Opinion Magazine
Number of visits: 9569008
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૂજરાત વિદ્યાપીઠ : ઇતિહાસનાં પૃષ્ઠો અને વર્તમાન અક્ષરો

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2022

1857માં યુનિવર્સિટી સ્થાપતી વખતે મેકોલેએ કહ્યું હતું, ‘આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જેનો રંગ અને લોહી ભારતીય હોય પણ જેની અભિરુચિ, આચારવિચાર અને બુદ્ધિ અંગ્રેજ હોય.’ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાકાળે ગાંધીજીએ કહ્યું હતું કે આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જે દેશને પ્રેમ કરે, ગરીબો અને ગ્રામીણો પ્રત્યે નિસબત ધરાવે, શીલવાન હોય અને જ્ઞાન વહેંચવા તત્પર હોય. સરકારનો પંજો વિદ્યાપીઠ સુધી લંબાયા બાદ હવે શું થશે તે સમય જ કહેશે …

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ પરથી ડૉ. ઈલાબહેન ભટ્ટે આપેલું રાજીનામું છેવટે સ્વીકારાયું અને હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો કારોબાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે, આ સમાચાર આપણે જાણ્યા છે. અત્યાર સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજ્યપાલ ન ગણાતા, પણ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા ગાંધીવાદી હોય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવતા. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો આ ઇતિહાસ 102 વર્ષ બાદ બદલાયો છે. દરમિયાન 18 ઑકટોબર એટલે કે ગૂજરાત વિદ્યાપીઠનો સ્થાપનાદિન આવી રહ્યો છે એ નિમિત્તે ઇતિહાસનાં પૃષ્ઠો ફેરવીએ અને આ ભવ્ય સંસ્થાના ભવ્ય ઇતિહાસમાં ડોકિયું કરીએ.

એક પ્રાચીન સભ્યતા હોવાને નાતે ભારતનો શિક્ષણ-ઇતિહાસ અનેક કાળખંડોમાંથી પસાર થતો અને વૈવિધ્યપૂર્ણ બની રહ્યો છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં ઋષિમુનિઓના આશ્રમોનો ઉલ્લેખ છે. ભારતની સૌથી જૂની ‘રેકૉર્ડેડ’ શિક્ષણસંસ્થા તક્ષશિલાનો કાળ ઈ.સ. પૂર્વે આઠમી સદી છે. હાલ એ પાકિસ્તાનમાં છે. તેનું માળખું જો કે આપણે જેને યુનિવર્સિટી કહીએ છીએ તેના કરતાં જુદું હતું. નાલંદાને વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી માનવામાં આવે છે. તેના અવશેષો હાલના બિહારમાં છે. પછીની સદીઓમાં શિક્ષણવ્યવસ્થા અનેક નાનાંમોટાં પરિવર્તનોમાંથી પસાર થઈ. ઈ.સ. પૂર્વે 500માં બૌદ્ધ મઠોમાં પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવતું. એક સમયે શીખવાનો અધિકાર અમુક જ્ઞાતિવિશેષ પૂરતો સીમિત થયો. પછી પણ નાનાંમોટાં પરિવર્તન શિક્ષણ ક્ષેત્રે થતાં રહ્યાં પણ સૌથી મોટું, સૌથી વ્યાપક અને સૌથી વધુ દીર્ઘજીવી પરિવર્તન અંગ્રેજી શાસન દરમ્યાન લૉર્ડ મેકોલેએ દાખલ કરેલી શિક્ષણપદ્ધતિથી થયું.

25 ઑક્ટોબર 1800ની સાલમાં ઈંગ્લેન્ડમાં જન્મેલા થોમસ બાબિંગ્ટન મેકોલે 1934માં સુપ્રિમ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય તરીકે ભારત આવ્યા હતા. પછીના ચાર વર્ષના ભારતનિવાસ દરમ્યાન એમણે બે મોટાં કામ કર્યાં. એક તો ક્રિમિનલ કૉડમાં સુધારો કરી એક સરખા કાયદા બનાવ્યા અને બીજું બ્રિટિશ માળખા મુજબની યુનિવર્સિટીઓ શરૂ કરી. 1857 ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની જ નહીં, ભારતમાં પહેલી યુનિવર્સિટી શરૂ થયાની પણ સાલ છે. મેકોલેએ કહ્યું હતું, ‘આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જેનો રંગ અને લોહી ભારતીય હોય પણ જેની અભિરુચિ આચારવિચાર અને બુદ્ધિ અંગ્રેજ હોય.’ રાષ્ટ્રવાદીઓ અને સંસ્કૃતિપ્રેમીઓ ભારતના પ્રચલિત શિક્ષણમાળખાની દરેક ખામી માટે આજે પણ મેકોલેને ગાળો આપે છે, પણ આઝાદી મળ્યાને પોણી સદી થઈ છતાં પણ એમાં સુધારા કરી શક્યા નથી. 2020ની નવી શિક્ષણનીતિ કોઈ સુધારો કરી શકે છે કે કેમ એ તો આવનારાં વર્ષો બતાવશે.

કલકત્તા અને મુંબઈમાં યુનિવર્સિટીની સ્થાપનાથી ભારતમાં આધુનિક શિક્ષણનો વિધિવત્‌ પ્રારંભ થયો. ત્યાર પછીના પચીસેક વર્ષમાં જ ભારતને અંગ્રેજો અને અંગ્રેજોએ પેદા કરેલા બાબુઓથી છોડાવવા રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ ગઈ હતી. એના પરિપાક રૂપે પહેલા તો સરકારી માન્યતાવાળી રાષ્ટ્રીય શાળાઓ બની અને 1900થી સ્વતંત્ર રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ. 1920 પછી સ્વરાજના ધ્યેય સાથેની રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ અને રાષ્ટ્રની ચેતનામાં ક્રાંતિના બીજ રોપાયાં.

1920 ભારતના રાજકીય અને શૈક્ષણિક ઇતિહાસમાં મહત્ત્વનું વર્ષ છે. ગાંધીજીએ એક તરફ અસહકાર આંદોલન ઉપાડ્યું અને બીજી તરફ રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપક પ્રયોગ શરૂ કર્યો. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા તેમના શિક્ષણના પ્રયોગો ભારતમાં આવ્યા પછી કોચરબ અને સાબરમતીમાં ચાલુ જ હતા. 1920માં અસહકાર આંદોલન ઉપાડવા સાથે તેમણે સૌને બ્રિટિશ સરકારે આપેલા માન-ચાંદ-ખિતાબોનો, અંગ્રેજી શિક્ષણનો અને અંગ્રેજી અદાલતોનો બહિષ્કાર કરવા હાકલ કરી. બ્રિટિશ શાળા-કૉલેજોમાં અપાતું શિક્ષણ બ્રિટિશ સામ્રાજ્ય માટે કારકૂનો પેદા કરવાનું કારખાનું જ છે એ સમજાતાં ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજો છોડ્યાં. આ વિદ્યાર્થીઓ શિક્ષણ અને જ્ઞાનથી વંચિત ન રહે તે માટે રાષ્ટ્રીય કેળવણીને વ્યાપક બનાવવી જરૂરી હતી. દેશનું નવનિર્માણ કરી શકે તેવા સક્ષમ વિદ્યાર્થીઓ તૈયાર કરવા પાંચ વિદ્યાપીઠોની સ્થાપના થઈ જેમાં ગૂજરાત વિદ્યાપીઠ પહેલી હતી.

18 ઑક્ટોબર 1920માં મહાત્મા ગાંધીએ શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પાછળનો વિચાર એ હતો કે અંગ્રેજી કેળવણી આપણા દેશ માટે પ્રતિકૂળ છે તેથી વિદ્યાર્થીઓને સ્વદેશાભિમાની, નિર્ભય અને સ્વાશ્રયી બનાવવા ગુજરાત ભરમાં શિક્ષણસંસ્થાઓ સ્થાપવી અને એમનો સમન્વય કરવા એક વિદ્યાપીઠ ઊભી કરવી. મહાત્મા ગાંધીએ તેનું કુલપતિપદ સ્વીકાર્યું અને ઑક્સફર્ડમાં ભણેલા અસુદમલ ટેકચંદ ગિદવાણી વિદ્યાપીઠના કુલનાયક અને પહેલા આચાર્ય નિમાયા. વિનોબાજી, કાકા કાલેલકર, રા.વિ. પાઠક જેવા દિગ્ગજો ત્યાંના અધ્યાપકો હતા. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી તેના કુલપતિ રહ્યા. સાબરમતી આશ્રમમાં હતા ત્યાં સુધી સાયકલ પર વિદ્યાપીઠ આવતા-જતા.

એમના પછી સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને મોરારજી દેસાઈએ આ પદ સંભાળ્યું. ઈલાબહેન પહેલા નારાયણ દેસાઈ અને સુશીલાબહેન નય્યર પણ કુલપતિઓ હતાં. આ તમામ કુલપતિઓ વિદ્યાર્થીની પરંપરા મુજબ ટ્રસ્ટીમંડળે પસંદ કરેલા ગાંધીવાદીઓ અને સામાજિક અગ્રણીઓ હતા. વિદ્યાપીઠના હાલના કુલપતિ આચાર્ય દેવવ્રત એવા પહેલા વ્યક્તિ છે જે રાજ્યપાલ હોવાના કારણે કુલપતિ બન્યા છે.

સત્ય-અહિંસાનું પાલન, અસહકાર, શ્રમગૌરવ, સર્વધર્મસમભાવ, ખાદી-ગ્રામોદ્યોગને પ્રોત્સાહન, ગ્રામકેળવણી પર ભાર અને શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા – આ સિદ્ધાંતો વિદ્યાપીઠનો પાયો છે. તેનો ધ્યાનમંત્ર છે ‘સા વિદ્યા યા વિમુક્તયે’ વિદ્યા એ જ છે જે મુક્ત કરે. આખા શ્લોકનો અર્થ એવો છે કે ‘સાચું કર્મ એ જે બંધન ન બને, સાચી વિદ્યાએ જે મુક્ત કરે. આ સિવાયના કર્મ માત્ર ઢસરડો છે અને આ સિવાયની વિદ્યા માત્ર કારીગરી છે.’ લોગોમાં આ સૂત્ર સાથે અરબી ભાષાનું એક સૂત્ર પણ મુકાયું છે જેનો અર્થ છે જ્ઞાન મેળવવું એ દરેકનો અધિકાર છે.

અસહકાર વેગ પકડતો ગયો, રાષ્ટ્રનું કૌવત બહાર આવતું ગયું તેની સાથે વિદ્યાપીઠ પોતાની દિશા અને માર્ગ પ્રત્યે ચોક્કસ બનતી ગઈ. ગ્રામોદ્ધાર, ગ્રામીણ પ્રજાની કેળવણી અને સાદાઈનાં તત્ત્વો વિદ્યાપીઠના દરેક કાર્યમાં પ્રતિબિંબિત થતાં. સરદાર પટેલ, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાલા, નરહરિ પરીખ, જુગતરામ દવે, પંડિત સુખલાલજી, પરીક્ષિતલાલ મજમુદાર અને મણિબહેન પટેલ જેવાં સભ્યોનું એક કાયમી ‘ગૂજરાત વિદ્યાપીઠ મંડળ’ સ્થપાયું હતું. 1930-35 અને 1942-45 દરમ્યાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સૌ વર્ગખંડો છોડી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઊતરી આવ્યા હતા ને લાઠીઓ ખાઈ, પકડાઈને જેલમાં ગયા હતા.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ પંદરેક વર્ષે વિદ્યાપીઠ યુ.જી.સી. સંચાલિત ડીમ્ડ યુનિવર્સિટી બની. અભ્યાસક્રમો ડૉક્ટરેટ સ્તર સુધી વિસ્તર્યા. સાથે રાષ્ટ્રભાષા હિંદી પ્રચાર સમિતિ, પ્રૌઢશિક્ષણ, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, જનજાતિ સંશોધન કેન્દ્ર વગેરે અનેક અભિયાનો શરૂ થયાં.

એક સદી દરમિયાન વિદ્યાપીઠે અનેક તડકાછાંયા જોયા છે. પરતંત્રતા, સ્વતંત્રતા, સ્વતંત્ર ભારતની સરકારો, બદલાતી પેઢીઓ, બદલાતાં જનમાનસ, ભ્રષ્ટાચાર, મૂલ્યહ્રાસ, સ્પર્ધાત્મક જીવનશૈલી અને વકરતા ભૌતિકવાદ સામે ઝીક ઝીલતી વિદ્યાપીઠ આજ સુધી અડીખમ ઊભેલી છે. તેના પરિસરમાં આજે પણ ગાંધીમૂલ્યોની હવા વહે છે. ત્યાંની દીવાલોમાં એક સદીનો ઇતિહાસ ધબકે છે.

વિશ્વના, રાજકારણના પ્રવાહો બદલાય તેમ ગાંધીવિચાર ધરાવનાર વ્યક્તિ, સંસ્થા અને સંસ્થાના સંચાલકો પર પણ અમુક જાતનાં દબાણ આવતા હોય છે. ગાંધીવિચાર અને ગાંધી લીડરશીપ સાચી દિશા પકડે તો લોકો સ્પર્ધકો, આક્રમકો કે શોષકો મટી સશક્ત, નિર્ભય, સંગઠિત અને એક ધ્યેય માટે કામ કરતા બને છે એ આપણે જોયું છે. વ્યક્તિનિર્માણ, સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણમાં આ બાબતોનું અને આવા લોકોનું હોવું ખૂબ જરૂરી છે. ગાંધીજીએ કહ્યું હતું કે દેશપ્રેમ, ગરીબો અને ગ્રામીણો પ્રત્યે નિસબત, ચારિત્ર્યબળ અને જ્ઞાન વહેંચવાની તત્પરતા એ જ વિદ્યાપીઠની અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની કસોટી છે. સરકારનો પંજો વિદ્યાપીઠ સુધી લંબાયા બાદ હવે શું થશે તે સમય જ કહેશે.

સચ હૈ, સમય બડા બલવાન હૈ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ઑક્ટોબર 2022

Loading

પેન્શનનું ટેન્શન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ને રૂપાણી સરકારના મંત્રીઓ દાવેદારી ન નોંધાવે એટલે મુખ્ય મંત્રી રૂપાણી સહિત સિનિયર્સ, તેમના જ લેટરપેડ પર ‘હું ચૂંટણી નથી લડવાનો’ જેવું લખી-લખાવીને કે લખાવડાવીને વીરતા ભરી પીછેહઠ કરી રહ્યા છે. આવું હોય ત્યારે પેન્શનની વાત કરવાનું કોઈને ઉચિત ન લાગે એમ બને, પણ ચૂંટણી અને ચૂંટણી માટેની ભૂમિકાનો ખેલ હવે બારમાસી વેપાર છે ત્યારે મહત્ત્વના મુદ્દે વાત ન કરવાનું પણ ઠીક નથી, એટલે પેન્શન વિષે વાત કરવાનું સ્વીકાર્યું છે. કમાલ એ વાતે છે કે આ રાજ્યમાં જ એટલા રાજકીય વફાદારો ઊભા થયા છે કે વફાદારીમાં કૂતરાનો નંબર હવે બીજો આવે છે.

એવી ઘટના યાદ આવે છે જેમાં એક પેન્શનરનાં મૃત્યુ પછી તેના સંબંધીઓએ અંગૂઠો કાપીને અને પછી એ અંગૂઠો મારી મારીને થોડો વખત પેન્શન લીધે રાખેલું. પેન્શનરને મર્યાં પછી પણ શાંતિ ન હતી. એ પછી બીજી એક ઘટના ઉત્તર પ્રદેશના બાંદાની 2 નવેમ્બર, 2022ને રોજ સામે આવી છે, જેમાં 72 વર્ષની એક મહિલાએ SDM રજત વર્મા પાસે જઈને કહ્યું કે ગામના સચિવે તેને મૃત જાહેર કરીને તેનું પેન્શન બંધ કરી દીધું છે. એક ઘટનામાં મૃતને જીવિત રાખીને પેન્શન લેવાની વાત છે તો બીજીમાં જીવિતને મૃત ગણીને તેનું પેન્શન રોકવાની વાત છે. કોઈ એક વ્યક્તિ કોઈ એક સરકારી કે ખાનગી સંસ્થાને પગારના બદલામાં આખી યુવાની ને પ્રૌઢાવસ્થાનાં મહત્ત્વનાં વર્ષો સોંપી દે છે ને એ સેવાના બદલે તેની વૃદ્ધાવસ્થા ઓશિયાળી ન વીતે એટલે તેને પેન્શન પાત્ર ગણવામાં આવે છે. આમ તો પેન્શન નિયમો પ્રમાણે બંધાતું હોય છે, પણ પરિસ્થિતિમાં સમય જતાં ફેરફારો આવ્યા છે. જેમ કે સરકારે ને સંસ્થાઓએ, નવા જોડાનાર કર્મચારીઓને મળનારા નિવૃત્તિનાં લાભોમાંથી પેન્શનની બાદબાકી કરી નાખી છે, એટલે નિવૃત્તિ પછી પેન્શન વગર અન્ય લાભોમાંથી જ જે તે વ્યક્તિએ ચલાવવાનું રહે છે. વારુ, જે વ્યક્તિને પેન્શન આપવામાં આવે છે એ રકમ વધતી જતી મોંઘવારીની સામે અને વધતી વયની માંદગીના ખર્ચની સામે એટલી ઓછી છે કે કોઈના ઓશિયાળા બનવા સિવાય તેને ચાલે જ નહીં. જેમ પગારનું અપડેશન થાય છે, એમ જ પેન્શનનું પણ થવું જોઈએ, પણ એવું થતું નથી. બેન્ક પેન્શનર્સની પેન્શન અપડેશનની વાતો ઘણાં વર્ષથી સરકાર ટલ્લે ચડાવીને બેઠી છે ને મગનું નામ મરી પાડતી નથી તે દુ:ખદ છે ને એથી વધારે દુ:ખદ એ છે કે આપણી સરકારો હિંસક આંદોલન વગર કોઈ માંગણી કાને ધરતી જ નથી.

ગઈ 4 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન યોજનાની 2014ની સ્કિમને સમર્થન આપ્યું છે એ કેટલીક બાબતે ઠીક થયું છે, જેમ કે, સુપ્રીમે પેન્શન ફંડમાં જોડાવા માટેની 15,000 રૂપિયાની માસિક પગારની મર્યાદા રદ્દ કરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમે, જે લોકોએ પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમને એની પસંદગી માટે 6 મહિનાનો સમય આપ્યો છે. એટલે 15,000થી વધુ પગાર હોય તો તે મુજબ પેન્શનની રકમમાં વધારો થશે. કંપનીની અને કર્મચારીની મંજૂરીથી હવે 15,000થી વધુના પગાર પર પેન્શન નક્કી થતાં, વધતાં પેન્શનનો લાભ કર્મચારીઓને મળશે. આ ચુકાદાની મર્યાદા એ છે કે તે 1/09/2014 પહેલાંના નિવૃત્ત કર્મચારીઓ અંગે ફોડ પાડીને વાત કરતો નથી.

ઘણી વાર પેન્શન યોજના અંગે એકવાક્યતા જોવા મળતી નથી. એનું એક ઉદાહરણ સરકારે જ પૂરું પાડ્યું છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડનું સંચાલન એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ કરે છે. આ ઓર્ગેનાઇઝેશનના સબસ્ક્રાઇબર્સના પેન્શનમાં વધારો કરવાની સંસદીય સમિતિએ દરખાસ્ત મૂકી જેને મોદી સરકારે ફગાવી દેતાં સંઘર્ષ થાય તેવા સંજોગો ઊભા થયા છે. લાંબા સમયની માંગને ધ્યાને લઈને બી.જે.ડી.ના સાંસદ ભર્તૃહરિ મહતાબના પ્રમુખપદ હેઠળની શ્રમ અને રોજગાર અંગેની સંસદીય સ્થાયી સમિતિએ શ્રમ મંત્રાલયને પેન્શન વધારવા અંગેની ભલામણ કરી હતી. મોદી સરકારના શ્રમ મંત્રાલયે એ ભલામણ માન્ય રાખીને નાણાં મંત્રાલયને પેન્શન વધારવા ભલામણ કરી હતી, પણ નાણાં મંત્રાલયે શ્રમ મંત્રાલયની એ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી. આમ થતાં સંસદીય સમિતિએ નાણાં મંત્રાલયના અધિકારીઓ પાસે ખુલાસો માંગતાં નાણાંમંત્રાલય ધંધે લાગી ગયું છે. ખાનગી કંપનીના નિવૃત્ત કર્મચારીને મહિને માત્ર હજાર રૂપિયા પેન્શન મળે છે. એમાં સંસદીય સમિતિએ ઓછામાં ઓછાં 2,000નો વધારો કરવાની ભલામણ કરી હતી જે આર્થિક નિષ્ણાતોના મતે યોગ્ય હતી, કારણ આજના સમયમાં હજારનું પેન્શન તો મશ્કરી કે અપમાન કરવા બરાબર જ છે. કમનસીબે આ યોગ્ય ભલામણ નાણાં મંત્રાલયને અયોગ્ય લાગી ને તેને નકારી દેવામાં આવી. એ કેમ નકારવામાં આવી તેનો કોઈ ખુલાસો અત્યાર સુધી તો આવ્યો નથી, પણ આ બાબત કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે, શ્રમ મંત્રાલયની એટલી પાત્રતા નથી કે તે કોઈ વાજબી ભલામણ કરી શકે? ખાનગી કંપનીનાં નિવૃત્ત કર્મચારીને મળતું 1,000નું પેન્શન નાણાં મંત્રાલયને પૂરતું કઇ રીતે લાગ્યું? બે હજારનો વધારો એવો અજુગતો હતો કે તેને નકારવો જ પડે? હજારના પેન્શનમાં કોઈ નિવૃત્ત કર્મચારી જીવન નિર્વાહ સહેલાઈથી કરી શકે એટલી સોંઘવારી આ દેશમાં છે, ખરી? જો ના, તો નાણાં મંત્રાલયે આ ભલામણ નકારીને નિવૃત્તોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે કે બીજું કૈં?

એટલું સ્પષ્ટ જણાય છે કે બે મંત્રાલયો વચ્ચે કો-ઓર્ડિનેશન જેવું ઓછું છે. નાણાં મંત્રીની આ દેશના મધ્યમવર્ગીય લોકો અંગેની સમજ પણ સ્પષ્ટ નથી. 6 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિ એમને લોઅર મિડલ ક્લાસની લાગે છે ને બીજી તરફ પેન્શનમાં 2 હજારનો વધારો એમના મંત્રાલયને ફગાવવા જેવો લાગે છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. એક તરફ મંત્રીઓને અપાતો પગાર અને એમને મળનારું પેન્શન છે ને તેનાં ગંજાવર આંકડાઓ છે, બીજી બાજુએ અસહ્ય મોંઘવારીની સામે હજાર રૂપરડી પેન્શન સાથે મરવા વાંકે જીવી રહેલો નિવૃત્ત કર્મચારી છે. એક તરફ પેન્શન બધેથી કાઢતાં જઈને સરકાર જવાદારીઓમાંથી છટકી રહી છે ને બીજી તરફ મોંઘવારીની સામે વધી રહેલી આત્મહત્યાઓનાં વધતાં આવતા મોટા આંકડાઓ છે. આનાથી કોઈ સુખદ કે આનંદદાયક ચિત્ર નથી જ ઉપસતું. એક તરફ ગુલાબી ચિત્રો ઉપસાવાઈ રહ્યાં હોય ને બીજી તરફ ગરીબી અને મોંઘવારીને લીધે ગુનાખોરી વધતી આવતી હોય ત્યારે પ્રશ્ન થાય કે આઝાદીનો અમૃત મહોત્સવ, મૃત મહોત્સવની ગરજ તો નથી સારતોને?

બધેથી નીકળી રહેલું પેન્શન કોર્પોરેશન, વિધાનસભા અને સંસદમાંથી નથી નીકળ્યું. કેમ? એના સભ્યો વધારે ગરીબ છે, એટલે? પેન્શન નોકરી ન કરનારને પણ મળે એનો દાખલો રાજ્ય સરકારો અને કેન્દ્ર  સરકારો બેસાડતી ગઈ છે. સરકાર જાણે છે કે સાંસદો અને વિધાનસભ્યો નોકરિયાતો નથી, તેઓ સેવકો છે, પણ તેમને મહિને લાખોનો પગાર ચૂકવાય છે. પગાર ઉપરાંત અનેક ભથ્થાં ને વીજળી, પાણી, મુસાફરીની મફત સુવિધાઓ અપાય છે. એમાં હવાઈ મુસાફરી પણ શરતોને આધીન ખરી જ ! આ ઉપરાંત ટર્મ પૂરી થતાં સભ્યોને ભરપેટ પેન્શન અપાય છે. હાલમાં પેન્શન મેળવતા કર્મચારીઓની પચીસ ત્રીસ વર્ષની નોકરી થઈ હોય ત્યારે પેન્શન બંધાયું હોય છે, જ્યારે કોર્પોરેટર કે વિધાનસભ્ય કે સાંસદ જો 5 વર્ષની ટર્મ પૂરી કરે તો તેનું પેન્શન પાકું થઈ જાય છે. તેની ખૂબી એ છે કે કોર્પોરેટરની ટર્મ પૂરી થાય તો તેનું, તે જો વિધાન સભ્ય થાય તો તેનું ને જો સાંસદ તરીકે ટર્મ પૂરી કરે તો તેનું, એમ ત્રણ ત્રણ પેન્શન એક જ વ્યક્તિને મળવાં પાત્ર બને છે, શરત એટલી કે ટર્મ પૂરી થઈ હોવી જોઈએ. એની વિશેષતા એ પણ ખરી કે આ રીતે પેન્શન કે પગાર મળે તેનાં પર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. આવી રાજાશાહી ભોગવવા જ પાર્ટી સભ્યો સાંસદ કે વિધાનસભામાં બેસવા લાખોનું આંધણ કરે છે. આ રીતે આંધણ મૂકનાર બરાબર જાણે છે કે આ બધું તો ચપટી વગાડતામાં ફરી આવી મળવાનું છે. એ જ કારણ છે કે ગુજરાત વિધાનસભાની 182 સીટ માટે ચારેક હજારથી વધુ ઉમેદવારોનો મધપૂડો અત્યારે ચૂંટણીને બાઝ્યો છે.

તો, આ ચિત્ર છે. એક બાજુ ત્રીસ પાંત્રીસ વર્ષની નોકરી છતાં, નિવૃત્તિ પછી પેન્શનનો કોઈ લાભ ન મળે એની પેરવી ચાલે છે, જેમને મળે છે તેમને ય ભીખના ટુકડાની જેમ ફેંકાય છે ને બીજી તરફ એક જ વ્યક્તિ જો સરકારમાં સાંસદ થવા સુધી પહોંચે તો ટર્મ દીઠ તેને કોર્પોરેટરનું, વિધાનસભ્યનું અને સાંસદનું એમ ત્રણ ત્રણ પેન્શન કરમુક્ત રીતે મળવા પાત્ર બને છે. બંધારણમાં સમાનતાની વાત છે ને વાસ્તવિકતા એ છે કે  અસમાનતા જ ઠેર ઠેર નજરે ચડે છે. એકને ગોળ ને એકને ખોળ એમને એમ તો નહીં જ કહેવાયું હોય, ખરું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 નવેમ્બર 2022

Loading

બેવડી નોકરીનો કોને ભાર, કોને માર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 November 2022

અંગ્રેજી શબ્દ મૂનલાઈટનો અર્થ ચન્દ્રનો પ્રકાશ કે ચાંદની થાય. જે શીતળતા આપે પણ આજકાલ ચર્ચામાં છે તે મૂનલાઈટિંગ કે મૂનલાઈટર્સ શબ્દનો અર્થ ઉદ્યોગોને દઝાડનારો છે. મૂળે તો તેના હાલના અર્થમાં આ શબ્દો અમેરિકાથી આયાત થઈને પ્રચલિત થયા છે. અમેરિકનોમાં પૂરક આવક માટે બીજી નોકરીની તલાશ થઈ ત્યારે આ શબ્દ જાણીતો થયો. ભારતમાં અને કદાચ દુનિયાભરમાં ઉદ્યોગ-ધંધા કે કારખાનાં માત્ર ડેલાઈટિંગમાં એટલે કે સૂર્યપ્રકાશમાં જ કાર્યરત નથી હોતા. મૂનલાઈટિંગ એટલે રાત્રે પણ કામ જારી હોય છે. હાલમાં મૂનલાઈટિંગનો જે વિવાદ છે તે કોઈ કર્મચારી નિયમિત સમયની નોકરી પછીના સમયમાં કોઈ બીજું કામ કે નોકરી કરે છે તે અર્થાત્‌ બેવડી નોકરીનો છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો નિયમિત કામના કલાકો ઉપરાંત બીજાં કામો કરતાં જ હોય છે. જે ઉજળી નોકરીઓ કહેવાય છે ત્યાં પણ કેટલાંક બીજા કામો કરતાં હોવાનું જોવા મળે છે. શિક્ષકો નિયમિત અધ્યાપન કાર્ય કરવા ઉપરાંત ટ્યૂશન કરતાં જ હોય છે. કોઈ વાણિજ્યના અધ્યાપક કંપની કે પેઢીનું એકાઉન્ટનું કામ કરે છે. કમ્પ્યૂટર ઓપરેટર નોકરી કરવા સાથે બીજા સમયમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. વ્યાયામ શિક્ષક જિમમાં ટ્રેનર તરીકે કે સંગીત શિક્ષક ક્યાંક સંગીત વાધ્ય વગાડવા જતા હોય કે સરકારી કર્મચારી નોકરી પછીના સમયે પરિવારની દુકાન કે ધંધો સંભાળતો હોય તે સહજ મનાય છે. કોરોના મહામારી અને તાળાબંધી પછીના જે પદાર્થપાઠ મળ્યા તેના લીધે આઈ.ટી. અને ઈ.કોમર્સ ક્ષેત્રમાં બેવડી નોકરીનું ચલણ વધ્યું છે. તેને કારણે જ મૂનલાઈટિંગ શબ્દ અને તેના લાભાલાભની ચર્ચા ઉપડી છે.

મૂનલાઈટિંગ કે બેવડી નોકરી અંગે ભારતના ઉદ્યોગ જગતનું મંતવ્ય એક સમાન નથી. દેશની એક ટોચની આઈ.ટી. કંપનીએ તેના કર્મચારીઓને બેવડી નોકરી અંગે પહેલા સાવધાન કરતી નોટિસ આપી અને પછી તપાસ કરતાં બેવડી નોકરી કરતાં ત્રણસો કર્મચારીઓને એક ઝાટકે છૂટા કરી દીધા. બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી એક કંપનીએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટના મંત્ર સાથે એના કર્મચારીઓને બીજે નોકરી કરવાની છૂટ આપી દીધી છે. આઈ.ટી. અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી રાજીવ ચન્દ્રશેખરે પણ મૂનલાઈટિંગનું સમર્થન કર્યું છે. આમ  આ વિષયે મતમતાંતર પ્રવર્તે છે.

ગુજરાતીમાં કહેવત છે કે વહેલી પરોઢનું દળેલું અને જુવાનીનું રળેલું કામ આવે છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે દરેક વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે. કોવિડ મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓએ માનવીને વધુ રળવા અને માનવ મટી વસ્તુ બની પોતાનું ઉપયોગિતા મૂલ્ય વસૂલવા મજબૂર કર્યો છે. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી હતી. જેમને કમ્પ્યૂટર કે ઈન્ટરનેટ પર કામ કરવાનું છે તેવા આઈ.ટી. પ્રોફેશનલ્સ અને અન્ય માટે ફાજલ સમય ઊભો થયો તો જે આર્થિક તંગી ઊભી થયેલી તેના ઉકેલ માટે વધુ કમાવી લેવા લલચાવ્યા. તેને કારણે આઈ.ટી. સેકટરમાં મૂનલાઈટિંગ જોવા મળી રહ્યું છે. 

બેવડી નોકરીના તરફદારોનો મત છે કે કોઈ કર્મચારી તેની મહેનત અને પ્રતિભાનું ઉચિત મૂલ્ય ઈચ્છે તો તેમાં ખોટું શું છે ? વળી તેનો આશય પૂરક આવક મેળવવાનો અને વધુ સારી જીવનશૈલી અપનાવવાનો છે. જો તે આર્થિક રીતે વધુ સંપન્ન હશે તો ચિંતામુક્ત થઈને કામ કરી શકશે. તેની અસર તેની કાર્યક્ષમતા પર જોઈ શકાશે. કેન્દ્રીય મંત્રી પણ દેશના આત્મવિશ્વાસસભર યુવાનોને સ્ટાર્ટ અપ માટે તક આપવા ઉદ્યોગોને મૂનલાઈટિંગ પર પ્રતિબંધ જેવા બંધનો ન મૂકવા જણાવે છે. વિદેશોમાં જ્યાં મૂનલાઈટિંગ પ્રવર્તે છે તે દેશો આવક વધતાં વધુ કર મેળવીને ખુશ છે. એક અમેરિકી રિપોર્ટમાં બેવડી નોકરીના ચલણને લાભદાયી દર્શાવવામાં આવ્યું છે.

તેના કરતાં સાવ સામા છેડાની દલીલો મૂનલાઈટિંગના વિરોધીઓની છે. ભારતના કોઈ કાયદામાં સીધી રીતે બેવડી નોકરીનો બાધ નથી. પણ જો સરખા પ્રકારની નોકરી કે કામ હોય તો ગોપનીયતાનો પ્રશ્ન ઉદ્દભવે છે. કંપનીની અનુમતી વિના આ પ્રકારની નોકરી વિશ્વાસઘાત કે કંપની પ્રત્યેની નિષ્ઠાનું ઉલ્લંઘન છે. કર્મચારી તેની શારીરિક ક્ષમતા કરતાં વધુ કલાક કામ કરે અને તેને પૂરતો આરામ ન મળે તો તેની અસર તેના આરોગ્ય પર પડે છે. તેને કારણે તે બંને કામને સરખો ન્યાય આપી શકે નહીં. તે કામચોરી કરે તો ઉત્પાદન અને તેની ગુણવત્તા પર અસર પડે છે. વળી આ અનુચિત, અનૈતિક તો છે જ નોકરીની શરતોનો ભંગ પણ છે.

કર્મચારી તેના કામના નિશ્ચિત કલાકો પછી કંઈ પણ કરવા સ્વતંત્ર છે. તે તેના ફાજલ સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રો સાથે ગાળે, આરામ કરે કે કોઈ કામ કરે તેના પર કોઈ નિયંત્રણ લાદી શકાય નહીં. કર્મચારી કોઈ વેઠિયો મજૂર નથી કે તેના પર બીજી નોકરી નહીં કરવાની લક્ષ્મણ રેખા નોકરીદાતા મૂકી શકે. જ્યારે તેની આવક મર્યાદિત હોય અને ખર્ચ વધારે હોય તો તે બીજું કામ કરવા મુક્ત હોવો જોઈએ. ખરેખર તો નિયોક્તાએ એ વિચારવું જોઈએ કે તેના કર્મચારીને બીજા કામની આવશ્યકતા કેમ ઊભી થઈ ? શું તેને જીવનનિર્વાહ જેટલું વેતન મળતું નથી તેના કારણે તો તેને આવું કરવાની લાચારી ઊભી થઈ છે કે કેમ? તે વિચારીને મૂનલાઈટિંગના સવાલને આત્મખોજનો વિષય બનાવવો જોઈએ.

ફાજલ સમયમાં પૂરક આવક મેળવવા માટે કરવું પડતું કામ અને મૂનલાઈટિંગ કે બેવડી નોકરી વચ્ચેનો ભેદ પણ પારખવાની જરૂર છે. જો તેને મળતું વેતન જીવનનિર્વાહ માટે અપર્યાપ્ત હોય તો વેતન વૃદ્ધિ કેમ થઈ શકતી નથી ? વળી કરોડો હાથ રોજગારવિહોણા હોય અને દેશમાં બેરોજગારી ચરમસીમાએ હોય તો બેવડી નોકરીનું ઔચિત્ય કેટલું ? દીર્ઘ કામદાર-કર્મચારી લડતો પછી કામના નિશ્ચિત કલાકોનો અધિકાર મેળવી શકાયો છે. હવે ભલે કર્મચારીઓનો એક નાનકડો વર્ગ ખુદ જ તેનો ભંગ કરે પણ તેનાથી કામના આઠ કલાકના અધિકારની સાર્થકતા પર પણ સવાલો ઊઠી શકે છે. મધ્યમ વર્ગને એશોઆરામ માટે નહીં પણ ઘરના બે છેડા ભેગા કરવા જો બેવડી નોકરીનો ભાર વેઠવો પડતો હોય અને ઉદ્યોગપતિઓ તેને પોતાના પર માર તરીકે જોતા હોય તો સરકારે મૂનલાઈટિંગને અર્થવ્યવસ્થા માટે ઉપકારક કે સારી બાબત તરીકે મૂલવવાને બદલે તેના સઘળા પાસાંઓનો વિચાર કરવો ઘટે.

e.mail : maheriyachanu@gmail.com

Loading

...102030...1,2941,2951,2961,297...1,3001,3101,320...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved