Opinion Magazine
Number of visits: 9667576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ મનનો કે તનનો…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 February 2023

રવીન્દ્ર પારેખ

વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ને અત્યારે પ્રેમીઓ ગ્રીટિંગ કાર્ડ્સ, ગિફ્ટ વગેરેની શોધમાં, ક્યાં જવું, ક્યાં પ્રેમનો એકરાર કરવો, ક્યાં પાર્ટી આપવી, ક્યાં ડેટિંગ-મેટિઁગની વ્યવસ્થા કરવી … જેવી બાબતે વ્યસ્ત હશે. આમ તો બીજી બધી બાબતે આપણને પશ્ચિમનું અનુકરણ ફાવે છે, કપડાં, ખાણીપીણી, રહેણીકરણી વગેરેમાં આપણને પશ્ચિમનો બહુ વાંધો આવતો નથી, પણ ક્રિસમસ, વેલેન્ટાઇનની ઉજવણીમાં આપણે ભારતીય છીએ, તેવો ઉછાળ એકાએક આપણામાં આવે છે અને પશ્ચિમી તહેવાર સામે સૂગ પણ પ્રગટ કરીએ છીએ, ભલે, એવું કોઈને ઠીક લાગે ને કરે, એ એમની પસંદગી છે. ઘણાં વેલેન્ટાઇનને બદલે વસંતને પ્રેમની ઋતુ તરીકે ઉજવવાની વાતો પણ કરે છે. વસંતમાં કામનો આવિર્ભાવ થાય છે ને ઋતુનો પ્રભાવ પ્રેમની લાગણી પ્રગટાવવા સક્ષમ છે એવું માનવા મનાવવામાં આવે છે, પણ હવે વસંત ક્યારે આવીને ચાલી જાય છે, તેની ખબર પડતી નથી. કેસૂડો, ગુલમહોર વનમાં ખીલે છે, પણ મનમાં ખીલતાં નથી. વૃક્ષો દેખાય તો ખબર પડે, પણ એ જોવાની ફુરસદ પણ કોની પાસે છે? હોળીમાં રંગો ઊડે ત્યારે થોડી ઋતુની ગંધ આવે, એમાં ય રંગો હવે રાસાયણિક અને નકલી વધારે હોય છે, એટલે તહેવારોનાં સિન્થેટિક આનંદથી જ ચલાવવાનું રહે છે. જો કે, આ બધું પ્રેમને નામે, પ્રેમથી થતું હોય છે, પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રેમ સૌથી ઉપર છે ને જાતપાત, દેશવિદેશ એ બધું પછી આવે છે. એ વાત જુદી છે કે વ્યવહારમાં એથી ઊલટું જોવા મળે છે. આમ પણ પ્રેમ, વિશ્વ આખામાં સ્વીકૃતિ ઓછી જ પામ્યો છે. એ દેશ હોય કે પરદેશ, જાતપાત, સમાજ, કુટુંબ જેવાં અનેક કારણોસર પ્રેમને બહુ સફળ થવા દેવાયો નથી. સાચું તો એ છે કે જગતે સાચા પ્રેમીઓને એક થવા જ દીધાં નથી ને વીતાડયું ય ઘણું છે. પ્રેમીઓએ મોટે ભાગે મરવું પડ્યું છે. આપણી મોટે ભાગની પ્રેમ કથાઓમાં વિરહ ને મૃત્યુ પ્રાધાન્ય ભોગવે છે, એ જ સૂચવે છે કે પ્રેમને જગતમાં સ્વીકૃતિ ઓછી જ મળી છે. આજે પણ જાતપાત, રીત રિવાજ, ઊંચનીચનું ચલણ છે જ. પ્રેમ ગમે એટલો સાચો હોય તો પણ કુટુંબ, સમાજ વગેરે તેને નિષ્ફળ કરીને અહમ્‌ સંતોષી લે છે. પ્રેમીઓ મરે કે જીવે, કુટુંબને, સમાજને, તેની આબરૂને ઊની આંચ ન આવે એનું ધ્યાન રખાય છે. વિદેશમાં જ્ઞાતિ-જાતિનું ચલણ ઓછું હશે, પણ ભારતમાં તે વધુ છે. અનેક સુધારાઓ છતાં, આજે પણ જ્ઞાતિ-જાતિ તીવ્રતા ભોગવે છે. વિદેશમાં પ્રેમલગ્નોની ને છૂટાછેડાની નવાઈ નથી. ભારતમાં પણ પ્રેમ લગ્નો થાય છે, સફળ પણ થાય છે, છતાં પ્રેમની શુદ્ધ લાગણી વિજયી બને જ એવું જરૂરી નથી.

આપણે જેમ જેમ વિકસી રહ્યાં છીએ, જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો પાર કરતાં જઈએ છીએ, તેમ તેમ આપણી સચ્ચાઈ, આપણી નિર્દોષતા, આપણું કુદરતીપણું ઘટતું જઇ રહ્યું હોય એવું લાગે છે. ક્યાંક ગણતરી, ક્યાંક કાવતરું, ક્યાંક અવિશ્વાસ આપણા વ્યવહારોમાં કેન્દ્રમાં આવી રહે છે. જેને આપણે પ્રેમ કહીએ છીએ એ ખરેખર તો કોઈ ગણતરીનું જ પરિણામ વિશેષ છે. પ્રેમ તો એક કુદરતી લાગણી માત્ર છે, પણ તે લાગણી કરતાં તો કશાકની માંગણી વધુ બની રહે છે. કોઈને ગણતરી પૂર્વક પ્રેમમાં પાડવાનું, કોઈને ફસાવવાનું, કોઈને દુષ્કર્મનો ભોગ બનાવવાનું, કોઈને બ્લેકમેઈલ કરવાનું, કોઈનું ખૂન કરવાનું … રોજિંદું છે. આજે ન ગમતી વ્યક્તિ સાથે કોઈ પ્રેમ કરવા રાજી નથી, છતાં ન ગમતી વ્યક્તિ સાથે કોઈને પરણાવવાનું ચાલે જ છે. કેટલાં ય કુટુંબો, સંતાનનો અન્ય વ્યક્તિ સાથેનો પ્રેમ નજીવા કારણોસર માન્ય નથી જ કરતાં ને સંતાનને પરાણે બીજે પરણાવવાની તજવીજ ચાલતી જ રહે છે. ઘણીવાર પ્રેમલગ્નો પોતાની પસંદગીના થાય છે, છતાં તે સફળ નથી થતાં ને વાત છૂટાં થવા સુધી આવે છે. જે પ્રેમની લાગણી એકબીજા માટે જીવ આપી દેવા સુધીની હતી, તે જ જીવ લેવા પર પણ આવી જાય છે. જેને આખું જીવન સમર્પિત કરી દીધું હતું એનો આછો સ્પર્શ પણ પછી સહન થતો નથી. જે લાગણી હતી એ ખોટી હતી કે જે છે તે ખોટી છે એ નક્કી કરવાનું પણ ઘણીવાર મુશ્કેલ થઈ પડે છે. પ્રેમ, લગ્નનું નિમિત્ત ઊભું કરે છે, પણ પછી લગ્ન જ એવી સ્થિતિ ઊભી કરે છે કે પ્રેમની લાગણી ક્યાં હવાઈ જાય છે એની ખબર જ નથી પડતી. પ્રેમ સાવ ઉપલકિયો લાગવા માંડે છે. બધે જ આવું થાય છે એવું નથી. ઘણાં પ્રેમીઓ સારી રીતે જીવે પણ છે. ઘણાં સમાજ, સંતાન કે લોકલાજને કારણે પડ્યું પાનું નિભાવી લે છે ને કુટુંબમાં પડેલી તિરાડોને સમભાવ દાખવીને પૂરી પણ લે છે. ઘણાં લગ્નો તો પ્રેમ વગર જ થતાં હોય છે ને શરીરની જરૂરને જ પ્રેમ માનીને આખી જિંદગી કાઢી નાખતાં હોય છે.

અહીં સવાલ એ થાય કે પ્રેમ વગર પણ જિંદગી જીવી જવાતી હોય તો પ્રેમની જરૂર ખરી? જેને પ્રેમ કહીએ છીએ તે ખરેખર કઇ બલા છે? આમ તો એ એક અનુભૂતિ છે. એની ઘણી વ્યાખ્યાઓ થઈ છે ને થતી રહે એટલી ક્ષમતા એ એક શબ્દમાં છે જ ! પ્રેમ દરેક જાતિ, ધર્મ, કોમ, પ્રજા, પ્રદેશ, પરદેશમાં છે. પૃથ્વી પર તો છે જ, અન્ય ગ્રહો, નક્ષત્રોમાં છે કે કેમ તેની ખબર નથી. સૂર્યમાં તો નથી જ, પણ ચંદ્રમાં ય નથી જ, હા, ચંદ્ર પ્રેમીઓનું આલંબન જરૂર રહ્યો છે. વસંતમાં પ્રેમ પ્રગટે છે, તો વર્ષામાં વિરહનો મહિમા છે, પણ આજના કાળમાં એ બધું ઘણાંને આઉટ ડેટેડ પણ લાગે છે. અનેકગણું ખોટું ચાલતું હોય, છતાં, પ્રેમ હજી પણ ક્યાંક શુદ્ધ, સાત્વિક લાગણી તરીકે જોવાય, મૂલવાય છે.

પ્રેમનું મૂળ મનમાં છે. તે મનમાં જન્મે છે ને તન દ્વારા તેની અભિવ્યક્તિ સધાય છે, તેમ છતાં મનનો પ્રેમ જ મહત્ત્વનો ગણાયો છે. એ સાચું પણ છે. પ્રેમની લાગણી મનમાં જન્મે છે તે સાચું, પણ તેથી તનની અવગણના ઠીક નથી. આમ પણ ધર્મકર્મની કથાઓમાં સાધુમહાત્માઓ શરીર નાશવંત છે ને અમર તો આત્મા જ છે એવું કહેતા રહે છે. આવું પાછું એ બધાં જે નાશવંત છે, એ શરીરમાંથી જ કહે છે. ગમ્મત તો એ છે કે એમના આત્મા દ્વારા તો શરીરનાં નાશવંત હોવાની કોઈ વાત જ આવતી નથી. વ્યવહારુ રીતે જોઈએ તો આપણી બધી ગતિવિધિ જીવંત શરીરને આભારી છે. શરીર જીવંત છે તે મન દ્વારા. એ મન એટલે હૃદય એવું પણ કહેવાય છે, એ પણ છે તો શરીરમાં જ ! આમ તો હૃદય પણ એક અવયવ જ છેને ! એ પણ ધબકે છે. શ્વાસને લીધે. શ્વાસ બંધ પડે તો શરીર પણ બંધ પડે છે. એ શ્વાસ શું છે? નાક વાટે લેવાતી હવા. દેહ બંધ પડે છે એટલે હવા શરીરમાં જતી નથી. કેમ જતી નથી? કોણ જવા દેતું નથી? શરીર? ના, એ તો જીવવા ઈચ્છે જ છે. તો, નાક હવા ખેંચવાની ના પાડે છે? એવું પણ નથી. પણ આપોઆપ જ કૈં એવું બને છે કે શરીરમાં હવા, શ્વાસ બનતી નથી. બાકી, મૃત શરીરની પાસે હવાની તો કૈં ખોટ નથી, પણ કૈં એવું બને છે કે પછી કૈં બનતું નથી ને દેહ નાશ પામે છે. ટૂંકમાં, શરીરને જીવાડનારું તત્ત્વ તે ‘કૈં નથી’. એ ‘કૈં નથી’ને આધારે શરીર જીવે છે. એને આત્મા કહો, શ્વાસ કહો, પ્રાણ કહો, ઈશ્વર કહો, જે કહેવું હોય તે કહો, ખુદ ઈશ્વર પણ એ જીવંત તત્ત્વ પર જ નિર્ભર છે. સમગ્ર જીવ સૃષ્ટિ એ ન દેખાતાં, ન પમાતાં જીવંત તત્ત્વ પર ટકેલી છે. એ તત્ત્વ તે મન? એ દેહમાં છે ને દેહની બહાર એનું કોઈ પ્રમાણ નથી તે પણ સ્પષ્ટ છે.

એ મનમાં પ્રેમની લાગણી જન્મે છે એટલે ઘણાં મનનાં પ્રેમને સાચો ગણે છે. એનો ય વાંધો નથી. વારુ, તનનો પ્રેમ ઘણી બધી રીતે દૂષિત થાય છે તે પણ ખરું, પણ તેથી શરીરનો પ્રેમ નકામો થઈ જતો નથી. ઇરાદો કે દુર્બુદ્ધિ જન્મે તો છે મનમાં જ ! પછી શરીર તેમ વર્તે છે ને બદનામ દેહ થાય છે. મનનો પ્રેમ ગમે એટલો સાચો હોય તો પણ શરીર વગર તેનું પરિણામ નથી મળતું, એ પણ છે. ઘણીવાર મનની મનમાં રહી જાય એવું પણ બને છે, એનો અર્થ જ એ કે પ્રેમ મનમાં તો ઊભર્યો, પણ કોઈક કારણોસર શરીર દ્વારા તેની અભિવ્યક્તિ શક્ય ન બની. દાખલા તરીકે, પ્રેમિકાનો હાથ પકડવાની ઈચ્છા મનમાં થાય છે, પણ હાથ મન નથી પકડતું, શરીર પકડે છે. પ્રેમિકાનો હાથ પ્રેમીનો હાથ ન પકડે ત્યાં સુધી હાથ પકડવાની ઈચ્છા પરિણામ પર પહોંચતી નથી. એટલે મન મનસૂબા ઘડે ને શરીર એનો અમલ કરે એવી વાત છે આ ! કહેવાનું તાત્પર્ય એ છે કે મનનું મહત્ત્વ પ્રેમમાં છે જ, પણ શરીર વગર તે અધૂરો છે. આમ તો એકલું મન કૈં નથી. એ જ રીતે મન વગરનું શરીર પણ મૃત છે. ખરેખર તો મન અને શરીર અભિન્ન હોય એ પ્રેમમાં અનિવાર્ય છે. એ બેથી જ શરીરની જીવંતતા પ્રગટે છે. પ્રેમ મનનો હોય કે તનનો, એ હોય તે મહત્ત્વનું છે, કારણ ખૂટે છે તે તો પ્રેમ જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 12 ફેબ્રુઆરી 2023

Loading

શાહરૂખ ખાન: ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સકસેસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 February 2023

20મી સદીની પોપ (પોપ્યુલર) મ્યુઝિકની દુનિયામાં એક મશહૂર નામ ફ્રેંક સિનાત્રાનું હતું. જેની હરીફાઈમાં એલ્વિસ પ્રેસ્લી, બીટલ્સ અને માઈકલ જેક્શન જેવા ગાયકો જ ઊભા રહી શકે તેમ હતા, તેવા સિનાત્રા અભણ મા-બાપના ખોળે મોટો થયો હતો. તેને નાનપણથી ગાવાનો શોખ હતો અને સંગીતની (અને પછી પાછળથી) હોલિવૂડની દુનિયામાં એવું નામ કમાયો હતું કે અમેરિકા અને બાકી દુનિયાની એક આખી પેઢીનો આદર્શ બની ગયો હતો.

તેનું એક પ્રસિદ્ધ વિધાન છે; ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સકસેસ – સૌથી શ્રેષ્ઠ બદલો તોતિંગ સફળતા છે. આપણી સાથે અન્યાય થયો હોય તો આપણી અંદર રોષ પેદા થાય તે સ્વાભાવિક છે. જીવન આદર્શ નથી હોતું. આપણે આપણા સંજોગો અને આજુબાજુના માણસો પર નિર્ભર હોઈએ છીએ.

એ બધા જ આપણને અનુકૂળ હોય તે જરૂરી નથી. માણસો ખુદનાં હિતો માટે કામ કરતા હોય છે અને એમાં આપણને અન્યાય થાય તે શક્ય છે. આપણને એવું થાય કે મારી સાથે આવું કેમ થયું? આપણે મહેનત કરી હોય, નિષ્ઠાથી કામ કર્યું હોય અને છતાં આપણને ધાર્યું પરિણામ ન મળે. તેવા સમયે નિરાશ થઇ જવું કે ગુસ્સે થઇ જવું સહજ છે.

દુનિયામાં જેટલા પણ વિદ્રોહીઓ છે તેમને કોઈને કોઈ સમયે અન્યાય અને નિષ્ફળતાનો અહેસાસ થયો હતો. વિદ્રોહ અન્યાયમાંથી જ આવે છે. અન્યાય તમને નિરાશાથી ભરી દે છે. નિરાશા સારી પણ છે અને ખરાબ પણ. એ તમને નકારાત્મકતાથી ભરી દે અને બધું તોડફોડ કરવા પ્રેરે અથવા એ તમને કંઇક કરવા માટે સકારાત્મક ધક્કો મારે.

એવી કોઈ સફળ વ્યક્તિ નથી જેણે જીવનમાં નિષ્ફળતાનો સામનો કર્યો ન હોય. ઇન ફેક્ટ, જે સૌથી સફળ અને લોકપ્રિય લોકો છે તેમણે વારંવાર નિષ્ફળતાઓનો સામનો કર્યો હોય છે. આપણી અને તેમની વચ્ચે ફરક એ છે કે તેમણે નિષ્ફળતા સામે હાર માની નહોતી. તેમણે નિષ્ફળતાનો બદલો સફળતાથી લીધો હતો.

આ વાતનું તાજું ઉદાહરણ એકટર શાહરુખ ખાન છે. છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના આ બાદશાહનો સમય સારો ચાલતો નહતો. તેની છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ચેન્નાઈ એકપ્રેસ’ 2013માં આવી હતી. એ પછી 2014માં હેપ્પી ન્યૂયર, 2016માં ડીયર જિંદગી અને 2017માં રઈશ ઠીકઠાક ચાલી હતી. એ પછી જબ હેરી મેટ સેજલ અને ઝીરો તદ્દન ધોવાઇ ગઈ હતી.

બાકી હોય તેમ, તે જમણેરી રાજકારણની નિશાન બન્યો હતો. સોશ્યલ મીડિયામાં લગાતાર તેને ટ્રોલ કરવામાં આવતો હતો. ગાયિકા લતા મંગેશકરના અંતિમ સંસ્કાર યાદ છે? તે વખતે શાહરૂખે તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે દુઆ માગી હતી અને દુષ્ટ આત્માના પ્રભાવથી સદ્દગતને બચાવવાની રસમ મુજબ હથેળીમાં ફૂંક મારી હતી. જમણેરી ટ્રોલ્સે તેને “તે થૂંક્યો છે” કહીને જબ્બર ટ્રેન્ડ ચલાવ્યો હતો.

શાહરુખ ખાનના જીવનનું બીજું સૌથી મોટું સંકટ તેના દીકરા આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડ હતી. મુંબઈના નારકોટીકસ બ્યુરોએ ઓક્ટોબર 2021માં એક ક્રુઝ પાર્ટી પર દરોડો પાડીને આર્યન અને અન્ય 13 છોકરાઓને પકડ્યા હતા. આર્યનને 20 દિવસ સુધી એને કસ્ટડીમાં રાખવામાં આવ્યો અને અંતે મુંબઈ હાઇકોર્ટે સબૂતોના અભાવમાં આર્યનને છોડી મુક્યો.

એ પછી નારકોટીકસ બ્યુરોએ પણ પછી તેની સામે આરોપો પડતા મુક્યા હતા. એ કેસ મીડિયામાં બહુ ચગ્યો હતો. એ કેસમાં એટલા ઉતાર-ચઢાવ આવ્યાં હતા કે આખો મામલો સંદિગ્ધ બની ગયો હતો. ત્યાં સુધી કે નારકોટીકસ બ્યુરોના વડા સમીર વાનખેડેનું નામ બ્લેકમેઈલર તરીકે ઊછળ્યું  હતું અને તેમની બદલી કરવામાં આવી હતી.

એક પિતા તરીકે શાહરૂખ માટે સૌથી પીડાદાયક દિવસો હતા. તેણે કોઈને કોઈ જવાબ આપ્યા વગર અને કાનૂની લડાઈ લડીને એના દીકરાને છોડાવ્યો હતો. એ સમય કોરોનાની મહામારીનો પણ હતો. કામ બંધ હતું. શાહરૂખની એક ફિલ્મ ‘પઠાણ’ની 2020માં જાહેરાત થઇ હતી. યશ રાજ બેનર તળે બની રહેલી આ ફિલ્મને મહામારી નડી હતી, પણ અંગત, વ્યવસાયિક અને મહામારીના અવરોધો વચ્ચે ફિલ્મ માર્ચ 2022માં તૈયાર થઇ હતી.

એનું ટ્રેલર જારી થયું પછી શાહરૂખ સામે ફરી વિવાદ થયો. અમુક રાજકારણીઓએ ‘પઠાણ’ ફિલ્મના ‘બેશરમ’ ગીતમાં દીપિકાની ભગવા રંગની બિકિનીએ ભગવા રંગનું અપમાન કર્યું છે એમ કહીને ફિલ્મનો બહિષ્કાર કરવા એલાન કર્યું. થોડા જ વખતમાં ‘પઠાણ’ સામે એટલો મોટો વિવાદ ઊભો કરી દેવામાં આવ્યો કે શાહરૂખ ખાને જાતે સંબંધિત લોકોને ફોન કરીને શાંતિથી ફિલ્મ રિલીઝ થવા દેવાની વિનંતી કરવી પડી. ભગવા રંગને બિકિની સાથે જોડી દેવાનો પ્રયાસ પણ એટલો નિમ્ન કક્ષાનો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરવી પડી કે દર વખતે ફિલ્મો પર ટીકા-ટીપ્પણી કરવી જરૂરી નથી.

‘પઠાણ’ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ હતી. ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ જાય તે ફિલ્મ સાથે જોડાયેલા લોકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી તો હતું જ, પણ શાહરૂખ ખાન અંગત રીતે જે પરિસ્થિતિમાંથી પસાર થયો હતો તેના જવાબ રૂપે પણ તે સફળ થાય તે જરૂરી હતું. અને એવું જ થયું. ફિલ્મ રિલીઝ થવાના થોડા જ દિવસો પહેલાં તેણે તેના ચાહકોની ટ્વીટર પર કહ્યું હતું, “અપની કુર્સી કી પેટી બાંધ લીજીએ.”

એ તેનો અતિ આત્મવિશ્વાસ નહોતો. એ ફિલ્મની તોતિંગ સફળતા અંગેની આગોતરી ચેતવણી હતી. તેણે 32 વર્ષની તેની રોમેન્ટિક હિરોની કારકિર્દીમાં એક્શન હિરો તરીકે વાપસી કરી હતી. એ વાપસી રેકોર્ડ બ્રેકિંગ હતી. પહેલા જ દિવસથી શરૂ કરીને, ‘પઠાણે’ બોક્સ ઓફીસ પર તમામ હિન્દી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. 250 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે પહેલા 10 દિવસમાં 700 કરોડની કમાણી કરી હતી.

આ માત્ર ફિલ્મની વાત નથી. ફિલ્મની દૃષ્ટિએ ‘પઠાણ’ કોઈ મહાન ફિલ્મ પણ નથી, પરંતુ તેની સફળતાના બીજા અનેક સૂચિતાર્થો છે. એક તો ઘણા વખતથી ‘બોયકોટ બોલિવૂડ’નો એક ટ્રેડ ચાલ્યો છે તેની બોલતી બંધ થઇ છે. ‘પઠાણ’ની સફળતા પછી માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહેવું પડ્યું કે ફિલ્મો સામેનું આ બોયકોટ ચલણ ભારતના સોફ્ટ પાવરને નુકસાન કરે છે.

બીજું, શાહરૂખ સામે જે નફરતની ફસલ વાવવામાં હતી તે કાયમ માટે સુકાઈ ગઈ. ‘પઠાણ’ની વિશ્વવ્યાપી સફળતાએ શાહરૂખને એટલી ઊંચાઈ પર મૂકી દીધો હતો કે તેને હવે આ અમુક લોકોની નફરત અડવાની નહોતી. શાહરૂખે તેની સામેના વિરોધનો બોલીને કે નારાજ થઇને નહીં, પરંતુ એક તોતિંગ ફિલ્મ આપીને જવાબ આપ્યો હતો.

ફિલ્મની સફળતા પછી મીડિયા સાથે વાત કરતાં શાહરૂખ ખાને કહ્યું હતું, “ચાર વર્ષ ખરાબ હતાં. મહામારી હતી. મારી પાસે કામ નહોતું. હું મારાં સંતાનો સાથે હતો. મેં એમને મોટાં થતાં જોયાં. મારી છેલ્લી ફિલ્મ ચાલી નહોતી. લોકો કહેતા હતા કે મારી ફિલ્મો હવે નહીં ચાલે, પણ આ ચાર દિવસમાં એ ચાર વર્ષ ભુલાઈ ગયાં છે.”

આમાંથી એક જ વાત ગાંઠે બાંધવા જેવી છે; ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સકસેસ.

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 12 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિજય આનંદ : શાંત, અનોખા અને પ્રતિભાશાળી ફિલ્મસર્જક

સોનલ પરીખ|Opinion - Opinion|14 February 2023

આપણે ત્યાં લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય; પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ–અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે. આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદને ઓળખીએ …

આપણે ત્યાં લગ્ન મહત્ત્વનાં છે, સંબંધ નહીં. એટલે લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય, પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ-અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે.

આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદ વિશે આજે વાત કરવી છે. વિજય આનંદનો જન્મદિન 22 જાન્યુઆરીએ છે. ફિલ્મોમાં લગ્નબાહ્ય સંબંધો નવો વિષય નથી, પણ જે સમજ સાથે, જે હિંમતથી, જે ક્રાંતિકારી અપ્રોચથી અને જે દૃષ્ટિકોણથી આજથી લગભગ છ દાયકા પહેલા ‘ગાઈડ’માં એનું આલેખન થયું છે તે અભૂતપૂર્વ છે. ‘ગાઈડ’ને દસ અવૉર્ડ મળ્યા હતા. તેની અંગ્રેજી આવૃત્તિ ‘ધ ગાઈડ’ નામથી બની હતી.

વિજય આનંદનું મૃત્યુ થયું ત્યારે દેવ આનંદ ભાંગી પડ્યા હતા, ‘હી વૉઝ માય ટ્રુ ગાઈડ. બધું ખલાસ થઈ ગયું.’ આ વાક્યમાં ‘ગાઈડ’ શબ્દ પરનો શ્લેષ અર્થપૂર્ણ છે. ‘ગાઈડ’ આનંદ ભાઈઓ માટે નવો પડકાર હતી. વિજય આનંદ શહેરી અને સૉફેસ્ટિકેટેડ ફિલ્મો બનાવતા અને દેવ આનંદને જેમાં આધુનિક ઓપ ન હોય એવી ભૂમિકા ફાવતી નહીં. ‘ગાઈડ’માં દિગ્દર્શન અને અભિનયનાં પરિમાણો બદલાયાં હતાં અને એસ.ડી. બર્મનના અવિસ્મરણીય સંગીત અને વહીદા રહેમાનના સૌંદર્યનાં પરિમાણો ઉમેરાયાં હતાં.

વિજય આનંદ, આનંદ ભાઈઓમાં સૌથી નાના. 1957માં 23 વર્ષની ઉંમરે 40 દિવસમાં તેમણે ‘નૌ દો ગ્યારહ’ બનાવી ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે વિજય આનંદ માસ્ટર્સ કરતા હતા. ઝડપથી ફિલ્મ પૂરી કરી ભણવાનું પતાવવાનું મન હતું, પણ એમ થયું નહીં.’ એ વખતની ઓછી ટેકનિકલ સુવિધાઓ વચ્ચે એમણે ‘તીસરી મંઝિલ’, ‘જોની મેરા નામ’, ‘જ્વેલ થીફ’, ‘બ્લેક મેઈલ’ જેવી જકડી રાખનારી મ્યુઝિકલ થ્રીલર ફિલ્મો બનાવી અને સફળ થ્રીલર માટે હિંસા કે લાર્જર ધેન લાઈફ વિલન અનિવાર્ય નથી એ સાબિત કરી બતાવ્યું. પહેલી ત્રણે અત્યંત સફળ નીવડી, પણ જુદી જાતનો પ્રણયત્રિકોણ અને સુંદર ટેકનિકલ ઈફેક્ટ હોવા છતાં ‘બ્લેક મેઈલ’ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કરી ન શકી. કદાચ એ સમય કરતાં આગળ હતી. ગીતોનાં દિગ્દર્શનમાં વિજય આનંદની માસ્ટરી હતી. 30 વાર ‘ગાઈડ’ જોઈ ચૂકેલા મધુર ભંડારકર કહે છે કે ‘ઓ હસીના’ (તીસરી મંઝિલ), ‘કાંટોં સે ખીંચ કે’ (ગાઈડ), ‘હોઠોં પે ઐસી બાત’ (જ્વેલ થીફ) કે ‘મિલે દો બદન’ (બ્લેક મેઈલ) જેવું સોંગ-પિક્ચરાઈઝેશન મેં કદી જોયું નથી.

વિજય આનંદે સેન્સર બૉર્ડના વડા તરીકે આપી હતી અને એક તબક્કે ઓશોનું શિષ્યપદ પણ સ્વીકાર્યું હતું, પણ જરૂર લાગી ત્યારે એ બન્ને છોડી દેતાં વાર લગાડી નહોતી. તેઓ માનતા કે હોમોસેક્સ્યુઅલિટી જેવા વિષયો પર ફિલ્મ જરૂર બનાવી શકાય, પણ તેને ‘એડલ્ટ’ સર્ટિફિકેટ આપવા ઉપરાંત ‘સ્પેશ્યલ, સ્ટ્રિક્ટલી સુપરવાઈઝ્ડ’ એવા થિયેટર પર જ રજૂ કરવી જોઈએ, કેમ કે આપણા દેશમાં પુખ્ત ન હોય તેવા બાળકો પણ એડલ્ટ ફિલ્મો જોઈ લેતા હોય છે. ઓશોને તેમણે ‘ધર્મનો બિઝનેસ કરનાર અબજોપતિ ફ્રોડ’ કહેલા.

‘ગાઈડ’ 1965માં સિલિઝ થઈ. એની પહેલાં બે જ વર્ષે 1963માં નાણાવટી કેસ પર બનેલી ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ પરિણીત સ્ત્રીના લગ્નબાહ્ય પ્રેમની વાર્તા લઈને આવેલી. દર્શકોએ પ્રેમીને દુષ્ટ ગણ્યો હતો ને પતિએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી નિ:શસ્ત્ર પ્રેમીની હત્યા કરી છતાં તેને નિર્દોષ માન્યો હતો. પછીના વર્ષે ‘સંગમ’ આવી, જેમાં પ્રેમીએ આત્મહત્યા કરી. લોકોને ગમ્યું. પતિ ઈર્ષાથી ગાંડો થાય એ ક્ષમ્ય છે પણ લગ્નસંસ્થા પર આક્રમણ કરનાર ‘બીજો પુરુષ’ તો મોતને જ લાયક છે. એ જ ગાળામાં બનેલી ‘દિલ એક મંદિર’માં પણ નાયિકાને ભૂતકાળના સંબંધના આળમાંથી મુક્ત કરવા પ્રેમીનું મૃત્યુ જરૂરી બન્યું હતું. 1963ની ‘ગુમરાહ’માં પત્ની, પોતાના પર જાસૂસી કરતા પતિને પગે પડે એ જોઈ પ્રેક્ષકો ખુશ થયેલા. પુરુષ પતિને પત્નીને ઠેકાણે લાવવા માટે બધું જ કરવાનો અધિકાર હતો.

ત્રીજું પાત્ર મરી જાય અને દંપતી પ્રેમથી જીવે – 60ના દાયકાનો અતિશય પિતૃસત્તાક પ્રેક્ષકસમાજ આ જ ઈચ્છતો. પતિનો પક્ષ લેતી અને પતિનું આધિપત્ય દર્શાવતી ફિલ્મો જ ચાલતી. ‘બીજો પુરુષ’ હંમેશાં દુષ્ટ લેખાતો. પ્રેમિકા અન્યને પરણે પછી પ્રેમી ‘બીજો પુરુષ’ જ ગણાય અને એ ગમે તેટલો સારો હોય, અદૃશ્ય થઈ જવા કે મરવા સિવાય કોઈ માર્ગ તેને માટે હોય જ નહીં. ફિલ્મસર્જકો આ માનસિકતાને અનુરૂપ ફિલ્મો જ બનાવતા – કમાણીનો સવાલ હતો. 

પણ ‘ગાઈડ’ અલગ હતી. દેવ આનંદને જોખમ ઉઠાવવાનું ગમતું. એને આ જટિલ અને પ્રતિબંધિત વિષય પસંદ પડી ગયો. પણ ‘ગાઈડ’ની સફળતાનું ખરું શ્રેય વિજય આનંદની પટકથા અને દિગ્દર્શનને જ મળે. અજાણ્યાં, પ્રતિબંધિત પાણી એમણે ખેડી બતાવ્યાં.

પ્રેમી રાજુ પહેલા તો એની મા, કાકા અને ગામ તરફથી બહિષ્કૃત થયો, પછીથી રોઝીએ એની બનાવટ પકડી પાડી અને એને છોડી દીધો એ ખરું – પણ રાજુનું પાત્ર વિલન બન્યું નહીં, ઊલટું એક ભૂતપૂર્વ દેવદાસી અને ઉપેક્ષિત પત્નીને મદદ કરતું મૈત્રીપૂર્ણ છતાં નિર્બળતાઓ ધરાવતું પ્રતીત થયું. પટકથા અને દિગ્દર્શનની જ એ કમાલ હતી પ્રેક્ષકોએ તેને સજાપાત્ર ગણવાને બદલે તેના પ્રત્યે સમસંવેદન અનુભવ્યું.

વિજય આનંદે પતિ માર્કોને પણ વિલન ચીતર્યો નથી, પણ એની જડતા અને ઉપેક્ષા રોઝીને ચેનથી જીવવા દેતી નહોતી એ અસરકારક રીતે બતાવ્યું છે. એ વખતે ‘બીજો પુરુષ’ એટલે કે રાજુ ગાઈડ રોઝીના કરમાયેલા મનને નવો પ્રાણ આપે છે. વિજય આનંદે કાળજીપૂર્વક એ વાતાવરણ તૈયાર કર્યું છે કે પ્રેક્ષક પ્રેમીને નહીં, પતિને નકારે. રોઝી આત્મહત્યાનો પ્રયાસ કરે છે ત્યારે રાજુ એને જે કહે છે તે વિજય આનંદના શબ્દો છે. માર્કો રોઝીને આત્મહત્યાના પ્રયાસની ઝાટકણી કાઢે છે. માર્કો અને રોઝી વચ્ચે શરીર કે મનની કોઈ નિકટતા નથી, પણ માર્કો એને કાબૂમાં રાખવા માગે છે, એના નૃત્યના શોખ પર પ્રતિબંધ મૂકે છે અને પાછી એને ત્રાસદાયક ગણે છે. રાજુને કહે પણ છે કે તું પરણ્યો નથી એ તારું સદ્દભાગ્ય છે. સંશોધન પાછળ ગાંડા માર્કોને માટે રોઝી માત્ર સામાજિક સ્વીકૃતિ આપતું લેબલ છે. સામે રોઝી પણ માર્કો સાથે પોતાના દેવદાસી તરીકેના અતીતથી છૂટવા માટે જ પરણી છે. આમ ફિલ્મમાં આ લગ્નની અર્થહીનતા પ્રતીતિજનક બની છે.

વિજય આનંદના ગરવા અને સમજપૂર્વકના દિગ્દર્શન અને પટકથાલેખનને પરિણામે પ્રેક્ષકો બહુ સહજ રીતે જૂની માનસિકતામાંથી બહાર આવી ગયા હતા. જો કે નારાજ થનારા રુઢિચુસ્તો પણ ઓછા નહોતા, પણ તેમને સમજાયું હતું કે માર્કો જરા ઓછો વર્કાહૉલિક ને જડ હોત અને રોઝી જરા વધારે ધીરજવાળી હોત તો પણ બંનેનાં લગ્ન ટકવાની શક્યતા ઓછી જ હતી, કેમ કે બન્નેને બાંધે કે સાંધે એવું કશું હતું જ નહીં.

ફિલ્મના ઉત્તરાર્ધનો અલગ મહિમા છે. તેને માટે જુદો લેખ જોઈએ, પણ આ શાંત, અનોખા અને પ્રતિભાશાળી ફિલ્મસર્જકને વધારે ઓળખવાની જરૂર છે એ નક્કી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2381,2391,2401,241...1,2501,2601,270...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved