અધિકાર શ્રેણી
સ્ત્રીને ગર્ભ રાખવો કે ગર્ભપાત કરાવવો એનો નિર્ણય સ્ત્રી પોતે લઇ શકે … : મુંબઈ હાઈકોર્ટ
નિયત સમય મર્યાદામાં સ્ત્રી ગર્ભપાત કરાવી શકે.
આપણા દેશની આઝાદીને સાત દાયકા જેટલો સમય પસાર થઇ ગયો. સમયની સાથે ધીમી ગતિએ પણ કાયદામાં સુધારો થતો આવે છે, પણ હજુ સામાજિક સ્થિતિ કાયદાના સુધારેલા સ્વરૂપ સાથે તાલ મેળવતી નથી, એવું લાગ્યા વગર ન રહે.
કાયદાનો દુરુપયોગ થાય છે કહી હોબાળો મચાવનાર વર્ગ સ્ત્રીઓ અને મજદૂરોના કાયદાના અમલીકરણમાં બાજી મારી જતા હોય એવું લાગે. વિલંબિત ન્યાય એ પણ મોટો પ્રશ્ન છે. તોયે એવા ચુકાદા પણ આવે છે કે, જેમાંથી સ્ત્રીઓ ને સમકાલીન સમય સાથે જાણે હાથ પકડીને પહોચાડવામાં મદદ કરે છે. કારણ કે, સ્ત્રીનાં શરીર પર એનો પોતાનો હક છે. અલબત હજુ આપણે ત્યાં એ વાતને કાયદાનું અનુમોદન નથી અપાયું કે, પરણિત પુરષ દ્વારા સ્ત્રીની અનિચ્છાએ થયેલ સમાગમને બળાત્કાર તરીકે ખપાવી શકાય. હમણાં ચર્ચાસ્પદ બનેલ ફિલ્મ પિંકમાં એવા સંવાદો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા છે. સ્ત્રીનાં શરીર પર હક જમાવનારા કે ચોક્કસ સંજોગોમાં એને ઉપભોગના સાધન તરીકે જોનાર વર્ગ સામે આ મોટો પ્રશ્ન પૂછાયો છે. એ જ રીતે સામાન્ય રીતે કે પછી ભોગ બનેલી સ્ત્રીની પ્રેગ્નન્સી અંગે પણ અવાર નવાર પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે મુંબઈ હાઈકોર્ટનો એક જેઈલની કેદીનો પ્રેગ્નન્સી ટર્મિનેશન બારામા આવેલો આ ચુકાદો નોંધનીય છે.
તાજેતરમાં મંદિર મસ્જિદમાં પ્રવેશ – પૂજા અટકાયત સામે જે ચુકાદો આવ્યો અને એ પછી મુંબઈ હાઈકોર્ટે ફરી એક સચોટ ચુકાદો આપ્યો કે, સ્ત્રીને અનિચ્છીત ગર્ભનો નિકાલ કરવાનો હક છે.
જસ્ટીસ વી.કે. થાહીલરામાની અને જસ્ટીસ મૃદુલા ભટકરની ડિવીઝન બેન્ચે આ ચુકાદો આપતાં જણાવ્યું કે, સ્ત્રીને પોતાની અનિચ્છાએ રહેલો ગર્ભ દૂર કરાવી શકે છે, આ માત્ર પરણિત સ્ત્રી જ નહિ પરંતુ લીવ એન્ડ રિલેશન્સમાં રહેતી સ્ત્રીઓને પણ લાગુ પડે છે. જે 12 સપ્તાહથી ઓછો સમય હોય. અને જો તે 12 સપ્તાહથી 20 સપ્તાહ સુધીનો ગર્ભ હોય તો 2 મેડીકલ એક્સપર્ટની સલાહ પ્રમાણે એની માનસિક અને શારીરિક હેલ્થને, હેલ્થના જોખમને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને આ ટાઇમ લાઈનની મર્યાદામાં રહીને જો એને શારીરિક સ્વાસ્થ્ય જોખમાતું ન હોય તો એ પોતે પ્રેગ્નન્સી દૂર કરવાનો નિર્ણય લઇ શકે છે.
જેલની કેદીએ કરેલ સુઓ મોટોની સુનાવણીમાં કોર્ટે વધુમાં કહ્યું કે, પ્રેગ્નન્સી સ્ત્રીનાં શરીરના અનુસંધાનમાં એના શરીર સાથે હોય છે. જે એના શરીર માનસિક સ્વાસ્થતા અને જિંદગીની સાથે અસરકારક રીતે અથડાતી હોય ત્યારે તે કેવી રીતે પ્રેગ્નન્સી સાથે રહે ! આવા સમયે તે અને તે પોતે એકલી જ આ નિર્ણય લઇ શકે છે. બંધારણના આર્ટીકલ 21 હેઠળ આ એનો રાઈટ ટૂ લીવનો મૂળભૂત અધિકાર છે. એના પોતાના શરીર પર, એને માતૃત્વ ધારણ કરવું કે પ્રેગ્નન્ટ રહેવું કે પ્રેગ્નન્સી રાખવી છે તે સત્તા એને પોતાને છે. અને વધારામાં બેન્ચે જેલને કેદી સ્ત્રીને એની હેલ્થ ફેસેલિટી માટે સૂચન કરી પ્રેગ્નન્સી દૂર કરવાની પરમીશન આપી.
4/10/2016
e.mail : pratibhathakker@yahoo.com
![]()


નવી શિક્ષણ નીતિનાં સરકાર અને તેનાં સમર્થકો વખાણ કરે તેનો તો શો વાંધો હોય, પણ જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે, ત્યાં સુધી શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે ને દુ:ખદ એ છે કે સરકારનો અંધાપો કોઈ રીતે દૂર નથી થતો. નબળાઈઓ ન જોવી ને સરકારની આરતી ઉતાર્યા કરવી એ અહીંનાં શિક્ષણ જગતમાં કોઈ જીવલેણ રોગની જેમ લાગુ પડી ગયું છે. વધુને વધુ ફી વસૂલવાનું જેટલું ભાન શૈક્ષણિક સંસ્થાઓને છે એટલું શિક્ષણ અને પરીક્ષા લેવાની બાબતમાં નથી જ ! છબરડો ન વાળે એવી યુનિવર્સિટી હજી સ્થપાઈ નથી. યુનિવર્સિટી હોય તો, છબરડો તો વાળે જ ! સીધું સાદું ભણવાનું ને ભણાવવાનું હવે લોહીમાં જ રહ્યું નથી. બધે જ કોઈકને કોઈક પ્રકારની રમત રમાયાં કરતી હોય એવું લાગે છે. એટલું સારું છે કે વિદ્યાર્થીઓ ઘણું ખરું વર્ગખંડોની બહાર જ ભણતા હોય છે એટલે અધ્યાપકોને વગોવવાનો અર્થ નથી. એમ તો અધ્યાપકો વાંચે પણ છે, પણ વિદ્યાર્થીઓ ઓછું જ આવતા હોવાથી એમનાં વાંચનનો લાભ વર્ગખંડોને બહુ મળતો નથી. ટૂંકમાં, ભણતર સ્વૈચ્છિક થઈ ગયું છે ને પરીક્ષા અને ફી ફરજિયાત થઈ ગઈ છે. યુનિવર્સિટી કોઈ પણ હોય, તેનું પરીક્ષાતંત્ર સદંતર ખાડે ગયું હોય તેવી સ્થિતિ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ ન હોય કે પરીક્ષામાં કોપી કરતાં પકડાય તો તેની સામે શિક્ષાત્મક પગલાં લવાય છે, પણ યુનિવર્સિટી જ પરીક્ષા લેવામાં દાટ વાળે તો તેનું ક્યાં જઈને રડવું તે પ્રશ્ન જ છે. યુનિવર્સિટીનાં કામનો મહત્ત્વનો ભાગ છે – પરીક્ષા. તે લેવાનું જ તેને ભાન ન હોય એ કેવું?