Opinion Magazine
Number of visits: 9567286
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાવણ આજે હોત તો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 December 2022

કાવ્યકૂકીઝ

0

રાવણ આજે હોત તો

માથું દુખવાની 10 ટેબ્લેટની

આખી સ્ટ્રીપ જ તેણે એક સાથે લીધી હોત

તે જો બસમાં મુસાફરી કરતે તો

દસ ટિકિટ કઢાવવી પડતે

ને બધાં માથાં સાથે બસમાં ઘૂસવા જતે તો

અડધાં માથાં તો બહાર જ લટકતાં હોત

હોટેલમાં એક ચા મંગાવી હોત તો

નવ માથાં ‘મને પહેલાં’ની બૂમો મારી

અંદરોઅંદર ઝઘડ્યાં હોત !

ચૂંટણી લડવા ટિકિટ કેટલી આપવી

એ બાબતે ય તકરાર થઈ હોત

ને ધારો કે બધાં માથાં જીત્યાં હોત તો પણ

ઉમેદવાર તો એક જ જીત્યો હોત !

એ જો લગ્ન કરવા તૈયાર થયો હોત

તો કોઈ કન્યાએ ‘ટેન ઇન વન’ હસબન્ડને

પસંદ કર્યો હોત કે કેમ તે નક્કી કરવાનું

મુશ્કેલ છે ને ધારો કે કોઈ તૈયાર થઈ પણ હોત

તો બહુપતિત્વને મામલે કોઈ વકીલે

તેને બચાવી હોત કે કેમ તે પ્રશ્ન જ છે

એમાં કદાચને કોઈ ગુના સબબ

પતિને જેલ થઈ હોત તો

એક ઓરડીમાં માથાંનો ભરાવો થતાં

અન્ય કેદીને રાખવા અંગે

ચડભડ થઈ હોત તે નફામાં !

બાય ચાન્સ ડહાપણની દાઢ કઢાવવાની હોત

તો એક સામટી દાઢ કઢાવવાનો ખર્ચ

કદાચ પરવડ્યો હોત તો પણ

દસેક ગણો દુખાવો દૂર ન કરી શકતા

ડૉક્ટરને તેણે ઝાપટ મારી જ હોત

તો ડૉક્ટર ચોકઠું નખાવવા ક્યાં ગયો હોત

તે અટકળનો વિષય છે

એ અટકળ તમે કરી શકો એમ છો?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

વૈશ્વિક વાતાવરણ વિનાશક છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 December 2022

2022નું વર્ષ પૂરું થવામાં છે ત્યારે વિશ્વનું વાતાવરણ, ઉજવણાંનું ઓછું અને ઊઠમણાંનું વિશેષ જણાય છે. નાતાલનો પણ તાલ રહ્યો નથી. અમેરિકાએ તો બરફમાં દટાઇને ક્રિસમસ ઊજવી છે. ત્યાં બોમ્બ સાઈક્લોને 48 રાજ્યોમાં બરફની સફેદ સફેદ ચાદરો ફેલાવીને 65 જીવોને ઠંડી કબરોમાં દફનાવી દીધા છે. સૌથી વધુ મોત ન્યૂયોર્ક સ્ટેટના બફેલો સિટીમાં થયાં છે. આઠ ફૂટથી વધુ બરફ જામી ગયો છે ને લાખો લોકો વીજળી-પાણી વગર ઝઝૂમી રહ્યાં છે. પાણી જામી જવાને લીધે, ઠંડી અને પાણીને અભાવે 34 લોકો મૃત્યુ પામ્યાં છે. 25 કરોડથી વધુ લોકો આ તોફાનથી અસરગ્રસ્ત છે. આ તોફાનને આર્કટિક બ્લાસ્ટ પણ કહે છે. એને કારણે પારો -57 ડિગ્રીએ પહોંચ્યો છે. આર્કટિક પરથી બરફનાં કણો સાથે પવન ફૂંકાય છે ને તે બોમ્બની જેમ વરસે છે. 26 ડિસેમ્બરે ત્રણ ભારતીયો જામી ગયેલાં વુડ કેનન લેક પર ફરતાં હતાં ને એકાએક બરફની પરત તૂટતાં લેકમાં ગરકાવ થઈ ગયાં ને મૃત્યુ પામ્યાં. અમેરિકામાં જનજીવન ઠપ થઈ ગયું છે ને ત્યાં ઇમરજન્સી ડિકલેર થઈ છે. ત્રણ હજારથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે ને સ્થિતિ અત્યારે વિશ્વ આખાથી કપાઈ ગયા જેવી છે. એ જ રીતે જાપાનમાં આઠેક દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે 17 જીવોને બરફની કબરો નસીબ થઈ છે. જાપાનના 20 હજારથી વધુ ઘરોમાં અંધારપટ છે ને બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો તે કરી રહ્યું છે. .

એ પણ છે કે ચીન, જાપાન, ભારત, અમેરિકા પર ફરી એક વાર કોરોનાનો પંજો રાક્ષસી રીતે ફેલાઈ રહ્યો છે. ચીનમાં તો રોજના કરોડો લોકો કોરોનાની પકડમાં બહુ ખરાબ રીતે જકડાઈ રહ્યાં છે. ચિત્ર એવું ભયાનક છે કે ચીનમાં શબોના નિકાલ માટે વીસેક દિવસનું વેઇટિંગ ચાલે છે. એ પણ સૂચક છે કે કોરોના પિક પર છે ત્યારે તે 3 વર્ષે દેશની સરહદો ખોલી રહ્યું છે ને બીજી તરફ ચીનથી આવતાં લોકો પર 5 દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ચીનથી જરા ય ઓછું જોખમ ભારતમાં કોરોનાનું નથી, છતાં અહીં બધા દેશોમાંથી હવાઈ ઊડ્ડયનો ચાલુ જ છે. ચીનથી ભારતમાં અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે ને એમાંના કેટલાક તો કોરોના પોઝિટિવ પણ છે, કેરળમાં જ ચીનથી પોઝિટિવ કેસો આયાત થયા છે ને ત્યાં કેસમાં રાતોરાત 38 ટકાનો વધારો જોવાયો છે, પણ સરકાર અત્યારે તો દેશ આખામાં જરૂરી ટેસ્ટ કરાવીને જ ફરજ બજાવ્યાનો સંતોષ લઈ રહી છે.

કોરોનાને રોકવાના પ્રયત્ન કરતાં કોરોનાને સત્કારવાની તૈયારીઓ ભારતમાં વિશેષ જણાઈ રહી છે. અહીં બે પ્રકારની પરિસ્થિતિ કોરોના સંદર્ભે જોવા મળે છે. એક વર્ગ એવો છે જે કોરોનાને મામલે જરા પણ ફિકર કર્યા વગર બિન્ધાસ્ત ગમે ત્યાં રખડે છે. તેને રોકવાની જરૂર કોઈને જણાતી નથી. એક તરફ સ્કૂલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે, પણ ઉચ્ચ અધિકારીઓને એવી કશી ફરજ અત્યાર સુધી પડી નથી તેનું આશ્ચર્ય જ છે. કોઈ શતાબ્દી મહોત્સવ કે કાંકરિયા ફેસ્ટિવલ કે લગ્નના વરઘોડા કે ધાર્મિક વિધિવિધાનો ભલે હોય, પેલા બિન્ધાસ્ત વર્ગને ગમે ત્યાં હાજર થઈ જવાની કોઈ છોછ નથી. બીજો વર્ગ એવો છે જે કોઈ પણ સરકારી કે ખાનગી જાહેરાતો વગર પણ, સતત દહેશતમાં જ જીવે છે. ખાંસીનો એકાદ ઠસકો આવે તો ય કોરોના પોઝિટિવ હોવાની તેને ફાળ પડતી રહે છે. સરકાર અત્યારે તો હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા છે કે કેમ તેની તકેદારીમાં પડી છે તો ખૂટતી રસીઓ લેવા લોકો પણ ઉતાવળ કરી રહ્યા છે.

આમ કોરોના ચીનથી વિશ્વમાં ફેલાયો એ પછી કોરોના વાયરસ ન રહેતાં તે વૈશ્વિક ષડયંત્ર થઈને રહી ગયો છે. જેટલાં મોઢાં એટલી વાતો ચાલે છે. સાચુંખોટું પરખાતું નથી. ચીનમાં ભયંકર સ્થિતિ છે એવું કહેવાય છે, તો ત્યાં રહેનારાઓ જ એવું કૈં નથી – એવું પણ કહે છે. રશિયન ચેનલો ચીનની વિરુદ્ધ પડી હોય તેમ તેનું ભયંકર ચિત્ર વિશ્વ સમક્ષ મૂકી રહી છે. આ પાછું નિર્દોષ ભાવે થતું નથી. દુ:ખદ વાત જ એ છે કે કોઈ નિર્દોષ જણાતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)થી માંડીને ઘણા દેશોએ એમાં રાજનીતિઓ કરી છે ને કોરોના અટકે તે કરતાં તે ચાલુ રહે એમાં જ ‘વૈશ્વિક કલ્યાણ’ જોવાઈ રહ્યું છે. ચીને મહાસત્તા બનવાની લહાયમાં વૈશ્વિક અર્થકારણ તોડવાની કોશિશ, કોરોના ફેલાવીને કરી એથી અમેરિકા ઉશ્કેરાયું ને ચીન તથા અમેરિકાનો શત્રુવટ સપાટી પર આવ્યો. વિશ્વમાં રસીઓની શોધ ચાલી તે સાથે વાયરસ અટકાવવાને બદલે નવા વાયરસની શોધ પણ ચાલી. આમ તો રશિયા અને ચીન મિત્ર રાષ્ટ્રો છે, પણ રશિયા અત્યારે ચીનની વિરુદ્ધ માં પડ્યું છે ને તેણે તેની વિરુદ્ધ અપપ્રચારમાં પણ ઝુકાવ્યું છે. એમ પણ મનાય છે કે જ્યોર્જિયાની એક લેબોરેટરીમાં કોરોના તૈયાર કરીને ચીનમાં જાસૂસો દ્વારા મોકલવામાં આવ્યો છે. આ વાયરસ વોર છે અને અમેરિકા એ દ્વારા ચીનને પછાડવા માંગે છે. ચીનમાં જે સ્થિતિ છે તે અમેરિકાને આભારી હોવાનું પણ કહેવાય છે. કોરોનાની કરમકહાણી એ છે કે તે તેની હયાતીમાં જ મિથ હોવાનું ગૌરવ પણ ભોગવે છે. ચીન શાંતિની વાત કરવા ઈચ્છે છે અને અંદરખાને શસ્ત્રો સજાવીને ભારતને ભીંસમાં લેવાની પેરવીમાં પણ છે જ !

નેપાળમાં શાસન બદલાયું છે તે ઉપરાંત ત્યાંથી તે ઉત્તરાખંડ સુધી ભૂકંપના ત્રણેક આંચકાઓ આવી ચૂક્યા છે, ભૂકંપથી ગયા નવેમ્બરમાં જ ઇન્ડોનેશિયામાં ત્રણસોથી વધુ માણસોનાં મોત થયાં તો અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપથી હજારથી વધુ માણસોનાં મોત થયાં. એ સાથે જ અફઘાનિસ્તાનમાં પૂરથી પણ 182 લોકોનાં મોત થયાં ને એ જ પૂરે ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, નાઈજિરિયા, પાકિસ્તાનમાંય સેંકડો માણસોનાં જીવ લીધાં છે, તો પાકિસ્તાન પોતે આતંકી હુમલાનો ભોગ પણ બન્યું છે. તેણે તો શરૂથી સાપને ઝેર પાવા જેવું જ કર્યું છે. ફરજિયાત હિજાબને મામલે ઇરાનમાં મહિલાઓએ જાહેરમાં વાળ કાપીને ભારે વિરોધ કર્યો, આ ઉપરાંત તાલિબાને તમામ સરકારી ને બિનસરકારી સંગઠનોને મહિલાઓને કામ પર આવતાં રોકવાની તાકીદ કરી છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને શાસકો વચ્ચે સંઘર્ષ ચાલે છે. પેરિસમાં વંશીય સમુદાયને નિશાન બનાવીને ગયે અઠવાડિયે જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં સેંકડો સીરિયન કુર્દો સડક પર ઊતરી આવ્યા છે. શ્રીલંકામાં લોક વિરોધે એવી કટોકટી સર્જી કે ત્યાંના રાષ્ટ્રપતિએ ભાગવું પડ્યું. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. મોરબીમાં ખુલ્લો મુકાતાં જ પુલ તૂટે ને 135 લોકોના જીવ જાય ને એ વળી થોડા સમયમાં જ સહજ થઈ જાય એવું અમેરિકામાં પણ છે, ત્યાં ફરક એટલો છે કે પુલ 50 વર્ષે તૂટે છે. એટલે બાંધકામમાં ગરબડ ભારતમાં જ છે એવું નથી, પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં ય છે. ટૂંકમાં, વિશ્વ પર નજર નાખીએ છીએ તો વાતાવરણ ઠારનારું અને ડારનારું જ જણાય છે.

એમ પણ લાગે છે કે આખું વિશ્વ કોઈક રીતે મારીને મરવાની ઉતાવળમાં છે. અમેરિકા, ચીન અને રશિયા એકબીજાની સ્પર્ધામાં કોઈને પણ હાનિ પહોંચાડવામાં પૂરતાં બેશરમ રાષ્ટ્રો છે. આ રાષ્ટ્રો યુદ્ધથી, વાયરસથી, કુદરતી તોફાનથી પ્રભાવિત છે, પણ શાંતિ કોઈને ખપતી નથી. કોઈ જંપતું નથી. માનવ કલ્યાણની વાતો બધાં જ કરે છે, પણ સર્વનાશ વગર કલ્યાણ શક્ય નથી એવી ગ્રંથિથી પીડાતા હોવાનું પણ લાગે છે. આટલાં ધરતીકંપ, દાવાનળ, પૂરપ્રકોપ, બરફનાં તોફાનથી થતાં નુકસાન વિશ્વને ઓછાં પડે છે એટલે તે યુદ્ધ, વાયરસથી વધુને વધુ નુકસાન પહોંચાડવા મથે છે. જે પ્રચંડ તોફાન અમેરિકા અત્યારે વેઠી રહ્યું છે એમાં બધાં હથિયારો એમનાં એમ પડી રહે ને કુદરત એનું કામ કરીને ચાલતી થાય એમ પણ બને. કુદરતના આટલા પ્રકોપ પછી પણ માનવ જાત એ સમજતી નથી કે એ જેટલાં શસ્ત્રોથી દુનિયા ખતમ કરી શકાય એનાં કરતાં પણ વધુ ઝડપે ને ઘાતકી રીતે કુદરત વિનાશ વેરી શકે એમ છે. બધાં અણુબોમ્બ એમના એમ રહી જાય અને એ નાખવાની પણ તક ન રહે એટલી ઝડપે બરફનો બોમ્બ અમેરિકા પર પડ્યો છે, પણ અમેરિકાની અને અન્ય દેશોની આંખો નથી ઊઘડતી ને આ મહાસત્તાઓ એકબીજાને કાબૂ કરવાની હિંસક અને નિર્લજ્જ કોશિશો કરતી રહે છે. લાખો લોકો માનવ સર્જિત વાયરસનો ભોગ બન્યા પછી પણ, રશિયા-યુક્રેનને લડ્યા વગર નથી જ ચાલ્યું એ પણ વિધિની વક્રતા જ છે ને ! ચીનમાં વાયરસને કારણે લાખો લોકો તેમના કોઈ વાંક ગુના વગર મરવાં પડ્યાં છે, પણ જીવ લઈને જીવ ટકાવવાની રમતો બંધ થતી નથી. સત્તાની લાલચ સામે કોઈ શિક્ષણ, કોઈ નીતિ, કોઈ સંસ્કૃતિ કામ લાગતી નથી એ હકીકત છે. અમેરિકા ને કેનેડા એમને એમ જ થીજી જાય એમ છે, પણ દુનિયા સાથે તેનો મૈત્રીભાવ પ્રગટ થતો નથી. તેની મૈત્રી સ્વાર્થ વગરની નથી. જો કે, નિસ્વાર્થ તો હવે રહ્યું છે જ કોણ કે તેની પાસેથી સાધુત્વની અપેક્ષા રાખવાની?

આટલી બધી શાંતિ પરિષદો ભરાય છે, આટલાં બધાં શિખર સંમેલનો થાય છે, પણ કોઈને જ રક્તપાત વગરની શાંતિ ખપતી નથી એ દુ:ખદ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ડિસેમ્બર 2022

Loading

તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં !

રમેશ સવાણી|Opinion - Opinion|29 December 2022

જ્યાં સુધી વ્યક્તિએ સેક્યુલર વલણ આત્મસાત્ કર્યું ન હોય, સમાજની પ્રથાઓ સેક્યુલર ન હોય; તો રાજ્ય ક્યાં સુધી, કેટલાં અંશે અને કેવી રીતે સેક્યુલર રહી શકે? હકીકતમાં જ્યાં સુધી સમાજમાં તથા એકંદર માનવીના વૈયક્તિક જીવનમાં ધર્મ ગૌણ ન બન્યો હોય, તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પાતળી પડી ન હોય, ધર્મ સમાજજીવનમાં માર્જિનલાઈઝ્ડ બન્યો ન હોય અથવા સમાજના મુખ્ય પ્રવાહ પરથી તેનો પ્રભાવ દૂર થયો ન હોય ત્યાં સુધી સેક્યુલર રાજ્ય પણ સંભવિત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તિઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મિક માન્યતાઓ, મુખ્ય પ્રવાહના અંગરૂપ નથી, ધાર્મિક રિવાજો પણ ઔપચારિક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તિઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જૂજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મિક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ કરી શકે છે. ટૂંકમાં, ત્યાં ધાર્મિક વ્યક્તિઓ અને ધર્મ માર્જિનલાઈઝ્ડ થઈ ગયાં છે.

અહીં, પ્રથમ એ સવાલ થાય કે ધર્મને આવી રીતે દેશનિકાલ કરવાની શી જરૂર પડી? ધર્મની વાતોમાં એવું શું છે કે સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ રચવા માટે તેને બાજુએ રાખવાનું મુનાસીબ ગણવામાં આવ્યું? ધર્મના કારણે એવી તો કેવી પરિસ્થિતિ પેદા થઈ કે તેને કોરાણે મૂકવાનું આવશ્યક બન્યું? અને સેક્યુલર વ્યવસ્થાની હિમાયત કરવાની જરૂર કેમ પડી? માનવજાતના ઇતિહાસ પર નજર કરતાં આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહે છે; ઉપરાંત, ધર્મના કારણે વૈચારિક ક્ષેત્રે તેમ જ, જ્ઞાનપ્રાપ્તિના ક્ષેત્રો જે બંધિયાર તથા અવરોધક સ્થિતિ સર્જાઈ હતી, તેમાં આ ધાર્મિક વર્ચસ્વ સામેના વિદ્રોહનો પાયો જોઈ શકાય છે. ધાર્મિક વાડાઓને કારણે માનવસમૂહોમાં ફાલેલી જૂથબંધી, વેર–ઝેર, દમન અને અન્યાય (વર્ણવ્યવસ્થા, સ્ત્રી–પુરુષ સમાનતા) તથા માનવએકતા, અરે, એક રાષ્ટ્રનિર્માણના કાર્યમાં પણ જે મુસીબતો પડતી હતી તેને કારણે ધર્મને જાકારો આપવો જરૂરી બન્યું હતું. અલબત્ત, ધર્મે બધું ખોટું જ કર્યું છે એમ ના કહી શકાય. એક સમયે તેણે માનવસમાજને આવશ્યક સ્થિરતા, નિયમપાલન વગેરેમાં ફાળો આપ્યો હતો, પરન્તુ ધીરે ધીરે તેણે જે સ્વરૂપ અખત્યાર કર્યું તથા તેની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે ઉપાડી લે તેવાં તંત્ર રચાતાં તેની ઉપયોગિતા ઘટી અને હાનિકારક પાસું જ તેમની પાસે રહ્યું.

પ્રથમ તો આપણે કેવો સમાજ નિર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સંબંધો તથા વ્યવહારો વિશેનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. ત્યાર બાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ; કારણ કે, છેવટે વ્યક્તિનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તિના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તંત્ર અને પ્રથાઓ સંચાલિત થાય છે. એટલે કે, વ્યક્તિમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સિંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય. જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તિ માત્રની શક્તિઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારિક મુક્તિ ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ન થતું હોય; દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઊભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વિભાગીકરણ થયું ન હોય; વ્યક્તિનું મૂલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જૂથવાદના પૂર્વગ્રહો કે વેરઝેર ન હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ન હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ન હોય. આ એક વિશ્વસમાજનું કલ્પન છે, વિશ્વમાનવનું કલ્પન છે. આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાના, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સૂચિત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચિત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તંત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટિટ્યુશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દ્રઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચિત્રને યથાર્થ બનાવે. સમાજની તંત્રત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તિનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવિત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજિક સ્થિરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતિ માટે આવશ્યક પાયાનાં મૂલ્યો સાથે સુસંગત ન હોય ત્યારે વ્યક્તિ વિદ્રોહ કરી નવાં મૂલ્યો અને તેને અનુરૂપ તંત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરિબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તંત્રગત પરિવર્તનને કારણે પણ પરિવર્તનનાં ચક્રો ગતિશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મૂલ્યો અને વ્યક્તિનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતિને પ્રેરક હોય; સ્વતંત્રત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થિર અને ન્યાયી સમાજ રચી શકાય.

સેક્યુલર સમાજ કે માનવીને આકાર આપવા માગતી વ્યક્તિઓએ એવાં તંત્ર કે પ્રથાઓનું સમર્થન કે નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર મૂલ્યોની નિકટ હોય; વ્યક્તિમાં એવાં વલણો કે સંસ્કારોનું સમર્થન નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર હોય, તેમ જ સેક્યુલર લક્ષ્યથી વિરોધી કે તેને અવરોધક પરિબળોને નાબૂદ કરવા મથવું જોઈએ. તંત્રની રચના અને તેનું સંચાલન કરતી પ્રથાઓ માનવ નિર્મિત છે. વ્યક્તિનાં વલણો અને સંસ્કારો પણ માનવી દ્વારા ઘડાય છે, આમ બન્નેમાં કેન્દ્રસ્થાને માનવી છે. આથી, વ્યક્તિનાં વલણો અને સંસ્કારોમાં પરિવર્તન લાવવામાં આવે તો ક્રાંતિકારી પરિવર્તન માટેનાં દ્વાર ખૂલી જાય છે. તંત્ર અને પ્રથાઓ મહત્ત્વનાં છે, તેમની શક્તી ઓછી આંકવી જોઈએ નહીં…

ઉપરના વિચારો પ્રોફેસર જયંતી પટેલના છે. રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોના લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2022માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતિભાઈ 29 ડિસેમ્બરે 90 વર્ષ પૂરાં કરી 91માં પ્રવેશ કરે છે. અઢળક શુભેચ્છાઓ આપીએ. વિશેષ આનંદ એ છે કે આવા વિરલ વ્યક્તિત્વની સાથે યોગાનુયોગ મારો પણ જન્મદિવસ છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2481,2491,2501,251...1,2601,2701,280...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved