Opinion Magazine
Number of visits: 9458438
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યિક તાલીમ –  

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|4 November 2022

આજકાલ નોર્થ અમેરિકા અને યુરોપમાં ઘણી યુનિવર્સિટીઝમાં ક્રિયેટીવ રાઈટીંગની ડિગ્રી આપવામાં આવે છે. જેમ કોઈ ત્રણ વર્ષ અંગ્રેજી સાહિત્ય કે ઇતિહાસ કે સમાજશાસ્ત્ર ભણે, એમ જ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી સર્જનાત્મક લેખન શીખે. આપણે ત્યાં પણ અમુક સાહિત્યિક સંસ્થાઓ અને વિદ્યાલયો સર્જનાત્મક લેખનની શિબિરો ચલાવે છે. સારી વાત છે.

પણ વિદ્યાલયોમાં કે સંસ્થાઓમાં દરેકને પ્રવેશ મળતો નથી. કોઈ જીવનની ઘટમાળમાં ફસાયું હોય, તો કોઈ અમુક ઉંમર પાર કરી ગયું હોય, તો વળી કોઈ એવી ભાષામાં વ્યક્ત થતું હોય જે ભાષાઓમાં ભણાવાતું ન હોય. આવા સંજોગોમાં તાલીમ કેવી રીતે મેળવવી? તાલીમની પ્રક્રિયાને એક સમાજ તરીકે આપણે વિદ્યાલયો અને સંસ્થાઓમાં બંધ કરી દીધી છે. પણ એનાથી વિસ્તરીને વિચારીએ તો શું મળે?

આ બધા પ્રશ્નો મનમાં ત્યારે ઘુમરાયા જ્યારે એક તુર્કી પુસ્તક મારા વાંચવામાં આવ્યું. પુસ્તકનું નામ ‘ઈન જેલ વિથ નઝીમ હિકમત’, અને લેખકનું નામ ઓરહાન કમાલ (Orhan Kemal). પુસ્તક એક સંસ્મરણ છે, એક સુંદર રેખાચિત્ર પણ છે, અને ગુરુ અને શિષ્ય વચ્ચે વિકસતા નાજુક સંબંધનો દસ્તાવેજ પણ છે. નઝીમ હિકમત (Nazim Hikmet) તુર્કી ભાષાના અગ્રણી કવિ ગણાય છે. જે સ્થાન ઉર્દૂમાં ફૈઝ અહમદ ફૈઝનું છે કે સ્પેનિશમાં પાબ્લો નેરુદાનું છે, એવું જ સ્થાન તુર્કીમાં નઝીમ હિકમતનું છે. ઓરહાન કમાલ તુર્કીના સર્વશ્રેષ્ઠ ગદ્યકાર ગણાય છે, અને તેમણે પોતાના જીવનકાળમાં બધા જ ગદ્યસ્વરૂપમાં કામ કર્યું છે. તેમના નામે અઠ્ઠાવીસ નવલકથાઓ, ચૌદ વાર્તાસંગ્રહ અને અઢળક નાટકો-ફિલ્મો બોલે છે. હિકમત વયમાં મોટાં. તેમનો જન્મ ૧૯૦૨માં, અને ઓરહાન કમાલ સાહિત્યકાર તરીકે હજી ભાંખોડિયા ભરતા હતા ત્યાં સુધીમાં નઝીમ હિકમત તુર્કીના અગ્રણી કવિ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. વળી તુર્કી સરકારને હિકમતની કવિતાઓનો ડર લાગતો, એટલે તેમને અઠ્ઠાવીસ વર્ષની જેલની સજા થયેલી. તેમનું મોટાભાગનું સર્જન એક જેલથી બીજી જેલમાં ઉચાળા ભરતા થયેલું.

ઓરહાન કમાલ જ્યારે ચોવીસ વર્ષના હતા ત્યારે તુર્કીની સરકારે તેમને જેલની સજા કરેલી. તેમના પર આરોપ હતો : મેક્સીમ ગોર્કી અને નઝીમ હિકમતના પુસ્તકો વાંચવાનો. ગોર્કી અને હિકમત બંનેને સરકાર સામ્યવાદી લેખકો ગણતી, અને તેમનાં પુસ્તકો કોઈ વાંચતું તો એ પણ સામ્યવાદી જ છે એવું સરકાર માની લેતી અને તેમને જેલમાં બંધ કરી દેતી. ઓરહાન કમાલને ૧૯૩૮માં પાંચ વર્ષની સજા થઈ. યોગાનુયોગ બન્યું એવું કે ૧૯૪૦માં નઝીમ હિકમતને એ જ જેલમાં રાખવામાં આવ્યા જ્યાં ઓરહાન કમાલને બંધ કરેલા. એ જેલમાં બંને એક જ કોઠરીમાં રહ્યા, સાડા ત્રણ વર્ષો સુધી. અને એ સાડા ત્રણ વર્ષ ઓરહાન કમાલ નઝીમ હિકમતના હાથ નીચે વિકસ્યા. જ્યારે જેલમાં ઘૂસેલા ત્યારે ઓરહાન કમાલ એક નવલોહિયા કવિ હતા, અને પાંચ વર્ષ બાદ જેલથી નીકળ્યા ત્યારે તેઓ લેખક તરીકે વિકસી ચૂક્યા હતા. એ વિકાસનો શ્રેય ઓરહાન કમાલ પોતાના ગુરુ નઝીમ હિકમતને આપે છે.

કલ્પના કરો—બહાર બીજા વિશ્વયુદ્ધનો અને વૈશ્વિક અફરાતફરીનો માહોલ છે, જેલની અંદર ચોર, ખૂની, લૂંટારા એકબીજાને મારવા પડ્યા છે, વળી સરકારનો ભય પણ માથે ઝળુંબે છે. આવા સંજોગોમાં નઝીમ હિકમત એક ખૂબ જ શક્યતાઓ ધરાવતા ઓરહાન કમાલ નામના યુવાન લેખકને સાડા ત્રણ વર્ષ સુધી સાહિત્યની તાલીમ આપે છે. કેવી હોય છે એ તાલીમ? હિકમતે ઓરહાન કમાલને શું શીખવ્યું? પુસ્તકમાં કમાલ એ તાલીમની અલગ અલગ ઠેકાણે વાત કરે છે. સવા બસો પૃષ્ઠના આ પુસ્તકમાંથી મુખ્ય સાહિત્યિક લેસનો તારવીને આપ સૌની સમક્ષ રજૂ કરું છું :

૧) સૌથી પહેલું લેસન છે—પોતાનું નૈસર્ગિક સ્વરૂપ સમજવું. સાહિત્યકાર હોય એટલે દરેક સાહિત્યસ્વરૂપમાં સારું કામ કરી જ શકે એવું જરૂરી નથી. જ્યારે કમાલ જેલમાં હતા ત્યારે કવિતા લખતા. એ કવિતાઓ તેમણે હિકમતને સંભળાવેલી, પણ એ સાંભળી હિકમતે તેની ખૂબ ટીકા કરેલી. પણ જ્યારે કમાલે તેમનું ગદ્ય વંચાવ્યું, ત્યારે હિકમત ખુશ થઈ ગયેલા. તેમણે ઓરહાન કમાલને કવિતા છોડી ગદ્ય પર ધ્યાન આપવાનું કહ્યું. ઓરહાને ગુરુની વાત માની અને પરિણામ જુઓ, ઓરહાન કમાલનું ગદ્ય તેમના મૃત્યુના પચાસ વર્ષ બાદ પણ કમાલનું ગણાય છે.

૨) જ્યારથી તાલીમ શરૂ થઈ ત્યારથી જ હિકમત કમાલને કહેતા કે માતૃભાષા સિવાયની કોઈ એક ભાષામાં પ્રવીણતા મેળવવી જરૂરી છે. કમાલને કાચી પાકી ફ્રેંચ ભાષા આવડતી. ફ્રેંચમાં એ નિપુણતા પ્રાપ્ત કરે એટલા માટે રોજ સવારે હિકમત કમાલને ફ્રેંચ શીખવતા. આ પાછળનાં કારણો સમજી શકાય એમ છે. બીજી ભાષા કોઈ પણ લેખકની વાંચનની ક્ષિતિજો તો વિસ્તારે જ છે, પણ સાથે જ પોતાની માતૃભાષાને એક અંતરથી જોઈ શકવાની સુવિધા કરી આપે છે. લેખકનું સાધન તો ભાષા જ છે. પોતાના સાધનને સમજવાની આનાથી વધુ સારી રીત કઈ હોય શકે?

૩) જેવું ભાષાઓનું એવું જ બીજી કળાઓનું. હિકમત બીજી કળાઓ સાહિત્યને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશે સભાન રહેતા. જ્યારે જેલમાં હતા ત્યારે તેઓ એક તરફ કવિતા લખતા, અને કવિતા ન સૂઝે ત્યારે બીજા કેદીઓનાં ચિત્રો બનાવતા. ચિત્રો બનાવતી વખતે કેદીઓને તેમના જીવન વિશે પૂછતા. કેદીઓની જીવનકથાઓને હિકમતે તેમના કાવ્ય ‘હ્યુમન લેન્ડસ્કેપ્સ ફ્રોમ માય કન્ટ્રી’માં ખૂબ જ દૃશ્યાત્મક રીતે કેદ કરી છે. બીજી કળાઓ થકી પોતાનાં લખાણને ચમક આપવાની આ ક્ષમતા ઓરહાન કમાલે હિકમતમાં જોઈ, અને શીખ્યા. આગળ જતા તેમણે વાર્તા-નવલકથાની જોડે ફિલ્મો ય લખી જ તો!

૪) હિકમતે કમાલને કોઈ પણ લખાણનું માળખું સમજવાની તાલીમ પણ આપેલી. પ્રેક્ટિસ તરીકે હિકમત છૂટીછવાઈ પંક્તિઓ કમાલને આપતા, અને પછી એ પંક્તિઓને એ રીતે ગોઠવવાનું કહેતા કે એમાંથી કોઈ સુંદર કવિતા બને. અરેન્જમેન્ટ, એટલે કે ગોઠવણનો કસબ કોઈ પણ સાહિત્યકાર માટે બહુ મહત્ત્વનો છે. માળખાની કસોટી ભલભલા મોટાં લેખકોને ય હંફાવે છે ત્યારે આ પાયાનો કસબ નવા લેખકો જેટલો જલદી હસ્તગત કરે એટલું સારું.

૫) હિકમત ઓરહાન કમાલનાં લખાણોનો ખૂબ વિગતે અને ઝીણવટપૂર્વક પ્રતિભાવ આપતા. ક્યારેક તો ખૂબ ઝીણું કાંતતા, અને વાક્યરચનાઓમાં વિરામચિન્હોની કેવી અસર હોય છે એ વિગતે કહેતા. જેમ કે, એક જગ્યાએ હિકમત કહે છે કે સારા અને ખરાબ લખાયેલા વાક્ય વચ્ચે બહુ સાદો ફરક છે. જો વાક્ય વિરામચિહ્નો કાઢી નાખ્યા પછી પણ સમજાય તો એ સારું વાક્ય છે. પણ જો વાક્ય વિરામચિન્હોની મદદ વગર ન સમજી શકાય તો માની લેવું કે વાક્યમાં કંઈક ગરબડ છે, અને એને સુધારવાની જરૂર છે. હિકમત ઉપમા-અલંકારોથી સાવચેત રહેવાની પણ સલાહ આપતા. કહેતા, કે એક જ વાક્યમાં બે ઉપમાઓ વાપરવી હિતાવહ નથી કારણ કે એ એકબીજાની અસર કાપી નાખે છે અને છેવટે વાક્ય ધારી અસર ઉપજાવી શકતું નથી. આવા ઝીણવટપૂર્વકના પ્રતિભાવોથી આડકતરી રીતે એ કમાલને વાક્યરચનાઓ વિશે, વિરામચિહ્નો વિશે, ઉપમા-અલંકારો વિશે સભાન કરતાં. ભાષા વિશેની સભાનતા વિકસે એ કોઈ પણ લેખકને કેવી રીતે મદદ ન કરે?

૬) ઓરહાન કમાલ એક જગ્યાએ કહે છે કે નઝીમ હિકમતે તેમને દુનિયાને કલાકારની નજરે જોતા શીખવ્યું. અલગ અલગ કસબ તો તેમણે શીખવ્યા જ, પણ કળા વિશેની આ પાયાની સમજણ હિકમતે ઓરહાન કમાલને આપી. કમાલ ‘જોવા’ અને ‘નિહાળવા’ વચ્ચે ભેદ કરે છે. દુનિયાને ‘નિહાળે’ છે સૌ, પણ બહુ થોડા જ એને ખરેખર ‘જોઈ’ શકે છે. નિહાળવા માટે દૃષ્ટિ જોઈએ, પણ જોવા માટે દૃષ્ટિકોણ. અને કળાનો મામલો દૃષ્ટિનો નહિ, દૃષ્ટિકોણનો છે.

૭) હિકમતે ઓરહાન કમાલને એવી સલાહ ય આપેલી જે દરેક લેખકે અંકે કરવા જેવી છે. તેમણે કમાલને કહેલું : સતત, એકધાર્યું લખતા રહેવું, અંગત નુકસાનો વેઠીને પણ. લખવું એ જેટલો નૈસર્ગિક પ્રતિભાનો સવાલ છે, એટલો જ મહેનત અને શિસ્તનો પણ છે. ઓરહાન કમાલનું વિપુલ માત્રામાં થયેલું સર્જન આ વાતનો પુરાવો છે કે તેમણે ગુરુની વાત માનેલી.

પુસ્તકમાં આવા સાહિત્યિક પાઠ તો છે જ, પણ સાથે જ જેલમાં ગાળેલાં સમયનાં સ્મરણો, અંગત સંબંધો, વિશ્વયુદ્ધની જેલમાં થયેલી અસરો વગેરે અનેક નાની-મોટી બાબતોનું પણ ખૂબ જ અસરકારક રીતે નિરૂપણ થયેલું છે. પુસ્તકમાંથી પ્રાપ્ત થતી સૌથી મહત્ત્વની દલીલ એ છે કે સાહિત્યિક તાલીમ ક્યાં ય પણ મેળવી શકાય છે. એના માટે વિદ્યાલયો કે સંસ્થાઓનો સહારો મળે તો ઠીક, પણ એ જરૂરી નથી. જરૂરી તો છે સારા શિક્ષકનું મળવું. સારા શિક્ષક મળે તો સાહિત્યિક તાલીમ ચોર, લૂંટારા, ખૂનીઓ વચ્ચે, જીવનના રહેંસી નાખે એવા ભરપૂર દબાણ હેઠળ, જેલની ચાર દીવાલો વચ્ચે ય મેળવી શકાય છે!

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આજના યુગમાં બાપુ

લેખક : ડૉ. સુદર્શન આયંગર  • અનુવાદક : આશા બૂચ|Gandhiana|4 November 2022

(પ્રસિદ્ધ ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા India@75ની ઉજવણીના ભાગ રૂપે આયોજિત એક ઇન્ટરનેટ આધારિત અનૌપચારિક સભામાં ડૉ. સુદર્શન આયંગરે આપેલ વક્તવ્ય ઇંગ્લિશમાં લિપિબદ્ધ થયેલ, જે લેખકની અનુમતિ મેળવીને ‘ઓપિનિયન’ના વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત)

ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં કહેલું કે કોઈ પણ કાર્ય જો તેમનાથી થઇ શકે તો બીજા કોઈ પણ એ કાર્ય જરૂર કરી શકે. ખુદ એક બાળક પણ એ અમલમાં મૂકી શકે. આ સંદર્ભમાં આજે આપણે બાપુને કઈ દૃષ્ટિથી જોઈ શકીએ?

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર અને વિદ્વાન ગોપાલકૃષ્ણ ગાંધીએ જણાવ્યું છે કે ગાંધી કેટલાક લોકો માટે અડચણ રૂપ હતા. કદાચ વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો માટે તેઓ પ્રતિકૂળ હોઈ શકે. ગાંધીજી શા માટે ખાસ કરીને યુવા પેઢી માટે અગવડભર્યા લાગે છે? તેઓ અડચણ રૂપ કદાચ એટલા માટે હોઈ શકે કે જ્યારે તેમણે 58-59 વર્ષની વયે આત્મકથા લખી, ત્યારે તેની પ્રસ્તાવનામાં દાવો કર્યો કે પોતાની જાતનું મૂલ્યાંકન કરતાં તેઓને પ્રતીતિ થઈ કે ઈશ્વર/સત્યની ખોજ હજુ અધૂરી છે, કેમ કે તેમના પ્રયાસોમાં ઊણપ રહી જવા પામી છે. જાતની આકારણી કરતાં ગાંધીજીએ તુલસીદાસના ભજનની કડી ટાંકી :

मो सम कौन कुटिल खल कामी |

जिन तनु दियो ताहि बिसरायो ऐसो निमकहरामी |

સામાન્ય રીતે આપણામાંના મોટા ભાગના લોકો જાતનું મૂલ્યાંકન કરવા માટે ઉપર કહ્યો તે માપદંડ વાપરતા ડરીએ છીએ. ગાંધી એ કરી શક્યા કેમ કે તેમણે જીવનની શરૂઆત બાળક મોહન તરીકે કરી. આપણે એ વ્યક્તિના મોહન, મોહનદાસ અને મહાત્મા એવા ત્રણ પાસાને સ્મરણમાં રાખીએ. આપણે માનવ સ્વરૂપ કૃષ્ણને ભગવાન સ્વરૂપે જોયા અને તેમનાં કર્મોને ‘લીલા’ તરીકે ઓળખવા માંડ્યા, એ રીતે આપણે ‘મોહન’ને પણ થોડા સમયમાં ભગવાન બનાવી દઈએ તેવો ભય છે! પરંતુ મોહનને પોતાના બાળપણથી માંડીને કરેલી યાત્રા બરાબર સમજાઈ હતી અને સતત આત્મપરીક્ષણ કરતા રહેવાથી તેમ જ સદાય સચેત રહેવાને પરિણામે તેઓ આપણા સહુના ‘બાપુ’ બન્યા. મારા મતે બાપુ સુંદર શબ્દ છે, કેમ કે એ આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. બાપુ શબ્દ અંગત પ્રેમ સાથે ઉચ્ચારવામાં આવે છે. તેઓ સર્વે માટે ‘મારા પોતાના’ છે. તો બાપુ બનવા માટેનો મહાવરો તેઓ ‘મોહન’ હતા ત્યારથી  કરતા રહ્યા હતા. બાપુ – એક મુમુક્ષુ – મોક્ષના શોધક આમ તો બચપણથી શોધક રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેઓ સામાન્ય અર્થમાં જેને ધાર્મિક કહેવાય તેવા ધાર્મિક નહોતા. તેઓ ક્રિયાકાંડમાં નહોતા માનતા. ઊલટાનું હિન્દુ ધર્મનો પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિ જ્યારે તેમણે વાંચ્યો, ત્યારે તેઓ અજ્ઞેયવાદી થઇ ગયા. મુમુક્ષુ મોહનદાસે હિમાલયની કોઈ ગુફામાં જઈને એકાંતવાસ નહોતો સ્વીકાર્યો, પરંતુ તેઓ તો આ ‘દુન્યવી’ વ્યવહારોની તદ્દન મધ્યમાં રહ્યા અને તેમનું હૃદય અને મન સતત સત્યની શોધમાં વ્યસ્ત રહ્યું. જાણે તેઓ કબીરનો આ સંદેશ બરાબર સમજ્યા

माला फेरत जुग भया, फिरा न मन का फेर,

कर का मनका डार दे, मन का मनका फेर |

આ કડીઓનો અનુવાદ કરવો સરળ નથી અને હું એમ કરવા ધારતો પણ નથી. ભારતના લોકોને કબીરના દોહા અને બાપુના પ્રયાસોનું હાર્દ શું હતું તે સમજવા દો. આપણે છાપરે ચડીને પોકારીએ છીએ કે યુવાનોમાં જોમ અને જુસ્સો હોય છે અને આપણે તેમને રોકવા ન જોઈએ. એ આકાંક્ષા શું ચીજ છે? દરેક ભૌતિક વસ્તુઓ જે વ્યક્તિની પહોંચમાં હોય અને જલદીથી પ્રાપ્ત થઇ જાય તે મેળવવાની મહત્ત્વાકાંક્ષા. એ માટે મને સ્વતંત્રતાની ખેવના છે, સ્વચ્છંદી સ્વતંત્રતાની ઈચ્છા. દરેકને પોતાની પસંદગી પ્રમાણે ઇચ્છિત વસ્તુ મેળવવાની સ્વતંત્રતા હોવી જોઈએ, તે યોગ્ય છે. પરંતુ  વિવાદનો મુદ્દો એ વલણનો છે,  ‘એ મારી જિંદગી છે’ તમે તેમાં દખલ કરનાર કોણ? હું મારી જાતને ઈચ્છું તો ખતમ કરી નાખીશ, દુનિયાને ભડકે ઉડાડી દઈશ જો એ મને પસંદ ન પડે તો; મારે જે કરવું હોય તે કરીશ; એ મારી સ્વતંત્રતા છે અને તેમાં કોઈ મારા માર્ગમાં ન આવી શકે. હું ગમે તે ખરીદી શકું, મન ફાવે તેમ વર્તી શકું, હું જે ચાહે તે ખાઈ-પી શકું …….’

અહીં બાપુ કહે છે, સાંભળો, મેં આમાંનું કેટલુંક અજમાવી જોયેલું અને તે મને ફાયદાકારક ન લાગ્યું, કેમ કે ભૌતિક સિદ્ધિ વાંછનીય નથી, તે તમારી મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા પૂરતી મર્યાદિત હોવી જોઈએ. તેમણે એમ પણ કહેલું કે તેઓ કોઈ નવી વાત પ્રતિપાદિત નહોતા કરતા. આપણી સંસ્કૃતિનું સંચિત શાણપણ દરેક યુગમાં વહેતુ આવ્યું છે. બાપુ કદાચ કબીરના આ દોહાથી પરિચિત હશે.

गो-धन, गज-धन, वाजि-धन और रतन-धन खान,

जब आ जावे संतोष-धन, सब धन धूरि समान |

આ સંચિત શાણપણ આપણી પાસે સદીઓથી જળવાતું આવ્યું છે. શાસ્ત્રોમાં લખાયેલ છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ આ રીતે થાય છે :

ईशावास्यम इदम् सरवम् यत्किंचित जगत्याम जगत |

त्येन त्यक्तेन भुंजिथा मा गृध, कस्यसविद धनम् |

ભગવાન બુદ્ધે પણ આ જ બોધ આપેલો. તેમણે કહ્યું, ‘સામાજિક’ અર્થવ્યવસ્થા કરુણા પર આધારિત હોવી જોઈએ. મોહનદાસ ગાંધીએ આ જ વાત 19મી સદીમાં દોહરાવી અને 20મી સદીમાં આપણને તેની યાદ અપાવે છે. અને છતાં આપણે બે-લગામ સ્વેચ્છાચારી સ્વતંત્રતા અને અમર્યાદ ભૌતિક સુખની કામના કરીએ છીએ.

આ કામનાઓને પોષવા આપણે આપણા જીવનની અંદર પડેલા દુ:શ્મનો નહીં પણ બાહ્ય તત્ત્વો જેવા કે જ્ઞાતિ, ધર્મ અને પંથના વાડાઓ જેવા દુ:શ્મનોને શોધીએ છીએ. મુસ્લિમોનો દોષ છે, એ લોકો આપણને આપણા લાભોથી વંચિત રાખે છે, દલિતો અને જનજાતિઓ આપણા ધનમાં ભાગ કેમ પડાવી જાય? એ લોકો કશું કામ કરતા નથી, તેમને ધન મેળવવાનો કશો અધિકાર નથી. તેમાં વળી પાકિસ્તાન અને ચીન આપણને આપણી કાર્યક્ષમતાની પૂર્તિ કરવામાં વિઘ્નરૂપ બને છે. આપણે જાતે જ ફ્રેન્કીનસ્ટીનનું સર્જન કર્યું છે. આપણે કદી આપણા હૃદયમાં ઝાંકીને નથી જોયું. આપણે કદી ‘મનના મણકા’ તરફ નજર નથી કરી. આપણે ‘કરના મણકા’માં રચ્યા રહીએ છીએ. આથી જ આપણે રામના મંદિર કે મસ્જિદ માટે લડીએ છીએ. આ જ ખરો મુદ્દો છે. શું વધુ મહત્ત્વનું છે? આ કોઈ નવી સમસ્યા નથી, આપણને ભૂતકાળમાં પણ તેની ચેતવણી મળી હતી. કબીરે પડકાર ફેંકેલો :

काकर पाथर जोड़ के मस्जिद दियो चिनाय |

ता चढि मुल्ला बांग दे क्या बहिरो हुआ खुदाय ||

पाहन पूजे हरि मिले तो मैं पुंजू पहाड | 

या ते या चाकी भली पिसी खाय संसा ||

કબીરે આપણને એ જમાનામાં કહેલું. આપણે શાંતિથી રહેતા શીખ્યા. કબીરમાં હિંમત હતી. મોહનદાસ ગાંધીમાં એવી જ હિંમત હતી. આથી જ તો 76 વર્ષની વયે બંગાળની ધરતી ઉપર એક માનવીના બનેલ લશ્કર એવા ગાંધી મુસ્લિમોને હિંદુઓ ઉપર અત્યાચાર કરવા બદલ સખત ઠપકો આપવા અને બિહારમાં હિંદુઓને મુસ્લિમો ઉપર જુલ્મ કરવા બદલ આકરો ઠપકો આપવા નીકળી પડ્યા. એક માનવીના આવા મક્કમ નિર્ધાર સાથેના પ્રયાસો જોઈને માઉન્ટબેટને કહેલું, ગાંધી એકલ વીરની માફક બંગાળમાં હિંસા સામે લડ્યા અને શાંતિ સ્થાપવામાં સફળ થયા, જ્યારે પંજાબમાં 55,000નું સૈન્ય શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયું. આ એ વિભૂતિ છે જેમણે પોતે આપેલી વ્યાખ્યા મુજબનું સ્વરાજ – સ્વ નિયંત્રણ હાંસલ કર્યું હતું. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થાય છે, પરંતુ ગાંધીજીના દૃષ્ટિકોણ મુજબની આઝાદી હાંસલ કરવાની હજુ બાકી છે. 15મી ઓગસ્ટ 1947ના દિને જ્યારે ગાંધીજીએ કહ્યું કે પોતે જે સ્વરાજ માટે લડ્યા હતા એ આ સ્વરાજ નથી, એટલે ત્યારે પણ સ્વરાજ આવવાનું બાકી હતું અને અત્યારે પણ બાકી છે. તેમણે કહેલું કે તેમના સ્વપ્નનું સ્વરાજ હજુ હવે આવશે. યુવાનોને સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોઈએ છે, તે શા કાજે? ધિક્કાર અને નફરત કરવા માટે? હું જો અન્યનો ધિક્કાર કે નફરત કરું તો હું કઈ રીતે સ્વતંત્ર અને સ્વાયત્ત બનું? આપણું શાણપણ કહે છે :

यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति |

सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ||

જો હું સર્વ ભૂતોને મારામાં જોઈ શકું અને મારી જાતને જોઉં છું તેમ જ અન્યને જોઉં તો હું અન્યને કેવી રીતે ધિક્કારી શકું? બાપુ આ સમજ્યા અને તેને યથાર્થ કરવાની કોશિશ કરી. આ એમના સ્વપ્નનું વાસ્તવિક સ્વરાજ છે.

વર્તમાન સમયમાં બાપુ સમગ્ર માનવ જાત માટે કરેલ મુખ્ય ત્રણ પ્રદાન માટે સહુથી વધુ પ્રસ્તુત છે; એ ત્રણ વિભાવનાઓ છે રચનાત્મક કાર્ય, સત્યાગ્રહ અને વ્યક્તિગત સ્વરાજ. આમાંની છેલ્લી બાબતને આજે સહુથી વધુ અવગણવામાં આવી રહી છે કેમ કે એ આપણને અગવડતા ભરી લાગે છે. એનું કારણ એ છે કે મારે આજે ખૂબ ધન કમાવું છે, જલદીથી અને કોઈ પણ રીતે; કેમ કે મારે વધુ ને વધુ મોટું પગારનું પડીકું જોઈએ છે, મને જે મળે તેનાથી હું સંતુષ્ટ નથી. હું માનુ છું કે મને વધુ ધન મળવું જોઈએ. તમે વધુ ધનના અધિકારી છો તે શા કારણે? એ વધુ મેળવવા ખાતર અને કઇં પણ જતું ન કરવાના વલણને કારણે તમે આ વિચારો છો. મને કહેતાં અત્યંત શરમ આવે છે કે આજનો ભારતનો નાગરિક આ છે – ગૌરવમય ભારત, વિશ્વગુરુ ભારત. મેં જ્યારે કહેલું કે આપણે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી(CSR − સહિયારી સામાજિક જવબદારી)નો કાયદો ઘડવો જોઈએ ત્યારે મને એ કહેતાં ગ્લાનિ થયેલ. ભારત પહેલાં હતું અને હજુ આજે પણ મહાજનોનો દેશ છે કે જે પોતાની મિલકતને સમાજની મિલકત ગણે છે. બાપુને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો વિચાર ભારતમાં સ્ફૂર્યો તે માત્ર અહીંની મહાજનની પ્રણાલીને પ્રતાપે. હું આજના યુવાનોને કહેવા માંગુ છું કે આવી મહત્ત્વાકાંક્ષા સેવવા યોગ્ય છે. કેટલાક લોકોમાં એ છે, પણ તે પૂરતું નથી, કેમ કે મોટા ભાગના લોકોને મેળવવું છે, પણ આપવું કંઈ નથી. મને સરકાર કહે કે મારા નફાના 5% લોકોના ભલા માટે વાપરું એવું મારે નથી જોઈતું. સરકારને આપણને નફો કઈ રીતે થયો એ જાણવાની જરા પણ તમા નથી. તમે ગેરવ્યાજબી રીતો અપનાવો છતાં કોઈ પકડે પણ નહીં, દંડમાંથી મુક્તિ મળી ગઈ હોય અને તમે પ્રદૂષણ પણ કરી શકો, જ્યારે વ્યાજના દર સાધારણ હોય ત્યારે પણ તમે કરચોરી કરી શકો. ખ્રિસ્તી ધર્મની નૈતિકતાએ પરિવાર અને માનવ જાત માટે પ્રામાણિક સાધનો દ્વારા ધન કમાવાને માન્યતા આપી, પરંતુ પ્રામાણિક માધ્યમોની ભલામણ નહોતી કરી. આપણને CSRની જરૂર છે? જો દરેક નાગરિક એમ માને કે વ્યક્તિગત જવાબદારીનું કોઈ મહત્ત્વ નથી, તો સરકાર દ્વારા ફરજિયાત થયેલ CSRની જરૂર રહે.

બાપુએ આપણને બતાવી આપ્યું કે વ્યક્તિનું ચારિત્ર્ય ઘડવાથી મહાન પરિવર્તન લાવવા માટે કેવી રીતે પથ કંડારી શકાય. આજે માનવ જાતની આ સહુથી મોટી કટોકટી છે. હું શા માટે માનવ જાતની કટોકટી કહું છું? કારણકે ચારિત્ર્ય એ દરેક પ્રકારની સંવાદિતાનો પાયો છે.

વ્યક્તિગત સ્તરે ચારિત્ર્ય ઘડતર માટે સઘન પ્રયાસ કરવામાં ન આવે તો વ્યક્તિ જાત સાથે, સમાજ સાથે અને ધરતી-પ્રકૃતિ સાથે સંવાદિતા ન સાધી શકે. આપણા ગ્રંથોએ આપણને વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ સાથે અખંડિતતા અને સુમેળ સાધવા માર્ગદર્શન આપેલું છે. આપણે સાંભળીએ છીએ કે આજનો નાગરિક આંતરિક અસ્વસ્થતા અનુભવે છે. આ ચેતવણી છે; આંતરિક સંવાદિતાનો અભાવ સમાજને પણ છિન્નભિન્ન કરી નાખશે કે જે સૃષ્ટિ એટલે કે કુદરતને પણ અવળી અસર પહોંચાડશે કે જેની શરૂઆત થઈ ચૂકી જ છે.

યુદ્ધનો ઉકેલ માનવ જાતે શોધ્યો પણ તે અવિચારીપણે બળનો ઉપયોગ કરવો અથવા અણુશસ્ત્રોનું ઉન્મૂલન કરવામાં ભાળ્યો. દેખીતી હિંસા ક્રૂર બળથી કાબૂમાં લાવી શકાય, પરંતુ આપણા આર્થિક-સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓમાં માળખાકીય હિંસા પ્રબળ બની જાય. આપણે હાલમાં રાજકીય શક્તિના કેન્દ્રીકરણના સાક્ષી બની રહ્યા છીએ કે જે આર્થિક કેન્દ્રીકરણમાંથી બળ મેળવી રહ્યું છે. આ બંને વચ્ચેની સાંઠગાંઠ પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક માનસમાં દયાહીન શક્તિનો સંચાર કરે છે. શોષણ અને અન્યાય તેના પરિણામો છે. આપણે પોતાની જાતને બંધારણમાં આપેલ વચનોથી દૂર હઠતા જઈએ છીએ – સ્વતંત્રતા, ન્યાય, સમાનતા અને બંધુતા. કારણ કે આપણી આંતરિક શાંતિ અને સંવાદિતા ક્ષીણ થતી ચાલી છે.

આપણને દેશના યુવાનોની મહત્ત્વાકાંક્ષા સાથે ખીલવાડ કરવો છે. આપણે તેમને વચન આપ્યું છે કે અમે તમને એક ઊંચાઈ સુધી લઇ જઈશું. કઈ ઊંચાઈ? અમેરિકા જે ઊંચાઈ પર પહોંચ્યું છે તેના પર? એ સ્તર માટે આટલા ઝુરીએ છીએ? જો એવી ઉત્કંઠા જ્ઞાન, વિજ્ઞાન, અને આંતરિક વિકાસ માટેની હોય તો તે આવકાર્ય છે. પણ આતો ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને ઊંચા જીવનધોરણની ઘેલછા વિષે છે. એવી મહત્ત્વાકાંક્ષાઓ સામે ભાગ્ય જ કોઈ સવાલ ઉઠાવતું હોય છે. બાપુએ સતત એ વિષે વિના વિલંબ સવાલો ઉઠાવ્યા હોત. આ કારણસર બાપુ અડચણ રૂપ છે. અહીંથી સંઘર્ષ શરૂ થાય. એ સંસાધનોનો સંઘર્ષ છે. હું શાની સાથે લડાઈ કરું છું કે કયા ધર્મ કે જ્ઞાતિને બદનામ કરું છું; કેમ કે હું સત્તા મેળવવા સંસાધનોનો સંગ્રહ કરવા માગુ છું.

આ જ ખરી કટોકટી છે. હું વ્યક્તિગત સ્વરાજ માટે મથતો નથી. મારામાં આંતરિક સંવાદિતા છે, જે મારા ચારિત્ર્યની મજબૂતાઈમાંથી નીપજે છે. પણ કમભાગ્યે શિક્ષણનું એ એક માત્ર કાર્યક્ષેત્ર નથી – આ હકીકત હોવા છતાં 2020ની નવી શિક્ષણ નીતિ તેમાં પાર નથી ઉતરતી. અને જ્યારે વ્યક્તિ સતત ભૌતિક સાધનોનો તરસ્યો રહેતો હોય અને જ્યારે સમાજ માત્ર એ સંસાધનો પાછળ જ દોટ મૂકતો હોય ત્યારે ભૌગોલિક રાજનીતિ વિષયક રણસંગ્રામની સ્થિતિ સર્જાય છે. આપણે મર્યાદિત કુદરતી અને ભૌતિક સાધનોનો વિનાશ કરવાની હરીફાઈમાં ઉતર્યા છીએ. એ ક્યારે ય માનવીની અમર્યાદ વાંછનાની પૂર્તિ ન કરી શકે. પરિણામે આપણે સદંતર વિસંવાદિતા અનુભવીએ છીએ.

મોહન તેની બાલ્યાવસ્થાથી જ વચન, કર્મ, વર્તન અને જીવનમાં સત્યની શોધ માટે પોતાનું ચારિત્ર્ય ઘડતો આવેલો. સત્યના પથ ઉપર ચાલવાનું તેમને અહિંસા તરફ દોરી ગયું અને એને તેમણે પ્રેમનું બળ અથવા સત્યનું બળ નામ આપ્યું. આ પ્રેમનું બળ એ તેમનો સંદેશ છે અને જ્યારે હું મારામાં એ પ્રેમના બળનો સંચાર કરું છું ત્યારે હું कबीरा निर्मल हो जाना, तज कर मान गुमान | એવો બની જાઉં છું.

આપણા બધાનું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. જ્યારે આ આંતરિક યાત્રા શરૂ થાય ત્યારે ભૌતિક વસ્તુઓની ઝંખના સંકોચાતી જાય છે. હું આખી જિંદગી આ ચંપલ પહેરતો આવ્યો છું, મારે કોઈ રૂપકડા પગરખાંની જરૂર નથી. આ મારા પગની પૂરતી રક્ષા કરે છે. મને કોઈએ કશું કાર્ય કરતા રોક્યો નથી કે તે વિષે પરવા કરી નથી કેમ કે તેમાંના કેટલાક તો પગરખાં પહેરતા પણ નથી. મેં વીસ વર્ષથી ટેલ્કમ પાઉડર પણ નથી વાપર્યો. મહેરબાની કરીને આ સમજવા કોશિશ કરો. જ્યારે આપણે આપણી જરૂરિયાતો ઘટાડીએ ત્યારે અન્યને પોતાના તરફ આકર્ષી શકીએ. આપણો અન્ય સાથેનો સંઘર્ષ ઓછો થવા લાગે. જ્યારે કોઈ નિર્મળ થાય ત્યારે સર્વમાં પોતાની જાતને અને સર્વને પોતાનામાં જોતો થાય અને એટલે એ કોઈને નફરત ન કરે. બાપુએ હિન્દ સ્વરાજના 17માં પ્રકરણમાં કહ્યું કે તેઓ પ્રેમની શક્તિ તુલસીદાસ પાસેથી સમજ્યા

दया धर्म का मूल है, देह मूल अभिमान |

तुलसी दया न छांडिये जब लगी घट में प्राण ||

જ્યારે તમારામાં પ્રેમની પ્રખર લાગણી ઉભરાય ત્યારે તમે અન્ય માટે તમારી જિંદગી આપવા તૈયાર થઇ જાઓ.

મેં બાપુ આપણા સમયમાં એ વિષે આ સંદર્ભમાં એટલા માટે વાત કરી કે શાસ્ત્રીય નૃત્યના જગ વિખ્યાત કલાકાર પ્રતિભા પ્રહ્લાદે આપણેને સહુને બાપુ વિષે વિચારવા એકઠા કર્યા કારણ કે તેઓ માને છે કે બાપુની વિચારધારાઓ અને કર્યો આપણને આ ભયાનક પર્યાવરણીય અને માનવજાતિને સ્પર્શતી કટોકટીમાંથી ઊગારી શકે. કલા સંવાદિતા સર્જે છે અને તેમણે પૌરાણિક કથાઓને પસંદ કરવાને બદલે બાપુનાં જીવન મૂલ્યોને સંવાદિતાને રજૂ કરવા નૃત્યના રૂપમાં રજૂ કર્યા. આ જ સ્વતંત્રતાની ખરી ચાવી છે. ગાંધી મુક્ત થઇ ગયા. આપણે બાપુ નહીં બની શકીએ, બાપુ તેમ ઈચ્છત પણ નહીં. આપણે તેમણે જે મૂલ્યોને અમલમાં મુકવાની કોશિશ કરી અને ભલામણ કરી તેને આપણી આંતરસૂઝ મુજબ સમજીને એ પગલે ચાલીએ. જો આપણે એ કરી ન શકીએ તો બાપુ આપણે માટે અડચણ રૂપ છે. નહીં તો બાપુ આપણા સમયમાં ખુદ નાના બાળક માટે પણ અને આપણા સહુ માટે અનુસરવા સહેલા છે. 

e.mail : 71abuch@gmail.com

Loading

પંચાયતીરાજ, સત્તાનું વિકેન્દ્રીકરણ અને વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 November 2022

પંચાયતીરાજ પ્રથાને ભારતનો પ્રાચીનતમ ભવ્ય વારસો ગણવામાં આવે છે. ‘મહાભારત’ના શાંતિપર્વમાં ગ્રામસભાનો અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ગ્રામપંચાયતનો નિર્દેશ મળતો હોવાની ગવાહીઓ રજૂ કરાય છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતનાં મોટાં શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર દાખલ કરવામાં આવ્યું હોવાના કે આઝાદી પૂર્વે પંચાયતોની રચના સંબંધી કાનૂની પગલાં લેવાયાના દાખલા દેવાય છે.

જો કે ભારતીય બંધારણના મુસદ્દાના પ્રથમ વાચન સુધી બંધારણમાં પંચાયતીરાજનો કોઈ જ ઉલ્લેખ નહોતો. ગાંધીજીનું તે તરફ ધ્યાન દોરવામાં આવતાં ૨૬મી ડિસેમ્બર ૧૯૪૭ના ‘હરિજન બંધુ’માં એમણે લખ્યું : ‘પંચાયતની ઉપેક્ષા તાત્કાલિક ધ્યાન માંગી લે તેવી છે. પંચાયતોને જેટલી વધુ સત્તા તેટલું લોકને માટે સારું છે. નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવા મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે. હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગું છું.’ ગાંધીજીના આ અભિપ્રાય પછી બંધારણના બીજા વાચન વખતે પંચાયતીરાજને બંધારણમાં સામેલ કરવાની માંગ ઊઠી.પરંતુ તેમ કરતાં બંધારણના ઘડતરનું કામ વિલંબમાં મુકાવાની શક્યતા હોઈ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતને સામેલ કરતી કલમ ઘડીને સંતોષ મનાયો હતો.

બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર ગાંધીજીના ગ્રામસ્વરાજ અને પંચાયત અંગેના વિચારોના વિરોધી હતા. તેઓ ભારતનાં ગામડાંઓને સંકુચિતતા, અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર માનતા હતા. એટલે આપણા શાસનવિધાને ગામડાંને એકમ બનાવવાને બદલે વ્યક્તિને એકમ બનાવી યોગ્ય જ કર્યું હોવાનો તેમનો મત હતો.’

બંધારણના અનુચ્છેદ ૪૦ મુજબ પંચાયતોની રચના કરવાની સત્તા રાજ્યોને હતી અને રાજ્યો તે બાબતમાં ઉદાસીન હતા. પંચાયતી રાજ રચના અંગેની બળવંત રાય મહેતા સમિતિએ તેના ૧૯૫૭ના અહેવાલમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થાની ભલામણ કરી હતી. તેને અનુસરીને  બીજી ઓકટોબર ૧૯૫૯ના રોજ રાજસ્થાનના નાગૌર જિલાના બગધરી ગામેથી પંચાયતીરાજનો આરંભ થયો. પરંતુ વરસો સુધી તમામ રાજ્યોએ ત્રિસ્તરીય પંચાયતોની રચના કરી નહોતી. રાજીવ ગાંધીના રાજકીય સલાહકારોએ એમને પંચાયતીરાજ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને પછી તો એ તેમના માટે વળગણ બની ગયું હતું. રાજીવ ગાંધીની હત્યા પછી કેન્દ્રમાં સત્તાનશીન થયેલી કાઁગ્રેસની પી.વી. નરસિંહરાવ સરકારે ૧૯૯૩માં ૭૩મો અને ૭૪મો બંધારણ સુધારો પસાર કર્યો હતો. તેને લીધે દેશમાં એક સરખું ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલી બન્યું હતું.

ગ્રામ પંચાયત અને નગરપાલિકા ગ્રામીણ અને શહેરી ભારતની સ્થાનિક સ્વશાસન પ્રણાલી છે. પંચાયતોની દર પાંચ વરસે નિયમિત ચૂંટણી, ગ્રામસભા અને અનુસૂચિત જાતિ-જનજાતિ માટે અનામત બેઠકો બંધારણ સુધારા પછી શક્ય બની છે. તેમાં મહિલા અનામત અને અન્ય પછાત વર્ગો માટેની અનામત પાછળથી ઉમેરાઈ છે. સામાન્ય રીતે સત્તાથી વંચિત રહેતા આ વર્ગોને ન માત્ર સભ્યપદમાં હોદ્દાઓમાં પણ અનામત આપવામાં આવી છે. સંવિધાનની ૧૧મી અને ૧૨મી અનુસૂચિ પ્રમાણેનાં કાર્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાના હોય છે. પરંતુ આર્થિક વિકાસ, સામાજિક ન્યાય અને કેન્દ્ર તથા રાજ્યોની યોજનાઓનું અમલીકરણ તેનું મુખ્ય કામ છે. લોકતંત્ર મૂળભૂત રીતે તો વિકેન્દ્રિકરણ આધારિત શાસન વ્યવસ્થા હોવી જોઈએ એ અર્થમાં ગ્રામપંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકા તેના કાર્યોને જોતાં લોકતંત્રનો પાયો અને મજબૂત આધાર છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેનાથી જ લોકતંત્ર મજબૂત બની શકે છે. પરંતુ રીઢા રાજકારણીઓએ લોકતંત્રના આ પાયાને નબળો પાડ્યો છે. કોઈ સરકાર સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છતી નથી. તેના માટે વિકેન્દ્રીકરણ એટલે પોતાની સત્તામાં કાપ કે ભાગ છે. ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા તેમની જરૂરિયાતો અને વિકાસ કામો માટે રાજ્ય સરકારો પર આધારિત રહે તેવું માળખું ઘડાયું છે. સ્થાનિક સ્વરાજ નામ માત્રનું છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા ત્યારે જ ખપની જ્યારે તે આર્થિક રીતે પગભર હોય. પંચાયતો હોય કે નગરપાલિકા તે નાણાંની બાબતમાં  રાજ્યોની દયા પર જીવે છે. તે આર્થિક રીતે તો જરા ય આત્મનિર્ભર નથી જ નિયમોની જટાજૂટ અને અમલદારશાહી પણ તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેતી નથી.

સમાજના જે વર્ગોનું સત્તામાં પ્રતિનિધિત્વ નથી તેને પ્રતિનિધિત્વ મળી રહે અને લોકશાહી સમાવેશી તથા સાર્થક થાય એટલા માટે મહિલાઓ, પછાત વર્ગો, આદિવાસીઓ અને દલિતોને અનામત આપવામાં આવી છે. મહિલાઓ માટેની પચાસ ટકા અનામતનો અમલ તો થાય છે, પરંતુ ખરી સત્તા તો મહિલાને બદલે ઘરનો પુરુષ જ ભોગવે છે. ખુદ વડા પ્રધાને તેમની થોડા મહિના પહેલાંની ગુજરાત મુલાકાત વખતે જાહેરમાં સરપંચ પતિ અંગે ટકોર કરી હતી. એટલે આ દૂષણ કેટલું જ્ઞાત અને વ્યાપક છે તેનો ખ્યાલ આવે છે. તો વળી અનુસૂચિત જાતિના સરપંચના માથે અવિશ્વાસની દરખાસ્તનું સંકટ સદાય લટકતું રહે છે.

પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને લડાય છે તેવું કહેવાય છે, પરંતુ ખરેખર તેવું છે ખરું? જો રાજકીય પક્ષોની સામેલગીરી અને દખલ મોટા પ્રમાણમાં હોય તો આ ચૂંટણીઓ રાજકીય પક્ષોએ તેના ચૂંટણી ચિહ્ન પર જ લડવી જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ચૂંટાયેલા પંચાયંતના સભ્યોને બદલે આખા ગામના મતદારો કરે છે. જો ગામના નાના એકમ માટે પ્રત્યક્ષ ચૂંટણી થઈ શકતી હોય તો તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કે મહાનગરપાલિકાના મેયરની સીધી ચૂંટણી શા માટે નહીં ?

આઝાદીના અમૃત પર્વે લોકતંત્રના મજબૂત પાયાને લાગેલો કે લગાડાયેલો આ લૂણો ઘનબળ અને બાહુબળને કારણે છે. લોકશાહીના પ્રાથમિક પાઠ શીખવા માટે ગ્રામપંચાયત સ્તરથી ચૂંટણી, મતદાન અને ગામનો વહીવટ શીખવો જરૂરી હતો. સરપંચની પ્રત્યક્ષ ચૂંટણી અને વરસમાં ચાર વાર ગ્રામસભાની બેઠકોની જોગવાઈથી લોકશાહી પ્રક્રિયાને અનુસરી ગામના વિકાસ કામોના નિર્ણયો સમગ્ર ગામ મળી લે તેવો ઉદ્દેશ છે. પરંતુ જેમ સત્તાના વિકેન્દ્રીકરણનો આશય બર આવ્યો નથી તેમ ગ્રામસભાઓ પણ માત્ર ઔપચારિકતા બની ગઈ છે.

મહાત્મા ગાંધીનું પંચાયતો દ્વારા સત્તાના વિકેન્દ્રીકરણનું અને અંતે ગ્રામ સ્વરાજનું સ્વપ્ન એક સપનું જ બની રહ્યું છે. જે પંચાયતી રાજને લોકતંત્રનો પાયો, આધાર અને સત્તાની મહારાણી બનવાનો ઉદ્દેશ છે તેને રાજકારણે દાસી કે પટરાણી બનાવી દીધી છે.

E.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,2061,2071,2081,209...1,2201,2301,240...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved