Opinion Magazine
Number of visits: 9670524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધા ગાંવ : ગંગોલીની ગંગાને ગુજરાતીમાં ઉતારવાનો પ્રયાસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 November 2022

ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યિક કૃતિઓના અનુવાદ આપનારાં લેખિકા શરીફાબહેન વીજળીવાળાનાં, આ મહિને ત્રણ નવાં પુસ્તકો આવ્યાં છે; ડો. રાહી માસૂમ રઝાનું ‘આધા ગાંવ,’ ઇંતઝાર હુસૈનનું ‘બસ્તી’ અને મન્નુ ભંડારીનું ‘મહાભોજ.’ આ ત્રણે પુસ્તકો નવલકથા સ્વરૂપે છે. પહેલી બે નવલકથાઓ, ‘આધા ગાંવ’ અને ‘બસ્તી’, વિભાજનના ઇતિહાસની કરુણાંતિકાને સ્પર્શ કરે છે, જ્યારે ‘મહાભોજ’ આઝાદ ભારતમાં રાજનીતિ અને અપરાધના ગઠબંધનની વાત કરે છે. ‘બસ્તી’ આમ તો પાકિસ્તાની ઉર્દૂ નવલકથા છે, અને તેમાં પાકિસ્તાનના હિંસક ભૂતકાળ અને માનવીય સંબંધોના અનિશ્ચિત ભવિષ્યની ચિંતા છે.

એમાં ‘આધા ગાંવ’ વિશેષ રસ પડે તેવું સર્જન છે. એક તો, તેના રચનાકાર ડો. રાહી માસૂમ રઝાનું નામ ઘેર-ઘરે જાણીતું છે અને બીજું, તેમની આ અત્યંત લોકપ્રિય નવલકથામાં ભારત-પાકિસ્તાનના વિભાજનને કથિત હિંદુ-મુસ્લિમ નજરથી જોવાને બદલે ભારતીય, અથવા એથી ય આગળ, માનવીય દૃષ્ટિએ જોવાનો પ્રયાસ છે.

‘આધા ગાંવ’ 1966માં પ્રકશિત થઇ હતી. વાચકોએ તેની એટલી સરાહના કરી કે રાહી ભારતના ઉચ્ચ કોટિના વાર્તાકારોમાં ગણાવા લાગ્યા હતા. એક રીતે તે આત્મકથાત્મક છે. તેમાં ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં આવેલા ગંગોલી નામના ગામની વાત છે. રાહીનું ગામ પણ એ જ છે. રાહી કામકાજની તલાશમાં મુંબઈ આવ્યા હતા અને હિન્દી ફિલ્મોમાં જાણીતા સંવાદ લેખક તરીકે સ્થાપિત થયા હતા (મૈ તુલસી તેરે આંગન કી, મિલી, લમ્હે, ગોલમાલ, કર્ઝ). જગજીત સિંહ-ચિત્રા સિંહના અવાજમાં તેમની એક ગઝલ ‘હમ તો હૈ પરદેશ મેં દેશ મેં નિકલા હોગા ચાંદ’ બેહદ લોકપ્રિય નીવડી હતી.

રાહી સ્પષ્ટતાવાદી અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રીય દૃષ્ટિકોણવાળા હતા. ‘આધા ગાંવ’ તેનું પરિણામ છે. બી.આર. ચોપરાની બહુચર્ચિત ધારાવાહી સિરિયલ ‘મહાભારત’ના સંવાદો રાહીએ લખ્યા હતા. શરૂઆતમાં તેમણે ચોપરાજીને ના પાડી દીધી હતી કારણ કે ફિલ્મોની વ્યસ્તતાને કારણે તેમની પાસે સમય નહોતો, પણ તે પહેલાં ચોપરાએ સંવાદ લેખક તરીકે ડો. રાહીનું નામ જાહેર કરી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે અમુક કટ્ટર હિંદુઓએ ચોપરાજી પર કાગળો લખ્યા કે તમને ‘મહાભારત’ માટે બીજું કોઈ નહીં ને એક મુસ્લિમ લેખક મળ્યો?

ચોપરાએ એ પત્રો ડો. રાહીને મોકલી આપ્યા. તેઓ ભડકી ગયા. તેમણે ચોપરાને ફોન જોડીને કહ્યું, “હવે તો હું જ લખીશ. હું ગંગાનો દીકરો છું (તેમનું વતન ગંગા કિનારે હતું). મારાથી વધુ હિન્દુસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિની કોને ખબર હોય?” એટલા માટે રાહી તેમને ગંગાપુત્ર અને ગંગા કિનારે વાલા ગણાવતા હતા.

રાહીએ ભારત-પાકિસ્તાનના વિભાજનને ગંગોલીમાં અનુભવ્યું હતું. ગંગોલી બે ભાગમાં વહેંચાયેલું ગામ છે; ઉત્તર-પટ્ટી અને દક્ષિણ-પટ્ટી. એમાં શિયા અને સુન્ની મુસ્લિમો રહે છે. એટલા માટે તેનું નામ ‘આધા ગાંવ’ છે. ગામમાં હિદુ સહિતની અન્ય જાતિઓ પણ રહે છે. વિભાજનની વાતોના કારણે ગામમાં જે રીતે વૈમનસ્ય ઊભું થાય છે અને કેવી રીતે સંબંધોમાં પરિવર્તન આવે છે તેની વાર્તા આ નવલકથામાં છે. 1947માં, સાંપ્રદાયિક ઘટનાઓનાં કારણે ભારતનો ગ્રામીણ અને શહેરી સમાજ તમામ ભિન્નતાઓ હોવા છતાં કેવી રીતે વિભાજીત થવા લાગ્યો તેના પર બહુ ઓછુ લખાયું છે. ‘આધા ગાંવ’ એ અર્થમાં મહત્ત્વની કૃતિ છે.

નવલકથાની પ્રસ્તાવનામાં ડો. રાહી માસૂમ રઝા લખે છે, “આ વાર્તા ન તો અમુક લોકોની છે કે ન તો અમુક પરિવારોની. એ ગામની પણ વાર્તા નથી જેમાં આ વાર્તાનાં સારાં-ખરાબ પાત્રો પોત-પોતાને પૂર્ણ બનાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વાર્તા ન તો ધાર્મિક છે, ન તો રાજનૈતિક કારણ કે સમય ન તો ધાર્મિક હોય છે કે ન તો રાજનૈતિક … આ વાર્તા સમયની છે. આ ગંગોલીમાં પસાર થનારા સમયની વાર્તા છે.”

સમય તો માત્ર માણસનો હોય છે. તે હિંદુ અને મુસ્લિમનો સહિયારો હોય છે. ભારતમાં આવા સહિયારાપણાનો ભાવ એકતાનો પરિચય આપતો હતો અને એ એકતાનાં મૂળિયાં અડધા ગામમાં જોવા મળે છે. એમાં વિભાજનની રાજનીતિ આવી અને ગામની એકતામાં ખલેલ પડી. રાહી નવલકથામાં એક જગ્યાએ લખે છે, “વાસ્તવમાં ગંગોલી ઇતિહાસથી બેખબર હતું. તેને એટલો સમય જ મળતો નહોતો કે વડના ઝાડ નીચે ઠંડી છાયામાં લાંબા થઈને તેના ઇતિહાસ બાબતે વિચારે જે રામાયણથી પણ આગળ સુધી ફેલાયેલો છે.”

મિયાં મંદિરમાં જતા હોય અને હિંદુ તાજિયામાં શરીક થતા હોય એવું એ ગામ હતું. ગંગોલી એટલું માસૂમ હતું કે પાકિસ્તાન શું ચીજ છે, એનું સ્વરૂપ શું હશે, એ ક્યાં આવ્યું તે કોઈને ખબર નહોતી. ગંગોલીના લોકોએ એ સમજમાં આવતું નહોતું કે મુસલમાનોને અલગ વતનની કેમ જરૂર પડી છે. તેમને થતું હતું – પાકિસ્તાન જતા રહેવાથી તેમની પ્રગતિ કેવી રીતે થશે? આ એક વણઉકલ્યો કોયડો હતો. 

જેમ-જેમ વિભાજન નિશ્ચિત થવા લાગ્યું, તેમ-તેમ ગંગોલીમાં રાજનીતિમાં તેજી આવી. કલકત્તા અને બિહારમાં કોમી તોફાનોના સમાચારો ગંગોલીમાં આવતા હતા અને એક બુઝુર્ગ ફૂન્નન મિયાંને સમજમાં આવતું નહોતું કે સેંકડો વર્ષો પહેલાં મુસલમાન શાસકોએ કરેલા અત્યાચારનો બદલો હવે કેમ લેવામાં આવી રહ્યો છે. કલકત્તાના મુસલમાનોનો બદલો બારિખપુરના મુસલમાનોથી કેમ લેવામાં આવે છે. કોઈ કહેતું, અમે તો ઓરંગઝેબને નથી જાણતા, કદાચ કોક બદમાશ હશે.

ગંગોલીનો સમય બદલાઈ રહ્યો હતો. રાહી બહુ માર્મિક રીતે આ વાત લખે છે;

“અહીં થોડા દિવસોથી ગંગોલીમાં ગંગોલીવાળાઓની સંખ્યા ઓછી થઇ રહી છે અને સુન્નીઓ, શિયાઓ અને હિંદુઓની સંખ્યા વધી રહી છે. કદાચ એટલે જ નુરુદ્દીન શહીદની સમાધિ પર એટલો મેળો નથી થતો અને ગંગોલીનું વાતાવરણ ‘બેલ મહમદી યા હુસૈન’ની અવાજોથી એવું નથી ગુંજતું, જે રીતે ક્યારેક ગુંજી ઉઠતું હતું.”

વાસ્તવમાં, ગંગોલીમાં બે જ જાતિ હતી; જમીનદારો અને કિસાન-કારીગરો. ‘હિન્દુસ્તાન’ બને કે ‘પાકિસ્તાન,’ લોકોની ગરીબી અને મજબૂરીમાં કોઈ ફરક પડવાનો નહોતો. ‘ગંગોલી’ હોય કે ‘કરાચી,’ મહેનત-મજદૂરી તો સરખી જ રહેવાની હતી. વિભાજન અને પાકિસ્તાનના નિર્માણની સાથે જમીનદારી પણ ખતમ થઇ ગઈ. એ સાથે જ ગામનું આર્થિક માળખું તૂટી ગયું. જમીન-જાયદાદ અને મજૂરી વગરના લોકો માટે ગાજીપુર અને કરાચી સરખું જ હતું, એટલે દૂર કોઈ શહેરમાં મજૂરી કરવાની શરમ નહીં આવે તેવું માનીને ગંગોલીને છોડી ગયા. ટૂંકમાં, ગંગોલીનો મુસલમાન પાકિસ્તાન નહોતો ગયો. એ કામની તલાશમાં એક માણસ ગયો હતો. અને ગયો હતો તો હિંદુઓના ડરથી ગયો નહોતો. એ કરાચી ગયો, લાહોર ગયો, ગયા ગયો, ઢાકા ગયો પણ પાકિસ્તાન નહોતો ગયો.

‘આધા ગાંવ’ની આ અસલી હકીકત હતી. આશા છે શરીફાબહેને ગુજરાતીમાં ગંગોલીની ગંગાને ઉતરવાનો જે પ્રયાસ કર્યો છે, તેને વાચકો આચમન માનીને વધાવશે.

પ્રગટ : ‘ફાયરવોલ’ નામક સાપ્તાહિક કોલમ, ‘“ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 20 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોઈ પણ જીતે, હારે છે તો પ્રજા જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|21 November 2022

ચૂંટણી જોર પર છે. પ્રજા અને પ્રધાનો એકબીજાને પટાવવામાં / પતાવવામાં પડ્યાં છે. સભાઓ થાય છે, રોડ શો થાય છે ને પક્ષોને લાગે છે કે પ્રજા પોતાની સાથે છે એટલે જીત તો પોતાની જ છે, પણ પ્રધાનો જેટલી, પ્રજા બોલકી નથી. તે વધારે અકળ છે. કોઇની પણ સભામાં તે તાળીઓ પાડવા પહોંચી તો જાય છે, પણ મત તો ‘ગમે તેને’ જ આપે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. એ જોર પર પ્રદેશ પ્રમુખે 182માંથી 182 સીટ ભા.જ.પ.ને મળવાની આગાહી કરી છે, પણ નાનું છોકરું ય ન વિચારે એવું ભા.જ.પ.ના નેતાઓ જાહેરમાં બોલે છે ત્યારે આશ્ચર્ય નથી થતું, રમૂજ થાય છે. 182 સીટ મળે કે ન મળે, પણ ભા.જ.પ.ની સરકાર ન જ બને એવું પણ નથી. તે એટલે કે પ્રજાને ભા.જ.પ.ની ભક્તિ ફળે તેવો ભરોસો છે. એક વાત તો છે કે રામ મંદિર અને 370મી કલમની નાબૂદી બાબતે ભા.જ.પે. રાષ્ટ્રમાં અને પાણી-વીજળીની બાબતે ગુજરાતમાં, પ્રજાને રાહતનો અનુભવ કરાવ્યો છે. એ જ કારણ છે કે પ્રજા મોંઘવારીની બાબતે આંખ આડા કાન કરી લે છે. આજે ઘણાં એવાં છે, જેમનું કોઈ પક્ષ પૂરું કરતો નથી, પણ પ્રજાની વફાદારી ઘટતી નથી. એ આંખ મીંચીને મત આપી આવે છે ને પછી અનેક મુશ્કેલીઓ માટે તૈયાર પણ રહે છે. ભક્તિ અને આરતી ભલે ભક્તો કરે, પણ પક્ષમાં અને પ્રજામાં, એક નાનો વર્ગ રાજી નથી તેનો ભા.જ.પે. વિચાર કરવાનો રહે જ છે. કેટલાંક ક્ષેત્રોમાં કામ નથી થયાં, તેનો અસંતોષ પ્રજાએ પોતાનાં વિસ્તારમાં મત ન માંગવા આવવાનું કહીને પ્રગટ કર્યો છે. મોંઘવારી, બેકારીથી ત્રાસનાર વર્ગ પણ નથી એવું નથી. બોટાદનો લઠ્ઠાકાંડ ને મોરબીનો ઝૂલતો પુલ ભુલાયો નથી. એની અસર ચૂંટણીમાં વર્તાય તો નવાઈ નહીં. સરકારનાં પ્રોજેક્ટ્સ ભલે અર્પણ થાય, વિશ્વમાં વડા પ્રધાન ભારતનું નામ ભલે ઊજળું કરે, પણ દીવા નીચે અંધારું છે ને તે નજર અંદાજ કરી શકાય એવું નથી તે સ્વયં સ્પષ્ટ છે.

ભા.જ.પ.ની સરકાર ન જ બનવી જોઈએ એવું કહેવાનું નથી, પણ ભા.જ.પ.ની સરકાર આડે જે વિઘ્નો છે તે તરફ નજર નાખવાની રહે. આ વખતે વિધાનસભામાં ભા.જ.પ.ની સીટો ઘટે એમ લાગે છે. એમ લાગવાનાં કારણો છે. ભા.જ.પ.નો નો-રિપીટ થિયરીનો વહેમ નડે એમ છે. એક તો 2021માં કોઈ મોટાં કારણ વિના રૂપાણીની સરકાર ઘરભેગી કરાઇ તે ઘણાંને અકળ લાગ્યું છે. એ ખરું કે કોરોના વખતે સરકાર નિષ્ફળ રહી, પણ એમ તો દેશ આખામાં ક્યાંક કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ હતી ! વળી પ્રજાની એવી કોઈ તીવ્ર માંગ પણ ન હતી કે બધું થાળે પડવા આવેલું હોય ત્યારે જ સરકાર બદલવી પડે. પ્રજા સરકાર બદલે, એ સમજાય, આ તો સરકારે જ સરકાર બદલી, એ તો ઠીક, પણ વિજય રૂપાણી અને નીતિન પટેલ અને અન્યોની પાસે ચૂંટણી ન લડવાનું લખાવી / લખાવડાવીને જે ખેલ ચૂંટણી ટાણે પડાયો તે પણ પ્રજાએ જોયો છે. આ બધું કેવી રીતે ભા.જ.પી. હાઇકમાંડને પોતાની ફેવરમાં લાગે છે તે સમજવાનું મુશ્કેલ છે.

એ પણ છે કે 2017 સુધી ગુજરાતમાં ચૂંટણી મુખ્યત્વે ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જ લડાતી રહી છે, પણ 2022ની ચૂંટણીમાં બીજાં બે પરિબળો ઉમેરાયાં છે. એક તો આપ પાર્ટી પૂરી તાકાતથી મેદાનમાં છે. આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ 300 યુનિટ વીજળી મફત આપવાનો વાયદો કરીને  ગયા છે. આપના જ મુખ્ય મંત્રી ગુજરાતમાં બનવાના હોય તેમ ઇસુદાન ગઢવીને આગળ કરાયા છે, તો સૂરતમાં ગોપાલ ઇટાલિયા પણ આપનું ઝાડું ફેરવીને પોતાની જગ્યા બનાવી રહ્યા છે. વળી રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોત સિવાય કાઁગ્રેસને ગુજરાતમાં જીતાડવાનો કોઈ કાઁગ્રેસી નેતાને રસ લાગતો નથી. એ ભા.જ.પ.ની નહીં, પણ આપની ફેવરમાં જાય છે. રાહુલ ગાંધીનું ‘ભારત જોડો’માં છે એટલું ધ્યાન ગુજરાતમાં નથી. જો કે, ગુજરાતના કાઁગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી આજે રાજકોટમાં અને સુરતમાં જનસભાઓ સંબોધવાના છે. એનાથી કેટલોક ફેર પડશે તે વિચારવાનું રહે. વળી રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાનું સહાનુભૂતિમાં ફેરવાય એવું કદાચ કાઁગ્રેસને હોય, તો પણ એનો લાભ ભા.જ.પ.ને કદાચ વધુ મળે એમ છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશ કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર ક્યાં કારણોસર નથી કર્યો એ સમજવાનું અઘરું છે.

આમ તો ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારોનું સરકારમાં ઝાઝું ઉપજતું હોતું નથી, પણ આ વખતે અપક્ષ ઉમેવારોનો ચૂંટણીમાં પડઘો પડે એમ લાગે છે. એક બાબત સ્પષ્ટ છે કે પક્ષ માટે ગમે એટલું કામ કર્યું હોય તો પણ, બધાંને ચૂંટણીમાં ટિકિટ આપી શકાતી નથી. 182 સીટ માટે 4,100ની યાદી હતી. સક્ષમ હોય તો પણ એ બધાંને ચૂંટણી લડાવવાનું શક્ય નથી. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સહિત અન્ય મંત્રીઓની ટિકિટો પણ કપાઈ હોય ત્યારે બધાં ટિકિટનો આગ્રહ રાખે એ બરાબર નથી. ગમે કે ન ગમે, પણ સિનિયર્સે પક્ષની વફાદારી છોડી નથી એ નોંધનીય છે. આવી વફાદારી બધાં દાખવે એમ બનતું નથી. પ્રજાની પક્ષ પ્રત્યેની વફાદારી છે એટલી, પક્ષના કાર્યકરોની પક્ષ માટે ન હોય એ દુ:ખદ છે. ચૂંટણી આવે ને ટિકિટ ન મળે તો એકમાંથી બીજા પક્ષમાં આવનજાવન શરૂ થઈ જાય છે, ત્યારે એટલું તો પુરવાર થઈ જાય છે કે આવા સભ્યોને પક્ષ કરતાં પોતાનું મહત્ત્વ વધારે છે ને પક્ષમાં જે સમજથી જોડાવાનું બનેલું તે સમજ ટિકિટ ન મળતાં, રાતોરાત બદલાઈ જાય છે ને બીજી તરફ જેના સિદ્ધાંતોનો વિરોધ હતો એ જ પક્ષનો સિદ્ધાંત આદર્શ હોય તેમ એ તરફ દોટ મુકાય છે. અહીં પણ સિદ્ધાંત કરતાં પદની લાલચ જ કેન્દ્રમાં હોય છે, એટલે એમાં વફાદારી સિવાય બધું જ હોય એમ બનવાનું.

કમનસીબે આવા પક્ષપલટુઓ બધા જ પક્ષમાંથી મળી રહે એમ છે, પણ આ વખતે ભા.જ.પ.ના જ અસંતુષ્ટો આંખે ઊડીને વળગે એવા છે. પ્રદેશ પ્રમુખે સમજાવી જોયા છે, પણ જૂનાગઢથી તે વડોદરા ને બાયડ સુધીના સાતેક અસંતુષ્ટો એવા નીકળ્યા છે જેમણે ભા.જ.પ.ની સામે પડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ભા.જ.પે. આ સભ્યોને સસ્પેન્ડ કર્યાં છે. નાંદોદના હર્ષદ વસાવા, કેશોદના અરવિંદ લાડાણી, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, પાદરાના દિનેશ પટેલ (દિનુ મામા), બાયડના ધવલસિંહ ઝાલા, મહીસાગરના જયપ્રકાશ પટેલ અને ધાનેરાના માવજી દેસાઇએ ભા.જ.પ. સાથેની વફાદારી છોડી અપક્ષ ચૂંટણી લડવા ઉમેદવારી કરી છે. એ જીતશે કે કેમ તે તો સમય નક્કી કરશે, પણ ભા.જ.પ.ની સામે ટક્કર લઈ શકાશે એવો વિશ્વાસ, જે તે સભ્યને મજબૂત કરતો હોય તો પણ, પક્ષની પ્રતિષ્ઠા અને ક્ષમતાને તો દાવ પર લગાવે જ છે. ભા.જ.પ.ના જ મધુ શ્રીવાસ્તવ 1995થી વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. કદાચ રિપીટ ન કરવાની નીતિને કારણે તેમને ટિકિટ ન મળી ને એમણે વિરોધમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. એવું જ અન્ય કિસ્સાઓમાં પણ ખરું, પણ ભા.જ.પ. પોતાની નીતિને વળગી ન રહે તો પણ અસંતોષ વધે છે. જેમ કે 75થી વધુ વયનો ઉમેદવાર ન જોઈએ એવું નક્કી કર્યાં પછી, વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવા 76 વર્ષનાં યોગેશ પટેલને ટિકિટ આપે તો તેની ચર્ચા ઊઠે જ ! ટિકિટ ન આપી હોત, તો યોગેશ પટેલ અપક્ષ ચૂંટણી લડે એવી શંકા ભા.જ.પ.ને હતી. એ સ્થિતિ ટાળવા અપવાદ કરાયો. આવો અપવાદ વાઘોડિયાની સીટ પર મધુ શ્રીવાસ્તવ જેવા સિનિયર નેતાને માટે પણ થઈ શક્યો હોત, પણ એમ ન થયું. આવી બાબતો પક્ષ પરનો વિશ્વાસ ઘટાડે છે.

એમ લાગે છે કે ભા.જ.પ. માટે આ વખતે મુશ્કેલીઓ વધી છે. કેજરીવાલનો પ્રભાવ વધ્યો છે. કાઁગ્રેસને મળનારા મત ભા.જ.પ.ને બદલે આપને મળે એમ બને. સુરતમાં કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં કાઁગ્રેસને મળનારા મતો આપને જ મળ્યા હતા ને એક બે નહીં, 27 સીટ આપને ફળી હતી. ભા.જ.પ.ના જ નીવડેલા સભ્યો બળવો કરીને અપક્ષ ચૂંટણી લડે ત્યારે, ભા.જ.પ.ના, તેમની સાથે સમર્થનમાં હતા તેવા હજારો સભ્યો અપક્ષનો સાથ આપવાના. એ સ્થિતિમાં ભા.જ.પ.ના સમર્થકો ઘટે છે એ ચિંતા કરવાની રહે. એ તો સમજ્યા, પણ મતદારો બહુ સમજી-વિચારીને મત આપે એ જરૂરી છે. કારણ એને પાંચ વર્ષે મળનારી એક તક ધારાસભ્યને તો પાંચ વર્ષ સુધી અનેક તકો પૂરી પાડે છે, એટલે એને મળનારી એક તકનો કોઈ પાંચ વર્ષ સુધી દુરુપયોગ ન કરે એટલી કાળજી તો મતદાતાએ લેવાની રહે જ છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 નવેમ્બર 2022

Loading

સાહિત્યકારણી ચૂંટણી વિશે —

સુમન શાહ|Opinion - Literature|21 November 2022

રાજકારણી ચૂંટણીનાં પડઘમ વાગે છે, ત્યારે મને સાહિત્યકારણી ચૂંટણી વિશેનો મારો એક પૂર્વપ્રકાશિત લેખ યાદ આવે છે. અહીં મૂકું છું, નહીં કે અદેખાઓ કહે છે એમ એ લેખ જૂનો હોવાથી વાસી થઈ ગયો છે એટલે મૂક્યો છે; ના, હું એવું વીકલિ કૉલમિયું નથી લખતો જે આવતા અઠવાડિયા પહેલાં ક્યારનું ય પતી ગયું હોય. મારાં દરેક again પણ પ્રસ્તુત અને સાર્થક હોય છે. આ લેખ લગરીક ઉમેરણ સાથે, બસ, મિત્રોની વિચારમૉજ માટે મૂક્યો છે.

°°°° 

કોઇપણ ચૂંટણીમાં મતદાર સર્વેસર્વા ગણાય — પ્રાઇમ મૂવર. એટલે પાયાનો સવાલ એ કે એની પાસે શું હોય તો એને મતદાન માટે લાયક ગણી શકાય? કોઇપણ ચૂંટણીમાં ઉમેદવાર પણ મતદારના જેવો જ મહત્ત્વનો એકમ. એટલે પાયાનો સવાલ એ પણ થાય કે ઉમેદવારની શી લાયકાત. રાજકારણી ચૂંટણીમાં તો મતદાર અને ઉમેદવારની લાયકાતો નક્કી હોય છે. તદનુસાર, કોઇપણ વ્યક્તિ મતદાર હોઇ શકે. ગરીબ તવંગર ઘરડો જુવાન બુધ અબુધ પ્રબુદ્ધ, હર કોઇ, મતદાર તરીકે ખુશી ખુશીથી યોગ્ય ગણાય. તદનુસાર, કોઇપણ વ્યક્તિ ઉમેદવાર હોઇ શકે. શાણા સજ્જનો કે જેલમાં જઇ આવેલા દુર્જનો પણ આરામથી યોગ્ય યોગ્ય જ લેખાય.

પણ આપણે તો સાહિત્ય-વાળા; આપણી ચૂંટણી સાહિત્યકારણી; જરા જુદા ધ્યાનથી નક્કી કરવું પડે કે એમાં મતદારની તેમ જ ઉમેદવારની લાયકાતો શી હોઇ શકે.

દીવા જેવું સ્પષ્ટ છે કે સાહિત્યકારણી ચૂંટણીમાં મતદાર અને ઉમેદવાર, બન્ને, સાહિત્યકાર હોવા જોઇએ. જો કે તેઓ સાહિત્યકાર છે એમ નક્કી શી રીતે થાય? એ રીતે કે એમની એક-બે ચૉપડીઓ પ્રકાશિત થઇ હોય. જો કે ચૉપડીઓ તો રસોઇકામની પણ હોય છે — રાંધણને પણ ‘કળા’ કહેવાય છે. મીડિયામાં ઍડ-બિઝનેસ પણ ‘આર્ટ’ કહેવાય છે. છાપાંના તન્ત્રીઓ સમ્પાદકો રીપોર્ટરો કૉલમનવીસો પણ રાતદિવસ ‘સ્ટોરી’ સર્જે છે. એ બધું વાઙ્મય પણ સાહિત્ય છે. તો એઓને સાહિત્યકાર ગણાય કે નહીં? ના? ભલે, સ્વીકારી લઇએ કે વાઙ્મય સમસ્ત નહીં પણ સાહિત્યિક સર્જકતા અને લેખનક્ષમતા સાથે સંકળાયેલું જે સાહિત્યકલા કહેવાય છે એવું લખનારાઓને જ સાહિત્યકાર ગણવાના છે.

તો પણ સવાલો થવાના; જેવા કે : કોઇ એક-બે ચૉપડીઓથી અને કોઇ બીજો ૪૦-૫૦ ચૉપડીઓથી સાહિત્યકાર ગણાયો છે, તો એ બેમાં કશો ફર્ક કરવાનો કે નહીં? : ૪૦-૫૦-વાળાના વાચકો સાવ થોડા હોય અને એક-બેવાળાના અનેક હોય, તો મતદાર કે ઉમેદવાર તરીકે એ બેમાંથી કોને વધારે લાયક ગણવાનો? : આ સવાલો ન ટાળી શકાય એવા છે.

કોઇપણ સાહિત્યકારમાં રસ પડવાનું મૂળ કારણ તો એની સર્જકતા છે, લેખનશક્તિ. પણ એકલા એ જ કારણે એ લાયક થઇ જ જાય એવો નિયમ નથી. કેમ કે સાહિત્યના મામલામાં એના રીસિવરની — એટલે કે વાચકની — એટલી જ નિર્ણાયક ભૂમિકા હોય છે. રચના વંચાય ત્યારે જ સમ્પન્ન થઈ કહેવાય. લેખક અને વાચક, બન્ને, સરખા ભાગીદાર છે. એટલે તો વાચનને કોઇ કોઇ વિદ્વાનો નર-નારીના જાતીય સમાગમ સાથે સરખાવે છે !

જો કે મોટેભાગે બને છે જુદું : રચના જોડે વાચકો હાવરાબાવરા થઇ ચડી બેસતા હોય છે. સમાગમ ન લાગે. સાહિત્યકારની સૃષ્ટિ મહાન હોય કે ન હોય, વિવેચકોએ વખાણી હોય કે ન હોય, વાચકો એનાં અર્થઘટન પોતાની રીતે જ કરવાના. હરસુખ નામનો કવિ મહાન ગણાયો કેમ કે વાચકોએ એનાં અમુક રીતનાં અર્થઘટન કર્યાં. પણ હરસુખ એમ ન પણ ગણાયો કેમ કે વાચકોએ એને અમુક રીતે ન વાંચ્યો. તાત્પર્ય એ કે હરસુખની સાહિત્યકાર તરીકેની છબિ એ જાતના પ્લસ-માઇનસથી બની છે.

આપણામાંના અમુકોએ ગોવર્ધનરામને એવી રીતે વાંચ્યા જેથી એ એમને ગ્રેટ લાગ્યા પણ અમુકોને ન લાગ્યા કેમ કે એમણે એમને જુદી રીતે વાંચ્યા. હરસુખની જેમ કાલિદાસ કે શેક્સપીયરની મહાકવિ કે મહાન નાટ્યકાર તરીકેની છબિઓ પણ એવા પલ્સ-માઇનસથી રચાઇ છે. કોઇ સાહિત્યકારો જન્મથી ‘મહા’ કે ‘ન-મહા’ નથી હોતા. વાચકોનાં અર્થઘટનોથી હોય છે. દરેક સાહિત્યસમાજમાં છબિ-નિર્ણાયક વાચકોની આવી એક જમાત આપોઆપ પ્રગટી આવી હોય છે. અમેરિકન સાહિત્યસિધ્ધાન્તવિદ સ્ટૅનલિ ફિશ (1938– ) એને અર્થઘટનકારી ‘ઇન્ટરપ્રિટિવ કૉમ્યુનિટી’ કહે છે — વાચકોની જમાત. ‘જમાત’ શબ્દ ન ગમે તો, મંડળી. એમના કહેવાનો સાર એ છે કે વાચક પોતાની મંડળીના સહભાગી એકમ તરીકે રચના અને રચનાકારનાં અર્થઘટન કરે છે — નહીં કે એકલદોકલ વ્યક્તિ તરીકે.

Stanley Fish  / સ્ટૅનલિ ફિશ (1938 — )

આ શાસ્ત્રાર્થનો સંદેશ એ છે કે આપણે પણ આપણે ત્યાંની વાચકમંડળી વડે નિર્ણિત સાહિત્યકારોને સુ-યોગ્ય ગણીને ચાલી શકીએ. તેઓને ચૂંટણીમાં મતદાર અને ઉમેદવાર ગણી શકીએ. એ સાહિત્યકારો હમેશાં તરી આવે, દેખાય જ. શોધવાનો પ્રશ્ન ન રહે. સાહિત્યસિવાયના હેતુથી લખનારા આપોઆપ બાદ થઇ જાય. અમુકને જ મન્ત્રી કે પ્રમુખ બનાવવાની પેરવીઓ કરવાનું રહે નહીં.

આ ચૂંટણી સાહિત્યકારણી એટલે એમાં પ્રચાર ન હોય. કેમ કે ઉમેદવાર સ્વયંપ્રકાશિત હોય. એણે મત માગવાના હોય? ના. રાજકારણીઓની જેમ મતદારોને એણે લાલચો આપવી પડે? ના. કેમ કે મતદાર સ્વયંસંચાલિત હોય. ઉમેદવાર વિશેનો એનો મત બારોબારનો નહીં પણ એના પોતાનાં અર્થઘટનોથી ઘડાયો હોય. આમ વાચકમંડળી વડે નિર્ણિત સાહિત્યકારો ચૂંટાયા હોય તો સાહિત્યનાં કામોની ભૂમિકા પણ સાહિત્યિક અર્થઘટનોથી રચાવાની. ભળતા હેતુઓને એમાં જગ્યા નહીં મળવાની.

જો કે ઝળહળ ઝળહળ સળગતો કેમ કે ભડ ભડ બળતો સવાલ એ છે કે આપણે ત્યાં આવી કશી વાચકમંડળી છે ખરી –? વાચકો જ ક્યાં છે ! ભારોભારનો અભાવ છે ! માત્ર ૧૨-૧૫ સાહિત્યકાર-મોવડીઓની મંડળીથી ગુજરાતી સાહિત્યનું ગાડું ગબડતું રહે છે. એમાંના કેટલાક સ્વકીય પધ્ધતિએ કામો કરે છે. મોટાભાગના સંસ્થાકીય પદ્ધતિએ કરે છે — કોઇ આ સંસ્થા સંભાળે છે, કોઇ તે. એઓને નિર્ણાયક વાચકમંડળી કહી શકીએ. કેમ કે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો એમના વડે થયેલાં અર્થઘટનોને આભારી છે.

એ કારણે એ ૧૨-૧૫ની મંડળીને ધ્યાનથી જોવાની જરૂર ખરી. જુઓ, શું જણાય છે? : સ્વકીય પધ્ધતિના મોવડીઓ સાહિત્યિક આદર્શવાદથી પીડાય છે. સંસ્થાકીય પદ્ધતિના મોવડીઓ સાહિત્યિક વ્યવહારવાદથી પીડાય છે. આદર્શવાદીને પૂછશો તો કહેશે : હું દલિત કે નારીવાદી સાહિત્યને નથી સ્વીકારી શકતો. હું નવલકથાને નાહકની મજૂરી લેખું છું : વ્યવહારવાદીને પૂછશો તો કહેશે : વિશ્વ-સાહિત્ય ફાલતુ છે — અંગ્રેજી કોને આવડે છે? પંચાત મૂકો, ઘરદીવડા શા ખોટા છે ! કહેશે, ગઝલને આજે હું અનિવાર્ય ગણું છે. મારે મન અછાન્દસ બકવાસ છે : એકને ગ્રામજીવનલક્ષી સાહિત્ય નિ:સામાન્ય લાગે. બીજો નગરજીવનલક્ષીને વખોડ્યા કરે. એક ‘હા’ પાડે એટલે જ બીજો ‘ના’ પાડે !

મને એક રમૂજી વાયકા યાદ આવે છે : બલવન્તરાય ઠાકોરને ન્હાનાલાલ જોડે બનતું નહીં. તે ઠાકોર હમેશાં લગભગ આવું કહેતા — એ ન્હાનિયાને પૂછી આવો; એ જેની ‘હા’ કહે, મારી એમાં ‘ના’ સમજો ! (ઠાકોર મોટા વિદ્યાપુરુષ છતાં ‘ન્હાનાલાલ’-ને ઠેકાણે અણછાજતો શબ્દ વાપરતાં ખંચકાયેલા નહીં ! એમની પાસે સમર્થક કારણો હશે …)

ટૂંકમાં, આ મંડળી સજ્જ ખરી પણ કુણ્ઠિત-સીમિત ખાસ છે. સર્વસમાવેશક નથી –સાહિત્યપદાર્થને એની અખિલાઇમાં ન જોઇ શકે, હમેશાં ભેદોને સ્થિર કરે. હવે આને પણ સ્ટૅનલિ ફિશ નિર્ણાયક વાચકમંડળી કહે તો મારાથી એમને ના નહીં પડાય.

કેમ કે કયો સાહિત્યકાર મતદાર કે ઉમેદવાર થવાને લાયક છે એ તો આ મંડળીને પૂછ્યે જ જાણી શકાય. એમની અર્થઘટનદૃષ્ટિમતિ અનુસાર એમના વડે પ્લસ-માઇનસ થયેલી છબિઓનું આલ્બમ એમની પાસે હાજર જ છે.

કમનસીબી એ છે કે જેમ જેમ આલ્બમ ખૂલતું ચાલે છે, છબિઓ એમની ને એમની જ નીકળે છે ! તો પછી, એમ નથી લાગતું કે ચૂંટણીથી મેલ કરવત મોચીના મોચીવાળો જ ઘાટ થવાનો …? … 

જો કે સાહિત્યકારણી ચૂંટણી નદીકિનારે જે વિરલ ઠેકાણે સંભવે છે ત્યાં હમણાં તો નથી થવાની. અને, આપણે ક્યાં મિડ-ટર્મ પોલમાં માનીએ છીએ? – વિજેતા અને વિજયાનુસારીઓને માંડ બે-ત્રણ વર્ષ મળ્યાં હોય ત્યાં ! 

= = =

(Nov 19, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3241,3251,3261,327...1,3301,3401,350...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved