Opinion Magazine
Number of visits: 9458469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેવડી કલ્ચર : ગરીબ દેશની મજબૂરી કે નેતાઓનો શોખ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 August 2022

આમ તો પુરાતત્વ વિદ્વાનોએ ગુજરાત-કચ્છમાં પાંચ હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના સ્થળેથી તેને શોધી કાઢી હતી, અને આજે પણ ભારતીય સમાજમાં ‘મોઢું મીઠું’ કરવાની પરંપરામાં તેનું ચલણ છે, પરંતુ ભારતીય રાજનીતિમાં રેવડીનો અલગ જ દબદબો છે. તાજેતરમાં વડા પ્રધાનના એક નિવેદન અને પછી સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી રેવડી કલ્ચરને લઈને દેશમાં ચર્ચા છેડાઈ છે. રેવડી એટલે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મફત સેવા-સુવિધા આપવાની રાજકીય પક્ષોની ઘોષણાઓ. ભારતમાં રેવડીની વાત નવી નથી. નાની-મોટી, હાલની અને ભૂતકાળની તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અલગ-અલગ રીતે રેવડીઓ વહેંચતી રહી છે, પરંતુ તાજેતરમાં “રેવડીઓ બંધ કરો”નું કોરસ ગાન શરૂ થવા પાછળ મુખ્ય બે “મહેમાન” છે; વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ.

તાજેતરમાં, ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ એકપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરવા માટે મહેમાન બનેલા વડા પ્રધાને રેવડી કલ્ચરનો મુદ્દો ઉછળતાં કહ્યું હતું, “આજે આપણા દેશમાં મફત રેવડી વહેંચીને મતો ઉઘરાવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે જોખમી છે. આ દેશના લોકોએ, ખાસ કરીને યુવાનોએ, આ રેવડી કલ્ચરથી સાવધ રહેવું જોઈએ. રેવડી કલ્ચરવાળા માણસો તમારા માટે એકપ્રેસ વે, એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બાંધે. રેવડી કલ્ચરવાળા લોકોને લાગે છે એ લોકોમાં મફત રેવડી વહેંચીને તેમને ખરીદી શકે છે. આપણે બધાએ ભેગા થઇને આ માનસિકતાને તોડવી જોઈએ. દેશની રાજનીતિમાંથી રેવડી કલ્ચરને દૂર કરવું જોઈએ.”

વડા પ્રધાનની ‘અકળામણ’નું તાત્કાલિક કારણ આમ આદમી પાર્ટીના કેજરીવાલ હતા, જે “મફત વીજળી-મફત પાણી- મુસાફરીમાં સબસીડી”ના મોડેલ પર પંજાબની ચૂંટણી જીત્યા છે, અને ગુજરાતમાં તેનો પ્રચાર કરી રહ્યા છે. કેજરીવાલે વડા પ્રધાને નહોર ભર્યા તેને જવા ન દીધા, અને વળતા જવાબમાં કહ્યું;

“મારી સામે આરોપ છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચે છે. મારું અપમાન કરવામાં આવે છે અને મજાક ઉડાવવામાં આવે છે. હું આ દેશના લોકોને પૂછવા માગું છું, હું શું ખોટું કરી રહ્યો છું? હું દિલ્હીના મધ્યમ-વર્ગીય અને ગરીબ પરિવારોનાં બાળકોને મફત અને ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહ્યો છું. હું લોકોને પૂછવા માગું છું, હું મફત રેવડી આપી રહ્યો છું કે પછી દેશ માટે પાયો નાખી રહ્યો છું? દિલ્હીમાં કોઈને અકસ્માત થાય તો ફરિશ્તે યોજના હેઠળ હોસ્પિટલમાં તેની મફત સારવાર થાય છે … અમે 13 લાખ લોકોના જીવ બચાવ્યા છે. તેમને પૂછો કે કેજરીવાલ મફત રેવડી આપે છે કે ઉમદા કામ કરે છે? લોકો કહે છે કે કેજરીવાલ મફત વીજળી કેમ આપે છે? હું તેમને પૂછવા માગું છું – તમારા મંત્રીઓ કેટલી વીજળી મફત મેળવે છે? તમારા મંત્રીઓ 4,000-5,000 યુનિટ વીજળી મફત મેળવે તે ચાલે, પણ ગરીબને હું 200-300 યુનિટ મફત વીજળી આપું તો તમને તકલીફ છે.”

એમાં ભા.જ.પ.ના નેતા અને વકીલ અશ્વિન ઉપાધ્યાયે, સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કરીને, રાજકીય પક્ષોને મફત ઘોષણાઓ કરતાં અટકાવવા માટે કોર્ટનું નિર્દેશન માગ્યું, એટલે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ પણ અરજી સ્વીકારતાં મૌખિક નિરીક્ષણ કરીને ચર્ચાને વેગ આપ્યો. તેમણે કહ્યું, “મફતની રેવડી અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે ફરક છે. દેશની અર્થવ્યવસ્થાનું નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન જરૂરી છે.”

વાસ્તવમાં રેવડી એટલે કે ફ્રીબીઝ(મફતિયા માલ)ની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. ચૂંટણી પંચને આ પરંપરાની ખબર છે અને તે કહે છે કે ફ્રીબીઝ શું કહેવાય એની જેટલાં માથાં એટલી વાતો છે. દાખલા તરીકે, કોરોનાની મહામારીમાં મફત રસી આપવી જનહિતની યોજના કહેવાય, પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ. તેના ચૂંટણી ઢંઢેરામાં એવું વચન આપે કે “ભા.જ.પ. સત્તામાં આવશે તો તમામને મફત રસી આપશે” તો તે રેવડી કહેવાય.

રેવડી કલ્ચર અર્થતંત્ર માટે નુકસાનકારક છે એ વાત બિલકુલ સાચી છે, પરંતુ વડા પ્રધાનને આ જ્ઞાન અચાનક લાધ્યું છે તેની પાછળ અર્થતંત્ર માટેની ચિંતા નથી, આપ આદમી પાર્ટી ગુજરાતમાં ભા.જ.પ.ની બેઠકોમાં સેંધ મારે એની ફિકર છે. એમાં તો પાંચ મહિના પહેલાં, ઓગસ્ટ મહિનામાં, વડા પ્રધાનની સરકારના તમામ વિભાગોના સચિવોની સાથેની ચાર કલાકની બેઠકમાં, વરિષ્ઠ અધિકારીએ રાજ્ય સરકારો લોકોને ખુશ કરવા માટે જે યોજનાઓ જાહેર કરે છે તે આર્થિક દૃષ્ટિએ ટકાઉ નથી. અધિકારીઓએ તો એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ રીતે તો રાજ્યોના હાલ શ્રીલંકા જેવા થશે.

વડા પ્રધાને આ બાબતમાં કોઈ પહેલ કરી કે નહીં તે ખબર નથી, પરંતુ પંજાબમાં આપ પાર્ટીની સરકાર આવી ઘોષણાઓ પર બની અને ગુજરાતમાં તેને જ દોહારવાનું શરૂ થયું, ત્યારે તેમણે રેવડી કલ્ચર યાદ આવ્યું તો એનો અર્થ એ છે કે રેવડી કલ્ચર માત્ર વિરોધ પક્ષો માટે છે? વડા પ્રધાન જો સાચે જ આ મુદ્દા પર ગંભીર હોય તો તમામ રાજકીય પક્ષો, રાજ્ય સરકારો, ચૂંટણી પંચ અને સિવિલ સોસાયટીને એક મંચ પર લાવીને તેઓ એક એવી પહેલ શરૂ કરી શકે જેમાં જનકલ્યાણ કોને કહેવાય અને મફતનો માલ કોને કહેવાય તેની દેશવાસીઓએ સ્પષ્ટ સમજ પડે.

એવું તો છે નહીં કે કેજરીવાલે તેમના ગજવામાંથી રેવડી કાઢી છે. ભારત સદીઓથી ગરીબ રાષ્ટ્ર રહ્યું છે અને તે આઝાદ થયું ત્યારે નેતાઓ અને સરકારોનું એક માત્ર ધ્યેય વંચિત લોકોને સુખ-સુવિધાઓ આપવાનું હતું. એમાંથી જ એક કલ્યાણકારી રાજ્ય(વેલ્ફેર સ્ટેટ)ની રચના થઇ હતી. આજે 75 વર્ષ પછી પણ સરકારનો એક માત્ર ઉદેશ્ય જનકલ્યાણ માટેની યોજનાઓ લાગુ કરવાનો છે. રાજકીય પક્ષો એ જ રીતે તેમની નીતિઓ ઘડે છે અને એના જ આધારે ચૂંટણીઓ લડે છે.

મતદારો જ્યારે પાયાની સુવિધાઓથી વંચિત હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ રાજકારણ તેની આસપાસ જ રચાય છે. દાખલા તરીકે, અમેરિકા એટલો બધો વિકસિત દેશ છે કે તેનું રાજકારણ આંતરરાષ્ટ્રીય બાબતોમાં અમેરિકાની ભૂમિકાને લઈને રમાય છે. ત્રીજા વિશ્વના તમામ દેશોમાં ગરીબી એટલી છે કે ત્યાંનું રાજકારણ એ મુદ્દાઓની આસપાસ હોય છે. રેવડી કલ્ચરનાં મૂળિયાં વેલ્ફેર સ્ટેટની ધારણામાં છે.

ભારતમાં તેની શરૂઆત એક જમાનાના મદ્રાસ રાજ્યમાં, તત્કાલીન મુખ્ય મંત્રી કુમારસ્વામી કામરાજે કરી હતી. તેમણે 1954થી 1963 વચ્ચે સ્કૂલના વિધાર્થીઓ માટે મફત શિક્ષણ અને મફત ભોજનની યોજના દાખલ કરી હતી. 1967માં, દ્રવિડ મુનેત્ર કઝગમ(ડી.એમ.કે.)ના સ્થાપક સી.એન. અન્નાદુરાઈ એક પગલું આગળ ગયા અને ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમની સરકાર આવશે તો 1 રૂપિયે 4.5 કિલો ચોખા આપશે તેવી જાહેરાત કરી હતી. 2006ની ચૂંટણીઓમાં આ જ ડી.એમ.કે.એ મતદારોને રંગીન ટેલિવિઝનની ખાતરી આપી હતી. એ પછી તો તમામ પાર્ટીઓ રેવડીઓ વહેંચાતી આવી છે.

આ આખી ચર્ચામાં ઘણા મુદ્દા છે. રેવડી એટલે શું? સબસિડી એટલે શું? કલ્યાણકારી યોજના એટલે શું? એમાં સારી યોજના શું અને ખરાબ યોજના શું? એ કોણ નક્કી કરે? ભારત જેવો વિવિધતાભર્યો અને અસામાન સમાજ એક લાકડીએ હાંકી શકાય તેમ નથી. વિકાસના નામે દેશમાં એટલી અસમાનતા છે કે એક કેન્દ્રીય મોડેલ અનુસરવું અઘરું છે.

રેવડીનો મુદ્દો ગંભીર છે અને તેને ઉચિત મંચ પર, ઉચિત ગંભીરતા અને દૂરંદેશી સાથે ઉઠાવવો જોઈએ. બાકી, ચૂંટણીઓ વખતે રેવડી દાણાદાણ કરવાના હેતુથી જ જો તેને ઉછળવાનો હોય, તો તે એક જુમલાથી વિશેષ કશું નથી.

લાસ્ટ લાઈન :

“સત્તાની એક માત્ર ફરજ- જનતાના સામાજિક કલ્યાણની સુરક્ષા છે.”

— બેન્જામિન ડિઝરાયલી, બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ,’સન્નડે લાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”; 21 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઃ સ્વયંને સ્વતંત્ર સેનાનીઓ સાબિત કરવાની ચળવળમાં આજે પણ વ્યસ્ત છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 August 2022

આર.એસ.એસ.ની માનસિકતા પહેલેથી જ આભડછેટની રહી છે તે સત્યાગ્રહ હોય કે અસહકારની ચળવળ, સંઘ હંમેશાં તેનાથી દૂર રહ્યો. સ્વતંત્રતાનાં 52 વર્ષ સુધી તો તિરંગાને પણ સંઘે નહોતો અપનાવ્યો.

આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો અને ગયો, એમાં ધ્વજ હજીયે ક્યાંક ક્યાંક દેખા દઇ દે છે અને 75 વર્ષ થયાં કે 76 વર્ષ થયાની ચર્ચાઓ પણ ચાલ્યા કરે છે. આ બધું સપાટી પરનું ‘નેરેટિવ’ છે. આઝાદીની લડતના કથાનકમાં પોતાનો સૂર રેલાવવાનો પ્રયાસ કરનારા રાજકીય તત્ત્વોની કોઇ ખોટ નથી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ એટલે કે આર.એસ.એસ. વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદને સૌથી સારી રીતે, બિનસાંપ્રદાયિક ઢબે સાકાર કરવાનો દાવો કરે છે. ગણતરીપૂર્વકની એવી કામગીરી ચાલી રહી છે જેમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ તો એક જ છે એવું લોકોને ગળે ઉતારી શકાય. જો કે આર.એસ.એસ.ના આ દાવાને પડકારાનાઓની સંખ્યા પણ મોટી છે. વળી આ પડકારનારાઓ એ લોકો છે જે સ્વાતંત્ર્ય સંગ્રામને સારી પેઠે પચાવી ગયા છે, તેની વિગતોનો અભ્યાસ કરી ચૂક્યા છે. આ તરફ આર.એસ.એસ. સ્વતંત્રતા સંગ્રામને જમણેરી દૃષ્ટિકોણથી બતાડવાનો સતત પ્રયત્ન કર્યા કરે છે.

લાંબા સમયથી આર.એસ.એસ.નો એ પ્રયાસ રહ્યો છે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયેલી અહિંસક લડતને નેવે મૂકી દેવી. ભારતના ઇતિહાસ પર એક ઝડપી નજર કરવી હોય તો 1857ના વિલ્પવથી શરૂઆત કરવી પડે. ભારતનો રાષ્ટ્રવાદ શરૂ થયો જ્યારે દાદાભાઇ નવરોજીએ ‘ડ્રેન ઑફ વેલ્થ’ની થિયરીની ચર્ચા કરી અને ત્યાર બાદ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઇ, ગાંધીજીનું આવવું, સ્વદેશી ચળવળ, સત્યાગ્રહો, જલિયાવાલા બાગ, ભગત સિંઘની ફાંસી, ભારત છોડો આંદોલન, આઝાદ હિંદ ફોજથી લઇને છેક અડધી રાત્રે મળેલી આઝાદી સુધીના આખા કથાનકમાં એ લોકોની હાજરી સુદ્ધાં નથી જે આજે રાષ્ટ્રવાદનો દેકારો કરી રહ્યા છે. જે આર.એસ.એસ. રાષ્ટ્રવાદનો રાગ તાણે છે એ જ આર.એસ.એસ.એ આઝાદીના બાવન વર્ષ પછી ત્રિરંગો લહેરાવ્યો નહોતો પણ 1998માં ભા.જ.પા. જ્યારે સત્તામાં આવ્યો ત્યારે ના છૂટકે રાષ્ટ્રીય ધ્વજને અપનાવવો પડ્યો. જ્યારે આઝાદ ભારતે પહેલીવાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો ત્યારે આર.એસ.એસ.ના હેડગેવારે ભગવો ઝંડો ફરકાવી કહ્યું હતું કે પૂર્ણ સ્વતંત્રતામાં સંઘ માને તો છે પણ તિરંગો તો નહીં લહેરાવીએ. ત્રિરંગાનો ત્રીજો રંગ શેતાની રંગ છે, ત્રણનો આંક પણ શેતાની ગણાય એટલે ભારતનો ધ્વજ તો ભગવો જ હોવો જોઇએ-ના દેકારા કરાયા હતા. આર.એસ.એસ.ની આ જ શૈલી રહી છે – પોતે રાષ્ટ્રભક્ત છે એવું કહેવાનું ખરું પણ ખરી રાષ્ટ્રીય ચળવળથી આભડછેટ રાખવાની. 

આર.એસ.એસ.ની સ્થાપના થઇ હતી 1925માં અને તેના સ્થાપક હતા કે.બી. હેડગેવાર. સ્થાપનાથી માંડીને 1947 સુધી આર.એસ.એસ.એ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે લૉન્ચ કરેલી એકેય ચળવળમાં ભાગ નહોતો લીધો, ન તો તેમણે અંગ્રેજો સામે પોતાની રીતે કોઇ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી. હેડગેવાર તો કાઁગ્રેસના સભ્ય પણ હતા, તે નાગપુરમાં મધ્યમ સ્તરીય નેતા હતા અને અસહકારની ચળવળમાં જેલમાં પણ ગયા હતા પણ ત્યારે તે કાઁગ્રેસના સભ્ય તરીકે ચળવળમાં ભાગીદાર બન્યા હતા. તેમણે સંઘને આખી ઘટનાથી દૂર રહેવાની સૂચના આપી હતી અને આમ આર.એસ.એસ.એ સત્યાગ્રહ કે અન્ય કોઇ ચળવળમાં ભાગ નહોતો લીધો. હેડગેવાર હિંદુ મહાસભાના નેતા બી.એસ. મૂંજેના કટ્ટર અનુયાયી હતા. મૂંજેની વિચારધારા પર ફાસીવાદનો ઊંડો પ્રભાવ હતો અને તે પોતે મુસોલિનીની મળ્યા હતા. વળી સાવરકરે 1923માં હિંદુત્વ નામનું જે પુસ્તક લખ્યું હતું તેનો પણ હેડગેવાર પર ઊંડો પ્રભાવ હતો અને એ પુસ્તક અનુસાર ભારત માત્ર હિંદુઓની ભૂમિ છે એવી વાત રજૂ કરાઇ હતી. એમ પણ ચર્ચાયું છે કે વ્યવસ્થાને મામલે હેડગેવારનું મગજ ચાલતું અને સાવરકરના વિચારોનો પ્રભાવ કામગીરી પર પડતો. સાવરકરના મોટાભાઇ એ પાંચ લોકોમાંના એક હતા જેમણે 1925માં નાગપુર ખાતે આર.એસ.એસ.ની સ્થાપનાની બેઠકમાં હાજરી આપી હતી. આમ તો એક સમયે હિંદુ મહાસભા અને આર.એસ.એસ. વચ્ચે પણ ખટરાગ હતો કારણ કે હિંદુ મહાસભાને રાજકીય સ્તરે પ્રવૃત્ત રહેવું હતું પણ સંઘને એમ નહોતું કરવું. સાવરકર રાજકીય રીતે પ્રવૃત્ત રહ્યા પણ હિંદુ મહાસભાના આ નેતાને અંદામાન અને યેરવડાના જેલમાંથી એ જ શરતે છોડાયા હતા કે તે અંગ્રેજો વિરુદ્ધ કઇ કામગીરી નહીં કરે. હિંદુ મહાસભાની લગામ હાથમાં આવતા તરત જ સાવરકરે બે રાષ્ટ્રની થિયરીનાં ગાણાં ગાવાનું શરૂ કરી દીધું હતું. મુસલમાન, ગાંધી અને કાઁગ્રેસ વિરોધી વિધાનો માટે સાવરકર જાણીતા હતા. સંઘ પર જેમના વિચારોના પ્રભાવ રહ્યો તેવા સાવરકરે બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ વાઇસરોય સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે કાઁગ્રેસને હટાવી મંત્રીમંડળ હિંદુ મહાસભાને આપી દેવા જોઇએ. આ પછી પણ ઘણું થયું પરંતુ આર.એસ.એસ.ની વાત પર પાછા વળીએ તો ભારત છોડો આંદોલનથી આર.એસ.એસ.એ અંતર રાખ્યું અને સંઘના યુવા સભ્યોને એમ પાનો ચઢાવ્યો કે તેમણે હજી મોટી લડાઈ લડવાની છે તો આમાં શક્તિ ન વેડફે. 

આર.એસ.એસ.ને સ્વાતંત્ર્ય સંગ્રામનો હિસ્સો બનાવવાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 1999માં અટલ બિહારી વાજપાઇએ હેડગેવારની 110મી જન્મતિથિ પર તેમના નામે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પહેલીવાર આર.એસ.એસ. સાથે સંકળાયેલા કોઇ નેતાના માનમાં ટપાલ ટિકિટ બહાર પડી હતી. જો કે રાજધર્મમાં માનનારા વાજપાઇ પર આર.એસ.એસ.ના નેતૃત્વનું ભારે દબાણ હતું કે હેડગેવાર અને ગોલવેળકરને ભારત રત્ન અપાય. મુત્સદ્દી વાજપાઇ સારી પેઠે જાણતા હતા કે આવું ન થવા દેવાય. ખરેખર તો આર.એસ.એસ. જ્યારથી રચાયો ત્યારથી સામ્રાજ્યવાદ વિરોધી ચળવળને કોઇને કોઇ રીતે ખોરવી દેવાની પેરવીમાં જ રહ્યો. આધુનિક ઇતિહાસની વાત કરીએ તો થોડાં વર્ષો પહેલાં નાગપુર યુનિવર્સિટીમાં કોમવાદ પરના હિસ્સા હટાવીને આર.એસ.એસે. રાષ્ટ્રના ઘડતરમાં શું ફાળો હતોના પ્રકરણ ઉમેરાયા હતા. 2014માં મોદી સરકાર રચાઇ પછી ફરી સાવરકરને મહાન બનાવવાની ભાંજગડ શરૂ થઇ પણ વિરોધને પગલે બધું ઠરી ગયું.  જો કે આર.એસ.એસ.એ અંગ્રેજો સામેની લડતમાં શું ફાળો આપ્યો તે પરની ચર્ચા હજી પણ ચાલ્યા કરે છે. આર.એસ.એસ.નો ઘોંઘાટ એ વાતનો પુરાવો છે કે એમની વાતમાં દમ નથી કારણ કે જો હોય તો આટલો અવાજ ન કરવો પડે.

બાય ધી વેઃ

આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર ચળવળ પૂરતો નહોતો તેમાં દેશના ભવિષ્યને ઘડવાનો હેતુ પણ હતો. ગરીબી અને અસમાનતા દૂર કરવા જેવા સામાજિક સુધાર એ સમયે ચાલતી વિચારધારાઓના સંઘર્ષમાંથી નીકળનારું અમૃત હતાં. દેશના અલગ અલગ ધર્મ – કોમના લોકો એક થઇને અંગ્રેજોને દેશની બહાર કાઢવામાં વ્યસ્ત હતા ત્યારે આર.એસ.એસ. ‘આંતરિક શત્રુ’ શોધવામાં મચી પડ્યો હતો. મુસલમાનોને બૂરા સાબિત કરવામાં સંઘે ક્યારે ય પાછું વળીને નથી જોયું. આર.એસ.એસ.નું ઝનૂની વલણ, વેરની ભાવના અને હિંદુ સેના ખડી કરવાની ચાહ ગાંધી વિચારથી જોજનો છેટી છે. બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને સમતાવાદી ભારત માટે લડાયલા સ્વાતંત્ર્ય સંગ્રામથી દૂર રહેલાઓ આજે સ્વંત્રતાનો અર્થ બદલવા ધમપછાડા કરે છે અને દેશભક્તિની માન્યતાઓ સાથે ચેડા કરે છે. આર.એસ.એસ.નો રાષ્ટ્રવાદ છે ખરો પણ તે ભારતીય નથી હિંદુ રાષ્ટ્રવાદ છે, જેનું મૂળ મુસલમાનોના વિરોધમાં રહેલું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઑગસ્ટ 2022

Loading

મનુષ્ય બુદ્ધિવાન પ્રાણી હોવા છતાં અનુભવમાંથી કાંઈ શિખતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|21 August 2022

આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું હશે કે પશુ-પક્ષી એ જગ્યાએ ક્યારે ય પાછાં જતાં નથી જ્યાં તેમને ખરાબ અનુભવ થયો હોય, જ્યારે ગુનો કરનાર મનુષ્ય ગુનાની જગ્યાએ કમ સે કમ એક વાર તો પાછો જાય જ છે. ગુના-અન્વેષણ શાસ્ત્ર માટે આ હકીકત ગુનેગારને પકડવા માટેનું હુકમનું પાનું છે. મનુષ્ય પાસે વધારે વિકસિત ચિત્ત છે એટલે એ ચિત્તવૃત્તિને રોકી શકતો નથી. આખું પાતંજલ યોગશાસ્ત્ર આ ચિત્તવૃત્તિના નિરોધ માટે રચવામાં આવ્યું છે, પણ મનુષ્ય વારંવારના અનુભવ પછી પણ ચિત્તવૃત્તિઓને રોકી શકતો નથી.

આપણને ન ગમે એવું બોલનાર કે કરનાર વ્યક્તિની હત્યા કરવાથી એ વિચાર કે પ્રવૃત્તિનો અંત આવતો નથી એનો અનુભવ માણસજાતને જ્ઞાત ઇતિહાસમાં અનેકવાર થયો હોવા છતાં તે હત્યાઓ કરે જ છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીના જ્ઞાત અને બીજા હજારો અજ્ઞાત લોકોની હત્યાઓ કરવામાં આવી છે અને છતાં ય આપણે જોઈએ છીએ કે સમાજ તેના પ્રભાવથી રોકતા રોકાતો નથી. આ એક એવી દોરીસ્પર્ધા છે જેમાં એક છેડે મોટું ટોળું હોય છે જે ઈચ્છે છે કે સમાજનું સ્વરૂપ એના એ સ્વરૂપમાં કાયમ રહે અને બીજા છેડે માત્ર એકલો અટૂલો માણસ હોય છે જે કહે છે કે પરિવર્તનની જરૂર છે. ટોળું ચિત્ત થઈ જાય છે અને પેલો અટૂલો માણસ સમાજરૂપી દોરીને પોતાના તરફ ખેંચી લે છે.

જેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો (અને એમ લાગે છે કે સદ્દનસીબે તેઓ બચી જશે) એ ભારતીય અંગ્રેજી સાહિત્યકાર સલમાન રશ્દીની તુલના હું ગાંધી-સોક્રેટીસ કે ઈશુ સાથે નથી કરતો, પણ હું એમ કહેવા માગું છું કે હત્યાઓ કરવાથી અવાજો બંધ થતા નથી. જો એમ હોત તો દુનિયા અત્યારે ત્યાં જ હોત જ્યાં બે-પાંચ હજાર વરસ પહેલાં હતી. દરેકે દરેક યુગમાં બહુમતી સમાજ ન ગમતા અવાજોથી ભાગવાનો પ્રયાસ કરે છે, પણ ભાગી શક્યો નથી. સર્જકના સર્જનાત્મક અવાજો પણ એક અવાજ છે જે કેટલાક લોકોને પરેશાન કરે છે. પાંચ વરસ પહેલાં એક યુવકે કન્નડ પત્રકાર અને લેખિકા ગૌરી લંકેશની હત્યા કરી હતી. શું હાથમાં આવ્યું? ગૌરી લંકેશ એ લોકો સુધી પહોંચી ગયાં જેણે તેમની હત્યા પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. સલમાન રશ્દીની વિવાદાસ્પદ કૃતિ ‘સેતાનિક વર્સીસ’ આખા જગતમાં પહોચી ગઈ અને જગતની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થઈ. હત્યાઓ અને સતામણી અવાજોને રૂંધવાની જગ્યાએ તેને ઝડપથી પ્રસારિત કરવાનું કામ કરે છે. આ અનુભવ છે, પણ માણસ તેમાંથી કાંઈ શીખતો નથી અને એની એ ભૂલ એ વારંવાર કરતો રહે છે.

વળી જે યુવકે ગૌરી લંકેશની હત્યા કરી હતી એણે તપાસકર્તા પોલીસ અધિકારીને કહ્યું હતું કે તેણે ગૌરી લંકેશનો એક લેખ સુદ્ધા નહોતો વાંચ્યો તો કૃતિ તો બાજુએ રહી. વગર વાંચ્યે તેનું દિલ દુભાયું હતું. મને ખાતરી છે કે સલમાન રશ્દીની હત્યા કરવાનો પ્રયાસ કરનારા યુવકે રશ્દીની કૃતિ નહીં વાંચી હોય. ઘણાં લોકોનાં વાંચ્યાકર્યા વિના કે ઘટના પ્રત્યક્ષ જોયા વિના દિલ દુભાય છે એ કાં તો બુદ્ધિની દરિદ્રતાની પરાકાષ્ટા છે અને કાં સંસ્કારિતાના અભાવની પરાકાષ્ટા છે. હકીકતમાં દિલ કોઈનાં દુભાતાં નથી, એ તો માત્ર દિલ-દુભામણીનું રાજકારણ હોય છે. જો ઓળખો દ્વારા રચાતાં ટોળાંનાં દિલ દુભાતાં હોત તો બિલ્કીસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓને છોડી મુકવામાં આવ્યા અને ઉપરથી હત્યારા બળાત્કારીઓની જાહેરમાં આરતી ઉતારવામાં આવી ત્યારે દિલ દુભાવા જોઈતા હતા. હિંદુ આવો હોય? બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારે? ક્યાં છે દિલ? પૂછી જુઓ પોતાના અંતરાત્માને જો પોતાને સાચા હિંદુ તરીકે ઓળખાવતા હો તો. આવો હોય હિંદુ? આ હિંદુ દેશને વિશ્વગુરુ બનાવશે? વળી બળાત્કારી હત્યારાઓનો કોઈ ધર્મ હોય?

સમાજ બદલાય નહીં, સમાજનું મસ્તિષ્ક વિકસે નહીં અને સમાજનું હ્રદય કોમળ સંવેદનશીલ બને નહીં એમાં કેટલાક લોકોનો સ્વાર્થ છે. મુખ્યત્વે ધર્મગુરુઓનો અને રાજકારણીઓનો. તેઓ વાતો દેશ અને ધર્મની મહાનતાની કરે છે અને કામ કુંઠિત માનસ અને અસંવેદનશીલ હ્રદય ધરાવનારાં ટોળાં પેદા કરવાનું કરે છે. તમારું સંતાન જો ટોળાંમાં જગ્યા અને સલામતી શોધતું હોય તો આજે જ ચેતી જજો.

રહી વાત સત્ય અને સર્જકતાની તો તેને આ જગતમાં કોઈ રૂંધી શક્યું નથી. માનવસમાજનો ઇતિહાસ તપાસી જુઓ. જગત આખામાં દરેક સમાજનું આ સત્ય છે. સત્ય અને સર્જકતા લોકો સુધી પહોંચીને જ રહે છે અને એનામાં જેટલી તાકાત હોય એટલા પ્રમાણમાં સમાજને પ્રભાવિત કરીને જ રહે છે. જગતની કોઈ તાકાત તેને અવરોધી શકી નથી અને અવરોધી શકવાની નથી. આખરી પરાજય તો એ લોકોનો જ થાય છે જે સત્ય અને સર્જકતાના અવાજોને રૂંધવાના પ્રયાસ કરે છે.

સલમાન રશ્દીની નવલકથા ‘શેતાનિક વર્સીસ’માં સર્જકતાની તાકાત કેટલી છે એ હું જાણતો નથી. મારામાં સાહિત્યકૃતિને સર્જકતાને એરણે મૂલવવા જેટલી ક્ષમતા નથી. જે લોકો આવી આવડત ધરાવે છે એમાંના કેટલાક લોકોએ કહ્યું છે કે ‘સેતાનિક વર્સીસ’ કોઈ મહાન કૃતિ નથી. જો એમ હોત તો એની મેળે જ એ કૃતિ ભુલાઈ જાત. પ્રતિબંધ મૂકનારાઓએ અને લેખકની હત્યા કરવાના ફતવા કાઢનારાઓએ કૃતિને જીવતદાન આપ્યું છે. ખોટનો ધંધો કર્યો છે અને મોટાભાગે આવા લોકો ખોટનો જ ધંધો કરતા હોય છે. માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે પશુ-પક્ષીથી ઊલટું માનવી અનુભવમાંથી કાંઈ શીખતો નથી. પણ જો શીખવું હોય તો અંતિમ સત્ય એ છે કે સત્ય અને સર્જકતાને આંતરી શકાતાં નથી અને પરિવર્તનને રોકી શકાતું નથી. લાખ પ્રયાસ કરો, નિષ્ફળતા જ મળવાની છે. આજ નહીં તો કાલે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઑગસ્ટ 2022 

Loading

...102030...1,2811,2821,2831,284...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved