર છે). જે લોકો ગર્ભને જીવ માને છે, તેઓ કહે છે કે ગર્ભનિરોધક તકનીકથી લઈને તમામ પ્રકારનાં એબોર્શન નૈતિક રીતે અયોગ્ય છે. જે લોકો ગર્ભને જીવ નથી માનતા, તે કહે છે કે ભ્રુણહત્યા એ હત્યા નથી અને તેનો અધિકાર હોવો જોઈએ (આ આત્મહત્યા અને ઈચ્છામૃત્યુ વચ્ચેની ડિબેટ જેવું છે). 

આમાં વિવાદ એ પ્રશ્નને લઈને છે કે માનવીય ગર્ભ મનુષ્ય કહેવાય? એક વર્ગ એમ માને છે કે ગર્ભમાં મનુષ્ય જીવનના જીનેટિક કોડ હોય છે, અને તેને જો અવરોધવામાં ન આવે, તો તે એક વયસ્ક મનુષ્યમાં વિકસિત થઇ શકે છે. આ વર્ગ માને છે કે ગર્ભ હોમો સેપિયન્સની પ્રજાતિનો જ અંશ છે, એટલે એ મનુષ્ય કહેવાય. 

બીજા વર્ગની દલીલ એવી છે કે મનુષ્ય એટલે જીવ હોવો એટલું પૂરતું નથી, મનુષ્ય હોવું એટલે પોતાના વિશે (સ્વ અથવા સેલ્ફ) અને બાહ્ય જગત વિશે બોધ હોવો જરૂરી છે. જે જીવ સભાનતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક આંતરિક તેમ જ બાહ્ય જગત સાથે સંબંધ-સંપર્ક સ્થાપી શકે, તેને મનુષ્ય કહેવાય. આ મત પ્રમાણે, મનુષ્ય તેને કહેવાય જે તેની આસપાસના જગતને સમજી શકે, ભાષાનો ઉપયોગ કરી શકે, આત્મબોધ વિકસાવે, જેની ઇન્દ્રિયોમાં ઈચ્છાઓ હોય, અને જે તેના ભવિષ્યનું આયોજન કરી શકે. 

ગર્ભને મનુષ્ય માનવાવાળા લોકો કહે છે કે મનુષ્ય હોવાની વ્યાખ્યા માત્ર તેની શારીરિક (ભૌતિક) ક્ષમતાઓ પર નિર્ભર નથી. જીવમાં તાત્ત્વિક (આધ્યાત્મિક) ક્ષમતાઓ પણ હોય છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે, ઉપર જે ક્ષમતાઓની વાત કરી, તેના વિકાસની જેનામાં સંભાવના હોય તે મનુષ્ય કહેવાય. એક ‘ચીજ’ શું છે, તેના કરતાં તે શું બની શકે છે તેમ છે તે વધુ નોંધપાત્ર છે, તેમાં આ વર્ગનો તર્ક છે. તાત્ત્વિક ચર્ચાઓમાં તેને ‘સંભાવ્યતા’ (અંતર્હિત શક્તિ) કહે છે; ગર્ભ ભલે બૌદ્ધિક ક્રિયાઓ કરવા માટે સક્ષમ ન હોય, તેનામાં બૌદ્ધિક ક્રિયાઓ કરવા માટે વિકસિત થવાની ક્ષમતા છે. એ સંભાવના છે એટલે તે મનુષ્ય છે. 

આ પરસ્પર વિરોધી દૃષ્ટિકોણમાં દુનિયાના તમામ સમાજો વિભાજીત થયેલા છે. બંને દૃષ્ટિકોણમાં અમુક તર્ક વ્યાજબી છે. એટલે કયો મત સ્વીકાર્ય છે અને કયો અસ્વીકાર્ય, તેનો કોઈ સરળ ઉત્તર નથી. પરિણામે, એક ત્રીજો હાઈબ્રીડ મત પણ પ્રચલિત બન્યો છે, જેમાં એકદમ શરૂઆતના ગર્ભમાં જીવ નથી એવું માનવામાં આવે છે અને પછીના ગર્ભમાં જીવ હોવાનું માનવામાં આવે છે. આ મત પણ પ્રશ્નો ઊભા કરે છે; ગર્ભમાં જીવ ક્યારે આવે? સામાન્ય રીતે, ગર્ભાવસ્થાના વિકાસની શરૂઆતની અવસ્થાને ભ્રુણ કહે છે અને ત્રણ મહિના પછી તેને ગર્ભ કહે છે (ભારતમાં, 20 અઠવાડિયા સુધીના ગર્ભનું એબોર્શન કરવાની છૂટ છે).

એબોર્શનનો મુદ્દો જટિલ બની જવાનું ત્રીજું કારણ મહિલાઓના અધિકારો છે. જ્યાં સુધી મહિલાઓના અધિકારોને લઈને જાગૃતિ નહોતી, ત્યાં સુધી એબોર્શન એક ખાનગી અને વ્યક્તિગત મુદ્દો હતો, પરંતુ મહિલાઓએ તેમના શરીર પર તેમના અધિકાર જતાવાનું શરૂ કર્યું, તે પછી તેને એબોર્શનનો અધિકાર છે કે નહીં, તેની સાર્વજનિક ચર્ચા શરૂ થઇ. અમેરિકામાં, સુપ્રીમ કોર્ટના તાજા આદેશની ટીકા એટલે જ થઇ રહી છે કે આ તો સ્ત્રીઓને એક સદી પાછી ધકેલી દેવાનો કારસો છે. 

એબોર્શનના અધિકારને નારીવાદી ચળવળકારો તેમની સૌથી મૂલ્યવાન સફળતા ગણે છે. એક સમય હતો, જ્યારે સ્ત્રી એક ‘વાસણ’થી વિશેષ કશું નહોતી. એમાં જે પણ ભરવામાં આવે, તે તેણે સાચવવાનું હતું. એમાંથી જ, માતા બન્યા વગર સ્ત્રી સંપૂર્ણ ન કહેવાય, સ્ત્રી બીજા જીવને જન્મ આપે છે એટલે શક્તિ કહેવાય એવી માન્યતાઓ પ્રબળ હતી. સ્ત્રીની ઓળખ ત્યારે એક પત્ની અને માતામાં સીમિત ગઈ હતી.

પશ્ચિમમાં જ્યારે મહિલાઓના અધિકારો માટે જાગૃતિ આવી, ત્યારે સ્વૈચ્છિક માતૃત્વ(વોલન્ટરી મધરહૂડ)નો વિચાર પ્રચલિત થયો. 19મી સદીમાં, સ્ત્રીઓ માટે લગ્ન અને સેક્સનો અર્થ માત્ર માતૃત્વ થતો હતો અને તેનો નિર્ણય પણ પુરુષના હાથમાં હતો. નારીવાદીઓ તેને એક્સિડન્ટલ મધરહૂડ કહેતા હતા. તેમાં સ્ત્રીની કોઈ પસંદગી નહોતી. તે વાસણ હતી, વીર્ય અને ગર્ભનું વાહન કરવું તેની ફરજમાં આવતું હતું. 

જ્યારે એબોર્શનનો વિકલ્પ કે સુવિધા નહોતી, ત્યારે પશ્ચિમમાં 19મી સદીની શરૂઆતમાં નારીવાદીઓએ સ્વૈચ્છિક માતૃત્વનો વિચાર વહેતો મુક્યો હતો. આ ક્રાંતિકારી વિચાર હતો. લગ્નમાં બળાત્કાર જેવું હોય છે તેનો દૂર દૂર સુધી કોઈ વિચાર નહતો, ત્યારે જાગૃત અને બોલકી સ્ત્રીઓ માતૃત્વને ટાળવા માટે પતિ સાથે શરીર સુખનો ઇન્કાર કરવાને પ્રોત્સાહન આપી રહી છે. સ્ત્રી તેની ઈચ્છા અને મરજી પ્રમાણે શરીર સંબંધ બાંધે, તો માતૃત્વ પર પણ તેનો જ અધિકાર રહે. વિશેષ તો, તે સમયે મેડિકલ વિજ્ઞાન એટલું વિકસ્યું નહોતું અને પ્રેગનન્સી ઘણી સ્ત્રીઓ માટે જોખમી અને બિન તંદુરસ્ત સાબિત થતી હતી, તે કારણસર પણ સ્વૈચ્છિક માતૃત્વનો વિચાર લોકપ્રિય થયો હતો. 

વિડંબના કેવી છે કે અમેરિકન સુપ્રીમ કોર્ટે એબોર્શન પરથી સંવૈધાનિક છત્ર હટાવી દીધું એટલે ત્યાં સોશ્યલ મીડિયા પર ‘સેક્સની હડતાળ’નું એલાન થયું છે. આ ફેંસલાથી અકળાયેલી સ્ત્રીઓએ જાહેર કર્યું હતું કે પુરુષો નસબંદી પણ ન કરાવે અને અમારા હક્કો માટે અમને સમર્થન પણ ન આપે, તો અમે શું કરવા શરીર સંબંધ બાંધીને વણજોઈતી પ્રેગનન્સીને આમંત્રણ આપીએ!

પ્રગતિના નામે આપણે ઘણીવાર ફરી ફરીને ત્યાં જ આવીએ છીએ, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જુલાઈ 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3281,3291,3301,331...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved