Opinion Magazine
Number of visits: 9456255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધમીઠો મલકાટ

અશોક નાયક|Opinion - Short Stories|1 June 2025

છેલ્લા બેચાર દિવસોથી નાનકડો કનિયો કશું સમજી નહોતો શકતો. બાપા અને વાસના બીજા મરદો સાંજ પડે ભેગા બેસીને ઘુસપુસ કર્યા કરતા. માડી અને બીજી બાયડીઓ પણ ભેગી થઈને કકળાટ કરતી અને જાણે મરદોને વારવા મથતી. એને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે! કનિયો ગુંચવાય એટલે એ સીધો મનિયા પાસે ઉપડતો. મનિયો એનાથી બે-એક વર્ષ મોટો. એના ઘરમાં ધીમે અવાજે ને છાનીછપની થતી વાતોમાંથી એને જે અડધુંપડધું સંભળાયું એનાથી મનિયાને એટલી સમજ પડેલી કે ગામના મુખીબાપાના છોકરાએ એમના વાસની રૂડીરૂપાળી પતંગિયા જેવી મંછીમાસીને પીંખી નાખેલી. આ ‘પીંખી નાખેલી’ એટલે શું એની તો મનિયાને પણ ખબર નહોતી. વાસના મરદો એ છોકરાને થોડો મેથીપાક ચખાડવા માગતા હતા. બાયડીઓ મેથીપાક આપ્યા પછી જે થશે એના વિચારથી બીતી હતી. મરદોને વારતી હતી. 

તે દા’ડે રાતે કનિયો સૂ સૂ કરવા જાગી ગયો ત્યારે બાપા અંધારામાં લાકડી લઈને ક્યાંક જવા તૈયાર બેઠા હોય એવું લાગ્યું. માડી ગભરાયેલી હતી. ઘરની બહારથી ધીમો ખોંખારો સંભળાયો ને બાપા નીકળી ગયા. બાપા છાનામાના પાછા આવીને સૂઈ ગયા ત્યાં સુધી માડી એક બાજુ કનિયાને અને બીજી બાજુ એની મોટી બહેનાને બાથમાં લઈને બેઠી રહી. એને લાગ્યું કે માડી ધ્રૂજતી હતી. એને માડીને કંઈક પૂછવું હતું. બીકના માર્યા એનો અવાજ નીકળતો ન હતો. એને એમ જ નીંદર આવી ગઈ. બાપાએ એને ઉંચકીને ખભે નાખ્યો ને એ જાગી ગયો. બાપા એને લઈને ભાગ્યા. સાથે જ ચીસો પાડતી માડી અને એની મોટી બહેન પણ ભાગ્યાં. થોડી વારમાં તો આખો વાસ રાડારાડ કરતો ભાગતો દેખાયો. આઘેથી ગામના મોટેરાઓ લાકડીઓ ને તલવારો ને સળગતા કાકડાઓ લઈને રાડો પાડતા દોડતા આવતા દેખાયા. બધાથી આગળ હતા હાથમાં સળગતી મશાલ સાથે મુખી બાપા. ટોળાએ વાસને બાળી મુક્યો. ભેગા નહીં ભાગી શકેલા બધા જંતુઓ પણ બળી મૂઆ. માનવજંતુઓ સહિત. ભાગેલા માનવજંતુઓ પોલીસ થાણે જઈ ભરાયા. આખો દિવસ ખાવા-પીવા તો કાંઈ ના મળ્યું પણ એમનાં જીવ બચ્યાં. કનિયો રડતો રડતો ભૂખ્યો જ ઊંઘી ગયો. તે રાતે સપનામાં એને મુખી બાપા રાક્ષસ બનીને દોડતા આવતા દેખાયા.

કનિયાને કે મનિયાને પણ કાંઈ ઝાઝું સમજાયું તો નહીં. વખત વીત્યો. એ લોકો પાછા બળી ગયેલા વાસની જગાએ નવા ઝૂંપડાઓ બનાવી રહેવા આવી ગયા. આગ તો બાપડી અકસ્માતે લાગેલી. થોડાક બળી ગયેલાં જંતુઓને બાદ કરતાં, બધું પહેલા હતું તેવું થઈ ગયું. 

વળી પાછા બીજા એક દિવસે કનિયાને ગુંચવાવાનો વારો આવ્યો. માડીને ગાળો દેતા અને ઝૂડી નાખતા બાપાને તો એણે ઘણી વાર જોયેલા. વાસમાં આવી ઘટનાઓ તો લગભગ ઘરેઘરે વારે વારે થતી. બાપા ગામની શેરીઓ વાળવા જતા, ત્યાંથી ઘણી વાર માર ખાઈને આવતા ને પછી માડીનું આવી બનતું. ગામના મોટેરાઓએ જે ગુસ્સો બાપા ઉપર ઠાલવ્યો હોય તે બધ્ધો બાપા માડી ઉપર બમણો કરીને ઠાલવતા. બાપા વિફર્યા હોય ને માડીને ફટકારતા હોય ત્યારે વાસના લોક જોયા કરતા, પણ કોઈ માડીને છોડાવવા વચ્ચે પડતું નહીં. પણ તે દિવસે નવાઈની વાત થયેલી. કો’ક ધોળાં કપડાંવાળી બાયડી માડીના ને બાપાના ઝગડામાં વચ્ચે પડેલી. એનાં કહેવાથી વાસના બે જણાએ બાપાને થાંભલે બાંધીને માથે ઘડો ભરીને પાણી પણ રેડી દીધેલું. ને પાછા જતાં જતાં એ બાયડી કહેતી ગયેલી કે તે દિ’થી વાસની બધી બાયુંને અને છોડિયુંને એણે પોતાની બેન્યું ને દીકરીયું માની લીધી છે. જો કોઈપણ એની બેન્યું-દીકરીયું ઉપર હાથ ઉપાડશે તો એ હાથ ઉપાડનારાને છ છ મહિના મામાને ઘેર રહેવા મોકલાવી દેશે. કનિયાને થયેલું કે લાવને હું ય મારી મોટી બેનાને ફટકારું. છ મહિના મામાને ઘેર રહેવા મળે તો તો મઝા જ મઝા પડી જાય. મામા-મામી એને કેટલું વહાલ કરતાં! આખ્ખો વખત ભનુભઈ ભનુભાઈ કર્યા કરતાં. મામી પોતાને માટે ખાવાનું પણ કેવું જાતજાતનું ને ભાતભાતનું બનાવતાં. ત્યાંથી કપડાં પણ નવ્વા મળી જતાં. ત્યાં તો પાછું કનિયાને થયેલું કે હું બહેનાને મારવા જાઉં ને બહેના જ ઊલટાની એને ધોકાવી નાખે તો?! વળી, પછી તો બહેના વહાલ કરે છે ને પોતાના ભાગમાંથી ખાવાનું આપે છે તે તો ભૂલી જ જવું પડે ને? કનિયો ગુંચવાયેલો …

… અને ગુંચવાયેલો એટલે ઉપડેલો મનિયા પાસે. મનિયાએ તે દિવસે એને સમજાવેલું કે એ ધોળાં કપડાંવાળી બાયડી તો બહુ મોટા માણસની ઘરવાળી હતી. ગાંધીબાપુની ચેલકી હતી. ગાંધીબાપુનું કહ્યું બધ્ધા માને. આનાથી વધારે તો મનિયો પણ કંઈ નહોતો જાણતો. અને હા, બહેનાને તો મરાય જ નહીં. પાપ લાગે.

બે-ચાર દા’ડા પછી પેલી ધોળાં કપડાંવાળી બાયડી પાછી આવેલી. જોડે બે-ચાર જુવાનિયાઓ ને જુવાનડીઓ પણ હતા. વાસના જે જે છોકરા-છોકરીઓને એમના મા-બાપ નિશાળે નહોતાં મોકલતાં તે બધાંને ભેગા કરી ને ગામની નિશાળે લઈ ગયેલી. બધાંના નામ શાળામાં દાખલ કરાવી દીધેલાં. પાટી-પેન અને સુખડીની દાબડીઓ ઈનામમાં આપેલી. 

તે દિવસે રાતે ઊંઘમાં એ ધોળાં કપડાંવાળી બાયડી દયાની દેવી બનીને કનિયાના સપનામાં આવેલી … અને એમ કનિયા-મનિયાનું ભણતર શરૂ થયેલું. સમયના વહેણે વાસને ઝૂંપડપટ્ટીમાં, ફળિયાઓને ફ્લૅટોમાં ને ખેતરોને ગામથી દૂર ધકેલી દઈને ફાર્મ-હાઉસોમાં પલટી નાખ્યાં. ગામને શહેર ગળી ગયું. કનિયો પ્રાથમિક શાળાનો હેડ માસ્તર, કનુભાઈ સોલંકી થઈ ગયો. મનિયો ક્રિમિનલ લૉયર મનુભાઈ મકવાણા થઈ ગયો. અને મુખીબાપા જંગી બહુમતીથી ચૂંટાયેલા ધારાસભ્ય.

કનિયામાંથી કનુભાઈ થવાની સફર દરમ્યાન એક ગડમથલ કનુભાઈના મનમાં કાયમ ચાલ્યા કરતી. શું કરવું જોઈએ …. રાક્ષસરૂપે દોડતા આવતા અનેક મુખી બાપાઓ સામે શિંગડા ભરાવવા કે ધોળી સાડીવાળી પેલી દયાની દેવીની ટોળીઓમાં ભળી જવું? મન-ઘડિયાળનું લોલક ક્યારેક શિંગડા ભરાવવા તરફે ઢળતું તો ક્યારેક દયાની દેવીઓની ટોળીઓમાં ભળવા તરફ ઢળતું.

આજે કનુભાઈનું મન શિંગડા ભરાવવા તરફે ઢળતું જતું હતું. થયેલું એવું કે બે જ મહિનાથી હંગામી ધોરણે શિક્ષિકાની નોકરી પર લાગેલી સુજાતા ત્રિવેદી આજે કનુભાઈના ટેબલ ઉપર રાજીનામું ફેંકીને જતી રહેલી. હસમુખી, મિલનસાર અને હોંશિયાર સુજાતા બે મહિનાના ટૂંકા ગાળામાં પણ અન્ય શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આદર કમાઈ ચુકેલી. અધુરામાં પુરું એના કુટુંબની અત્યંત નબળી આર્થિક સ્થિતિ પણ એને બધાની સહાનુભૂતિ રળી આપતી. 

બે દિવસ પહેલાં થયેલું એવું કે સુજાતાએ તખુભા જાડેજાના દીકરાને રામા ગામિતની દીકરીના વાળ ખેંચવા બદલ વીસ વખત ‘હવે આવું નહીં કરું’ લખવાની સજા કરેલી. તખુભા જિલ્લા શિક્ષણ અધિકારીના ડ્રાઈવર. દીકરાએ વાતને વધારી-ચગાવીને તખુભાને અને તખુભાએ વધારે મીઠું-મરચું ભભરાવીને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી. કનુભાઈને આજે એ બાબતે જિ.શિ.અ. સાહેબ પાસેથી ઠપકો સાંભળવો પડેલો અને એમણે એ ઠપકાનું પડીકું સુજાતાને પકડાવી દીધેલું. એ દિવસે સુજાતા ચોક્કસ જ કોઈ ખરાબ મૂડમાં હોવી જોઈએ. એણે રાજીનામું ધરી દીધું. સુજાતા શાંતિથી રાજીનામું આપીને જતી રહી હોત તો તો કદાચ બહુ તકલીફ ના થાત, પણ એણે રાજીનામું પાંચ જણાની વચ્ચે કનુભાઈના ટેબલ ઉપર ફેંકેલું, ચપટી વગાડીને ફેંકેલું. અને જતાં જતાં તીખા તમતમતાં અવાજે બોલેલી : ‘શાળાના હેડમાસ્તર પાસે આવી અપેક્ષા ના હોય. ખોટી વાતનો પક્ષ લો છો, મિ. સોલંકી!’ 

કાયમ ‘સાહેબ’સાંભળવા ટેવાયેલા કાન ‘મિ. સોલંકી’ પચાવી ના શક્યા. સુજાતાએ વગાડેલી ચપટી કનુભાઈના કાનમાં બોમ્બ ફૂટ્યાના ધડાકા જેવી ગુંજતી રહી. એમનું સમગ્ર અસ્તિત્વ અવમાનથી જન્મેલા ક્રોધાવેશમાં કંપી રહ્યું. સુજાતાના અણધાર્યા પ્રતિભાવથી એમનું મગજ સુન્ન થઈ ગયું. યુગોથી ઉચ્ચ કહેવતા લોકો દ્વારા પછાતો ઉપર કરાયેલા અત્યાચારો એમના મનોચક્ષુ સમક્ષ ભૂતાવળની જેમ નાચવા માંડ્યા. મન-પંખી ઉડતું ઉડતું શંબૂક વધના સમયગાળા સુધી પહોંચી ગયું. અપમાન અને ક્રોધથી અંધ બનેલી એમની આંખે ગરીબડી ગાય જેવી સુજાતા, માતેલા આખલા જેવી દેખાવા લાગી. શું કરવું શું ના કરવું ના મન હિંડોળામાં કનુભાઈ અટવાયા. એવામાં એમના ફોનની ઘંટડી વાગી. કોનો ફોન છે તે જોયા વગર જ એમણે ચીડાઈને ફોન બંધ કરી દીધો. થોડી વાર પછી ફરીથી ઘંટડી વાગી. કનુભાઈએ ફરીથી ફોન બંધ કરી દીધો. ક્યાં ય સુધી હારેલા સેનાપતિની જેમ ખુરશી પર ખોડાઈ રહ્યા. છેવટે સુજાતાનું રાજીનામું ગજવામાં નાખી પોતાના સંકટમોચન લંગોટિયા મિત્ર, મનિયા-મનુભાઈના શરણે જવા ખુરશીમાંથી જાતને ઊભી કરી. મનુભાઈના ઘર તરફ ધકેલી.

મનુભાઈ ચબરાક અને ધાર્યા નિશાન પાડનારા વકીલ તરીકે સારી એવી નામના કમાઈ ચુકેલા. સ્વભાવ ઉગ્ર. લોકો એમને ડર મિશ્રિત આદરથી જોતા. એ જરૂર સુજાતાએ કરેલાં ઘા પર મલમપટો કરવાનો ઉપાય બતાવશે એ વિચારે કનુભાઈના ટાંટિયામાં જોર આવ્યું.

મનુભાઈના ઘરે પહોંચેલા કનુભાઈએ રોજ કરતાં જુદો જ માહોલ જોયો. ઘરના બધા જ જણ અને બીજા બેચાર વધારાના લોકો પણ ઘરની સાફસફાઈમાં લાગેલા હતા. સઘળું ફર્નિચર ચકચકાટ સાફ થઈ રહ્યું હતું. નવા પડદા ટીંગાડાતા હતા. તોરણો લટકાવાતાં હતાં. રંગોળી પૂરાતી હતી. કોઈ ખુશીના પ્રસંગની ધમધોકાર તૈયારીઓ ચાલી રહી હતી. મનુભાઈ જાતે ઊભા રહીને ઉત્સાહભેર સૂચનાઓ આપતા હતા.

કનુભાઈને જોઈને દોડતા આવીને મનુભાઈ ભેટી જ પડ્યા. શ્વાસભેર બોલવા માંડ્યા : “તું આટલી જલદી કેવી રીતે આવી પહોંચ્યો? સવારનો ફોન કરું છું. તારો ફોન પણ તારા જેવો જ છે. દશેરાને દહાડે જ ટટ્ટુ દોડતું નથી. મનીષ સાયકલ લઈને બહાર નીકળતો હતો. તેને મેં હજુ હમણાં તો કહ્યું કે જતાં જતાં કાકાને કહેતો જા કે તરત બોલાવ્યા છે. એ તો હજી તારી સ્કૂલે પહોંચ્યો પણ નહીં હોય … તું કેવી રીતે આટલો જલ્દી આવી પહોંચ્યો? તને કોણે સમાચાર આપ્યા?”

મનુભાઈનો ઉત્સાહ એમના રોમેરોમમાં ઉભરાતો હતો. એના જોશના ધોધમાં વહી રહેલા કનુભાઈને સમજ નહોતી પડતી કે પોતે જે કમઠાણની વાત લઈને આવ્યા છે તે કરવી કે નહીં. માંડ માંડ આટલું બોલી શક્યા : “મને કાંઈ જ ખબર નથી. શું થયુ છે તે તો કહે.”

“હ્ત્તારીની! મેં તો આંધળે બહેરું કૂટ્યું. ચાલ ચાલ, તને નિરાંતે માંડીને વાત કરું.” કહી મનુભાઈએ કનુભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. બન્ને મિત્રો ચાલતા ચાલતા ચાલીની બહાર આવ્યા. રફીક મિયાંના ગલ્લે બે કડક મીઠીનો ઓર્ડર આપ્યો. ખાલી થયેલા રંગના ઊંધા ગોઠવેલા ડબ્બાઓ ઉપર સામસામે ગોઠવાયા. મનુભાઈએ શરૂ કર્યું.

થયું એવું કનિયા, કે આજે મારે કંઈ કામ નહોતું એટલે હું કોર્ટમાં જવાનો ન હતો. ઘરે આવેલા એક અસીલ સાથે લમણાઝીંક પતાવીને હું સહેજ આડો પડેલો જ હતો કે એક અજાણ્યા નંબર પરથી મારા મોબાઈલ પર રિંગ આવી. પહેલી વાર તો વાગવા દીધી. ફોન લીધો પણ નહીં. થોડી વાર પછી એ જ નંબર ઉપરથી ફરી રિંગ વાગી. મેં તો જરાક ખીજવાયેલા અવાજે જ પૂછ્યું : ‘કોણ છે’વ?’મને તો ખબર નહીં પણ સામે છેડે તો સિવિલ જજ દીવાનસાહેબ હતા.

મને કહે : ‘સૉરી મનુભાઈ! જરા ખોટા સમયે ફોન થઈ ગયો લાગે છે. મન્મથ દીવાન બોલું છું. આપ વકીલ છો એટલે મને જાણતા જ હશો. હાલમાં હું અંહી સિવિલ જજ છું. થોડી અગત્યની વાત કરવી હતી. ક્યારે ફોન કરું તો આપને વાત કરવાનું અનુકૂળ રહેશે?’

તું નહી માને કનિયા,પણ હું તો જવાબ આપતા તતફફ તતફફ થઈ ગયો. સિવિલ જજ દીવાન સાહેબ મારા જેવા સાધારણ વકીલને સામેથી પોતે જાતે શું કામ ફોન કરે? મારાથી તો સરખી રીતે બોલાતું પણ નહોતું. હું તો માંડ માંડ બોલી શક્યો : ‘સૉ… સૉ… સૉ… સૉ… સૉરી  સાહેબ. ફોન ઉપર આપ હશો એવો ખ્યાલ ન હતો. ફ… ફ… ફ… ફરમાવો. શ… શ… શ…શીદ યાદ કર્યો?’

દીવાન સાહેબ કહે : આપને મનીષભાઈએ વાત નથી કરી લાગતી. સમજી શકું છું. વાત એમ છે મનુભાઈ, કે આપના દીકરા મનીષભાઈના અને મારી દીકરી મલ્લિકાના મન મળી ગયાં છે. આપને તો ખ્યાલ નહીં હોય પણ અમારા બન્ને ભાઈઓ વચ્ચે ….. દીકરો ગણો કે દીકરી … એક જ સંતાન છે. જો આપને મંજૂર હોય તો આ અંગે વધુ વાત કરવા હું, મારા પત્ની રોહિણી અને મારા ભાઈ-ભાભી આવતીકાલે આપને ત્યાં આવવા માંગીએ છીયે. 

કનુડા, મેં કહ્યું : સાહેબ આપ શા માટે … અમે આપને ત્યાં …” તો મને અધવચ્ચે અટકાવીને દીવાન સાહેબ કહે, આપે હવે મને હવે ‘સાહેબ’ નહીં કહેવાનું …. મન્મથ તમે … બહુ બહુ તો મન્મથભાઈ તમે … કહેવાનું. અને જુઓ આપને વિચારવા માટે વધારે સમય જોઈતો હોય તો આપ કહો તેટલા દિવસો પછી ફોન કરું. આ તો મલ્લિકાએ ખુશખબર આપી ત્યારથી હરખના માર્યાં મારા ને રોહિણીના મન ઝાલ્યા નો’તાં રહેતાં એટલે તરત પહેલાં મારા ભાઈ-ભાભીને ફોન કર્યો અને પછી આપને કર્યો છે. આપને ઠીક લાગે ત્યારે આપ મને જણાવજો. અમે આવી જાશું. મલ્લિકા કહેતી હતી કે આપ આ સાંભળીને ખૂબ જ રાજી થશો. એટલે મારાથી આપને ત્યાં આવવાની વાત કરવામાં થોડી ઉતાવળ થઈ ગઈ. આપને વિચારવાનો સમય મારે આપવો જોઈતો હતો. માફ કરજો.

અબે સાલ્લા કનિયા, મને તો સમજ જ નહોતી પડતી કે શું કહેવું. મારું તો મગજ જ બહેર મારી ગયું હતું. હું શું બોલતો હતો એનું પણ મને ભાન નહોતું રહેતું. જેમ તેમ ગોટાવાળીને ફોન પર વાત પતાવી. માંડ માંડ ‘સાહેબ થોડી વાર પછી ફોન કરું’ કહીને ફોન મૂક્યો. મનીષિયાને બોલાવીને ખુલાસો પૂછ્યો ત્યારે બધી વાતની ગડ બેઠી. સાલ્લો મનીષિયો …. છુપો રૂસ્તમ નીકળ્યો. હવે તું જ કહે કનુડા, આપણે તો શું વિચારવાનું?

મેં તો મનષિયાની માને અડધી પડધી વાત કરી, ના કરી …. ત્યાં એની મા ફટ્ટ દેતીને મને કહે : ‘એમને એમની છોડીમાં વશવાસ સે ને તમુંને તમારા છોરામાં વશવાસ નથ? છોરાને ખુલાસો પૂછવા હું બેઠા? ને મને મુઈને પુછવા હું બેઠા? ઝટ સાયેબને ફોન જોડો ને બોલાવી લો કાલને કાલ આપડે ઘેર. એવડો ઈ છોડીનો બાપ સીં. પછી ફોન કરું કઈને તમે ઈ બચ્ચાડા જીવને કેટલી ચંત્યામાં મેલી દીધો એનો વશાર આવે સીં?’

મેં ફોન જોડ્યો તો સાહેબ કહે; ‘હવે આપે હા પાડી છે એટલે કાલે અમે ચોક્કસ જ આવીશું. સાંજના ચારેક વાગે પહોંચીએ તો ચાલે? કનિયા, કાલે ચાર પહેલાં તું ને ભાભી આવી પહોંચજો.’

મનુભાઈ તો લગભગ એક શ્વાસે બધું બોલી ગયા. કેમ ના બોલી જાય? કનુભાઈ હતપ્રભ. અવાચક …!

ઘરે કોઈ આવ્યું ને મનીષ બોલાવવા આવ્યો એટલે કાલે મોડા ના પડતા કહી મનુભાઈ તો વિદાય થયા. કનુભાઈ ત્યાં જ બેઠા બેઠા મન-હિંડોળે ચઢ્યા. અત્યારે એમને દયાની દેવીઓની ટોળીમાં ભળવું જોઈએ એવું લાગવા માંડ્યુ હતું. રફીક મિયાં કનુભાઈને સૂનમૂન બેઠેલા જોઈને સામે આવી બેઠા. ‘ક્યાં ખોવાઈ ગયા હેડમાસ્તર સાહેબ? એમણે બેસતાં બેસતાં પૂછ્યું. 

‘ક્યાંયે નહીં. અહીં જ તો છું, રફીક્ભાઈ. જરા ગોટે ચડી ગયો હતો. શું કરવું જોઈએ? રાક્ષસ મુખીને ચૂંટનાર જંગી બહુમતી સામે લડવું જોઈએ કે પછી દયાની દેવીની ટોળીમાં ભળી જવું જોઈએ?’ કહીને કનુભાઈએ પોતાનો છેક બાળપણથી પીછો ન છોડતો સવાલ ટૂંકમાં કહી બતાવ્યો. 

રફીક મિયાં બોલ્યા, “તમને જવાબ એટલે નથી મળતો, સાહેબ, કે તમે જવાબ બહાર શોધો છો. મારા જેવાઓ પાસે … મનુભાઈ જેવાઓ પાસે … છાપાઓમાં …. પુસ્તકોમાં …. ટી.વી. જેવા માધ્યમોમાં …. સંતો-વિદ્વાનોના … પ્રવચનોમાં …. ત્યાં ના મળે આનો જવાબ, સાહેબ. આનો જવાબ તો તમારે તમારી અંદર જ શોધવાનો હોય.”

કપમાં થોડી બાકી રહી ગયેલી રફીક મિયાંની ચા પીતાં પીતાં જ સાંભળેલી આ વાતે કનુભાઈના મનમાં વીજળીની જેમ ઝબકારો કરી દીધો. રફીક મિયાંએ જાણે અંધારી ગુફાના માર્ગે આગળ વધવા મશાલ પ્રગટાવી આપી. એમને થયું વાત તો ખરી છે રફીક મિયાંની. જવાબ જાત પાસેથી મેળવવો પડશે. રફીક મિયાંને પૈસા આપી કનુભાઈએ ચાલવા માંડ્યું. સાથે સાથે મગજ પણ ચાલવા માંડ્યું.

જગતમાં તો જેમ દેવો છે તેમ દાનવો પણ છે. ક્યારેક ઝગડાઓ અને યુદ્ધો તો ક્યારેક શાંતિ અને સુમેળ. આ તો સતત ચાલતું આવેલું અને ચાલતું રહેવાનું કાળચક્ર છે. કોઈ પણ યુદ્ધ ભલે ન્યાય અને શાંતિ માટે શરૂ કર્યું હોય, એનું પરિણામ થોડે ઘણે અંશે અન્યાય અને હિંસા જન્માવતું જ હોય છે. મારી મૂળભૂત પ્રકૃતિ શું છે? મારે એને ઓળખવાની છે, એને અનુસરવાની છે અને એને વફાદાર રહેવા મથવાનું છે. સમય અને સંજોગો પ્રમાણે મૂડ તો બદલાયા કરે, પ્રકૃતિ નહીં. જેટલા પ્રકૃતિને વફાદાર રહેવાશે તેટલા સ્વસ્થ અને શાંત રહી શકાશે. ગોટે નહીં ચડાય. વર્ષોથી ચાલી આવતી પેલી શિંગડા ભરાવવા કે દયાની દેવી તરફ ઢળવું વાળી વાત વચ્ચે ચાલતા દ્વંદ્વનો આખરે અંત આવ્યો. આ સ્પષ્ટતાએ કનુભાઈના પગને નવી દિશા આપી.

સુજાતાએ બારણું ખોલ્યું ને સામે કનુભાઈને ઊભેલા જોયા. એ હતપ્રભ થઈ ગઈ. એક અક્ષર પણ બોલ્યા વગર કનુભાઈએ ગજવામાંથી સુજાતાના રાજીનામાનો કાગળ કાઢ્યો. એના ચાર ટુકડા કરી સુજાતાના હાથમા મૂક્યા. શું થઈ રહ્યું છે એ હજી સુજાતા પૂરું સમજી ન શકી. બે હાથ જોડી લાગણીભીના ગળગળા અવાજે કનુભાઈએ એની માફી માંગી ત્યારે જ એને ઘટી રહેલી ઘટનાનો પૂરો તાગ આવ્યો. માફી માગી રહેલા કનુભાઈની સાત્ત્વિક ઊંચાઈનો અંદાજ આવતાં તે આદરપૂર્વક હેડમાસ્તર સાહેબને નમન કરી ઘરમાં આવકારતી પાછી હઠી. 

ઘરના અંદરના ઓરડામાં, આગળના ઓરડામાં ચાલી રહેલી ઘટનાઓથી અજાણ, સુજાતાના પતિએ રેડિયો ચાલુ કર્યો. ઘર બિસ્મિલ્લાખાનની શરણાઈના સૂરોથી મહેકી ઉઠ્યું. દીવાલ પર ટાંગેલી ગાંધી-આંબેડકરની છબીઓના ચહેરાઓ પર મધ મીઠો મલકાટ પ્રસરી રહ્યો. 

[શબ્દ સંખ્યા: ૨૪૫૩]
ઈ/૮, સ્ટર્લિંગ રો હાઉસ, સુભાષ ચોક, ગુરુકૂળ રોડ, મેમનગર, અમદાવાદ, ૩૮૦ ૦૫૨
e.mail : naik_ashok2001@yahoo.com

Loading

ચલ મન મુંબઈ નગરી—291

દીપક મહેતા|Opinion - Opinion|31 May 2025

બાવલા ખૂન કેસમાં ત્રણ નહિ, બે ગુનેગારોને જ ફાંસી અપાઈ, કેમ?    

ગુરુવાર, નવેમ્બર ૧૯, ૧૯૨૫ના એ દિવસે જેવી જજસાહેબની પીઠ દેખાઈ કે તરત છાપાંના ખબરપત્રીઓએ (ના, જી, એ વખતે હજી જડબાતોડ ‘વૃત્તાંતનિવેદક’ શબ્દ ચલણી બન્યો નહોતો) દોટ મૂકી. બહારગામનાં છાપાંના ખબરપત્રીઓએ થોડે દૂર આવેલ સેન્ટ્રલ ટેલગ્રાફ ઓફિસ તરફ, મુંબઈનાં છાપાંના ખબરપત્રીઓએ પોતપોતાની ઓફિસ તરફ. બે-ત્રણ ચકોર હતા તે ગયા નજીકની ઈરાની રેસ્ટોરાં તરફ. તેમણે પહેલેથી હોટેલનો ફોન વાપરવા માટે ‘સેટિંગ’ કરી રાખેલું. કોઈ બહુ મોટો બનાવ બને ત્યારે છાપાં ખાસ ‘વધારો’ બહાર પાડે એવો એ વખતે ચાલ. બાકીનાં પાનાં તો સવારના અંકનાં જ હોય, પણ પહેલે પાને સાત કોલમનું (એ વખતે એક પાના પર સાત કોલમ આવતા. પછીથી આઠ કોલમ થયા) મોટું મથાળું : ‘બાવલા ખૂન કેસમાં ત્રણને ફાંસી, ત્રણને જનમટીપ, બે નિર્દોષ.’

કેદમાં કેદી

કેસ ચાલતો હતો ત્યારથી જ છાપાંઓમાં ભાગલા પડી ગયા હતા. ‘બોમ્બે ક્રોનિકલ’ અને બીજાં એક-બે સિવાય ઘણાંખરાં અંગ્રેજી છાપાં સરકાર તરફી. બ્રાહ્મણ માલિકીનાં મરાઠી છાપાં ઇન્દોરનરેશની વિરુદ્ધ, કારણ નરેશ બિન-બ્રાહ્મણ હતા. અદાલતના ચુકાદા સામે તો ખાસ કોઈને વાંધો નહોતો. પણ ચુકાદો આપ્યા પછી જસ્ટીસ ક્રંપ જે થોડાંક વાક્યો બોલ્યા તેણે છાપાં તો ઠીક, ઇન્દોરનરેશ અને બ્રિટિશ સરકાર સામે મોટી મુસીબત ખડી કરી દીધી. એ વાક્યો ફરી યાદ કરીએ : ચુકાદો સંભળાવ્યા પછી જસ્ટિસ ક્રમ્પે ઉમેર્યું : “જે સ્ત્રી દસ વરસ સુધી ઇન્દોરના મહારાજાની રખાત બનીને રહી હતી, પછી તેમને છોડીને મુંબઈ આવી હતી અને મિસ્ટર બાવલા સાથે રહી હતી તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખા કાવતરાનાં મૂળ ઇન્દોર સુધી પહોંચતાં હોય તેમ માનવાને પૂરતાં કારણો છે. દેખીતું છે કે આજે આ અદાલતે જે ગુનેગારોને સજા ફરમાવી છે તેમનો દોરીસંચાર કરનારા હાથ તો બીજા કોઈના હતા. પણ એ હાથ કોના હતા એ અંગે ખાતરીપૂર્વક અમે કશું કહી શકીએ એવી સ્થિતિમાં નથી.” 

ઇન્દોરના રાજવીએ બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી શરૂ કરી દીધી.

બાવલા ખૂન કેસ ૧૯૨૫નો. આપણા દેશમાં ૧ ઓક્ટોબર ૧૯૩૭ સુધી સુપ્રીમ કોર્ટનું અસ્તિત્ત્વ નહોતું. તે દિવસે સ્થપાઈ તે કોર્ટને પણ ‘ફેડરલ કોર્ટ’ નામ આપવામાં આવેલું. એટલે ૧૯૩૭ સુધી બોમ્બે, મદ્રાસ, અને કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવી હોય તો તે લંડનમાં બેઠેલી ‘પ્રિવી કાઉન્સિલ’ને કરવી પડતી. ૧૯૫૦માં (૨૮ જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ત્યાં સુધી હિન્દુસ્તાનમાં ચાલેલા ખટલાઓ સામે છેવટની અપીલ આ પ્રિવી કાઉન્સિલને કરવી પડતી. એ અરજી પહેલાં લાગતાવળગતા રાજ્યના ગવર્નરને મોકલવાની, પછી પોતાની ભલામણ સાથે ગવર્નર એ અરજી દિલ્હીમાં વાઈસરોયને મોકલે. વાઈસરોય પોતાની ભલામણ સાથે અરજી મોકલે લંડન. આ પ્રિવી કાઉન્સિલની સ્થાપના થયેલી ૧૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે. જે વખતે એમ કહેવાતું કે બ્રિટિશ સામ્રાજ્ય પર સૂર્ય ક્યારે ય આથમતો નથી એ વખતે દરેક બ્રિટિશ સંસ્થાન માટે પ્રિવી કાઉન્સિલ એ છેવટની અદાલત હતી. હકીકતમાં આ કાઉન્સીલની એક કમિટી – જ્યુડિશીયલ કમિટી – પાસે બધી અપીલો જતી. એ વખતે આ કાઉન્સિલનો ચુકાદો એ છેવટનો ચુકાદો. તેની સામે અપીલ થઈ શકતી નહિ. 

ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સિલનું મકાન

પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહને મદદ કરવા ઇન્દોરના રાજવીએ સારામાં સારા વકીલો રોક્યા. તેમણે રાત-દિવસ મહેનત કરીને બોમ્બે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ તૈયાર કરી. બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર સર લેસ્લી વિલ્સનને હાથોહાથ પહોંચાડી. તેમણે મતું મારીને મોકલી દીધી દિલ્હી, ગવર્નર જનરલ અને વાઈસરોય સર રફસ આઈઝેકને. અને ત્યાંથી અરજી પહોંચી ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સીલની જ્યુડીશીઅરી કમિટિ પાસે. ત્યાં આખા કેસ પર, બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પર, વિગતવાર ચર્ચા-વિચારણા થઈ. અને કાઉન્સીલે જવાબ મોકલ્યો ગવર્નર જનરલ અને વાઈસરોયને, તેમણે એ મોકલ્યો મુંબઈના ગવર્નરને, તેમણે મોકલ્યો બોમ્બે હાઈકોર્ટને અને ઇન્દોરના પબ્લિક પ્રોસીક્યૂટરને.

સર લેસ્લી વિલ્સન

કાનૂની જવાબ હતો, એટલે લાંબો તો હોય જ. થોડો અટપટો પણ હોય. આપણે એ જવાબની વિગતોમાં નહિ જઈએ. પણ લંડનવાળાઓએ કહ્યું કે અમે તમારી અરજી ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે, વિગતવાર ચર્ચા કરી છે. અને તેને પરિણામે અમે સર્વાનુમતે ઠરાવીએ છીએ કે બોમ્બે હાઈ કોર્ટના માનવંતા જસ્ટીસ ક્રમ્પે જે ચુકાદો આપ્યો છે તે બધી રીતે યોગ્ય, કાયદા અને ન્યાય પ્રમાણે પૂરેપૂરો સ્વીકાર્ય છે, અને તેથી તેમાં કોઈ ફેરબદલ કરવાની ભલામણ અમે કરી શકતા નથી. લાગતાવળગતા સરકારી અધિકારીઓએ આ ચુકાદાની અમલબજાવણી માટે જરૂરી પગલાં વહેલી તકે લેવાં. ઇન્દોરના રાજવીની તો ગઈ ભેંસ પાણીમાં!

બોમ્બે હાઈ કોર્ટના જસ્ટીસ ક્રમ્પે પોતાના ચુકાદામાં કહ્યું હતું : “શફી અહમદ પોંડે, શફી અહમદ નબી અહમદ, અને શ્યામરાવ રાવજી દિઘેની મરનાર અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુનામાં સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનું શંકા વગર પુરવાર થયું હોવાથી આ ત્રણ ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે.” These three shall be hanged till death. 

પણ આ કેસ ચાલતો હતો તે દરમ્યાન જેલમાં તેમાંના એક ગુનેગાર શફી અહમદ પોંડેમાં ગાંડપણની અસર દેખાવા લાગી. એ વખતે આજના જેવી વૈદકીય સગવડો તો નહોતી. પણ જેલના અને બહારના ડોક્ટરોએ તેને તપાસીને કહ્યું કે પોંડે પાગલપણાનાં ઘણાં લક્ષણો બતાવી રહ્યો છે. યરવડાની મેન્ટલ હોસ્પિટલના વડા ડોકટરે પણ અભિપ્રાય આપ્યો કે આ કેદીમાં માનસિક બીમારીનાં લક્ષણ જોવા મળે છે. કાયદા પ્રમાણે ગાંડા માણસને ફાંસી આપી શકાય નહિ. એટલે પોંડેની સજા એ મૌત મુલતવી રાખવામાં આવી.

૧૯૨૬માં આર્થર રોડ જેલ બંધાઈ રહી તે પહેલાં ડોંગરીની જેલ મુંબઈની મુખ્ય જેલ હતી. છેક ૧૮૦૪માં એ બંધાઈ હતી. દેશની આઝાદીની લડત દરમ્યાન લોકમાન્ય ટિળક, ગોપાલ ગણેશ આગરકર અને વીર સાવરકર જેવા નેતાઓને આ જેલમાં રાખવામાં આવ્યા હતા. ૧૯ નવેમ્બર ૧૯૨૫. સવાર પડે તે પહેલાં મુંબઈની ડોંગરીની જેલની બહાર લોકોના ટોળાં એકઠા થવા લાગ્યાં. પ્રેસના રિપોર્ટરો જેલમાંથી આવતા-જતા પર બરાબર નજર રાખીને ઊભા હતા. સરકારે તો પૂરેપૂરી ગુપ્તતા રાખી હતી, પણ આગલી સાંજે જ મુંબઈમાં વાત વહેતી થઈ ગઈ હતી કે કાલે વહેલી સવારે બાવલા મર્ડર કેસના બે ગુનેગારોને ફાંસી અપાવાની છે. ખુદ બંને ગુનેગારોને પણ તે દિવસે સવારે ૬.૫૦ વાગ્યે ખબર અપાઈ હતી કે આજે તમને અપાયેલી ફાંસીની સજાનો અમલ કરવામાં આવશે. બંનેએ શાંતિપૂર્વક એ સમાચાર સાંભળ્યા હતા. યરવડા જેલથી આવેલા જલ્લાદે બંને ગુનેગારોને ફાંસી આપી હતી. પછીથી બંનેના મૃતદેહ તેમનાં સગાંઓને સોપી દેવામાં આવ્યા હતા.

ઇન્દોર રાજવાડા – ૨૦મી સદીની શરૂઆતમાં

પ્રિય વાચક! આપને થતું હશે કે ચાલો, આ બાવલા ખૂન કેસનું પ્રકરણ છેવટે પૂરું થયું. ના, ભઈ ના. એ વખતનાં છાપાંની ભાષામાં કહીએ તો બાવલા ખૂન કેસનો ચરુ હજી ઊકળતો હતો! એક તો ચુકાદો આપ્યા પછી નામદાર જજસાહેબે જે કહ્યું હતું એના પડઘા શમતા નહોતા. બીજી બાજુ કેટલાંક છાપાં, ફરી એ જમાનાનો પ્રયોગ કરીને કહીએ તો ‘આદુ ખાઈને’ ઇન્દોરના રાજવીની પાછળ પડ્યાં હતાં. તેની પાછળનું એક કારણ એ કે ઇન્દોરના રાજવીઓ બ્રાહ્મણ કે ક્ષત્રિય વંશના નહિ, પણ ધનગર જાતિના હતા. આ ધનગર એટલે આપણે જેને ‘ભરવાડ’ કહીએ છીએ તેવી એક જાતિ, જેની સારી એવી વસતી આજના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં છે. ઇન્દોરના પહેલા રાજવી મલ્હાર રાવ હોળકર ધનગર જાતિના હતા. એટલે બીજી બાજુ બિન-હિંદુ છાપાં ઇન્દોર રાજવીનું ઉપરાણું તાણી રહ્યાં હતાં. છાપાંઓની આ લડાઈ તો જાહેરમાં ચાલતી હતી. પણ વધુ અસરકારક બનાવો તો પડદા પાછળ બની રહ્યા હતા. બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પછી મુંબઈના પોલીસ કમિશનર પેટ્રિક કેલીએ મુંબઈના નામદાર ગવર્નરની અંગત મુલાકાત લીધી અને કહ્યું કે હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું, પણ બોમ્બે હાઈ કોર્ટના નામદાર જજ સાહેબે પણ ચુકાદો આપતી વખતે ઇન્દોરના મહારાજા તુકોજી રાવ હોલકર, ત્રીજા તરફ દેખીતી રીતે જ આંગળી ચિંધી છે. માટે સરકારે હવે તેમની સામે કાનૂની પગલાં લેવાં જોઈએ. અને આવાં પગલાં લેવાય તે માત્ર કાયદા અને ન્યાયની દૃષ્ટિએ જ જરૂરી નથી. બ્રિટિશ સલ્તનતની પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે પણ જરૂરી છે. અને પછી છેલ્લે ‘રાણાનો ઘા’ કરતાં કહ્યું : ‘ઇન્દોર નરેશ સામે પગલાં લેવામાં નહિ આવે તો મુંબઈના પોલીસ કમિશનરના હોદ્દા પરથી મારે રાજીનામું આપી દેવું પડશે.’

પ્રિય વાચક! જરા વિચાર કરજો : કઈ માટીનો ઘડાયેલો હશે આ પોલીસ કમિશનર? તેની પાસે એક કેસ આવ્યો તેની સામે પૂરે તરીને પણ સારામાં સારી રીતે તપાસ કરી. જે આરોપીઓને મુંબઈ પોલીસે પકડ્યા હતા તેમને બોમ્બે હાઈ કોર્ટે વધતી-ઓછી સજા પણ કરી. પોલીસ કમિશનરના હોદ્દાની રૂએ તો તેમનું કામ પૂરું થયું. પણ ના! આ કાવતરું ઘડનાર ખરા આરોપીને સજા ન થાય તો નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવવી? આજનો કોઈ પોલીસ કમિશનર આવું કરી તો શું, વિચારી પણ શકે?

અને નામદાર ગવર્નરે વાત પહોંચાડી દિલ્હી દરબાર સુધી. દિલ્હીમાં નામદાર ગવર્નર જનરલ અને વાઈસરોયે શું કર્યું તેની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 મે 2025

Loading

મૂલ્ય સમયનું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|31 May 2025

રચના અને નેહા સમવયસ્ક હતી અને સાથે અભ્યાસ કરતી હતી. નેહાનો સ્વભાવ સરળ અને જતુ કરવાની ભાવના વાળો હતો. જ્યારે રચનાનો સ્વભાવ અકડું અને અભિમાન વાળો હતો. રચનાના પપ્પા શહેરના નામાંકિત વકીલોમાંના એક હતા. ધિકતી પ્રેક્ટિસ અને અઢળક આવક હતી. સંતાનમાં રચના એક જ હતી આથી વધુ પડતા લાડપ્યારથી ગર્વિષ્ઠ અને અમીરીમાં રાચતી થઈ ગઈ હતી. તે માનતી કે પૈસા જ સર્વસ્વ છે. ઘણી વખત તેના પપ્પા તેને કહેતા, “બેટા, પૈસા નહીં પણ સમય બળવાન છે. સમયને માન આપતા શીખ. કોઈનો સમય ક્યારે ય એક સરખો હોતો નથી. આજે આપણો સમય બળવાન છે તો કાલે તે નબળો પણ પડી શકે છે.” પણ, રચના કહેતી, “ના પપ્પા, મારો સમય હંમેશાં એવો જ રહેવાનો છે. મારે કોઈની જરૂર નહીં પડે, બીજાને મારી જરૂર પડશે.”

નેહાના પપ્પા એક પેઢીમાં કામ કરતા હતા. સામાન્ય આવક હતી. કુટુંબમાં ત્રણ બાળકો અને પત્ની સાથે પાંચ જણાનો નિર્વાહ કરવાનો હતો એટલે આર્થિક સંકડામણ રહેતી હતી. નેહા સમજુ હતી અને અભ્યાસમાં સારી હોવાથી, સરળ સ્વભાવની હોવાથી જરૂરી મદદ મળી રહેતી. રચનાને નેહા સાથે મિત્રતા હતી, પણ તે પોતાની મોટાઈ બતાવવા માટે હતી. નેહાની આગળ પોતે પૈસાદાર હોવાનું પ્રદર્શન કર્યા કરતી. નેહાને તે ગરીબ છે એવો અહેસાસ કરાવતી રહેતી. રચના, બીજી સખીઓ વચ્ચે પણ નેહાને ઉતારી પાડતી, અપમાનિત કરતી. નેહા બધું જ સમજતી હતી, પણ તેને પોતાની આર્થિક પરિસ્થિતિ અને સમય અને સંજોગોનો ખ્યાલ હતો. ઘણી વખત બીજી સખીઓ પણ નેહા સાથેના આવા વ્યવહાર માટે રચનાને ટોકતી, તો રચના કહેતી તેને આજે પણ મારી જરૂર પડે છે અને પછી પણ પડશે. મને એ શું ખપ લાગવાની છે? મારે તેની જરૂર ક્યારે ય નહીં પડે. નેહાને પણ રચનાની આવી વાતોની ખબર હતી, પણ એ પોતાના સ્વભાવને લઈને ગમ ખાઈ જતી, કોઈ પ્રતિભાવ આપતી નહોતી.

સમયનું ચક્ર ફરતું રહ્યું. નેહાનો દીકરો અતુલ એક ખ્યાતનામ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર થઈ ગયો હતો. તેની મુલાકાત માટે પંદર પંદર દિવસ રાહ જોવી પડતી. અદ્યતન હોસ્પિટલ હતી. તેનો એક નિયમ હતો, ગરીબ હોય કે પૈસાદાર દરેકને મુલાકાત નિયમ પ્રમાણે જ આપવામાં આવતી અને તે જ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હતી. લાગવગને કોઈ સ્થાન નહોતું. તે માનતો કે ગરીબ હોય કે પૈસાદાર રોગ માટે બધા સરખા હોય છે અને તેની કુશળતા જોતા બધાં જ તેના આ વિચારને/નિયમને માન આપતા.

વિધિને કરવું ને રચનાના દીકરાને એક્સસિડેન્ટ થયો. માથાના ભાગે સખત ઇજાઓ થઈ અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ હતું, ડૉક્ટરોનો મત હતો કે આ ઓપરેશન ડૉક્ટર અતુલ સિવાય કોઈ નહીં કરી શકે. ડૉક્ટર અતુલની આવા કોમ્પ્લિકેટેડ ઓપરેશનમાં માસ્ટરી હતી અને ઘણા અસંભવ હોય તેવા કેસમાં સફળતા મેળવી હતી. પણ, તેની મુલાકાત તો પંદર દિવસ પછી મળે અને એટલો સમય દર્દી પાસે નહોતો, તો શું કરવું?

રચનાએ કહ્યું, ડોકટર અતુલને ફોન કરીને તપાસ તો કરીએ, એ, શું કહે છે. ફોન કરતા જવાબ મળ્યો “સાહેબની મુલાકાત પંદર દિવસ પહેલાં શક્ય નથી, બહુ લાબું વેઇટિંગ લિસ્ટ છે.” 

“સાહેબને કહો કે મારા દર્દી પાસે એટલો સમય નથી. તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે જે ફક્ત ડોકટર અતુલ સાહેબ જ કરી શકો એમ છે. સાહેબને કહીને કંઇક રસ્તો કાઢો.”

 “ના, એ શક્ય નથી, સાહેબનો નિયમ છે એટલે અમે કંઈ મદદ નહીં કરી શકીએ.” 

“તો અમે સાહેબને રૂબરૂ મળી શકીએ?” 

“જેવી તમારી ઈચ્છા પણ સાહેબે આજ સુધી પોતાના નિયમમાં બાંધછોડ કરી નથી.”

રચનાને તપાસ કરતાં ખબર પડી કે સ્કૂલ, કોલેજના દિવસોમાં સદા ય જેને ઉતારી પાડતી, બે-ઈજ્જત કરતી અને ગરીબાઈની ઠેકડી ઉડાડતી એ નેહાનો પુત્ર જ ડૉક્ટર અતુલ છે. તેને બીક લાગી. હું નેહાને મળવા જાઉં અને તે તેના દીકરાને ઓપરેશન કરવાની ના પાડી, મેં કરેલી બે-ઈજ્જતીનો બદલો લે તો. પણ, તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત છે, જો ઓપરેશન સમયસર નહીં કરવામાં આવે તો દીકરાને બચાવો મુશ્કેલ છે. જે થાય તે હું નેહાને મળવા જઈશ, પગમાં પડી મારા કૃત્યોની માફી માગી લઈશ. નેહા મોટા દિલની છે મને જરૂર મદદ કરશે.

આલીશાન બંગલાની ડોરબેલ વાગી, માણસે બારણું ખોલ્યું, “કોનું કામ છે? ડૉક્ટર સાહેબ ઘરે કોઈને મળતા નથી.”

 “મારે નેહા મેડમનું કામ છે.”

“બેસો, હું મેડમને વાત કરું છું.” રચના મોંઘા ઇટાલિયન સોફા ઉપર બેઠી. માણસે મોંઘી ટ્રેમાં પાણી આપ્યું.

“અરે! રચના તું? આપણી ઘણા લાંબા સમય પછી મુલાકાત થઈ.”

“તું મને ઓળખી ગઈ?” 

“તને તો હું કેમ ભૂલું. એ દિવસોને કેમ ભૂલું કે એક પણ મોકો મને બે-ઇજ્જત કરવાનો તું છોડતી નહોતી.” 

“એમ બોલમાં મને આજે મારા એ ભૂતકાળનાં કૃત્યનો અફસોસ અને પસ્તાવો થાય છે.”

“રચના એ દિવસોમાં તારાં વર્તનને કારણે મેં ખૂબ માનસિક ત્રાસ ભોગવ્યો છે. છતાં આજે હું જે કંઈ છું, એ તારાં વર્તનના પરિણામે છું. તારી એ અવહેલનાએ જીવનમાં કંઈક કરી બતાડવાનું જોશ અને જોમ આપ્યું. હું તો કંઈ ન કરી શકી, પણ મારા દીકરાને એક ઉચ્ચ અને ખ્યાતનામ વ્યક્તિ બનાવી શકી. આજે મારા અતુલનું ડૉક્ટર જગતમાં નામ અને સ્થાન છે.”

“હા, પણ તું શું કામ આવી છો? આપણે ખોટી વાતે ચડી ગયાં.” રચના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

“તું રડમાં. શું વાત છે એ કહે.” રચનાએ બધી વાત કરી. “મારા કૃત્યની સજા મારા દીકરાએ ન ભોગવવી પડે. મને માફ કરી દે.”

“અરે! રચના એ સ્કૂલ, કોલેજના દિવસો હતા. ભૂલી જા એ બધું. મેં તને ત્યારે પણ જવાબદાર નહોતી ગણી. કારણ કે એમાં તારો કોઈ વાંક નહોતો મારી પરિસ્થિતિ જ એવી હતી.” 

“નેહા તું કેટલી ઉદાર દિલની છો. કાશ! હું, પણ તે સમયે પૈસાના અભિમાનમાં ન આવી હોત તો. મારા પપ્પાએ પણ સમજાવી હતી. બેટા, સમયને માન આપતા શીખ. સૌનો સમય એક સરખો નથી રહેતો. આજે મને સમજાય છે. મારા પપ્પા કેટલા સાચા હતા.”

નેહાએ અતુલને ફોન કર્યો, બેટા, તારું કામ છે, તું જરા ઘરે આવી જા. નેહાએ અતુલને રચનાની વાત કરી. “મમ્મી, તું તો મારા નિયમને જાણે છે.”

“હા, બેટા, તારા એ નિયમ ઉપર મને ગર્વ છે. પણ, બેટા, તારી આ માતાનું રચના માસી ઉપરનું ઋણ ચૂકવવા, મારી ખાતર નિયમમાં તારે બાંધછોડ કરવી પડશે.”

“ભલે મમ્મી, જેવી તમારી આજ્ઞા.”

રચનાએ કહ્યું, “બેટા, અતુલ, તારી મમ્મી, નેહા બહુ જ ઉમદા વ્યક્તિ છે. અને તેનો દીકરો પણ ઉમદા જ હોય. આજે મને સમયનું મૂલ્ય સમજાયું, સમયને માન આપશો તો સમય તમને માન આપશે.”

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...130131132133...140150160...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved