Opinion Magazine
Number of visits: 9568720
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘેટાં !

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|12 January 2023

ચલાવે જેમ ભરવાડો; અહીં ચાલી રહ્યા ઘેટાં !

અને આઝાદીનો લ્હાવો; અહીં મહાલી રહ્યા ઘેટાં ! 

ચરે વગડો, કરે ઝઘડો; ને જલ્સાથી રતિક્રીડા,

કતારોમાં અદબપૂર્વક અહીં હાલી રહ્યા ઘેટાં !

નજર જ્યાં જ્યાં પડે; ઘેટાં જ જોઉં છું નમાલા સહુ,

મને દિવસ અને રાતો; બહુ સાલી રહ્યા ઘેટાં !

હવે જોઈ નથી શક્તો; આ ઘેટાંઓની વસ્તીઓ,

કસાઈના નગરમાં ફૂલી ને ફાલી રહ્યા ઘેટાં ! 

કદી એકા’દ ઘેટું એમ પણ બોલ્યું; કે, “ભડવાઓ,

હવે તો સિંહ થાઓ કો’ક; કાં ખાલી રહ્યા ઘેટાં” ! 

તમે ખુદને તપાસી લો; તમે ઘેટાં ન હો શાયદ,

ઘણાં શખ્સો શોધી શોધી અને ઝાલી રહ્યા ઘેટાં ! 

નવા કાનૂનનો ડંડો પછાડે જ્યાં જરી ભરવાડ,

કરી મસ્તક ‘પ્રણય’, નીચું – નીચું ઘાલી રહ્યા ઘેટાં !    

તા. ૦૯-૦૬-૨૦૨૧     

ભરવાડ = આપણને દોરનાર 

               આપણાં મોટા ભાગના આગેવાનો 

નીચું ઘાલવુ = નીચે જોવું (સૌરાષ્ટી બોલીપ્રયોગ

Loading

ગાંધીનું રાજકીય પાસું લીધું, આધ્યાત્મિક અને રચનાત્મક પાસું છાંડ્યું.

આશા બૂચ|Gandhiana|12 January 2023

આશા બૂચ

હમણાં હમણાં રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જવાનું બને, કેટલાક કુટુંબીઓ અને અન્ય કાર્યકરો પાસેથી હાલના ભારતના હાલહવાલ જાણવા મળે એટલે સહેજે સવાલ થાય, જે ઉજળું ચિત્ર 50/60/70ના દાયકાઓમાં દેખાતું હતું, એ આટલું વિરૂપ કેમ થઇ ગયું? એટલું જ નહીં, પણ મોટા ભાગની રચનાત્મક સંસ્થાઓ મૃતઃપ્રાયઃ દશામાં જોવા મળે છે; એટલે મનમાં સવાલ થાય કે શું એ 18 રચનાત્મક કાર્યક્રમ હવે કાળ બાહ્ય થઇ ગયા ? — એ પીડા આ લખાણમાં ઠલવાઇ …

— આશા બૂચ

•••••

ગાંધીજીની હત્યાના સાડા સાત દાયકા બાદ ભારતનાં અને દુનિયાનાં નાનાંમાં નાનાં બાળકને પૂછશો કે ‘ગાંધી કોણ હતા?’ તો કહેશે, “એમણે ભારતને આઝાદી અપાવી”. બસ? બહુ થોડા લોકો જાણે છે કે એ એક સત્ય અને અહિંસાની શોધમાં નીકળી પડેલો ફકીર હતો, જેનું ધ્યેય માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર સમાજને એક એવી આધ્યાત્મિક ઊંચાઈ પર ઉઠાવવાનું હતું જે દરેક માનવીને એક જ ઈશ્વરના સંતાન હોવાનું ભાન કરાવે.

જે.બી. કૃપાલાણીએ કહ્યું જ છે કે જો ગાંધીનાં જીવન અને કાર્યોને સમજવા હોય તો તેમના આધ્યાત્મ વિશેના વિચારો અને આદર્શોને સમજવા જરૂરી છે, જેને આધારે તેમણે સમાજને ભોગવવા પડતા અન્યાય અને જુલ્મ સામે ચળવળો ઉપાડી અને સમાજને અજ્ઞાન અને પ્રમાદમાંથી જગાડવા રચનાત્મક કાર્યો આદર્યાં.

ગાંધીજીની આધ્યાત્મિક યાત્રામાં રાજકારણ તો એક માત્ર એવું રોડું હતું જે વ્યક્તિને અને આમ પ્રજાને આ મંઝિલ સુધી પહોંચતાં રોકતું હતું. જો દક્ષિણ આફ્રિકામાં ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતારી મુકવામાં ન આવ્યા હોત તો તેઓ એક સામાન્ય બેરિસ્ટરની માફક પોતાના કુટુંબ માટે તગડી આવક મેળવીને સુખેથી જીવતા હોત. અન્યાયી સરકાર પાસેથી ન્યાય મેળવવા તેમને રાજકારણને સ્પર્શ કરવો પડ્યો. ભારત આવ્યા બાદ માનવ અધિકાર મેળવવા અને સામાજિક સુધારા લાવવા રાજકીય ગુલામીમાંથી મુક્તિ અનિવાર્ય બની ગઈ; પરંતુ સમાજના ઉત્થાન માટે રચનાત્મક કાર્યો એ એમની પ્રથમ ચાહતનું ક્ષેત્ર હતું. ‘બાપુ’ કહીને આપણે તેમનો ચરણસ્પર્શ કરતા રહ્યા, મહાત્મા માનીને જયકાર બોલાવતા રહ્યા, પણ તેમના  રચનાત્મક અને આધ્યાત્મિક મૂલ્યોને ન તો સમજ્યા, ન અનુસર્યા અને છેવટ એના કટુ ફળ મેળવતા રહ્યા. ભારતની જનતાને રાજકીય ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ફરિશ્તાની ભાળ મળી, એની દોરવણીથી આઝાદી મળી ગઈ. વાત ખતમ. હજુ આજે પણ ફૂલોના ઢગલા નીચે સૂતેલો ગાંધીનો આત્મા આપણે એમને ક્યારે સાચા પરિપેક્ષમાં ઓળખીશું, એની રાહ જુએ છે.

ગાંધીજીની આધ્યાત્મિક અભીપ્સા રચનાત્મક કાર્યોના રૂપમાં અભિવ્યક્ત થાય છે. આજના અનુઆધુનિક યુગમાં એ 18 રચનાત્મક કાર્યોની સૂચિ કેટલીક પ્રસ્તુત છે અને કેટલી કાળબાહ્ય થઇ ગઈ છે એ વિચારવા જેવું ખરું. ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમની યાદી આપી ત્યારે કહેલું કે આ યાદી પૂર્ણ નથી, આ તો માત્ર દાખલા રૂપ સૂચિ છે, તેમાં સમયે સમયે સ્થળ કાળને અનુરૂપ નવા રચનાત્મક કાર્યોનું ઉમેરણ કરતાં રહેવું એવી એમની ઈચ્છા હતી. આ યાદીમાં સમાજ જીવનનાં બધાં પાસાંઓનો સમાવેશ હોવાનો તેમનો દાવો નહોતો. એથી જ તો પોતે સમયાનુસાર અનુભવને આધારે વિસ્તરતા અને બદલતા જતા.

રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવા માટે સત્ય-અહિંસાનો માર્ગ છે એમ ગાંધીજીને પ્રતીત થયેલું. તેમના મતે સ્વરાજ=રાજકીય શાસનની ધૂરા પોતાના દેશના માણસોના હાથમાં એટલો જ સીમિત અર્થ નહોતો. એ રીતે જોઈએ તો આજે કયા દેશના નાગરિકો પાસે પૂર્ણ સ્વરાજ છે? તો આજના સંદર્ભે આપણે આ વિચારોને મૂલવવા જોઈએ, જે કાળ બાહ્ય હોય તે ત્યજીને કે તેમાં ફેરફાર કરીને અમલમાં મૂકીએ અને નવા મુદ્દા ઉમેરીએ તે આપણા માટે હિતકર નીવડશે

ગાંધીજી સૂચિત અઢાર રચનાત્મક કાર્યક્રમ ક્રમશઃ કેટલા ઉપયુક્ત છે એ માપવાનો નમ્ર પ્રયાસ.

  1. કોમી એકતા : કોણ કહી શકે કે આજના યુગમાં આ રચનાત્મક કાર્યક્રમની હવે જરૂર નથી? આપણને સ્વતંત્રતા મળી ગઈ, મુસ્લિમોને તેમનો દેશ મળ્યો, જે મુસ્લિમ બિરાદરો ભારતમાં રહ્યા, તે ચૂપચાપ રહે તો આપણે કશું કરવાનું નથી. કોમ, ધર્મ, જ્ઞાતિ, વર્ણ, વર્ગ અને જાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ કાયદાઓ ઘડીને દેખીતી એકતા લાવ્યાનો દાવો કર્યો, પરંતુ દિલથી તોડી ન તૂટે એવી બે કોમ વચ્ચે મૈત્રી હતી એ ક્યાં ગાયબ થઇ? ધર્મ આધારિત વિભાજીત થયેલા દેશોમાં રાજકીય અને ધાર્મિક – સાંપ્રદાયિક સ્થાપિત હિત ધરાવનારા પ્રજાને ભડકાવે અને આંતરિક તેમ જ આંતરદેશીય અશાંતિ-સંઘર્ષ સતત ચાલુ રહ્યા છે. આજે કદાચ આ રચનાત્મક કાર્ય કરવાની તાતી જરૂર.
  2. અસ્પૃશ્યતા નિવારણ : આઝાદી મળી, અસ્પૃશ્યતા વિરોધી કાયદા ઘડ્યા, અનામત બેઠકો રાખી. કામ પૂરું. દરદીને ચિન્હો જોઈ દવા આપી, ઊભો થઈને કામ કરવા લાગ્યો એટલે તન-મન દુરસ્ત થયાં એમ સમજ્યા. ધર્મ, રંગ, જ્ઞાતિ, વર્ગ વગેરે આધારિત ઊંચનીચના વિચારો કાયદાની ધાકે ઓછા થાય, પણ હજુ મનમાંથી નિર્મૂળ નથી થયા. લોકશાહીના ઓઠા હેઠળ કાયદાની સીમામાં રહીને કેટલું શોષણ થાય છે, કેટલા અનૈતિક આચરણો થાય છે? હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાજેતરમાં 5,000 જેટલા વિદ્યાર્થીઓએ પોતાને જ્ઞાતિ આધારિત ભેદભાવ સહન કરવો પડે છે એથી સુરક્ષાની માગ કરી છે! 21મી સદી, અમેરિકા જેવા દેશમાં ‘વિશ્વ ગુરુ’ ભારતના મૂળના લોકો આવા નિમ્ન વિચારો ધરાવે. ગાંધીજીએ જેલવાસ દરમ્યાન હિન્દુ સંસ્કૃતિ વિષે પુસ્તક લખવા પ્રારંભ કર્યો. પહેલું વાક્ય લખ્યું, “હિન્દુ ધર્મ દુનિયાનો સહુથી પુરાતન અને મહાન ધર્મ છે”, આટલું લખતાં જ એમની નજર સામે નીચલી જ્ઞાતિના સભ્યો પ્રત્યેના આપણા વ્યવહાર આંખ આગળ ખાડા થયા. તેમણે વિચાર્યું, “જ્યાં સુધી આ બદી હોય ત્યાં સુધી હું એ ધર્મને મહાન કેમ ગણી શકું?” પેન હેઠી મૂકી, એ પુસ્તક ક્યારે ય લખાયું નહીં. શું આજે આપણે એ પુસ્તક પૂરું કરી શકશું? અનુસૂચિત જાતિ, જનજાતિ અને જ્ઞાતિના ભેદભાવોને નિવારવા બમણી તાકાત લગાવી એ અધૂરું કાર્ય કરવું રહ્યું.
  3. દારૂ બંધી : આ એક એવો દૈત્ય છે, જેના થકી થતી શારીરિક, કૌટુંબિક, આર્થિક અને સામાજિક હાનિનો કોઈ પાર નથી, અનેક પ્રકારના ગુનાઓનાં મૂળ આ વ્યસનમાં પડેલા છે એ જાણતા છતાં ‘જો તેનો કાયદેસર નિષેધ કરવામાં આવે તો લોકો છુપી રીતે ગેરકાયદેસર ગાળેલો શરાબ પીને જાતને વધુ જોખમમાં મૂકે’ એવી દલીલ કરીને રાજ્યને થતી આવક ચાલુ રાખવા માનવીના નાશને કાયદેસરની માન્યતા અપાઈ. કારણ? પશ્ચિમના દેશોનું અનુકરણ! કોઈ પણ સરકારને તો પોતાની આવકનો સ્રોત અનૈતિક હોય તો પણ કશો વાંધો નથી. બ્રિટિશ સરકાર ચીનને અફીણ વેંચીને સમૃદ્ધ થઈ જ હતી, એટલું જ નહીં, એ કારણે તે દેશ સાથે લડાઈ કરી અને નીચતા ભર્યો વ્યવહાર દાખવ્યો. દારૂના સેવનથી થતું પારાવાર નુકસાન વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ રીતે સમજાવ્યું, પણ ‘વ્યક્તિ સ્વાતંત્ર્ય’ના પોલા ખ્યાલ સામે સરકારો ઝુકે. લાગે છે, હવે સ્ત્રીઓ અને બાળકોએ નશાબંધીની ઝુંબેશ ઉઠાવવી પડશે. આ એક એવો મુદ્દો છે જેને રચનાત્મક કાર્યોની સૂચિમાંથી કોઈ રીતે હઠાવી શકાય તેમ નથી.
  4. ખાદી : ગાંધીએ ખાદીને પુનર્જીવિત કરી. એ સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતીક બની ખરી, પણ તેનો ખપ પૂરો થયે એક બાજુ હડસેલી દીધી, એમ માનીને કે એ વસ્ત્રનું ઉત્પાદન અને વપરાશ આપણને જૂના અંધકાર યુગમાં લઇ જશે! કૃત્રિમ રેસાઓથી બનતાં કાપડના ઉત્પાદન અને વપરાશથી થતાં નુકસાનો ભર પેટે માણી લીધાં. હવે તેની સાથે સંકળાયેલ કેન્દ્રિત મૂડીવાદી બજાર વ્યવસ્થા અને તેને કારણે સર્જાતી અસમાનતાને અનૈતિક સમજીને અને એની સાથે જોડાયેલ પર્યાવરણની સુરક્ષાના મુદ્દાને સ્વીકારીને ખાદીને ફરી આવકારીએ તો જ માનવ જાતનો ઉદ્ધાર નિશ્ચિત છે. અલબત્ત, એ માટે ખાદીની ગુણવત્તા, તેનું ટકાઉપણું અને વૈવિધ્યમાં સુધારો લાવવા તેના પર પદ્ધતિસરનું સંશોધન અને સુધારા થતા રહેવા જોઈશે. ખાદી ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવું ફળદાયી રહેશે કેમ કે તે કપાસથી માંડીને ફેશન સુધીના અનેક ઉદ્યોગોને આવરી લે તેવો ખમતીધર ઉદ્યોગ છે. કોવિડની મહામારીએ સિદ્ધ કરી બતાવ્યું કે કેન્દ્રિત ઉદ્યોગો અને વેપાર પ્રજા માટે વિનાશક છે. ભારત જેવા દેશને 100 મેગાસિટી બનાવવાના સોણલાં આવે, એટલે કે સાત લાખ ગામડાં સમૃદ્ધ જોઈએ! Global villageના ઢોલ પીટીને Local economyને બરબાદ કરી. બ્રિટિશ રાજમાં સરકારના હુકમથી ગળી અને અફીણ વાવવું પડતું તેનો બહિષ્કાર કર્યો, તો આજે સ્વેચ્છાએ સજીવ કપાસ પેદા કરીને કપાસથી કાપડ સુધીનો વિકેન્દ્રિત ઉદ્યોગ વિકસાવીને શોષણ રહિત સમાજ કાં ન રચીએ? કાપડ કાંતતાં અને વણતાં મોટાં મશીનોની ભૂખ સંતોષવા ઘણો કાચો માલ જોઈએ, મોટાં વાહનો પેદા થયેલ માલની હેરાફેરી માટે અને તેને માટે મોટા રસ્તાઓ જોઈએ, હજારો માઈલ દૂર કપાસ મોકલાય, ત્યાંથી કાપડ તૈયાર થઈને જ્યાં કપાસ પેદા તે ગામડાઓમાં એ પાછું આવે, જેમાં પેટ્રોલનો ધુમાડો અને વચેટિયાઓની લૂંટ ભળે. શું કરવી છે આવી આધુનિકતાને? એક એવો અભ્યાસ હાથ ધરવામાં આવે, જેમાં એક વ્યક્તિને વર્ષમાં કેટલાં અને કેવાં પ્રકારનાં કપડાંનો ખપ પડે, તે માટે કેટલો કપાસ જોઈએ, કેટલું સૂતર પેદા કરવું, તેના વણાટ, રંગાઈ, છપાઈ, સિલાઈ અને વેચાણનો કેટલો ખર્ચ થાય તેનો ક્યાસ કાઢીને એ પ્રમાણે ઉદ્યોગ વિકસે તો અન્ય ઉદ્યોગોની હારમાં ખાદી ઉત્પાદન ઊભું રહી શકે. આજે તો જાણે બુદ્ધિ અને મજૂરીની ફારગતી થઇ ગઈ, તેના પુનઃવિવાહ કરવાનો સમય પાક્યો.
  5. બીજા ગ્રામોદ્યોગ : હાલમાં વિકસિત ગણાતા દેશોમાં નાના પાયાના ઉદ્યોગોને પુનઃ જીવન આપવાના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ખાદી સાથે કપાસની ખેતી, કાંતણ-વણાટ વગેરે પ્રક્રિયાઓ માટે સાધનો બનાવવા લુહારી અને સુતારી કામ કરતા કારીગરો, રંગારા, છાપકામ કરનારા, દરજી અને છેવટે ફેશન ડિઝાઇનર્સ તેમ જ વિક્રેતાઓ ઉત્પાદનની સાંકળમાં જોડાયેલા તેથી એ તમામ ગ્રામોદ્યોગને પણ વિકસાવવાનું શક્ય બને એ ધારણા વિવિધ ગ્રામોદ્યોગને રચનાત્મક કાર્યક્રમમાં સમાવવા પાછળ હતી. રોજગારીનો અભાવ અને માલની હેરાફેરીથી ઊભા થતાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને તમામ પ્રકારનાં લોટ, તેલ, સાબુ, જોડા, મસાલા અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ જ્યાં કાચો માલ પેદા થાય છે ત્યાં ગૃહ અને ગ્રામ સ્તરે એ ઉત્પાદક ઉદ્યોગો ફરી વિકસાવવાનો સમય પાકી ગયો છે. અલબત્ત, તેવા માલની ગુણવત્તા, કાચા અને પાકા માલની માગ અને પુરવઠાની ખાતરી અને વેચાણની વ્યવસ્થા સહકારી ધોરણે કરવાથી જ રચનાત્મક કાર્યની વ્યાખ્યામાં એ બંધ બેસતું થશે. યુ.કે.માં ગ્રેઅમ નટલ દ્વારા પ્રારંભ કરાયેલ Employee Ownership Trust – કામદાર માલિકી ટ્રસ્ટ એક ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે.
  6. ગ્રામ સફાઈ : આઝાદીનો અમૃત મહોત્સવ ભભકાથી ઉજવાયો, દેશમાં ઠેકઠેકાણે મહાકાય મૂર્તિઓ બંધાઈ, પણ હજુ સ્વચ્છતા અને ભારત દેશને જાણે બાર ગાઉનું છેટું છે. આમ કેમ? વિનોબાજીએ ઠીક જ કહ્યું છે, ભારત એટલે ‘ગંદે દેશમેં સ્વચ્છ લોગ’ રહે તે. નહેરુએ ગાંધીજીના ગ્રામલક્ષી વિકાસના ખ્યાલના સંદર્ભમાં કહેલું કે ગામડાં તો અસ્વચ્છ છે, તો તેને કેન્દ્રમાં રાખીને આયોજન કેમ થાય? તેના ઉત્તર રૂપે ગાંધીજીએ ઝાડુ ઉપાડ્યું. તેમના સાથીદારોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવવાની સાથે જ ગૌરવથી ભંગી કામ કર્યું. પણ જ્યાં શ્રમનું ગૌરવ ન હોય ત્યાં હું બગાડું અને અન્ય સાફ કરે એવી માનસિકતા હોય ત્યાં જાહેર સફાઈ ગુણ મનાય અને ગંદકી કરવી ગુનો મનાય એ ક્યાંથી શક્ય બને? ધાર્મિક કુરિવાજો, તહેવારો ઉજવવાની અને પૂજા પ્રાર્થના કરવાની રીતો જાહેર સ્વચ્છતાના ખ્યાલને ટેકો નથી આપતા, માટે એ બદલવા જ રહ્યા. વ્યક્તિગત તેમ જ જાહેર સ્વાસ્થ્ય વિના કોઈ પ્રકારનો વિકાસ અર્થયુક્ત ન રહે. જાહેર સફાઈ માત્ર ‘સ્વચ્છ ભારત અભિયાન’ સૂત્રના ઉચ્ચારણથી અમલમાં નથી આવી, તેને અગ્રતાક્રમ આપી જાણતા સાથે શિક્ષિત વર્ગે કામ કરીને જ સફળ કરવી રહી.
  7. નઈ તાલીમ : સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન વિદેશી શિક્ષણના બહિષ્કાર કરવાના હેતુથી રાષ્ટ્રીય શાળા-મહાશાળાઓ સ્થપાઈ. રાજકીય આઝાદી મળી પણ માનસિક આઝાદી આવવાની હજુ પણ વાર છે, આપણે સંતાનોને અક્ષરજ્ઞાન આપી, શહેરોને સનદી સેવાઓ બજાવવા કારકુનોથી ભરી દેવા અને બાકીનાને વિદેશ મોકલવા માલ તૈયાર કરવા લાગ્યા. બુદ્ધિ અને શરીરને કેળવે, કસે, સ્થાનિક વ્યવસાયો શીખવે, વિકસાવે અને ખીલવે તેવી શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ આપવી જરૂરી હતી. બાળકની સર્વાંગી કેળવણી, તમામ ગુણોનું ઘડતર અને ઉત્તમ નાગરિકનું ચણતર કરવાનું એક બાજુએ રહ્યું. પાયાની કેળવણીની પદ્ધતિ અપનાવીએ તો ભારત પછાત રહી જાય એવી ભીતિ હતી, તો એનું શું પરિણામ આવ્યું તે જાણીએ છીએ. હવે આપણે ગામડું અને સાચું શિક્ષણ એટલે શું તે સમજીએ અને છેવાડાના ગામની સીમમાં પાયાની કેળવણી આપવાનો પ્રારંભ કરીએ તો હજુ પણ બહુ મોડું નહીં થાય અને દેશનો દરેક નાગરિક ખરા અર્થમાં શિક્ષિત થઈને પોતાના જ સ્થાનિક પરિસરના લોકને મદદરૂપ થઈને સર્વોદય લાવવામાં નિમિત્ત બનશે.
  8. પ્રૌઢ શિક્ષણ : કદાચ કોઈ સવાલ પૂછી શકે, હવે ભારતમાં પ્રૌઢ શિક્ષણની જરૂર છે? બધા શિક્ષિત છે એમ માનવામાં આવે છે. આર્થિક, સામાજિક અને અન્ય કારણો સર હજુ ઘણી સંખ્યામાં લોક અશિક્ષિત રહેવા પામ્યા છે. જરૂર છે અક્ષર જ્ઞાન+સામાન્ય જ્ઞાન+દુનિયાના પ્રવાહોની માહિતી+વિજ્ઞાનની પ્રગતિના જ્ઞાન. આજે 21મી સદીમાં દૂધ, અખબાર કે શાકભાજી ઘેર ઘેર પૂરાં પાડવાં આવનારામાંથી કેટલાક સાવ નિરક્ષર હોવાના અનુભવો પુરવાર જ્યારે છે કે પ્રૌઢ શિક્ષણ એ આગલી પેઢીની જ જરૂરિયાત નહોતી, આજે પણ છે. તેને ભવિષ્યની જરૂરિયાત ન બનાવવી  જોઈએ.
  9. સ્ત્રીઓ : (‘હિન્દ સ્વરાજ’ પુસ્તકમાં આ પ્રકરણનું શીર્ષક માત્ર ‘સ્ત્રીઓ’ છે. એનો મતલબ શું હશે એ સવાલ થાય મારી સમજ મુજબ ‘મહિલા ઉત્થાન’ એવો અર્થ કરી શકાય.) સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનો બહુ મોટો ફાળો હતો. કાયદાઓના ઘડતરમાં સ્ત્રીઓનો ફાળો ન હોય તો તેઓ કુટુંબ, સમાજ અને દેશની રીતરસમો, નિયમો અને કાયદાઓ નીચે કચડાતી જ રહે અને તેમ સદીઓથી બનતું આવ્યું છે. દેશ પ્રત્યે મહિલાઓની પણ એટલી જ ફરજ છે જેટલી પુરુષોની. તેને સમાનાધિકાર મળવા જોઈએ. પોતાના ભાવિ માટે નિર્ણય લેવાનો પણ તેને જન્મસિદ્ધ અધિકાર છે. પુરુષ જાતે સ્ત્રી પોતાની સાથી અને મિત્ર છે, પોતે તેનો સ્વામી નથી એ માનસિકતા કેળવવી અત્યંત જરૂરી. હજુ આજે પણ કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં મહિલાઓની હાલત જોઈએ તેવી સુધારી નથી. આજે દીકરીને શિક્ષણ આપવાનું માન્ય ગણાયું છે, હવે માતા અને પત્ની અને ખાસ કરીને પર-સ્ત્રી પ્રત્યેનું વલણ બદલવું અનિવાર્ય થઇ પડ્યું છે. મહિલાઓ પ્રત્યેના ગુનાઓ વધતા જાય એ દર્શાવે છે કે એ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
  10. તંદુરસ્તીના નિયમોની કેળવણી : આજે આ કાર્યને પ્રાધાન્ય આપવાની સહુથી વધુ જરૂર છે. શરીર અને તંદુરસ્તીના નિયમો વિશેનું અજ્ઞાન હજુ પણ બહોળા સમાજમાં છે જ, તે ઉપરાંત તે વિશેની બેદરકારી અને અયોગ્ય જીવન પદ્ધતિથી થતી બીમારી અને રોગોનું પ્રમાણ વધતું જાય છે જેની બુરી અસર અર્થકારણ અને પર્યાવરણ ઉપર પણ પડે. ગરીબીને આ સમસ્યા સાથે સીધો સંબંધ ખરો. શિક્ષિત અને મધ્યમ વર્ગીય સમાજે શુદ્ધ વિચારો, ચોખ્ખી હવા, તન અને બુદ્ધિના શ્રમની સમતુલા, અંગત તેમ જ જાહેર સ્વચ્છતા, સુઘડતા વગેરેને પોતાના જીવનમાં અગ્રીમ કાર્યક્રમ તરીકે સામેલ કરવા જોઈશે. ખરેખર તો માનવ માત્રએ માનવજાતની સેવા ખાતર અને જીવન ટકાવી રાખવા પૂરતો જ ખોરાક લેવો જોઈએ, તેને બદલે આજે તો ખાન-પાન એ ઉપભોગનું મુખ્ય સાધન બની ગયું. અનેક ખાદ્ય પદાર્થો દેશ વિદેશથી મગાવવાનું અને મોકલવાનું એક મોટું બજાર ઊભું થયું. કહે છે ને કે આહાર તેવો આદમી. આજે માણસ ખાઉધરો બની ગયો, એટલે બીમાર રહેવા લાગ્યો.
  11.  પ્રાંતીય ભાષાઓ : શિક્ષણમાં ઇંગ્લિશ માધ્યમના આગ્રહને કારણે ભણેલા અને સામાન્ય લોકો વચ્ચે ખાઈ પડી ગઈ છે, જેવી બ્રિટિશ શાસન સમયે હતી તેવી જ. ભાષા તો આપણને સંસ્કૃતિ, ઇતિહાસ, ખોરાક, ધર્મ અને જીવન સાથે જોડનાર મજબૂત કડી છે. વિદેશી શાસન પૂર્વે દરેક વિદ્યા શાખાઓ જેમ કે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સંગીત, કૃષિ વિજ્ઞાન વગેરે બધા જ શાસ્ત્રો માતૃભાષામાં લખાય, તેના માધ્યમથી જ શિક્ષણ અપાય, તેનો વિકાસ થાય તેવી ક્ષમતા આપણી પ્રજામાં હતી, જે આપણે ગુલામી સમય દરમ્યાન વિદેશી નીતિઓને કારણે અને ત્યાર બાદ ગુલામી માનસમાંથી છુટકારો ન મેળવવાને પરિણામે ગુમાવી બેઠા. બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયેલ બીજા દેશોએ પૂરવાર કરી બતાવ્યું કે સ્વ-ભાષામાં શિક્ષણ અને વહીવટ કરવાથી ઉત્તમ પ્રગતિ સાધી શકાય. જેમ વિદેશી ધૂંસરી ફગાવી દેવા વિદેશી શિક્ષણ પદ્ધતિ અને ભાષાનું સ્થાન સ્વભાષા અને રાષ્ટ્રીય શાળાઓને આપવું જરૂરી હતું તેમ જ આઝાદી બાદ દેશના ઘડતર, ટકાઉ વિકાસ અને પ્રજાકીય અસ્મિતા ટકાવી રાખવા તમામ નાગરિકોનો સાથ જોઈએ, અને તે માટે સ્વભાષા જ કામની એ હવે ભારતીય પ્રજાએ પણ સમજવું રહેશે.
  12. રાષ્ટ્રભાષા : બંધારણમાં હિન્દી રાષ્ટ્ર ભાષા તરીકે સ્વીકારાઈ. દક્ષિણ ભાષાની લિપિઓ અલગ હોવાને કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ તેઓને આ નિર્ણયના અમલમાં સાથે લઈને એ ધ્યેયને સિદ્ધ કરી શકાય.
  13. આર્થિક અસમાનતા : દુનિયાના વિકસિત, અર્ધ વિકસિત કે વિકાસ પામતા દેશોમાંથી કયા દેશને આર્થિક અસમાનતા વર્તમાનમાં પજવી નથી રહી અને કોનું ભાવિ એથી કરીને અનિશ્ચિત નથી બન્યું? આર્થિક સમાનતા અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી, છતાં આપણે તેનાથી સમાજ, રાજકારણ અને અર્થકારણનાં સ્થગિત થયેલા અને અધોગતિ પામેલા કિલ્લાઓને ખોલવા તેનો ઉપયોગ ન કર્યો, પરિણામે ગરીબ-તવંગર વચ્ચેની ખાઈ વધતી ગઈ, મારકણો બજારવાદ વિફરતો ગયો અને માનવ જીવન દરેક સ્તરે હિંસાથી ધ્વસ્ત થતું રહ્યું અને આપણે એ તીરે ઊભા જુએ તમાશાના ન્યાયે લાચાર થઈને જોતા રહીએ.

આર્થિક સમાનતા આણવા ધનપતિઓ અને મજૂરો વચ્ચેનો ઝઘડો ખતમ કરવો જોઈશે. ચપટીભર ધનિકોની  સંપત્તિ ઓછી કરીને ગરીબોની સંપત્તિ વધારવાને બદલે આપણે વંચિતોની જ સંખ્યા વધારી દીધી! શ્રમનું મહત્ત્વ વધારીએ તો શિક્ષિતો મજૂરી કરે અને મજૂરો શિક્ષિત બનીને સાચી લક્ષ્મી પેદા કરે. શારીરિક શ્રમ વિના કરેલો ધન સંચય એક પ્રકારની ચોરી છે, અન્ય પ્રત્યેની હિંસા છે એ સમજાયું હોત તો ધનિકોના મહેલો પાસે ઝૂંપડપટ્ટી ઊભી થઇ ન હોત. વિદેશી શાસકો ગયા, પણ દેશી શાસકો અને શાસિત વર્ગ કાયમ રહ્યો. આપણે જોઈએ છીએ કે નાણાંને જોરે લોકોના પ્રતિનિધિઓ સત્તા મેળવે અને એ પ્રતિનિધિઓને સત્તા અપાવનારી પ્રજા, જે ખરી સત્તાશાળી હોવી જોઈએ તે પોતાના હકો માટે અહિંસક માર્ગે લડતી રહે. એમને અધિકારોની માગણી કરતા રોકવા સરકાર તો હિંસાનો જ આશ્રય લે.

ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો, આપણે તેને હસી કાઢ્યો. આર્થિક અસમાનતા, જેમાં સામાજિક અસમાનતા પણ નિહિત છે તેને હઠાવવા સત્ય અહિંસા બંને સાધનો વાપરવા પડે. એ માર્ગ કઠિન ખરો, પરિણામો મેળવતાં લાંબો સમય લાગે, પરંતુ શોષિત અને શોષક બંનેના હૃદય પરિવર્તનથી કાયમી બદલો આવે. સરકાર ગરીબ લોકોને સમયે સમયે નાણાંની સહાય કરે તેનાથી આ સમસ્યા દૂર થઇ નથી, થશે નહીં. એક માત્ર ઉપાય સર્વોદયી આર્થિક નીતિ અપનાવવી એ જ છે એનું ભાન થશે ત્યારે ઉકેલ આવશે.

  1. કિસાનો :
  2. મજૂરો :
  3. આદિવાસીઓ : 
  4. રક્તપિત્તના રોગીઓ : આ ચારેય વર્ગના સભ્યોનું કલ્યાણ અને તેમનો વ્યવસાય અને તેમની જીવન પદ્ધતિ જળવાઈ રહે તે માટે આ કાર્યક્ર્મને રાજકારણથી દૂર રાખવા જ હિતાવહ છે. કૃષિ સુધારણા, મઝદૂરો અને આદિવાસીઓ માટે શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ વગેરેને પ્રાધાન્ય આપવાથી જ સમાજના તમામ વર્ગોનો વિકાસ એક સાથે અને સમાન કક્ષાએ થશે. સર્વોદય તો જ સાકાર થશે.
  5. વિદ્યાર્થીઓ : આ કાર્યક્રમ હેઠળ ભારતીય જીવનને અનુબંધિત હોય તેવી શિક્ષણ પદ્ધતિ, માતૃભાષાનાં માધ્યમ દ્વારા શિક્ષણનું આયોજન વગેરે આયામો સમાવવા આવશ્યક છે. શિક્ષણમાં રાજકારણ ન પ્રવેશે એ પહેલી તકેદારી રાખવી રહી. વિદ્યાર્થીઓને ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશી જેવા વ્યવસાયો શીખવવા, કોમી એખલાસ અને અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રતિબદ્ધ કરવા, સફાઈનું માહાત્મ્ય સમજાવવું અને નિર્મળ-સંયમી જીવન જીવવા તૈયાર કરવા એ જ લક્ષ્ય હોવું જોઈએ, જે આપણે દુનિયાના તખ્તા ઉપર ઊભા રહેવાની હોડમાં ચાતરી ગયા. પરિણામે નિર્માલ્ય અને ગુલામી માનસ વાળો કારકૂની વર્ગ ઊભો થયો.

રચનાત્મક કાર્યોની સૂચિ જોતાં ખ્યાલ આવશે કે આઝાદી બાદ ભારતની સમગ્ર જનતાનો સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા હજુ આવી, ઊલટાનું ધર્મ અને પંથના આધારે ભેદભાવ વર્તવાનું અને હિંસા ભડકાવવાનું વધવા લાગ્યું છે. ઉપરોક્ત એક પણ કાર્યક્રમને ચાતરી શકાય તેમ નથી. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિશામાં કાર્ય કરી રહ્યાં છે, તેને બધું વિસ્તૃત અને સઘન બનાવવાની જરીર છે.

e.mail : 71abuch@gmail.com

Loading

દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2023

ચંદુ મહેરિયા

૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ આ વરસે યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની બી.જે.પી. સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્ય મંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. બી.જે.પી.ના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ વરસના જૂનમાં આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભા.જ.પા. તરફથી મતદાનથી બી.જે.પી.એ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડા પ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું છે. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુ પર રાખીને પેટા ચૂંટણીનાં પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તર પ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય.

૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમિયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજ્ય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એકથી ચૌદ લોકસભાના આશરે ૭,૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.

સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી મુસ્લિમોમાં કોટિક્રમ કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટા ભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે.

મસૂદ આલમ ફતાહીના “હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન”, અય્યૂબ રાયનના “ભારત કે દલિત મુસલમાન” જેવાં પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઇન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓ.બી.સી. સંગઠન અને ઓલ ઇન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે.

બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા. ૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો ઘરવિહોણા હતા.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭,૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો.

ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે. બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે.

ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌદ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.

ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “થોટ્સ ઓન પાકિસ્તાન”માં જણાવ્યું  છે કે, “મુસલમાનો એવું અનુભવતા જ નથી કે આ (પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે. તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય એ દૃષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ.

ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે. ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,2331,2341,2351,236...1,2401,2501,260...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved