Opinion Magazine
Number of visits: 9554019
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યૂહાત્મક નહીં, મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નોની વાત છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 August 2025

શંકાનો લાભ આપી સમુદાર સમજૂતની રીતે વિચારીએ તો દેવરસ કાં તો વ્યૂહાત્મક રમત રમી રહ્યા હતા અગર સંઘમાં બે મત હતા

પ્રકાશ ન. શાહ

સોમા વરસમાં પ્રવેશનાં ઉંબર અઠવાડિયાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે નાભિસંબંધ ધરાવતો ભારતીય જનતા પક્ષ પરસ્પર અને પોતપોતાની વિજયક્ષણો ને કસોટીક્ષણો એક સાથે અનુભવતાં માલૂમ પડે છે.

સ્વરાજની અમૃતવર્ષી અને સંઘની પોતાની શતવર્ષીમાં આ પક્ષ અને પરિવાર આખો પોતાની કટોકટી સામેની સાચીખોટી લડાઈ પર કંઈક સોનેરી મદાર પણ બાંધી રહેલ છે. 1975ની 26મી જૂન સાથે કાઁગ્રેસે 1950ની 26મી જાન્યુઆરીને સવાલિયા દાયરામાં મૂકી દીધી હતી એ અલબત્ત સાચું છે. પણ 26મી જૂન સામે લડતના મુદ્દે ને મોરચે સંઘ પરિવાર ક્યાં હતો, કેમ હતો, કેટલે હતો, એ પ્રશ્ન હજારો મિસાબંદીઓમાં એના મોટા હિસ્સા છતાં હતો, છે અને રહેશે.

વચ્ચે અહીં જુલાઈ 1975માં ઉમાશંકર જોશીએ રાજ્યસભામાં આપેલા વક્તવ્યની અને એ જ દિવસોમાં ચંડીગઢ જેલમાંથી જયપ્રકાશ નારાયણે વડા પ્રધાનને લખેલ પત્રની જિકર કરવાનું બન્યું હતું. એમાં કટોકટી અકારણ લદાયાથી માંડી લોકશાહી અધિકારોની પુન:સ્થાપના સહિતના મુદ્દા તરી આવતા હતા.

ઊલટ પક્ષે, અહીં વાતની શરૂઆત ઓગસ્ટ 1975માં યરવડા જેલમાંથી તત્કાલીન સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસે વડા પ્રધાનને લખેલા પત્રથી કરવાનો ખયાલ છે, જેમાંથી કટોકટી બાબતે સંઘ પરિવારની સંમિશ્ર ને સંદિગ્ધ ભૂમિકા સોડાય છે. બાવીસમી ઓગસ્ટે દેવરસ ઇંદિરા ગાંધીને લખે છે કે અહીં જેલમાં આકાશવાણી થકી પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા પરનું આપનું ભાષણ સાંભળ્યું. આપનું વક્તવ્ય ‘સમયોચિત ને સંતુલિત’ હતું. વાચક યાદ રાખે, આ કટોકટીની જાહેરાત પછીનું અને એને ઘોર વાજબી ઠરાવતું પ્રવચન હતું જે દેવરસને ‘સમયોચિત ને સંતુલિત’ જણાયું હતું. વળી, એમણે ઉમેર્યું હતું કે ‘સમાજની સૌ સાચી શક્તિઓ પોતપોતાનાં ક્ષેત્રમાં પ્રામાણિકતાથી મચી પડે’ એવું જે આપે (ઇંદિરા ગાંધીએ) કહ્યું તે મુજબ ‘સંઘની શક્તિનો યોજનાપૂર્વક ઉપયોગ દેશના ઉત્થાન માટે જરૂરી છે.’

ઈંદિરા ગાંધી સાથે ‘દેશના ઉત્થાન’માં જોડાઈ શકવાના ગર્ભિત સૂચનથી ધાર્યું ઠેકાણું નહીં પડ્યા પછી નવેમ્બર 1975માં વાત આગળ ચાલે છે. દસમી નવેમ્બરે દેવરસ વડા પ્રધાનને લખે છે : ‘સર્વોચ્ચ અદાલતે આપની ચૂંટણીને કાયદેસર ઠરાવી તે માટે અભિનંદન ઘટે છે.’ (કટોકટીકાળે સર્વોચ્ચ અદાલત પાસેથી કેવી રીતે ચુકાદા મેળવાતા એ બધું ઇતિહાસદર્જ છે.)

વારુ. વચનમાં વળી કંઈક વાર્તિક સાથે દેવરસનો પત્ર પરાકાષ્ઠાએ પહોંચવા કરે છે: ‘શ્રી જયપ્રકાશ નારાયણજીના આંદોલનના સંદર્ભમાં સંઘનું નામ લેવામાં આવે છે. ગુજરાત આંદોલન, બિહાર આંદોલન સંબંધે સરકાર તરફથી સંઘનું નામ વારંવાર ને વિનાકારણ જોડવામાં આવ્યું છે … આ આંદોલનો સાથે સંઘનો કોઈ સંબંધ નથી.’ આ ‘છેડાફાડ’ શા વાસ્તે છે તે બાબતે દેવરસ પત્રોત્તરની પ્રતીક્ષા સાથે વાતનો બંધ વાળતાં ફોડ પાડે છે કે દૂષિત પૂર્વાગ્રહ છોડી આપ સંઘના હજારો લોકોને મુક્ત કરો અને સંઘ પરનો પ્રતિબંધ દૂર કરો. આમ કરવાથી સંઘના લાખો સ્વયંસેવકોની શક્તિ ગેરસરકારી રાષ્ટ્રોદ્ધારક કામોમાં લાગશે.

આટલે મહિને પણ ઇંદિરા ગાંધી અનુત્તર છે એટલે પવનારમાં વિનોબાજીની સંનિધિમાં આચાર્ય સંમેલન યોજાઈ રહ્યું છે અને તરતમાં ઇંદિરાજી પણ એમને મળશે એવા ભણકારા વચ્ચે દેવરસ વિનોબાજીને સાધવા રીગે છે : ઇંદિરાજીના મનમાંથી અમારે અંગેની ગેરસમજ દૂર કરી પ્રતિબંધ ઉઠાવડાવી લો. અમારા હજારો સ્વયંસેવક મુક્ત થતાં વેંત રાષ્ટ્રસેવાનાં ગેરસરકારી કામોમાં એમની સાથે જોડાઈ જશે, તે આ પત્રોનો સાર છે.

દેખીતી રીતે જ, જે.પી. આંદોલન સાથે કોઈ સંબંધ જ નહોતો એવા દાવા સાથેની આ સળંગ રજૂઆત કોઈ જનવાદી લડાયક તબકાની છાપ જન્માવતી નથી. બીજી બાજુ, નાના દેશમુખ સરખા સંઘશ્રેષ્ઠીઓ (ગુજરાતમાં ન.મો. સહિત) ભૂગર્ભ મોરચે હતા એ પણ હકીકત છે.

એટલે શંકાનો લાભ આપી સમુદાર સમજૂતની રીતે વિચારીએ તો દેવરસ કાં તો વ્યૂહાત્મક રમત રમી રહ્યા હતા અગર સંઘમાં બે મત હતા. આંદોલનના હિસ્સા તરીકે જયપ્રકાશ માર્ચ 1975માં નવી દિલ્હીમાં જનસંઘના અધિવેશનને સંબોધવા ગયા ત્યારે એમના દિલખુલાસ સંબોધન પછી આભાર માનવા ઊભા થયેલા વાજપેયીએ પણ દિલ ખોલ્યું હતું કે (સામાન્યપણે દેશભક્તિના ગર્જનતર્જનની રાજનીતિ કરતાં) અમારે માટે આ એક જુદો અનુભ‌વ છે … અબ હમ આમ જનતા કે આંદોલન સે જુડ રહે હૈ ઔર ઈસ દૌરાન હમારા ચરિત્ર બદલ રહા હૈ!

જૂનાનવા સંસ્કારો વચ્ચેની કશ્મકશ વરતાય છે તેમ કેવળ વ્યૂહાત્મક જ નહીં મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. જનસંઘ સાંસદ સ્વામી ત્યારે આબાદ ઝળક્યા હતા. છતે વૉરન્ટે એ ગૃહમાં હાજરી ભરી વિદેશ મોરચે પહોંચી ગયા હતા. એક અંતરાલ પછી દેશમાં પુન: કાર્યરત હતા ત્યારે માધવરાવ મૂળેએ એમને લગભગ રોતી આંખે કહ્યું કે તમે પાછા નાસી જાવ, કેમ કે અહીં તો મોટી સંખ્યામાં સંઘસાથીઓએ વિધિવત શરણાગતિનો પત્ર તૈયાર કરી નાખ્યો છે અને તહકૂબીના એક ભાગ તરીકે તમારા જેવાને પકડાવી દેવાનુંયે નક્કી છે. મૂળે ત્યારે સિનિયરો પૈકી હતા.

અહીં દેવરસના જે પત્રો ખપમાં લીધા છે તે મહારાષ્ટ્ર વિધાનસભાના પટલ પરથી તેમ જ અધિકૃત સંઘ પ્રકાશન ‘હિન્દુ સંગઠન ઔર સત્તાવાદી રાજનીતિ’ (દેવરસ, જાગૃતિ પ્રકાશન) દ્વારા પ્રાપ્ય છે. સ્વામીની મુલાકાત પણ ઈન્ટરનેટ પર સુલભ છે.

વર્તમાન શાસન અને સત્તા પક્ષના સૌ અનુરાગીઓને તેમ સંઘ સાથે નાભિસંબંધ ધરાવતા ભા.જ.પ. સહિત પરિવાર સમસ્તને આત્મનિરીક્ષણ માટે તો બીજે પક્ષે આમ નાગરિકને પાયાની સફાઈ માટે આ વિગતો ઉપયોગી થશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 ઑગસ્ટ 2025

Loading

એફિડેવિટ શા માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|12 August 2025

એક તરફ ચૂંટણીપંચ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. બીજી તરફ ગોદી મીડિયા ‘સ્પોન્સર્ડ ગોકીરો’ કર્યા કરે છે કે ‘રાહુલ ગાંધી સાચા હોય તો ચૂંટણી પંચને હલફનામા – સોગંદનામું – એફિડેવિટ કેમ આપતા નથી?’ 

ઘરમાં ચોરી થાય અને ઘર-માલિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય અને પોલીસ ચોરી થઈ છે એવું માને જ નહીં અને ફરિયાદીને શંકાની નજરે જુએ તેવી આ વાત છે. પોલીસ ફરિયાદીને એફિડેવિટ કરીને આપવાનું કહે તો તે વિચિત્ર કહેવાય કે નહીં? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના જ દસ્તાવેજોનો ઉપયોગ કરી મતચોરી સાબિત કરી છે, તો સોગંદનામાની જરૂર શા માટે? ચૂંટણી પંચ પોતાની ભૂલ / ગરબડ માટે વિપક્ષના નેતા પાસે સોગંદનામું શા માટે માંગે છે?ઊલટા ચોર કોટવાલ કો ડાંટે?

વળી રાહુલ ગાંધી; નાના રૂમમાં 80 લોકો રહે છે તેના નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? અરે પોતાના નામ સિવાય, બીજા કોઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? શું રાહુલ ગાંધી કે બીજા કોઈ  પાસે આવી સત્તા છે? બિલકુલ નહીં. આ કામ ચૂંટણીપંચે જાતે કરવાનું છે. રાહુલ ગાંધીએ મતદાર યાદીની ક્ષતિઓ દર્શાવી છે, તે દૂર કરવાની સત્તા રાહુલ ગાંધી પાસે નથી, આ સત્તા માત્ર ચૂંટણી પંચ પાસે જ છે. 

જે સત્તા ચૂંટણી પંચ પાસે છે તેનો ઉપયોગ કરવાને બદલે ચૂંટણી પંચ રાહુલ ગાંધી પાસે એફિડેવિટ માંગીને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે. ચૂંટણી પંચ જે નિયમો ટાંકે છે તે સંદર્ભહીન છે. શપથ / સોગંદનામા જેવી ઔપચારિકતાઓનો આગ્રહ શા માટે? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ  કરેલ છે તે ડેટા ચૂંટણી પંચે જ આપેલો છે. રાહુલ ગાંધીએ તેમાં કોઈ સુધારા વધારા કર્યા નથી. ચૂંટણી પ્રક્રિયાની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા અંગે મતદારોના મનમાં ઉદ્દભવતી શંકાઓને દૂર કરવી તે લોકશાહીના હિતમાં છે. આ કામ માટે જ ચૂંટણી પંચ છે. રાહુલ ગાંધીએ દર્શાવેલ ખામીઓને સરળતાથી દૂર કરી શકાય તેવી છે. રાષ્ટ્ર ખરેખર ચૂંટણી પંચ પાસેથી પ્રતિભાવ / સ્પષ્ટતા / શુદ્ધિકરણ ઇચ્છે છે.

મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 2002માં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર લિંગડોહ સામે ઝેરીલી ઝૂંબેશ ચલાવી હતી. રમખાણોને કારણે જબરદસ્ત ધ્રુવીકરણ થયું હતું. મતોનો પાક લણવા મોદીજીએ તાત્કાલિક વિધાનસભા ભંગ કરી દીધી, જેથી ચૂંટણીઓ યોજાઈ શકે. અને બહુમતી સાથે સરકાર રચી શકે. પરંતુ લિંગડોહે ચૂંટણીની જાહેરાત કરી નહીં. તેમનો મત હતો કે સાંપ્રદાયિક તણાવ છે. ચૂંટણીઓ હિંસક બની શકે છે. 20 ઓગસ્ટ 2002ના રોજ, વડોદરા નજીક બોડેલીમાં એક જાહેર સભામાં, મોદીજીએ કહ્યું કે “ચૂંટણી પંચ બરાબર કામ કરી રહ્યું નથી કારણ કે જેમ્સ માઈકલ લિંગદોહ એક ખ્રિસ્તી છે, અને ઇટાલિયન ખ્રિસ્તી સોનિયા એન્ટોનિયો મૈનોના કહેવા પર કામ કરે છે !” તે વખતે મોદીજીએ કોઈ સોગંદનામું-એફિડેવિટ કરેલ નહીં. રાહુલ ગાંધીએ, મોદીજીની માફક, ચૂંટણી કમિશનર માટે હલકી વાત કરી નથી.

રાહુલ ગાંધી ચૂંટણી પંચને સવાલ કરે છે અને ભા.જ.પ. નેતાઓ તથા ગોદી મીડિયા રાહુલ ગાંધીને જૂઠા ઠરાવે છે; તેથી શંકા જાય છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.નું કાર્યાલય તો નથીને?

માની લઈએ કે રાહુલ ગાંધી જૂઠા છે, ચૂંટણીપંચ દેવદૂત છે. તો ચૂંટણીપંચે રાહુલ ગાંધી સામે FIR નોંધાવવી જોઈએ કે રાહુલ ગાંધી ચૂંટણી પંચની માનહાનિ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે ! તેમને જેલમાં પૂરો ! ચૂંટણી પંચ રાહુલ ગાંધી સામે શા માટે FIR નોંધાવતું નથી? 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
11 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકશાહીને જીવતી રાખવી હોય તો ગાળો ભા.જ.પ.ને આપો, કાઁગ્રેસને નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 August 2025

હેમંતકુમાર શાહ

(૧) જેનું શાસન હોય એની ટીકા કરો. ભૂતકાળમાંથી કશું શીખવાનું કે નહીં? ભૂતકાળમાં કોઈ પણ પક્ષના શાસનમાં લોકશાહી ખરાબ હોય તો તે અત્યારે સુધરવી જોઈએ કે બગડવી જોઈએ? જો લોકશાહી સુધરવી જોઈએ એમ માનતા હોઈએ તો હાલના શાસકો જે કંઈ ખરાબ કરતા હોય તેની ટીકા કરવી જ પડે. એ આપદ ધર્મ કહેવાય! મહાભારતમાં કૃષ્ણે અર્જુનને શીખવેલો તે આપદ ધર્મ! 

(૨) કમાલનો તર્ક છે આ કે કાઁગ્રેસે ખરાબ કૃત્યો કરેલાં એટલે ભા.જ.પ. અને મોદી કરે તો ચાલે! કાઁગ્રેસે કટોકટી લાદેલી કે નહીં, તેણે સાંસદોને જેલમાં પૂરેલા કે નહિ? તો નરેન્દ્ર મોદી સાંસદોને રેલી ન કાઢવા દે તો ચાલે! 

(૪) કાઁગ્રેસનાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭માં ૧૯ મહિના કટોકટી લાદેલી. તેઓ સરમુખત્યાર થઈ ગયેલાં. તેમ છતાં તેમણે ૧૯૭૭માં ચૂંટણી આપી. ચૂંટણીમાં હાર્યાં તો ગાદી છોડી દીધી. ચૂંટણી સમયે બંધારણીય રીતે જાહેર થયેલી કટોકટી ચાલુ હતી. ઇન્દિરા ધારે તે કરી શકે તેમ હતાં. પણ સત્તા છોડી. વોટ ચોરી મોટા પાયે કરવી હોત તો તેઓ કરી શકત કે નહીં? કરી? અરે, ચૂંટણી જ ન આપી હોત તો? તેઓ તાનાશાહ તરીકે સત્તા પર ચાલુ જ રહ્યાં હોત! 

(૫) સલમાન ખાન કાળિયારના શિકારમાં જેલમાં ના ગયો. કારણ ગમે તે હોય. માટે હવે તમે પણ કાળિયારનો શિકાર કરો, જાવ! કોઈ ગુનો કરે એટલે બીજાને ગુનો કરવાનો પરવાનો મળે છે? 

કાઁગ્રેસે આમ કરેલું અને કાઁગ્રેસે તેમ કરેલું, નેહરુ અને ઇન્દિરાએ આમ કરેલું ને તેમ કરેલું. એમ કહીને ભા.જ.પ., નરેન્દ્ર મોદી અને તેમના મળતિયાઓ અને તેમના અંધ ભક્તો પોતાને ગમે તે કરવાનો પરવાનો મળે છે એમ અબુધ નાગરિકોના મનમાં ઠસાવવા માગે છે. એમાં તર્કશીલ અને ભણેલાગણેલા લોકો પણ ફસાઈ જાય છે. આ ભારતની લોકશાહીને ખતમ કરવાની ભા.જ.પ.ની એક ખતરનાક ચાલબાજી છે, કાવતરું છે એ સમજવાની જરૂર છે. 

નેહરુ અને ઇન્દિરા પણ માણસ હતાં, કંઈ ભગવાન નહોતા. એમની હજારો ભૂલો થઈ જ હોય. તેઓ પણ રાજકીય માણસો હતાં. તેમને પણ પોતાને સત્તા જોઈતી હતી અને મળેલી સત્તા ટકાવવી હતી. પણ એ બેમાંથી કોઈએ પોતાને ભગવાન તરીકે ચીતરીને લોકોને છેતર્યા નહોતા. તેમણે એવું કહેલું કે તેઓ નોન-બાયોલોજીકલ છે?

આટલો તફાવત છે નેહરુ-ઇન્દિરા તથા નરેન્દ્ર મોદીમાં. અને જેને લોકશાહી એટલે શું એની ખબર હોય તેને માટે આ ફરક બહુ જ, અતિશય મોટો છે.

નાગરિકો માટે લોકશાહી મહત્ત્વની છે, કાઁગ્રેસ અને ભા.જ.પ. કરતાં વધારે લોકશાહીનું મહત્ત્વ છે. એની આડે જે કોઈ આવે, લોકશાહી ઘસાય એવું જે કંઈ થાય, એની ટીકા કરવી એ નાગરિકોનો ધર્મ છે.

એટલે અત્યારે કેન્દ્રમાં સરકાર મોદીની અને ભા.જ.પ.ની છે. એ સરકાર કે સરકારી સંસ્થાઓ કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ લોકશાહીને ધક્કો પહોંચતું કંઈ પણ કરે તો તેની ટીકા કરવાના અધિકારનો ઉપયોગ નાગરિકોએ કરવો જોઈએ. મહાન સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં તમારે શું જોઈએ છે, ધર્મોક્રસી જોઈએ છે કે ડેમોક્રસી? 

ભારત લોકશાહીની ભયાનક કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને રાજાશાહી કે તાનાશાહી કહેવાય તેવી સ્થિતિમાં સરકી રહ્યો છે. બુદ્ધિ હોય તો, સમજો જરા. 

કોઈ પણ સત્તાને પડકારો, પછી એ રાજકીય હોય કે ધાર્મિક કે સામાજિક કે આર્થિક. બધી જ સત્તા મનુષ્યને ગુલામ બનાવવા અને રાખવા માગે છે. આઝાદ મનુષ્ય રહેવું હોય તો, અને બુદ્ધિનો ઉપયોગ કરતાં આવડતું હોય તો એ સત્તાને પડકારો. બુદ્ધિ હોય તો વાપરો, સત્તાને પડકારવામાં. 

તા.૧૨-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...130131132133...140150160...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved