Opinion Magazine
Number of visits: 9456255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પગલું સ્રી-શક્તિ તણું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|7 June 2025

હોલ તાળીઓથી ગુંજી રહ્યો હતો. અનિતાબાનો જયજયકાર થઈ રહ્યો હતો. અનિતાબા સ્થિતપ્રજ્ઞ થઈને ખુરશી પર બેઠાં હતાં. અનિતાબા એટલે નારી સુરક્ષા કેન્દ્રનાં સર્વેસર્વા હતાં. તેમનો પડ્યો બોલ ઝીલવા સહુ કોઈ તૈયાર રહેતા. આમ તો અનિતાબા તેનો જન્મદિવસ ક્યારે ય ન ઉજવતાં. છેલ્લે ક્યારે ઉજવ્યો હતો, એ પણ તેમને યાદ નહોતું. પણ નારી સુરક્ષા કેન્દ્રનાં ટ્રસ્ટીઓ અને નારી સુરક્ષા કેન્દ્રમાં રહેતાં લોકોનો ખૂબ આગ્રહ હતો. એટલે હા કહી હતી. અનિતાબા કંઈક વિચારમગ્ન થઈને અતિતની સફરે નીકળી ગયાં હતાં. અનિતાબા એ અનિતામાંથી અનિતાબા બનવા માટે બહુ લાંબી અને વિકટ પરિસ્થિતિ પસાર કરી હતી.

અનિતાબહેનનાં માતા-પિતા નાનપણમાં જ મરણ પામ્યાં હતાં. કાકા-કાકી અને મામા-મામી સાથે જેમતેમ સમય પસાર કરીને સ્કૂલનો અભ્યાસ પૂરો કરી, આગળના અભ્યાસ માટે વુમન્સ હોસ્ટેલમાં રહેતાં હતાં. અત્યાર સુધી કાકા-કાકી અને મામા-મામી પર બોજ હતો, પણ અનિતાબહેને વિચાર્યું કે જિંદગી લાંબી છે. બીજાના સહારે થોડો સમય જાય,આખી જિંદગી ન જાય. તેમણે પગભર થવા ઘરે-ઘરે ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. પણ, બધે ઘરનો માહોલ એક સરખો નહોતો; ક્યારેક જાત સંભાળવી અઘરી થઈ જતી હતી. અનિતાબહેન મજબૂત મનોબળ અને હિંમતવાન હતાં એટલે પરિસ્થિતિનો સામનો કરી, સુરક્ષિત નીકળી જતાં હતાં. કોલેજનો અભ્યાસ પૂરો કરી, સારી નોકરીની શોધ ચાલુ કરી. દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ સારો જતો, પણ એપોઇન્ટમેન્ટ લેટર આવતો નહોતો. અંતે અનિતાબહેનને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. એકલા જ હતાં એટલે વિમેન્સ પેઇંગ ગેસ્ટ હાઉસમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કરી દીધું.

એક દિવસ ઓફિસેથી નીકળતા મોડું થઈ ગયું. અનિતાબહેન તેના સ્કૂટર પર ગેસ્ટ હાઉસ જઈ રહ્યાં હતાં. તેણે જોયું કે બે બાઈક સવાર તેનો પીછો કરી રહ્યા છે. રાત્રીનો નવ વાગ્યા જેવો સમય હતો. રસ્તો પરથી એકલ દોકલ વાહન નીકળતા હતા. બે બાઇક સવાર તેનો જ પીછો કરે છે કે તેને મનમાં શંકા છે, એ જાણવા અનિતાબહેન ફોન કરવાના બહાને એક જગ્યાએ ઊભા રહ્યાં, એટલે બંને બાઇકચાલક પણ ઊભા રહી ગયા. અનિતાબહેનને સમજાઈ ગયું કે એ લોકો તેનો જ પીછો કરી રહ્યા છે. અનિતાબહેને હિંમત હાર્યા વગર સ્કુટરની સ્પીડ વધારી, એક સૂમસામ લાગતી જગ્યાએ બંને બાઇકસ્વારે  અનિતાબહેનને ઘેરી લીધા. અનિતાબહેને જોયું તો સામે નારી સુરક્ષા કેન્દ્ર હતું એટલે થોડી હિંમત વધી કે આ લોકો સાથે હું મારામારી કરીશ એટલે દેકારો થશે; એ સાંભળીને ત્યાંથી મારી મદદે  કોઈક તો બહાર આવશે.

બંને બાઇકવાળા અનિતાબહેન પાસે આવ્યા. થોડી હાથા પાઈ થઈ ત્યાં ન જાણે ક્યાંથી એક લાકડી અનિતાબહેનના પગ પાસે આવીને પડી. અનિતાબહેને એ ઉઠાવીને પોતે શીખેલ લાઠી દાવથી બંનેને મારીને મારીને અધમૂઆ કરી નાખ્યા. બંને મોત ભાળી જતા ભાગી ગયા. ઝપાઝપીમાં અનિતાબહેનને વાગ્યું હતું અને લોહી નીકળી રહ્યું હતું. થાકી ગયાં હતાં એટલે એક ઓટલે બેસી ગયાં.

પાંચ મિનિટ પછી અનિતાબહેને જોયું તો એક વયસ્ક મહિલા નારી સુરક્ષા કેન્દ્રમાંથી તેની તરફ આવી રહ્યાં હતાં. પાસે આવીને કહ્યું, “દીકરી, તને બહુ વાગ્યું છે. લોહી પણ નીકળે છે. ચાલ તને ડ્રેસિંગ કરી દવા આપું. હું, આ નારી સુરક્ષા કેન્દ્રની કેરટેકર છું.” અનિતાબહેનને પણ સારવારની જરૂર હતી.

અનિતાબહેને વયસ્ક મહિલાને પૂછ્યું, “તમને જ્યારે ખબર હતી કે હું એકલી આ બે મવાલી સામે લડી રહી છું, ત્યારે મારી મદદે કેમ ન આવ્યાં. આવું બને ત્યારે લોકો મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે; એમ તમે તમાશો જોતા હતાં? તો, પછી આ નારી સુરક્ષા કેન્દ્રનાં નામનો શું અર્થ છે?”

“દીકરી, તારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. અમે તમાશો નહોતાં જોતાં, આ લાઠી પણ મેં જ તારી પાસે ફેંકી હતી. મારે જોવું હતું કે સ્રી શશક્તિકરણની વાતો કરીએ છીએ, તો શું ખરેખર સ્રી શક્તિમાન બની છે ખરી? બીજું તારી હિંમત અને નીડરતા જોતાં મને ખાતરી થઈ ગઈ હતી કે તારે મદદ નહીં, પણ હથિયારની જરૂર છે. દીકરી, આ લાઠી દાવ તું ક્યાંથી શીખી?”

“તમે તમારું નામ નથી કહ્યું પણ હું તમને બા કહીશ. બા, લોકો ગામડાંને ખોટા વગોવે છે કે ગામડામાં શિક્ષણનું સ્તર નીચું હોય છે. પણ, બા, અમારી સ્કૂલમાં અમને બધાને શિક્ષણ સાથે ફરજિયાત સ્વરક્ષણ માટેની બધા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. મારી પાસે અહીંયા લાઠી નહોતી, જેની કમી તમે પૂરી કરી દીધી એટલે એ બે વ્યક્તિ હોવા છતાં હું તેને પહોંચી વળી.”

“શાબાશ, દીકરી, તું ક્યાં રહે છે? મારી ઈચ્છા છે કે તું અહીંયાંની સ્રીઓને સ્વ-સુરક્ષા માટેની બધાં પ્રકારની તાલીમ આપ. જેથી અહીંયાની સ્રીઓ તારી જેમ બહાદુર અને નીડર બને.”

“બા, હું તો એકલી છું. અત્યારે વિમેન્સ પેઈંગ ગેસ્ટહાઉસમાં પેઇંગગેસ્ટ તરીકે રહું છું.”

“તો, તું, અહીંયા અમારી સાથે રહેવા આવી શકે? મારે તારી જેવી દીકરીની જરૂર છે.”

અનિતાબહેન નારી સુરક્ષા કેન્દ્રમાં રહેવાં આવી ગયાં અને નારી સુરક્ષા કેન્દ્રનું એક અંગ બની ગયાં. નારી સુરક્ષા કેન્દ્રમાં અનેક પ્રકારના પ્રશ્નનોને લીધે સ્રીઓએ આશરો લીધો હતો. તેમાં એવી પણ સ્રીઓ હતી કે જેણે પોતાના કુટુંબને હેરાન કરવા માટે ખોટા આરોપ મૂકીને આવી હતી. આવા જુદાજુદા પ્રકારના પ્રશ્નનોનું અનિતાબહેને સ્રી સન્માન જળવાય એ રીતે સમાધાન કાઢી, નારી સુરક્ષા કેન્દ્રમાં પોતાનું આભા વર્તુળ ઊભું કરી દીધું હતું. અનિતાબહેન જેને બા કહેતાં હતાં એ પણ બધું અનિતાબહેનને સોંપીને ચિંતામુક્ત થઈ ગયાં હતાં.

અનિતાબહેને, નારી સુરક્ષા કેન્દ્રની સ્રી સાથે બીજી સ્રીઓને, દીકરીઓને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. કેન્દ્રમાં જુદા જુદા વિષયનાં તજ્જ્ઞોને આમંત્રિત કરી, એ વિષયોનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અનિતાબહેન માનતાં સ્રીઓએ, દીકરીઓએ એક જ દિશા નારીશશક્તિકરણની જ નહીં પણ દરેક ક્ષેત્રમાં સશક્ત બનવું પડે. અનિતાબહેન, નારી સુરક્ષા કેન્દ્રના પર્યાય બની ગયાં હતાં.

“અરે! બા ક્યાં ખોવાઈ ગયાં? ચાલો દીપ પ્રાગટ્ય કરો.”

“મોટાબા ક્યાં છે? દીપ પ્રાગટ્ય તો મોટાબાના હાથે થશે.”

“સારું, પછી તમે સંબોધન કરશો ને? બધાં તમને સાંભળવા તલપાપડ છે.”

“હા. હું જરૂરી વાત કરીશ.”

“આજે મારે અહીંયા હાજર દરેક દીકરી અને સ્રીને કહેવું છે કે તમારી લડાઈ તમારે જ લડવાની છે. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, `પાર્થ, હું તારા રથનો સારથિ છું, પણ આ યુદ્ધ તારું છે અને એ તારે જ લડવાનું છે.` એમ આપણે જ આપણી સુરક્ષા કરવાની છે. તમારામાં બેઠેલો અબળાનો ભય કાઢી નાંખો એટલે સબળા તેનું કામ કરશે જ. તે, દિવસે જો હું ડરી ગઈ હોત, તો આજે અહીંયા ન હોત. મને લાઠી બાએ આપી હતી, પણ તેનો ઉપયોગ તો મારે જ કરવાનો હતો. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે દરેક સ્રી, રાણી લક્ષ્મીબાઈ ,ઝાંસી કી રાણી અને ચાંદ બીબી છે. બસ, આપણી માનસિકતા બદવાની જરૂર છે. પુરાણોમાં પણ સ્રી શક્તિના અનેક ઉદાહરણ મળે છે. એ આપ સૌ જાણો છો. મેં જેમ એક પગલું અંધકારમાંથી સ્વ-પ્રકાશમાં મૂક્યું એમ તમે સૌ પણ તમારા સ્વ-પ્રકાશ તરફ આગળ વધો …….

હોલ તાળીઓ અને અનિતાબાની જય અને હેપી બર્થડેના નારાથી ગુંજી ઉઠ્યો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 

આશા બૂચ|Gandhiana|7 June 2025

“અસ્પૃશ્યતા હિન્દુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં, પણ હિન્દુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે. તેનું નિવારણ  કરવું પ્રત્યેક હિન્દુનો ધર્મ છે. એ તેનું પરમ કર્તવ્ય છે.” 

− મો.ક. ગાંધી

આ વર્ષ મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીનું વર્ષ છે. ગાંધીજી ૨૨ ઓક્ટોબર, ૧૯૨૫ના રોજ મુંબઈથી દ્વારકા થઈને માંડવી બંદરે ઉતર્યા હતા અને ૪થી નવેમ્બર, ૧૯૨૫ના રોજ તુણા બંદરેથી જામનગર ગયા હતા. પૂરેપૂરાં બે અઠવાડિયાં ગાંધીજી કચ્છમાં હતા. આ તેમની કચ્છની પહેલી અને આખરી મુલાકાત હતી. 1925નું આખું વર્ષ તેઓ ભારતનો મોટા ભાગનો વિસ્તાર અસ્પૃશ્યતા નિવારણ અને રચનાત્મક કાર્યના પ્રચાર માટે ફરી વળ્યા હતા.

કચ્છ જિલ્લા અને પૂરા ગુજરાત માટે આ ઘટના મહત્ત્વની. કચ્છમાં ‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંચાલિત ‘ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર’ના નેજા હેઠળ, આ યાદગાર મુલાકાતની સ્મૃતિમાં, વિવિધ કાર્યક્રમોની એક વિશેષ શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીજીની કચ્છ યાત્રાનો નકશો ‘ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર’ના ઋણસ્વીકાર સાથે નીચે પ્રસ્તુત છે.

એ યજ્ઞમાં, મારા તરફથી સમિધ રૂપે, ‘હરિજન સેવક સંઘ’ની દાસ્તાન રજૂ કરવાનો પ્રયાસ કરું છું.

ગાંધીજીની કચ્છ યાત્રાનો મુખ્ય હેતુ પ્રજાને અસ્પૃશ્યતા નિવારણ માટે ઉજાગર કરવાનો હતો, તેથી આ લખાણમાં મુખ્યત્વે એ મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે. તેની વિગતોનો મુખ્ય સ્રોત 2/10/1968માં પ્રકાશિત થયેલી પુસ્તિકા ‘રાષ્ટ્રપિતાનું તર્પણ’ છે. કચ્છ હરિજન સેવક સંઘના કાર્યકાળને 30 વર્ષ પૂરાં થયા એ નિમિત્તે ફાળો એકત્ર કરવાની નેમ સાથે આ સ્મૃતિગ્રંથનું પ્રકાશન કરવામાં આવેલું, જેમાં કચ્છની હરિજન સેવાનું સરવૈયું વિગતે આપેલું છે. તેમાંની વિસ્તૃત વિગતોમાંથી તારવીને કેટલીક રસપ્રદ હકીકતોની નોંધ અહીં પ્રસ્તુત છે.

પ્રભુલાલ ધોળકિયા

આ યાત્રામાં અનેક યુવાનો જોડાયા હતા. તેમાંના ત્રણ યુવાનો, ગુલાબશંકર ધોળકિયા, કાંતિપ્રસાદ અંતાણી અને પ્રભુલાલ ધોળકિયાએ જ્ઞાતિનો બહિષ્કાર વહોરી લઈને ગાંધી યાત્રા આયોજનમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ કામ કર્યું. ત્યારે મારા નાનાજી પ્રભુલાલ ધોળકિયાની ઉંમર 20 વર્ષની હતી. તેમની પાસેથી અને મારાં માતુશ્રી પાસેથી ગાંધીજીની યાત્રા તેમ જ હરિજન સેવક સંઘની સ્થાપના અને પ્રવૃત્તિઓની વાતો સાંભળી અને જાતે જોયેલી પણ ખરી.

કચ્છના છ તાલુકામાં ગાંધીજીએ પ્રજા જોગ સંબોધન કરેલાં. તે સમયે છુઆછૂતની ભાવના સમજમાં અત્યન્ત ઊંડાં મૂળ ઘાલીને બેઠી હતી, તેથી કચ્છની પ્રજાએ ગાંધીજીને મહેમાન તરીકે નોતર્યા, પણ પછી હરિજન ગણીને એમને ‘અછૂત’ લોકો સાથે સભામાં બેસાડ્યા, એટલું જ નહીં, માનપત્ર આપીને ‘ઢેઢ’ને આપે એ રીતે એમના ખોળામાં ફેંકીને તેમની હાંસી કરી. એ જ કચ્છ પ્રદેશમાં આઝાદી પછી હરિજન કુમાર છાત્રાલયો, કન્યા છાત્રાલય અને આદિવાસી છાત્રાલય સ્થપાયાં, જેનો યશ માત્ર કચ્છ હરિજન સેવક સંઘને જ નહીં, પરંતુ ભારત સરકારે એ કાર્ય માટે પૂરી પડેલી ધનરાશિને, તે માટે ઘડેલા કાયદાઓ અને નિયમોને, તથા તેના પાલનકર્તાઓને પણ જાય છે.

ઓક્ટોબર 1925માં ગાંધીજીએ કચ્છની પંદર દિવસ યાત્રા કરી. અસહકારની ચળવળ બાદ સમાજ સુધારણાની પ્રવૃત્તિઓને આથી વેગ મળ્યો. અસ્પૃશ્યતા નિવારણ માત્ર દયા-દાનની પ્રવૃત્તિ ન રહેતાં આત્મશુદ્ધિ અને સામાજિક ક્રાંતિની પ્રવૃત્તિ બની. હરિજન ઉદ્ધારના કાર્યમાં સહાયક થનારાને બ્રાહ્મણ અને જૈન જ્ઞાતિના આગેવાનોએ ઠપકો આપી જતા કર્યા અને નાગર જ્ઞાતિએ હરિજન સેવકોને જ્ઞાતિ બહાર મૂકી પોતાનો જ્ઞાતિધર્મ બજાવ્યો! પરંતુ સદ્દભાગ્યે એ યુવાનો બમણા ઉત્સાહથી આ પુનિત કાર્યમાં જીવન પર્યન્ત વ્યસ્ત રહ્યા એ ગાંધીની પ્રેરણાદાયી યાત્રાનું સુફળ ગણી શકાય. ઠક્કરબાપાની પ્રેરણાથી કચ્છ હરિજન સેવક સંઘની સ્થાપના થઇ. એ યુગમાં હરિજન ઉદ્ધારનાં કાર્યો કરવામાં કેવી અડચણોનો સામનો કરવો પડ્યો હશે તેની વાત કરું.

‘રાષ્ટ્રપિતાને તર્પણ’ સ્મૃતિગ્રંથમાં આપેલી નીચેની વિગતો આજના યુગના વાચકો માટે રસપ્રદ થઈ પડશે. ‘કચ્છમાં હરિજન સેવા પ્રવૃત્તિની ઝાંખી’ શીર્ષક હેઠળના લેખમાં 1920-1930ના દાયકાઓમાં સમાજ જીવનના એકે એક પગલે હરિજનો પ્રત્યે કેવો ભેદભાવ રાખવામાં આવતો હતો તેનું રજેરજ વર્ણન છે, જે વાંચીને હૃદય વ્યથા તેમ જ ગ્લાનિ અનુભવ્યા વિના ન રહે. એ સમયે ભલે વ્યક્તિગત આચાર સુધી સીમિત હતો, પણ આર્યસમાજી સુધારકો અત્યંજ સ્પર્શમાં બાધ ન લેતા એમ જાણવા મળે છે. શાળા સંચાલનમાં વાલીઓ સાથે સંપર્ક સાધવા અને સામાજિક વ્યવહાર ચલાવવા સવર્ણ શિક્ષકો ઓછા તૈયાર થતા, જેથી એ કામ મુસ્લિમ યુવાનોને શિક્ષક તરીકે નીમીને પાર પાડવામાં આવતું. રાજ દરબારમાં કે જાહેર સ્થળોએ હરિજનો જઈ શકે એવી તો એ કાળમાં કલ્પના પણ ન કરી શકાતી. હરિજન દર્દીની સારવાર દૂરથી જોઈને અટકળે કરવામાં આવતી, એટલું જ નહીં, કોઈ મુસ્લિમ દર્દીની દયાથી તેની બાટલીમાંથી દવા લઈને હરિજન દર્દીને આપ્યાના દાખલા પણ નોંધાયા છે. હરિજન બાળક વર્ગમાં એક ખૂણે બેસીને ભણી શકતો, તેનું લેખન અને ગણિત દૂરથી જોઈ લેવામાં આવતું. રેલવેમાં ‘ઢેઢ’નો ડબ્બો અલગ રાખવામાં આવતો હતો. આવી હતી આપણા સમાજની દશા! વહાણના સઢના વણાટકામથી માંડીને રેશમના ભાતીગળ વણાટ માટે વખણાતા વણકરો હરિજન હતા, જેઓ કાપડિયાના ગુલામ બની રહેતા, એની પાસેથી લીધેલી રકમ ચૂકવી ન શકે એટલે કાયમ દેવાદાર રહેતા. હરિજનો પ્રત્યેના અન્યાયના આવા અસંખ્ય ઉદાહરણો આ પ્રકરણમાં વાંચવા મળે છે. એવા સંયોગોમાં હરિજન સેવાનું કાર્ય આરંભવું અને ચલાવવું કેટલું દુષ્કર હશે એ સમજી શકાય.

11/9/1924ના ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ લખેલું, 

“આપણે ભંગી સાથે ભંગી બનીને જોવું જોઈએ કે ઉચ્ચ વર્ણનાં જાજરૂ સાફ કરવાનું અને તેના એઠા રોટલા ખાવાનું આપણને કેવું લાગે છે? આપણે જોવું જોઈએ કે મુંબઈના મજૂરોનાં ઘોલકાં, જેને ખોટી રીતે ઘર કહેવામાં આવે છે તેમાં રહેવાનું આપણને કેવું લાગે છે? સૂરજના પ્રખર તાપમાં કેડ વાળીને કાળી મજૂરી કરતા ગ્રામવાસીઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઈએ, અને જે ખાબોચિયામાં તેઓ ન્હાય છે, તેમાં તેનાં વાસણ અને કપડાં ધુએ છે તથા જેમાં તેનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો આપણે વિચાર કરવો જોઈએ. એમ કરીશું ત્યારે જ આપણે આમજનતાના સાચા પ્રતિનિધિ ગણાઈશું અને ત્યારે આપણી દરેક હાકલનો આમજનતા જરૂર જવાબ વળશે.”  

ગાંધીજીની આ હાકલને ધ્યાનમાં લઈને ઠક્કરબાપાની પ્રેરણાથી કચ્છ હરિજન સેવક સંઘની શાખા 1933માં સ્થપાઈ. છાત્રાલયો અને શાળાઓની સ્થાપના ઉપરાંત ખાદી-ગ્રામોદ્યોગને સંલગ્ન કાર્યો, જેવા કે અંબર ચરખા કેન્દ્રો સ્થાપવાં, તેલની ઘાણી શરૂ કરવી, શરાબ બંધી તથા અનેક ગૃહ અને ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા જેવી પ્રવૃત્તિઓ સંઘે હાથ ધરી હતી.

કચ્છ હરિજન સેવક સંઘના પ્રમુખ પ્રભુલાલ ધોળકિયા એ સ્મૃતિગ્રંથના પ્રારંભમાં નોંધે છે કે સંઘના કાર્યોનો ત્રિમાસિક અહેવાલ બાપુને નિયમિત મોકલવાનું ધોરણ રાખેલું. આ રહી બાપુના પ્રત્યુત્તરની છબી.

આ પત્રવ્યવહારની જાણ માનનીય ગોપાલકૃષ્ણજીને કરી ત્યારે તેમણે પાઠવેલ ઉત્તર પણ એટલો જ પ્રેરણાદાયી રહ્યો, જે સહુની સાથે સાઝા કરું છું :

Dear Ashaben

Thank you for your mail and its important attachment.

It is a lovely hand-written letter indeed. સફળતા મળશે જ is more emphatic than ‘you will succeed’. It is like ‘You cannot but succeed’.

The date 3.3.33 is such a happy rhyming date  ! He was in Yeravada jail at that time.

Of course you should feel proud to be born in that family.

With best wishes for Christmas and the New Year,

Gopal

સ્મૃતિગ્રંથના પ્રકાશન નિમિત્તે અનેક રાજકીય, સામાજિક અને રચનાત્મક કાર્યક્ષેત્રના આગેવાનોને કચ્છ હરિજન સેવાની 30 વર્ષની મજલ વિષે જાણકારી કરતા પત્રો લખવામાં આવ્યા હતા. વિનોબાજી, ઝાકીર હુસેન, ઇન્દિરાબહેન ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, કાકાસાહેબ કાલેલકર, મુનિ સંતબાલજી, રવિશંકર મહારાજ જેવા અનેક મનહાનુભાવોના પ્રેરણા સંદેશ આવેલા. મોરારજીભાઈ દેસાઈ, ઉ.ન. ઢેબર, ભક્તિબા, બબલભાઈ મહેતા અને રતુભાઇ અદાણી જેવા ખમતીધર આગેવાનો પ્રભુલાલ ધોળકિયા અને મગનભાઈ સોનીને સંબોધીને સંદેશ મોકલે તેમાં પરસ્પરના કાર્ય માટે સમાદરની લાગણી વ્યક્ત થાય. તેમાંના ત્રણ મારે મન વિશેષ રીતે અલગ તરી આવેલા લાગે છે એ ઉધૃત કરું છું :

  1. मंत्रीजी,

पत्र मिला। कच्छ में हरिजन सेवक संघका काम ३० वर्ष सतत चला उस कार्यकी जानकारी देनेवाला स्मृति ग्रन्थ आप प्रकाशित करना चाहते हैं, यह अच्छा है. अस्पृश्यता पर काफी प्रहार हो चुका है. उसकी जड़ें बिलकुल निर्मूल नहीं हुई तो भी काफी ढीली पड़ गई हैं. इसके आगे हरिजन सेवा का अलग टुकड़ा ले कर काम करने से प्रगति नहीं होगी. समग्र ग्राम सेवा में ही लगना होगा। उसके अंगके तौर पर हरिजन सेवा सरलता से होगी. यह मैं बहुत दफा कह चुका हूँ.

 विनोबाका जयजगत

વિનોબાજી અસ્પૃશ્યતા નિવારણના કાર્યને અત્યંત મહત્ત્વનું માનતા હોવા છતાં આઝાદી બાદના બે-અઢી દાયકા પછી તેને અલગ સેવા ક્ષેત્ર બનાવવાને બદલે તમામ ગ્રામવાસીઓના ઉત્થાનના એક ભાગ રૂપ બનાવવાનું સૂચન કરે છે તેની પાછળ દરેક નાગરિકને એક ‘સમાન માનવ’ તરીકે જોવાનો, નહિ કે કોઈ જ્ઞાતિ કે જાતિના લેબલ સાથે જોવાનો સંદેશ છે, જે વધુ ઉપયુક્ત લાગે છે. સવાલ એ છે કે આજે સાત દાયકા વીત્યા છતાં આપણે વિશેષાધિકારના અંચળા નીચે છુપાયેલ અસમાનતાને દૂર કરી શક્યા છીએ ખરાં?

  1. पश्चिम भारतके एक सिरे पर कच्छ जैसे छोटे इलाके में आज लगभग चालीस सालसे जो हरिजन सेवा कार्य हो रहा है उसे मैं रचनात्मक कार्यका एक अच्छा उदाहरण मानता हूँ. कच्छ हरिजन सेवक संघने इस वर्षका एक संक्षिप्त विवरण मेरे पास भेजा है उसे देखते हुए मैं समझता हूँ की पूज्य गांधीजी की महान प्रेरणा से तथा माननीय ठककर बापाके मार्गदर्शन में भारत में जो हरिजन सेवा का कार्य हुआ है उसमें कच्छ हरिजन सेवक संघके कार्यकी गणना विशेष रूपसे होनी चाहिए. चालीस वर्ष पूर्व जब कच्छ एक छोटासा देशी राज्य था और अच्छी-बुरी रुढ़ियो का गहरा जाल फैला था, उस समय समाज सुधारके लिए वातावरण बहुत प्रतिकूल था. ऐसे समय केवल कुछ सेवाभावी कार्यकर्ताओंने सब कठिनाइयोंका सामना करते हुए इस कार्यकी जो इतनी प्रगति की, वह बहुत प्रशंसनीय है. आज भी यह समस्या पूरी तरहसे नहीं सुलझी है इसलिए गांधीजी और ठक्कर बापाके बताये हुए मार्ग पर दृढ़ कदमोंसे चलते हुए और पंचवर्षीय योजनाओंमे हरिजनके सुधारके लिए जो तजवीज दी गई है उनका पूरा और उचित फायदा उठाते हुए हमको इस कार्य को संपन्न करना है. मुझे विश्वास है की इस काम में धनसे भी अधिक त्यागी एवं प्रशिक्षित समाज सेवकोंकी आवश्यकता है. सौभाग्यसे कच्छ हरिजन सेवक संघके पास इनकी कमी न रही है और न कभी भविष्यमे रहेगी, ऐसी मुझे आशा है. मैं चाहता हूँ की दस साल बाद जब कच्छ में संघका सुवर्णोत्स्व मनाया जाये तब तक अस्पृश्यता जैसी समस्या ही वहाँसे नष्ट हो जानी चाहिए.

गुलजारीलाल नंदा

ગુલઝારીલાલ નંદાનો સંદેશ પ્રશંસા અને આશાવાદથી ભરપૂર છે. તેમના છેલ્લા બે વાક્યોમાં અસ્પૃશ્યતા સંપૂર્ણ પણે નષ્ટ થઈ જવાની તેમની ઈચ્છાને આપણે પૂર્ણ નથી કરી શક્યા એ કબૂલ કરવું રહ્યું.

  1. ભાઈશ્રી પ્રભુલાલ,

તમારો પત્ર મળ્યો. કચ્છમાં હરિજન કામને ત્રીસ વર્ષ પૂરાં થાય છે. તે નિમિત્તે એક બૃહદ્દ ગ્રંથ સ્મૃતિ રૂપે તૈયાર કરી રહ્યા છો એ જાણીને આનંદ થયો. હરિજન સેવાનો સંકલ્પ કરીને તમે સૌ ભાઈઓએ જે પવિત્ર કામ કર્યું છે તેનો ખ્યાલ તો ત્રીસ વર્ષ પૂર્વેની સ્થિતિનો ખ્યાલ કરનારને જ આવી શકે. આ બધી વાતો આ ગ્રંથ દ્વારા આજના સમાજ પાસે મુકાશે જ. હજુ પણ કામ ઘણું કરવાનું છે. નવી પેઢીને મેલાં ઉપાડવાના અમાનુષી કાર્યમાંથી મુક્ત કરવી જ હશે તો પહેલામાં પહેલી તકે એ સમાજની બહેનો પાસેથી આ કામ છોડાવવું પડશે. આ માટે આપણે સૌએ પ્રયત્નો કરવાના રહે છે. આ તકે મારી શુભેચ્છાઓ મોકલું છું.

ભક્તિબા

ભક્તિબાએ અછૂત સમાજમાં પણ મહિલાઓની સ્થિતિ તરફ અંગુલી નિર્દેશ કરીને એક નવી દિશામાં વિચાર કરવાની વાત કરી એથી એમનો સંદેશ વધુ નોંધનીય લાગ્યો.

મહાત્માજીના હરિજનોને અલગ મતાધિકાર આપવાની માગણીના વિરોધમાં યરવડા જેલ ખાતે કરેલા ઐતિહાસિક ઉપવાસ પછી કચ્છમાં હરિજન સેવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. બંધારણમાં અસ્પૃશ્યતાની નાબુદીનો કાયદો જરૂર થયો, આમ છતાં હરિજનો અને પછાત કોમોને સામાન્ય જનસમાજની સમાન કક્ષામાં લાવવા બંધારણમાં તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા દસ વર્ષનું રક્ષણ આપવામાં આવ્યું હતું. તે દરમિયાન લોકોના માનસમાં દરેક માનવીની સમાનતાનો ખ્યાલ દૃઢ થઇ જાય અને તમામ પ્રકારની શિક્ષણ તથા રોજગારીની તકો માત્ર વ્યક્તિની બુદ્ધિ તથા કાર્યકુશળતાની ગુણવત્તા પર સમાન રીતે આપવામાં આવે એ લક્ષ્ય સિદ્ધ ન થયું અને હજુ આજે પણ અનામત બેઠકો અને તેને આનુષંગિક સમસ્યાઓ જોવા મળે છે. ખરું જોતાં માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સારા ય ભારતભરમાં અસ્પૃશ્યો અને પછાત જાતિઓને સમાન હક્કો મળ્યા છે કે નહીં એ સવાલ છે. કચ્છનાં તમામ ગામડાઓમાં પંચાયતો સ્થાપી, પણ હરિજનો સવર્ણ સભ્યો સાથે માન ભેર બેસી ન શકે તેવી સ્થિતિ આ પુસ્તિકામાં નોંધવામાં આવી હતી.

કચ્છ હરિજન સંઘના નેજા હેઠળ ચાલતી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં સાર્વજનિક કુમાર છાત્રાલય : ભુજ, ઠક્કરબાપા વિદ્યાર્થી આશ્રમ : અંજાર, ગ્રામ બાલવાડી, કસ્તૂરબા બાલમંદિર : ભુજ, અને તે ઉપરાંત દરેક તાલુકામાં અસ્પૃશ્યતા નિવારણ કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 1947માં હિજરતી હરિજન કુટુંબોને જમીન મેળવવામાં સહાય, અનાજનાં બીજ ખરીદવાની જોગવાઈ, રહેણાંક મકાન, ઓજારો અને લોન અપાવીને કચ્છમાં સ્થાયી કરવા અને બાકીનાને અન્ય રાજ્યોમાં રોજગારી અપાવવા સહાય કરવાના કાર્યોની વિગતે નોંધ આ સ્મૃતિગ્રંથમાં છે.

અહીં એ નોંધવું રહે કે કચ્છ હરિજન સેવક સંઘના પરિશ્રમને પરિણામે આજે હરિજનો કોઈ પણ પ્રકારના અંતરાય વિના ભણતા થયા છે, ટ્રેન અને બસમાં અન્ય ‘સવર્ણો’ સાથે મુસાફરી કરી શકે છે, જાહેર વારિગૃહોમાં સવર્ણોની જોડાજોડ પાણી ભરતા થયા છે. ધારાસભા સુધી પ્રતિનિધિત્વ કરતા થયા છે. શાળા પ્રવેશ બાબતે પણ ઘણો સુધારો જોવા મળેલો. 1945માં આ કોમના માત્ર 409 કિશોર અને 15 કિશોરીઓ શાળામાં ભણતાં હતાં, જે સંખ્યા 1948માં 800 સુધી પહોંચી અને આઝાદીના દોઢ દાયકા બાદ પાંચ હજાર ઉપર પહોંચી તેની પાછળ સરકારી નિયમો તેમ જ કચ્છ હરિજન સેવક સંઘની સતત જહેમત કારણભૂત ગણાય. પણ આ પુસ્તિકા છપાઈ ત્યારે જળાશયો, હોટેલ, મંદિરો કે હેર કટિંગ સલૂન જેવા જાહેર સેવાનાં સ્થળે બહુ પરિવર્તન જોવા મળ્યું નહોતું.

ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીની ઉજવણી થઇ રહી છે ત્યારે એટલું જરૂર કહી શકાય કે હરિજન, કે જેમને હવે દલિત તરીકે ઓળખવામાં આવે છે, એ કોમમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેમના આવાસો અને બીજી સુવિધાઓમાં પરિવર્તન આવ્યું, કેટલાક લોકો ઉચ્ચ પદવીઓ ધારણ કરતા થયા. પરંતુ ભારતીય પ્રજાના માનસમાંથી અસ્પૃશ્યતાનો ખ્યાલ સાવ નિર્મૂળ નથી થયો. હજુ પણ દેવસ્થાનોમાં તેમ જ જાહેર જીવનમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે જ છે. આ હડહડતા અન્યાય માત્ર સરકારી કાયદા અને નિયમો ઘડવાથી દૂર નહીં થાય, તેને જડમૂળથી મિટાવવાની જવાબદારી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ તેમ જ  સમાજના શિક્ષિત અને સમજદાર જાગૃત નાગરિકો બધાની છે.

માત્ર કચ્છ જિલ્લાના લોકોના મનમાં જ નહીં, પરંતુ આખા ગુજરાતની અને પૂરા ભારતની જનતાના દિલો દિમાગમાંથી ‘આભડછેટ’ નથી ગઈ એ દુઃખદ હકીકત સ્વીકારવી રહી. ભારતનો દરેક નાગરિક, ભલે તે કોઈ પણ જ્ઞાતિ, ધર્મ કે જાતિનો હોય, તેને પોતાના જેવો જ એક ‘માનવી’ ગણીને તમામ અધિકારો ભોગવવા દેશું ત્યારે રાષ્ટ્રપિતાને ખરું તર્પણ કર્યું કહેવાશે.

e.mail : 71abuch@gmail.com
‘ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર’ના સૌજન્યથી આ લોગો અહીં પ્રસ્તુત છે.

Loading

ઇષ્ટ અને અને અનિષ્ટની પેલે પાર : નાયક નહીં, ખલનાયક હૂં મૈં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 June 2025

રાજ ગોસ્વામી

નિર્માતા-નિર્દેશક સુભાષ ઘઈના ચાહકો માટે એક સરસ સમાચાર છે; તેઓ તેમની 1993ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ બનાવી રહ્યા છે. તાજેતરમાં, તેમણે પુષ્ટિ કરી હતી કે “ખલનાયક-2ની સ્ક્રિપ્ટ પૂરી થઇ ગઈ છે અને ટૂંકમાં જ કલાકારો અને કસબીઓની ટીમને અંતિમ રૂપ આપવામાં આવશે.”

ફિલ્મી જગતમાં ‘ખલનાયક’ની સિક્વલ લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ હતી, પણ હવે ઘઈએ વિધિવત જાહેરાત કરીને ગપસપનો અંત લાવી દીધો છે. તેમણે અગાઉ પણ એ વાત ભાર મુક્યો હતો કે ફિલ્મના ‘ખલનાયક’ બલ્લુ બલરામનો કિરદાર માત્ર સંજય દત્ત જ નિભાવશે. તેમણે એવી અફવાઓ ખારીજ કરી હતી કે આ કિરદાર માટે નવા અભિનેતાની શોધ ચાલે છે. તેમણે એવું સ્વીકાર્યું હતું કે તેની સાથેના બીજા કિરદારોમાં નવા ચહેરા હશે.

‘ખલનાયક’ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હતી અને તેણે સંજય દત્તની લોકપ્રિયતાને એક નવી ઊંચાઈ બક્ષી હતી. કેનેડા અને અમેરિકામાં જબરદસ્ત બિઝનેસ કરનારી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. પહેલા અઠવાડિયામાં તેણે તે સમયે રિલીઝ થયેલી હોલીવૂડની અમુક ફિલ્મોને પણ પાછળ રાખી દીધી હતી. 

ઘણી ફિલ્મો તેમનું પોતાનું એક નસીબ લઈને આવે છે. સામાન્ય રીતે, મસાલા ફિલ્મોમાં એક નાયક અને એક ખલનાયક હોય છે. ઇષ્ટ અને અનિષ્ટની આ જુગલબંધીથી ફિલ્મની વાર્તામાં એક પ્રકારનું ટેન્શન જળવાઈ રહે છે અને તે દર્શકોને ‘હવે શું થશે?’ના ભાવ સાથે જકડી રાખે છે.

સુભાષ ઘઈએ આ ફિલ્મમાં હીરોની વ્યાખ્યાનું શીર્ષાસન કરી નાખ્યું હતું. તેમણે ખલનાયકને જ નાયક બનાવી દીધો હતો. દર્શકોને યાદ હશે જ કે આ ફિલ્મમાં બલ્લુ જેલ તોડીને ભાગેલો એક ખૂંખાર ગેંગસ્ટર છે અને તેને પકડનાર ઇન્સ્પેકટર રામ (જેકી શ્રોફ) તેની પ્રેમિકા અને જેલની રખેવાળ ગંગા (માધુરી દીક્ષિત) સાથે મળીને બલ્લુને પાછો પકડવા માટે મિશન હાથ ધરે છે.

બલ્લુના કિરદારમાં પરંપરાગત હીરોનાં કોઈ લક્ષણ નહોતાં, અને ફિલ્મના ટાઈટલ પરથી જ સ્પષ્ટ છે તેમ સુભાષ ઘઈ તેને વિલેન તરીકે જ પેશ કરવા માંગતા હતા. અલબત્ત, પાછળથી બલ્લુનું હૃદય પરિવર્તન થાય છે અને તે આત્મ સમર્પણ કરે છે તેમ જ ગંગાની પ્રતિષ્ઠાને પણ બહાલ કરે છે. પણ આવા નેગેટીવ કિરદારને હીરો બનાવવામાં જોખમ તો હોય જ. લોકોને તે પસંદ ન આવે તો? 

‘નસીબ’ કેવું કે ફિલ્મ તૈયાર જ હતી તે વખતે સંજય દત્તની મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં ધરપકડ થઇ અને તેને જેલમાં પુરવામાં આવ્યો. એપ્રિલમાં તેની ગિરફ્તારી થઇ અને જૂનમાં ફિલ્મ રિલીઝ થઇ. અઢીસોથી વધુ લોકોના ભોગ લેનારા આ વિસ્ફોટોમાં બે જ બાબતો આખા દેશમાં ચર્ચામાં હતી; એક તો વિસ્ફોટોનું કાવતરું અને બીજું સંજય દત્ત. સંજયની ગિરફ્તારી સનસનીખેજ હતી. અગાઉ પણ તેનાં કારનામાં વિવાદ પેદા કરી ગયાં હતાં પણ બોમ્બ વિસ્ફોટના પગલે ઘરમાં ગન રાખવાની તેની હરકત તેને દુનિયાની નજરોમાં સાચે જ ખલનાયક બનાવી ગઈ હતી.

બંને બાબત ભેગી થઇ ગઈ; ‘ખલનાયક’ ફિલ્મનું રિલીઝ થવું અને તેના હીરો સંજય દત્તનું અસલમાં ખલનાયક બની જવું. ફિલ્મને તેનો બહુ ‘ફાયદો’ મળ્યો. સંજય એક બદનસીબ સંતાન હતો. સેલિબ્રિટી માતા-પિતાના સંતાન હોવાનો વહેમ કહો કે ઉછેરમાં રહી ગયેલી કમી કહો, સંજયના જીવનમાં નિયમિત રીતે તકલીફો આવતી રહી હતી. તેના એ અંગત સંઘર્ષની તેના ફિલ્મી વ્યક્તિત્વ ઘડતર પર અસર પડી હતી. એટલે એવું કહેવાય કે ‘ખલનાયક’ તેના જીવનના સૌથી મોટા સંકટ વખતે જ આવી હતી. દર્શકોને એટલા માટે જ તેની ફિલ્મોમાં વિશેષ રસ રહેતો હતો. પાછી આ ફિલ્મનું તો નામ જ ‘ખલનાયક’ હતું. સુભાષ ઘઈનો જુગાર સવળો પડ્યો.

“હું સંજય દત્તને નાનપણથી જાણતો હતો,” ઘઈએ એકવાર કહ્યું હતું, “તેની બીજી જ ફિલ્મ ‘વિધાતા’નું મેં નિર્દેશન કર્યું હતું. તે પછી 10 વર્ષ બાદ મેં તેને ‘ખલનાયક’માં લીધો હતો. હું તેને બહુ નજીકથી ઓળખતો હતો. તેની ગિરફ્તારી થઇ ત્યારે મને ખબર હતી કે તે નિર્દોષ છે, પણ ફસાઈ ગયો છે. તે અપરાધી નહોતો.”

ઘઈએ ફિલ્મનું પ્રમોશન પણ કર્યું નહોતું. સંજય એટલો મોટો ખલનાયક બની ગયો હતો કે તેમને ડર લાગતો હતો કે લોકો ફિલ્મ પર તેમનો ગુસ્સો ઉતારશે અથવા તેમની પર સંજયની ટ્રેજેડી પર ધંધો કરવાનું લાંછન લાગશે. “હું તે વખતે ચૂપ રહ્યો હતો,” ઘઈ કહે છે, “પ્રમોશનમાં એક રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. ચોલી કે પીછે ક્યા હૈ ગીતને લઈને જબ્બર બબાલ થઇ હતી. 32 રાજકીય સંગઠનો મારી વિરુદ્ધ થઇ ગયાં હતાં અને કોર્ટમાં કેસો દાખલ કર્યા હતા. પણ હું કશું ન બોલ્યો. મને ખબર હતી કે મેં કેવી ફિલ્મ બનાવી છે, મને ખબર હતી કે સંજય દત્ત કોણ છે, મને ખબર હતી કે ચોલી કે પીછે ગીત શેના માટે છે.”

‘ખલનાયક’ની સફળતામાં સંજય દત્ત, સંગીત અને એક્શનનો તો ફાળો ખરો જ, પરંતુ મહત્ત્વનું કારણ એ હતું કે સુભાષ ઘઈએ ઇષ્ટ અને અનિષ્ટની પરંપરાગત માન્યતાને તોડી હતી. તેમણે બલ્લુની વાર્તા દ્વારા એવું ઠેરવવા પ્રયત્ન કર્યો હતો કે કોઈ માણસ શુદ્ધ અથવા તો જન્મજાત સંત કે શેતાન નથી હોતો, તે તેના સંજોગો, વિકલ્પોની પસંદગી અને સમાજની નીતિ-રીતીના કારણે સારો કે ખરાબ બને છે. કૈંક અંશે, સંજય દત્તની અસલી જિંદગીની પણ આ જ કહાની હતી.

ઘઈએ આ ફિલ્મમાં અચ્છાઈ અને બુરાઈ, નિર્દોષતા અને અપરાધ સામે સવાલો કર્યા હતા. ફિલ્મમાં બલ્લુનું જીવન બ્લેક એન્ડ વ્હાઈટ વિલન જેવું નથી. તેમાં અનેક બીજા રંગો પણ છે. ઘઈએ આ ફિલ્મમાં તેના અપરાધીકરણ પાછળની જટિલતાને દર્શાવવા પ્રયાસ કર્યો હતો. એ દૃષ્ટિએ, ફિલ્મનાં પાત્રોનાં નામ સૂચક હતાં. રામ, બલ્લુ (બલરામ) અને ગંગા. ત્રણે નામો આપણા પ્રાચીન સંસ્કૃતિ અને નિશ્ચિત આદર્શો સાથે જોડાયેલાં છે.

ગંગા શુદ્ધતાની પ્રતિક છે. અને બલ્લુના ભાગી જવાથી તેના પ્રેમી (રામ) પર જે કલંક આવ્યું છે તે ધોવા માટે તે વેશ બદલે છે. ગંગામાં ઉદારતા અને કરુણા છે. તે બલ્લુના જીવનમાં પ્રવેશ કરીને તેને મનુષ્યમાં તબદીલ કરે છે.

કદાચ એટલા માટે જ આવા વિષય પર સુભાષ ઘઈ નાના પાટેકરની સાથે આવા વિષય પર એક ‘આર્ટ ફિલ્મ’ બનાવવા માંગતા હતા. ફિલ્મનું બજેટ પણ નાનું હતું. તેમના મનમાં રાવણનું પાત્ર હતું. રાવણ પર કોઈએ ફિલ્મ બનાવી નહોતી. તેમાં પાટેકરનો ‘ખલનાયક’ કિરદાર પૂણેથી મુંબઈ આવે છે તેવી વાર્તા હતી. એ જ્યારે લખાતી હતી ત્યારે ઘઈના લેખક કમલેશ પાંડેએ સૂચન કર્યું કે તમે આ વાર્તાને બીગ બજેટ કોમર્સિયલ ફિલ્મમાં ફેરવી નાખો. 

ઘઈએ અધવચ્ચે ફિલ્મનું સ્વરૂપ બદલી નાખ્યું. તે વખતે રામના પાત્રમાં જેકી શ્રોફનું નામ નક્કી હતું. ફિલ્મ જગતમાં ખબર પડી પછી બલ્લુ માટે અનીલ કપૂર અને આમીર ખાને પણ ઘઈનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ઘઈની ફિલ્મમાં હવે એવા હીરોની વાર્તા હતી જે ગેરમાર્ગે દોરવાયેલો હતો, અને સંજય એમાં એકદમ ફિટ બેસે તેવો હતો. નાના પાટેકર પછી મીડિયા ઇન્ટરવ્યૂમાં સુભાષ ઘઈને ભાંડતા રહ્યા તે પાછો એક અલગ જ વિષય છે.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 04 જૂન 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...122123124125...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved