Opinion Magazine
Number of visits: 9567284
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે વર્ષ આયુષ્ય વધ્યું ! …. ચાલો થોડું વધું જીવી લઈએ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 February 2023

ચંદુ મહેરિયા

જન્મ દિનની મુબારકબાદી પાઠવતા આપણે ‘શતમ્‌ જીવેમ શરદ:’ કહીએ છીએ. માનવીનું આયુષ્ય સો વરસનું મનાય છે. પરંતુ સો વરસ જીવનારા બહુ ઓછા લોકો હોય છે. દર દસ લાખે જપાનમાં ૪૮૦, ઈટલીમાં ૩૧૫, ચીનમાં ૩૬, અમેરિકામાં ૨૨ અને ભારતમાં ૨૧ લોકો જ સો વરસ જીવે છે. એટલે જન્મ દિને સો શરદ જીવવાની શુભેચ્છા કે આશીર્વાદ આપવામાં આવે છે. દુનિયામાં સૌથી લાંબુ, ૮૫ વરસનું, આયુષ્ય જપાનના લોકોનું છે. જે તે દેશ, સમાજ કે સમૂહમાં વ્યક્તિના જન્મ અને મૃત્યુ દરના આધારે આયુષ્યની આંકણી થાય છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની આ પ્રકારની ગણનાના આધારે ૨૦૨૨ના મધ્યમાં જાહેર થયેલા ૨૦૧૫-૧૯ના આંકડા મુજબ હવે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસનું થયું છે. ૨૦૦૯-૧૩માં તે ૬૭.૫ વરસ હતું. એટલે એક દાયકામાં આપણી આવરદા બે વરસ વધી છે.

આઝાદી સમયે ૧૯૫૦-૫૧માં ભારતના લોકોનું આયુષ્ય ૩૨.૧ વરસ હતું. સિત્તેર વરસમાં તે બમણા કરતાં વધુ વધીને ૬૯.૭ વરસ થયું તે મોટી સિદ્ધિ છે. ૧૯૫૦-૫૧માં ૩૨.૧, ૧૯૬૦-૬૧માં ૪૧.૩, ૧૯૭૦-૭૫માં ૪૯.૭, ૧૯૮૬-૯૦માં ૫૭.૭, ૧૯૯૫-૯૯માં ૬૧.૫, ૨૦૦૯-૧૩માં ૬૭.૫ અને ૨૦૧૫-૧૯માં ૬૯.૭ વરસનું આયુષ્ય અંદાજવામાં આવ્યું છે. આ આંકડાઓ પરથી જોઈ શકાય છે કે આઝાદી પછીના તરતના દસકોનો લગભગ દસ વરસનો આયુ વધારો ક્રમશ: ઘટતો રહ્યો છે અને છેલ્લા દાયકામાં તો માત્ર બે જ વરસની વૃદ્ધિ થઈ છે !

જ્યારે વૈશ્વિક આયુષ્ય ૭૨.૬ વરસનું છે ત્યારે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસ છે. એશિયા ખંડના અન્ય દેશોમાં જપાનમાં ૮૫, ચીનમાં ૭૬.૯, શ્રીલંકામાં ૭૪, બાંગ્લાદેશમાં ૭૨.૧ અને નેપાળમાં ૭૦.૫ વરસનું આયુષ્ય છે. વૈશ્વિક આવરદા કરતાં ભારતીયોની આવરદા ૨.૯ વરસ ઓછી છે. એટલું જ નહીં એશિયા ખંડના ગરીબ ગણાતા શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ઓછી છે. આ હકીકત વિશ્વગુરુ કે મહાસત્તા બનવા માંગતા ભારત માટે આઘાતજનક નથી શું ? આયુષ્યની બાબતમાં વૈશ્વિક સરેરાશે પહોંચતા હજુ ભારતને વીસેક વરસ લાગશે તેવા અંદાજ પછી તો દેશની વૈશ્વિક સ્તરે ઉભરતી શક્તિની જે છાપ ઊભી થઈ છે તે આભાસી છે કે વાસ્તવિક તેવો સવાલ ઊઠે છે.

ભારતીયોની જે રાષ્ટ્રીય આવરદા આશરે સિત્તેર વરસની અંદાજવામાં આવી છે તેમાં રાજ્ય, શહેરી અને ગ્રામીણ વસ્તી તથા પુરુષ અને મહિલાની દૃષ્ટિએ અંતર જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા પાંચ રાજ્યોમાં દિલ્હી, કેરળ, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ છે. સૌથી ઓછું આયુષ્ય ધરાવતા રાજ્યો છતીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અસમ અને રાજસ્થાન છે. સૌથી વધુ આયુષ્ય દિલ્હીના લોકોનું ૭૫.૯ (વૈશ્વિક સરેરાશથી પણ વધુ) વરસ છે. જ્યારે સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢનું ૬૫.૩ વરસ છે. બંને વચ્ચે દસ વરસ કરતાં વધુનો તફાવત છે.

સામાન્ય રીતે ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનું આયુષ્ય વધુ જોવા મળે છે. ભારતના લોકોનું જે ૬૯.૭ વરસનું આયુષ્ય છે તેમાં પુરુષોનું ૬૮.૪ અને મહિલાઓનું ૭૧.૧ વરસ છે. દિલ્હીમાં મહિલાનું આયુષ્ય ૭૭.૫ અને પુરુષોનું ૭૪.૩ છે. એટલે દેશમાં અને દેશના સૌથી વધુ આવરદા ધરાવતા રાજ્ય દિલ્હીમાં મહિલાઓ વધુ જીવે છે. પરંતુ સૌથી ઓછી આયુ ધરાવતા છતીસગઢમાં મહિલાઓ (૬૩.૭ વરસ) કરતાં પુરુષો (૬૫.૩ વરસ) વધુ જીવે છે. બિહાર અને ઝારખંડની મહિલાઓ પણ ઓછું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના કુલ ૭૦.૨ વરસના આયુષ્યમાં મહિલાઓનું ૭૨.૮ અને પુરુષોનું ૬૭.૯ વરસનું છે.

શહેરી ભારતના ૭૩ વરસના આયુષ્યની સરખામણીએ ગ્રામીણ ભારતનું આયુષ્ય ઓછું એટલે કે ૬૮.૩ વરસ છે. દુનિયા અને ભારતનું સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેર રાજધાની દિલ્હી છે. પરંતુ દિલ્હી રાજ્યના લોકોનું આયુષ્ય દેશમાં સૌથી વધુ છે ! એ જ રીતે શુદ્ધ  હવા-પાણી મેળવતા ગામડાંના લોકો કરતાં અશુદ્ધ હવા-પાણીમાં જીવતાં શહેરોના લોકો વધુ જીવતા હોય તે સહેલાઈથી ના ઉકેલી શકાય તેવો કોયડો છે.

ભારતીયોના અલ્પાયુ-દીર્ઘાયુનો આધાર આર્થિક-સામાજિક સ્થિતિ, શિશુ મૃત્યુ દર, કુપોષણ, પ્રસૂતા માતા મૃત્યુ, આરોગ્યની સ્થિતિ અને તબીબી સવલતો સુધીની પહોંચ, પર્યાવરણ, વધુ વસ્તીનું દબાણ, સરકારી નીતિઓ ખાસ કરીને રાજ્યનું આરોગ્ય ખર્ચ તથા જીવનની ગુણવત્તાનો દર કે જીવન જીવવાની સ્થિતિ પર રહેલો છે. ભારતીયોના આયુષ્યમાં નિ:શંક અસામાન્ય વધારો થયો છે પરંતુ તે પર્યાપ્ત નથી.

જન્મ સમયની અને એકથી પાંચ વરસની ઉંમર પછીની આવરદામાં પણ તફાવત જોવા મળે છે. જન્મ સમયની ૬૯.૭ વરસની આવરદા જો બાળકનું ૧થી ૫ વરસમાં મરણ ના થાય તો ૭૧.૩ વરસની થઈ શકે છે. તે પ્રમાણે ૬૦ વરસ પાર કરી ગયેલા લોકો વધુ ૧૮.૩ અને ૭૦ વરસ પછી વધુ ૧૧.૮ વરસ જીવી શકે છે.

વલ્ડ પોપ્યુલેશન રિવ્યુ મુજબ ૧૯૫ દેશોના શિશુ મૃત્યુ દરમાં ભારત ૧૩૮મા ક્રમે છે. ૧૯૭૦માં ભારતમાં દર એક હજારે ૧૩૨ બાળકોના મોત થતા હતા. ૨૦૨૦માં તે ઘટીને ૩૨ અને  ૨૦૨૨માં ૨૭.૮ થયા છે. આવરદાની વૃદ્ધિમાં શિશુ મૃત્યુ દર બાધક છે. જેટલા બાળ મરણ વધારે એટલી આવરદા ટૂંકી. ૧૯૯૦માં દર દસ હજારે ૫૫૬ પ્રસૂતાઓના મોત થતાં હતા. ૨૦૧૮માં તે ઘટીને ૧૧૩ થયાં છે. પરંતુ તે લાંબી આવરદા માટે પર્યાપ્ત નથી. પુરુષો કરતાં મહિલાઓને તબીબી સવલતો ઓછી મળે છે, ઘરનું વૈતરું તેના શિરે જ હોય છે અને ખાવાનું પણ પૂરતું મળતું નથી. છતાં તેની જીવટ તેને લાંબુ જીવાડે છે.

વધુ આયુષ્ય ધરાવતા દેશો અને રાજ્યોમાં આરોગ્ય પાછળ થતો ખર્ચ પણ કારણભૂત છે. દિલ્હીના મહોલ્લા ક્લિનિક, કેરળમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યેની લોક જાગ્રતિ તથા જીવનશૈલીને કારણે આ રાજ્યોના લોકો લાંબુ જીવે છે. અમેરિકા જી.ડી.પી.ના ૧૭.૯ ટકા, ફ્રાન્સ ૧૧.૬ ટકા, જપાન ૯.૩ ટકા, ચીન ૫ ટકા અને ભારત ૩.૯ ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે. જપાનના લોકોના દીર્ધાયુનું કારણ કદાચ જેનેટિક કે નૃવંશીય છે. પરંતુ દુનિયાના વિકસિત દેશોમાં અમેરિકા જ એક માત્ર એવો દેશ છે જેના નાગરિકોનું આયુષ્ય લાંબુ નથી. મરણની જેમ જીવનની રેખા પણ કદાચ રહસ્યમય છે. એટલે ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના જીવનરેખા બે વરસ લંબાઈ છે તો, ચાલો, મોજથી જીવી લઈએ.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

એકલતા – ગઝલાવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|1 February 2023

કોરી નાંખે તેવી એકલતા

લતા હીરાણી લેખિત આ ત્રણ રચનાઓ આસ્વાદો …..

અંતરલક્ષી સહુ જણનો આ પોતીકો અનુભવ. વતનથી દૂર વસેલું આ જણ જેવું કોઈ હોય કે, લતાબહેનની જેમ આત્મીય જીવનસાથી ગુમાવ્યું હોય, કે
અન્ય કારણો સર એકલતા અનુભવતા હોય તેવા સૌની આ એકસરખી વેદના.

લતાબહેનના અછાંદસ કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વાંચવાની શરૂઆત કર્યા બાદ, એકલતાની વ્યથાને પડઘાવતી આ ત્રણ રચનાઓ ગમી ગઈ.

ઉપર દર્શાવેલ કારણોમાંનું કોઈ કારણ હોય અને એકલતા સહેવી પડતી હોય, તો તો તે સમજી શકાય તેવી વાત છે. પણ ……

સાંપ્રત સમાજમાં, હકડેઠઠ ભીડની વચ્ચે, જોર શોરથી ગર્જતા સોશિયલ મીડિયાની ભીંસની મધ્યમાં પણ માણસ એકલો પડી ગયો છે; ખોવાઈ ગયો છે – એનું શું? આધુનિક સમાજની આ બહુ શોચનીય કરુણતા છે. માહિતી અને મનોરંજનની ફેંકાફેકમાં એકમેક સાથેની આત્મીયતાની હૂંફ કેમ ગઈકાલની જણસ બની ગઈ છે?

‘કોણ બોલે ને કોણ સાંભળે?’ – એ જૂના ગઝલાવલોકનની યાદ આવી ગઈ.

એને માટે આપણી એકલતામાં ઝળઝળિયાં ખેરવીને વીરમીશું?

કે પછી…..

બીજા કોઈ વિકલ્પની શોધ કરીશુ?

e.mail : surpad2017@gmail.com
https://gadyasoor.wordpress.com/2023/01/31/loneliness-4/

Loading

સુખ સામે અને આનંદ ભીતર રહે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 February 2023

રવીન્દ્ર પારેખ

‘તારે, યાર, સારું છે’, ‘તને તો કોઈ પૂછનાર જ નથી, જ્યારે મારે તો ડગલે ને પગલે હિસાબ આપવાનો’, મને એ નથી સમજાતું કે આટલા પગારમાં તું મેનેજ કઇ રીતે કરે છે? મારે તો લાખ રૂપિયા પગાર છે ને અમે બંને કમાઈએ છીએ, તો ય પૂરું પડતું નથી’, જેવી વાતો આપણે કાને અથડાતી રહે છે ને આપણને એમ લાગે છે કે આપણી ફ્રેન્ડ કે આપણો ફ્રેન્ડ સુખી છે ને આપણા જેવું દુ:ખી જગતમાં બીજું કોઈ નથી. આપણને હંમેશ સુખ સામે જ વસતું લાગે છે. જે કૈં સારું છે તે સામેવાળાનાં ઘરમાં છે ને નથી તે આપણાં ઘરમાં છે. છત સામે ને અછત આપણે ત્યાં-એવું માનનારો મોટો વર્ગ છે. ખાસ કરીને સ્ત્રીઓને અસંતોષ મોટાં પ્રમાણમાં રહેતો હોય છે. સામેવાળાં બહેનને ત્યાં તો કાર આવી ને આપણે ત્યાં તો સ્કૂટર પણ ઠાઠિયાં જેવું ! સામેવાળાં બહેને તો સોનાનાં પાટલા કરાવ્યાં ને મારે તો કાચની બંગડીઓ ય આજ તૂટું ને કાલ ફૂટું જેવી ! સામે તો રોજ બાસમતી થાય ને આપણે તો કણકીનાં ય ઠેકાણાં નહીં – જેવી ઘણી ફરિયાદો ગૃહિણીઓ કરતી રહે છે, એની સરખામણીએ પતિદેવોની ફરિયાદો ઓછી હોય છે, એનો અર્થ એવો નહીં કે તેઓ સંતોષી છે. તેઓ બોલતાં નથી એટલું જ, બાકી સુખ-સગવડો તો તેમને ય ગમે છે. સ્ત્રીઓની સરખામણીએ નફાખોર માનસ પુરુષોનું હોઈ શકે છે.

એક બાબત સ્પષ્ટ છે કે દરેકમાં જેમ દોષ દેખાય એમ જ ઘણાં દોષરહિત પણ હોય છે. એ સ્વીકારીને જ ચાલવાનું રહે. કદાચ માણસ માત્રની પ્રકૃતિ લોભની રહી છે. કોઈ વાતનો અસંતોષ, વધુ મહેનત કરવા પ્રેરે ત્યાં સુધી તો ઠીક છે, પણ ઘણીવાર તે ઈર્ષા ને હિંસક સ્પર્ધા સુધી વિકસે તો વિચારવાનું રહે. કોણ જાણે કેમ પણ આ સમય સૌથી વધુ લોભ અને દેખાડાનો સમય છે. કોઈનું પણ હડપ કરી જવું કે કોઈને છેતરીને ગજવાં ભરવાં એ જ હેતુ હોય છે. પોતાની પાસે આટલું બધું છે, એ બતાવવાની એક પણ તક નાનેથી માંડીને મોટા સેલેબ્સ સુધીના કોઈ પણ છોડતાં નથી. કેક પણ હવે તલવારથી કપાય છે, ત્યારે થાય કે એ તે કેક છે કે દુશ્મન? આપણા આનંદ પણ હવે હિંસક માનસિક્તાનો પડઘો પાડતા થઈ ગયા છે.

સંપત્તિનો ફુગાવો આમ તો કોઈ છૂપા ગુનાનો જ સંકેત આપતો હોય છે. એ બધું પ્રમાણિકતાથી, મહેનતથી, નિષ્ઠાથી મેળવાયું હોય એવું અપવાદોમાં જ હશે, બાકી કોઈકને કોઈક રીતે તો એમાંથી કોઈ નિર્દોષનું લોહી ટપકતું હોવાની શક્યતાઓ જ વધુ છે. એમ લાગે છે કે મૂલ્યો ને આદર્શો આઉટ ડેટેડ થઈ ગયાં છે. સંપત્તિનાં સોર્સ હવે પ્રમાણિક રહ્યાં નથી. બધું જ ‘અતિ’ થઈ રહ્યું છે, તે ત્યાં સુધી કે સેલ્ફી કે મોબાઇલના ફોટોગ્રાફ્સ કે વીડિયોમાં પણ અતિરેક જ વધુ જણાય છે. આવો અતિરેક જ્યાં પણ જોવા મળે છે ત્યાં જેમની પાસે નથી એ વર્ગ વધુ લઘુતાથી પીડાતો હોય છે. એ સામેવાળા પાસે ઘણું છે ને પોતાની પાસે ઓછું છે એ ભાવને સપાટી પર લાવી દે છે. એને લીધે સામેવાળાને સારું છે ને પોતાને નથી, એ ભાવ બળકટ થતો જાય છે. ઘણીવાર તો દુ:ખનું કે અછતનું કારણ જ સામેવાળો લાગે છે, પણ મોટે ભાગે એ પારકે ભાણે મોટો લાડુ – જેવું જ વધારે હોય છે. સાચું તો એ છે કે સામેવાળો પણ દુ:ખનો સામનો કોઈક રીતે કરતો જ હોય છે, પણ આપણને તેની ખબર પડતી નથી. આપણને દેખાય છે તે તો તેનું બહારથી દેખાતું સુખ જ !

ખરેખર તો સાધારણ વ્યક્તિ તરીકે આપણે, આપણી મર્યાદા ને શક્તિ સમજી લેવાની જરૂર છે. દરેક વાતની એક લિમિટ હોય છે, તમે લીંબુનું બહુ બહુ તો સંતરું કરી શકો, પણ કોળું કરવા જાવ તો તકલીફો વધે. બીજી મહત્ત્વની વાત એ છે કે સુખ સામે જ હોય તો પણ, શાંતિ સામે જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર સુખને અને શાંતિને બહુ બનતું નથી. ઘણું બધું ભેગું કરવાની લ્હાયમાં માણસ એટલો બધો ગરકાવ થઈ જાય છે કે બધું આવી મળે તો તે વાપરવાની સ્થિતિમાં હોતો નથી. બહુ મોટી ઇમારત ઊભી કરી હોય, રહેવા માટે, પણ સમય ઓપરેશનમાં, ટ્રીટમેન્ટમાં હોસ્પિટલમાં જ વધુ વીતતો હોય એમ બને. જે એમ માને છે કે સુખ સામે છે, તેને તો પેલી ઇમારત જ દેખાયા કરતી હોય છે. સામેવાળાની પીડાનો તેને બહુ અંદાજ જ હોતો નથી. એ પીડા તો તે એકલો જ ભોગવતો હોય છે. એના કરતાં પેલી ઓછા સુખમાં રહેતી વ્યક્તિ કદાચ વધારે સારી સ્થિતિમાં હોય છે. તે ઘરે વધારે ને દવાખાનામાં ઓછું રહેતો હોય એમ બને.

એક સરસ કવિતા કોઈ અંગ્રેજી કવયિત્રીની વાંચ્યાનું યાદ આવે છે. કાવ્યની નાયિકાને ઈશ્વર કહે છે કે તે તેની સાથે જ છે. નાયિકા મસ્તીથી રોજ દરિયા કિનારે ચાલે છે ને ઈશ્વર તેની સાથે સાથે ચાલે છે, પણ તે પ્રગટ થતો નથી. નાયિકાને એ ગમતું નથી. તે ઈશ્વરને કહે છે કે તે તેની સાથે છે તેનું પ્રમાણ નથી. ઈશ્વર કહે છે, તું ચાલે છે તેની સાથે સાથે બીજાં પગલાં પણ છે, તે જો. નાયિકા પાછળ ફરીને જુએ છે, તો તેનાં પગલાંની સાથે સાથે બીજાં પગલાંની હાર પણ ચાલી આવે છે. નાયિકા આનંદથી ઝૂમી ઊઠે છે. ત્યાં નાયિકા બીમાર પડે છે. તે તંદ્રામાં છે ને તેનાથી ચલાતું નથી. તે રડે છે કે દુ:ખનાં સમયમાં જ ઈશ્વર તેની સાથે નથી. તે દરિયે જાય છે, જેમ તેમ ચાલે છે. તેને ખબર પણ પડતી નથી કે તે ચાલે છે કે ક્યાંકથી ઊંચકાઈને આગળ વધે છે. કશું સમજાતું નથી ને જેમ તેમ જુએ છે તો દૂરથી તેનાં જ પગલાં આવ્યાં હોય એવું લાગે છે. તે અકળાઈને પોકારે છે. ઈશ્વર પ્રગટ થાય છે ને પૂછે છે – કેમ રડે છે? નાયિકા કહે છે – તમે સુખમાં સાથે હતા, પણ દુ:ખમાં તો દગો જ કરો છો. ઈશ્વરે કહ્યું – એવું નથી. નાયિકા કહે છે – એવું નથી તો કિનારે મારાં પગલાં છે, તો તમારાં કેમ નથી? ઈશ્વર હસે છે ને કહે છે – દીકરી, તું તંદ્રામાં હતી એટલે તને ખબર જ નથી. તને જે પગલાં દેખાય છે તે તો મારાં છે. તને તો મેં ઊંચકી લીધી હતી. તો પગલાં બીજાં કેવી રીતે પડે?

– તો, આ વાત છે. પીડામાં આપણી સચ્ચાઈ જ ઉગારી લેતી હોય છે આપણને. આપણને ખબર જ નથી કે આપણે કોને ટેકે બધું પાર કરી જઈએ છીએ. એમ લાગે છે કે આપણે સુખને બહુ મહત્ત્વ આપી દીધું છે ને એ નથી મળતું તો દુ:ખી થઈ જઇએ છીએ. સુખ જરૂરી છે, પણ વધારે જરૂરી છે આનંદ! સગવડોથી સુખ જરૂર મળે છે, પણ આનંદ મળે જ એની ખાતરી નથી. એસી ચાલુ હોય તો ઠંડક લાગે, પણ બરફ પડતો હોય ત્યારે એ.સી. કામ લાગશે? ત્યારે હીટર હોય તો ગમશે. એ જ રીતે ઉનાળામાં એ જ હીટર નહીં ગમે. ત્યારે એ.સી.ની અપેક્ષા રહેશે. સગવડો ન હોવી જોઈએ એવું કહેવાનું નથી. એ જરૂરી છે જ, પણ સાધનો, સગવડો હોય છતાં, શાંતિ નથી મળતી. ઘણીવાર તો સગવડો છતાં સુખ નથી પણ મળતું. કોઈના ખાંડનાં કારખાનાં ચાલતાં હોય, જોઈએ તેટલી ખાંડની ગૂણ ઘરમાં અટવાતી હોય, પણ એક દાણો ચાખવાની છૂટ નથી હોતી, કારણ, ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે ખાંડ ઝેરની જગ્યાએ છે. એટલે બધું છે પણ કામનું કૈં નથી.

જે મનુષ્યની બહાર છે, જે સાધન માત્ર છે, જેનો હેતુ સગવડ સાચવવાનો જ છે, તે આનંદનું કારણ તો બને છે, પણ તેનો ઉપયોગ પૂરો થાય કે પછી એ સાધન મહત્ત્વ ધરાવતું નથી. સિતાર બનાવનાર તેનો ઉપયોગ વેચાણ કિંમત નક્કી કરવા પૂરતો જ કરશે, પણ જે ખરીદશે તે આનંદ માટે. વેચનારને માટે તો તે ધન મેળવી આપનાર તાર માત્ર છે, પણ ખરીદનાર તો તે પૈસા ખર્ચીને મેળવે છે, તે કમાતો નથી. તે શો કરીને કમાતો હશે, પણ એ કમાવા માટે તે જે સાધના કરે છે, તે કેવળ નિર્વ્યાજ આનંદ માટે છે. એ સિતાર રણઝણે ને જે આનંદ મેળવે છે તે પેલા કહેવાતા સુખ કરતાં જુદી જ બાબત છે. જે આનંદ પ્રગટે છે તે બહારથી નથી આવતો, એ ભીતરથી પ્રગટે છે. જે સાધન ઉપયોગ માટે પ્રેરે તે સુખનું કારણ બને છે ને તે બહારથી અનુભવી શકાય છે, પણ જે સાધન સાધના માટે પ્રેરે છે તે આનંદનું કારણ બને છે ને તે તો ભીતરે જ અનુભવાય છે. સંગીત, ચિત્ર, સાહિત્ય જેવી કળાઓ આનંદ આપે છે. કળા માત્રનો હેતુ આનંદ આપવાનો છે ને એ આનંદ ભીતરથી પ્રગટતો હોય છે. સુખ વર્ણવી શકાય છે જ્યારે આનંદ વર્ણવી શકાતો નથી, માત્ર અનુભવી શકાય છે. …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 29 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2131,2141,2151,216...1,2201,2301,240...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved