Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘેરો થયો ગુલાલ – ગઝલાવલોકન 

સુરેશ જાની|Opinion - Opinion|5 June 2025

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

                                      — જવાહર બક્ષી 

મને બહુ જ ગમતીલા, માનનીય શાયર જવાહર બક્ષીનો – મારા જીવનમંત્ર જેવો – શેર…..

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. 

આખું જીવન ભરપૂર જીવ્યા હોઈએ, ઘણા બધા અભરખા, ઉલ્લાસો, મજાઓ, મહત્ત્વાકાંક્ષાઓ સંતોષાઈ ગઈ હોય – આ લખનાર જણ છે, તેવા જીવનના આખરી તબક્કામાં – ભગવો વધારે ગમતીલો બને; એ જીવનની કુદરતી રીત છે. મારી ઉમરના વયસ્કોની મોટા ભાગની વાત આવી – વિરક્તિની – હોય છે. આ લોક ભોગવી લીધા પછી, પરલોક વિશે વધારે ચિંતા થવા લાગે છે. હાથમાં વાંસળી નહીં પણ માળા આવી જાય છે! સામાન્ય માણસની સામાન્ય કથની જ ને?

પણ જેને આપણે યોગેશ્વર ગણીએ છીએ એ શ્રીકૃષ્ણનું જીવન એક જુદી જીવનરીત દર્શાવે છે. તેમ જ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું જીવન બીજી જીવન રીત બતાવે છે. હિંદુ જીવન દર્શન આ બન્નેને આદર્શ જીવન માને છે. અને યોગ્ય રીતે માને છે.

જીવનના કોઈ પણ તબક્કામાં મસ્તી અને વિરક્તિ એક સાથે અસ્તિત્વ ધરાવી શકે છે. કશાથી તણાઈ  ન જવું. સાગર મધ્યે પણ કોરા રહી શકાય અને રણમાં પણ ભરપૂર ભીનાશ માણી શકાય. કમળના પાન પર પાણીનું ટીપું રહે તેમ મનની વૃત્તિઓ બધા ઉછાળા વચ્ચે પણ સ્થિર રહી  શકે?

આઠ દાયકાઓના જીવન નાટક પર નજર કરતાં એમ લાગે છે કે, જો આ મનોસ્થિતિ જીવનભેર રહી હોત તો જીવન કેવું વધારે સભર રહ્યું હોત? નાટકનો નાયક આમ જ અભિનય કરતો નથી હોતો? એ શ્રૃંગાર, કરુણ કે શાંત રસનો આપણને ભરપૂર અનુભવ કરાવી શકે છે. પણ પોતે તો એનાથી સાવ અલિપ્ત જ હોય છે. એનું કામ તો નાટકનો રસ પ્રેક્ષકને પીરસવાનું હોય છે – અને તે એ કામ પૂર્ણ નિષ્ઠાથી કરી શકે છે.

ખેર! ભલે જીવન એ રીતે ન જીવાયું . પણ છેલ્લો શ્વાસ નીકળી જાય ત્યાં લગણ આવી જાગૃતિ સાથે જીવન વીતાવતાં એમ પ્રતીતિ થઈ છે કે, કદાચ આ જીવન જીવવાની સાચી રીત છે.

માનીતા, ગમતીલા શાયર ‘શૂન્ય’ પાલનપુરીની આ ગઝલ સાથે વિરમીએ,  ઉલ્લાસીએ ….

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

e.mail : surpad2017@gmail.com

Loading

સર્જક નાથાલાલ દવે

લેખન, સંકલન : 'શિલ્પી' બુરેઠા|Opinion - Opinion|5 June 2025

“એવા આવે છે ધરતીના સાદ રે હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ! ગામડે.
*

“સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મ્હેર રે
ભાઈ ! મોસમ આવી મહેનતની.
*
“કામ કરે ઈ જીતે રે માલમ !
કામ કરે ઈ જીતે.
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઈ રીતે રે.
કામ કરે ઈ જીતે.”
*

નાથાલાલ દવે

ઉપરોકત રચનાઓ અવારનવાર મોઢે આવી જાય અને ગણગણવાની મજા પડે. કારણ કે એ પાઠયપુસ્તકોમાં ભણવામાં આવી ચૂકી હોય અને રચનાની ગેયતાને કારણે વારંવાર ગણગણી હોય એટલે હૈયાના ખૂણે સચવાયેલી જ રહી હોય, જ્યારે પણ મન મોજમાં આવે એટલે અચૂક હોઠે આવી જાય. મીઠીમધૂરી આવી ઘણી રચનાઓ ઘણાને મોઢે હશે. આપણે આજે આ રચનાઓ યાદ કરવાનું કારણ એટલું જ કે આ રચનાઓના સર્જક નાથાલાલ દવેનો આજે (03 જૂન 2025) જન્મદિવસ છે. તેઓ ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વાર્તાલેખક અને અનુવાદક હતા. શિક્ષણ અને સાહિત્ય સાથે સંકળાયેલા હતા શિક્ષક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હતી.

1942માં ‘કાલિંદી’(નવલકથા)થી શરૂઆત કરીને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને પ્રેમાંજલિ આપતો કાવ્ય સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ 1985માં આપીને તેમની લાંબી સાહિ‌ત્યસર્જન સેવા આપી છે. તેમની કવિતામાં પ્રકૃત્તિપ્રેમ, ગ્રામીણ પરિવેશ અને મજાની ગેયતાને કારણે ખૂબ જ લોકપ્રિય થયાં છે. તેમણે ‘કાલિંદી’, ‘જાહ્નવી’, ‘અનુરાગ’, ‘પિયા બિન’, ‘ઉપદ્રવ’, ‘મહેનતનાં ગીત’, ‘ભૂદાનયજ્ઞ’, ‘સોનાવરણી સીમ’, ‘હાલો ભેરુ ગામડે’, ‘મુખવાસ’ જેવા વીસ કાવ્યસંગ્રહો આપ્યા છે. તો’ઊડતો માનવી’, ‘મીઠી છે જિંદગી’ જેવાં વાર્તાનાં પાંચેક પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત સંપાદનનાં અગિયાર અને અનુવાદ ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો સહિત તેમનું ગુજરાતી ભાષામાં બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે.

સર્જકનો જન્મ 3 જૂન 1912ના રોજ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. તેમના પિતાનું નામ ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તૂરબહેન. તેમણે 1934માં બી.એ. અને 1936માં એમ.એ.ની પદવી મેળવી હતી. તો 1943માં શામળદાસ કૉલેજ, ભાવનગરથી બી.ટી. થયા. અને 1956 થી 1970 દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે સેવારત્ત રહ્યા.

કવિ નાથાલાલનો વિસ્તૃત પરિચય આપતાં અમેરિકા સ્થિત તેમનાં ભાણેજ સરયૂ મહેતા-પરીખ લખે છે :

“અમારું બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારાં બા તૈયારી કરતાં હોય એ જોવાનો લ્હાવો હતો.

એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકઝકની યાદ આવતા હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે. ખાદીના સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શિબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતાગણની પ્રશંશા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો.

પાઠ્યપુસ્તકમાં “પિંજરના પંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાના લખેલાં ગીતો ગવાયેલાં અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્ય રસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી.”

મારા બા, ભાગીરથી, એક બાલિકા બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મૂંઝાતાં હતાં, ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતા જે એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે ફરી ભાવનગરની શાળામાં ભણવાનુ શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં શિક્ષિકા બન્યાં. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતાં કે એમના ગુરુ  વજુભાઈ શાહના જન્મદિવસે બધા એકઠાં થવાના હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે. આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલ, ‘બી બ્રેવ’ એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે. મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમ જ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપુ અને ચશ્માં તૈયાર કરીને રાખ્યાં હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય, એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.

એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું જ્યારે નાના જીવનમામા, જે મુંબઈમાં વકિલ હતા, એમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. મામાનું ઋજુ હ્રદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદાની યાદમાં આળું હતું. પછી બીજી દીકરીનો જન્મ થતાં નામ પ્રિયંમવદા આપેલું, પણ આપણે બધાં એને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ. ધીરૂભાઈ-પ્રફુલ્લા, નીરૂભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ પણ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.

એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.” તેમની આ મજાની રચના માણીએ :

ઘડુલિયા.  • નાથાલાલ દવે

કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથનીઅવળી સવળી થપાટ.
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા

વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે કર્મે લખિયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે જાંળુ સળગે ચોમેર.
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા

વેળા એવી વીતી રે વેદનતણી ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે પાકા પંડ રે પરમાણ.
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા

હરિએ હળવેથી લીધા અમને હાથમાં રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા.
—–

03 જૂન 2025
e.mail : saryuparikh@yahoo.com
 https://saryu.wordpress.com
https://www.amazon.com/-/e/B06XYS9HH9

Loading

જયપ્રકાશ નારાયણ : સંપૂર્ણ ક્રાંતિના મહાનાયક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 June 2025

બિહારમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જયપ્રકાશે જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો

પ્રકાશ ન. શાહ

હવે થોડાં અઠવાડિયાં, અને કટોકટીરાજ જાહેર થયું એની પચાસવરસીએ પહોંચીશું. તે નિમિત્તે વર્તમાનમાં ખોડાઈ લગરીક ભૂત ને કંઈક ભાવિ જોવાતપાસવાનો સણકો કમબખ્ત કેડો મેલતો નથી.

2025ના જૂનની પાંચમીના ઉંબર કલાકોમાં ઊભી આજે 1974 અને 1975ના જૂનની પાંચમી નિમિત્તે થોડીક દિલખુલાસ નુક્તેચીની કરવા ચહું છું.

1975ના જૂનના પહેલા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ગુજરાતના ચૂંટણી પ્રવાસમાં હું જયપ્રકાશજીની જોડે હતો. વચ્ચે વચ્ચે યદૃચ્છા વાતો થતી રહેતી એ ગુજરાત વિશે કંઈક પૂછેસંભારે; વળી આ દિવસોમાં બિહારમાં શું હશે, શું નહીં, એનીયે વાત કંઈક સ્વગતોક્તિની રીતે કરે.

મુદ્દે, આગલા વરસની, 1974ની, પાંચમી જૂન એમને સારુ ખાસ હતી. અને ઓણ એ તારીખે તે બિહારમાં નથી, એનો કંઈક વસવસો પણ એમને હશે. જતી જિંદગીએ, જો કે નવપ્રભાતે, એક સિપેહસાલાર જુએ એવાં ક્રાંતિસપનાં એ જોતા હશે – અને તાકડે પોતે સીધી સમરભૂમિ એટલે કે બિહારમાં નથી, એ વાસ્તવિકતાએ કંઈક સોરવાતા પણ હશે.

નવનિર્માણના છાત્રયુવા સમુદાય સાથે દોસ્તી દિલ્લગી ને દિલની વાતો કરવાનો તો ગાંધી-રુઝાન ધરાવતી બિરાદરી સાથે લોકઆંદોલનને સંભવિત વળાંકની રીતે પ્રગટ મંથનનો એક દોર પૂરો કરી એમણે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં દિલ્હી મુકામ કીધો હતો. વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે તેમ વિપક્ષ નેતાઓ સાથેની વાતચીતમાં હજુ એ સંવાદખોજની ભૂમિકાએ હતા. બિહાર પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો. શાંતિમય હિલચાલની શરતે એમણે યુવાનોનું નેતૃત્વ સ્વીકાર્યું ને આંદોલન આગળ ચાલ્યું. મને સાંભરે છે, એ જ મહિનાઓમાં તો ધર્મવીર ભારતીએ કાવ્યકેમેરે આબાદ ચિત્ર કંડાર્યું હતું :

ખલક ખુદા કા, મુલુક બારશાકા

હુકુમ શહર કોતવાલકા

હર ખાસો આમકો આગાહ કિયા જાતા હૈ

કિ ખબરદાર રહેં

ઔર અપને અપને કિવાંડો કો અંદરસે

કુંડી ચઢાકર બંદ કર લેં

ગિરા લેં ખિડકિયોં કે પરદે

ઔર બચ્ચોં કો બહાર સડક પર ભેજેં

ક્યોં કિ

એક બહત્તર બરસકા બૂઢા આદમી

અપની કાંપતી કમજોર આવાજ મેં

સડકોં પર સચ બોલતા હુઆ નિકલ પડા હૈ!

જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમને મન મુદ્દો કેવળ રાજીનામાંમાં સીમિત નહોતો. ધોરણસરની નવી ચૂંટણીની વાત તો જાણે ખરી, પણ કાયદા કાનૂનની ન એવીતેવી વાતે અગર આટેપાટે અટકવાનો ખયાલ મુદ્દલ નહીં : ગાંધીમાહોલમાં એ આઝાદીના જંગમાં કૂદી પડ્યા હતા તે માત્ર ગોરા સાહેબોને સ્થાને કાળા કે ઘઉંવરણા સાહેબોના સ્થાપના સારુ તો નહીં – એ લડાઈ સમાજ પરિવર્તનની હતી. વંદેમાતરમનો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના દોર સાથે નકરા રાજપલટાથી આગળ જવા સારુ હતો. સન સુડતાલીસ પછી ધારો કે એ ધારા છૂટી ગઈ હોય તો હવે આ એના પુન:આ‌વાહનની પળ હતી – હાસ્તો, ’47નું ઊંધું ’74! 1974ની પાંચમી જૂને એટલે સ્તો પટણાના ગાંધી મેદાનમાં વિરાટ રેલીને સંબોધતા જયપ્રકાશે કહી નાખ્યું’તું કે આ જંગ સાપનાથ જાય અને નાગનાથ આવે એટલા પૂરતો નથી … સંપૂર્ણ ક્રાંતિનો આ જંગ છે, સંપૂર્ણ ક્રાંતિનો!

બરાબર અંતે વરસ પૂરું થઈ રહ્યું છે ને ત્યારે પોતે પટણામાં એની રૂ-બ-રૂ યાદ આપવા વાસ્તે નથી એનો એમને કંઈક ખટકો હતો. સ્વગતોક્તિની રાહે એ કંઈક ગણગણતા પણ જણાયા હતા – ગર મૈં વહાઁ હોતા …

સામ્રાજ્ય પરિવર્તનના આંદોલનમાં સત્તા પરિવર્તન – વિધાનસભાની ચૂંટણીએ ફતેહ સાથે અને છતાં બેડો ગરક તો નહીં થઈ જાય ને એ એમની અમૂઝણ હતી.

ગમે તેમ પણ, નડિયાદની જાહેર સભા પછી વિઠ્ઠલ વિદ્યાલયમાં ઉત્સાહી યુવજનો સાથે વાર્તાલાપ કરવાનો બન્યો ત્યારે જયપ્રકાશ પાછા અસ્સલ મિજાજમાં આવી ગયા. કોઈએ ચંબલના બાગીઓ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એ હતો પણ રસિક એટલો જ સૂચક કે એના કરતાં હાલનું કામ લગાર કાઠું છે!

વડોદરા પહોંચ્યા, જ્યોતિના ગેસ્ટ હાઉસમાં – ને એ કંઈક આરામ સારુ આડા પડ્યા ત્યાં મને (અલબત્ત એમના માટે) મળવા પત્રકાર મિત્રો કિરીટ ભટ્ટ ને વિક્રમ રાવ આવી પહોંચ્યા. એમની ચિંતા રાજ્યના મંત્રી અને પૂર્વ મેયર ઠાકોરભાઈ જેવા બધી જ રીતે પહોંચતા ઉમેદવાર સામે જનતા મોરચાના આજીવન સેવાવ્રતી ને અક્ષરશ: અકિંચનવત પેંઢારકરની ઉમેદવારીને અંગે હતી. એ તો વાત કરીને ગયા, પણ જે.પી. ઊઠ્યા ત્યારે એમને મેં આ વાત કરી. પેંઢારકરને એ જૂના સમાજવાદીને નાતે જાણતા પણ હશે. 

એમણે મને કહ્યું, તું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખજે અને મારા વક્તવ્યમાં હું હાલની ચૂંટણીપ્રથા ને આકરા ખર્ચા વિશે કહું કે તરત મને આપજે. હું એક રાજકીય સંપન્ન સામે સમર્પિત વિપન્નનું સમર્થન એ લોકશાહીની જરૂરત છે તે નામજોગ સમજાવીશ. કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી કરામતે ચૂંટણી પરિણામમાં રંગ દાખવ્યો હતો!

બીજે દિવસે રાત્રે રાજકોટની સભા પૂર્વે મેં ચિમનભાઈ શુક્લને કહ્યું કે જે.પી.ના ભાષણ પૂર્વે અમારી સાથેનાં મંદાબહેન, બિહાર આંદોલનનું ધ્રુવગીત ગાશે : ‘જયપ્રકાશ કા બિગુલ બજા તો જાગ ઊઠી તરુણાઈ હૈં.’ જયપ્રકાશે ભાષણની શરૂઆતમાં જ આ ગાન સંભાર્યું ને કહ્યું કે તે કોઈ ચૂંટણીગીત નથી. પરિણામ પછી પણ ચાલુ લડતનું એ સંકલ્પગાન છે ને પોતે એની જોડપંક્તિ ઉમેરી : ‘તિલક લગાને તુમ્હેં જવાનોં ક્રાંતિ દ્વાર પર આયી હૈ.’

જૂન ’74થી જૂન ’75 વચ્ચેની એક વરસની મજલમાં જે.પી. ભરજોસ્સે કદાચ જોતા હતા કે તિલક ને દ્વાર વચ્ચે અંતર હોવાનું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 જૂન 2025

Loading

...102030...125126127128...140150160...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved