Opinion Magazine
Number of visits: 9669252
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈમ્પિરિયલ કનેક્શન

ભદ્રા વડગામા|Diaspora - Features|2 January 2023

માતાના મૃત્યુ પછી છ મહિને કચવાતા મને હેલન તેમનું માળિયું સાફ કરવા ગઈ. ધૂળ ચોટેલા પૂઠાનાં ખોખાંથી ભરેલું, મોટાંમોટાં લાકડાનાં પાટિયાથી બનેલું માળિયું હતું તે કરતાં નાનું લાગતું હતું. જાણે સ્મશાનમાં વેરવિખેર પડેલી ઠાઠડીઓ કરોળિયાનાં જાળાં વચ્ચે જેમતેમ તરછોડાયેલી પડી હોય એવું લાગતું હતું.

“દેખવું નહીં ને દાઝવું નહીં! કેટલું તથ્ય છે આ કહેવતમાં!” હેલને વિચાર્યું. “સમજી શકું છું કે માએ પોતાની પ્રિય વસ્તુઓને ફેંકી દેવાનું આમ જ ટાળ્યું હશે. ખેર, હવે એ બાબત પર અફસોસ કરવા કરતાં લાગી જા કામે, બહેન!” હેલને પોતાને સંબોધતાં વિચાર્યું.

ત્યાં તો તેની નજર ખોખાંની નીચે અડધી દબાઈ ગયેલી એક ઘઉંવર્ણી ચામડાની પેટી પર પડી. તેનો થોડો ભાગ જોઈ શકાતો હતો. હેલને મહેનત કરી તેને એક ભારી ખોખાની નીચેથી ખેંચી કાઢી.

‘’આમાં કંઈક સરસ હોવું જોઈએ!’’ વિચારતાં, આમે ય તેને માળિયાં સાફ કરવાનું કામ ગમતું નહોતું, એટલે બધું પડતું મૂકી હેલન પેટી લઈ નીચે ઊતરી. પેટી કોઈ અમલદારી ફાઈલો મૂકાય એનાથી થોડી મોટી હતી. તેના ચાર ખૂણે સ્ટીલની પટ્ટીઓ હતી. ધ્યાનથી જોતાં લોકની બાજુમાં પિત્તળની એક તકતી પર હેલને કંઈ લખેલું જોયું. કપડાના ટુકડાથી ઘસીને જોયું તો એના પર લખ્યું હતું :

Maria Pereira

26 King Edward’s Road

Hackney

London E9

“હમ્…! પરૈરા! આ તો પોર્ટુગીઝ નામ છે. મને ખબર નહીં કે મારી માનું કોઈ પોર્ટુગીઝ સગું હતું.” હેલનની વિચારમાળા ચાલતી રહી.

હેલન તેની માના વિશાળ દિવાનખાનાના સુંદર સુંવાળા ગાલીચા પર ગોઠવાઈ. ઘરમાં કોઈ હતું નહીં અને તેની સ્મશાનવત શાંતિથી થોડી ખમચાઈને હેલને ધ્રૂજતે હાથે તેના માથાની પીનથી લોક ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ વર્ષોથી કટાઈને પડેલા લોકે હેલનની કૂનેહભરી આંગળીઓને સાથ ન આપ્યો. એમ કંઈ નાસીપાસ થવાય? તરત જઈને તેના ડેડીના ટૂલબોક્સમાંથી હેલન લુબ્રીકન્ટ સ્પ્રે લઈ આવી. તેણે લોકના કાણાંમાં સ્પ્રે નાખ્યું અને નાની હથોડી બન્ને લોક પર હળવેથી મારી. તેણે ફરી એકવાર પીન વાપરી જોઈ અને આ વખતે પેટી ખૂલી ગઈ.

“હાશ!” હેલન ખુશ થતાં બોલી.

ટિશ્યુ પેપર જેવા કાગળમાં વીંટેલું કપડાં જેવું કંઈક પેટીમાં ખૂબ ચોક્કસાઈથી ગોઠવેલું હતું. કાગળ થોડો પીળો પડી ગયો હતો. હેલને ખૂબ કાળજીથી કાગળને ખોલ્યો અને કુતૂહલતાથી એમાં પડેલાં કપડાંને થોડીવાર સુધી જોયા કર્યું. ત્રણ કપડાં હતાં. ધીમેથી ત્રણે ય વસ્ત્રોને એણે ગાલીચા પર અલગ અલગ મૂક્યાં. એક હતી કાળી ભરેલી કોર વાળી પાતળા મલમલની સફેદ સૂતરાઉ સાડી. સાડીની ગડી વાળી હતી ત્યાં પીળી લીટીઓ દેખાતી હતી, પણ ક્યાંયથી ફાટેલી નહોતી. બીજી વસ્તુ હતી, જાડા અમેરિકન સૂતરની બનેલી નાળાવાળી સફેદ ઘાઘરી, અને ત્રીજી વસ્તુ હતી કાળું લાંબી બાંય અને ગળા સુધીનાં બટનવાળું પોલકું.

“એક પોર્ટુગીઝ સ્ત્રીએ આ ઇન્ડિયન કપડાં આટલાં જતનથી કેમ સાંચવી રાખ્યાં હશે?” હેલનને કૌતુક થયું. “શું મારીઆ ઇન્ડિયન હોઈ શકે?”

હેલનને એટલી તો ખબર હતી કે પોર્ટુગલનાં લોકો ઉપરાંત ઇન્ડિયાના પશ્ચિમ કિનારે પોર્ટુગીઝ સત્તા હેઠળ આવેલા ગોવાના લોકોએ પણ પોર્ટુગીઝ નામો અપનાવી લીધાં હતાં.

“એટલે કાં તો મારીઆના કુટુંબને ક્રિશ્ચિયન પાદરીએ આ નામ આપ્યું હશે, કાં તો એ કોઈ ગોરા પોર્ટુગીઝ પુરુષને પરણી હશે!” હેલનની વિચારમાળા સતત ચાલતી રહી. આ કોયડો ઉકેલવા માટે હેલન વધુ નિશ્ચિત બની.

હેલનને કોઈએ કહ્યું નહોતું કે એનું કોઈ વંશજ ઇન્ડિયન હતું, પણ હા, એ ઇંગ્લિશ હોવા છતાં પોર્ટુગીઝ લોકોની જેમ કેથોલિક હતી. તો શું મારીઆ એની વડ-નાની હતી? માબાપ તો ગુજરી ગયાં હતાં; નાનો ભાઈ કંઈ જાણતો હોય તેવી શક્યતા નહોતી, તો હવે પૂછવું કોને?

હેલને માળિયામાંથી મળેલી પેટીની વાત તેના પતિ હેરીને કહી, પણ તેણે ખાસ રસ ન બતાડ્યો, પણ જો હેલન ઈચ્છતી હોય તો વધુ શોધખોળ કરે એ એને ઉચિત લાગ્યું.

હવે હેલનને જ્યાં સુધી આ કોયડો ઉકેલાય નહીં ત્યાં સુધી ચેન પડવાનું નહોતું. એ તો ક્રોયડનથી છેક હેકની જઈ 26 King Edward’s Road પર પહોંચી ગઈ. તેના કમનસીબે જ્યાં નંબર ૨૬ હોવો જોઈએ ત્યાં ફ્લેટ્સ બંધાઈ ગયાં હતાં. આટલે દૂર આવ્યા પછી ખાલી હાથે પાછા વળવું હેલનના માનસમાં નહોતું. પૂછપાછ કરતી એ તો પહોંચી હેકનીની સ્થાનિક ઇતિહાસ લાઈબ્રેરી અને મ્યુઝિયમમાં. ત્યાંનો લાઈબ્રેરિયન એટિયેન જોન્સ હેલને ધાર્યા કરતાં વધુ મદદગાર નીવડ્યો.

“26 King Edward’s Road પર હાલ ફ્લેટ્સ છે, પણ પહેલાં ત્યાં શું હતું?” હેલને પૂછ્યું.

“તમે કોઈ ખાસ સાલની વાત કરોછો?”

“મને ખબર નથી પણ મારી મૃત માતાના માળિયામાંથી મને મળેલી આ પેટી પર આ તકતી છે. કોઈ તારીખ હોય તો મને ખબર નથી.” એટિયનને સાથે લાવેલી પેટી દેખાડતાં હેલને કહ્યું.

“અરે, વાહ! પેટી સાથે લાવ્યાં એ બહુ સારું કર્યું.” એટિયન વ્યવસાયિક કુતૂહલતા સાથે સ્મિત કરતાં બોલ્યો.

એટિયને પેટી ઊંધી ઉથલાવીને જોયું તો ચામડાની એક તકતી પર લખેલું હતું : Bears Legend GWH & Co. Ltd. 1920.

હવે હેલનની ઉત્સુકતા વધવા લાગી.

“મારી પાસે ૧૯૨૦ Kelly’s Street Directory છે, એમાં જોઈએ.”

હેલન પણ સાથે જોડાઈ.

“મળી ગયું.” હજુ એટિયન કંઈ બોલે તે પહેલાં હેલન જોરથી બોલી ઊઠી.

“આયાઝ હોમ!” હેલન અને એટિયન બન્નેએ મોટેથી વાંચ્યું.

“આયાઝ? આ આયાઝ કોણ હતી?” હેલને પૂછ્યું.

“ઇન્ડિયાના બ્રિટિશ શાસન દરમિયાન ઘણાં અંગ્રેજ કુટુંબો ઇન્ડિયા અને બ્રિટન વચ્ચે સ્ટીમરથી મુસાફરી કરતાં. મુસાફરી લાંબી હોવાથી સ્ટીમરમાં એમનાં બાળકોની દેખભાળ માટે તેઓ પગારદાર ઇન્ડિયન બાઈઓને સાથે લાવતાં. એમને આયા તરીકે બોલાવવામાં આવતી.” એટિયને સમજણ પાડી.

વધુ શોધ કરતાં એટિયને જોયું તો ૧૯૨૧ની Kelly’s Directoryમાં ૨૬ નંબરની નોંધ નહોતી.

“ચાલો, આપણે આ વિસ્તારના નકશાઓમાં જોઈએ કે તે પહેલાં ક્યાં સુધી ૨૬ નંબરનું મકાન હતું.”

પાછળનાં ઘણાં વર્ષો સુધી ૨૬ નંબર નકશાઓમાં હતો.

“પણ જો આયાઓ નોકરિયાત બાઈઓ હતી તો એ થોડી લંડનમાં ઘર લઈ શકવાની હતી? એ તો ભાડે જ રહેતી હશે ને? પણ તો કોઈ માલિક એને ‘આયાઝ હોમ’ એવું નામ કેવી રીતે આપે?”

હવે એટિયનને પણ આ વિષયમાં રસ પડવા લાગ્યો. મોટા ભાગે ઐતિહાસિક રીસર્ચ કરવાવાળાંને એ માંગે તે સામગ્રી પૂરી પાડવાનું કામ એ કરતો, તો ક્યારેક વળી ક્યાં શોધવું એની સલાહ એ આપતો. આ રીતની અંગત શોધખોળ કરવાવાળું હેકનીમાંથી ભાગ્યે જ કોઈ આવતું.

“તો પછી આ મકાનનો માલિક કોણ હતો?” એટિયનને આ શોધવા માટે સમયની જરૂરત હતી. એ વખતે હજુ ઈન્ટરનેટ એટલું વિકસીત નહોતું કે બધા જવાબ તરત મળી જાય.

“તમે એમ કરો,” એણે હેલનને કહ્યું, “હું બનતી મહેનત કરી શક્ય હશે તેટલી માહિતી એકઠી કરી તમને ફોન કરી, મળવાનું રાખીશ. પણ એક વાત પૂછું?”

“ચોક્કસ, બોલો.” સ્મિત સહિત હેલને કહ્યું.

“આ પેટી મારા મ્યુઝિયમાં મૂકવા માટે આપશો? વાજબી ભાવ નક્કી કરશું.”

“મને એની કિંમત નથી જોઈતી, આ પેટી તમારી, જો તમે મને મારીઆ પરૈરા કોણ હતી એ શોધી આપશો તો!”

“કબૂલ,” હસતાં હસતાં એટિયને કહ્યું અને બે દિવસનો વાયદો લઈ હેલને વિદાય લીધી.

આ બે દિવસો હેલનને બે મહિના જેવડા લાગ્યા. એના મનમાં જાતજાતના વિચારો ઘર કરી બેઠા. “શું ખરેખર મારામાં ઇન્ડિયન લોહી વહેતું હશે?” તેને તેનાં ચિબાવલાં સાસુમા યાદ આવ્યાં. ઓક્સ્ફર્ડ યુનિવર્સિટીનો ગ્રેડ્યુએટ એમનો દીકરો પોલિટેકનિકના ડિપ્લોમાવાળી છોકરીને પરણ્યો હતો તે તેમને ગમ્યું નહોતું, અને હવે જો એમને જાણ થશે કે મારામાં ઇન્ડિયન લોહી વહી રહ્યું છે તો તો તેમને શું ને શું થઈ જશે! અને એમાં જો મને બ્રાઉન સ્કિનવાળું બાળક જન્મ્યું તો? સાસુમાની હાલતના વિચાર માત્રથી હેલન હસી પડી.

પણ પછી એ પોતાની અંદર રહેલી ગડમથલનો વિચાર કરવા લાગી.

“મારાં એક પૂર્વજ ઇન્ડિયન હતાં તેની અસર મારા પર કેવી પડશે? શું હું મારીઆનાં સગાંને શોધવા ઇન્ડિયા જઈશ? ખરેખર મજા પડશે. પણ મારો ભાઈ તો એમ કરતાં મને રોકવાનો જ એની મને ખાતરી છે, અને હેરી તો સાવ તટસ્થ બની કહેશે, ‘તને ઠીક લાગે તેમ કર.’ મારા પર આ વાતની કેટલી ઊંડી અસર પડવાની એ બાબતથી એ સાવ અસાવધ જ રહેશે.

ત્યાં તો એટિયનનો ફોન આવ્યો કે તેને વધુ માહિતી મળી છે એટલે હેલને તેને મળવું.

ખૂબ ઉત્સુકતાથી હેલન હેકની પહોંચી.

“આ આયાઝ હોમના માલિક હતા London City Mission”, એટિયને હેલનને એ મિશનનું એક મેગેઝિન આપ્યું. ૧૯૨૨ની એ કોપીમાં Ayah’s and Amah’s Home શિર્ષક હેઠળ લખેલો લેખ હતો.

એ લેખનું પાનું ખોલતાં પહેલાં હેલનનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો; એક અજાણી બીકે એ ધબકાઈ ગઈ હતી. A.C. Marshallનો લખેલો લેખ એ ધ્રૂજતે હાથે પકડીને વાંચી રહી. મિસીસ એન્થની પેરૈરાનો એમાં ઉલ્લેખ હતો. “શું મિસીસ પેરૈરા એ જ મારીઆ હશે?” હેલનની ઉત્સુક્તા વધતી જતી હતી. લેખમાં મિસીસ પેરૈરાને એક અતિ કાબેલિયત અને વિશ્વાસપાત્ર આયા તરીકે વર્ણવી હતી. એ ફક્ત બાળકોની જ નહીં, પણ મેમસાબની તેમ જ તેમનાં પેટીપટારાંની પણ સંભાળ લેવામાં નિષ્ણાત હતી.

એનું વર્ણન લેખકે આ રીતે કર્યું હતું : એ જરા શ્યામ વર્ણની હતી અને એની ચામડી ઝાડ પરથી ખરી પડી, ચીમડાઈ ગયેલાં સફરજન જેવી કરચલીઓવાળી હતી. એના ચહેરા પર સ્મિત છવાયેલું રહેતું. આત્મવિશ્વાસની દૃઢતા મોઢા પર હોવા છતાં ય એના વ્યક્તિત્વમાં એની કોમળતા અને માતૃત્વ ભાવના પરખાઈ આવતાં હતાં. એ ધીમા મીઠા અવાજે બોલતી હતી. એની નાની કાળી આંખોમાં એની માનસિક ચતુરાઈ ડોકિયાં કરતી હતી. એણે ઓછામાં ઓછી ૫૪ વાર ઇન્ડિયા અને બ્રિટન વચ્ચેની તોફાની દરિયાઈ મુસાફરી કરી હતી. એની પાસપોર્ટ પ્રમાણે એ વિધવા હતી. સોળ વર્ષની ઉંમરે એ પરણી હતી અને અત્યાર સુધીમાં ઘણાં છોકરાંની દાદી/નાની હતી.

“૫૪ વાર?” હેલને એટિયનને પૂછ્યું, “એ શક્ય છે?”

“હા, આ જુઓ,” રોઝિના વિસરામનું Asians in Britain : 400 years of historyના પુસ્તકમાં લખેલા આયા વિશેના વર્ણન તરફ અંગૂલીનિર્દેશ કરતાં એટિયને કહ્યું.

“આ આયાઓમાં કોઈક કુંવારી છોકરીઓ હતી, તો કોઈક પરણેલી, વળી કોઈક તો પોતાનાં બાળકોને દાદી પાસે છોડી પૈસા ખાતર આ નોકરી સ્વીકારી લેતી. અને હેલન, કોઈક તો દાદીમા પણ હતી.”

“પણ મને સમજાતું નથી કે તેમને રહેવા માટે આયાઝ હોમની જરૂર કેમ પડી હશે? તેમનાં શેઠશેઠાણી સાથે એ કેમ નહોતી રહેતી?”

“આ આયાઓનો કોન્ટ્રાક્ટ એક મુસાફરી પૂરતો જ હતો, તેમને પાછાં મોકલવા માટે એના શેઠ બંધાયેલા નહોતા.”

“ખરેખર? એ તો કેટલું ગેરવાજબી ગણાય!”

“હાસ્તો ને! એટલે જ અમુક બિચારીઓ પાસે પાસે જ્યારે પાછા જવા માટે પૂરતા પૈસા ન હોય અને એમને ઈંગ્લન્ડથી ઇન્ડિયા જતાં કુટુંબ સાથે પાછા જવાની નોકરી ન મળે ત્યારે અહીં ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં નજીવા પગારે ‘વર્કહાઉસીઝ’માં તેઓ કામે લાગી જતી અને આ રીતે ગરીબાઈમાં તેમને બ્રિટનમાં થોડાં વર્ષો કાઢી નાખવાં પણ પડતાં.

આવી સ્ત્રીઓની દુર્દશા જોઈને જ લંડન સિટી મિશને આયાઓ માટે ૨૬ King Edward’s Road પરનું એક મોટું મકાન ખરીદી લીધું અને તેમાં ૩૦ ઓરડાની સગવડ કરાવી ૧૦૦ આયાઓને રહેવાની જગ્યા બનાવી આપી. આ મકાનમાં ઇન્ડિયન ઉપરાંત જાવા, ચીન અને સિલોનની આયાઓ પણ હતી. મિસીસ પેરૈરાની આવડતને લીધે એને તરત નોકરી મળી જતી હશે એટલે જ એણે ૫૪ જેટલી મુસાફરીઓ કરી હશે.”

હેલને જોયું કે રોઝિનાના પુસ્તકમાં આપેલા ફોટામાં આયાઓેએ પહેરેલાં કપડાં મારીઆની પેટીમાંથી નીકળેલાં કપડાં જેવાં જ હતાં. એને થયું કે કદાચ આયાઓનો આ યુનિફોર્મ હોઈ શકે.

“એટિયન,” આંખોમાં થોડી હતાશા સાથે હેલન બોલી, “મને આયાઓનાં જીવન અને કામ વિશે ઘણું જાણવા મળ્યું પણ આ મારીઆ એ જ મિસીસ એન્થોની પેરૈરા છે એ કેવી રીતે સાબિત કરશું?”

“એક શક્યતા છે. જો મિસીસ પેરૈરા અહીં મૃત્યુ પામી હશે તો કદાચ એના મૃત્યુની નોંધ King Edward’s Road પર આવેલા St. John the Baptist Roman Catholic Churchમાં હોય પણ ખરી. હું ફોન કરી પૂછી જોઉં છું કે જો ત્યાંના વિકર આપણને મળી અને મરણનોંધો બતાવી શકે તો આજે બપોરે જ ત્યાં જઈ આવીએ.”

એટિયનને પણ હવે આ કોયડો ઉકેલવામાં રસ પડ્યો હતો. આખરે ઐતિહાસિક બાબતોની શોધખોળ જ એનો વ્યવસાય હતો.

લન્ચ લઈ બન્ને પહોંચ્યાં ચર્ચમાં. ભાગ્યજોગે વિકર ત્યાં હાજર હતા.

“તમને કયા વર્ષની નોંધો જોવી છે?” વિકરે પૂછ્યું.

હેલન અને એટિયન એકબીજા સામું જોઈને એકસાથે બોલી ઊઠ્યાં, “એ જ અમને નથી ખબર.”

“એમ કરો, ૧૯૨૦ની સાલથી શરૂ થતી નોંધો અમને આપો. અમે દશેક વર્ષની નોંધો જોઈ લઈશું.” એટિયને કહ્યું.

પછી બન્ને મંડી પડ્યાં. બપોર પૂરી થવા આવી હતી અને દશ વર્ષની નોંધોમાં ક્યાં ય મારીઆ પેરૈરા ન મળી.

“હવે શું કરવું છે?” એટિયને હેલનને પૂછ્યું.

“થોડાં બેચાર વર્ષની નોંધો જોઈ કાઢીએ?” હેલને સામો પ્રશ્ન કર્યો.

“ભલે.”

થોડી વાર પછી એટિયનનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો. “હેલન, અહીં આવો, જુઓ મને શું જડ્યું!”

ડિસેમ્બર, ૧૨, ૧૯૩૨ની નોંધ હેઠળ લખ્યું હતું :

સદ્ગત વ્યક્તિનું નામ : મારીઆ – સદ્ગત શ્રી એન્થોની પેરૈરાની પત્ની

મૃત્યુનું કારણ : ન્યૂમોનિયા

સરનામું : 26 King Edward’s Road, Hackney, London E9.

બાળકો : એન્થોની (જુનિયર), જોન, ટેરેઝા, લિલિયન, વિલિયમ, ફિલિપ.

“ઓહ માય ગોડ!” હેલન ચિત્કારી ઊઠી. “લિલિયન તો મારી નાનીમાનું નામ હતું.”

વિકરનો આભાર માની બન્ને બહાર નીકળ્યાં.

“એટિયન,” ગળગળા અવાજે હેલન બોલી, “તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે! તમે તો મારા જીવનની રાહ બદલવામાં નિમિતરૂપ બન્યા છો. આ મહેનતનો કર હું ક્યારે ય ચૂકવી શકીશ નહીં.”

“પણ હું જાણું છું બદલો કેમ વાળી શકો છો!” હેલનના હાથમાં પકડેલી પેટી પર નજર નાખતાં હસતાં હસતાં એટિયને કહ્યું.

“અરે, હું તો સાવ ભૂલી ગઈ હતી. લો આ પેટી, અને મારાં વડ-નાનીમાનું યુનિફોર્મ પણ એમાં છે.”

ઘેર પાછાં વળતાં વળતાં હેલનનું મન વિચારોના વમળમાં ભમ્યા કર્યું. એક આખી નવી દુનિયા એના માટે ખુલ્લી ગઈ હતી.

“શું હું એમાં ઘૂમી શકીશ?” અને મનોમન ખુશ થતી એ હસી પડી.

૨૯/૦૮/૨૦૨૦
e.mail : bv0245@googlemail.com

Loading

જે ઘરમાં હો સાસુ-વહુ, ત્યાં હોવાના પ્રશ્નો બહુ. 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 January 2023

આપણા સમાજમાં સાસુ જુલમી અને વહુ શોષિત-પીડિત ગણાઈ છે. સાસુ લડાક જ હોય અને વહુ જુલમ વેઠવા જ જન્મી હોય એ પ્રકારની ફિલ્મો પણ ઘણી આવી છે. એવી આખી એક પરંપરા ઊભી થઈ જેમાં સાસુ, વહુને ત્રાસ આપવા જ હોય અને વહુ તો બિચારી ભલી ભોળી અને સાસરિયાંનો માર ખાવા જ હોય.  એવું વાર્તા, કવિતા, નાટકોમાં પણ ચાલ્યું. એમાં સત્ય ન હતું એમ નહીં, પણ એટલું જ હતું એવું પણ નહીં. આમ થયું એમાં સમાજ અશિક્ષિત, અભણ હતો, એ મુખ્ય કારણ હતું. નવી વહુ આવી હોય તો તેનાં ભરણપોષણની જવાબદારી એ સંયુક્ત કુટુંબનાં વડીલની રહેતી. એમાં વડીલ અભણ હોય ને સાસુવહુ પણ અભણ હોય અને દીકરો થોડું ઘણું ભણેલો અને કામધંધો કરનારો હોય એવું ઘણું ખરું જોવા મળતું. પતિ ન કમાતો હોય તો બધો આર્થિક બોજ સસરા પર જ આવી પડતો. પતિ કે સસરા વ્યસની હોય એવું પણ બનતું. એથી આર્થિક અને આરોગ્યની જવાબદારીઓમાં વધારો જ થતો. આવી સંકડામણમાં વ્યસની પતિ કે સસરો ગુજરી જતો તો એ બધું જ વહુનાં આગમનને આભારી ઠરતું ને પરિણામ વહુની વધુને વધુ કનડગતમાં જ આવતું. ટૂંકમાં, વહુ અનેક રીતનાં શોષણનું નિમિત્ત જ બનતી.

એ પછી સમાજ શિક્ષિત થવા લાગ્યો. કન્યા કેળવણીનો મહિમા પણ વધ્યો. એને પરિણામે સ્ત્રીઓ ભણતી, નોકરી-વ્યવસાય કરતી થઈ. અનેક કોર્પોરેટ હાઉસિસ ચલાવતી થઈ. એથી એવું પણ બન્યું કે સ્ત્રીઓ લગ્નને નકારતી થઈ કે મોટી ઉંમરે પરણતી થઈ. કેરિયર જ્યાં કેન્દ્રમાં આવી ત્યાં લગ્ન નકારાયાં અથવા તો પાછળ ઠેલાયાં. લગ્ન, બાળઉછેર જેવી જવાબદારી સ્ત્રીને કારકિર્દી બનાવવામાં નડતરરૂપ લાગી. તે કેરિયર ઓરિએન્ટેડ થઈ. લગ્નને વિકલ્પે તે લિવ ઇન-રિલેશનશિપમાં માનતી પણ થઈ. તે એટલે કે એમાં જવાબદારીનું ભારણ ખાસ ન હતું. એના લાભ મળ્યા, એમ જ ગેરલાભ પણ મળ્યા. જો કે, અનેક પ્રશ્નો હોય તો પણ, લગ્ન સંસ્થાની બોલબાલા આજે પણ છે જ તેની ના પાડી શકાશે નહીં.

એ ખરું કે નોકરી કરતી વહુનું જુદું જ સ્ટેટસ ઘરમાં ને બહાર પણ છે. નોકરી-વ્યવસાયને કારણે તેનાં માનપાન ઘણાં ઘરોમાં વધ્યાં પણ છે, છતાં ઘરકામની તેની જવાબદારી ઘટી નથી. છોડવાની હોય તો નોકરી, ઘરકામ વહુ પાસેથી લગભગ છોડાવાતું નથી. નોકરી અને ઘરકામ ચોંટેલાં હોય એ સ્થિતિમાં ઘરમાં સંતાનની પધરામણી પણ મોડી થતી થઈ છે. એ કારણે વહુએ સંભાળવાનું ને સાંભળવાનું વધે છે. નોકરીને કારણે ઘરે આવવામાં વહેલુંમોડું થાય તો તે વાત સીધી વહુના ચરિત્ર સાથે સંકળાય છે ને કુટુંબને ટીકા કરવાનું બહાનું મળી જાય છે. દીકરી પણ નોકરી કરતી હોય તો તેનાં મોડાં વહેલાં આવવા અંગે એટલી પંચાત નથી થતી, પણ ઘરની વહુ મોડી પડે તો તેણે અનેક શંકા કુશંકાઓનો સામનો કરવાનો આવે છે અને બને છે એવું કે ઘરની દીકરી કોઈ સંબંધમાં હોવાનો અણધાર્યો આઘાત કુટુંબને આપતી હોય છે. બધે જ આવું છે, એવું નથી, પણ દીકરી અને વહુ વચ્ચે સમાન વ્યવહાર કુટુંબોનો ઓછો રહે છે ને એનાં પરિણામો છેવટે તો કુટુંબે જ ભોગવવાનાં આવે છે.

એ સમજી શકાય એવું છે કે ઘરની વ્યક્તિઓ માટે કુટુંબને વિશેષ લાગણી હોય છે. એક પ્રકારનું મમત્વ કે વાત્સલ્ય હોય છે ને એ સ્વાભાવિક પણ છે, પણ એમાં ય ભેદ હોય છે. ભાઈને માટે હોય એટલી લાગણી બહેન માટે કુટુંબને અપવાદરૂપે જ હોય છે. તે એટલે કે કુટુંબ એવી માનસિકતા બનાવીને બેઠું હોય છે કે દીકરી તો સાસરે જવાની છે ને તે તો બીજાનો વંશ વધારવાની છે. તે કૈં પિયરને કામ લાગવાની નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે, કારણ એ વ્યવસ્થા સમાજે જ ઊભી કરી છે કે દીકરી પરણે એટલે સાસરે જાય. એ વ્યવસ્થા દીકરીએ ઊભી કરી નથી. જો દીકરી, એ વ્યવસ્થા ઊભી કરતી ન હોય તો નાનેથી દીકરી-દીકરાના ઉછેરમાં ભેદ શું કામ હોવો જોઈએ? જો દીકરી બીજાનો વંશ વધારવા સાસરે જતી હોય  હોય ને તેથી તેનાં તરફ ઓછી લાગણી બતાવાતી હોય તો વહુ માટે વિશેષ ભાવ કેમ નથી બતાવાતો? તે તેનું ઘર છોડીને વંશ વધારવા સાસરે આવી છે તો તેને માટે વિશેષ ભાવ હોવો જોઈએ, એવું નહીં? પણ, એવું થતું નથી. તે તો મોટે ભાગે સાસરે હડધૂત જ થતી હોય છે. શિક્ષણ ને સમજ વધતાં આ સ્થિતિમાં થોડો ફેર પડ્યો છે, પણ હજી ક્યાંક દીકરી અને વહુ વચ્ચે કુટુંબ સૂક્ષ્મ અંતર રાખતું હોવાનું અનુભવાય છે, કુટુંબ જે અંતર દીકરા અને દીકરી વચ્ચે રાખે છે એ જ ભેદ કદાચ દીકરી અને વહુ વચ્ચે પણ રાખે છે.

એમાં ચમત્કારિક ફેરફાર દીકરીનાં લગ્નથી આવે છે. દીકરી તેને સાસરે જાય છે એ સાથે જ મા માટે તે રાતોરાત મહાન થઈ જાય છે. જે ભાઈની તુલનામાં ક્યાં ય ન હતી તે બહેન પરણે છે કે પિયરનું માન તેને માટે વધી જાય છે. જે દાદી માટે તે પથરો હતી, તે દાદી તેનાં ગુણગાન ગાતાં થાકતી નથી. જે મા સૌથી વધુ ઠપકારતી હતી, તે તેની યાદમાં આંસુ સારતી રહે છે. પિતાને વખતોવખત ચીજવસ્તુઓ, દવાઓ એકી બૂમે હાજર કરતી હતી તે પિતાને પણ કશું નથી મળતું કે જડતું ત્યારે દીકરીની ખોટ લાગે છે. એ પછી દીકરો પરણે છે ને વહુ ઘરમાં આવે છે તો એક નારી પાત્રને ઘરમાં વધાવવાનું તો બને છે, પણ એ વધામણી લાંબી ટકતી નથી. ધીમે ધીમે વહુના વાંક દેખાવા લાગે છે. પિયરમાં કોઈ કેળવણી મળી જ નથી ને માબાપે એમ જ મોટી કરી દીધી છે – જેવું વહુને સંભળાવાયા કરે છે. એવું જ સાંભળવાનું જે દીકરી પરણીને ગઈ છે એને સાસરે પણ આવતું જ હોય છે ને જે ઘરમાંથી વહુ સાસરે આવી છે એ ઘરની વહુને પણ એ જ વીતે છે. હાલત ‘ઘેર ઘેર માટીના ચૂલા’ જેવી જ થાય છે. બહુ ફરક હોતો નથી. લગભગ દરેક સાસુ, વહુ આગળ દીકરીને તો વખાણતી જ રહે છે ને એમ કરીને વહુમાં જે ખૂટે છે તે ચીંધી પણ બતાવતી રહે છે. આમ તો દીકરી પિયરમાં હતી ત્યારે કૈં એવી વિશેષતા તેનામાં જણાઈ ન હતી, પણ વહુને નીચી પાડવા ગેરહાજર દીકરીનો સાસુ ઉપયોગ કરી લેતી હોય છે, બાકી, દીકરી એને સાસરે કેટલી પોંખાતી હશે તે તો તેનું મન જ જાણતું હશે. એમાં સિવાય પીડા, હાથમાં કૈં આવતું નથી, પણ ખોટનો ધંધો બધાં જ કરતા રહે છે. એને જ ઘણાં તો સંસાર કહે છે ને એમાં તો એમ જ હોય એમ પણ મનાતું રહે છે. એમ જ શું કામ હોય એવો સવાલ બહુ ઓછાંને થાય છે ને જેમને થાય છે તે વિચારે છે કે બદલવા મથે છે ને થોડું ઘણું બદલાય પણ છે, પણ એની ગતિ બહુ ધીમી હોય છે.

બહુ ધીમો પણ સુધારો આવ્યો તો છે જ. સાસુ, દીકરીની જગ્યા વહુને આપતી થઈ છે. વહુ પણ સાસુમાં માને જોતી થઈ છે. એવાં ઘણાં ઘરો છે જ્યાં વહુ નોકરીએ ગઈ હોય ને ઘરનું કામ સાસુએ ઉપાડી લીધું હોય. એક સમય હતો જ્યારે વહુને નોકરીની છૂટ ન હતી ને ભણેલું ઘરકામ ને બાળઉછેરમાં જ ખોઈ નાખવાનું થતું અથવા તો તે વહુની જ ગરજ હોય તેમ તેને ઘરકામ પતાવીને જ નોકરી કરવાની છૂટ મળતી હતી, પણ હવે વાત બદલાઈ છે. સાસુ, વહુની સગવડો સાચવતી થઈ છે ને ઘરકામ હવે સંયુક્ત જવાબદારીની રીતે ઉપાડી લેવાય છે. રજાના દિવસોમાં વહુ પણ સાસુને આરામ આપવા મથે છે. ક્યારેક ચણભણ પણ થાય, પણ સરવાળે તો સાસુ-વહુ એકબીજાને સમજતી-સાચવતી થઈ છે.

કોણ જાણે કેમ પણ આપણને ઈર્ષા, નિંદા, ફરિયાદ વગર ચાલતું જ નથી. એના વગર પણ આનંદથી રહી શકાય, પણ એવું બહુ ઓછું જ જોવા મળે છે. આપણો ઘણો બધો સમય, કૂથલીમાં જ પૂરો થતો હોય છે. એ સ્ત્રીઓ-સ્ત્રીઓ વચ્ચે જ ચાલે છે એવું નથી. પુરુષો-પુરુષો પણ મોટે ભાગે તો એ જ ધંધો કરતાં હોય છે. આપણે વાતો તો મોટી મોટી કરતાં હોઈએ છીએ, પણ રોજિંદા વ્યવહારમાં આપણને નિંદા વગર ભાગ્યે જ ચાલે છે. આપણને ખબર હોય છે કે એમ કરવાથી કૈં જ હાથમાં આવતું નથી, પણ ટીકા, નિંદા વગર આપણને ખાવાનું પચતું નથી. એ ટીકા કે નિંદા સાચી હોય તો ય સમજ્યા, પણ એવું ય હોતું નથી. એમ જ એ ન ચાલવો જોઈતો કારભાર ચાલ્યા કરે છે. જો કે, એટલું થયું છે કે કેટલાંક કુટુંબો સાચી રીતે જીવતાં, એકબીજાને સમજતાં, સાચવતાં થયાં છે. એ સારી નિશાની છે. પોતાનામાં ઊગતા આનંદનું કારણ મોટે ભાગે સામેથી આવતું હોય છે, એટલું સમજાય તો સામે ઊગતા આનંદનું નિમિત્ત, આપણે પણ હોઈ શકીએ. એટલું થાય તો કેટલી બધી રાહત સૌને મળે એ કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 01 જાન્યુઆરી 2023

Loading

બંધારણબાહ્ય કૉલેજિયમ સિસ્ટમ વિકલ્પહીન છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 January 2023

બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨)માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશના પરામર્શ પછી કરવાની હોય છે. આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી. ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી.  બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.

આ જોગવાઈ હેઠળ વહાલા-દવલાની નીતિ છતાં એકંદરે સુચારુ રીતે કામ ચાલતું હતું. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન કહ્યાગરા ન્યાયાધીશોની બોલબાલા છતી થઈ હતી. એ સમયે શ્રીમતી ગાંધીએ સરકાર વિરોધી લાગતા સોળ હાઈકોર્ટ જજીસની બદલીઓ કરી નાંખી હતી. જસ્ટિસ એચ.આર. ખન્ન્નાની વરિષ્ઠતાને અવગણીને સરકારના તરફદાર ગણાતા જસ્ટિસ એ.એન. રેને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદે નિયુક્ત કરાયા હતા. એટલે અત્યાર સુધી અક્ષુણ્ણ રહેલી ન્યાયતંત્રની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જોખમ સર્જાયું હતું.

ન્યાયાધીશોની નિમણૂક સંબંધી બંધારણીય જોગવાઈઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. તેના અર્થઘટનના પણ સવાલો ઊભા થયા હતા. ૧૯૮૧માં એસ.પી. ગુપ્તા વિરુદ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથેના પરામર્શનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનું નિયંત્રણ સરકાર કે વહીવટી તંત્ર હસ્તક હોવાનું સ્વીકાર્યું હતું. પરામર્શનો અર્થ વિચારોનું આદાનપ્રદાન ખરું પણ સંમતિ નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન વર્સિસ ઇન્ડિયાના જજમેન્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો અભિપ્રાય મહત્ત્વનો છે અને પરામર્શ એટલે માત્ર અભિપ્રાય કે વિચારો જાણવા નહીં, પરંતુ તેમની સંમતી જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વળી આ ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ ન્યાયાધીશો સાથે પરામર્શ પછી જે નામોની નિમણૂક અંગે અભિપ્રાય આપે કે ભલામણ કરે તે રાષ્ટ્રપતિને અર્થાત સરકારને બાધ્યકારી હોવાનું જણાવ્યું હતું. હાલની કોલેજિયમ સિસ્ટમનો ઉદ્દભવ આ ચુકાદાથી થયો છે.

૧૯૯૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને બંધારણના અનુચ્છેદ ૧૪૩ અન્વયે સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્સિયલ રેફરન્સ કર્યો હતો. તેમાં ચીફ જસ્ટિસના પરામર્શ કે અભિપ્રાય અંગે સ્પષ્ટતા માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભના ચુકાદામાં જણાવ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક અંગેનો સી.જે.આઈ.નો અભિપ્રાય બહુમતી ન્યાયાધીશોનો અભિપ્રાય ગણાશે અને તેમાં સુપ્રીમના ચાર વરિષ્ઠ જજીસ સાથે પરામર્શ કરવાનો રહેશે. એ રીતે સી.જે.આઈ. ઉપરાંત ચાર સિનિયર જજીસ એમ કુલ પાંચ વ્યક્તિની હાલની કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી હતી.

ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે. પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક – બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી, નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી. આ કમિશનના વડા કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં  સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ, કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડા પ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું. પ્રથમ નજરે કોલેજિયમ જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો અને કૉલેજિયમ યથાવત રહી.

ન તો બંધારણમાં કે ન તો સંસદના કોઈ કાયદા દ્વારા કૉલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે પરંતુ આ એક બંધારણબાહ્ય, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી અમલમાં આવેલી, પ્રણાલી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ  સંસદે પસાર કરેલા કાયદાથી અસ્તિત્વમાં આવેલ ન્યાયિક નિમણૂક આયોગને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય ઠેરવે અને બંધારણબાહ્ય કોલેજિયમ ચાલુ રહે તે ભારે વિચિત્ર બાબત છે.

કૉલેજિયમ સિસ્ટમ સામે અનેક સવાલો છે. ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે તે અસહ્ય છે. આ પ્રણાલી અપારદર્શી છે અને પરિવારવાદને પોષે છે તેવા આરોપો છે. કોલેજિયમની કાર્યવાહીને માહિતી અધિકાર કાયદાથી પણ મુક્ત રાખતો ચુકાદો તેની પારદર્શિતા સામે સવાલો ખડા કરે છે. દેશની મોટા ભાગની અદાલતોના ન્યાયાધીશો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ હોવાનું કેન્દ્રીય કાયદા મંત્રી જણાવી ચુક્યા છે. આ પ્રણાલી ન્યાયતંત્રની તાનાશાહી જેવી છે અને જજીસની નિમણૂકમાં યોગ્યતા, કામ પ્રત્યેની નિષ્ઠા તથા કાબેલિયતની અનદેખી થતી હોવાનો પણ આરોપ છે. ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયામાંથી વહીવટી તંત્ર કે સરકારની બાદબાકી કરી નાંખવી તે અતાર્કિક અને બિનલોકશાહી પગલું પણ જણાય છે.

કૉલેજિયમે એકવાર ભલામણ કરેલ નામો સરકાર પરત કરે અને કોલેજિયમ જો તેને સર્વાનુમતે ફરી મોકલે તો સરકાર તે સ્વીકારવા બાધ્ય હોવાની જોગવાઈ આ સ્થિતિમાં નિર્ણય લેવામાં અસીમિત વિલંબ કરીને સરકાર કોલેજિયમને અર્થહીન કરે છે. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેની આ ટકરામણ ઈચ્છનીય નથી. કેમ કે એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વરસોમાં આ ગજગ્રાહને કારણે ૧૪૬ નામોની નિમણૂક લટકી હતી. તેમાં ૧૧૦ નામોને કેન્દ્રની મંજૂરી બાકી હતી તો ૩૬ નામો પર કોલેજિયમનો પુનર્વિચાર બાકી હતો.

આ સમસ્યાનો ઉકેલ સરકાર અને ન્યાયતંત્રે એકબીજાના વિરોધીને બદલે પૂરક બની કાઢવો રહ્યો. બંધારણીય જોગવાઈઓ, કોલેજિયમ સિસ્ટમ અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની સારી જોગવાઈઓને સાંકળીને સરકારનું નિયંત્રણ પણ રહે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પણ જળવાય તેવી કોઈ પદ્ધતિ શોધી શકાય. નીચલી અદાલતોના ન્યાયાધીશો માટેની પસંદગી પ્રક્રિયા કે સનદી સેવાની પસંદગી પ્રક્રિયાનો પણ આધાર લઈ શકાય. જો આમ થઈ શકે તો કૉલેજિયમ સિસ્ટમનો વિકલ્પ મળી શકે. ન્યાયતંત્રે કોલેજિયમ પ્રત્યેની મમત અને  સરકારે તે નઠારી હોવાની જિદ છોડવી રહી. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,2831,2841,2851,286...1,2901,3001,310...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved