Opinion Magazine
Number of visits: 9458710
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—156

દીપક મહેતા|Opinion - Opinion|30 July 2022

પારસી તવારીખના અમૂલ્ય ગ્રંથના ભેખધારી લેખક બહમનજી પટેલ

પારસીઓ અંગેનો જાણે સર્વજ્ઞાનકોષ

“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપયોગી થઈ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દિલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકયો છું, એવો હું સંતોષ લઈશ.” 

૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરામજી પટેલ. 

બહમનજી પટેલ

બીજી જમાતના લોકોની વાત જવા દો, આજે તો બહુ ઓછા પારસીઓ પણ બહમનજીનું નામ જાણતા હશે. જો એક વાક્યમાં એવણની ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર તવારીખી ગ્રંથના બનાવનાર. પારસી પ્રકાશનું પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. તેમાં આરંભથી ૧૮૬૦ સુધીની તવારીખ સમાવી છે. પછી તો એવા જ બીજા બે ભાગ બહાર પડ્યા. એ જમાનાના ચાલ પ્રમાણે પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.

 

રુસ્તમ બરજોરજી પેમાસ્તર

ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે.

 

બહમનજી પટેલ જ્યાં ભણ્યા તે એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલ

ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો, તેમાં વસતા પારસીઓ, તેમનાં ધર્મ, ભાષા, સાહિત્ય, છાપાં અને સામયિકો, નાટકો અને રંગભૂમિ, છાપખાનાં, પુસ્તકાલયો, વ્યવસાયો, મળેલાં માન-અકરામ આ બધાં સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ – આ અને આવા બીજા અનેક વિષયો અંગે ખરેખરી લગન અને જહેમતથી સંશોધન, અભ્યાસ, વિવેચન, સંદર્ભ, વગેરે કરનાર અભ્યાસી માટે આજે પણ પારસી પ્રકાશનાં ત્રણ દફતર સોનાની ખાણ જેવાં છે. મુંબઈમાં આવી વસનારા પહેલવહેલા પારસી પટેલ ખાનદાનના વંશજ હતા બહમનજી. પણ ત્યાં સુધીમાં એ ખાનદાનની જાહોજલાલીની સાંજ ઢળી ચૂકી હતી. બહમનજીનો જન્મ ૧૮૪૯ના ડિસેમ્બરની ૨૮મી તારીખે, મુંબઈમાં. ભણ્યા એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અને મુલ્લાફિરોઝની મદરેસામાં. ૧૮૭૧માં એક ઇનામી નિબંધ સ્પર્ધામાં પહેલું ઇનામ મેળવ્યું. એટલું જ નહિ, તેમનું એ લખાણ પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. ૧૮૭૨માં પ્રગટ થયું ‘ઈરાનની મુખ્તેસર હકીકત’ છે તો ઈરાનના ઇતિહાસનું પુસ્તક, પણ એક બાપ પોતાની બેટીને (નોંધ્યું? ‘બેટા’ને નહિ, ‘બેટી’ને) પત્રો લખતો હોય તે રીતે આખું પુસ્તક લખાયું છે. 

પણ ‘પારસી પ્રકાશ’માં એવું તે શું છે? પહેલા દફતરના ટાઈટલ પેજ પર છાપ્યું છે : “પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં તેઓના સંબંધમાં બનેલા અગત્યના બનાવોની વર્ષોને અનુક્રમે નોંધ.” ‘અત્યાર સુધી’ એટલે ૧૮૬૦ સુધી. ત્રણે દફ્તરોમાંની બધી જ માહિતી કાલાનુક્રમે (ક્રોનોલોજિકલ ઓર્ડરમાં) રજૂ થઈ છે. મોટા ભાગની એન્ટ્રીઓની બાબતમાં મૂળ એન્ટ્રી એક-બે લીટીની હોય, પણ તેની સાથેની પાદ ટીપ લાંબી લચક અને વધુ ઉપયોગી હોય તેવું બન્યું છે. ઘણી વાર તો પાદ ટીપ એક-બે પાનાં પણ રોકે છે. પાદ ટીપ વગરની તો આ પુસ્તકમાં ભાગ્યે જ કોઈ એન્ટ્રી જોવા મળે છે. એટલે પુસ્તકનો ઘણો મોટો ભાગ પાદ ટીપો રોકે છે. આ પાદ ટીપો બીજા એક કારણસર પણ ખૂબ મહત્ત્વની બની રહે છે. લેખકે જે વર્તમાનપત્રો, સામયિકો, દસ્તાવેજો, વગેરેને અહીં ટાંક્યાં છે તેમાંનાં ઘણાં આજે નાશ પામ્યાં છે, અથવા અત્યંત દુર્લભ બની ગયાં છે. 

પણ પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફતરમાં માહિતીનો જે ભંડાર ભર્યો છે તેમાંથી જોઈતી માહિતી શોધવી કઈ રીતે? જે વખતે ‘રિડર ફ્રેન્ડલી’ જેવો શબ્દપ્રયોગ પ્રચારમાં આવ્યો નહોતો, કમ્પ્યુટરની તો કોઈએ કલ્પના કરી નહોતી ત્યારે વાચક, અભ્યાસી, સંશોધકને અત્યંત ઉપયોગી થાય એવી સૂચિ ત્રણે દફતરને અંતે મૂકી છે. દરેક સૂચિને પહેલાં બે ભાગમાં વહેંચી છે. એક, વ્યક્તિ નામ સૂચિ, જેને ‘આ પુસ્તકમાં આવેલા પારસી નામોનું સાંકળિયું’ તરીકે ઓળખાવી છે. સંદર્ભ ગમે તેટલો ગૌણ હોય, નામ તો સૂચિમાં હોય જ. બીજું સાંકળિયું છે ‘આ પુસ્તકમાં આવેલી બાબદોનું’ એટલે કે આજની પરિભાષામાં વિષય સૂચિ. વળી તેમાં વિષયોનું ગ્રૂપિંગ કર્યું છે, જેમ કે, પુસ્તકો પારસીઓનાં, ચોપાનિયાં પારસીઓનાં, વ્યવસાયો પારસીઓના, વગેરે. આથી વાચક શોધતો હોય તે માહિતી ઉપરાંત તેની આસપાસની બીજી માહિતી પણ તેને સાથોસાથ મળી રહે તેમ છે. પહેલા દફતરમાં વ્યક્તિ નામોની સૂચિ ૮૮ પાનાં રોકે છે તો વિષય સૂચિ ૪૩ પાનાં. બીજા દફતરમાં વ્યક્તિ નામ સૂચિ ૯૯ પાનાંની છે, તો વિષય સૂચિ ૭૨ પાનાંની. ત્રીજા દફતરમાં બંને સૂચિ કુલ ૨૨૦ પાનાં રોકે છે. આ બધી જ સૂચિઓ બે કોલમમાં છપાઈ છે.

પારસી પ્રકાશ કરતાં ઓછું જાણીતું, પણ તેટલું જ મહત્ત્વનું અને મહેનતભર્યું તેમનું બીજું પુસ્તક છે ‘પારસી મરત્યુકો.’ મુંબઈમાં અંગ્રેજી અને ગુજરાતી છાપાં શરૂ થયાં ત્યારથી માંડીને ૧૮૬૦ સુધીમાં તેમાં પારસીઓ માટેની જે જે મૃત્યુનોંધો પ્રગટ થઈ હતી તેનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. આવી ૫૫૯ નોંધો અહીં આપી છે. તેમાંની ૪૧૬ ગુજરાતી અને બાકીની અંગ્રેજી છાપાંઓમાંથી લીધેલી છે. મુંબઈમાં પહેલી વાર મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ પારસી વિસ્તારોમાં ઘરે ઘરે ફર્યા હતા અને મરકી અટકાવવાની દવા લેવા માટે લોકોને સમજાવ્યા હતા. તેમની આ સેવાની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમને ‘ખાન બહાદુર’નો ઈલ્કાબ આપ્યો હતો, અને ૧૮૮૪માં તેમને ‘જસ્ટિસ ઓફ પીસ’નો માનભર્યો હોદ્દો આપ્યો હતો. ૧૯૦૦-૧૯૦૧માં તેઓ મુંબઈની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા હતા. 

‘બ.બે.પ.’ની સહીથી ‘જામે જમશેદ’માં પ્રગટ થતા તેમના લેખો પણ સારા એવા લોકપ્રિય થયા હતા. ‘સાંજ વર્તમાન’ તેમને અંજલિ આપતાં લખે છે કે “જો કે મરહુમ મી. બમનજી પૈસે તવંગર ન હતા, તોબી દિલે તવંગર હતા.” ‘રાસ્ત ગોફતાર અને સત્ય પ્રકાશ’ તેમને અંજલિ આપતાં લખે છે: “જાતે સાદા, સ્વભાવે મિલનસાર, ખવાશે ઉમદા હોવાથી મી. બહમનજી પટેલ ઘણું સાંભળતા, ઘણું કરી બતાવતા, પણ થોડું જ બોલતા હતા.” કુટુંબોના, જ્ઞાતિઓના, ગામ કે શહેરના ઇતિહાસ કે તવારીખનાં પુસ્તકો આપણે ત્યાં છે. પણ એક આખી કોમની આટલી વિગતવાર, સાધાર, સળંગ, લાંબા સમય ગાળાને આવરી લેતી, વિસ્તૃત એવી બીજી કોઈ તવારીખ આપણી ભાષામાં તો લખાઈ નથી જ, પણ દેશની પણ બહુ ઓછી ભાષાઓમાં લખાઈ હશે. અને આવું ગંજાવર કામ કરવાનો ભેખ લઈને એકલે હાથે તે કામ કરનાર હતા આપણા મુંબઈના બહમનજી બેહરામજી પટેલ. ફકત મોતી શોધવા માટે જ મરજીવા થવું પડતું નથી. આવાં કામ પણ મરજીવા થયા વગર થઈ શકતાં નથી.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 30 જુલાઈ 2022

Loading

ઉર્વીશ કોઠારીનું નવું પુસ્તક : અવસર નામે कौतुक, કિતાબ નામે કૌતુકાલય અર્થાત મ્યૂઝિયમ …

સંજય ભાવે|Opinion - Opinion|30 July 2022

મરાઠીમાં कौतुक એક મજાનો શબ્દ છે. આ શબ્દ  અસલ મરાઠીમાં જે ભાવ સૂચવે છે તેના માટે બિલકુલ બંધબેસતો કોઈ એક ગુજરાતી શબ્દ મને તો વર્ષોથી જડી રહ્યો નથી.

कौतुक એટલે હેતથી કરેલાં વખાણ, હેતથી આપેલી શાબાશી, હેતભર્યાં વખાણની મનની અવ્યક્ત લાગણી. मेघा छान गायली म्हणून सासुबाईंनी तिचं खूप कौतुक केलं અથવા संगीता कराटे चॅम्पियन आहे याचं तिच्या घरातील सर्वांना खूप कौतुक आहे અથવા स्टेजवर बक्षिस घ्यायला उभ्या असलेल्या आपल्या मुलीकडे तो कौतुकानी पहात होता આવી રીતે આ શબ્દ વપરાય છે.

મારા જન્મ સાથે મા થકી મને મળેલી ભાષાનો આ શબ્દ મને ઉર્વીશભાઈના પુસ્તક ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ના 16 જુલાઈએ યોજાયેલા ઉદ્દઘાટન સમારંભ માટે બરાબર બંધબેસતો લાગે છે.

એ અવસરની મહેક મારા મનમાં આજે  ચૌદ દિવસ પછી પણ છે. વરસાદ અને ઢળતા સૂરજની અવરજવરભરી સુંદર સાંજે કાર્યક્રમમાં આવેલાં સહુના મનમાં ઉર્વીશભાઈ માટે कौतुक કહેતાં હેતભર્યા વખાણની લાગણી હતી. દરેકના ચહેરા પર જાણે ઓછવનો આનંદ હતો.

આમ તો ચાર-પાંચ દિવસથી જે મિત્રો સાથે ફોન પર વાત થાય, એને છેડે આ આવે : ‘…તો શનિવારે ઉર્વીશના કાર્યક્રમમાં મળીએ.’ આ વાત લગભગ ‘ઉર્વીશ-સોનલના લગનમાં મળીએ’ એવા તાલે કહેવાતી હતી.

મિત્રો પણ દેખીતી રીતે નોખા-નોખા હોય. મહેમદાવાદ કૉલેજના અધ્યાપક જિતેન હોય, સિનિયર પત્રકાર નયીમ, બૅન્કમાં કામ કરતો અઝીઝ, ભાવનગરની એન.જી.ઓ.માં કામ કરતો પાર્થ, બી.બી.સી.માં દિલ્હી ખાતે  કામ કરતો સુરેશ, ઉમિયા કૉલેજના અધ્યાપક અજય રાવલ, સ્કૉલરશીપ પર પરદેશ જનારો શારિક … આ બધા અને આવા બીજા થોડાક સાથેની વીતેલાં અઠવાડિયામાં થયેલી વાત ‘ઉર્વીશને ત્યાં’થી પૂરી થતી.                     

વડોદરા, ભાવનગર, માણસા, મુંબઈ અને કોને ખબર બીજે ક્યાં ક્યાંથી મહેમાન આવ્યાં હતાં. ‘ઉર્વીશભાઈ અનેક જુદા જુદા પ્રકારના માણસોને જોડનારી કડી છે’ – એવી મારા મનની વાત કાર્યક્રમ દરમિયાન ધૈવત ત્રિવેદીએ કેવી સરસ કરી!

જો કે ઘણાં બધા લોકો આવવાના છે, વરસાદની આગાહી છે, જમવાનું પણ છે – આવી બધી  હકીકતો ધ્યાનમાં આવતી ગઈ તેમ મને એમ થવા લાગ્યું કે ‘આમણે કેટલાંકને બોલાવ્યા છે ? જેની સાથે વાત કરો તે એ કાર્યક્રમની જ વાત કરે છે ?’ – મને મારા સ્વભાવ મુજબ નાહકની ચિંતા પણ  થતી  હતી. પણ રાહત તરીકે  દસ ‘સાર્થક જલસા’ સહિત એવો પણ બહોળો સ્વાનુભવ હતો કે ઉર્વીશ અને ‘સાર્થકવાળા’ ઇવેન્ટ મૅનેજમેન્ટના એક્કા છે. આપણે જેવો કાર્યક્રમ બે-ત્રણ વર્ષે માંડ એક વાર માથે ભાર રાખીને કરી શકીએ તે કાર્યક્રમ કરતાં વધુ વહીવટવાળા બે-ત્રણ પ્રસંગ આ ‘સાર્થકવાળા’ દર વર્ષે હસતાં-રમતાં પાર પાડે છે.

‘સફર’ પુસ્તકના સમારંભમાં ઉર્વીશભાઈના લેખનના દાયકાની મજાની ઝલક હતી. આખા ય કાર્યક્રમમાં ભરપૂર wit – નર્મમર્મ છલકાતો હતો, કૃતજ્ઞતા હતી, દિવંગતોનું ભાવપૂર્ણ સ્મરણ હતું. દીપકભાઈ, હેતલબહેન, પ્રશાંતભાઈ, પ્રણવભાઈ, પૂર્વીબહેન – આ ઉર્વીશભાઈની પેઢીના તેમના ભાઈબંધો. તેમની વાતોમાં દોસ્તારી અને દિલદારી હતી, નેકદિલી અને ખેલદીલી હતી. સંભારણાના મુલકની ઝલક હતી. ઉર્વીશ માટેનું कौतुक ઊભરાતું હતું. પછીની પેઢીના ધૈવતભાઈ અને હર્ષલભાઈમાં મૈત્રીભાવ સહિતનો આદર હતો.

ઉર્વીશભાઈએ પોતાના આદરસ્થાનો, તેમના ‘ઘરના ઠાકોરજી’ (household deities) એવી પાંચ વ્યક્તિઓને મંચ પર બેસાડી હતી, તેમને હાથે પુસ્તકનું ઉદ્દઘાટન કરાવ્યું, પણ તેમની પાસે વક્તવ્યો ન અપાવ્યાં. તેની પાછળના વિવેકની વાત પોતાના બયાનમાં કરતાં ઉર્વીશભાઈએ એમ કહ્યું કે એ બધાં એને બાળપણથી કે ઘડતરનાં વર્ષોથી જોતાં આવ્યાં છે. એટલે એ એનાં વખાણ (મારા શબ્દોમાં कौतुक) જ કરે, જેનું એને કાર્યક્રમના સંદર્ભે ઔચિત્ય જણાતું ન હતું.

ઉર્વીશભાઈનું  પોતાનું વક્તવ્ય કંઈક મોટા અવાજવાળું, કંઈક વધારે પડતાં assertive tone વાળું, લગભગ breathless અને હંમેશ મુજબની સાફ સમજવાળું હતું. તેમાં પોતાના વ્યવસાય અંગેની ટિપ્પણી હતી, સાથે આ પુસ્તકના આશયની સ્પષ્ટતા હતી. આ આત્મકથા નથી, તેનો હેતુ આત્મશ્લાઘાનો કે  ખુદને પ્રસ્થાપિત કરવાનો નથી, એ મુદ્દો પહોંચાડવામાં  desperationની છાંટ પણ  હતી.

‘સાચવણ’ શબ્દના ઉપયોગથી ઉર્વીશભાઈએ documentation દસ્તાવેજીકરણની આખી વૃત્તિ-પ્રવૃત્તિને જે લાગણીનો સ્પર્શ આપ્યો તે લાજવાબ હતો. અલબત્ત, આ પુસ્તક જેવું પુસ્તક ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં લખાયું નથી, એ મતલબના વિધાનનો અભ્યાસપૂર્ણ, નક્કર આત્મવિશ્વાસ પણ  નોંધપાત્ર હતો.

પુસ્તકનું નિર્માણ પણ અત્યંત દૃષ્ટિસંપન્ન, માવજતભર્યું, elegant, impeccable છે, જેને પુસ્તકનિર્માણના ક્ષેત્રે એક માપદંડ benchmark ગણવાનું મન થાય તેવું છે.

પુસ્તક તો પહેલાં કહ્યું તેમ કૌતુકાલય museum જ છે. સાચવણમાં, ફરીથી ઉર્વીશભાઈના  શબ્દોમાં કહું તો ‘જોણું’ કેટલું બધું છે ! પાનેપાને, ઠેરઠેર ‘જોણાં’ છે. પહેલાં જોઉં કે પહેલાં વાંચું કે બંને સાથે  કરું એવું થઈ જાય. જો કે મેં આ ત્રણમાંથી કશું જ ખુદને સંતોષ થાય તે રીતે કર્યું નથી. એકથી વધુ  વખત અલપઝલપ પુસ્તક જોયું, browse કર્યું તેમાં રોમાંચ થયો.

પુસ્તકમાંથી સમજાય છે કે આરંભે ખાસ કોઈ માહોલ કે બાહ્ય મોટિવેશન વિના ઉર્વીશભાઈ પત્રકારત્વમાં પ્રવેશ્યા. તેમણે ખૂબ લગન અને મહેનતથી, મેમદાવાદથી બારે ય મહિના અપ-ડાઉન કરીને, ટૂંકા રસ્તા કે aberration વિના, હાસ્યલેખન સહિતની અસાધારણ વૈવિધ્ય અને ગુણવત્તાપૂર્ણ કામગીરી કરી.

પુસ્તકમાં તેનો બડાશ વિનાનો, યથાયોગ્ય સ્વમૂલ્યાંકન સાથેનો આલેખ છે. વાચનરસિકો માટે તેની ચુસ્તીભરી લખાવટ રોચક છે અને આખું પુસ્તક નવોદિતો માટે પ્રેરક છે. ‘ધ્રુવીકરણ અને ધિક્કારના યુગમાં પ્રવેશ’ અને ‘ઝેરનાં વાવેતર પછી મબલખ ફસલની મોસમ’ પ્રકરણોમાં તે પહેલાંના પ્રકરણો કરતાં જુદા ઉર્વીશભાઈ દેખાયા. આ બદલાવ નિર્ણાયક જણાયો છે.

ખૂબ અગત્યનો લાગ્યો તે ‘સફર ચાલુ છે …’ વિભાગ, અને તેમાં ય આ સફરના કેટલાક મહત્ત્વના પડાવ. ઉર્વીશભાઈની કારકિર્દીના એક દાયકાનું પ્રેક્ષણીય સ્મરણરંજન પુસ્તકમાં માણ્યા બાદ, છેલ્લાં સાત પાનાંમાં નોંધાયેલી, પછીના દાયકાની, અને બિલકુલ નજીકના સમયની કર્મઠતા તરફ ધ્યાન દોરવું જરૂરી છે.

‘સફર ચાલુ છે …’  વિભાગના કેટલાંક મથાળાં હેઠળ ઉર્વીશનાંભાઈનાં કેટલાંક બહુ ઊંચા સ્તરના, આપણાં સમયના બહુ ઓછા ગુજરાતી પત્રકારોએ કરેલાં કામ નોંધાયાં છે. તેમાં ઉર્વીશભાઈના વિવિધ કૌશલ્યોની સાથે  જ્ઞાનઝંખના  અને એકંદર નિસબતનો નિર્દેશ મળે  છે. તેમાંથી થોડાંક કામ મેં વત્તાં-ઓછાં  જોયાં છે, તેમની ગુણવત્તા-મહત્તાની મને પ્રતીતિ છે.

એવાં કેટલાંક મથાળાં અને તેની નીચેના લખાણ પર વાચકોએ સહેજ વિગતે ધ્યાન આપવા જેવું છે. તે આ મુજબ છે : વૈશ્વિક માનવવાદ, અંગ્રેજી બ્લૉગ, સાયબર સફર, રિડીફ અંગ્રેજી, ‘સેપ્ટ’માં ‘હિસ્ટરિ ઑફ  ઇન્ડિયન પૉલિટિક્સ થ્રૂ કાર્ટૂન્સ’ વિષય પર સેપ્ટમાં સમરસ્કૂલ, ‘ગાંધીજીના લખાણોમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું નિરૂપણ (વિચારપત્ર ‘નવજીવન’ના સંદર્ભમાં) વિષય પર ગુજરાત વિદ્યાપીઠમાંથી ડૉ. અશ્વિનકુમારના માર્ગદર્શન હેઠળ  પીએચ.ડી., ગાંધીજીના પત્રવ્યવહારમાંથી પાંચસોથી વધુ પત્રોનો રામચન્દ્ર ગુહા માટે અંગ્રેજી અનુવાદ, બી.બી.સી. ગુજરાતીમાં ગાંધીજી વિશેના અણિયાળા સવાલોના આધારભૂત જવાબો આપતી ત્રીસેક ભાગની શ્રેણી, ‘ધ પ્રિન્ટ’ વેબસાઇટમાં ગાંધી, સરદાર, પટેલ, નહેરુ અને ડૉ.આંબેડકર વિશે અભ્યાસલેખો, કોવિડ કાળમાં એપ્રિલ 2020થી ‘ડિજિટલ નિરીક્ષક’ના રોજેરોજ આઠ પાનાંના કુલ  65 અંકનું  ચંદુભાઈ મહેરિયા સાથે સંપાદન, આ જ ગાળામાં ટ્વિટર પર હિંદીમાં સો દિવસ સુધી રોજ હાસ્યવ્યંગ વીડિયો. આ વીડિયોઝમાંથી જૂજ જોયાં હતાં. તેમાં સાંપ્રત માટેના તેના આક્રોશને ધારદાર કટાક્ષના માધ્યમથી વ્યક્ત કરવામાં રહેલી તેની પ્રતિભા અને અગન  બંને માટે ભારોભાર માન ઊપજ્યું હતું, અને અલબત્ત ચિંતા પણ  થઈ હતી.

અત્યારે આ સ્વકથન અને દસ્તાવેજીકરણ એક રોમાંચકારી વાચન પૂરું પાડે છે. પણ ઉર્વીશભાઈ જ્યારે તેનાં પ્રકરણો ફેઇસબુક પર મૂકતા હતા ત્યારે એક-બે વાર અલપઝલપ જોયાં પછી મને એના વિશે ખાસ ઉમળકો થયો ન હતો. એ વખતે આ ઉપક્રમ બાબતે કોઈને cynical લાગે તેવી મારી માન્યતા એ હતી કે ઉર્વીશભાઈના પત્રકારત્વના અનુભવોની વાત વાંચવા કરતાં હું, દાખલા તરીકે, પી. સાઇનાથ, મનોજ મિત્તા કે વિવેક ખેતાનના અનુભવોને વાંચવાનું વધુ પસંદ કરું; જો ઉર્વીશભાઈ આવું અને આટલું લખે તો અરુણ શૌરી કે રવીશ કુમારને કેવું અને કેટલું લખવાનું થાય ?

આ માન્યતમાં ઉર્વીશભાઈ માટેનો અણગમો કે દ્વેષભાવ નથી,એવું કહેવાની ભાગ્યે જ જરૂર છે. પણ તેની પાછળ પત્રકારત્વની મારી પોતાની વિભાવના કામ કરે છે.

મુદ્રિત માધ્યમો એટલે કે મુખ્યત્વે છાપાં અને સામયિકોનાં પત્રકારત્વના, મારી સમજ પ્રમાણે, મેં બે પ્રકાર પાડ્યા છે. પહેલો પ્રકાર તે એકંદર ઑફિસની અંદર રહીને સમાચાર પસંદગીથી લઈને સંપાદન-સંમાર્જન અર્થાત copy-editingમાં થઈને page making અને printing થકી અખબાર વાચકના હાથમાં પહોંચે ત્યાં સુધીનું કરેલું કામ. તેમાં સંપાદકીય નીતિ, સંપાદકીય લેખન, પ્રાસંગિક લેખન, સંશોધિત લેખન, વિષ્લેષણ અનુવાદ જેવી બાબતો આવે છે.

પત્રકારત્વનો મારી દૃષ્ટિએ બીજો પ્રકાર તે રિપોર્ટિંગ તેમ જ ફીલ્ડવર્કથી સમાચાર અને વિશેષ સમાચાર (સ્ટોરી) લખવાનું પત્રકારત્વ. તે પ્રકાર અંગેના મારા ખ્યાલમાં ફીલ્ડ વર્ક સાથેની પડકારભરી હાર્ડ સ્ટોરી, સ્થાપિત વ્યવસ્થાના દૂષણોને ખુલ્લાં પાડવાની મથામણ, નાનો-મોટો impact અને making a differenceની કોશિશ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આવું કંઈ ઑફિસમાં બેસીને કરેલા પત્રકારત્વ થકી થઈ શકે કે કેમ એ અંગે મને શંકા છે. અલબત્ત, ઑફિસ-પત્રકારત્વ એને મોટા પાયે પૂરક બની શકે. અખબારને જીવાતી દુનિયાના એક મહત્ત્વના ઘટક ગણનાર વાચક અને એક નાગરિક તરીકે મારી પોતાની વધારે રુચિ બીજા પ્રકારના પત્રકારત્વમાં છે. 

બીજા પ્રકારના, મને વધુ મહત્ત્વના લાગતા પત્રકારત્વનો મારો ખ્યાલ જે છૂટાછવાયાં, મર્યાદિત વાચનથી બંધાતો રહ્યો છે તેમાંથી કેટલુંક આ મુજબ છે : ઘણાં વર્ષોથી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’, ‘એક્સપ્રેસ ગ્રૂપ’ના જ રામનાથ ગોયન્કા અવૉર્ડસ ફૉર જર્નાલિઝમ માટે દર વર્ષે પસંદ થતી સ્ટોરીઝ, એક ટૂંકાં ગાળાનું અંગ્રેજી ‘ઇન્ડિયા ટુડે’, અરુણ શૌરી (જેમની પાચસો પાનાંની આત્મકથા The Commissioner for Lost Causes હું અત્યારે થોડી થોડી વાંચી રહ્યો છું) અને પી. સાઇનાથનું કામ, ‘તહેલકા’ની કેટલીક સ્ટોરિઝ, કૉલેજનાં વર્ષોમાં વાંચેલું All the President’s Men, રાના અયૂબનું ‘Gujarat Files’ અને નિરંજન ટકલેનું ‘Who Killed Judge Loya ?’ જેવાં પુસ્તકો.

અત્યારે પણ અખબારોમાં મને મારા ખ્યાલ મુજબની આવી પત્રકારિતા ભલે ઓછા પ્રમાણમાં પણ જોવા મળે છે, ત્યારે મને તેના માટે માન થાય છે, કારણ કે ગયાં પંદરેક વર્ષથી investigative, critical પત્રકારિતા માટે વધુ કપરો સમય આવતો રહ્યો છે. મુદ્રિત અખબારો-સામયિકોમાં માત્ર રૂટિન કામ કે ટેબલ વર્ક કરનારને, વિવિધ  પ્રકારના લેખો લખનારને હું  પત્રકાર ગણતો નથી એવું નથી, તેમના માટે મને અણગમો છે એવું પણ નથી. તેમાંથી મેં ઘણું મેળવ્યું જ છે. તેમાંથી જે ઉત્તમ છે તેમને તેમના કામ મુજબ પહેલાં પ્રકારના પત્રકારત્વના અચ્છા સહસંપાદક, પ્રતસંપાદક, નિરીક્ષક, વિશ્લેષક, સંશોધક તરીકે સાદર સ્વીકારું.

પત્રકારત્વ તરફના આ દૃષ્ટિબિંદુ સાથે મારે ઉર્વીશભાઈનું પુસ્તક વાંચવાનું થઈ રહ્યું છે. તે મારી સમજ મુજબના પહેલાં પ્રકારના પત્રકારત્વમાં આવે છે. તેમાં તેની સફરના કૌતુકાલયની મુલાકાત અલબત્ત આનંદદયી જ છે.

સૌજન્ય – ફોટો : ડૉ. અશ્વિનકુમાર, ફોટો કોલાજ : નીતિન કાપૂરે
29 જુલાઈ  2022

********

‘મારી પત્રકારત્વ-લેખનની સફર ‘, સાર્થક પ્રકાશન, અમદાવાદ, ફોન 9825290796,  પાનાં 8+290, રૂ. 990/- પ્રાપ્તિસ્થાન : બુકશેલ્ફ, સી.જી. રોડ, અમદાવાદ

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અંધ હોય તેથી શું?

સુરેશ જાની|Opinion - Opinion|30 July 2022

૧૯૯૨

ઊંઆં …. ઊંઆં …. ઊંઆં ….

દરેક બાળકની જેમ શ્રીકાન્તના જીવનની શરૂઆત પણ આ અવાજથી થઈ. તેની મા પ્રસૂતિની બધી પીડા ભૂલીને હરખાઈ ગઈ. પ્રસૂતિની એ પીડા તો સમયનાં વહેણની સાથે સરી ગઈ, પણ જ્યારે શ્રીકાન્તે અઠવાડિયા પછી પણ આંખ ન ખોલી ત્યારે એની માની પીડા જીવન ભર માટેની બની રહી. 

 હા! શ્રીકાન્ત જન્મથી અંધ છે. એની કીકીની ઉપર ચામડીનું પડ જડબેસલાક ચોંટેલું છે. એનો કોઈ જ ઈલાજ મેડિકલ વિજ્ઞાન પાસે નથી. આન્ધ્ર પ્રદેશના મછલીપટ્ટણમ્‌ શહેરની નજીક આવેલા એક નાના ગામના ખેડૂતને ઘેર શ્રીકાન્તનો જન્મ થયો હતો. પચીસ વર્ષ પછી આજે શ્રીકાન્તે કેવાં કેવાં શિખર સર કર્યાં છે, તે તો આપણે આગળ જોઈશું, પણ પચીસ વર્ષની એ યાત્રા અનેક ચઢાવ ઊતરાવથી ભરપૂર છે.

………………………………..

મજૂરી કરીને માંડ ₹ ૨,૦૦૦ કમાતા એના બાપને માટે આ છોકરાને મોટો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. સગાંવહાલાં અને પાડોશીઓએ તો એ છોકરાને દૂધ પીતો કરી દેવાની પણ સલાહ આપી હતી.  પહેલા ખોળાના આ દેવના દીધેલને એમ સગે વગે કરવા એ માવતરનો જીવ શી રીતે ચાલે? થોડોક મોટો થતાં એને પાંચ કિલોમિટર દૂર આવેલી શાળામાં દાખલ કર્યો. શ્રીકાન્તે દરરોજ એટલું અંતર પગપાળા જ કાપવું પડતું. એમ છતાં એ ગામઠી નિશાળમાં એનું કોણ ધ્યાન રાખે? એને તો છેલ્લી પાટલી પર બેસી ક્લાસમાં ચાલે તે સાંભળ્યા જ કરવાનું હતું ને? તે લેસન પણ શી રીતે કરે? વર્ગ શિક્ષક જે કાંઈ કહે તે ઘેર આવી બાપુને કહે. એ બિચારા થાકયા પાક્યા એને લખી આપે. પણ એનું લેસન તપાસવાની તસ્દી પણ વર્ગ શિક્ષક શું કામ લે? સહાધ્યાયીઓ પણ તેને રિસેસમાં સાથે રમાડવા તૈયાર ન થાય. કોણ આ આંધળાની આંગળી ઝાલે?

પણ બાપુને એ વાતની ખબર પડી ગઈ કે, શ્રીકાન્તને ઉપરવાળાએ ભલે જીવનભરના અંધકારની બક્ષિસ આપી હોય; તેને અપ્રતિમ ભેજું પણ આપ્યું છે. હૈદ્રાબાદ રહેતાં એક દૂરનાં સગાંને રાખવા તેમણે વિનંતી કરી. ‘શ્રીકાન્તને સાચવશો? ભણાવશો?’ એ દિલદાર સંબંધીએ બમણા જોરથી પડઘો પાડ્યો. સાત જ વર્ષનો શ્રીકાન્ત હૈદ્રાબાદની ખાસ જરૂરિયાતવાળા બાળકોની શાળામાં ભરતી થઈ ગયો.

એ સાથે શ્રીકાન્ત બોલ્લાનું જીવન બદલાઈ ગયું. એના કાળાડિબાંગ જીવનમાં સરસ્વતીદેવીની અસીમ કૃપાનાં તેજસ્વી કિરણો વરસવાં લાગ્યાં. ભણવાની સાથે સાથે શ્રીકાન્ત ચેસ અને અંધ બાળકો વચ્ચે રમાતી ક્રિકેટ પણ રમતો થઈ ગયો. મોટા ભાગે આખા ક્લાસમાં પહેલો નંબર રાખતો શ્રીકાન્ત સમયના વહેણ સાથે દસમા ધોરણ સુધી પહોંચી ગયો.  ૯૦ ટકા માર્ક સાથે શ્રીકાન્તે આ કોઠો પણ પાર કરી દીધો.

પણ બીજો હિમાલય એની સામે ખડો થઈ ગયો. ગણિત અને વિજ્ઞાન એના રસના વિષયો હતા. તેને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવું હતું. પણ શાળાએ એને એ માટે પરવાનગી આપવા ધરાર ઈન્કાર કરી દીધો. હૈદ્રાબાદનાં સગાંને તેને માટે પોતાના સગા દીકરા જેવો પ્રેમ હતો. એ ખમતીધર આદમીએ શ્રીકાન્ત વતી રાજ્યના શિક્ષણ ખાતા સામે કોર્ટમાં કેસ કર્યો અને આદુ ખાઈને શ્રીકાન્ત માટે લડ્યા! છ મહિના પછી રાજ્યના શિક્ષણ ખાતાએ ઝૂકી જવું પડ્યું. વિજ્ઞાન પ્રવાહમાં શ્રીકાન્તની યાત્રા આગળ વધવા માંડી. ક્લાસના એના દિલોજાન દોસ્તોએ એને પ્રયોગોમાં મદદ કરવાનું માથે લીધું.

બે વર્ષના અંતે ૯૮ ટકા માર્ક અને ઝળહળતી સફળતા સાથે શ્રીકાન્ત એની શાળામાં પહેલા નંબરે અને રાજ્યના પહેલા દસ રેન્કરોમાં ધરાવી, બારમું પાસ થઈ ગયો. હૈદ્રાબાદની એક સ્થાનિક વિજ્ઞાન કોલેજમાં પણ એની ઝળહળતી સફળતાના કારણે એડમિશન મળી ગયું. ચાર વર્ષ બાદ અંધ શ્રીકાન્ત વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. અને તે પણ ગોલ્ડ મેડલ જીતીને જ તો !

શ્રીકાન્તની મહત્ત્વાકાંક્ષા દેશની અવ્વલ નંબરની ગણાતી IITમાં જોડાવાની હતી. પણ ત્યાંથી ધરાર ‘ના’ આવી ગઈ. પણ હવે આ અંધ પક્ષીનાં આંતર ચક્ષુ અને હિમ્મત ખૂલી ગયાં હતાં. તેની પાંખો હવે ‘જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલ’ની કની જોરભેર વિંઝાવા લાગી હતી. આકાશની પેલે પાર આંબવાનાં તેનાં સ્વપ્ન હતાં.  શ્રીકાન્તે દેશની બહાર મીટ માંડી અને અમેરિકાની ખ્યાતનામ કોલેજોમાં પોતાનાં પતરાળાં પાથરવા માંડ્યા. એના સૌ સગાં, દિલોજાન મિત્રો અને કોલેજના સ્ટાફના આશ્ચર્ય વચ્ચે આ પ્રજ્ઞાચક્ષુ યુવાનને એક નહીં પણ ચાર ચાર યુનિવર્સિટીઓએ કોઈ જાતના ખર્ચ વિના જોડાવા આમંત્રણ મોકલી દીધાં – Stanford, MIT, Carnegie Mellon and Berkely!

શ્રીકાન્ત એન્જિનિયરિંગ માટેની વિશ્વની અવ્વલ નંબરની MIT( Boston) માં જોડાઈ ગયો. તે MITનો પહેલો આંતરરાષ્ટ્રીય, અંધ વિદ્યાર્થી હતો. મસ મોટા એના કેમ્પસમાં જુદા જુદા વર્ગોમાં જવા માટે ખાસ્સું ચાલવું પડતું હોય છે. શ્રીકાન્ત બધે પહોંચી જતો અને ક્લાસમાં એ મોટા ભાગે સૌથી પહેલો પહોંચી જતો. તેના એક પ્રોફેસરે પણ આ ચીવટ માટે તેની સરાહના કરી હતી. બે જ વર્ષ અને તે MITમાંથી પણ ઝળહળતી સફળતા સાથે સ્નાતક બની બહાર આવ્યો. MITના એક સામાયિકમાં શ્રીકાન્તે લખેલ એક લેખ આ રહ્યો ….

http://web.mit.edu/angles/2010_Srikanth_Bolla.html

ભારતના  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામે પણ તેની સફળતાનું અભિવાદન કર્યું હતું .

pastedGraphic_1.png

એક ઓર ઊંચી ઊડાણ અને શ્રીકાન્ત બોલ્લાએ વિશ્વ વિખ્યાત હાર્વર્ડ કોલેજમાંથી એમ.બી.એ.ના શિખરને પાર કરી દીધું. કાળાંડિબાંગ ભવિષ્ય માટે જ જન્મ લીધેલા આ અભિમન્યુએ જીવનના સાત નહીં પણ અનેક કોઠા પાર કરી દીધા. શ્રીકાન્ત માટે હવે જીવનમાં કાંઈક કરી બતાવવાના બધા એક્સપ્રેસ હાઈવે ખુલ્લા થઈ ગયા.

શ્રીકાન્તે ધાર્યું હોત તો, તેને આ પદવીઓનાં કારણે અમેરિકામાં મોટા પગારની નોકરી મળી શકતી હોત. તેની પાસે એ માટે સારી સારી ઓફરો પણ હતી. પણ શ્રીકાન્ત સ્વદેશને અને પોતાના જેવા યુવાનો અને ખાસ તો બાળકોને પડતી મુશ્કેલીઓ ભૂલ્યો ન હતો. શ્રીકાન્તે દેશ પહોંચવા માટેની ફ્લાઈટ પકડી લીધી.

૨૦૧૭

હૈદ્રાબાદમાં આવેલી, ડિસ્પોઝેબલ ડીશો, પ્યાલા, વાડકા, લેમિનેટેડ કાગળ વિ. બનાવતી અને વર્ષે  ૭ કરોડનો વકરો કરતી ‘બોલન્ટ ઇન્ડસ્ટ્રી’નો શ્રીકાન્ત માલિક છે. તેણે કર્ણાટકના હુબળીમાં એક પ્લાન્ટ,  તેલંગણાના નિઝામાબાદમાં બે પ્લાન્ટ અને હૈદ્રાબાદમાં એક પ્લાન્ટ સ્થાપ્યા છે. શ્રી સીટીમાં સૌથી છેલ્લો સ્થાપેલો પ્લાન્ટ  માત્ર સૂર્ય શક્તિ વાપરે છે. .

હેદ્રાબાદની શાળામાં તેની શિક્ષિકા સ્વર્ણલતાએ શ્રીકાન્તની આ સફરમાં સતત સાથ અને દોરવણી આપ્યાં છે. તેનાં બધાં સાહસોમાં તેણે સક્રીય સાથ આપ્યો છે, એટલું જ નહીં. તે એ બધાંની સહ સંસ્થાપક પણ છે. બધા કારખાનાંઓમાં દાખલ થનાર કારીગરોને સ્વર્ણલતાની દોરવણી મુજબ તાલીમ આપવામાં આવે છે.

આ જ રીતે ઔદ્યોગિક ધીરાણકર્તા રવિ મંતા શ્રીકાન્તની સિદ્ધિઓ અને જુસ્સાથી એટલો બધા પ્રભાવિત થયા હતા કે, તેમણે બે વર્ષ પહેલાં એક પતરાંના શેડમાં પહેલું કારખાનું સ્થાપવા શ્રીકાન્તને પ્રોત્સાહિત કર્યો હતો, અને સારી એવી રકમ પણ ધીરી હતી. ત્રણ જ મશીન અને આઠ જ કારીગરોથી શરૂ થયેલું એ સાહસ અત્યારે ૫૦ કરોડની અસ્કયામતો ધરાવે છે. આજે પણ ઓફિસમાં દાખલ થતાં પહેલાં શ્રીકાન્ત કારખાનામાં લટાર મારે છે. એની જન્મજાત સૂઝથી મશીનના અવાજમાં થતા ફેરફારો પારખી લે છે. કોઈ મશીનમાં સમારકામની જરૂર હોય તો તેને તરત જ ખબર પડી જાય છે. તેના કારખાનાંઓમાં ૧૫૦થી વધારે કારીગરો કામ કરે છે, જેમાંના મોટા ભાગના કારીગરો કોઈને કોઈ જાતની શારીરિક ખોડવાળાં છે. તેણે અંધજનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપતી ‘સમન્વય’ નામની સંસ્થા પણ ચાલુ કરી છે. તેમાં અત્યાર સુધીમાં ૩,૦૦૦ બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે. 

pastedGraphic_2.png

શ્રીકાન્તના શબ્દોમાં …

     “The world looks at me and says, ‘Srikanth, you can do nothing.’ I look back at the world and say ‘I can do anything’.”

TED  પર વીડિયો (Kindly embed it.)

https://www.youtube.com/watch?v=hxS5He3KVEM

https://www.facebook.com/theindianfeed/videos/1597456683649706/

સાભાર – The Better India 

સંદર્ભ – 

https://www.thebetterindia.com/51264/ceo-fifty-crore-blind-srikanth-bolla-bollant-industries/

https://yourstory.com/2015/12/srikanth-bolla-bollant-industries/

https://en.wikipedia.org/wiki/Srikanth_Bolla

http://spectrum.mit.edu/spring-2011/living-his-dream/

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,3041,3051,3061,307...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved