Opinion Magazine
Number of visits: 9458319
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી પહેલાંના ‘રાષ્ટ્રપિતા’: દાદાભાઈ નવરોજી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2022

“હું ચાહે એક હિંદુ હોઉં, એક મોમેડીયન હોઉં, એક પારસી હોઉં, એક ક્રિશ્ચિયન હોઉં કે પછી બીજા કોઈપણ પંથનો હોઉં, હું એ બધાથી ઉપર એક ભારતીય છું. આપણું રાષ્ટ્ર ભારત છે, અને આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે.”

૧૮૯૩માં કાઁગ્રેસની સભામાં દાદાભાઈ નવરોજીના આ શબ્દો હતા. આધુનિક ભારતના એક મહત્ત્વના સ્થપતિની, અને ખાસ કરીને તેમના રાષ્ટ્રવાદની સ્મૃતિ નામશેષ ના થઇ જાય, તે માટે એક પારસી લેખક દિન્યાર પટેલે (આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇતિહાસ, યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના) લખેલા દાદાભાઈના જીવનચરિત્ર્ય, ‘નવરોજી : પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનાલિઝમ’ને કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.

બીજા સમાચાર એ છે કે લંડનમાં તેઓ જ્યાં રહેતા હતા તે નિવાસસ્થાનને “બ્લુ પ્લાક” લગાવવાનો બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો છે. લંડનમાં રહીને નોંધપાત્ર કામ કરનારી હસ્તીઓનાં સન્માનમાં તેમના ઘર બહાર બ્રિટિશ હેરિટેજની ભૂરા રંગની તકતી મારવાની પરંપરા છે. દાદાભાઈ બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પહેલા એશિયન સાંસદ હતા. અગાઉ આવું સન્માન રાજા રામ મોહન રોય, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, જવાહરલાલ નહેરુ અને ડો. આંબેડકરનાં નિવાસસ્થાનોને પણ આપવામાં આવ્યું છે.

આજે કોઈને એ કલ્પના પણ ના આવે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલથી પહેલાં એક ભારતીયએ રાષ્ટ્રીય છેક લંડનમાં એકતાનો પાયો નાખ્યો હતો. આજે રાજકીય અસ્મિતાની હરીફાઈમાં દરેક પક્ષ અનુકૂળ આવે તે રીતે રાષ્ટ્રપુરુષને મંચ પર ચઢાવવાની હોડ કરે છે, પણ દાદાભાઈ એમાં ક્યાં ય ક્ષિતિજ પર પણ દેખાતા નથી. એનું કારણ એ પારસી હતા, એટલે?

આજે આપણે ભલે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહેતા હોઈએ, પણ ગાંધીજીએ દાદાભાઈને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા. લંડનથી ડર્બન પાછા જતી વખતે, દસ દિવસમાં, જહાજયાત્રા દરમિયાન ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું હતું, તેમાં તે લખે છે, “હિન્દના આ દાદાએ જમીન તૈયાર ના કરી હોત, તો આપણા નૌજવાનોએ સ્વ-રાજની માંગણી ના કરી હોત.” ૧૮૯૪માં મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના હાથે અપમાન થયું, ત્યારે તેમનાથી ૪૪ વર્ષ મોટા દાદાભાઈને તેમણે લખ્યું હતું, “મને આપ દીકરા જેવો ગણીને સલાહ આપશો તો આભારી થઈશ.”

દાદાભાઈ નવરોજી દક્ષિણ ગુજરાતમાં નવસારીના સમૃદ્ધ જરથોસ્તી પરિવારના વંશજ હતા. દિન્યાર પટેલના કહેવા પ્રમાણે દાદાભાઈ નવસારીમાં નહીં, પણ મુંબઈમાં ખડક શેરી(પાયધુની)માં જન્મ્યા હતા. દાદાભાઈના પૂર્વજોમાં બે મોબાદ (પારસી પાદરી) રહી ચુક્યા હતા. તેઓ અન્ય વેપારીઓની આગેવાની કરીને ૧૬૧૮માં મોઘલ બાદશાહ જહાંગીરને મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં વેપાર-ધંધો કરવાની પરવાનગી માગી હતી.

દાદાભાઈના દાદાના સમય સુધીમાં નવરોજી પરિવાર ગરીબ થઇ ગયો હતો અને તેમના દાદા અને પિતા નવરોજી પાલનજી દોરદી ધરમપુરનાં ખેતરોમાં મજદૂરી કરતા હતા. ૧૮૨૦ની આસપાસ નવરોજી પાલનજી અને તેમની પત્ની માણેકબાઈએ રોટલો કમાવા મુંબઈની વાટ પકડી હતી. ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ના રોજ દાદાભાઈનો જન્મ મુંબઈના સૌથી ગરીબ ગણાતા ખડક વિસ્તારમાં થયો હતો. દાદાભાઈ એકનું એક સંતાન હતા.

દાદાભાઈ ચાર વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઇ ગયું. નાની ઉંમરે આવેલી અનાથાવસ્થા અને રોજી-રોટીની મોહતાજી દાદાભાઈના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવવાની હતી. માણેકબાઈએ દાદાભાઈને સાર્વજનિક સ્કૂલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમણે એક ઉદાહરણરૂપ વિધાર્થી તરીકે નામના કાઢી હતી. દિન્યાર પટેલ લખે છે કે ’છપ્પન ભાષાઓ, અઢાર જ્ઞાતિઓ અને અનેક પાઘડીઓ’વાળા મહાનગર મુંબઈનું જીવન નવસારી કે ધરમપુર કરતાં અલગ હતું.

દાદાભાઈએ જો કે નવસારીમાં રહેતા અન્ય પરિવારજનો સાથે મજબૂત સંબંધ રાખ્યો હતો અને તે નિયમિત ત્યાં જઈને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓમાં રસ લેતા હતા. એટલા માટે એવી પર્ચાલિત માન્યતા છે કે દાદાભાઈ નવસારીના જમ્યા હતા. જો કે દાદાભાઈએ ખુદ અનેક વખત એવી સ્પષ્ટતા કરી હતી કે તે મુંબઈના પાયધુની વિસ્તારમાં ખડકમાં જન્મ્યા હતા. ખડકમાં તેમના ઘરનું અસ્તિત્વ રહ્યું નથી અને નવસારીમાં જે ઘર છે તે તેમના પૂર્વજોનું છે.

મુંબઈમાં રહેવાનો ફાયદો એ થયો કે અન્ય પારસી સાથીદારોની જેમ દાદાભાઈ પણ દેશ-દુનિયાથી પરિચિત થયા. જેમ એક ગુજરાતી બીજા ગુજરાતીની દેખા-દેખી પરદેશ જાય છે, તેમ દાદાભાઈ પણ અન્ય પારસીઓની જેમ ૧૮૫૫માં ઇંગ્લેન્ડ ભણવા ગયા અને ત્યાં લંડનની હવામાં તે ખીલી ઉઠ્યા. પાંચ દાયકા સુધી તે લંડન રહ્યા અને પાછા આવ્યા ત્યારે દેશ અને સમાજ કેવો હોવો જોઈએ, શહેરની રચના કેવી હોવી જોઈએ, ગરીબી અને અસમાનતા કોને કહેવાય, શિક્ષણનું શું મહત્ત્વ છે અને ગુલામી કોને કહેવાય, તેની સ્પષ્ટ સમજ વિકસી ચૂકી હતી.

૧૮૯૨માં ઈંગ્લેંડની સંસદમાં તેઓ ચૂંટાયા તો દાદાભાઈએ ખુદને ભારતીયોના પ્રતિનિધિ તરીકે ઘોષિત કરેલા. સાથી સંસદ સભ્યો તેમના પર હસતા કે એક પારસી કેવી રીતે ભારતીય હિંદુ બહુમતી અને મુસ્લિમોનો પ્રતિનિધિ હોય! ૧૮૯૩માં તે લાહોર કાઁગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ તરીકે ભાગ લેવા ભારત આવ્યા ત્યારે તેમને વધાવવા માટે ૫,૦૦,૦૦૦ મુંબઈવાસીઓ, જેમાં હિંદુ સાધુઓ અને મુસ્લિમ કાજીઓ હતા, ભેગા થયા હતા. તે સ્ટેશને-સ્ટેશને રોકાતી ટ્રેનમાં મુંબઈથી લાહોર ગયા હતા. પાછળથી ગાંધીજી પણ આવી જ રીતે ભારત ભ્રમણ કરવાના હતા.

લાહોરમાં દાદાભાઈ મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓની મુલાકતે ગયા હતા. કાઁગ્રેસ અધિવેશનના અધ્યક્ષ અને સભ્યોને વધવવા મુસ્લિમ શાયરોએ ઉર્દૂ કવિતાઓ અને હિંદુ મહિલાઓએ ભજન ગાયાં હતાં. દિન્યાર પટેલ લખે છે કે અહીં આં લાહોર અધિવેશનમાં દાદાભાઈએ કાઁગ્રેસ સભ્યોને કહ્યું હતું કે તે ગમે તે જ્ઞાતિના હોય, તેઓ સૌથી પહેલા ભારતીય છે. એક બંગાળી સમાચારપત્રમાં ત્યારે લખાયું હતું, “આ વખતે હિંદુ, મુસ્લિમ, શીખ, બંગાળી, હિન્દુસ્તાની, મરાઠી, પારસી, પંજાબી અને મદ્રાસી એક અવાજમાં બોલ્યા છે.”

દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રવાદની તે શરૂઆત હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિન્દુ ધર્મ તૂટે તે માટે હિન્દુઓ જ મહેનત કરી રહ્યા છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 September 2022

જો આત્મનિરીક્ષણની ટેવ હોય તો સમજાશે કે આપણને કોઈ ગુલામ બનાવવા નવરું ન હતું, પણ સેંકડો વર્ષની ગુલામી ભારતે વહોરી છે તેને માટે વિદેશીઓ છે, તેનાં કરતાં આ દેશની પ્રજા વધારે જવાબદાર છે. વેપાર કરવા આવેલી પ્રજાએ જોયું કે કુસંપી ભારતીયોને ગુલામ બનાવી શકાય એમ છે. એમણે જોયું કે અહીંના રાજાઓ અંદરોઅંદર લડે છે, નાના નાના સ્વાર્થ માટે પ્રજા સંપને હોડમાં મૂકે છે, એકસૂત્રતા નથી, એ બધી બાબતોએ વિદેશી પ્રજાને પગપેસારો કરવા માટેનું મોકળું મેદાન પૂરું પાડ્યું અને એમ સૈકાઓની ગુલામી કરમે ચોંટી.

આ સ્થિતિ સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવા છતાં બહુ બદલાઈ નથી. લગભગ સાડા છ દાયકા દેશમાં કાઁગ્રેસનું શાસન રહ્યું એ દરમિયાન બહુમતીની અવગણના અને લઘુમતીની આળપંપાળનો ઉપક્રમ જ ‘કેન્દ્ર’માં રહ્યો. એમાં વિધર્મીઓને સારું એવું પ્રોત્સાહન મળ્યું. પરિણામે બહુમતી પ્રજાની વસતિની ટકાવારી ઘટી અને લઘુમતીની વધી. આ સ્થિતિ વધુ વકરી હોત, પણ બહુમતી હિન્દુઓને નસીબે કેન્દ્રમાં ને ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર આવી ને હિન્દુઓ તરફી કેટલીક વાતો અમલમાં આવી. વિધર્મીઓ સામેના વાંધા તીવ્ર બન્યા. આપણા દેશે ચીન, પાકિસ્તાન સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું. આતંકી હુમલાઓ વધ્યા અને વધુ સંરક્ષણાત્મક પ્રયત્નો પછી પણ આતંકી ભય નિર્મૂળ થયો નથી. લોકોનો ભા.જ.પ.માં ને હિન્દુત્વમાં વિશ્વાસ વધ્યો ને ભા.જ.પ.ની સરકાર બીજી વખત પણ કેન્દ્રમાં આવી. ભા.જ.પી. શાસનમાં એટલું થયું કે લઘુમતી અવાજો પર નિયંત્રણ આવ્યું. ઠેર ઠેર હિન્દુ તહેવારો અને હિન્દુ ધાર્મિક પરંપરાઓ ઉજાગર થઈ અને એમ હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસારની મોકળાશ વધી. આજે તો એ સ્થિતિ છે કે હિન્દુ ધર્મનો દેખાવ ને દેખાડો વધ્યા છે.

એક સમય હતો જ્યારે મોગલોએ શાસન દરમિયાન મંદિરો તોડીને મસ્જિદ બનાવી અને હવે રામમંદિરથી માંડીને અનેક મંદિરોને તેની મૂળ સ્થિતિમાં પાછા લાવવાની માંગ ઊઠી છે ને એના કોર્ટમાં કેસ ચાલે છે. એ ઉપરાંત ભા.જ.પ.નો આત્મવિશ્વાસ એટલો વકર્યો છે કે જ્યાં પણ ભા.જ.પ.નું શાસન નથી ત્યાં પણ વિપક્ષોને જોડીતોડીને ભા.જ.પ.નો મહિમા વધારવામાં આવી રહ્યો છે. આજે તો એક જ લક્ષ્ય ભા.જ.પ.નું રહ્યું છે ને તે કોઈ પણ રીતે પોતાની સ્થાપનાનો જ મહિમા કરવો. એને માટે જે કરવું પડે તે કરવાનો તેને વાંધો નથી. આજે તો હવા એવી છે કે ભારત, હિન્દુ રાષ્ટ્ર બનવાની ધારે આવીને ઊભું હોય એમ લાગે. આ સાચું લાગતું હોય તો પણ તે સાચું નથી. આજે પણ ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્રનો દરજ્જો જ ધરાવે છે. ભારતીય બંધારણ મુજબ તે ધર્મનિરપેક્ષતાને સ્વીકારે છે. એ ખરું કે આજે પણ ભારતમાં હિન્દુઓની બહુમતી છે, છતાં તેનાં દેવીદેવતાઓની અનેક વખત દેશમાં કે વિદેશમાં અવહેલના થતી રહી છે. તેનાં દેવીદેવતાઓનાં ચિત્રો એવી જગ્યાએ મુકાય છે જે હિન્દુઓની લાગણીને દૂભવે. કોઈ દેવી કે દેવતાને ચંપલ પર ચીતરે છે, જેથી તે પગ નીચે આવે. તો, કેટલાક દેવો શરાબની બાટલીઓ પર ચોંટાડાય છે, તો કોઈ વળી મંદિરની મૂર્તિ ખંડિત કરે છે તો કોઈ મંદિરમાં માંસ કે હાડકાં નાખી જાય છે ને એવું એવું તો ઘણું બધું થતું રહે છે. કોઈ વળી પોતાનો ભગવાન જ શ્રેષ્ઠ અને બીજા ભગવાનો નબળા એવું સ્થાપવાનો હલકો પ્રયત્ન કરે છે. કાલના જ સમાચાર છે કે તમિલનાડુના એક પાદરીએ કહ્યું કે ઈશુ ખ્રિસ્ત જ અસલી ભગવાન છે. એવી જ રીતે અન્ય ધર્મના ધર્મગુરુઓ પણ દાવો કરી શકે ને એમ પોતાના ભગવાનને અસલી અને શ્રેષ્ઠ પુરવાર કરી શકે. કોઈ ભગવાનને બીજા ધર્મના ભગવાન સાથે ન હોય એટલી સ્પર્ધા ધર્મગુરુઓને તેમના ભગવાન સંદર્ભે હોઈ શકે છે. આમ તો કોઈ ભગવાન બીજા ભગવાન સાથે સ્પર્ધામાં ન ઊતરે તો પણ ધર્મગુરુઓ ભગવાનોને લડાવી મારે તો આશ્ચર્ય ન થાય.

આવું વિધર્મીઓ તરફથી થાય તે સમજી શકાય, પણ એક હિન્દુ ધર્મી, બીજા હિન્દુ ધર્મીની કે તેનાં દેવતાઓની ટીકા કરે ત્યારે આઘાત જ લાગે. હિન્દુ સનાતન ધર્મે સાકાર અને નિરાકાર ઈશ્વરની કલ્પના કરી છે ને બંનેનું પોતપોતાની રીતે મહત્ત્વ આંકયું છે. પ્રમાણમાં હિન્દુ ધર્મ અન્ય ધર્મોની તુલનાએ વધુ સહિષ્ણુ ગણાયો છે. એ જ કારણે તેણે અન્ય ધર્મીઓનાં આક્રમણો વેઠ્યાં છે. પણ, હવે એ સ્થિતિ છે કે હિન્દુ ધર્મની ટીકા હિન્દુ ધર્મીઓ જ કરીને તેમની વચ્ચે સંપ નથી એના પુરાવા આપી રહ્યા છે. હિન્દુ ધર્મને તોડવા હવે અન્ય ધર્મીઓની જરૂર નથી રહી, એને તો હિન્દુ ધર્મીઓ જ પહોંચી વળે એમ છે.

કારણ ખબર નથી, પણ એક જાણીતા સંપ્રદાયના સંતોએ શિવ અને બ્રહ્મા વિષે હલકી કોટિની ટીકાઓ કરીને સંપ્રદાયના સ્વામીનું મહત્ત્વ વધારવાની ચેષ્ટા કરી છે. એક કાળે દક્ષિણમાં એવું બન્યું હતું કે શૈવ પંથીઓ અને વિષ્ણુ પંથીઓ વચ્ચે તીવ્ર વિરોધ ચાલ્યા કરતો હતો. એ મામલે ત્યાં હત્યાઓ પણ થઈ હતી. અહીં સવાલ એ થાય કે શિવ અને વિષ્ણુ હિન્દુ દેવતાઓ હોય તો એની સ્વીકૃતિ તમામ હિન્દુઓમાં કેમ નહીં? કોઈ વિષ્ણુને માને તો કોઈ ભલે શિવને માને, પણ તેથી હિંસક રીતે એક બીજાની સામે તો ન જ પડાય, છતાં પડે છે. ખબર નહીં, એમ કરવાથી હિન્દુ ધર્મની કેવીક સેવાઓ થાય છે! એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ હિન્દુ સંપ્રદાય હિન્દુ ધર્મની અગાઉ સ્થપાયો નથી. દેખીતું છે કે જે તે સંપ્રદાયના સ્થાપક પણ હિન્દુ ધર્મ પહેલાં પ્રગટ્યા નથી. મતલબ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, કોઈ પણ સ્થાપકની પહેલાં મૂળ દેવતાઓ તરીકે હિન્દુ ધર્મમાં સ્વીકૃતિ પામેલા છે. સંપ્રદાયના સ્થાપકને અઢીસો વર્ષ પણ ન થયા હોય ને તે પુરાણના દેવો કરતાં મહાન હોય ને એ દેવો વળી સ્થાપકના દાસ હોય એવું ચિત્ર ઊભું કરવામાં નથી તો સ્થાપકનું હિત સધાતું કે નથી તો હિન્દુ ધર્મનું કોઈ મહત્ત્વ એથી વધે છે. બ્રહ્મા વિષે તો એક સંતે ગંદી અને અભદ્ર ટિપ્પણી કરી છે. તો, બે સંતોએ શિવનું અપમાન કરી સ્થાપકનું માન વધારવાની બાલિશ ચેષ્ટા કરી છે. આમ પણ જે તે સંપ્રદાયના સ્થાપકને મૂળ દેવતાઓ કરતાં મહાન ચીતરવાની રાજ રમતો થતી રહે છે. મંદિરમાં સ્થાપકની મૂર્તિ મોટી ને અન્ય દેવતાઓની મૂર્તિ નાની કરવામાં આવે છે, પણ તેથી નારાયણને તો કોઈ ફેર પડતો નથી કે નથી તો એ સ્થાપક-સ્વામીને કશો ફેર પડતો, પણ એમને નામે કહેવાતા સંતો પોતાની સ્થાપના કરી લેતા હોય છે. પોતાની લીટી લાંબી કરવાનું આવું વલણ સંતોને શોભતું નથી. એ સંપ્રદાયમાં કેટલાક મહાન સંતો થયા જ છે ને દેશવિદેશમાં સંપ્રદાયનો ફેલાવો પણ થયો છે, અનેક મંદિરો તેનાં સ્થાપત્યને કારણે વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યાં છે, આખો સંપ્રદાય સ્થિતિ સંપન્ન છે, પછી કોઈ પણ દેવતાનું અપમાન કરવાની જરૂર જ કેમ ઊભી થાય છે તે નથી સમજાતું. આ અપમાન વિધર્મી નથી કરતો, પણ હિન્દુ ધર્મી જ કરે છે ને તેથી તે વધારે આઘાતજનક છે.

એ ચોક્કસ છે કે આવું કરવાથી જે તે સંપ્રદાય લોકચાહના ગુમાવે છે. છાપ એવી પડે છે કે હિન્દુ જ હિંદુનો વિરોધી છે. આ કમસે કમ હિન્દુઓની તરફેણમાં નથી જતું. મોટે ભાગના હિન્દુઓ પણ એ સમજે છે કે સ્થાપક, મૂળ હિન્દુ દેવો કરતાં મહાન નથી જ, એમનો ક્રમ કોઈ રીતે પણ એ દેવોની નજીકનો પણ નથી, પછી શિવ કે બ્રહ્માની સ્થાપક સાથેની ખોટી ટીકા કે તુલનાનો કોઈ અર્થ ખરો? એનાથી અભણ, ગરીબ પ્રજા થોડો વખત કદાચ છેતરાય, પણ તેથી સંપ્રદાયનું કોઈ હિત સધાતું હોય એવું લાગતું નથી ને સૌથી મહત્ત્વની વાત તો એ કે આવું થતાં હિન્દુ ધર્મમાં માનનારાઓ વચ્ચે જ તડ પડે છે ને એક જ ધર્મના લોકો વચ્ચે વિખવાદ વધે છે. આ ઈચ્છવા જેવું છે? સંપ્રદાયના આવાં ટીકાખોર સંતો કદાચ એવું માનતા હશે કે શિવ કે બ્રહ્મા સંપ્રદાયના દેવતાઓ નથી. નહીં તો એમનું અપમાન કરીને સંતો સ્થાપકનું મહત્ત્વ શું કામ વધારે? પણ એમણે, એ સ્થાપકે શિવ કે નારાયણ વિષે જે કહ્યું છે તે એકવાર જોઈ જવા જેવું છે. એટલું થશે તો તેમને જરૂર સમજાશે કે સ્વામી, નારાયણ કરતાં મહાન નથી.

તો સ્થિતિ આ છે –

આજે પણ હિન્દુઓ વચ્ચે સંપ નથી ને ધર્મ જેવી બાબતમાં પોતાનો જ કક્કો ખરો કરવામાં અંદરોઅંદર લડી મરવાનું જ તેમને વધારે અનુકૂળ આવે છે. ત્યારે, વિદેશીઓએ અને વિધર્મીઓએ આ કુસંપનો લાભ ઉઠાવ્યો, હવે રાજકારણીઓ ઉઠાવી રહ્યા છે. આ રાજકારણીઓ વિધર્મી નથી, તેમ છતાં તેઓ રાજકીય સ્વાર્થમાં એવા ધૃતરાષ્ટ્રો છે કે હિન્દુઓને જ હિન્દુઓ વિરુદ્ધ થતાં અટકાવી શકતાં નથી. કદાચ રાજકારણ અને ધર્મનો એક જ હેતુ બચ્યો છે ને તે છે શોષણ ! એમાં કોઈને કોઈ શરમ, સંકોચ નડતાં નથી ને દુખનું મુખ્ય કારણ એ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 સપ્ટેમ્બર 2022

Loading

થઈને ઈશ્વરાભિમુખ

ઈલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ (ભાવાનુવાદઃ પંચમ શુક્લ)|Poetry|11 September 2022

બધા કૃપાળુ મિત્રોની કૃપા જો એકઠી થઈને 

આ હૃદયમાં પાંગરે, વધે અધિક એટલી કે 

જિંદગી સ્વયં બને કરુણ ને દયાને પાત્ર ….

તો લાવ હું ધીમી પડું,

હું ધીરે ધીરે ઓસરું! 

કિંતુ થઈ અધીર, નથી ઉચિત હૃદયને ખોલવું

એ મિત્રની કને કે જે તુરત થશે કબૂલ કરવા:

યોગક્ષેમનું વહન, સમસ્ત મૂલ્યનું જતન, સમગ્ર પ્રેમનું કથન!

પિછાણી લીધાં દીવાસ્વપ્નો ને આ ભયની ભ્રમણાઓને,

એટલે પ્રકંપું હું અશું કશું અકારણે;

લલાટે આવતી લટોથી થાઉં છું ચલિત હવે

ડરી ય જાઉં છું હું મારા ધ્રુજતા મુક્ત સાદથી!

ઓ દૈવીશક્તિ! ઊતરો પ્રપાતથી ને જોમથી

વહાવી જાવ આ શરીર પ્રચંડ તવ પ્રવાહમાં …

શું સાંભળો છો મુજને કે જે શાંતિથી સૂણ્યા કરે છે

એકધારું અનવરત થઈને ઈશ્વરાભિમુખ?

•

An Apprehension •  Elizabeth Barrett Browning

If all the gentlest-hearted friends I know

Concentred in one heart their gentleness,

That still grew gentler, till its pulse was less

For life than pity, — I should yet be slow

To bring my own heart nakedly below

The palm of such a friend, that he should press

Motive, condition, means, appliances,

My false ideal joy and fickle woe,

Out full to light and knowledge. I should fear

Some plait between the brows — some rougher chime

In the free voice … O angels, let the flood

Of bitter scorn dash on me! Do ye hear

What I say, who hear camly all the time

This everlasting face-to-face with GOD?

(06 March 1806 – 29 June 1861)

Loading

...102030...1,2591,2601,2611,262...1,2701,2801,290...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved