Opinion Magazine
Number of visits: 9458506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદીના 75માં વર્ષે ભારત અને પાકિસ્તાનના અર્થતંત્રનું રોલર કોસ્ટર અણધાર્યા સંજોગોમાં ચકરાવા લે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 August 2022

લાંબા સમય સુધી પાકિસ્તાન આર્થિક રીતે ભારત કરતાં સદ્ધર દેશ રહ્યો છે, પણ છતાં ય આજે દિશાહિનતાનો શિકાર છે, જ્યારે ભારત પાસે બધું હોવા છતાં સાર્વત્રિક દૃષ્ટિકોણ ચુકાઇ જાય છે

1947ના ઑગસ્ટ મહિનાની એ રાતે વિધાતાએ બે રાષ્ટ્રોનાં નસીબ લખ્યાં, ભારત અને પાકિસ્તાન. આ ઘટના અનેકો વાર ચર્ચાઇ છે, ચર્ચાતી રહેશે અને તેને લગતા નવા નવા પાસાઓ પર આવનારા વિચારકો, બિનવિચારકો, કર્મશીલોથી માંડીને સરમુખત્યારો પોતાની રીતે વાત કરવાનું ચાલુ રાખશે. 75 વર્ષ બહુ લાંબો સમય ગાળો છે – આજે બન્ને રાષ્ટ્ર આગવી રીતે એક એવા મુકામ પર છે જ્યાં જવાબો છે તો સવાલો પણ છે. આમ તો આ વિષય એવો છે કે, ‘બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી …’ એટલે આપણે બહુ લાંબા ન થવાને બદલે અર્થતંત્રની દૃષ્ટિ આ રાષ્ટ્રો ક્યાં ખડા છે તેની પર નજર નાખીએ.

શરૂઆતી વર્ષોમાં તો ભારત અને પાકિસ્તાન બંનેની હાલત લગભગ સરખી હતી – અરાજકતા, ઉત્સાહ, પીડા, અસ્પષ્ટતા સાથે બંને રાષ્ટ્ર પગભર થવાના પ્રયાસ કરી રહ્યા હતા. પચાસના દાયકાથી બન્ને રાષ્ટ્રોમાં વહીવટી તંત્રના એવા બદલાવ આવ્યા જેને કારણે તેમના આર્થિક-સામાજિક કલેવર પર પ્રભાવ પડ્યો. ભારતમાં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે સામાજવાદનું મોડલ અપનાવ્યું તો પાકિસ્તાને લોકશાહીનું બાળ મરણ થવા દીધું, જનરલ અયૂબ ખાનની પાકિસ્તાની સરકાર પરની દાદાગીરી ચાલી ગઇ. આ ફેરફારને કારણે તાત્કાલિક આર્થિક ખાઇ ખડી ન થઇ પણ પાકિસ્તાન માટે સાંઇઠના દાયકામાં આર્થિક વિકાસનો જાણે ધડાકો થયો – ભલે એ વિસ્ફોટ જેટલો મોટો નહોતો પણ તમે માનશો ભારત ત્યારે હજી દુકાળ, ગગડેલું નાણું અને યુદ્ધની સુરંગો પરથી સલામત રીતે પાર નીકળાય તેની માથાકૂટમાં હતો. સિત્તેરના દાયકાના અંતે પાકિસ્તાનની પર કેપિટા જી.ડી.પી. ભારત કરતાં દોઢ ગણી હતી અને પશ્ચિમી દેશોનો તેને તગડો ટેકો હતો. આ તરફ ભારત ત્યારે ઇંદિરા ગાંધીની સરકાર હેઠળ ખાનગી મિલકતોના રાષ્ટ્રીયકરણમાં વ્યસ્ત હતો. ભારત પાસે પોતાનું ધન હતું પણ તેને હસ્તગત કરવું, તેને વ્યવસ્થિત કરવું, વગેરે મહેનત માગી લે તેવું કામ હતું. પાકિસ્તાન ભારત કરતાં આર્થિક રીતે સદ્ધર હતું એ વાંચીને જો તમારા નાટકું ટિચકું ચઢી ગયું હોય તો આ જાણી લો કે 75 વર્ષમાં માત્ર તે સમયે જ એટલે કે 1970માં જ પાકિસ્તાનની આવક ભારત કરતાં વધારે હતી અને તેની આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ હતી – એ પછી એ દિવસો પાકિસ્તાનના નસીબમાં નથી લખાયા. વળી બાંગ્લાદેશના ભાગલા પછી પાકિસ્તાનનાં નાણાનું મૂલ્ય ઘટ્યું અને થોડા સમય માટે પર કેપિટા આવક ઘટી. જ્યારે ભારત અને પાકિસ્તાને આઝાદીના 25 વર્ષ ઉજવ્યા ત્યારે પણ બન્ને લગભગ અડોઅડ હતા. પાકિસ્તાનમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મોટા પાયે થતું હતું અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફથી એકથી વધુ વાર નાણાંકીય સહાય મળી ચૂકી હતી. ભારતમાં રાજકીય ચહલપહલ વધારે હતી, આર્થિક સ્તરે બદલાવ તો આવતા હતા પણ મોટામસ દેશ માટે સ્થિરતા અને નોંધપાત્ર વિકાસ થોડા અઘરા હતા.

જ્યારે Y2Kનો વખત આવ્યો, ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનું ડિલાઇસન્સિંગ થયું અને કારગિલ યુદ્ધ બાદ પશ્ચિમી મહાસત્તા ગણાતા અમેરિકામાં 9/11ની ઘટના ઘટી પછી બંન્ને રાષ્ટ્રોના આર્થિક ભવિષ્યમાં બહુ મોટા વળાંક આવ્યા.  ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુધર્યા જેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની આર્થિક ભેદરેખા ઘેરી બની. 2000ના દાયકામાં ભારત એટલું મજબૂત બન્યું કે તેને ચીનના સ્પર્ધક તરીકે જોવાયું. ભારત માટે ચીન શત્રુ બન્યું તો પાકિસ્તાને તો રશિયા, ચીન અને યુ.એસ.એ. પાસેથી જેટલું મળે એટલું લેવાનું રાખ્યું – આખરે લાલચ નડી અને તેમના રાજકીય તાણાવાણા પર ભારે અસર પડી. દાયકા સુધી ચીન અને યુએસએ વચ્ચે સેતુ બન્યાની રૂએ પાકિસ્તાને ઘણા લાભ મેળવ્યા પણ તાજેતરના સંજોગોની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ સૈન્ય પાછું ખેંચી લીધું તે પછી તેને પાકિસ્તાનની લગીરેક પરવા નથી. આતંકવાદીઓ સાથેનો મેળ અને 10.886 બિલિયન ડૉલર્સના તગડા દેવાએ તો પાકિસ્તાનનો દાટ વાળ્યો જ છે પણ રાજકીય અસ્થિરતાએ જાણે ધાર પર ઉભેલાને ધક્કો મારી આપ્યો છે.

ભારતે છેલ્લા બે દાયકામાં વૈશ્વિક સ્તરે સર્વિસ એક્સપોર્ટર તરીકે પોતાનું ખાસ સ્થાન ખડું કર્યું છે તો વૈશ્વિક ટેક્નોલૉજી ડેવલપમેન્ટનો લાભ પણ ભારતે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં પોતાના યોગદાનથી મેળવ્યો છે. મિડલ-ઇસ્ટમાં લેબરની નિકાસને કારણે પાકિસ્તાનને પાછળ પાડી દેવામાં ભારતને સરળતા રહી. યુ.એસ.એ. સાથે ભારતના સંબંધો ચોક્કસ સુધર્યા પણ કાશ્મીરને મામલે જે થયું તે પછી વૈશ્વિક સ્તરે ભારતની છબી પ્રત્યે જરા સંદિગ્ધ નજર પણ કરાઇ. જો કે વૈશ્વિક સત્તા મનાતા મજબૂત દેશોએ ભારતને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું જેને લીધે અર્થતંત્ર પાકિસ્તાન કરતાં બહેતર બન્યું.

સામાજિક સ્તરે જોઇએ તો પાકિસ્તાન ગરીબી, નિરક્ષરતા, ભ્રષ્ટ સત્તાધીશો, ફુગાવો, બેરોજગારી, અવ્યવસ્થા, હિંસાના બનાવો, સ્ત્રી પુરુષમાં ભેદભાવ – પિતૃસત્તાક માનસિકતા જેવી સમસ્યાઓથી ભરપૂર છે. લાહોર, કરાચી કે ઇસ્લામાબાદ જેવા છુટાછવાયા શહેરોમાં આધુનિકતાનું એક સ્તર પથરાયેલું જોવા મળે, બૌદ્ધિક અને વૈચારિક કામ કરનારા પણ પાકિસ્તાનમાં છે જ પણ તેની સામે અરાજરકતા ફેલાવનારાઓની સંખ્યા મોટી છે. જે મુસલમાનો અલગ વિચારી શકે છે , કટ્ટરવાદી નથી તેઓ બીજા રાષ્ટ્રોમાં શિફ્ટ થઇ ચૂક્યા છે.

આ સામે ભારતની વાત કરીએ તો આપણે આર્થિક રીતે પાકિસ્તાન કરતાં બહેતર છીએ – બસ એટલું જ. બાકી આપણું અર્થતંત્ર અત્યારે ડામાડોળ છે, બેરોજગારીનો દર પણ વધતો રહ્યો છે અને વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો આપણે તળિયે છીએ. આપણે એક રાષ્ટ્ર તરીકે સમજવું રહ્યું કે એક કોમની બીજી કોમ સામે લડાવી મારવાથી મહાન દેશ નહીં બની શકાય. બંધારણીય અધિકારોથી અમુક નાગરિકોની દૂર રાખવાથી દેશનો વિકાસ નહીં થાય. ધ્રુવીકરણનું રાજકારણ આપણને પોસાય તેમ છે જ નહીં. આપણે આસપાસ જોઇ રહ્યા છીએ કે શ્રીલંકાની શું વલે છે તો પાકિસ્તાન કેવી હાલતમાં છે ત્યારે આપણે કૉલર ઊંચા રાખીને ખુશ થવાને બદલે આપણે ક્યાંક આંધળુકિયા કરીને અથવા તો સફળતાના ભ્રામક મદમાં એ સંજોગોમાં ન મુકાઇ જઇએ તેની કાળજી રાખવી જરૂરી છે.

બાય ધી વેઃ

એક તુક્કો એવો કરીએ  કે ધારો કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે સંબંધ સુધારવાનું નક્કી કરે તો શું થાય? હા પાકિસ્તાન તરફથી વધુ બદલાવની આવશ્યકતા છે. નૈતિક, સંવેદન, રાજકીય અને વ્યૂહાત્મક રીતે કાશ્મીરનો મામલો બહુ માઠી રીતે બિચકેલો છે પણ શું કેન્દ્ર સરકાર રાવલપીંડી અને ઇસ્લામાબાદના અગ્રણીઓને કોઇ વ્યવસ્થિત ઉકેલની દિશામાં વિચારતા કરી શકશે? શું પાકિસ્તાની વિચારશીલો સત્તાધીશોના હુંકારને અવગણી શકશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2022

Loading

સેનાપતિની સલામ

સુરેશ જાની|Opinion - Opinion|14 August 2022

આમ તો આપણે તેમને સલામ ભરવી જોઈએ. આ સત્યકથાના અંતે આપણે ભરવાના જ છીએ. પણ તેઓ સેનાપતિ હતા, તે માટે નહીં – તેમણે ભરેલી અભૂતપૂર્વ સલામી માટે.

ભારતીય લશ્કરની 8th Jammu & Kashmir Light Infantryમાંથી ૩૭ વર્ષની સેવા બાદ ૨૦૧૬ની ૩૦મી સપ્ટેમ્બરે, મેજર જનરલ તરીકે નિવૃત્ત થયેલા સોમનાથને હવે પછીનું જીવન કેવી રીતે જશે, એની કોઈ જ કલ્પના ન હતી. લશ્કરી મથકમાંથી માન સન્માન મેળવીને સરકારી ક્વાર્ટરના એર-કન્ડિશન્ડ બેડરૂમમાં સોમનાથને ઊંઘ આવતી ન હતી. પ્રવૃત્તિ સભર કારકિર્દીની વિવિધ ઘટનાઓ તેમના ચિત્તમાં ઉપરતળે થઈ રહી હતી. પણ એ બધાંની વચ્ચે વળી વળીને તેમના બહુ જ વ્હાલા (*)સૂબેદાર નિહાલસિંહની યાદ તેમને સતાવતી હતી. નિહાલસિંહે કારગિલ મોરચે દેશની સેવામાં આપેલું, પોતાના જાનનું સર્વોચ્ચ બલિદાન તેમના દિલને કોરી રહ્યું હતું. ‘આ બધી આરામદાયક સુવિધાઓ અને તગડું પેન્શન, નિહાલસિંહની શહાદતની આગળ ધૂળ બરાબર પણ નથી. એના જેવા હજારો જવાનોની આહૂતિ વિના આ બધી સુખ સગવડો મારા જેવા લોકો શી રીતે ભોગવી શકે?’

(*) – કાલ્પનિક પાત્ર

સવાર પડતાં તેમણે પત્ની ચિત્રાને પોતાનો સંકલ્પ જણાવી જ દીધો.

બને તેટલી જલદી હું દેશના દરેકે દરેક રાજ્યમાંથી નિહાલસિંહ જેવા, દેશને ખાતર મરી ફીટેલા જવાનોને સલામી આપવા નીકળી પડવાનો છું – સાયકલ પર.

ચિત્રાને નિહાલસિંહની નિષ્ઠા અને જિંદાદિલી માટે બહુ જ આદર હતો. પણ તે ઘરરખુ ગૃહિણીમાં વહેવારિક જ્ઞાન વધારે હતું. તેણે સોમનાથને સમજાવ્યું કે, ‘રસ્તે સાયકલ બગડે, તો સાવ દૂરની જગ્યામાં એની મરામત માટે સ્પેર પાર્ટ હોવા જોઈએ. બીજી એક સાયકલ પણ તૈયાર હોવી જોઈએ, જેથી મોટી મરામતની જરૂર હોય તેવા સંજોગોમાં યાત્રા અટકી ન પડે. વળી રહેવા / જમવાની સગવડનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ. હું અહીં ઘેર બેઠાં એકલી શું કરવાની? હું કારમાં બધો સરંજામ લઈ તમારી આગળ આગળ મુસાફરી કરીશ અને બધી વ્યવસ્થા કરતી જઈશ. કોઈ આપત્તિ આવી પડે તો હું એમાં તમને સહાય કરી શકું.’

લડાઈઓનું આયોજન તો સોમનાથની રગે રગમાં હતું જ. તેના ગળે પણ આ વાત ઊતરી ગઈ. તેના ઉપરી કોર કમાન્ડરને તેણે આ સંકલ્પની જાણ કરી. તેમણે પણ આ વાતને તરત વધાવી લીધી. પણ સાથે કહ્યું, “એમ ને એમ છાનામાનો વિદાય થઈશ તો લોકોમાં જાગૃતિ શી રીતે આવશે? હું એક નાનકડો સમારંભ ગોઠવીશ. એમાં બધાંની શુભેચ્છાઓ લઈને તમે બે જણ વિદાય થજો.”

૧૯ ઓક્ટોબરે સોમનાથ ઝા અંબાલા કેન્ટથી સાઈકલ પર એમની અફલાતૂન સફરે નીકળી પડ્યા. છ મહિના સાથે રહેવાની તૈયારીવાળા ડ્રાઈવર અને જરૂરી સાધન સામગ્રી લઈને એક કારમાં ચિત્રાએ પણ પતિને સાથ આપ્યો.

સોમનાથના પોતાના શબ્દોમાં –

“…. on the 19th of October I sat on my cycle saddle and took off to pay my homage to all the martyred soldiers of our country since Independence. I am paying this homage by paying two minutes for each fallen hero. And since the number of such heroes is close to 21,000, I have given myself the mandate of cycling 42,000 minutes on this journey. Another mandate I laid down for myself is to route myself through all the 29 states of our great nation because our fallen heroes come from every corner of the country. This is my symbolic homage to my brethren who didn’t have the privilege of retiring as I did. They made the supreme sacrifice before that.

I’m not on a publicity seeking mission nor on an adventure trip, nor on any record setting endeavour. Neither is my journey a touristy or a socialising trip. Mine is a kind of a pilgrimage, to honour our fallen heroes. This spirit of committed camaraderie must be upheld at all costs by us in the military, in spite of the pressures of a changing eco-societal environment around us. This is what sets us apart, the grain from the chaff.”

શરૂઆતમાં તો સોમનાથને આવનારા દિવસો અંગે આછો પાતળો ખ્યાલ જ હતો. પણ જેમ જેમ મુસાફરી આગળ ધપતી ગઈ, તેમ તેમ એક અનન્ય, લડાયક જુસ્સો સોમનાથની નસ નસમાં પ્રગટવા લાગ્યો. દેશના અવનવા વિસ્તારોના જાતજાતના અને ભાતભાતની ભાષા બોલતા લોકો સાથે ભળતાં લડાઈના જુસ્સાને ટપી જાય તેવો દેશભક્તિનો જુવાળ અને વતન માટેનો નિર્વ્યાજ પ્રેમ સોમનાથમાં ઊભરવા લાગ્યાં. જ્યાં રાતવાસો કરે ત્યાં ચિત્રાએ ઘર ઊભું કરી દીધું હતું. આમ દરેક જગ્યા સોમનાથને માટે વતન બનતી ગઈ.

ફેસબુકના મિત્રોએ તેમની યાત્રાના એકે એક ચરણને ઉત્સાહ અને પ્રેમથી સભર કરી દીધું. આખી યાત્રાનો સીલસીલો ત્યાં અકબંધ સચવાયેલો છે. મીડિયાએ પણ સોમનાથને પોંખવામાં અને નવાજવામાં ઉત્તમ સહકાર આપ્યો. આ યાત્રાના પ્રતાપે, સોમનાથની અંગત લાગણી અને મનોકામના તો પરિપૂર્ણ થયાં જ. પણ દેશવાસીઓમાં પણ લશ્કરી જવાનો માટે સન્માન અને પ્રેમની સરવાણીઓ ફૂટવા લાગી. સ્થાનિક નાગરિકો અને સરકારી / બિનસરકારી સંસ્થાઓએ આપેલ પ્રેમ, સત્કાર અને ઉત્તેજને સોમનાથ અને ચિત્રા ઝાની યાત્રાને ૨૯ ધામ યાત્રા બનાવી દીધી.  

●     સાત મહિના

●     ૨૯ રાજ્યો

●     ૧૨,૦૦૦ કિલોમિટર

●     ૨૧,૦૦૦ શહીદ થઈ ગયેલા જવાનોને સલામ  / શ્રધાંજલિ

૧૯ એપ્રિલ – ૨૦૧૭માં નવી દિલ્હીના ‘ઈન્ડિયા ગેટ’ માં આવેલ ‘અમર જવાન’ યુદ્ધ સ્મારકમાં શહીદ થયેલ અનામી સૈનિકને સલામી આપ્યા બાદ, બે એક આખરી મુકામો પછી સોમનાથની આ અમર યાત્રા પૂર્ણ થઈ છે.

આપણે આ સેનાપતિને બા-અદબ સલામ ભરીને વીરમીએ.

 

 

વીડિયો –
https://www.youtube.com/watch?v=qjSvQKicVQc
સાભાર –  Better India, Times of India, 
સંદર્ભ –
http://www.thebetterindia.com/96969/army-india-soldiers-veteran-martyrs/
http://www.indiatimes.com/news/india/meet-maj-gen-somnath-jha-a-retired-indian-army-officer-who-is-cycling-12-000-km-to-honour-fallen-soldiers-263963.html
https://www.facebook.com/somnath.jha.7545
http://www.ssbcrack.com/2017/03/major-general-somnath-jha.html
e.mail : surpad2017@gmail.com

Loading

મહેન્દ્રભાઈ મેઘાણી ગુજરાતની દીવાદાંડી હતા

રમેશ ઓઝા|Opinion - Opinion, Samantar Gujarat|14 August 2022

મહેન્દ્ર મેઘાણી ગયા. ગયા જૂન મહિનામાં તેમણે સોમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને જાણે કે શતાયુ થઈને ઉંમરને જીતવાનું લક્ષ કેમ પ્રાપ્ત કરી લીધું હોય એમ લક્ષ પ્રાપ્ત કરીને તેઓ બાજુએ ખસી ગયા. મહેન્દ્રભાઈ આખી જિંદગી લક્ષ સાથે જીવ્યા અને જરા પણ અહીંતહીં વિચલિત થયા વિના સાતત્યપૂર્વક પોતાના માર્ગે ચાલતા રહ્યા. લક્ષ હતું; ગુજરાતને માણસાઈ કેળવવા માટેનું વૈચારિક ભાથું પૂરું પાડવાનું. સારું વાંચન લોકો સુધી પહોંચશે તો લોકો વિચારતા થશે, શંકા કરતા થશે, પ્રશ્ન પૂછતા થશે, સારાસાર વિવેક કરતા થશે અને આપોઆપ કેળવાશે. પ્રજા નામના છોડને ગ્રીનહાઉસમાં ઉછેરવાનો ન હોય કે તેનાં બોનસાય કરવાનાં ન હોય, તેને મુક્ત રીતે ઉછેરવા દેવો જોઈએ અને તેમાં આપણું કામ ખાતર-પાણી આપવા પૂરતું જ હોય. પ્રજાને વિચારથી વંચિત રાખીને વાડે પુરવાની તો કલ્પના જ અસહ્ય છે.

મહેન્દ્ર મેઘાણીએ આખી જિંદગી પ્રજાનું વૈચારિક પોષણ કરવાનું કર્યું. વિચારનો પ્રચાર નહોતો કર્યો, વિચારનો પ્રસાર કર્યો હતો. પ્રચાર અને પ્રસારમાં જમીન-આસમાનનું અંતર છે. દાદા ધર્માધિકારી કહેતા કે વિચાર માત્ર અપૌરુષેય હોય છે. એ ગમે તેનો હોય એક વાર વ્યક્ત થયો કે પછી એ સમાજનો થઈ ગયો. સમાજ તેની સામે પ્રતિવાદ કરે, તેને પ્રતિસાદ આપે, તેને હજુ વધુ વિકસાવે, કેટલાક લોકો તેનાથી ડરે, તેનાથી લોકોને ડરાવે, તેનાથી લોકોને દૂર ભગાડે તો કોઈ એવા પણ હોય જે લોકોને વિચાર સુધી પહોંચાડે. મહેન્દ્રભાઈએ આખી જિંદગી લોકોને નરવા વિચાર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. સાતત્યપૂર્વક વિચલિત થયા વિના.

હમણાં કહ્યું એમ મહેન્દ્રભાઈ દરેક કામ લક્ષ સાથે કરતા. જીવનમાં શું કરવું અને પ્રજાને શું આપવું એ તો ખરું જ પણ એ કામ કેવી રીતે કરવું એનાં પણ ટાર્ગેટ હોય. ગુજરાતી વ્યવસાયી પ્રકાશકો કોઈ પુસ્તકની હજાર પ્રત વેચતા હાંફી જાય ત્યાં મહેન્દ્રભાઈ એક પુસ્તકની ૭૫ હજારથી એક લાખ પ્રત વેચી બતાવે. એ જ ગુજરાત અને એ જ ગુજરાતી પ્રજા. પાછું વેચાણ કર્યા પછી ન કહેવામાં આવે કે આની મેં લાખ નકલ વેચી છે, પુસ્તક પ્રકાશિત પણ ન થયું હોય અને હજુ તો કામ હાથમાં લીધું હોય એ પહેલાં સંકલ્પ કરે અને સંકલ્પ જાહેર કરે કે આની એક લાખ નકલ છાપવાની છે અને લોકો સુધી પહોંચાડવાની છે. મને યાદ નથી કે તેમનો કોઈ સંકલ્પ પૂરો ન થયો હોય. ‘અડધી સદીની વાંચનયાત્રા’ જેવાં ગંભીર પુસ્તકની ૭૫ હજાર નકલ તેમણે વેચી બતાવી હતી.

હું ‘સમકાલીન’માં હતો ત્યારે મહેન્દ્રભાઈ ઘરેઘરે વાંચન કરવા જતા. લોકમિલાપના પુસ્તકમેળા પછીનો બીજો ઉપક્રમ અને ‘મિલાપ’ ડાયજેસ્ટ પછીનો ત્રીજો ઉપક્રમ. જો હું ભૂલતો ન હોઉં તો ગુજરાતમાં પુસ્તકમેળા યોજીને પુસ્તકને વાચક સુધી લઈ જવાની શરૂઆત મહેન્દ્રભાઈએ કરી હતી. મહેન્દ્રભાઈ માત્ર તળ મુંબઈમાં પુસ્તકમેળો ન યોજે, મુંબઈના ઉપનગરોમાં પણ યોજે. માત્ર મુંબઈ અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં જ ન યોજે, નાનાં શહેરોમાં પણ યોજે. તો ૧૯૮૫-૧૯૮૯નાં વરસોમાં હું જ્યારે ‘સમકાલીન’માં હતો ત્યારે મહેન્દ્રભાઈ ઘરેઘરે વાંચન કરવા જતા. તેઓ શું વાંચવાના છે એ પહેલાં જણાવી દે અને પોતાના ઘરે બોલાવીને વાંચન માટે આમંત્રિત કરવા યજમાનોને ટહેલ નાખે. યજમાન વીસ-પચીસ સગાં-સ્નેહીઓને બોલાવે અને મહેન્દ્રભાઈ તેમની સમક્ષ પુસ્તક વાંચે. એ પછી ચર્ચા. મહેન્દ્રભાઈ આડકતરી રીતે કેમ વાંચવું એ પણ શીખાવડે. હ્રસ્વ-દીર્ધ, ઉ-ઊ, ઙ-ઞ, ઋ, સ-શ-ષ વચ્ચેનો ઉચ્ચારભેદ, કાનો, માત્રા, ઊલટી માત્રાવાળાં અંગ્રેજી ઉચ્ચારણો અને અવતરણચિહ્નોની સમજ આપે. સાત્ત્વિક વાંચન, શુદ્ધ ઉચ્ચારણ અને જીવનપાથેય આપનારી ચર્ચા. 

આમ મારા ‘સમકાલીન’ના દિવસો દરમ્યાન મહેન્દ્રભાઈ લાંબા સમય માટે મુંબઈમાં રોકાયા હતા ત્યારે મેં તેમના પેડર રોડ પરના કોઈ યજમાનના નિવાસસ્થાને એક ચર્ચા યોજી હતી. ચર્ચા માટે મેં મુંબઈના વ્યવસાયિક પ્રકાશકોને બોલાવ્યા હતા અને ચર્ચાનો વિષય હતો પુસ્તકોનું પ્રસારણ અને વેચાણ કેમ વધારવું. ચર્ચાનું સંચાલન યશવંત દોશીએ કર્યું હતું. એ ચર્ચામાં આર.આર. શેઠના માલિક ભગતભાઇ, નવભારત સાહિત્ય મંદિરના ધનજીભાઈ અને એન.એમ. ઠક્કરના માલિક હેમંત ઠક્કર હતા. મેં ચર્ચાની શરૂઆત કરતાં સવાલ કર્યો હતો કે મહેન્દ્રભાઈ કોઈ પુસ્તકની લાખ નકલ વેચી શકે તો વ્યવસાયિક પ્રકાશકો લાખ નકલ છોડો, દસ હજાર નકલ પણ ન વેચી શકે? માન્યું કે મહેન્દ્રભાઈ નફો રળવા માટે પુસ્તક નથી પ્રકાશિત  કરતા પણ તેઓ તે મફતમાં પણ નથી વેચતા. કોઈ પાસેથી દાન માગીને સસ્તા ભાવે પુસ્તકો બજારમાં નથી મુકતા. તેઓ તેમનું દરેક પ્રકારનું રોકાણ અને મહેનતનું રોકાણ પણ વાચકો પાસેથી વસૂલે છે. તેમનું મિશન મફતિયું મિશન નથી, સાત્ત્વિક ભાથાનું પણ એકંદરે વ્યવસાયિક મિશન છે. ઊલટો મહેન્દ્રભાઈનો સાત્ત્વિકતાનો આગ્રહ હોવાના કારણે વેચાણ ઓછું હોવું જોઈએ એની જગ્યાએ તેઓ વ્યવસાયિક પ્રકાશકો કરતાં ૮૦થી સો ગણું વધારે વેચાણ કરે છે. આનાં શું કારણો છે અને એનાં શું ઉપાય હોઈ શકે? મેં એવો પણ ખુલાસો કર્યો હતો કે અહીં થનારી ચર્ચા અક્ષરસઃ ‘સમકાલીન’માં છપાશે.

એ ચર્ચા અક્ષરસઃ ‘સમકાલીન’માં છપાઈ હતી અને તેનો સાર એ હતો કે નફો રળવા માગનારા લોકો પણ મોટાં લક્ષ સાથે કામ કરતા નથી. તેમનો વાચક ઉપર ભરોસો નથી. વાચક સુધી પહોંચવાની કોઈ યંત્રણા વિકસાવવામાં આવતી નથી એટલે વાચક (અંતિમ ગ્રાહક) ક્યાં છે તેની તેમને જાણ નથી. ગુજરાતમાં અને મુંબઈમાં પુસ્તક વિક્રેતાઓને ઊગવા દેવામાં આવતા નથી એટલે શાળા-કૉલેજો અને સાર્વજનિક ગ્રંથાલયોના ભરોસે ગુજરાતનો પ્રકાશન ઉદ્યોગ નભી રહ્યો છે અને તેમાં તેઓ ખુશ છે. આજે એ ચર્ચાને પાંત્રીસ વર્ષ થવા આવ્યા છે. એ દરમિયાન મહેન્દ્રભાઈએ ‘અડધી સદીની વાંચનયાત્રા’ની ૭૫ હજાર નકલ વેચી બતાવી અને વ્યવસાયિક પ્રકાશકોનો પ્રિન્ટ ઓર્ડર પાંચસો નકલથી ૩૦૦ નકલ પર આવી ગયો.

આ ફરક છે ધૂણી ધખાવીને બેઠેલા માણસોમાં અને ધંધો કરનારાઓમાં! નફાનું આકર્ષણ હોવા છતાં ખાનગી હાથ શિવધનુષ નથી ઊંચકી શકતા અને એક ફકીર ઊંચકી લે. હજુ એક ઉદાહરણ આપવું હોય તો સ્વામી અખંડાનંદનું આપી શકાય જેમણે સસ્તા સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી અને ગુજરાતમાં ઘરેઘરે ચિત્તને પોષણ પૂરું પાડનારું તેમ જ દેશી ઓસડિયાં જેવું કામનું સાહિત્ય ઘરેઘરે પહોંચાડ્યું હતું. ગુજરાતનું ઘડતર આવા ભેખધારીઓએ કર્યું છે. એ નાનાભાઈ ભટ્ટ હોય, ગિજુભાઈ બધેકા હોય, ત્રિભુવનદાસ પટેલ હોય, મગનભાઈ પટેલ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર, આણંદ) હોય, સ્વામી અખંડાનંદ હોય, નગીનદાસ પારેખ હોય, બેચરદાસ પટેલ હોય (ભગવદ્દગોમંડલ કોશકર્તા), રવિશંકર મહારાજ હોય, મહેન્દ્ર મેઘાણી હોય અને એવા બીજા અનેક.

મને ઘણી વાર વિસ્મય થાય કે ગાંધીજી પોતે એક સાથે અનેક કામ કરતા, પણ તેમના અનુયાયીઓ આગળ-પાછળ જોયા વિના આખી જિંદગી એક જ કામમાં ખર્ચી નાખતા. આ બળ, આ ધ્યેયનિષ્ઠા, આ જિદ ક્યાંથી આવતાં હશે! કબીરે કહ્યું છે એમ એકો સાધે સબ સધે સબ સાધે સબ જાય એને આ લોકોએ આત્મસાત કર્યું હતું. તેમની ચીવટ અને ચોકસાઈ એટલી કે આપણે આપણી નજરમાં વામણા લાગીએ. તેમની ચીવટનો એક પ્રસંગ મને યાદ આવે છે.

એક વાર હું ‘ચિત્રલેખા’નું એસાઈનમેન્ટ લઈને ભાવનગર ગયો હતો. મને ભાવનગર જિલ્લાના ગેઝેટિયેરની જરૂર હતી. એ દિવસ શનિવારનો હતો એટલે માહિતી ખાતાના અધિકારીઓ જીપ લઈને દીવ (દીવ શેને માટે એ તો સમજાઈ ગયું હશે) જવા અધીરા હતા એટલે અધિકારી સાહેબે મને કહ્યું કે પુસ્તકો ઉપર ક્યાં ય બોક્સમાં પડ્યાં છે એટલે સોમવારે આવો, અત્યારે સમય નથી અમે ઉતાવળમાં છીએ. એ દરમ્યાન વળી પટ્ટાવાળાને યાદ આવ્યું કે મહેન્દ્રભાઈએ પાંચ પ્રત અહીંથી મગાવી છે એટલે તેમની પાસે મળી જશે. હું લોકમિલાપની દુકાને ગયો તો ત્યાં મને એ પુસ્તક મળી ગયું. કિંમત અત્યારે યાદ નથી, પણ કિંમત કરતાં પચાસ રૂપિયા વધારે માગ્યા હતા, કારણ કે મહેન્દ્રભાઈએ પોતાના ખર્ચે તેનું ડબલ બાઈન્ડીંગ કરાવ્યું હતું. ગેઝેટિયેર પુસ્તકની માફક વાંચવા માટે નથી હોતાં, પણ રેફરન્સ માટે કામમાં આવે છે અને રેફરન્સ માટેનાં પુસ્તકોનાં બાઈન્ડીંગ જદલી ન તૂટે એવાં મજબૂત કરવામાં આવે છે. સરકારી કારકૂનો આ જાણતા નથી. ગોપાલભાઈએ (તેમના પુત્ર) મારા ચહેરા ઉપર થાક જોયો અને પામી ગયા કે હું આગલી રાતથી જમ્યો નથી. તેમણે આગ્રહથી રોકી રાખ્યો અને જમાડ્યા પછી જ રજા આપી. મહેન્દ્રભાઈ ભાવનગરમાં જે વિસ્તારમાં રહેતા હતા એ દીવાદાંડી રોડ. મહેન્દ્રભાઈ ગુજરાતની દીવાદાંડી હતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2022 

Loading

...102030...1,2901,2911,2921,293...1,3001,3101,320...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved