Opinion Magazine
Number of visits: 9566399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીની યાત્રા : એક સંજીવનીનું વાવેતર –

રોહિત શુક્લ|Opinion - Opinion|25 January 2023

રોહિત શુક્લ

છેલ્લાં કેટલાંક વરસોથી સમગ્ર દેશમાં નફરત, વેર, નાની મોટી મારાકાપી, ઘૃણા-તિરસ્કાર, હિંસા, ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને લોકશાહીને જરા ય ન શોભે તેવા આધિપત્યનો માહોલ સર્જાયો છે. પૈસા-સંપત્તિ અને સત્તાનું આવું મેળાપીપણું ભાગ્યે જ નોંધાયું હશે. આ તમસ બધાને ઘેરી વળ્યું છે – અને કોઈ રસ્તો પણ ભાગ્યે જ નજરે ચઢે છે. ‘મહાત્મા’ નામે ઓળખાયેલા મો.ક. ગાંધીને પણ ૧૯૧૫થી ૧૯૪૨ દરમિયાન આવા જ કોઈક વાતાવરણનો પરિચય થયો. અંગ્રેજોએ દેશને ૫૦ વરસ સુધી લૂંટે રાખ્યો. દેશના ભલભલા મોવડીઓ અંગ્રેજિયતને આત્મસાત્ કરી ચૂક્યા હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ખ્યાતિ મેળવ્યા બાદ ૧૯૧૫માં મુંબઈમાં પ્રવેશ્યા ત્યારે તેમના સ્વાગત માટે ઊભેલા સમૂહમાંનાં એક પારસી મહિલા અંગ્રેજિયતમાં એવાં ઓતપ્રોત થઈ ગયેલાં કે ગાંધીજીમાં તેમને ‘ધન્ના દરજી’ ભળાયેલા ! આ સ્વત્વ ગુમાવી બેઠેલા કરોડો ભારતવાસીઓમાં ૧૯૪૨ સુધીમાં પ્રચંડ જુવાળ આવ્યો. સ્વના રાજ માટે સ્વની ઓળખ જરૂરી હતી અને ૧૯૩૦ની દાંડીકૂચ તથા ૧૯૪૨નું ‘હિંદ છોડો’ આંદોલન ભારતની ભૂગોળમાં વસનારા ગરીબ અને અશિક્ષિત, માંદલા અને તેજહીન માનવ-સમૂહોને સ્વ માટે ગૌરવ અને સન્માન બક્ષી ગયાં. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની વેર-વિખેર ચાવીઓ આ ‘સ્વ’ની ઓળખ, શોધ અને તેમાંથી સંભવનારા આત્મગૌરવમાં શોધવી રહી.

રાહુલ ગાંધી અને કૉંગ્રેસને નામશેષ કરી દેવાય તો ય શું ? ભારતમાં અને સમગ્ર દુનિયામાં અનેક પક્ષો અને રાજનેતાઓ આવ્યા અને ગયા. રાજા-મહારાજા, નવાબ-શહેનશાહ કેટલા ય આવ્યા અને ગયા. તો પછી કૉંગ્રેસ પક્ષનું કાંઈ વિશેષ ખરું ? ૧૩૮માં વર્ષમાં પ્રવેશેલો પક્ષ કંઈ અમરપટો લખાવીને આવ્યો છે ?

હા, કૉંગ્રેસનો અમરપટો તેના રાજકારણી રૂપમાં નથી; દેશના કરોડો લોકોના જીવન સાથે તે તાણા-વાણાની જેમ ગૂંથાઈ ગયો છે. કોઈક ધર્મ જેમ ‘વે ઑફ લાઈફ’ (જીવનશૈલી) હોય તેમ કૉંગ્રેસ પણ ‘વે ઑફ લાઈફ’ છે. વિશ્વણા કારોબારમાં પોતાનું સ્થાન ઊભું કરવા મથતા; ગરીબી, માંદગી, અંધશ્રદ્ધા, પછાતપણું વગેરેમાં ઊંડે ઊંડે ખૂંપી ગયેલા જીવનને થોડુંક અજવાળવા, પગભર થવા અને ભવિષ્યની આશા ફેફસાંમાં ભરવાનો પ્રાણવાયુ માત્ર કૉંગ્રેસ જ આપી શકે. જે કૉંગ્રેસી નેતા આ ન કરી શકે તેને રાજીખુશીથી  કરોડોમાં વેચાતા કરવાની છૂટ હોય જ.

પોતડીવાળા ‘નંગા ફકીર’ એવા એક ગાંધીથી ટી-શર્ટ-પાટલુનવાળા આ બીજા ગાંધીની યાત્રા અનિવાર્ય પણ હતી અને આવશ્યક પણ હતી જ. સૌને નડતા મોંઘવારી-બેકારી-ગરીબી-પાયમાલીના વિષચક્રની વાત પણ ન થાય, એવા માહોલમાં આર્થિક અસમાનતા વધતી જાય છે અને અન્ય આર્થિક સમસ્યાઓ વિકટ છે તે મતલબનાં વિધાનો હોઝબોલે કે નીતિન ગડકરી કરે પણ તે તો તળાવના પાણીમાં નંખાયેલી કાંકરીથી વિશેષ મહત્ત્વનું નહીં ! સત્તાને મર્યાદિત હાથોમાં કેન્દ્રિત કરવી અને શાશ્વત બનાવવી એ ઉદ્દેશ માટે સમાજનું વિભાજન જરૂરી હતું અને છે. આ કુલ પરિસ્થિતિમાં સમાજનો ખાસો મોટો વર્ગ વ્યાકુળ હતો.

દેશની સમક્ષ ઊભા થયેલા દુર્દૈવની એક લાંબી ફેહરિસ્ત છે. પાનસરે, દાભોલકર, કાલબુર્ગી, ગૌરી લંકેશથી માંડી અખલાખ, રોહિત વેમુલા વગેરે અનેકોના વ્યક્તિગત બનાવો માટે કયાં કારણો હતાં ? તે નિવારી ન શકાયાં હોત ? અને કોરોનાની તાળાબંધી કે કિસાનોના વ્યાપક વિરોધ આંદોલનો સત્તાપક્ષનો અભિગમ માનવીય સંવેદનશીલતાની ઊણપ દર્શાવે છે. કાંઈક રીતે પરોક્ષ સ્વરૂપના નીતિગત કે ઢાંચાગત પ્રવાહો પણ જન-માનસને શાતા આપે તેવા નથી. અત્યંત મોઘું શિક્ષણ, સ્વાસ્થ્યની સેવાઓની દુષ્કરતા, કૃષિવીમા કે કૃષિભાવ જેવી સમસ્યાઓમાં જવાબદેહીતાની સમસ્યા, પેયજળથી માંડી શહેરીકરણ અને સુવિધાના પ્રશ્નો વગેરેમાં નાગરિક જીવન વધુ ને વધુ ફસાતું જાય છે.

વૈચારિક દૃષ્ટિએ રાહુલ ગાંધીની આ લાંબી પદયાત્રાના અનેક સૂચિતાર્થો નીકળે છે. અલબત્ત સ્વાભાવિક રીતે જ વધારે ધ્યાન નવા ઊભરતાં રાજકીય સમીકરણો તરફ ખેંચાય છે. કમનસીબે ભારતમાં રાજકારણ એટલું હાવી થઈ ગયું છે કે સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યોની તટસ્થ અને ગુણાત્મક ચર્ચા જ અસંભવ બની ગઈ છે. આથી વૈચારિક સૂચિતાર્થોને બીજા ક્રમે ઉતારીને પ્રથમ રાજકીય અને રાજકારણી લાક્ષ્યાગૃહની તલાશી કરીએ. આ યાત્રા શરૂ થતાંની સાથે આ દિશાના કેટલાક સવાલો ઘૂમરાતા થયા છે.

૧.       હવે કૉંગ્રેસ વધુ મજબૂત બનશે ?

૨.       રાહુલ ગાંધીની પ્રતિભા વધુ પ્રભાવક નીવડશે ?

આ પ્રભાવકતા કૉંગ્રેસ પક્ષની અંદર તેમ જ ચૂંટણીના રાજકારણમાં વધુ અસરો પેદા કરી શકશે ?

૩.       આ યાત્રાના ફળસ્વરૂપે વિપક્ષોની એકતા વધશે ?

૪.       દેશમાંથી વિલુપ્ત થતી જતી લોકશાહી સજીવન થશે ?

૫.       રાજ્યનો વહીવટ ‘હમારે દો’ને બદલે લોકાભિમુખ કે ગરીબ તરફી બનશે ?

૬.       ધાર્મિક ઉન્માદ અને સ્ત્રીઓ સામેની ગુનાખોરી ઘટશે ?

૭.       દેશમાં તમામ ધર્મો તથા જીવન-પદ્ધતિઓ તરફ રાજ્ય નિષ્પક્ષ ભાવે વર્તશે ?

૮.       મતોનું રાજકારણ એક સ્વસ્થ સમાજજીવનને પાંગરવા દેશે ?

આ પ્રશ્નોના કેટલાક વૈચારિક ક્ષેત્રના ફલિતાર્થો પણ છે – પરંતુ તેને રાજકીય પરિસીમામાં કેન્દ્રિત કરીને આ યાત્રાની પ્રભાવકતા તોળી જોવી જોઈએ. સૌ પ્રથમ તો આ લગભગ ૧૫૦ દિવસની અને સાડા ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા કરનાર રાહુલ ગાંધી તરફ લોકાકર્ષણ પણ ખાસ્સું વધ્યું છે. ‘પપ્પુ’ ગણાવવા કરોડો રૂપિયાનું પ્રચારતંત્ર ગોઠવનારા સૌનાં મોઢાં હવે બંધ થઈ ગયાં છે. ‘ફેંકુ’ કે ‘પપ્પુ’ જેવા લેબલ ઊંચી માનસિકતા ધરાવતા નથી તે સ્પષ્ટ થયું છે. રાહુલ ગાંધીની પ્રતિભા અકલ્પ્ય એવી ઊંચાઈએ પહોંચી છે. તુષાર ગાંધી, અરુણા રોય, કમલ હાસન, આદિત્ય ઠાકરે, વગેરે જેવા અનેક નેતાઓ, અનેક રમતવીરો તથા ફિલ્મી કલાકારો અને પ્રશાંત ભૂષણ જેવી સામાજિક સન્માનપ્રાપ્ત વ્યક્તિઓ રાહુલ ગાંધી સાથે કદમતાલ કરી ચૂકી છે.

આ યાત્રાના ફલસ્વરૂપે વિપક્ષો એકજૂથ બનશે કે પછી કોઈક એક પક્ષ હારશે તેવું ધારી લેવું ઠીક નથી જણાતું. ભારતની ચૂંટણીઓ ઉપર પ્રભાવ પાડનારાં અનેક પરિબળો છે; પૈસાની વહેંચણી, નાત-જાતની જૂથબંધી, પ્રદેશવાદ, વગેરેના ભૂગર્ભમાં ચાલતા પ્રવાહો વધુ મજબૂત અને અસરકારક હોય છે. તેમાં અચાનક લોકો લોકશાહી, માનવતા, એકતા વગેરે જેવાં માનવમૂલ્યોને આગળ કરીને મતદાન કરશે તેમ માનવું ઉચિત નથી. ચૂંટણીઓ પાછળનું ગણિત જુદું છે – તેમાં સત્તા અને પૈસા મહત્ત્વનાં બને છે. લોકશાહી, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, માનવતા, સર્વધર્મ-સમભાવ, વગેરે જેવાં બંધારણીય મૂલ્યોનાં પાલનમા કૉંગ્રેસ મોખરે હોવા છતાં – આ મહત્ત્વનાં પરિબળોને ઉવેખીને સત્તાલક્ષિતા વ્યાપક રીતે પ્રવર્તે છે. કૉંગ્રેસમાંથી અન્ય પક્ષમાં ગતિ કરી જનારાના અને સરકારો ઊથલાવી પાડનારાના દાખલા ઓછા નથી. 

રાજકારણ પોતે જ એક કારકિર્દી અને વ્યવસાય બની રહ્યું હોય ત્યારે બંધારણીય મૂલ્યનિષ્ઠામાં ઉછાળ આવે તેવી આશા રાખી ન શકાય. છતાં ગુલામ નબી આઝાદ જેવાને – કદાચ અન્યત્ર પૂરતા લાભની આશા ન હોવાથી પાછા ફરવાનું વિચારી રહ્યા છે. સચિન પાયલટ અને શશી થરૂર થોડીક વધુ શિસ્ત ધરાવતા થયા છે; વરુણ અને મેનકા ગાંધી પોતાના હાલના પક્ષમાં મહત્ત્વ ગુમાવી રહ્યાં છે અને કદાચ હવે કૉંગ્રેસમાં જમાવટ કરવા ઇચ્છે છે. આ બધાામાં શરદ પવાર બિલકુલ સ્પષ્ટ છે. કૉંગ્રેસના નેજા હેઠળ વિપક્ષી એકતાના તે હિમાયતી રહ્યા છે. બીજી બાજુ નીતિશકુમાર કે મમતા બેનર્જી પોતે જ નેતૃત્વના દાવેદાર છે. ૨૦૨૩માં આવનારી લગભગ નવ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પછી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમાં અગાઉ નોંધાયેલાં ભૂગર્ભ પરિબળો ઢીલાં પડે તેમ માનવા માટે પૂરતાં કારણ નથી. આ સમય સુધીમાં ચીન કે પાકિસ્તાનના સીમાવિવાદો વકરે તો વળી લોકમાનસ કઈ દિશામાં કરવટ લેશે તે કળવું વધારે મુશ્કેલ બને તેમ છે.

રાહુલ ગાંધીની સિદ્ધિ ચૂંટણીઓના ગણિત કરતાં વધારે મૂળગામી છે. આ મૂળ કયાં છે ? તેમની યાત્રા કરોડો લોકોને – દેશની સીમામાં તેમ જ દેશની સીમાની બહાર, આટલી બધી કેમ સ્પર્શે છે ? આમ તો આનો ઉત્તર સરળ છે પણ સરળ ઉત્તરની મંઝિલે પહોંચવામાં અપાર આડખીલીઓ ઊભી કરાઈ છે. સૌ પ્રથમ પંડિત નહેરુના સાયન્ટિફિક થિંકીંગનો – વૈજ્ઞાનિક અભિગમનો મુદ્દો છે. આ અભિગમ વગર દેશનો ‘વિકાસ’ શક્ય જ નથી. વાસ્તવિક પરિસ્થિતિને સાવ ઊલટાવી નાંખવામાં આવી છે. કોરોનાકાળમાં વોટ્સએપ તથા અન્ય પ્લેટફોર્મ ઉપર ફરતા થયેલા અને ખુદ વડા પ્રધાનશ્રી દ્વારા પુરસ્કૃત મુદ્દાઓ યાદ કરીએ :

૧.       ‘સવારે જીભને બને તેટલી બહાર કાઢો અને ડાબી-જમણી બાજુ ફેરવો.’ આ એક હાસ્યાસ્પદ બાબત છે. તેને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી; છતાં શહેરમાં વસતાં, ઉચ્ચ વર્ગ અને વર્ણનાં લાખો લોકોએ દિવસો સુધી આ ભ્રમ પોષ્યે રાખ્યો !

૨.       તાળી, થાળી, શંખનાદ, વીજળીબંધ જેવી બાબતોને કોરોના કે તેમાં કામ કરનારા – ફ્રન્ટ લાઈન વર્કર્સ – સાથે કોઈ જ સંબંધ-સગપણના સગડ મળે તેમ નથી. છતાં શહેરોએ આ મોજ(!) માણી.

દેશના અંત:સ્તરને વહેંચી, અંધભક્ત અને નક્ષલવાદી બનાવવાની વ્યવસ્થિત પેરવીની સામે રાહુલ ગાંધીની આ યાત્રા એક પડકાર સમાન છે. તે દર્શાવે છે તેમ, સરકાર બોલે છે તેનો આંશિક પણ અમલ કરાતો નથી. દાખલા લઈએ :

૧       ૨૦૨૨ સુધીમાં ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું થશે.

૨       ૨૦૨૨ સુધીમાં બધાને માથે છત થશે.

૩       ૨૦૨૨ સુધીમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે.

૪       દર વરસે બે કરોડ નવી નોકરીઓ / રોજગાર પેદા થશે.

૫       રૂ. ૧૩,૦૦૦ કરોડ ખર્ચાયા છતાં હજુ ગંગા-સફાઈ થઈ નથી.

૬       ૨૦૧૬ની નોટબંધી વખતે કહેવાયેલી એક પણ અસર-કાળાંનાણાંની નાબૂદી, આતંકવાદ, ડુપ્લિકેટ નોટ, વગેરે પર પડી શકી નથી. પચાસ દિવસની મહોલત પૂરી થયે સાત વર્ષ વીતી ગયાં છે અને ‘ચોરાહે પર’ની સજાને કોઈ યાદ પણ કરતું નથી.

૭       જી.એસ.ટી.ના વહીવટમાં ઘોર નિષ્ફળતા સાંપડી છે.

૮       ગુજરાતમાં તો ‘સી-પ્લેન’ કે રો-રો-ફેરી સર્વિસનાં બાળ મરણ થઈ ગયાં !

૯       બેકારી અને મોંઘવારીના મેળાપીપણામાં ગરીબીની રેખા હેઠળની જનસંખ્યા એકવીસ કરોડથી ય વધુ થઈ ગઈ !

રાહુલ ગાંધીએ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં કરેલી નવેક પત્રકાર પરિષદોમાં આ મુદ્દા ઉઠાવ્યા અને દરેક પગલે લાખો લોકોએ તેમની સાથે કદમતાલ કરી આ મુદ્દા ઉઠાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.

સવાલ ચિંતન અને વિચારને વધુ ગહન અને વ્યાપક બનાવવાનો છે. લગભગ એંશી-નેવું વરસના ફાસલામાં ચાલેલી યાત્રામાં આ બે ગાંધીઓ વચ્ચે ‘સહિયારાપણું’ શું છે ? આ સહિયારાપણાને – ‘એકો સત્યમ્ વિપ્રા: બહુધા વદન્તિ’ની જેમ અનેક ખૂણેથી અને દૃષ્ટિ બિંદુઓથી વર્ણવી શકાય. વિનોબાએ લગભગ સિત્તેર વરસની અવધિ ‘દિલોં કો જોડના’ માટે આપી. મો.ક. ગાંધીએ ‘અનટુ ધીસ લાસ્ટ’ વાંચી અને ધીખતી પ્રેક્ટિસ રાતોરાત છોડી દીધી. ભારતભ્રમણમાં અપૂરતાં વસ્ત્રોવાળા નારીદેહને જોઈ પોતે ‘નંગા ફકીર’ બની રહ્યા.

આવું બધું ચમત્કારી હતું ? તેનાં મૂળ ક્યાં હશે ? મો.ક. ગાંધી અને વિનોબાના આચારમાં ધર્મ જ હતો. એ જ વેદ-ઉપનિષદ-પુરાણ-સંતોના જીવના કવન, વર્તન અને ઉપદેશ ! આદિશંકર પણ ખરા અને કબીર અને રૈદાસ પણ ખરા જ ! અમીર ખુસરો અને ગરીબ નવાઝની સાથે તુલસી અને નાનકદેવ પણ ખરા. આ દેશની ગરિમા અત્યંત લાઘવ-પૂર્ણ છે અને તેથી જ તે સર્વસમાવેશી એકતારૂપે જ પ્રગટી શકે છે. આ દેશની ગરીમા અને સર્વસમાવેશિતા, પ્રેમ અને ભાઈચારો, અહિંસા અને સત્ય-બધું જ પારસ્પરિક છે. અહીં ‘દાન’ આપવાનું હોતું નથી; સામેવાળાને તેનો ‘ભાગ’ આપવાનો હોય છે. વિનોબાની ભૂદાનયાત્રામાં લગભગ સુડતાળીસ લાખ એકર જમીન ‘દાન’માં મળી અને વિનોબા કહેતા – દાનં સંવિભાગઃ. રાહુલ ગાંધીની યાત્રામાં પણ આ જ વૈચારિક ઘટક તત્ત્વો પ્રગટતાં થયાં છે. રાહુલ ગાંધી કહે છે : આ યાત્રા તો એક નદી છે ! (ક્યાંક સાગરપુત્રોને સજીવન કરનારી ભાગીરથી તો તેમના જહનમાં પ્રગટ્યાં નહીં હોય ! આમે ય તે કન્યાકુમારીથી કાશ્મીર – ‘આસેતુ હિમાલય !’ની આ દોઢસો દિવસની યાત્રા ‘ભગીરથ કાર્ય’ તો છે જ !) રાહુલ ગાંધીની આ યાત્રાનાં સામાજિક પરિણામો આગળ રાજકીય ઉદ્દેશો વામણા સાબિત થઈ ગયા છે. અને આર્થિક મોરચે તો ‘રેવડી વહેંચવાની બાબત’ની જ રેવડી દાણાદાણ થઈ રહી છે.

ભારત જોડો યાત્રાનો ઊઘડીને આવતો મુદ્દો નફરતના બજારમાં પ્રેમની હાટડી ખોલવાનો છે. રાહુલ ગાંધીની તા. ૩ જાન્યુઆરી ૨૦૨૩ સુધીની નવ પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો મુખર બનતો આવ્યો છે. પરંતુ એકંદર ભારતીયની નજરે જે નથી ચડ્યો તે મુદ્દો ભારતને વિશ્વ સંગાથે જોડવાનો છે. નર્યા કપટ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટૂંકા પરિપ્રેક્ષ્યમાં સરતી જતી નીતિઓની સામે એક નવા જ ભારતનો ઉદય વિશ્વકક્ષાએ પણ થઈ રહ્યો છે. ભારત આઝાદ થયું ત્યારે પશ્ચિમી જગત સામે રોષ અને સામ્યવાદી જગત સાથેની સંલગ્નતા વધારી શક્યું હોત. પણ પંડિત નહેરુની દૂરદર્શી અને મૂલ્યનિષ્ઠ વિદેશ નીતિના કારણે બિન-જોડાણ અને કોમનવેલ્થના ખ્યાલો વિકસ્યા. આ જ પરિપાટી પુન:ર્જીવિત થતી જાય છે.

તો આ દોઢસો દિવસ અને સાડા ત્રણ હજાર કિલોમી.નીટર પેન્ટ-ટી-શર્ટની યાત્રાની ફલશ્રુતિ કઈ ?

૧       ૧૯૩૦ (દાંડીકૂચ), ૧૯૪૨ (ભારત છોડો) અને ૧૯૫૭ (ભૂદાન) જેવી ક્રાંતિઓની હરોળમાં આ યાત્રા પણ સ્મૃતિપટમાં અંકાઈ જશે.

૨       આ યાત્રા ધર્મના મર્મને પણ સજીવન કરે છે. ધર્મ એટલે માત્ર બાહ્ય ઉપચાર પદ્ધતિ નથી; તેનાં મૂળ સમગ્ર સૃષ્ટિ તરફના પ્રેમ અને આત્મીયતાના ભાવમાં વસે છે તે સ્પષ્ટ થાય છે. જે ઇન્કિલાબી માહોલમાં અહિંસક ક્રાંતિ દ્વારા આઝાદી મળી અને સમગ્ર જગતના તમામ ધર્મોના અનુયાયીઓએ સમાનતાના ધોરણે આ દેશમાં સાથે પાંગરવા માંડ્યું છે તે પણ ઇતિહાસની એક અમૂલ્ય વિરાસત છે. ૧૯૩૩થી ધર્માંધતાના મુદ્દે શરૂ થયેલી નાઝી-ફાસી વિચારધારાઓની સામે ભારતે એક નવી જ શરૂઆત કરી. બુદ્ધે કહ્યું હતું – વેરથી વેર શમતું નથી. ક્રાઇસ્ટની જેમ ગાંધીજી પણ કહેતા – આંખની સામે આંખ કાઢી લેવાથી જગત આંધળું બની જશે !

૩       આજે સત્તા-પૈસા અને કાવાદાવામાં સમાઈ જતી રાજનીતિઓને કદાચ પચાસ વરસ સુધી જગતે વેઠવી પણ પડે; પણ પછી શું ? નાદીર શાહ કે ચંગીસખાન, તૈમુર કે ઝાર, હિટલર કે મુસોલિની કોઈના ય માટે પ્રેરક કે પ્રીતિપ્રાપ્ત ખરા ? વિશ્વની લહેરાતી મોલો ઉપર કાંઈ કેટલાં ય વાવાઝોડાં ત્રાટક્યાં પણ લોકો ગુરુ નાનકદેવ, ગરીબ નવાઝ કે તુલસી-કબીર-મીરાંને યાદ કરે છે, તેનો કરોડમો ભાગ પણ પેલા ત્રાસદાયકો માટે યાદ કરતા નથી.

ખરેખર તો રાહુલ ગાંધીની પદયાત્રા કયા અને કેવા સંજોગોમાં નીકળી તે યાદ કરાશે. હાલની વ્યવસ્થા (કે અવ્યવસ્થા ?) એક પશ્ચાદ્ભૂમિ બની રહેશે. મંદિરમાં ઈશ્વરનાં સ્વરૂપોની પાછળની પિછવાઈ કોઈક ઘાટા રંગની હોય છે. આ પિછવાઈ જેટલી અંધકારમય હોય તેટલું ઈશ્વરનું સ્વરૂપ વધુ નિખરતું હોય છે. બેકારી, ભૂખમરો, ગરીબી, મોંઘવારી, બીમારી, જોહુકમી, અસત્યભર્યા પ્રયાસ, ખોટાં વચનોની ભરમાર, વગેરે તમામે તમામ આ પિછવાઈ રૂપે છે.

૪       રાહુલ ગાંધીને મળતું કરોડો લોકોનું જનસમર્થન પણ સમજવા જેવું છે. આ સમર્થનમાં માત્ર ‘ભીડ’ નથી; તે કોઈ ‘ચહેરા વગરનું ટોળું’ નથી. તેમાં યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, બુરખાધારી અને બુરખા વગરની – બાળકીઓથી માંડી વૃદ્ધાઓનો હુજુમ હોય છે. તેમાં ભગવાધારી અને સ્કૂલ-કેપધારી પણ સાથે સાથે ચાલે છે. કહ્યું છે ને – ‘સપ્ત પવ મૈત્રમ’ સાત પગલાં સાથે ચાલીએ તો મિત્ર બની જવાય.

૫       આ યાત્રામાં રાહુલ ગાંધી પોતે પણ વિકસ્યા છે. આ વિકાસને શાસ્ત્રોનો આધાર છે, કહ્યું છે – ચરૈવેતિ ચરૈવેતિ. માત્ર શરીરથી જ નહીં; મન, ચૈતન્ય, સમાજ વિકાસ બધું જ ગતિમય બને ત્યારે તેજસ્વી પણ બને છે. રાહુલ ગાંધીને ‘પપ્પુ’ સાબિત કરવા ખર્ચાયેલા હજારો કરોડ પાણીમાં ગયા. હજુ લોકહૃદયમાં કોઈને ઉતારી પાડવાનો ભાવ નથી. તેથી ‘ફેંકુ’ બહુ પ્રચલિત બન્યું નથી.

આ સમગ્ર યાત્રાની ફલશ્રુતિઓ અનેકવિધ સ્વરૂપે નિખરતી જશે. રાજકારણ, વિપક્ષોનું જોડાણ (કે સત્તાનો ફેરબદલો બને તો પણ) આ યાત્રાએ ઘૂંટી આપેલો સંજીવની મંત્ર દૂર દૂર સુધી ગુંજ્યા જ કરશે. રાહુલ ગાંધીની જે છબી નિખરી ઊઠી છે તેનાં ત્રણેય પાસાં આવનારા ભારત માટે આશા જન્માવે છે. આ ત્રણ પાસાં કયાં ?

૧       રાહુલ બુદ્ધિથી વિચારનારા-બૌદ્ધિક-સેરેબલ માણસ છે.

૨       તેમની પાસે દેશ અને દુનિયાના પ્રવાહોનું આકલન કરીને યોગ્ય નિર્ણય કરવાની તરોતાજા શક્તિ છે.

૩       તેમની પાસે માનવતાથી સભર દિલ છે અને સત્તા કે ધન-લાલસા કે મોજશોખમાં તે ફસાયા નથી. દિલ્હીમાં પાંચ ડિગ્રી તાપમાન હોવા છતાં સાદા ટી-શર્ટમાં વહેલી સવારે ચાલીને તે ‘સદૈવ અટલ’ પહોંચી શકે છે. આખી યાત્રા માત્ર ચાર જોડી કપડાંમાં પૂરી કરવાના છે. આની સામે કલાકે-કલાકે વસ્ત્રો બદલનારાનો અહંકાર આપોઆપ ધૂળમાં મળી જાય છે.

e.mail : shuklaswayam345@gmail.com 
પ્રગટ : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2023

Loading

વસંત ક્યાં છે?

મેહુલ મંગુબહેન|Poetry|25 January 2023

પીંછાંઓ તરફડી રહ્યાં છે અધમૂવા થઈ 

કપાઈ રહી છે એક પછી એક પાંખ 

ચીસને ટહુકો ગણવાનો રિવાજ થયો છે શરૂ 

બુલેટ ટ્રેનની હડફેટે આવી ગયું છે બાજ પણ

આભ તરફ આંગળી ચીંધીને કહેવાઈ રહ્યું 

કે મૂળ જમીનમાં નહીં આભમાં છે આ સંસ્કૃતિવૃક્ષના 

દવાની જૂની શીશીમાં કેરોસીન ભેળવી સાચવી રાખેલા તડકાની હવે ખેર નથી 

માર્ચ માથે ઊભો છે ને સૂરજ બસ બરફ ઓકવામાં જ છે

વાયરો કોઈ વાઇરસ જેમ ઘમરોળી રહ્યો છે નજરે ચડે તે બધું જ

હું તો રાહ જોતો’તો વસંતની 

કોઈ કહે છે આવીને જતી ય રહી

કોઈ કહે છે આવી જ નથી 

કોઈ વળી કહે છે આ જ છે વસંત 

હું પ્રિયતમાનાં સ્પર્શ જેમ ઓળખું છું એને 

આ બીજું જે કંઈ પણ હોય, વસંત તો નથી જ નથી 

તો કહી દોને પ્લીઝ વસંત ક્યાં છે?

એ અહીં નથી તો ક્યાં છે?

વસંત વિશે પૂછવું ગુનો તો નથી જ 

બાઘાની જેમ જોયા શું કરો છો 

સંભળાતું ન હોય તો એકાદ ફૂલનો સંકેત તો આપો

વસંત ક્યાં છે?

અરે કોઈ તો બોલો 

વસંત વિશે બોલવું ગુનો તો નથી જ 

કોઈ તો બોલો

આખર વસંત છે ક્યાં મારી?

૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬; અમદાવાદ

Loading

ચીન : સમૃદ્ધ બને તે પહેલાં વૃદ્ધ થઇ જશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 January 2023

રાજ ગોસ્વામી

જે સમાચાર ઘણાં વર્ષોથી ‘આવું આવું’ કરતા હતા તે ઓલરેડી આવી ગયા છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ(ડબલ્યુ.પી.આર.)નો આધાર લઈને, રોઈટર સમાચાર સંસ્થાએ સંભાવના વ્યક્ત કરી છે કે એવું શક્ય છે કે જનસંખ્યાની બાબતમાં ભારત ચીનને પાછળ છોડીને ક્યારનું ય આગળ નીકળી ગયું છે. આ સંગઠન અનુસાર, 2022ના અંતે ભારતની જનસંખ્યા 138 કરોડ હતી. 17મી જાન્યુઆરીએ ચીને તેની જનસંખ્યાના જાહેર કરેલા આંકડા (141.20 કરોડ) અનુસાર જોઈએ તો ભારત અને તેની વચ્ચે બહુ અંતર રહ્યું નથી.

એમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે અનુમાન જ કર્યું હતું કે એપ્રિલ 2023માં ભારતની જનસંખ્યા ચીન કરતાં વધી જશે, પરંતુ ડબલ્યુ.પી.આર.ની ગણતરી પ્રમાણે ભારતે આ માઈલસ્ટોન જાન્યુઆરીમાં જ પાર કરી દીધો છે. મેક્રોટ્રેન્ડઝ નામના એક રિસર્ચ પ્લેટફોર્મ તરફથી જારી રિપોર્ટ પ્રમાણે ભારતની જનસંખ્યા 1.428 બિલિયન થઇ ચૂકી છે. ભારત દરેક દાયકામાં તેની જનસંખ્યાના આંકડા જાહેર કરે છે પરંતુ કોવિડની મહામારીને લઈને 2021માં તેને ટાળી દેવામાં આવ્યા હતા.

ડબલ્યુ.પી.આર.નો રિપોર્ટ કહે છે કે ભારતમાં જનસંખ્યાનો વિકાસ ઓછો થયો છે પણ તેની ગતિ 2050 સુધી જારી રહેશે. બીજી તરફ, ચીનની જનસંખ્યા ઓછી થઇ રહી છે. 2022ની સરખામણીમાં ચીનની જનસંખ્યા 2022માં 8.5 લાખ ઓછી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આકલન મુજબ 2022 અને 2050 વચ્ચે વિશ્વની જનસંખ્યામાં જેટલો વધારો થવાનું અનુમાન છે, તેની અડધાથી વધુ જનસંખ્યા માત્ર 8 દેશોમાં નોંધાશે; ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ગ્રીસ, ઇથોપિયા, કોંગો, નાઇજીરિયા અને ટૅન્ઝાનિયા.

ચીનમાં જનસંખ્યા ઘટવા પાછળ ઘટતો જન્મદર છે. ચીનમાં હવે એવી સ્થિતિ છે કે જેટલાં બાળકો જન્મ લે છે તેનાથી વધુ લોકોનાં મુત્યુ થાય છે. ચીન સરકારે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં દેશમાં 95.6 લાખ બાળકોએ જન્મ લીધો હતો, જયારે 104.1 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 1966માં, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ-ત્સે—તુંગે, ચીની કોમ્યુનિઝમનું શુદ્ધિકરણ કરવા અને સ્વદેશી વિચારધારા (જેને ચીનની બહાર માઓવાદ કહે છે) લાગુ કરવા માટે એક ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. દસ વર્ષ પછી, 1976માં માઓના અવસાન સાથે એ ક્રાંતિ નિષ્ફળ સાબિત થઇ હતી. જો કે તે દરમિયાન ચીનની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું ભયાનક નુકસાન થયું હતું. 

ચીનના વિકાસની ગાડી પૂરપાટ દોડી જ માઓના અવસાન પછી. સાંસ્કૃતિક ક્રાંતિનું મૂળ માઓની ગ્રેટ લીપ ફોરવર્ડ ચળવળમાં છે. આપણે ત્યાં જેમ પંચ વર્ષીય યોજના હતી, તેવી રીતે માઓએ 1958થી 1962 વચ્ચે આર્થિક અને સામાજિક સુધારની ચળવળ શરૂ કરી હતી. અમુક લીડરો બહુ મોટી મોટી યોજનાઓ ઘડતા હોય છે અને પછી વગર વિચારે તેનો અમલ કરતા હોય છે. ગ્રેટ લીપ ફોરવર્ડ યોજના એવી જ હતી. એમાં દેશમાંથી પરંપરાગત કૃષિ અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી દઈને તેના સ્થાને કોમ્યુનિસ્ટ વિચારધારા અનુસાર સહકારી કૃષિ અને ઔદ્યોગિક વ્યવસ્થા લાવવાનો ઈરાદો હતો.

તેમાં કૃષિ ક્ષેત્રે ભયંકર પાયમાલી થઇ હતી અને તેમાં જન્મ કરતાં મૃત્યુની સંખ્યા વધી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે 1960 અને 1961 વચ્ચે 7 લાખ લોકો માર્યા ગયા હતા. જો કે ત્યારે જન્મદર ઘટ્યો નહોતો અને એ ચિંતાનો વિષય હતો. એટલા માટે જ ત્યાં જન્મસંખ્યાને કાબૂમાં લાવવા માટે અનેક પ્રયાસો થયા હતા. એમાંનો એક પ્રયાસ હતો ‘વન ચાઈલ્ડ પોલિસી.’ 1980ના આ કાનૂન મુજબ પતિ-પત્ની એક જ બાળકને જન્મ આપી શકતાં હતાં અને તેમને જ સરકારી નોકરીઓ મળતી હતી. 

જાણકાર લોકો કહે છે કે આ નીતિના કારણે નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે; એક તો જન્મદર ઓછો છે અને બીજું ઉંમરવાળી આબાદી વધતી જાય છે. ચીને પાછલાં અમુક વર્ષોમાં બાળકોનો જન્મદર વધે તે માટે ઘણી યોજનાઓ જાહેર કરી હતી. 2016માં ચીને ‘વન ચાઈલ્ડ પોલિસી’માં સુધારો કરીને બે બાળકો અને 2021માં ત્રણ બાળકોની છૂટ આપી હતી.

ઘટતો જન્મદર લેબર માર્કેટમાં આ ચિંતાનું કારણ છે? નવા આંકડા જાહેર કરતી વખતે નેશનલ પીપલ્સ કઁગ્રેસની કૃષિ અને ગ્રામ્ય બાબતોની કમિટીના વાઈસ-ચેરમેન કાઈ ફેંગે કહ્યું હતું કે ચીનમાં હજુ પણ માંગના પુરવઠા સામે લેબર સપ્લાયનો પુરવઠો ઘણો વધુ છે એટલે લોકોએ જનસંખ્યામાં કમી આવી છે તેની ચિંતા કરવા જેવી નથી.

ચીન સુપરપાવર બનવા તરફ ગતિ કરી રહ્યું છે તેને લઈને ભારત સહિતની પશ્ચિમની હરીફ અર્થવ્યવસ્થાઓ માટે કાયમ ચિંતા રહી છે પરંતુ ચીનની તાકાતમાં વિશ્વાસ ધરાવતા નિષ્ણાતો પણ એ મતના હતા કે ચીનનો અનુમાનિત વિકાસ છેવટે એક સ્તર પર આવીને ધીમો થઇ જશે. એ સ્તર ધાર્યા કરતાં વહેલું આવ્યું હોવાનો મત હવે મજબૂત થઇ રહ્યો છે.

તેનો સંકેત તેની જનસંખ્યાના અને તેની અર્થવ્યવસ્થા ગયા વર્ષે 3 ટકાના દરે જ વધી હોવાના તાજા ડેટામાંથી મળ્યો છે. સરકારનું અનુમાન એવું હતું કે અર્થવ્યવસ્થા 5.5 ટકાના દરે વધશે. અર્થવ્યવસ્થાની ધીમી ગતિ ચીનની ઝીરો-કોવિડ પોલિસીના કારણે છે. ચીને કોવિડના કેસ શૂન્ય પર લાવવા માટે આક્રમક નીતિ અપનાવી હતી પરંતુ લોકો વારંવારનાં લોકડાઉન્સથી ત્રાસી જતાં હજુ ગયા મહિને જ એ પોલિસીમાંથી પારોઠાનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. 

જનસંખ્યા દરમાં ઘટાડો તેના માટે મુસીબત બની શકે છે. જાણકાર લોકો કહે છે કે આ નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથમાં કદાચ ક્યારે ય સુધારો નહીં થાય. 1980 અને 2015 વચ્ચે ચીનમાં કામ કરતી વસ્તી (વર્કિંગ-એજ પોપ્યુલેશન) 59.4 કરોડથી વધીને એક અબજની થઇ હતી. 1980માં, ચીનમાં કામ કરતી વસ્તીની અપેક્ષાએ યુવા અને ઉંમરવાન વસ્તી 68 ટકા હતી, જે 2015માં ઘટીને 38 થઇ હતી. એનો અર્થ એ થયો કે કામ ન કરતી દરેક વ્યક્તિની સામે કામ કરતી વ્યક્તિની સંખ્યા વધુ હતી.

નિષ્ણાતો કહે કે આ ટ્રેન્ડ હવે રિવર્સ થશે. હવે યુવાન વસ્તી ઘટશે અને ઉંમરવાન વસ્તી વધશે. કામ કરવા જોગ યુવા વસ્તી વધુ હોય અને તેના પર નાની તેમ જ ઉંમરવાન વસ્તીની દરકાર કરવાનું દબાણ ન હોય તેવી પરિસ્થિતિ જ ચીનની હરણ ઝડપે આર્થિક વિકાસ માટે કારણભૂત હતી. પાછલા એક દાયકામાં હજારોની સંખ્યામાં ચાઇનીઝ લોકો નિવૃત્ત થયા છે અને તેની જગ્યાએ આવતા યુવાનોની સંખ્યા ઓછી થઇ છે.

ચીન વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તે સાચું, પરંતુ પ્રતિવ્યક્તિ (પર કેપિટા)ની દૃષ્ટિએ તે હજુ ય માધ્યમ-આવકવાળો દેશ છે. અમેરિકા છોડો, તેને યુ.કે.ની જેમ પ્રતિવ્યક્તિ ઉચ્ચ-આવકવાળી અર્થવ્યવસ્થા બનવું હોય તો તોતિંગ આર્થિક વિકાસ કરવો પડશે. વિકાસનું તેનું આ ગાડું ઉંમરવાન વસ્તીની વધતી સંખ્યામાં આવીને ફસાઈ જવાનું છે. ચીન સમૃદ્ધ બંને તે પહેલાં વૃદ્ધ થઇ જવાનું છે.

એ જો ઝડપથી વિકાસ નહીં કરે તો તેનો ભાર ઘરડાંની કમરે આવવાનો છે. 2013ના એક અભ્યાસ અનુસાર, ચીનના એક ચતુર્થાંશ જેટલાં વૃદ્ધ લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને ચીનમાં- જાપાન અને સાઉથ કોરિયા જેવા અન્ય ધનિક ઇસ્ટ એશિયન દેશોની માફક – સિનિયર સિટીઝન્સને ટેકો મળી રહે તેવી કોઈ ખાસ વ્યવસ્થા નથી. તેમની સંભાળ રાખવા વાળાં બાળકો હોય ત્યાં સુધી ઘરડી વસ્તીની કોઈ સમસ્યા નથી, પરંતુ વન ચાઈલ્ડ પોલિસીના પરિણામે આજે ત્યાં વસ્તીનો ઊંધો પિરામીડ સરજાયો છે; 4-2-1. ચાર દાદા-દાદી અને બે પેરેન્ટ્સ એક બાળકના આશ્રયે જીવે છે.

વૃદ્ધોની સંખ્યા વધે, તેમને સરકારી યોજનાઓનો કોઈ ટેકો ન હોય અને બાળકો તેમની સંભાળ રાખવામાં ઘસાઈ જાય તેનું સરવાળે પરિણામ દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા અને ખાસ તો ચીનનો મુકાબલો કરવા માટે ભારત માટે અહીં પાઠ ભણવા જેવું છે. એક તો તેણે જન્મદર નિયંત્રિત કરવા માટે ચીન જેવા કોઈ કાયદા લાવવા ન જોઈએ જે ઊલટા પડે અને બીજું, ભારતમાં સિનિયર સિટીઝન્સ(ચીનની જેમ, અમુક રાજ્યોમાં તેની સંખ્યા યુવાનો કરતાં વધુ છે)ની આબાદીનો ભાર પરિવારો પર ઓછો પડે તે માટે સરકારે વિશેષ યોજનાઓ વિચારવી જોઈએ.

ત્રીજું, ભારતે તેનાં તમામ રાજ્યોની આર્થિક પ્રગતિ પર ભાર આપવો જોઈએ. અત્યારે પ્રગતિનું ગાડું અસામાન ચાલી રહ્યું છે. અમુક રાજ્યોની પ્રગતિ સારી છે અને અમુકની ડામાડોળ છે. સર્વગ્રાહી પ્રગતિ માટે ભારતે તેની સામાજિક સમસ્યાઓ અને વિરોધાભાસોને મિટાવી દેવા જોઈએ. વધુ મહિલાઓ રોજગારીમાં જોડાય તેવી પ્રેરણા મળવી જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે તકો વધવી જોઈએ. આરોગ્ય વ્યવસ્થા ચુસ્ત થવી જોઈએ અને શિક્ષાનું સ્તર સુધારવું જોઈએ.

લાસ્ટ લાઈન:

“ગરીબી એટલે માત્ર પૈસાનો અભાવ નહીં; માણસ તરીકેની તેની પૂરી સંભાવનાને સાકાર કરવાની ક્ષમતા ન હોય તે પણ ગરીબી જ કહેવાય.”

— અમર્ત્ય સેન, અર્થશાસ્ત્રી 

પ્રગટ : ‘ક્રોસલાઈન’ “ગુજરાતી મિડ-ડે”; 22 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2191,2201,2211,222...1,2301,2401,250...

Search by

Opinion

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved