Opinion Magazine
Number of visits: 9458411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇલા ભટ્ટઃ  ગાંધીજીની ટેક રાખી, સ્વાશ્રયી બહેનોનાં આર્થિક સ્વરાજનાં ઘડવૈયાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 November 2022

ઈલા ભટ્ટ કહેતાં કે સશક્તિકરણ એક ક્રિયાપદ છે સંજ્ઞા નથી. કર્મશીલ જેમના થકી જિંદગીઓ બદલાઈ નહીં ઘડાઈ પણ તેમની વિદાય પછી આપણામાં પ્રેરણારૂપે જીવતાં ઇલા ભટ્ટનાં મૂલ્યોનું અમલીકરણ સૌથી મોટી શ્રદ્ધાંજલિ

ગાંધી બાપુ સ્ત્રી હોત તો? આ સવાલનો જવાબ છે ખાદીની સાડી, નાનો ગોળ ચાંદલો, સરસ રીતે ઓળાયેલા વાળ, મીઠો અવાજ, હેતાળ સ્મિત અને મક્કમ વ્યક્તિત્વમાં – એટલે કે ઇલા ભટ્ટમાં. નેશનલ ટ્રેડ યુનિયન સેલ્ફ એમ્પ્લોયડ વિમન એસોસિયેશન(SEWA – સ્વાશ્રયી મહિલા સેવા સંઘ – 1972)નાં સ્થાપક ઇલા ભટ્ટ હવે સદેહે નથી. પણ એ ખરેખર નથી? 89 વર્ષની વયે, ૨જી નવેમ્બરે અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં બપોરે ૧૨.૨૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો. ૩જી નવેમ્બરની સવારે જ્યારે માનવ મેદની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટેની પ્રક્રિયાઓ આગળ વધી રહી હતી, ત્યારે સેવા સાથે જોડાયેલી ગુજરાતના વિવિધ ગામડાંઓની બહેનોનો અવાજ ગુંજી રહ્યો હતો, ‘દરેક બહેન, ઇલા બહેન..’ – આ અવાજ ઘૂંટાતો જતો હતો. આ સંજોગોમાં એમ કહેવું કે ઇલા ભટ્ટ હવે નથી, એ કેટલું યોગ્ય? હવે તો બહુ બધાં ઇલા ભટ્ટ છે, ક્યાંક – કોઇને કોઇ રીતે પોતાનું કર્મ આગળ ધપાવતાં, ગાંધી મૂલ્યોની શીખીને એ પ્રમાણે જીવનારી દરેક બહેનમાં ઇલા ભટ્ટ જીવે છે.

રેમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, નિવાનો પીસ પુરસ્કાર, રાઇટ લાઇવલીહુડ એવોર્ડ, રેડક્લિફ પદક – આ ઇલા ભટ્ટને મળેલાં કેટલાંક સન્માનો અને પુરસ્કારોનાં નામ છે. તેમને મળેલાં માન અકરામની યાદી આખો લેખ ભરાશે તો ય ઓછી પડશે એટલાં છે, પણ ઇલા ભટ્ટ માત્ર આ સરપાવો કે સન્માનોમાં નહીં સેવાની બહેનો સાથે, લારી ધકેલીને વેપાર કરનારાઓ સાથે, રૂડીના રેડિયોમાં તો રાધનપુરમાં પડતર થયેલી જમીનમાં ઉગાડેલાં શાકભાજીના ક્યારામાં તો કચ્છનાં અંતરિયાળ વિસ્તારોમાં ભરતમાં આભલાં ભરતી બહેનોની સોયની મજબૂતાઇમાં ઓળખાતાં આવ્યાં છે અને એમ જ ઓળખાતાં રહેશે. નેલસન મંડેલા હોય કે હિલેરી ક્લિન્ટન કે પછી બાન કી મુન કે પછી જમુબહેન, મંજુલાબહેન કે અનિતાબહેન – ઇલા ભટ્ટ બધાં સાથે, બધાં માટે એક સરખાં. એમને નારીવાદી કે ગાંધીવાદી કહેવાં જોઇએ? ઇલા ભટ્ટને કોઇ વાદ સાથે સંબંધ હતો જ નહીં માત્રને માત્ર કર્મ સાથે સંબંધ હતો, છતાં ય આ સ્ત્રીઓના ઉત્થાન માટે, તેમને પગભર બનાવવા માટે તેમણે જે કર્યું તેમાં ગાંધીજી પણ અનેકવારી જીવી ગયાં તો સ્ત્રી સ્વાતંત્ર્યનો વિચાર વાસ્તવિકતામાં ફેરવાયો. ઇલા ભટ્ટ રાજા બનવામાં નહીં સાથે રહીને આગળ વધવામાં, નવાં આગેવાનો ઘડવાનાં લક્ષ્યને પાર પાડવામાં વ્યસ્ત રહેતાં. તેમની કામગીરીનાં પરિણામો નજર સામે દેખાય છે પણ મહિલા કામદારો માટે પિતૃસત્તાક સમાજમાં તેમણે જે લડત આપી હશે તેની તીવ્રતા તેને જોનારાં, અનુભવનારાં જ કળી શકે.

જે વર્તાતા નથી, જે દેખાતા નથી એમના અધિકારો માટે હોહા કર્યા વિના કેવી રીતે લડી શકાય તેના પુરાવા ઇલા ભટ્ટે આપ્યાં. અંગ્રેજીમાં તેમને માટે એક વિશેષણ વપરાતું આવ્યું છે, ‘જેન્ટલ રિવોલ્યુશનરી’ – મૃદુ ક્રાંતિકારી. તેમનાં મૌન અને મક્કમતા સામે ભલભલાએ નમતું જોખવું પડ્યું છે તો તેમના પ્રોત્સાહન અને પ્રેમથી લાખો સ્ત્રીઓને પોતાની આવડતનો પરિચય થયો છે.

ઇલા ભટ્ટે એવું ઘણું કર્યું જે કદાચ પહેલી જ વખત થયું હતું. ભારતમાં માઇક્રોફાઇનાન્સનાં જનની ગણતાં ઇલા ભટ્ટને પગલે ગરીબ સ્ત્રીઓ દ્વારા અને ગરીબ સ્ત્રીઓ માટે સૌથી પહેલી માત્રને માત્ર સ્ત્રીઓની સેવા કો-ઑપરેટિવ બૅંક શરૂ કરાઇ, જેને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ પણ મંજૂરી આપવી પડી. પચાસ વર્ષ સુધી બચતમાંથી ગામડાંની પગભર થયેલી તથા થવા માંગતી બહેનોને ડિવીડન્ડ મળ્યું. અમદાવાદ માટે ગૌરવની વાત એ છે કે બીજા કોઇ શહેરમાં એવી કોઇ બૅંક નથી જે હજારો – લાખો નહીં પણ કરોડોનું ક્રેડિટ તેના ખાતેદારોને આપતી હોય. જ્યારે પ્રગતિની વાત કરવી હોય તો ઇલા ભટ્ટે સેવા થકી કરેલી આ પ્રગતિથી મોટું તો વળી બીજું શું હોઇ શકે? કારણ કે સમાજના સૌથી નિમ્ન સ્તરે પૂંજીકરણ – મૂડીકરણ થયું હોવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઇ બીજું નથી. 

ગાંધીજીના ગમતાં ભજનમાં જે વૈષ્ણવજનનો ઉલ્લેખ છે તે ઇલા ભટ્ટ જેવાં જ હોઇ શકે. તેમનાં કામ થકી તેમના સુધી ઘણાં લોકો પહોંચ્યાં. અશ્વેતોની લડાઈનાં આગેવાન – જે આગવાં ગાંધીવિચાર જીવી રહ્યા હતા તેવા નેલ્સન મંડેલાએ ‘ધી એલ્ડર્સ’ નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું, જેમાં જીમી કાર્ટર, માર્ગારેટ થેચર જેવાં વૈશ્વિક સ્તરનાં પૂર્વ રાષ્ટ્ર આગેવાનો સભ્ય હતાં. ઇલા ભટ્ટ પણ આ ગ્રૂપનાં સભ્ય હતાં. કામગીરી વિશે વાત થતી ત્યારે અંતે ઇલા ભટ્ટનું મંતવ્ય પૂછવામાં આવતું કારણ કે જમીન સાથે જોડાઈને નહીં પણ ઘસાઈને કામ કરનારાં વૈશ્વિક આગેવાન તરીકે તો ઇલા ભટ્ટ જ હતાં. નેલ્સન મંડેલા ભારત જ્યારે તેમના ઘરે ‘ટોય હાઉસ’માં આવ્યા, ત્યારે ઇલા બહેને તેમને મોજાં ભેટ આપ્યા હોવાનો પ્રસંગ પણ મજાનો છે.

સ્ત્રીઓની ભાગીદારીમાં જ્યારે રોકાણ થાય ત્યારે બહેતર સમાજ ઘડાય એવું તે દૃઢતાથી માનતાં અને માટે જ તેમનો સિદ્ધાંતનો હિસ્સો હતાં સ્ત્રી, કર્મ અને શાંતિ.

ગાંધીજીના વિચારોને આત્મસાત કરનારાં, આગેવાન છતાં ય એક સ્વયંસેવક જેવું જીવન જીવનારાં ઇલાબહેને સતત એ અહિંસક સ્વસ્થ સ્વાશ્રયી સમાજ ઘડવાની કામગીરી કરી, એવો સમાજ જેના કેન્દ્રમાં સ્ત્રી હોય.

સ્ટ્રોક પછી ઇલા ભટ્ટ ફરી બેઠાં થયાં પછી ફરી માંદગીએ ઘેરો ઘાલ્યો. હૉસ્પિટલમાં હતાં ત્યારે ડૉક્ટર ‘તમારું નામ શું?’ પ્રકારના સવાલો ચોકસાઈ માટે પણ કરે તો આઇ.સી.સી.યુ.માં રહેલાં ઇલા ભટ્ટના મુંગા ચહેરા પર અણગમો છલકાઈ આવતો. સ્ટ્રોક આવ્યો – સાજા થયાં, તબિયત બગડતાં ફરી હૉસ્પિટલ જવું પડ્યું, ગોલ્બ્લેડરની સર્જરી કરી એ પછી પણ ગાવાનો રિયાઝ પૂર જોશમાં ફરી ચાલુ કરી દીધો હતો. ડૉક્ટરે જ્યારે એમ કહેલું કે, ‘મક્કમ થાવ, લડત આપો, જલદી સાજા થાવ’ ત્યારે સામે એમ પૂછ્યું હતું કે ‘લડત કેમ? તમારે બહારગામ જવાનું છે?’ સહેજ સારું લાગે તો કોઇ એકની એક વાત નહીં પણ કંઇ નવી માહિતી પર વાત માંડે એવા ઇલા ભટ્ટની સરળતા, તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમનું સ્મિત જ તેમની શક્તિ હતાં. સફેદ દીવાલો, લાકડાની ખુરશીઓ અને સેટીઓ વાળા નાનકડા ટોય હાઉસમાં જ પ્લાનિંગ કમિશન, રિઝર્વ બેંકની મિટીંગો થઇ, મેરી રોબિન્સન જેવાં અગ્રણીઓ પણ ત્યાં જ આવ્યાં અને આપણાં મહા-આત્મયી અને મહા – આત્મીય ઇલા ભટ્ટે ગીતો પણ ત્યાં જ ગાયાં.

બાય ધી વેઃ 

ઇલા ભટ્ટનાં અંતિમ સંસ્કાર ટાણે સેવાની બહેનોના નારામાં એક નારો હતો કે, ‘પચાસ લાખ હો કે રહેંગે’ .. હાલમાં સેવા સાથે વીસ લાખ બહેનો જોડાયેલી છે અને પોતાનાં બહેનને વિદાય આપતી વેળા આ દરેક સ્ત્રીએ ઇલા ભટ્ટને અને પોતાની જાતને સેવાની મજલ કેટલી આગળ ધપવાની છે તેનું વચન આપ્યું. તેમણે છેલ્લે જે શાલ ઓઢી હતી તે શાલ પર તેમના કુટુંબનાં સૌથી નાનાં સભ્યથી માંડીને સૌથી મોટાં સભ્યનાં હાથની છાપ લેવાઇ, તેમની તસવીરની આસપાસ રજનીગંધા અને મોગરાનાં ફૂલો એવાં મઘમઘતા હતાં કે જાણે દરેક શ્વાસે ધ્યાન ધરો તો કદાચ ઇલા ભટ્ટનો બહુ જાણીતો મીઠો અવાજ સુદ્ધાં કાને અથડાય. ઇલા ભટ્ટને સલામ અને ઇશ્વરનો પાડ કે આપણને, આપણાં સમાજને, ગામડાંની બહેનોને અને એમણે જેમને પ્રેરણા આપી એવાં તમામ વર્લ્ડ લીડર્સને એ મળ્યાં. ઇલા ભટ્ટ સાથે સંકળાયેલાઓનો અનુબંધ જોજનો સુધીનો છે અને રહેશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 નવેમ્બર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—169

દીપક મહેતા|Opinion - Opinion|6 November 2022

પોર્ટુગીઝ પાઉં અને મરાઠી ભાજીના કેવા રે મળેલા મનના મેળ!

ફૂટ પાથ પર વેચાતી વાનગી પહોંચી વૈભવી હોટેલોમાં   

માનશો? મુંબઈગરાઓ જેને પાઉંભાજી કહે છે, અને ગુજરાતમાં જેને ભાજીપાઉં કહે છે તેના નામમાંના બે શબ્દોમાંનો એકે શબ્દ ગુજરાતી નથી! એ ઝાપટવામાં કદાચ ગુજરાતીઓ નંબર વન છે, છતાં! માત્ર પાઉં શબ્દ જ નહિ, એ વાનગી પણ પોર્ટુગીઝોની દેણ છે. કારણ હિન્દુસ્તાનમાં પાઉં લાવ્યા પોર્ટુગાલીઓ. પોર્ટુગીઝ ઉચ્ચાર ‘પાઓ.’ ગુજરાતીમાં નાન્યતર જાતિમાં વપરાય છે, પણ મૂળ પોર્ટુગીઝમાં છે નર જાતિ. જૂની પોર્ટુગીઝમાં પાન, લેટિનમાં પાનેમ. આપણે ત્યાં હિન્દી અને મરાઠીમાં ‘પાવ’, બંગાળીમાં ‘પાવ-રોટી.’

ટૂંકમાં એક જાતનું ‘બ્રેડ’ જે પોર્ટુગીઝો સૌથી પહેલાં ગોવામાં લાવ્યા. પછી તેમની સત્તા આગળ વધતાં વધતાં મુંબઈ સુધી આવી, ત્યારે તેમની સાથે આ ‘પાઉં’ કે ‘પાવ’ પણ મુંબઈમાં દાખલ થયાં. હવે તો બ્રેડની જાતજાતની વેરાયટી મળતી થઈ છે પણ પાઉં-ભાજીમાં તો આ ‘દેશી’ પાઉં કે લાદી પાઉં જ ચાલે. એટલે કે આ વાનગીનો અડધો હિસ્સો પોર્ટુગીઝ છે. જો કે ‘પ્રમાણભૂત’ મનાતો સાર્થ ગુજરાતી જોડણીકોશ જુઓ તો તેમાં ‘પાઉં’ નહિ, પણ ‘પાંઉ’ જોવા મળે છે અને તે શબ્દ પોર્ટુગીઝ મૂળનો છે એમ પણ નોંધ્યું છે. પાઉં શબ્દ ભગવદ્ગોમંડળમાં જોવા મળે છે, પણ તેનો અર્થ આપ્યો છે: ‘ઢોકળા જેવો પોચો રોટલો.’ હવે તમે જ કહો, આટલું વાંચવાથી ‘પાઉં’ એટલે શું એ કોઈને સમજાય ખરું? અને હા, આ શબ્દ પોર્ટુગીઝમાંથી આવ્યો છે એવું તો નોંધ્યું જ નથી!

લાદી પાઉ

પણ માત્ર પાઉં પોર્ટુગીઝ દેણ છે એટલું જ નહિ. તેની સાથે ‘મિક્સ વેજિટેબલ્સ’ ખાવાની શરૂઆત પણ તેમણે જ કરી હતી. ૧૯૨૮માં અમેરિકામાં પહેલી વાર સ્લાઈસ્ડ બ્રેડ બનાવવામાં આવ્યું ત્યાં સુધી બધે ‘પાઉં’ની જ બોલબાલા હતી. આજે તો સ્લાઈસ્ડ બ્રેડની અનેક જાત બજારમાં મળે છે. પણ દેશી’ પાઉંની તોલે બીજું કોઈ ન આવે એમ ઘણા માને. મુંબઈમાં બેકરી વ્યવસાય મુખ્યત્વે પારસીઓ અને મુસ્લિમોના હાથમાં. એટલે એક જમાનામાં રુઢિચુસ્તો તો પાઉંને અડકે પણ નહિ. આજે હવે આવો છોછ ભાગ્યે જ કોઈ પાળતું હશે. પાઉંની લોકપ્રિયતાને કારણે કેટલીક મોટી કંપનીઓ પણ હવે ‘લાદી પાઉં’ બનાવે છે અને પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને વેચે છે. અસ્સલ બેકરીમાં મોટે ભાગે દિવસમાં બે વખત તાજાં પાઉં બને – વહેલી સવારે અને બપોરે. આવાં તાજાં પાઉંની સોડમ તમને પરાણે પાઉંની દુકાન તરફ ખેંચી જાય. બીજા વિશ્વયુદ્ધ વખતે અને તે પછી થોડાં વરસ દેશમાં લગભગ બધી વસ્તુની અછત હતી. પાઉંની પણ! રેશનમાં મળતા ઘઉં જતા કરો તો તેના બદલામાં પાઉં ખરીદવા માટેની કૂપન મળે. એ કૂપન પાઉંની કોઈ પણ દુકાનમાં આપીને પાઉં ખરીદવાના! અલબત્ત, એ વખતે ‘રેશનિંગ’ને કારણે ખાવાપીવાની ઘણીખરી વસ્તુઓ કાળાબજારમાં પણ વેચાતી તેમ પાઉં પણ કાળાબજારમાં વેચાતાં!

બીજું અડધિયું છે ‘ભાજી.’ આ લખનારે પૂરાં દસ વરસ ઉદર નિમિત્તે સેવ્યું દિલ્હી દ્વાર. ત્યારે ઘણી વાર ઓફિસની કેન્ટિનવાળા સાથે ગરબડ થતી. મોઢામાંથી આપોઆપ સવાલ નીકળી જાય : “આજ ભાજી ક્યા બનાઈ હૈ?” પેલો બાઘાની જેમ જોઈ રહે. કારણ હિન્દીભાષી પ્રદેશોમાં ‘સબ્ઝી’ બને, ભાજી નહિ. ભાજી શબ્દ ગુજરાતી અને મરાઠી બન્નેમાં વપરાય, પણ જુદા જુદા અર્થમાં. ગુજરાતીમાં મેથી, પાલખ, જેવાં શાક તરીકે વપરાતાં ‘લીફી વેજિટેબલ’ માટે ભાજી શબ્દ વપરાય છે. જ્યારે આપણે જેને ‘શાક’ કહીએ છીએ (દાળ, ભાત રોટલી, શાક) તેને માટે મરાઠીમાં ભાજી શબ્દ વપરાય છે. એટલે કે ‘પાઉંભાજી’માંનો બીજો શબ્દ ગુજરાતી નથી, મરાઠી છે. કારણ તેમાં જે વપરાય છે તે ગુજરાતી ભાજી નહિ, પણ મરાઠી ભાજી.

ઠીક છે. પોર્ટુગીઝ પાઉં અને મરાઠી ભાજી ભેગાં તો થયાં. પણ પછી આટલાં બધાં લોકપ્રિય કેમ થયાં? જવાબમાં કોઈ કહે કે અમેરિકન સિવિલ વોરને કારણે, તો તમે માનશો? પણ એ એક હકીકત છે. અમેરિકન સિવિલ વોરને કારણે ગ્રેટ બ્રિટનને રૂ કહેતાં કપાસની મોટી ખોટ પડી. કારણ ત્યાંની મિલો અમેરિકન કપાસ આયાત કરી કાપડ વણતી. વેપારી કોઈ પણ સ્થળ કે કાળના હોય, જે બાજુ ફાયદો જુએ એ બાજુ ઢળી જાય. પહેલાં પણ થોડું ઘણું રૂ હિન્દુસ્તાનથી ગ્રેટ બ્રિટન જતું. પણ હવે તેની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. એટલે ભાવ પણ આસમાને ગયા. ૧૮૬૧થી ૧૮૬૫ સુધી આ આંતરયુદ્ધ ચાલ્યું એ દરમ્યાન મુંબઈમાં પૈસાની રેલમછેલ થઈ. કપાસ ઉગાડવાવાળા ખેડૂતો ઉપરાંત તેની ગાંસડીઓ બાંધનારા, તેની હેરફેર કરનારાઓ, તેનો વેપાર કરનારાઓ, વગેરે ન્યાલ થઈ ગયા. કહેવાય છે કે મુંબઈમાં તો ઘણા લોકોએ ઘરનાં ગાદલાં-ગોદડાં ઉકેલીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું!

કપાસને લગતા કામકાજ માટે મજૂરો મોટી સંખ્યામાં મુંબઈ આવી કામ કરવા લાગ્યા. એ વખતે મજૂરોને લગતા કાયદા તો હતા નહિ. એટલે મજૂરો બાર-બાર કે તેથી ય વધારે કલાક કામ કરતા. ત્યારે એ લોકો ખાય શું? જવાબ : પાઉં-ભાજી. એટલે મિલ વિસ્તારમાં, કોટન-ગ્રીન (આજનું હોર્નિમન સર્કલ), એપોલો બંદર વગેરે વિસ્તારોમાં નાના નાના સ્ટોલ ઊભા થયા. તેમાં આ પાઉંની સાથે મરાઠી ભાજી વેચાતી. એ સ્ટોલવાળા બજારમાં જે સસ્તામાં સસ્તાં મળે એ શાક લાવીને, એ બધાંને ભેગાં કરીને ‘ભાજી’ બનાવતા અને પાઉં સાથે વેચતા. આ વાનગી બહુ મોંઘી નહિ, અને ખાધા પછી પેટ ભરાઈ જાય. વહેલી સવારથી મોડી રાત સુધી સ્ટોલ્સ પર આ પાઉં-ભાજી વેચાતી. કારણ પાળી બદલાય ત્યારે આવતા-જતા મજૂરો એ ખાઈને પેટ ભરે.

એ વખતની પાઉં-ભાજીમાં બીજાં શાક હોય કે ન હોય, બટેટાં તો રહેતાં જ. આજે પણ એક જૈન પાઉં ભાજીને બાદ કરતાં બટેટાં હોય જ. પણ હાડોહાડ સ્વદેશાભિમાનીઓને ખૂંચે એવી વાત એ છે કે આ બટેટાં કે બટાકા કે આલુ, સ્વદેશી નથી. પોર્ટુગીઝો આપણા દેશમાં આવ્યા ત્યારે પાઉંની જેમ બટેટાં પણ સાથે લેતા આવ્યા. હકીકતમાં ‘બટાટા’ શબ્દ જ પોર્ટુગીઝ ભાષાનો છે. જો કે હિબ્રૂ અને સ્પેનિશ જેવી ભાષાઓમાં આપણે જેને ‘શક્કરિયાં’ કહીએ છીએ તેને માટે તે વપરાય છે. જ્યારે પોર્ટુગીઝ, ગુજરાતી, મરાઠી, કોંકણી વગેરે ભાષાઓમાં ‘બટાટા’ ‘પોટેટો’ માટે જ વપરાય છે.

પોર્ટુગીઝોની ભારતને ભેટ, બટાટા

આમ જુઓ તો આ બટાટા મૂળ પોર્ટુગાલની પેદાશ પણ નહિ. મધ્ય અમેરિકાના પેરુમાં સાતથી દસ હજાર વરસ પહેલાં બટેટાંની ખેતી વ્યવસ્થિત રૂપે શરૂ થઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં સ્પેનિશ લોકો અમેરિકા અને ત્યાંથી યુરપ લઈ ગયા બટેટાંને. આજે મકાઈ, ઘઉં અને ચોખા પછી તેનું સ્થાન ચોથું આવે છે – ખેતીની પેદાશોમાં, અને ખાવામાં વપરાતી ‘ભાજી’ઓમાં. આજે દુનિયામાં પાંચ હજાર જાતનાં બટેટાં જુદા જુદા દેશોમાં ઉગાડવામાં આવે છે. દુનિયામાં બટેટાંનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે, ૭૮.૨ મિલિયન ટન. અને બીજે નંબરે આવે છે મેરા ભારત મહાન, ૫૧.૩ મિલિયન ટન.

જૈન પાઉં ભાજીમાં કાંદા લસણ તો ન જ હોય, પણ બટેટાંને બદલે કાચાં કેળાં નાખેલાં હોય. જ્યારે ચીઝ પાઉં ભાજીમાં ભાજી ઉપર ખમણેલું ચીઝ ઉમેર્યું હોય. ભાજીમાં દેશી પનીરના નાના ટુકડા અથવા મશરૂમ નાખીને પણ બનાવનારા અને ખાનારા હોય છે. આ બધા કરતાં કોલ્હાપુરી પાઉંભાજી થોડી જૂદી પડે. તેના મસાલામાં નાળિયેર (કે ટોપરું), સફેદ તલ, કાળા મરી, તજના ટુકડા, મેથીના દાણા અને લીલી વરિયાળી પણ હોય. બીજી બધી કોલ્હાપુરી વાનગીઓની જેમ કોલ્હાપુરી પાઉંભાજી પણ ખાસ્સી તીખી તમતમતી.

પાઉંભાજી બનાવવાની ખરી રીત એ છે કે ભાજી તવા પર જ બનાવાય, તપેલી જેવા બીજા કોઈ વાસણમાં શાકની જેમ નહિ. તેવી જ રીતે પાઉંને પણ વચ્ચેથી કાપી, માખણ લગાડી, પાઉં ભાજીનો મસાલો છાંટી, એ જ તવા પર શેકવાં જોઈએ. આ પાઉં ભાજીની શરૂઆત ભલે મિલ મજૂરોને કારણે થઈ. પણ વખત જતાં પહેલાં મુંબઈમાં અને પછી મુંબઈ બહાર પણ તે ખાસ્સી પોપ્યુલર થઈ. સ્ટ્રીટ ફૂડની આ વાનગીને પહેલાં હોટેલોએ અપનાવી. અને પછી તો તે ફાઈવ સ્ટાર હોટેલો સુધી પહોંચી. પણ ખરા ખવૈયા તો ‘બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધા કૃષ્ણ વિના તું બીજું બોલ મા’ની જેમ કોઈ ચોક્કસ દુકાનની જ પાઉંભાજી આરોગે. કાયમના ઘરાકને શું વધતું-ઓછું જોઈતું હોય છે તે દુકાનદાર પણ બરાબર યાદ રાખે. રસ્તા પરના કોઈ સ્ટોલ પાસે ઊભા ઊભા, શું વધારે, શું ઓછું નાખવું એ કહેતાં કહેતાં પાઉંભાજી ખાવાની જે લિજ્જત આવે તે કોઈ એરકન્ડીશન્ડ હોટેલમાં – પછી ભલે તે ગમે એટલા તારાવાળી હોય – ખુરસી કે સોફા પર બેસીને, ખાતાં ન જ આવે એમ ઘણાનો અનુભવ છે. ભેળ, પાણીપૂરી વગેરેની જેમ પાઉંભાજી પણ વ્યક્તિગત પસંદગી પ્રમાણે બનાવવાની અને ખાવાની વાનગી છે. એસેમ્બલી લાઈન પર બને તે પાઉં અને તેની સાથે પીરસવાની ભાજી બને. પાઉંભાજી નહિ. સાચી રીતે બનેલી વાનગીમાં પાઉં અને ભાજી જાણે એકબીજાંને કહી ન રહ્યાં હોય : ‘કેવા રે મળેલા મનના મેળ.’ અને એને ટેસથી આરોગનારા જાણે પ્લેટમાંનાં પાઉં અને ભાજીને જોઈને મનોમન ગણગણતા હોય : ‘એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો કેળ.’ અને એ ખાતી વખતે જો સાથે હોય ‘રુદિયાની રાણી’ તો તો પછી પૂછવું જ શું?

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 05 નવેમ્બર 2022

Loading

આ દેશમાં ચાર પ્રકારના હિંદુઓ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 November 2022

આ દેશમાં ચાર પ્રકારના હિંદુઓ છે.

પહેલા પ્રકારના હિંદુઓ અંતર્મુખી છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું? એ પછી પહેલા પ્રશ્નનો ઉપ-પ્રશ્ન આવે છે; મારા જીવનની સાર્થકતા શેમાં છે? આ સનાતન પ્રશ્નો છે. પોતાની જાતને આ પ્રશ્નો માત્ર હિંદુ જ પૂછે છે એવું નથી, સંસારમાં અનેક લોકો આ પ્રશ્ન પોતાની જાતને પૂછી રહ્યા છે જે અલગ અલગ ધર્મમાં વહેંચાયેલા છે. આ પ્રશ્નો ત્યારથી પુછાઈ રહ્યા છે જ્યારે ધર્મોની સ્થાપના પણ નહોતી થઈ. કાંઈક અંશે ધર્મોની રચના જ આ પ્રશ્નોના ઉત્તરરૂપે થઈ છે.

ઉપરના પ્રશ્નોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે; હું કોણ છું અને મારા જીવનની સાર્થકતા શેમાં છે? પછીના બે પ્રશ્નો અગમના પ્રદેશના છે. આ ધરતી ઉપર દરેક જીવ દેહ ધારણ કરીને આવે છે અને દરેક પોતાના સ્વભાવ મુજબ જીવે છે, પણ માનવી એક એવો જીવ છે જે શક્તિશાળી મન ધરાવે છે અને પોતાના હોવાપણા વિષે પ્રશ્ન કરી શકે છે. જે મન ધરાવે અને મનન કરી શકે એ માનવી એમ વ્યાકરણ પણ કહે છે. તો હું કોણ છું અને મારા જીવનની સાર્થકતા શેમાં છે એવો પ્રશ્ન માત્ર માનવી પોતાની જાતને પૂછે છે અને એમાંથી એક ખોજની યાત્રા શરૂ થાય છે. માનવયોનિમાં જન્મ લેવો એને દુર્લભ સૌભાગ્ય એટલા માટે કહેવામાં આવે છે કે જીવને પહેલીવાર દેહ ધારણ કર્યા પછી મનન કરવાનો અને પ્રશ્ન પૂછવાનો અવસર મળે છે અને એ અવસર ચૂકી નહીં જવો જોઈએ. 

આમ જે માણસ દુર્લભ અવસર ચૂકવા માગતા નથી એ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે મારા જીવનની સાર્થકતા શેમાં છે અને એ સાથે એ આધ્યાત્મિક પ્રદેશમાં પ્રવેશ કરે છે. અહીં આપણે આધ્યાત્મિકતામાં નથી જવું, માત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે તેને જીવ અને શિવ વચ્ચે, વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે, સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે એકત્વનો અને અખંડતાનો અનુભવ થવા લાગે છે. તેનો વિવેક જાગૃત થવા લાગે છે. વેદ અને ઉપનિષદોના ઋષિઓ, બુદ્ધ અને મહાવીર, સાંખ્યદર્શન વિકસાવનારા મુનિ કપિલ, યોગસૂત્ર આપનારા પતંજલિ, વ્યાસ, નરસિંહ-કબીર જેવા મધ્યકાલીન સંતો, રામકૃષ્ણ પરમહંસ વગેરેથી લઈને વિનોબા ભાવે સુધી એવા કંઈ કેટલા ય હિંદુઓ થયા જેમણે માણસ હોવાનો દુર્લભ અવસર ગુમાવ્યો નહોતો. તેમના જીવનમાર્ગ પર નજર કરશો તો એક ચીજ એક સરખી જોવા મળશે : મનન અને સાધના કરતાં કરતાં તેમનો વિવેક જાગૃત થયો અને તેમાં તેમને એકત્વ અને અખંડતાનો અનુભવ થયો. તેમનું જીવન સાર્થક થઈ ગયું. આ પહેલા પ્રકારના હિંદુ. હિંદુ ધર્મની અને હિંદુ પ્રજાની સાચી ઓળખ આ હિંદુઓએ વિકસાવી છે. આપણી પરંપરાને સમૃદ્ધિ આ લોકોએ આપી.

બીજા પ્રકારના હિંદુ, હિંદુ ધર્મમાં પોતાની ઓળખ શોધે છે. આ પ્રવૃત્તિ બહુ પ્રાચીન નથી. ભારતમાં હિંદુઓ વિધર્મીઓના સંપર્કમાં આવ્યા એ પછી તેમને જોઇને તેમની અંદર આપઓળખનો ભાવ જાગ્યો હતો. ઓળખ બે પ્રકારની હોય છે, બાહ્ય અને આંતરિક. નાત-જાત, ઊંચ-નીચ, છૂત-અછૂત, પહેરવેશ, શિખા અને તિલક, કર્મકાંડ અને રીતિરિવાજ વગેરે બાહ્ય ઓળખો છે. આ બાહ્ય ઓળખ સાથે જોડાયેલી માન્યતાઓને લઈને હિંદુઓ ઉપર પ્રહાર થવા લાગ્યા. પ્રહાર બહારથી પણ થતા હતા અને એક હિંદુ દ્વારા બીજા હિંદુ ઉપર અંદરથી પણ થવા લાગ્યા. જૂનવાણી માનસને તેમ જ આંતરિક ભેદભાવને પોષનારી બાહ્ય ઓળખો જ્યારે હિંદુઓ માટે બોજારૂપ બનવા લાગી ત્યારે કેટલાક હિંદુઓના મનમાં પ્રશ્ન જાગ્યો હતો કે આપણે સાત્વિક અને સમૃદ્ધ ઓળખ પણ ધરાવીએ છીએ જેને જગત સમક્ષ રાખવી જોઈએ. જે નજરે પડે છે એ હિંદુઓનું સંવિત્ત નથી, જે હિંદુ સંવિત્ત છે એ નજરે પડવું જોઈએ.

પણ એ સંવિત્ત છે ક્યાં? એને શોધવું અને ઓળખવું કેવી રીતે? અને ત્રીજો પ્રશ્ન એને રજૂ કેવી રીતે કરવું? રાજારામમોહન રોયથી લઈને કહો કે કનૈયાલાલ મુનશી સુધીના લોકોએ ટકોરાબંધ હિંદુ સંવિત્તને ઓળખવાનો, તેને પામવાનો, તેને ઘૂંટવાનો (એનરિચ્ડ) અને તેને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જે નજરે પડી રહી છે એ સાચી હિંદુ ઓળખ નથી, સાચી હિંદુ ઓળખ આ છે એમ તેઓ સિદ્ધ કરવા માગતા હતા. આ આપઓળખની મથામણ જેવીતેવી નહોતી. એમાં અનેક રંગો હતા. દરેકે પોતપોતાની રીતે મથામણ કરી હતી. તેઓ આપસમાં લડ્યા-ઝઘડ્યા હતા. વળી આ મથામણ આઝાદી પહેલાં દોઢસો વરસથી ચાલતી હતી અને હજુ પણ ચાલે છે એટલે અનુગામીઓ પુરોગામીઓના સંદર્ભ લઈને આગળ વધતા હતા અને વધે છે.

લાંબી મથામણ પછી ટકોરાબંધ હિંદુ સંવિત્ત શોધનારાઓને એક વાત સમજાઈ ગઈ હતી અને બધાની વચ્ચે લગભગ સર્વસંમતી બની હતી કે એ સંવિત્ત માનવીય હોવું જોઈએ અને નિર્વિરોધી હોવું જોઈએ. બન્ને શબ્દો માર્ક કરો : એ માનવીય હોવું જોઈએ અને નિર્વિરોધી હોવું જોઈએ. તો જ તો એને સંવિત્ત કહેવાય. સાત્વિક હિંદુ ઓળખને ઓળખવામાં, વાચા આપવામાં અને વિકસાવવામાં સૌથી મોટો ફાળો સ્વામી વિવેકાનંદનો હતો. દલિતોને અને સ્ત્રીઓને અન્યાય કરો અને પાછા હિંદુ તરીકે ગર્વ લો એ ન ચાલે. પોતાના વાડા રચો અને બીજાને પોતાના વાડામાં પ્રવેશવા ન દો એ ન ચાલે. પોતાને ઊંચા અને મહાન ગણો અને બીજાને નીચા ગણો એ ન ચાલે. બીજાને ન સાંભળો અને પોતે જ મહાન એ ન ચાલે. પોતાને માનવતાવાદી હિંદુ તરીકે ઓળખાવો અને પોતાનો સ્વાર્થ સાધવા શાસ્ત્રોક્ત પ્રમાણોનો ઉપયોગ કરો એ ન ચાલે.

ટૂંકમાં કેટલાક લોકોએ નરવા હિંદુની નરવી ઓળખ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પાયામાં માનવીયતા અને નિર્વિરોધ હતાં. આ પ્રયાસ આજે પણ ચાલી રહ્યો છે.

આવો પ્રયાસ કરનારા હિંદુઓની સ્થિતિ આજે દયાજનક બની ગઈ છે. હિંદુ ઓળખનું રાજકારણ કરનારા હિંદુઓ તેમને પોતાના ચોકઠામાં ફીટ કરવાનો પ્રયાસ કરે છે. અંગ્રેજીમાં એને એપ્રોપ્રિએશન કહેવામાં આવે છે. વિવેકાનંદ અને સરદાર પટેલને પોતાની જરૂરિયાત મુજબ હિંદુ કોમવાદીઓ ચારે કોરથી વેતરી રહ્યા છે. બીજાની સાથે પણ એવું થઈ રહ્યું છે અને નથી થતું તો હવે થશે. જેઓ હિંદુ ધર્મની નિંદા કરી રહ્યા છે (ખાસ કરીને દલિતો) એવા લોકો નરવી હિંદુ ઓળખ વિકસાવવા માટે અને સ્થાપવા માટે મથામણ કરી રહેલાઓને નકલી માનવતાવવાદી હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે. તેઓ માનવતાનું મહોરું ધારણ કરીને અન્યાયી સનાતન હિંદુ ધર્મનો બચાવ કરી રહ્યા છે એમ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને એપોલોજીસ્ટ કહે છે. હિંદુ હિંદુ છે એટલે તેનામાં કોઈ દા’ડો કોઈ ઊણપ હોઈ શકે જ નહીં એમ માનનારા ચુસ્ત સનાતની હિંદુઓ માનવીય-નિર્વિરોધી નરવા હિંદુને ઘડવા માગનારાઓની ઉપેક્ષા કરે છે. તેમને તેમના મિશનમાં કોઈ રસ જ નથી. જે માનવીય-નિર્વિરોધી નરવા હિંદુને ઘડવા માગે છે એ પોતે અજાણતા અને તેમનાં મિશનના સહકારીઓ મોટાભાગે જાણીબૂજીને રેખા ઓળંગે છે અને કવચિત ભટકી પડે છે, કારણ કે ભેદરેખા બહુ પાતળી છે. માનવતાવાદીઓ કહે છે કે જો તમારી આરાધના આખરે માનવીય અને નિર્વિરોધી હિંદુ ઘડવા માટેની જ છે તો પછી અખંડ માનવ જ શા માટે ન ઘડવો? ઉપનિષદોના ઋષિઓથી લઈને રામકૃષ્ણ પરમહંસ જેવા લોકોએ આ જ તો શીખવ્યું છે. આમ તેઓ રસપૂર્વક તેમ જ રમૂજપૂર્વક ઉપેક્ષા કરે છે.

હું હવે એમ માનતો થયો છું કે આજના યુગમાં નરવા હિંદુની ઓળખ ઘડવા માગનારાઓની પડખે માનવતાવાદીઓએ ઊભા રહેવું જોઈએ. તેમની હિંદુ અસ્મિતા જો માનવીય નિર્વિરોધી અને નરવી હોય તો અત્યારે એટલું પુરતું છે. માનવ બનવા માટે હિંદુ મટી જવું જરૂરી નથી. ગાંધીજી આનું ઉદાહરણ છે. અસ્મિતા કોઈ દહાડો નિર્વિરોધી ન હોઈ શકે એવી દાર્શનિક દલીલને વચ્ચે લાવવાની જરૂર નથી. જો માનવતાવાદીઓ તેમની પડખે ઊભા નહીં રહે તો હિંદુ કોમવાદીઓ તેમને હાઈજેક કરી જશે.

ત્રીજા પ્રકારના હિંદુ રાજકીય છે. તેમને હિંદુ ધર્મ, હિંદુ દર્શન, હિંદુ પરંપરા, હિંદુ સંસ્કૃતિ વગેરેમાં કોઈ રસ નથી. એ લોકોની એમાં કોઈ ગતિ પણ નથી. વિનાયક દામોદર સાવરકરે રાજકીય હિંદુની કલ્પના કરી હતી અને ઘાટ ઘડ્યો હતો. પ્રમાણ જોઈએ છે? આ રહ્યું. કોઈ હિન્દુત્વવાદીને ઊભો રાખીને તેની સાથે હિંદુ દર્શન, શ્રમણ બ્રાહ્મણ પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો વારસો, ભારતીય સંસ્કૃતિ વગેરેની વાત શરૂ કરો એ મૂંગો રહેશે, પણ જો મુસલમાનોની વાત કાઢશો તો તેને મૂંગો રાખવો મુશ્કેલ બનશે. મિથ્યાભિમાન અને મિથ્યાભય રાજકીય હિંદુઓનો સ્વભાવધર્મ છે અને રાજકીય હિન્દુને ઘડવા માટેનું રસાયણ છે. માટે તેઓ સૌથી વધુ રસ ઇતિહાસમાં લે છે. ઔરંગઝેબનું નામ સાંભળીને તે ડરે છે, ઔરંગઝેબના સાચાખોટા જુલ્મો યાદ કરીને તે રડે છે અને હિંદુ દ્વારા ઔરંગઝેબનું મર્દન કરવાનાં તે સપનાં જુએ છે. બાકી દર્શન ફર્શનમાં તેને કોઈ રસ નથી.

ચોથા પ્રકારના હિંદુ જુલ્મી છે. ચોંકી ગયા? પણ ચોંકવાની જરૂર નથી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉ. ભીમરાવ આંબેડકર, રામસ્વામી પેરિયાર, કાંશીરામ વગેરે બહુજન સમાજના અને દલિત નેતાઓ જ્ઞાતિગ્રસ્ત હિંદુને જુલ્મી તરીકે ઓળખાવે છે. તેમના મતે સરેરાશ હિંદુ જ્ઞાતિમુક્ત હોઈ શકે જ નહીં અને હિંદુ જો જ્ઞાતિગ્રસ્ત હોય તો તે માણસ ન હોઈ શકે. જ્ઞાતિ અને માણસાઈ પરસ્પર વિરોધી છે. માટે તેઓ નરવી માનવીય અને નિર્વિરોધી હિંદુ અસ્મિતાના પુરસ્કર્તાઓને ઢોંગી એપોલોજીસ્ટ તરીકે ઓળખાવે છે.

હવે તમે જો હિંદુ હો તો વિચારો કે તમે આ ચાર પ્રકારના હિંદુઓમાંથી કયા પ્રકારના હિંદુ છો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 નવેમ્બર 2022 

Loading

...102030...1,2041,2051,2061,207...1,2101,2201,230...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved