Opinion Magazine
Number of visits: 9458645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પણ ‘પ્રાથમિક’ શિક્ષણ જરૂરી બન્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 August 2022

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજકાલ ચર્ચામાં છે. આમ તો પ્રવેશોત્સવથી જ તે ચર્ચામાં હોય છે. બાળકોને શાળા પ્રવેશનો આનંદ થાય તે માટે પ્રવેશોત્સવ ઉજવાય છે, પણ હાલ તો તે રાજકીય મેળાવડો જ વધુ બની ગયો છે. શિક્ષકો અને આચાર્યો, સાહેબોની સરભરામાં જ એટલા વ્યસ્ત થઈ જાય છે કે બાળકો ગૌણ થઈ જાય છે. એટલું સારું છે કે પ્રવેશોત્સવને બહાને કેટલાક રાજકારણીઓ સ્કૂલનું મોં જોવા પામે છે, બાકી, એ વળી ક્યારે સ્કૂલે જવાના હતા ! આ પ્રવેશોત્સવમાં કલાકારો, સંગીતકારો, ચિત્રકારો .. વગેરેને પણ જોડી શકાય, પણ તેઓ કદાચ મત આપતા નથી અથવા તો એમના મત જીવાડે એટલા હોતા નથી એટલે તેડાતા નહીં હોય. આમ પણ બાળકો નાનેથી રાજકારણ શીખે એ વધારે મહત્ત્વનું છે, નહીં કે કળા શીખે તે, ખરું ને?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉજવણાં-ઉઠમણાંમાં પણ વધુ સક્રિય થઈ ગઈ છે. મોટે ભાગે તે રાજકીય નેતાઓની જન્મ-મરણ તિથિઓમાં શાળાઓને રોકી રાખે છે. એ થાય તેની ય ના નથી, પણ બે અઢી વર્ષથી કોરોનાએ દાટ વાળ્યો હોય, શિક્ષણકાર્ય ઓનલાઈન થયું હોય, પણ, તે પૂરતું ન હોય, માસ પ્રમોશનથી બાળકોને પાસ કરવા પડ્યા હોય એ સ્થિતિમાં બાળકો થોડો વખત શિક્ષણકાર્યમાં વધુ પ્રવૃત્ત હોય તે ઇચ્છનીય, નહીં? તેને બદલે તે ઇતરપ્રવૃત્તિને જ શિક્ષણ માનતું થાય એ સ્થિતિ થોડો વખત ટાળવા જેવી છે. આ ઉપરાંત શિક્ષકો, આચાર્યો રસીકરણ, ચૂંટણી, વસતિગણતરી જેવી પ્રવૃત્તિઓમાંથી થોડો વખત મુક્ત કરાય અને તેમને બાળકોનાં સઘન શિક્ષણ માટે આગ્રહપૂર્વક જોડવામાં આવે તો બાળકોનાં શિક્ષણનો પાયો કાચો રહી જવાનું જે જોખમ છે તે ટાળી શકાય. શિક્ષણ સમિતિમાં રાજકીય હેતુઓ ધરાવતા અધિકારીઓ કે વહીવટી અધિકારીઓ આ મામલે વધુ ગંભીર હોય તેવી અપેક્ષા રહે, પણ એ તરફ કદાચ એ વર્ગનું ધ્યાન નથી લાગતું, નહિતર, એ મુશ્કેલ એવાં કામો કરવાની આચાર્યો, શિક્ષકો અને બાળકોને ફરજ ન પાડે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક પરિપત્ર એવો બહાર આવ્યો કે જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી અવગત થાય અને સૈનિકો-સ્વાતંત્ર્ય સેનાનીઓ પરત્વે ઉદારતા પ્રગટ કરે, એ હેતુથી 30 જુલાઇ, 2022 સુધીમાં શાળાની અનુકૂળતા મુજબ ગુરુવંદનાનું આયોજન કરવું. આ ઉપરાંત 1 ઓગસ્ટે ભારત માતાનાં પૂજન-અર્ચનનું આયોજન કરવું. આમ તો આવાં આયોજનથી આનંદ થાય, પણ આ ઉપક્રમમાં આનંદ ન થાય એવું ઘણું છે, કારણ આ આયોજન વેઠ ઉતારવા ને અણઘડ રીતે થયું હોવાનો વહેમ પડે છે. 30મી જુલાઇ સુધીમાં અનુકૂળતા મુજબ તમામ શાળાઓને ગુરુવંદનાનો કાર્યક્રમ કરવાનું કહેવાયું. એ ક્યારે કહેવાયું, તો કે 29 જુલાઈ ને શુક્રવારે. 29મીએ પરિપત્ર બહાર પડે તો ‘30 જુલાઇ સુધી’નો શો અર્થ કરવાનો? સીધું એમ જ ઠોકી બેસાડાયું છે કે 30મીએ શનિવારે ગુરુવંદનાનો કાર્યક્રમ કરવાનો જ છે. એમાં ‘અનુકૂળતા મુજબ’ કરવાની તક જ ક્યાં ને કેટલી છે? એ ઓછું હોય તેમ એ પછી 1 ઓગસ્ટે પૂજન-અર્ચનનો બીજો કાર્યક્રમ ! બીજે જ દિવસે, કારણ 31મીએ રવિવાર હતો. લાગે છે, આ આયોજન સમજપૂર્વકનું છે? અમૃત મહોત્સવ તો વર્ષથી ચાલે છે, પણ શિક્ષણાધિકારી એકાએક 29મીએ જાગે છે ને 30મીએ સ્કૂલોને ફરજ પાડે છે – એક પછી એક કાર્યક્રમો કરવાની. આમાં સૌથી શરમજનક તો છે, સૈનિકો પરત્વે ‘ઉદારતા’ બતાવવાની વાત ! આ કાર્યક્રમ સૈનિકો પ્રત્યે ઉદારતા બતાવવા કરવાનો? ઉદારતા? તે ય સૈનિકો-સેનાનીઓ પરત્વે? એમના પરત્વે ઉદારતા બતાવવાની કે એમના પ્રત્યે આભાર પ્રગટ કરવાનો? ક્યાં, કેવા શબ્દોનો ઉપયોગ થાય એટલી કાળજી ન રખાય તો વિવેક ચૂકવા જેવું જ થાય ને તે બધી રીતે અસહ્ય છે.

એક કાળે સ્કૂલમાં મુદ્દા પરથી વાર્તા લખવાનું શીખવાતું હતું. હવે એ શીખવાય છે કે કેમ તે નથી ખબર, પણ  ત્યારે શિક્ષક જ વર્ગમાં વાર્તા કહેતા. હવે શિક્ષકો વાર્તા નહીં કહી શકતા હોય એવું શિક્ષણ સમિતિને લાગે છે, એટલે સમિતિએ એજન્સી દ્વારા ધોરણ એકનાં બાળકોને વાર્તા કહેવાનો એક ઉપક્રમ યોજ્યો. શિક્ષણખાતું અખતરાઓ યુદ્ધને ધોરણે કરતું રહેતું હોય તો શિક્ષણ સમિતિ પણ તેમાંથી બાકાત શું કામ રહે? તેણે વાર્તા દીઠ 1886ના ભાવે 100 સ્કૂલોમાં એજન્સી દ્વારા વાર્તા કહેવાનું ઠરાવી દીધું. 20મી જૂને સ્ટોરી ટેલિંગનો કોન્ટ્રાક્ટ બહાર પડ્યો અને તે વખતે હાજર જ હોય તેમ, 20મીએ જ, એક કંપનીએ પોતાની અરજી મૂકી પણ દીધી. એ પતે કે 21મીએ બીજી બે વ્યક્તિઓએ પણ અરજી કરી દીધી. સમિતિની આટલી સક્રિયતાનો વિપક્ષ તરીકે આપનો કોઈ પડઘો જ ન પડે એવું તો કેમ બને? આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ તપાસ કરી તો ત્રણેય અરજદારોનું અસ્તિત્વ નથી કે ત્યાં રહેનારનું નામ કોઈ બીજું જ છે એ વાત સામે આવી. રાકેશ હિરપરા જોડે ફોન પર વાત થઈ તો તેમણે જાતે આ તપાસ કરી હોવાનું જણાવ્યું. આ કામ ‘વાર્તા કથન’ કરતાં ય કોઈને લાભ ખટાવવા હાથ પર લેવાયું હોવાનું વધારે લાગે છે. સ્કૂલોમાં વાર્તા કહેવાઈ કે કેમ તે અંગે હિરપરાએ તપાસ કરી તો કેટલીક વાતો સામે આવી. એક તો એ કે આવી કોઈ કંપની દ્વારા વાર્તા શાળાઓમાં કહેવાઈ નથી. બે, કાર્યક્રમ સ્કૂલે જ તૈયાર કર્યો હતો. ત્રણ, કોઈક સ્કૂલમાં વાર્તા કહેવાઈ ને સારી રીતે કહેવાઈ. ચાર, એજન્સીના સભ્ય વાર્તા કહેવા ઓચિંતા જઈ ચડ્યા, ત્યારે બાળકો અન્ય શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત હોવાથી વાર્તા માટે સમય ફાળવી શકાયો નહીં.

આ અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ધનેશ શાહનો ફોન પર સંપર્ક કરતાં તેમણે ‘વાર્તા કથન’ અંગે પ્રગટ થયેલા સમાચારો સાચા ન હોવાનું જણાવ્યું ને સ્કૂલોમાં વાર્તા કહેવાઈ છે તેનું સમર્થન કરતાં ઉમેર્યું કે 100 શાળાના આચાર્યોએ વાર્તા કહેવાઈ હોવાનાં પ્રમાણપત્રો પણ આપ્યાં છે. એ પ્રમાણપત્રો બતાવવાનું પણ તેમણે કબૂલ્યું. જો જાણકારી ખોટી ન હોય તો કેટલાક પ્રશ્નોના જવાબો સમિતિ પાસેથી અપેક્ષિત છે. 

  1. ખરેખર તો વાર્તા કથનનો પ્રયોગ શાળાના શિક્ષકો કરી શકે એ સહજ ગણાય. એ સ્થિતિમાં કોઈ એજન્સીને વાર્તા દીઠ 1,886 રૂપિયા ખટાવવાનો આખો ઉપક્રમ ફેર વિચારણાને પાત્ર છે. શિક્ષકો પર ભરોસો ન મૂકવાનું અને ત્રાહિત એજન્સી પર પૈસા ખર્ચીને ભરોસો ખરીદવાનું કઇ રીતે યોગ્ય છે તે પણ પ્રશ્ન છે. કોઈ એજન્સીને બદલે, શિક્ષકોને કે જાણીતા બાળવાર્તા લેખકોને નિમંત્રણ આપવાનું વધારે યોગ્ય રહ્યું હોત કે કેમ? વધારે સારું તો એ હતું કે એજન્સીને ખટાવવા કરતાં એટલી રકમ શિક્ષકોને વાર્તા કથન માટે તૈયાર કરવા પાછળ ખર્ચાઈ હોત ! 
  2. વાર્તા કથનનો આ ઉપક્રમ 100 સ્કૂલો પૂરતો જ સીમિત હતો કે એમાં અન્ય સ્કૂલો ઉમેરવાનો હેતુ પણ હતો? 
  3. 20મી જૂને વાર્તા કથનનો નિર્ણય લેવાય છે. 21મી જૂને 3 અરજીઓ આવે છે ને 30 જુલાઇ સુધીમાં વાર્તા કહેવાયાના 100 પ્રમાણપત્રો અધ્યક્ષ પાસે જમા થઈ જાય છે. આ બધું સહજ ક્રમે થયાનું લાગે છે? 
  4. 21 જૂને જે બે વ્યક્તિઓએ અરજી કરી તે એક જ એરિયાની છે. કદાચ બંને એકબીજાના પરિચયમાં હોય ને બંનેએ સાથે મળીને અરજી કરી હોય એમ બને, કારણ બંનેની ભાષા સરખી છે. એકબીજાની અરજીઓ, જોઈને ન કરી હોય તો આવું સામ્ય શક્ય નથી. હવે એ બે વ્યક્તિઓ એક જ એરિયાની હોય, કદાચ પરિચિત હોય તો આપેલાં સરનામે મળવી જોઈએ, પણ ત્યાં હિરપરાએ જણાવ્યું છે તે પ્રમાણે એવી કોઈ વ્યક્તિઓ રહેતી નથી કે ત્યાંની આસપાસની વ્યક્તિઓને આ બંને અરજદારોનો કોઈ પરિચય પણ નથી, તો સવાલ એ રહે છે કે બંને અરજીઓની ભાષા એક જેવી થઈ કેવી રીતે કે ઓફિસમાંથી જ બે વ્યક્તિઓએ સાથે મળીને એ અરજીઓ કરી છે? આ પ્રશ્નો અત્યારે તો વણ ઉકલ્યા જ છે.

સમિતિની વાતો જોતાં એવું લાગે છે કે તે હજી ઘણી બધી રીતે પ્રાથમિક તબક્કામાં જ છે. એમ પણ લાગે છે કે સમિતિના રાજકીય કે વહીવટી હોદ્દેદારો જવાબદારી લેવા કરતાં સામાની જવાબદારી ઊભી કરવામાં વધારે માને છે. પરિપત્રો કે પત્રકોમાં આચાર્યની જવાબદારી અંગે વખતોવખત ચેતવણી અપાતી રહે છે ને આ પ્રવાહ રાજકીય ટોચથી નીચેની દિશાએ વહેતો રહે છે. જવાબદારી સ્વીકાર્યા વગર આચાર્યો અને શિક્ષકોને ભયભીત રાખવામાં આવે છે એટલે એમને સાહેબોની ભક્તિની ફરજ પડે તેવું વાતાવરણ છે. આચાર્યો, શિક્ષકોનાં યુનિયનો છે, પણ કોઈનો સામૂહિક અવાજ આર્થિક હિત સિવાય સંભળાતો નથી. શિક્ષણની કોઈ જ સમસ્યા તેમને લાગતી નથી ને આવતી કાલનું ભવિષ્ય એવાં બાળકો, શિક્ષણને નામે ખરેખર કઇ દશા ને દિશામાં છે એની બહુ ઓછાને ચિંતા છે. કાગળ પર, પત્રકોમાં બાળકો ઉત્તમ શિક્ષણ પામતાં હશે, પણ વર્ગમાં તેઓ શું પામે છે એની ચિંતા ખરેખર કરવા જેવી છે. બાળકોને વાર્તા કહેવાનો હક શિક્ષકોનો હોય ને એ પારકી એજન્સીને સોંપવો પડે ને એની કોઈ શિક્ષકને નાનમ ન લાગે ત્યારે થાય કે ખરાં છે આ બાળકો, પથ્થર એટલા દેવ પૂજી રહ્યા છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑગસ્ટ 2022

Loading

નીતિન ગડકરીએ છે કે હાલની રાજનીતિની સરખામણી મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ સાથે કરી છે અને વચ્ચેની રાજનીતિના લાંબા સમયને છોડી દીધો છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 July 2022

ગુજરાતીમાં જેનું નામ બહુ લેવાતું નથી, તેવા પત્રકાર, કવિ અને લેખક શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ઉર્ફે ‘શેખાદમ’ રાજકીય કવિતાઓ લખવા માટે જાણીતા હતા. હવે તો રાજકારણ એટલું ખરાબ થઇ ગયું છે કે તેના પર કવિતાઓ લખતાં પણ કવિઓ ડરે છે, રખેને અભડાઈ જવાય! ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના સમયે શેખાદમનાં આવાં કાવ્યોનો ‘ખુરશી’ નામથી નાનકડો કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ જ વખતે ઇન્દિરા ગાંધીએ કટોકટી પણ જાહેર કરી હતી. યોગાનુયોગ કહો કે શેખાદમનું રાજકીય નિરીક્ષણ, તેમણે એક ધારદાર મુક્તક લખ્યું હતું, જેમાં ભારતીય રાજનીતિની ખરાબી અને ખાસ તો મહાત્મા ગાંધીએ જે આદર્શો પર આઝાદીની લડાઈ લડી હતી, તેના પતનની ઝલક હતી. 

 

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો

બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો

ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?

ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો

ગયા શનિવારે, ૨૩ જુલાઈના રોજ, કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જે રીતે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો, તેમાં શેખાદમના આ મુક્તકની યાદ આવી ગઈ. ગડકરીનું વિધાન રાજકીય વર્તુળો માટે ચોંકાવનારું હતું. તેમણે કહ્યું કે તેમને વખતોવખત રાજનીતિ છોડવાનું મન થાય છે કારણ કે તેમને લાગે છે કે કરવા માટે જિંદગીમાં ઘણું છે. 

તેમના શહેર નાગપુરમાં સમાજસેવક ગિરીશ ગાંધીના સન્માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગડકરી બોલ્યા હતા કે, “મને ઘણી વાર લાગે છે કે મારે રાજનીતિ છોડી દેવી જોઈએ. રાજનીતિ સિવાય પણ જિંદગીમાં કરવા માટે ઘણું છે. આજે આપણે જે રાજનીતિ જોઈ રહ્યા છીએ, તે 100 ટકા સત્તામાં આવવા પર કેન્દ્રિત છે. રાજનીતિ વાસ્તવમાં સામાજિક બદલાવનું માધ્યમ છે, એટલા માટે આજના રાજનેતાઓએ સમાજમાં શિક્ષણ-કળા વગેરેના વિકાસ પર કામ કરવું જોઈએ. આપણે એ સમજવું જોઈએ કે રાજનીતિ શબ્દ છે શું. શું તે સમાજ અને દેશના કલ્યાણ માટે છે કે પછી સરકારમાં બની રહેવા માટે છે?

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ પર રહી ચુકેલા ગડકરીએ ખિન્ન ભાવ સાથે કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીના સમયમાં રાજનીતિ સામાજિક આંદોલનનો હિસ્સો હતી, પરંતુ પાછળથી રાષ્ટ્ર અને વિકાસના લક્ષ્ય પરથી તેનું ફોકસ હટી ગયું.”

નીતિન ગડકરીના આ વિધાનનું સ્વાગત થવું જોઈએ. તેમણે ભારતની વર્તમાન રાજનીતિમાં જે પ્રકારે જાળાં બાઝેલાં તેને સાફ કરવા પ્રયાસ કર્યો છે. એ વાતનું મહત્ત્વ એ છે કે તેમણે હાલની રાજનીતિની સરખામણી મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ સાથે કરી છે અને વચ્ચેની રાજનીતિના લાંબા સમયને છોડી દીધો છે.

એ અર્થમાં એવું કહેવાય કે ઇન્દિરા ગાંધીના સમયથી રાજનીતિની ચાલ અને ચરિત્ર્ય બદલાવાનું શરૂ થયું હતું, જે આજે તેની ચરમસીમાએ છે. મહાત્મા ગાંધીએ રાજનીતિ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોમાં સાધન-શુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. તેમને ખબર હતી કે સત્તા એક એવું સાધ્ય છે જે વ્યક્તિને અનૈતિક બનાવી દેવા માટે સક્ષમ છે. એટલા માટે તેમણે સાધ્ય કરતાં સાધન પર ભાર મુક્યો હતો. તેમના મતે સાધ્ય ગમે તેટલું સારું હોય, તેને સિદ્ધ કરવાનું સાધન જો અશુદ્ધ હોય તો સાધ્ય પણ નકામું કહેવાય.

તેમણે રાજનીતિમાં એટલા માટે જ સત્ય, અહિંસા અને સત્યાગ્રહને સાધનની શુદ્ધતાનાં માપદંડ બનાવ્યાં હતાં. તમે નીતિન ગડકરીના વિધાનનો મર્મ સમજો તો ભારતમાં સત્તાના સાધ્યને સિદ્ધ કરવા માટે આ ત્રણે માપદંડોનું ઉલ્લંઘન થાય છે. ઇન્દિરા ગાંધી માટે કહેવાય છે કે તેમણે ગાંધીજીની નૈતિક રાજનીતિને કોરાણે મૂકીને સત્તાની રાજનીતિ શરૂ કરી હતી. ઇન્દિરા તો સત્તાને જ નૈતિક લક્ષ્ય માનતાં હતાં. સ્વર્ગસ્થ પત્રકાર કુલદીપ નૈયર કટોકટીને યાદ કરીને એક ઠેકાણે લખે છે, “જે રીતે મૂલ્યોનાં તાણાવાણા છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યાં હતાં તે જોઇને મહાત્મા ગાંધી જો આજે જીવતા હોત તો સૌથી દુઃખી આત્મા હોત.”

ગડકરીની ખિન્નતા પણ આવી જ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને અટલ બિહારી વાજપેઈની શૈલીની રાજનીતિમાં રંગાયેલા છે. લોકશાહીનું તેઓ મનફાવે તેવું અર્થઘટન કરતા નથી, પરંતુ ભારતના ઘડવૈયાઓએ મહામહેનતે બંધારણમાં જે પ્રકારની વ્યવસ્થા કરી હતી તેનું શબ્દશ: પાલન કરે છે. એટલા માટે જ થોડા વખત પહેલાં તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોવો અનિવાર્ય છે અને કાઁગ્રેસ પક્ષ નબળો પડે તે લોકશાહી માટે સારું નથી.

હાલની રાજનીતિ ક્યારથી શરૂ થઇ અને ગાંધીની રાજનીતિ ક્યાંથી સમાપ્ત થઇ તેનો ગડકરીએ ખુલાસો નથી કર્યો (ઉપર તો આપણે આપણી રીતે અર્થઘટન કર્યું), પણ ભા.જ.પ.ના બીજા એક વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનું એક વિધાન કંઈક અંશે સૂચક છે. ગયા રવિવારે કારગિલ દિવસ પર બોલતાં તેમણે કહ્યું હતું કે, “બહુ બધા લોકો જવાહર લાલ નહેરુની ટીકા કરે છે. હું પણ એક ખાસ રાજનીતિક પક્ષમાંથી આવું છું, હું ભારતના કોઈ પણ પ્રધાન મંત્રીની ટીકા કરવા નથી માંગતો. સાથે જ હું કોઇ પણ પ્રધાન મંત્રીની નિયત પર સવાલ ઉઠાવવા માંગતો નથી. કોઈની નીતિ ખરાબ હોઈ શકે છે, નિયત નહીં.”

વર્તમાન રાજનીતિમાં સૌથી વધુ બકવાસ અને બેઈજ્જતી જો કોઈની થતી હોય, તો તે ગાંધી-નહેરુની છે અને ભા.જપ.ના. જ બે કદાવર નેતાઓ તે બંનેનું નામ લઈને રાજનીતિમાં વ્યાપેલા અંધારાને સાફ કરવાનો પ્રયાસ કરે તે સૂચક અને સરસ બંને છે.

લાસ્ટ લાઈન :

“રાજનીતિ એટલે જ્યાં ને ત્યાં મુસીબત ઊભી કરવાની, તેનું ગલત અર્થઘટન કરવાની અને તેની ખોટી સારવાર કરવાની કળા.”

— ગ્રોચો માર્ક, અમેરિકન કોમેડિયન

••••

પ્રગટ : ‘ક્રોસલાઇન’ નામક લેખકની નવોદિત સાપ્તાહિક કોલમ, ‘સન્નડેલાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”; 31 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાળની કેડીએ ઘડીક સંગ !

આરાધના ભટ્ટ|Opinion - Opinion|31 July 2022

બરાબર રવિવારના સાંજના પાંચ વાગવામાં છે ત્યારે સૂરસંવાદ વિશે આટલું ….

“નમસ્કાર, સૂરસંવાદમાં આરાધના ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે … આજે છે રવિવારે તારીખ”….. અવાજમાં સ્મિત છલકાવી આ વાક્ય બોલવાનો આજે છેલ્લો અવસર છે. શેક્સપીયરના જુલિયસ સીઝર નાટકના એન્ટની કહે છે – ફ્રેન્ડઝ, રોમન્સ, કન્ટ્રી મેન, લેન્ડ મી યોર ઈયર્સ, તેમ હું પણ દર અઠવાડિયે કહું છું ‘ફ્રેન્ડઝ, ગુજરાતીઝ, ઇન્ડિયન્સ, લેન્ડ મી યોર ઈયર્સ.

૧૫ વર્ષ પહેલાં આ યાત્રા શરૂ થઇ ત્યારે કલ્પના નહોતી કે આટલો લાંબો સમય એ ચાલશે અને એમાં આટલા બધા સહયાત્રીઓનો સંગ મળશે. એટલે સૌ પ્રથમ તો તમારો, અને મારા રેડિયોના સહયોગીઓ – પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, તમે જેમનો અવાજ દર અઠવાડિયે સમાચાર વાંચતા સાંભળો છો – એ હેમલ જોશી, મારી સાથે રેડિયો શરૂ થતાંની સાથે જોડાનાર ઝરમર પંડ્યા, અવારનવા તમને રેડિયો  પર મળતા પણ મારી સાથે સતત સંપર્કમાં રહેતા અને રેડિયો વિષયક ચર્ચાઓ કરતા પાર્થ નાણાવટી, દર અઠવાડિયે તમે રેડિયોના ફેસબૂક પેજ પર જે સુંદર કાવ્યો વાંચો છે એનું ચયન કરીને કોઇપણ જોડણીદોષ ન રહે એ રીતે એને ટાઈપ કરીને તૈયાર કરતા અને એમના વાંચનના વિસ્તારનો લાભ આપીને સાહિત્યિક સેગ્મેન્ટ પ્રસ્તુત કરતા ભાવિન રાવળ તેમ જ ક્રિકેટ વિષે જે ખૂબ ઊંડાણથી વિચારે છે અને એ રમતને સમજે છે એવા ક્રિકેટ સમીક્ષક દીપક શાહ જે પોતાના વ્યસ્ત વ્યવસાયિક શીડ્યુલમાંથી સમય કાઢીને રેડિયો પર પરિપક્વ ક્રિકેટ સમીક્ષા કરતા આવ્યા છે. એ ઉપરાંત આજે past contributersને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું – કેરસી મેહેર હોમજી, ડો ચૈતન્ય બુચ, જેલમ અને હાર્દિક વછરાજાની અને ભદ્રાયુ વછરાજાની. આ સૌએ પોતપોતાનાં વાણી-વિચારથી રેડિયોને સમૃદ્ધ કર્યો. સૌનો હૃદયથી આભાર માનું છું. સૂરસંવાદના સહયોગીઓનો એક પરિવાર આપોઆપ રચાઈ ગયો, અમે સાથે મળીને ખૂબ આનંદ પણ કર્યો. અઢળક સ્મૃતિઓ છે.

રેડિયો ૧૫ વર્ષની મજલ કાપી ચૂક્યો છે ત્યારે એને વિરામ આપવાનો નિર્ણય કેમ? એ નિર્ણય આમ જોવા જઈએ તો સરળ નહોતો. પણ બીજી રીતે જોઈએ તો એક વખત એ મુકામ પર પહોંચી પછી એમાં ફેરવિચારણા કરવાની કે મન ડગી જવાની ક્ષણો આવી નથી. એનું કારણ કદાચ એ છે કે છેલ્લાં ૨ વર્ષના જાત સાથેના સવાલ-જવાબ પછી આ નિર્ણય પર પહોંચાયું છે. જે પ્રવૃત્તિ આપણી અસ્મિતા બની હોય, જે પ્રવૃત્તિ જ આપણી જીવનશૈલી હોય એનાથી અળગા થવું કેટલું સહેલું કે અઘરું છે? બે વર્ષના આ મનોમંથને મને એક સત્ય સમજાવ્યું છે કે જેટલી હિંમત અને જેટલું મનોબળ કોઈક પ્રકલ્પ શરૂ કરવા માટે જોઈએ છે, એટલું જ અથવા એનાથી વધુ શક્તિ એનાથી અળગા થવામાં જરૂરી છે.

સમય સાથે સમૂહમાધ્યમોનો વપરાશ કરવાની આપણી રીતો બદલાઈ છે. જ્યારે માધ્યમો સ્થળ અને કાળથી પર થતાં જાય છે, શ્રોતા વર્ગ વિશ્વમાં પથરાયો છે ત્યારે અમુક ચોક્કસ સમયે એફ.એમ. લાઈવ પ્રસારણ કેટલું સુસંગત છે?  વળી ૧૫ વર્ષની અવિરામ યાત્રા પછી આ અઠવાડિક ડેડલાઇનની અવિરત રફતારમાંથી શું થોડો સમય પોરો ન ખાઈ શકાય? આ અને આવા અનેક સવાલો જાતને પૂછ્યા. એ પોરો ખાતાં ક્યાંક કંઈક નવું જડે એમ પણ બને!

સૂર સંવાદની આ યાત્રામાં સામૂહિક સ્તરે કેટકેટલા કાર્યક્રમો એટલે કે સ્ટેજ શો કર્યા, કેટલા ય લોકોનો સહકાર મળ્યો, નવા પરિચય થયા. ભારતથી ખ્યાતનામ ગાયક કલાકારોને અહીં આમંત્રણ આપીને કાર્યક્રમો યોજ્યા. એ ઉપરાંત રેડિયોના ૧૫ વર્ષમાં દર અઠવાડિયે ઓછામાં ઓછી એક મુલાકાત લેખે લગભગ ૮૦૦ મુલાકાતો થઇ. જાતજાતના લોકો મળ્યા, દરેક ક્ષેત્રના લોકો સાથે વાતો કરી. અને એ બધા જ મુલાકાતીઓ પાસેથી અંગતપણે મને જે જાણવા-શીખવા મળ્યું એનું મૂલ્ય આંકી શકું એમ નથી. કેટલા ય નવા મિત્રો મળ્યા, એવા મિત્રો જે રેડિયોને પાર કરીને સાથે રહે. આ બધો મારો અંગત ખજાનો છે. કેટલીક મુલાકાતોના સંચય સ્વરૂપે પુસ્તકો પણ પ્રકાશિત થયાં અને એના દ્વારા આ મુલાકાતોનો એક કાયમી દસ્તાવેજ ઊભો થયો.

હા, સંવાદો કરવા હજુ ઘણા બાકી છે. અને એ કદાચ થતા પણ રહેશે. કોઈક નવા નામે, નવા સરનામે. ત્યાં સુધી સૂરીલા સંવાદોની સ્મૃતિ મંજૂષા ઉઘાડીને રેડિયોની જીવંત વેબસાઈટ દ્વારા ગમતાંનો ગુલાલ કરતાં રહીશું. 

Loading

...102030...1,3021,3031,3041,305...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved