Opinion Magazine
Number of visits: 9458292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાનું નિયંત્રણ અને જનજાગૃતિથી અંધશ્રદ્ધા ડામી શકાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 November 2022

ગુજરાત અને કેરળમાં અંધશ્રદ્ધાને કારણે મહિલાઓના માનવબલિની દુ:ખદ અને શરમજનક ઘટનાઓ ઘટી છે. ગુજરાતના એક ગામમાં ઘનની લાલચમાં પિતાએ ચૌદ વરસની દીકરીની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે માનવ બલિ આપી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં ડોકટર દંપતીએ પણ ધનવાન બનવા બે મહિલાઓના માનવ બલિ ચડાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આટઆટલા વિકાસ પછી તથા દેશની આઝાદીના પંચોતેર વરસો બાદ આ પ્રકારની ઘટનાઓ  આપણે હજુ ય વહેમ અને અંધશ્રદ્ધાના અંધકાર યુગમાં તો નથી જીવતાને ? એવો સવાલ સર્જે છે.

ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબધ્ધતાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ છતાં દેશમાં અંધશ્રદ્ધા નાબૂદીની દિશામાં અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રસાર માટે કાનૂની તથા જનજાગ્રતિ માટેના કોઈ ખાસ પ્રયત્નો થયા નથી. આજે ધર્મના નામે રાજનીતિની બોલબાલા છે ત્યારે તો તે વધુ મુશ્કેલ લાગે છે.

મહારાષ્ટ્રના પ્રગતિશીલ અને રેશનલ સંગઠનોની અંધશ્રદ્ધા નાબૂદીના કાયદા માટેની લાંબા સમયની માંગણી અને ચળવળોના કારણે રાજ્યની સુશીલકુમાર શિંદેના નેતૃત્વ હેઠળની કાઁગ્રેસી સરકાર ૨૦૦૪માં અંધશ્રદ્ધા નાબૂદી વટહુકમ લાવી લાવી હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો. મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઊભો કરવા’ની દલીલ સાથે તેને ટાળ્યો હતો. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જાણીતા રેશનાલિસ્ટ અગ્રણી ડો. નરેન્દ્ર દાભોલકરની હત્યાના બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે અંધશ્રદ્ધા નાબૂદી વટહુકમ જારી કર્યો હતો. ૨૦૧૪નો મહારાષ્ટ્રનો ‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક કાયદો’ બહુ મર્યાદિત અંધશ્રદ્ધાને જ આવરી લે છે. તેમ છતાં દેશનો તે પહેલો કાયદો છે. આ કાયદાએ તેની મર્યાદાઓ છતાં ઘણી મોટી અસર ઊભી કરી છે. તેને કારણે અનેક પાખંડીઓને જેલમાં ધકેલી શકાયા છે.

રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને ડાકણ ગણી મારી નાંખવામાં આવી હતી. તેથી સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક-૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ તેમજ સજાની જોગવાઈ ઉમેરી હતી. ૨૦૧૭માં અંધશ્રદ્ધા નાબૂદી કાયદો ઘડનાર કર્ણાટક બીજું રાજ્ય બન્યું હતું. રાજ્યો ઇન્ડિયન પિનલ કોડમાં સુધારો કરીને કે નવો સ્વતંત્ર કાયદો ઘડીને અંધશ્રદ્ધા નાબૂદી માટે કાયદાકીય નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ અંધશ્રદ્ધાનું ધર્મ સાથેનું સંધાન અને રાજકીય પક્ષોનું ધર્મના નામે મતબેન્ક પોલિટિક્સ તેમ થવા દેતું નથી. શાયદ એટલે જ ગુજરાતની ભા.જ.પ. સરકારે છેક ૨૦૧૬માં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી કાલા જાદુ, મેલી વિદ્યા અને માનવબલિની નાબૂદી માટેના કાયદાની આવશ્યકતા અંગે પૃચ્છા કરી હોવા છતાં આ બાબતમાં પ્રગતિ થઈ નથી. કેરળની સામ્યવાદી સરકારે ૨૦૧૯માં અંધશ્રદ્ધા નાબૂદી ખરડો તો તૈયાર કર્યો હતો પણ હજુ તેને વિધાનસભામાં રજૂ કર્યો નથી !

હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રદ્ધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણનું તારણ હતું કે તમામ ધર્મના ૭૬ ટકા ભારતીયો કર્મમાં, ૭૧ ટકા ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવામાં, ૭૦ ટકા નસીબમાં, ૫૦ ટકા ભૂતપ્રેતમાં અને ૩૮ ટકા પુનર્જન્મમાં માને છે. એટલે અંધશ્રદ્ધા પર કોઈ એક જ ધર્મનો ઈજારો નથી.

ધર્મોના મૂળરૂપમાં કદાચ અંધશ્રદ્ધા નહીં પણ હોય. કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં સઘળા ધર્મ આચરનારા અંધશ્રદ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રદ્ધા નાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો જોઈએ. જનજાગ્રતિમાં પણ તમામ ધર્મોને સામેલ કરવા જોઈએ.

ધાર્મિક અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોય છે. આ હકીકત લક્ષમાં રાખીને અંધશ્રદ્ધા નાબૂદીના કાર્યક્રમો અને કાયદાના નિયંત્રણની દિશામાં વિચારવાનું છે. ગુજરાત રાજ્યમાં ધાર્મિક ઉન્માદ અને અંધશ્રદ્ધાનો માહોલ અવારનવાર જુદા જુદા ધર્મસ્થળોએ જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને તેનું અંધશ્રદ્ધા સાથે જોડાણ અલગ કરવાની જરૂર છે. પરંતુ મતભૂખ્યા રાજકારણીઓ તેમ થવા દેશે નહીં. એટલે લોકોની સમજાવટ, જનજાગ્રતિ અને કાયદાના નિયંત્રણથી અંધશ્રદ્ધાના વિવિધ સ્વરૂપો પર લગામ કસવી પડશે.

‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુદ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે. પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ પણ અંધશ્રદ્ધાવિરોધી હોય જ છે. ધાર્મિક હોવાનો અર્થ અંધશ્રદ્ધાના સમર્થક હોવું નથી. ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. આ તમામ બાબતોને પણ અંધશ્રદ્ધા નાબૂદીના જનજાગરણ કાર્યક્રમોમાં આવરી લેવી પડશે.

થોડાં વરસો પૂર્વે ઉત્તર પ્રદેશનું એક ગામ, નામે મોહમ્મદપુર, સમાચારોમાં ચમક્યું હતું. પછાત અને સામંતી સમાજની છાપ ધરાવતા ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના આ ગામના તમામ લોકોએ ન માત્ર અંધશ્રદ્ધા, ધર્મનો પણ ત્યાગ કર્યો હતો. મોહમ્મદપુરવાસીઓએ ધર્મ, દેવી-દેવતા, વ્રત-ઉપવાસ અને ધાર્મિક કિયાકાંડો તો છોડ્યા જ છોડ્યા, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા હતા. આ ગામ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ ઉજવતું હતું. આવા ગામ જેટલા જલદી વધે એટલી અંધશ્રદ્ધા વહેલી ભાગે.

અંધશ્રદ્ધા નાબૂદીના તમામ પાસાં વિચારતાં ભારતના રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દૃષ્ટિથી વિચારવાની આવશ્યકતા છે. રામભક્ત ગાંધીજી સાથે પણ નાસ્તિક ગોરા (ગોપીરાજુ રામચન્દ્ર રાવ) સંવાદ કરી શકતા હતા. તે હકીકત કેમ ભૂલાય? ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. ગાંધીજી અને ગોરા વચ્ચેના સંવાદ જેવું ખુલ્લાપણું સરકાર અને સમાજમાં પ્રવર્તશે તો સંવિધાન નિર્માતાઓની અપેક્ષાની વૈજ્ઞાનિક વિચારધારા પણ વાસ્તવિકતા બની શકશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

અમેરિકામાં અભૂતપૂર્વ કહી શકાય એવી બે ઘટના બની રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2022

એક તો એ કે અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય કે પહેલી મુદ્દત પછી પરાજીત થાય તો એ પછી એ ખાનગી જીવન જીવે છે અને જાહેરજીવનમાં ભાગ્યે જ દેખા દે છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખો જીમ્મી કાર્ટર, બીલ ક્લીન્ટન, જ્યોર્જ બુશ, બરાક ઓબામા હજુ હયાત છે, પણ તમે તેમના ચહેરા કે રાજકીય નિવેદન ભાગ્યે જ જોયા હશે. ડોનાલ્ડ ટ્રમ્પ આમાં અપવાદ છે. પહેલી વાત તો એ કે તેમણે પ્રમુખપદની ગઈ ચૂંટણીમાં તેમના થયેલા પરાજયને હજુ સુધી સ્વીકાર્યો નથી અને હજુ પણ કહે છે કે ચૂંટણીમાં રમત રમાઈ હતી અને તેમના વિજયને છીનવી લઈને તેમને પરાજિત કરવામાં આવ્યા હતા. તેમણે નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનની પ્રમુખ તરીકેની સોગંદવિધિમાં ભાગ નહોતો લીધો, કહો કે બહિષ્કાર કર્યો હતો અને એવું અમેરિકન લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું. અત્યારે તેઓ સતત તેમના રિપબ્લિકન પક્ષમાં ધરાર કેન્દ્રસ્થાને રહેવા ઉધામા કરી રહ્યા છે અને પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગે છે. સાધારણ રીતે પ્રમુખપદની પહેલી મુદ્દત પછી પરાજીત થનાર પ્રમુખ બીજીવાર ઉમેદવારી નથી કરતા. જીમ્મી કાર્ટર આનું હયાત ઉદાહરણ છે. તેઓ તેમના પોતાના પક્ષના પ્રમુખપદના હરીફ ઉમેદવાર વિષે એવું બોલે છે જેવું સભ્ય માણસ વિરોધ પક્ષના નેતા વિષે પણ ન બોલે. પણ એવા તેમના સંસ્કાર છે ત્યાં કોઈ શું કરે!

બીજી ઘટના મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોની છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાય એ પછી બરાબર બે વરસે નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયાના મંગળવારે સેનેટ અને પ્રતિનિધિગૃહની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાય છે જેને મધ્યસત્ર ચૂંટણી કહેવામાં આવે છે. આપણી જેમ બેઠક ખાલી થાય એના છ મહિનામાં ચૂંટણી યોજવામાં નથી આવતી. હવે અત્યાર સુધીનો મહદ્ અંશે ઇતિહાસ એવો છે કે મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાધારી પક્ષનું મોટા પ્રમાણમાં ધોવાણ થતું હોય છે. કેનેડી, ક્લીન્ટન કે ઓબામા જેવા લોકપ્રિય અને પ્રતિભાવાન પ્રમુખોને પણ પરાજય ખમવો પડ્યો છે, જ્યારે અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાયડન તો પ્રતિભાશૂન્ય નબળા પ્રમુખ તરીકેની ઈમેજ ધરાવે છે. ડેમોક્રેટો અને ઉદારમતવાદી અમેરિકન નાગરિકો ચિંતા કરતા હતા કે બાયડનનું રગશિયું ગાંડું જે રીતે ચાલી રહ્યું છે એ જોતાં ૨૦૨૪માં ડેમોક્રેટિક પક્ષ બીજી વાર સત્તામાં આવશે કે કેમ! અને એકવાર આવે તો પણ વાંધો નહીં, ટ્રમ્પ નામનો બેવકૂફ અને અસંસ્કારી માણસ પાછો આવ્યો તો?

પણ અમેરિકામાં કમાલ થઈ રહી છે. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનું એટલું ધોવાણ નથી થયું જેટલું મધ્યસત્ર ચૂંટણીઓમાં શાસક પક્ષનું થતું આવ્યું છે અને ઉપરથી રિપબ્લિકન પાર્ટીમાં  ટ્રમ્પ-સમર્થકોનો ખાસ પરાજય થઈ રહ્યો છે. પરિણામોને કારણે રિપબ્લિકન પક્ષમાં અચાનક સવાલ પેદા થયો છે કે હવે આ ટ્રમ્પનું કરવું શું? ટ્રમ્પ નામનો માણસ પક્ષ માટે પનોતી છે કે પછી તાકાત છે? ૧૬૮ વરસ જૂના પક્ષની તાકાત શેમાં છે; ટ્રમ્પના પૈસા અને માથાભારેપણામાં કે પછી વિવેક, મર્યાદા અને સભ્યતામાં?

અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓને લાગતું હતું કે જે અસભ્ય ભાષામાં આપણે નથી બોલી શકતા એ ભાષામાં એ બોલી શકે છે અને પક્ષના સમર્થકોને એ ભાષા ગમે છે માટે ટ્રમ્પને ચલાવી લેવો જોઈએ. એ ગમે તેની ગમે તેવી ઠેકડી ઉડાડી શકે છે અને પક્ષના સમર્થકોને એવી વિકૃતિમાં સુખ મળે છે માટે તેને ચલાવી લેવો જોઈએ. એ શરમાયા વિના બેધડક જૂઠું બોલી શકે છે અને બેવકૂફ સમર્થકો તેને સ્વીકારી લે છે જ્યારે આપણે એ નથી બોલી શકતા માટે તેને ચલાવી લેવો જોઈએ. એની પાસે પુષ્કળ પૈસા છે, જોઈએ એટલા પૈસા ગમે ત્યાંથી લઈ આવે છે અને પૈસા દ્વારા વિરોધ પક્ષ ઉપર સરસાઈ મેળવી શકાય છે માટે ટ્રમ્પને સાંખી લેવો જોઈએ. ટૂંકમાં એ સત્તા સુધી પહોંચાડે છે ને! મમમમથી કામ છે કે ટપટપથી!

પણ હવે ચૂંટણીનાં પરિણામો જોઇને રિપબ્લિકનો હેબતાઈ ગયા છે. બાયડન જેવો નબળો પ્રમુખ હોય અને ટ્રમ્પ જેવો સર્વ-અવગુણ-સંપન્ન અને પૈસાની રેલમછેલ કરનારો માથાભારે સ્પર્ધક હોય ત્યારે આવાં અણધાર્યા પરિણામ કેમ આવ્યાં? એમાં વળી ટ્રમ્પના માણસો કેમ ખાસ પરાજીત થઈ રહ્યા છે? એક વાત તો નક્કી છે કે મતદાતાઓએ પ્રમુખ જો બાયડનને વિજયી નથી કર્યા, કારણ કે તેમને વિજયી કરવા માટે કોઈ કારણ જ નથી. તો તાત્પર્ય એટલું જ નીકળે છે કે મતદાતાઓએ ટ્રમ્પ અને ટ્રમ્પવૃત્તિની વિરુદ્ધ મત આપ્યા છે?

પણ કોણે? જવાબ દેખીતો છે. એ લોકોએ જેઓ નથી ડેમોક્રેટિક પાર્ટીના કે નથી રિપબ્લિકન પાર્ટીના સમર્થક. અંગ્રેજીમાં જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય તેણે ટ્રમ્પને અવરોધવાનું મિશન હાથ ધર્યું છે. અને એ લોકોએ પણ જેઓ રિપબ્લિકન પાર્ટીના સમર્થક તો છે, પણ તેમને ટ્રમ્પનું અસંસ્કારી અમેરિકા નથી ખપતું. પક્ષના સમર્થકોએ સંસ્કારી સભ્ય અમેરિકાને બચાવવા પક્ષના ટ્રમ્પસમર્થક ઉમેદવારોને વીણીવીણીને પરાજીત કર્યા છે. જો આ તારણ સાચું હોય અને ખોટું હોવા માટે કોઈ કારણ નથી તો એનો અર્થ એ થયો કે જગત આખામાં વિવેકી અને અવિવેકી અથવા કહો કે ઉદાર અને અનુદાર પ્રજા વચ્ચે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. પક્ષીય ધ્રુવીકરણ પ્રજાકીય ધ્રુવીકરણમાં ફેરવાઈ રહ્યું છે. ઇઝરાયેલ જેવા ઇઝરાયેલમાં પહેલીવાર પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે, જ્યારે કે ત્યાનું રાજકારણ ઇઝરાયેલની સ્થાપનાથી લઈને આજ સુધી યહૂદીઅસ્મિતા, યહૂદીઓનું માદરેવતન ઇઝરાયેલ અને ઇઝરાયેલ સામેનાં અસ્તિત્વનું સંકટ એમ ત્રણ મુદ્દે ચાલતું આવ્યું છે. એક પ્રકારની પ્રજાકીય રાષ્ટ્રીય સર્વસંમતી હતી. આજે ઇઝરાયેલની પ્રજા વચ્ચે સંસ્કારી યહૂદીઓ અને અસંસ્કારી યહૂદીઓ જેવું ધ્રુવીકરણ થયું છે. બેન્જામીન નેતાન્યાહૂની ઝનૂની નીતિનું આ પરિણામ છે.

ભારતમાં પણ આવું પ્રજાકીય ધ્રુવીકરણ નજરે પડી રહ્યું છે અને રાહુલ ગાંધીની પદયાત્રાએ એ ધ્રુવીકરણને વેગ અને દિશા આપ્યાં છે. વિવેકનિષ્ઠ ભારતીય પ્રજાને બંધારણ દ્વારા આકાર પામેલું સહિયારું ભારત ટકાવી રાખવું છે જેના કેન્દ્રમાં કાયદાનું રાજ હોય અને પ્રજાકીય વિકાસ હોય, પ્રજાકીય તિરાડ નહીં. આ આકાર લેતું ધ્રુવીકરણ આગળ જતાં કેવો રાજકીય પડઘો પાડે છે એ તો સમય કહેશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2022

Loading

શિક્ષણ નામે કળણ

રોહિત શુક્લ|Opinion - Opinion|16 November 2022

કોઈ પણ દેશમાં અને કોઈ પણ કાળખંડમાં શિક્ષણ ઉપેક્ષિત બને કે નિષ્ફળ જાય ત્યારે પેઢીઓની અવદશા થાય છે. અનેક દેશોના ઇતિહાસ આ બાબતની શાખ પૂરે છે. આમ છતાં, ઘણા દેશોની સરકારોએ ક્યારેક ક્યારેક કે વારંવાર, શિક્ષણની અવદશા ઇરાદાપૂર્વક સર્જી છે. હિટલર અને મુસોલિની, સ્ટાલિન અને માઓ, રશિયાની ઝારશાહી અને સામ્રાજ્યવાદી દેશોની ગુલામ દેશોમાં ઊભી કરાયેલી વ્યવસ્થા, દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ કે આર્જેન્ટિના આ બધે જ શિક્ષણના નામે પેઢીઓની માનસિકતાને પછાત બનાવી દેવાના પ્રયાસો થયા છે. આનાં પરિણામો પણ આ બધા જ દેશોએ અને ઘણી વાર આખા વિશ્વે ભોગવ્યાં છે. સ્ટાલિનના સામ્યવાદ હેઠળ સમગ્ર પૂર્વ યુરોપ-૧૯૧૭થી ૧૯૯૧ સુધી – એટલે કે ચુંમોત્તેર વરસ સુધી રગદોળાઈ ગયું. પશ્ચિમ યુરોપ અને રશિયા વચ્ચેના હાલના યુક્રેનના સંઘર્ષ દ્વારા જોઈ શકાય છે કે વૈચારિક સ્વતંત્રતાની અસર કેટલા યોજનો દૂર સુધી પહોંચી શકે છે. જે યુક્રેનને ત્રણ જદિવસમાં મસળી નાંખવા માગતા રશિયાને આઠ-આઠ મહિનાના યુદ્ધ પછી મોંઢામાં તરણું લેવાનો વારો આવ્યો છે. પશ્ચિમ યુરોપમાં વિચાર, વાણી, વર્તન અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, જ્યારે રશિયામાં ઝારશાહીથી માંડીને આજ સુધી એ દિવસ આવ્યો જ નહીં. રશિયાના સોવિયત સંઘના સ્તાલિન યુગમાં સ્વતંત્ર રીતે બોલનાર – વિચારનારની ઉપર કેવા અત્યાચારો થતા તે જાણવા સોલ્ઝેનિત્સિનનું પુસ્તક, ‘ગુલાગ આર્કિપિલેગો’ વાંચવું રહ્યું.

સ્તાલિન અને માઓએ વિચારોને દબાવવાનું કામ કર્યું પણ અન્ય અનેક દેશોમાં ખોટી માહિતી, પ્રચાર, જૂઠ-ફરેબ, ભય અને આતંક વગેરેનો ઉપયોગ થાય છે. વિરોધના સૂરને દબાવી-ગૂંગળાવી દેવો એ કોઈ નવી વાત નથી. શિક્ષણના સંદર્ભમાં, આ સ્થિતિમાં બે અલગ અલગ પ્રવાહો ઉપર નજર નોંધવા જેવી છે :

(૧) દ્રોણ-એકલવ્ય મોડલ : છેક મહાભારતકાળથી ચાલી આવેલ આ પ્રણાલી છે. આ મોડલમાં ગુરુ પોતાને માત્ર સર્વજ્ઞાની જ નથી ગણતા – વિદ્યા ઉપર પોતાનો ઇજારો છે અને રહેવો જોઈએ એમ માને – મનાવે છે. અહીં સામાજિક ઉચ્ચાવચતાનો અને આર્ય – અનાર્યનો મુદ્દો પણ સંકળાય છે. કદાચ એમ કહેવાનં મન થાય. આ તો બહુ પ્રાચીન કાળની કહાની થઈ. હવે શું છે ?

હજુ હમણાં જ જેમના જન્મદિનને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવ્યો તે સૌના પરમ આદરણીય અને સન્માનીય એવા ભારતના એક સમયના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ એક ટીકા વહોરી લીધી છે. ડૉ. રાધાકૃષ્ણન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય ફિલસૂફીના પ્રોફેસર હતા, પરંતુ તેમણે પોતાના જ એક વિદ્યાર્થીની થિસિસમાંથી પ્લેગિયારિઝમ કર્યું હતું. આ માટેની વિગતો કમ્પ્યૂટરમાં નીચે મુજબનું સરનામું લખી સર્ચ કરવાથી મેળવી શકાશે.

https://www.roundtableindia.co.in/dr-srvapalliradha-krishnan-the-teachedr-who-plagiarised-his-student-thesisi.

આ ઘટના દુ:ખદ તો છે જ પણ સાથોસાથ એક સન્માનનીય અને આદરપાત્ર પ્રોફેસર આવું પણ કરી શકે તે સૌને વિચારતા કરી મૂકે છે. દ્રોણ-એકલવ્ય મોડલમાં જણાતું જ્ઞાનના આધિપત્ય અને ઇજારાનું મોડલ હજુ પણ જીવંત છે.

(૨) યાજ્ઞવલ્ક્ય-ગાર્ગી મોડલ : ગાર્ગી એક નારી હોવા છતાં વેદ-વેદાંતમાં પારંગત હતી. તે એક સ્વતંત્ર વિચારક હતી. એક વાર જનક રાજાએ બ્રાહ્મણ-પંડિતોની સભા ભરી. તેમણે કહ્યું – તમારામાં જે સૌથી વિદ્વાન હોય તે આ હજાર ગાયોને લઈ જાય.

સ્વતંત્ર વ્યક્તિત્વ, વિચાર, વર્તન કે અભિવ્યક્તિ માત્ર શૉ-કેસ માટે નથી. તેનું ક્રિયાન્વયન થાય ત્યારે ગજબનાં પરિણામો આવે છે. જેમને રસ પડે તેમણે ગુગલ-સર્ચમાં કઈ કયા કયા દેશોને કેટલાં નોબલ ઇનામો મળ્યાં છે તેની યાદી ફરી જોવા જેવી ખરી. સ્વતંત્રતા (લિબર્ટી) વગરના દેશો અને સ્વતંત્રતા ધરાવનાર દેશો વચ્ચે તુલના કરવાથી આ મુદ્દો સ્પષ્ટ થશે.)

સ્વતંત્ર વિચાર માત્ર રાજ્યસત્તાના કારણે જ અવરોધાય છે તેવું નથી. આ અવરોધક પરિબળોમાં રૂઢિ, પરંપરા વગેરે પણ મોટો ભાગ ભજવે છે. ભાષાના રોકેટ વિજ્ઞાનીઓ રોકેટની ગતિ, ગ્રહોની ગતિ વગેરેનું અતિ અટપટ્ટું આકલન કરી શકે છે. આ ગણિતનો વિષય છે – તેમાં કર્મ, નસીબ વગેરેનું કોઈ જ સોનામહોર નથી. પંડિતોની સભા વિચારમાં પડી પણ યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યોને કહ્યું, ‘આ ગાયો આપણી છે – લઈ ચાલો, પંડિતો આડા પડ્યા; સાબિત કરો કે તમે જ સર્વશ્રેષ્ઠ છો. તે સમયે ગાર્ગીએ કહ્યું – પંડિતો, જો આ યાજ્ઞવલ્ક્ય મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપી શકે તો તમારે કોઈએ કાંઈ પૂછવાપણું રહેશે નહીં. ગાર્ગીની આ કક્ષા હતી.

આ ગાર્ગીએ અન્ય એક પ્રસંગે યાજ્ઞવલ્ક્ય સાથે લાંબો શાસ્ત્રાર્થ કર્યો. યાજ્ઞવલ્ક્ય એટલા તંગ થઈ ગયા કે તેમણે ગાર્ગીને કહ્યું- હવે એક પણ પ્રશ્ન પૂછીશ તો તારું માથું ભાંગી નાંખીશ ?!

આપણી હાલની શિક્ષણ પદ્ધતિમાં આ બંને મોડેલ કામ કરે છે. શિક્ષક સર્વજ્ઞ અને સર્વોપરી છે તથા તે કહે તેમાં પ્રશ્નો પૂછવા નહીં. આ બંને મોડલ શિક્ષણનાં મૂળ વિચારની વિરુદ્ધના તો છે જ પણ સ્થાન નથી. છતાં ક્યારેક આ વિજ્ઞાનીઓ રોકેટ છોડતાં પહેલાં ઈષ્ટદેવ પાસે નાળિયેર વધારતા હોય છે ! અમેરિકાના ‘નાસા’ના વિજ્ઞાનીઓ કોઈ નાળિયેર વધારતા હોય તેવું જાણમાં નથી.

આ સમગ્ર ચર્ચના સારરૂપે જોવા મળે છે કે શિક્ષણની પ્રત્યેક પળ અને તેમાં સામેલ દરેક વ્યક્તિ એક ગજબની ગુંજાશ ધરાવે છે. વર્ગની સામે ઊભેલા શિક્ષકે પળેપળ સાવધ રહેવાનું છે અને પોતાની સમક્ષ ઉપસ્થિત માનવદેહી ચેતન-પૂંજોને સંકોરતા અને ખિલવતા રહેવાનું છે. કમનસીબે શિક્ષણ આનાથી સાવ વિપરિત દિશામાં ‘એકલવ્ય-ગાર્ગી મોડલ’માં ઊંડું ખૂંપી ગયું છે ! કોઈ ઉપાય જણાય છે?

[સંપાદક,  અભિદૃષ્ટિ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, નવેમ્બર 2022; પૃ. 04-05

Loading

...102030...1,1921,1931,1941,195...1,2001,2101,220...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved