Opinion Magazine
Number of visits: 9567578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરતીકંપ માનવસર્જિત પણ હોય …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 February 2023

રવીન્દ્ર પારેખ

ગયા સોમવારે તુર્કીમાં ભૂકંપ આવ્યો અને આખી દુનિયાએ એનો આંચકો અનુભવ્યો. પંદરેક હજાર માણસોનાં આ ભૂકંપમાં મોત થયાં છે ને 6,500થી વધુ મકાનો ધ્વસ્ત થયાં છે. કાટમાળ નીચેથી મળતાં મૃતદેહો મોતનો આંકડો વધુ ભયાનક બનાવે એમ બને. સાચું ખોટું તો નથી ખબર, પણ સત્તાવાર મૃત્યુ આંક ઉપરાંત લાખેક માણસોનાં મૃત્યુની આશંકાઓ પણ સેવાય છે. માણસોનું રીઢાપણું જ તેને આશ્વાસનની સગવડ પણ ઊભી કરી આપે છે અને જેનાં ગયાં તેનાં ગયાં, એ સિવાય આવી હોનારતો કોઈને કોઈ રીતે કમાણીનું, પ્રસિદ્ધિનું, પ્રચારનું, રાજકારણનું નિમિત્ત પૂરું પાડે છે તે પણ સ્વીકારવું પડે. ક્યાંક સાચી માનવ સંવેદના-વેદના પણ પ્રગટ થાય છે એની ના નથી, પણ મોટે ભાગે તો આવી ઘટનાઓ અન્યો માટે ઉપદેશનું, સલાહનું ને અરેરાટીનું જ નિમિત્ત ઊભું કરી આપે છે. આમ કર્યું હોત તો આમ થયું હોત અથવા ન થયું હોત, આગલા અનુભવોમાંથી બોધપાઠ લીધો હોત તો આ દિવસો જોવાના ન આવ્યા હોત, જેવું ટેવવશ કહેવાતું રહે છે, પણ દુનિયા અનુભવોમાંથી કશું શીખતી નથી ને નવી દુર્ઘટના માટે તે તત્પર રહેતી હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. એમાં સચ્ચાઈ હોય તો તે એટલી જ છે કે તુર્કી, સીરિયા, લેબેનોન, ઈઝરાયેલ હચમચ્યું અને કેટલી ય ઇમારતો ધરાશાયી થઈ ગઈ. 7.8 રિક્ટર સ્કેલના ભૂકંપે અનેક જીવોને જીવતાં જ ભોંયમાં ભંડારી દીધા. ભૂકંપનો પહેલો આંચકો સવારે સવાચારની આસપાસ આવ્યો ને તુર્કીનાં અન્કારા, માલત્યા, કહરામનમરસ જેવાં દસેક શહેરો કબ્રસ્તાન થઈ ઊઠ્યાં. સાડા આઠ કરોડની કુલ વસ્તીમાંથી બે કરોડથી વધુ લોકોને આ ધરતીકંપની વત્તી ઓછી અસરો થઈ છે. જે બચી ગયાં છે એમની આંખોમાં આંસુઓ સુકાતાં નથી. એ કરુણતા જ છે કે હજારો જિંદગીઓ વગર કફને જ દફન થઈ ગઈ છે. સ્ત્રી, પુરુષો, બાળકો વચ્ચે કોઈ અંતર ભૂકંપે રાખ્યું નથી. મકાનોએ કબરોની ગરજ સારી છે. તુર્કીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે, તો ત્રણેક મહિના માટે ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. અનેક દેશોએ તુર્કીની પડખે રહીને જરૂરી રાહતો મોકલી છે ને એમાં પણ ભારત મોખરે રહ્યું છે. ઘાયલોને તબીબી સહાય માટેની વ્યવસ્થાઓ પણ યુદ્ધને ધોરણે ઊભી કરાઇ છે. આ રાહતોમાં, ત્યાં પડી રહેલી ઠંડીને કારણે પણ મુશ્કેલીઓ વધી છે.

તુર્કીમાં ભૂકંપની નવાઈ નથી. 1939, 1999માં આવેલા ભૂકંપે પચાસેક હજાર લોકોના જીવ લીધા હતા. ત્યારે તો સાધનોની ટાંચ પણ હતી, પણ આધુનિક સગવડો છતાં હજારો માણસો ગયે સોમવારે પણ મર્યાં જ છે, એ બતાવે છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. બહુ બહુ તો ઘટના પછી ઈલાજ થઈ શકે છે, પણ કુદરતી આફતને રોકી શકાતી નથી. આફતો કુદરતી હોય તો તેને થોડી ઘણી રોકી શકાય, જેમ કે ભૂકંપ અવરોધક મકાનો બનાવી શકાય, પણ લગભગ બધે જ સ્થાનિક પ્રશાસનો એ તરફ બહુ ધ્યાન આપતાં નથી. ઘટના બને છે ત્યારે સૌ રડી લે છે, પછી એ જ જૂની રફ્તારે બધાં દોડવાં લાગે છે. ભૂકંપ પ્રતિરોધક મકાનો માટે કરવો પડતો વધુ ખર્ચ કરવા કોઈ બહુ રાજી હોતું નથી ને શાસકો કે પ્રજા પણ શોર્ટ કટથી કામ લે છે ને છેવટે તો આ કરકસર મોંઘી જ પડે છે.

ભારત, નેપાળમાં પણ ભયંકર ભૂકંપો આવી ચૂક્યા છે. તુર્કી 10 ફૂટ ખસી ગયું છે, એ જ રીતે નેપાળનું કાઠમંડુ પણ 10 ફૂટ ખસી ગયું હતું. નેપાળમાં આવેલો ભૂકંપ તો અણુબોમ્બ જેવી વિનાશકતા લઈને આવ્યો હતો. આમાં જમીન વચ્ચે પડતી મોટી તિરાડોમાં પાણી ભરાય તો તે બીજી સમસ્યાઓ પણ સર્જે છે. આ ઉપરાંત સુનામી, રેલ, આગ જેવી ઘટનાઓમાં જાનમાલનું ભારે નુકસાન થતું હોય છે, અનેક નિર્દોષોના જીવ જાય છે, પણ ભાગ્યે જ પ્રજા કે શાસકો નવી કોઈ દુર્ઘટના ન ઘટે એને માટે પ્રમાણિક પ્રયત્નો કરે છે. ભારતમાં જોશીમઠ અને અન્યત્ર જમીન ધસવાની ઘટનાઓ છતાં, આગોતરી કોઈ યોજનાઓ ભાગ્યે જ થાય છે. જમીનનો પ્રકાર જાણ્યા વગર બંધાઈ રહેલાં જોખમી હાઈરાઇઝ કાયમી ચિંતા ઉપજાવનારા છે. મલ્ટિ સ્ટોરિડ બિલ્ડિંગો તાણી તો બંધાય છે, પણ એને નિમિત્તે ઊભી થતી અગવડોનો વિચાર ભાગ્યે જ થાય છે. સૂરતમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગની ઘટના હજી ચર્ચામાં છે જ. ચાર માળ સુધી પણ બંબાની સીડીઓ પહોંચી ન હતી તે સૌ જાણે છે. એની સામે 22 માળની ઈમારતોમાં આગ લાગે ત્યારે ત્યાં બચાવની કેવીક વ્યવસ્થા હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. વારુ, ફરી 2001 જેવો ધરતીકંપ આવે ત્યારે આ ઇમારતો કેટલી ટકશે એની પણ અટકળો જ કરવાની કે બીજું કૈં?

સાધારણ રીતે ભૂકંપની આગાહીને કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી, પણ તુર્કીના 7.5ની તીવ્રતાના ભૂકંપની આગાહી ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબિટ્સે 3 ફેબ્રુઆરીએ ટ્વિટર દ્વારા આપી હતી. તેમણે સીરિયા, લેબેનોન, જૉર્ડનમાં પણ ભૂકંપ આવવાની ચેતવણી આપી હતી. જો આગાહી આટલી સચોટ પુરવાર થઈ હોય તો તેને ગંભીરતાથી લેવી જોઈએ એવો પણ એક મત છે. આગાહી તો અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઈને ભારતમાં ધરતીકંપ થવાની પણ છે. આ આગાહી કોઈ ચોક્સાઈનું પરિણામ હોય તે કરતાં ય રાજકીય કાવતરાનું પરિણામ હોય એવી શંકા એટલે પણ સેવાઇ રહી છે કારણ, તુર્કી રાષ્ટ્ર, અમેરિકા, યુરોપ અને આરબ દેશો સાથે શત્રુતા દાખવી રહ્યું છે ને અમેરિકાએ તેને પાઠ ભણાવવા આ ધરતીકંપ કરાવ્યો હોવાનું મુસ્લિમ દેશોને લાગે છે. એટલે પણ આગાહીઓ આમ તો ચેતવણી જ બની રહી છે. આમ કહેવું ગંભીર છે, પણ કેટલીક ઘટનાઓ અમેરિકા તરફ આંગળી ચીંધે છે. એમ મનાય છે કે HAARP ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમેરિકાએ ભૂકંપ ઉપજાવ્યો છે. એ કુદરતી નથી. એવું એટલે પણ મનાય છે કે ભૂકંપ પહેલાં અમેરિકાએ એની એમ્બસી બંધ કરી દીધી હતી ને એનાં માણસોને તુર્કીથી પરત બોલાવી લીધા હતા. ધરતીકંપ આવવાનો છે એવી અમેરિકાને ખબર હતી તેથી માણસોને બોલાવી લીધા કે એ કેવળ અકસ્માત હતો એ નક્કી કરવાનું મુશ્કેલ છે. HAARP, 2010નાં હૈતીના ભૂકંપમાં, ચિલી અને જાપાનનાં ભૂકંપમાં પણ જવાબદાર ઠેરવાયું છે. HAARPથી ભૂકંપ લાવી શકાય છે એવો સીધો ઉલ્લેખ નથી, પણ કુદરતની જેમ જ માનવ સર્જિત ભૂકંપ પણ શક્ય છે ને તે કુદરતી ભૂકંપ જેટલો જ સક્ષમ નીવડી શકે છે એવું તો મનાય જ છે. આમ તો HAARP આયનોસ્ફિયર(વાતાવરણ)નો અભ્યાસ કરવા માટેનું સક્ષમ ટ્રાન્સમીટર છે. એટલા પરથી પણ અમેરિકાનું તુર્કીને પાઠ ભણાવવાનું પુરવાર થતું નથી, પણ તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે આકાશમાં વિકિરણનું વાદળ છવાયેલું હતું તે પણ હકીકત છે. હૈતીમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ તે છવાયું હતું. એનો અર્થ એ થયો કે HAARP ટ્રાન્સમીટરનો ઉપયોગ હૈતીની જેમ જ તુર્કીમાં પણ થયો છે. 2010નો હૈતીનો ભૂકંપ અમેરિકાએ કરાવ્યો હોવાનો આક્ષેપ વેનેઝુએલાના પ્રમુખ હુગો ચાવેઝે કર્યો હતો. સાચુંખોટું તો પ્રમુખ જાણે –

આ ભૂકંપ અમેરિકાએ કર્યો હોય કે ન કર્યો હોય એમાં ન પડીએ તો પણ એટલું સ્પષ્ટ છે કે કુદરત કરતાં વધુ ઘાતકી રીતે કૃત્રિમ હોનારતો કરવા જેટલો માણસ હવે સક્ષમ થઈ ચૂક્યો છે. કોઈ પણ મહાસત્તાને એમ થાય કે પૃથ્વીનો કબજો કરી લેવો છે ને એને માટે કોઈ પણ કૃત્રિમ હોનારતો જરૂરી છે તો એવી દુર્ઘટનાઓ સર્જીને એ પૃથ્વીનું પડીકું વાળી શકે એમ છે. કોઈ પણ દેશને ધરતીકંપ, સુનામી, વરસાદ, આગ, રેલથી હવે કુદરત જ નુકસાન કરે છે એવું નથી, કુદરતથી વધુ નુકસાન માણસ પણ કરી શકે એમ છે એટલે ભયભીત હવે કુદરતથી નહીં, પણ માણસથી થવા જેવું છે. માણસો જો ધરતીકંપ સર્જી શકતા હોય તો એનાથી જે જાનમાલનું નુકસાન થાય છે, જે જીવ હત્યાઓ, હા, હત્યાઓ થાય છે તેનો અંદાજ પણ આવે છે ખરો એ સત્તા ભૂખ્યા મહાનુભાવોને? ને પછી જે સહાનુભૂતિ વરસે છે તેને માનવતાના કયા માપદંડે માપવી એ પણ પ્રશ્ન જ છે. આખી પૃથ્વી વિકસીને અદ્યતન ટેક્નોલોજીથી ફાટ ફાટ થઈ રહી છે ત્યારે જે પ્રાપ્તિ છે તે આનંદની નથી લાગતી. આપણે અદ્યતન વિકાસથી પૃથ્વી લોહીથી તરબતર રહે એ જ કરવા ધારીએ છીએ કે કોઈ રીતે આપણને નિરાંત કે શાંતિ ખપતી નથી એ પુરવાર કરવા માંગીએ છીએ એ નથી સમજાતું. આજનો સૌથી ઘાતક અને વ્યાપક તથા જીવલેણ રોગ કદાચ સત્તા લાલસા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ફેબ્રુઆરી 2023

Loading

એ શું છે જે આપણને પકડી પોતે છટકી જાય છે?  

સોનલ પરીખ|Opinion - Opinion|9 February 2023

સમય મૈત્રી કરવા જેવી, પ્રેમ કરવા જેવી બાબત છે – અદ્દભુત, આકર્ષક, ભવ્ય, નાજુક, પડકાર દેતી, આપણને પકડતી અને પોતે છટકી જતી બાબત. એનું વીતી જવું, એનું હાથમાં હોવું છતાં ન હોવું, એની નિશ્ચિતતા અને એની અનિશ્ચિતતા આ બધું જ અત્યંત આકર્ષક, સ્ફૂર્તિદાયક, પ્રેરિત કરનારું અને નતમસ્તક કરનારું છે

હિમાચલ પ્રદેશમાં લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ એક અજબ અનુભવ થયો – મેં અનુભવ્યું કે હું એટલે કે મારું અસ્તિત્વ આ વિરાટ ભવ્ય સૃષ્ટિનો એક કણ પણ નથી, મહાકાળના અનંત પ્રવાહનો એક પરપોટો પણ નથી. પણ આ પ્રતીતિથી ડર ન લાગ્યો. કારણ કે પ્રતીતિ એ પણ થઈ હતી કે ભલે કણ પણ ન હોઉં, ભલે પરપોટો પણ ન હોઉં, છું તો આ અસીમનો ભવ્યતાનો અંશ જ – એથી મારું હોવું તુચ્છ, નિરર્થક ન હોઈ શકે. અત્યંત નમ્રતાનો અને શાંત

સોનલ પરીખ

ગૌરવનો આવો અનુભવ આ પહેલાં કદી થયો ન હતો. જિંદગીના અને મૃત્યુના પણ ભયથી મુક્તિની એ ક્ષણે સમજાવ્યું કે હોવું ને ન હોવું એક જ છે, ક્ષણભંગુરતા અને શાશ્વતી એક જ સિક્કાની બે બાજુઓ છે. એ સિક્કાનું નામ છે સમય. 

ઋગ્વેદના એક શ્લોકમાં કહ્યું છે તેમ સૃષ્ટિ નહોતી ત્યારે પણ સમય તો હતો જ. ન્યાયવૈશેષિક સિદ્ધાંત સમયને ‘વસ્તુનિષ્ઠ દ્રવ્ય’ કહે છે. ગુણ અને ક્રિયા જેના આધારે રહેલાં હોય તેને દ્રવ્ય કહેવાય. વૈશેષિક દર્શન અનુસાર કુલ નવ દ્રવ્યો છે : પૃથિવી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. તેમાં કાળ એટલે કે સમય, પંચમહાભૂતો પછીનું છઠ્ઠું દ્રવ્ય છે. સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો કાળ વ્યાપક છે, સમય નથી. કાળમાં સમયનો સમાવેશ થાય છે; પણ સમયમાં કાળનો નહીં. વ્યવહારમાં બન્ને એકબીજાના પર્યાય છે.

સમયને આપણે ત્રણ કાળમાં વહેંચીએ છીએ, પણ ખરું જોતા વર્તમાન અને તેમાં પણ સામે ઊભી હોય તે ક્ષણ જ આપણી હોય છે, એની આગળપાછળનું કંઈ આપણા હાથમાં હોતું નથી. આ પળને પકડવા શાયરો જે પરિશ્રમ કરે છે તેનું પરિણામ સુંદર પંક્તિઓ રૂપે આપણને મળે છે. રાજેન્દ્ર શુક્લ કહે છે, ‘જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે, એક ક્ષણ તારું સ્મરણ.’ નિરંજન ભગત લખે છે, ‘દિન થાય અસ્ત, વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત’ સાંજની વાત નીકળે ત્યારે સૂર્યભાનુ ગુપ્તની પંક્તિઓ પણ યાદ આવે, ‘શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢૂંઢતી હૈ, શામ સૂલી ચડે લોગોં કી ખબર ઢૂંઢતી હૈ, શામ ઝુલસે હુએ પરવાનોં કે પર ઢૂંઢતી હૈ, શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો’

‘વક્ત કી હર શૈ ગુલામ’ આ શબ્દો લખનાર સાહિર લુધિયાનવી કહે છે, ‘ઈસ પલ કે સાયે મેં અપના ઠિકાના હૈ, ઈસ પલ કે આગે કી હર શૈ ફસાના હૈ, કલ કિસને દેખા હૈ, કલ કિસને જાના હૈ, ઈસ પલ સે પાયેગા જો તુઝકો પાના હૈ’ ગુલઝાર કહે છે, ‘દિલ ઢૂંઢતા હૈ ફિએ વહી ફૂરસત કે રાત–દિન’ અને મનોજ ખંડેરિયાને પણ કેમ ભુલાય, ‘ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા, અમારામાં જ ઈચ્છાનું હરણ દઈ અમને દોડાવ્યા’

ફિલોસોફી અને સર્જનની દુનિયામાંથી વાસ્તવિક વિશ્વમાં આવીએ તો ટાઈમ મેનેજમેન્ટ આજનો સળગતો પ્રશ્ન અને ચર્ચાઓનો પ્રિય વિષય છે. વીતેલો સમય પાછો આવતો નથી એ આપણે જાણીએ છીએ પણ સમયને જ સૌથી વધારે વેડફીએ છીએ. અર્થ વગરની ચર્ચાઓ, વીડિયો ગેમ્સ, ટીકા-નિંદા-ઈર્ષા વગેરેમાં આપણે ટાઈમને ‘કિલ’ કરીએ છીએ, ટ્રાફિકમાં ફસાઈએ, રાહ જોતા રહેવું પડે જેવા સંજોગોમાં ટાઈમ ‘વેસ્ટ’ થાય છે. જીવનમાંથી નીરસતા દૂર કરવા માટેની પ્રવૃત્તિઓમાં ટાઈમ ‘પાસ’ કરીએ છીએ અને પછી બચે તો અને પ્રગતિને લગતાં કામોમાં ટાઈમનો ‘યુઝ’ કરીએ છીએ.

જો આપણને સમયની કદર-કિંમત હોય અને આપણે એને અર્થપૂર્ણ રીતે વીતાવવા માગતા હોઈએ તો બેત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ – એક તો આપણી બોડી-સાયકલ. શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે, એ મુજબ દિવસના અમુક સમયે શરીર ઉત્સાહ અને સ્ફૂર્તિ અનુભવતું હોય છે. આપણું શરીર જ્યારે એ સ્થિતિમાં હોય ત્યારે સૌથી અગત્યનાં કામો કરી લેવાં.

બીજું, સમય પસાર કરવા જે પણ કરીએ એમાં ક્વૉલિટી એલિમેન્ટ ઉમેરવું. સારું વાંચન, સારી ફિલ્મો, કલા, સર્જનાત્મક શોખ કેળવો. મુસાફરીમાં કે રાહ જોવી પડવાની હોય એવી સ્થિતિમાં પણ એ કામ આવશે. વિદ્યાર્થીઓ મહિનાના 25 દિવસ રોજના બે કલાક એમ 7 મહિના વાંચે તો 350 કલાકનું વાંચન થાય. વિષયો તૈયાર થઈ જાય, પરીક્ષાની તાણથી મુક્ત રહેવાય અને શોખ કેળવવાનો, રજાઓ માણવાનો આનંદ પણ મળે.

ત્રીજું, બીજાના સમયનો પણ આદર કરો. જેમ કોઈને બીજાના પૈસા પડાવી લેવાનો હક નથી તેમ કોઈને બીજાનો સમય બગાડવાનો પણ હક નથી. 

અત્યારની ઝડપી જીવનશૈલીમાં બધા સતત વ્યસ્ત હોય છે. થોરો કહે છે કે ‘વ્યસ્ત હોવું પૂરતું નથી. સવાલ એ છે કે આપણે શામાં વ્યસ્ત છીએ.’ વ્યસ્તતાને કારણે આપણે એકસાથે અનેક કામો પર ધ્યાન આપવું પડે છે જેનું શણગારેલું નામ ‘મલ્ટીટાસ્કીંગ’ છે. પણ આય-પૅડ, લૅપટૉપ, ટ્વેન્ટીફૉર બાય સેવન અને બ્લૅક બેરિઝના આ યુગમાં પણ ‘એક સમયે એક કામ’નો સિદ્ધાંત ઉપકારક છે જ, કેમ કે એનાથી કામની ઝડપ અને ગુણવત્તા બન્ને વધે છે. અલબત્ત અમુક પ્રતિભાઓ એક સમયે અનેક કામ કરવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. મોઝાર્ટ એક સાથે અનેક સ્વરરચનાઓ પર કામ કરતા, છતાં ઉત્તમ રચનાઓ આપી શકતા. ભારતમાં પણ અષ્ટાવધાન એટલે કે એક સાથે આઠ કામ કરી શકવાની ક્ષમતાનો મહિમા છે. છતાં પાસપૉર્ટ ઑફિસરને મોઝાર્ટ થવાની કે રસોઈ બનાવતી ગૃહિણીને અષ્ટાવધાની થવાની સલાહ ન અપાય.

બાળકોને સમયનું મહત્ત્વ ચોક્કસ શીખવીએ. આજે લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાં જ બાળક શાળા, ટ્યુશન, ઈતર પ્રવૃત્તિના ભાર તળે એવું ચંપાવા માંડે છે કે દિવસ ટૂંકો પડે છે. ટાઈમ મેનેજમેન્ટના પાઠ એને ત્યારથી જ શીખવા પડે છે. બાળક માતા-પિતાને જોઈને જ શીખતું હોય છે, એટલે એને સમયનું મેનેજમેન્ટ શીખવવા માટે માતા-પિતાએ પહેલા પોતાનું ટાઈમ મેનેજમેન્ટ સુધારવું પડે.

નાનાં બાળકોને ‘આજના દિવસમાં આપણે શું શું કરીશું?’ તેમ કહી ચાર-પાંચ કામો યાદ અપાવીએ. બાળકનું મગજ નક્કી કરેલાં પાંચ કામો પત્યાં કે નહીં તેની નોંધ લેતું થઈ જશે. બાળકોનાં બે કાર્યો વચ્ચે થોડી જગ્યા રાખવી. ભરચક સમયપત્રકથી બાળક પ્રવૃત્તિનો આનંદ લેવાને બદલે પ્રવૃત્તિને ભારરૂપ ગણતું થાય છે. તેની અસર તેના સ્વભાવ, ભૂખ અને ઊંઘ પર પણ પડે છે. ઘરના પ્રસંગોમાં, પ્રવાસે જતાં, ખરીદી વખતે બાળકોને સાથે રાખવાથી ને મેદાની રમતોથી ટાઈમ મેનેજમેન્ટના પાઠ સુંદર રીતે શીખે છે. એમાં ભૂલ થાય તો તેને ઉતારી પાડવાને બદલે સમય ક્યાં બગડ્યો તેનું હળવાશથી ધ્યાન દોરવું. ટાઈમ મેનેજમેન્ટ આંતરિક શક્તિઓને મોકળી કરવા માટે છે, એના પર દબાણ ઊભું કરવા માટે નહીં.

સમયને નષ્ટ કરશો તો સમય તમને નષ્ટ કરી દેશે, ને જો સમયને સાચવશો તો સમય તમને સાચવી લેશે. સમયની આટલી તાકાત હોય તો સમયને આપણે મિત્ર બનાવી ન લેવો જોઈએ? હિમાચલની એ અનુભૂતિને ફરી યાદ કરું – સમય મૈત્રી જ નહીં, પ્રેમ કરવા જેવી બાબત છે – અદ્દભુત, આકર્ષક, ભવ્ય, નાજુક, પડકાર દેતી, આપણને પકડતી અને પોતે છટકી જતી બાબત. એનું વીતી જવું, એનું હાથમાં હોવું છતાં ન હોવું, એની નિશ્ચિતતા અને એની અનિશ્ચિતતા આ બધું જ અત્યંત આકર્ષક, સ્ફૂર્તિદાયક, પ્રેરિત કરનારું અને નતમસ્તક કરનારું છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ડિસેમ્બર 2022

Loading

ત્રણ કાવ્ય-કૃતિ

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Opinion - Opinion|9 February 2023

માણસને અંદરથી કંઈક તો ખૂટે છે,

નહીં તો આમ  થોડો  કાંઈ  રૂઠે છે?

બહારથી તો દેખાય છે એ મોજમાં,

પણ અંદરથી તો રોજેરોજ તૂટે છે.

મૌન રહી કર્યા કરે હા-માં હા એ,

તો સૌ કોઈ એને મોજથી લૂંટે છે.

જો બોલી જાય બે બોલ સાચા તો,

બધાની આંખમાં કણની જેમ ખૂંચે છે.

જોતજોતામાં જતો રહેશે આ માણસ,

જાણતા હોવા છતાં એકડો સૌ ઘૂંટે છે.

•

ભાષા સમજમાં નથી આવતી મને,

પણ ભાવને હું જીવી જાઉં છું.

છું હું મારી માટીથી ઘડાયેલો,

પણ તારી માટીમાં ભળી જાઉં છું.

માણસ છું હું મોજીલા મનનો,

ભાવપૂર્ણ ભરોસો છોડી જાઉં છું.

હોય દેશ તારો કે મારો શું ફર્ક છે?

યુગે યુગે અવતાર બદલતો જાઉં છું.

ધર્મ નાત-જાતના વાડા કોણે પાડ્યા?

હું તો માણસાઈ ધર્મમાં જીવી જાઉં છું.

••

લાખ તકલીફોને અહીંયા દાટી છે,

સંસારનાં આ જંગલમાં ઘાટી છે.

દરિયામાં ઊંડા ઉતરી ને શું કરશો?

સુખ દુઃખની બહાર પડી માટી છે.

ને હળવે હળવે ફૂંકાયો છે પવન,

તો પણ ક્યાંક થોડી ચામડી ફાટી છે.

આગને સ્પર્શ કરી જોઈ આજે તો,

ખબર પડી કે હ્રદયમાં જ લાટી છે.

આખી જિંદગી બ્રાન્ડેડ કપડાં પહેર્યાં,

અંતે તો મળી આ સૂતરની આંટી છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

...102030...1,2061,2071,2081,209...1,2201,2301,240...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved