Opinion Magazine
Number of visits: 9566892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના શિક્ષણમંત્રીશ્રીને જાહેર પત્ર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 February 2023

આદરણીય શિક્ષણ મંત્રીશ્રી,

કુબેરભાઈ મ. ડીંડોર

નમસ્કાર. કુશળ અને સ્વસ્થ હશો જ, પણ શિક્ષણને સ્વસ્થતા મળે તે માટે આ વિનંતી પત્ર ! તમને વાંચવાની અનુકૂળતા મળી રહે એવી પ્રાર્થના કરું છું.

હું માનું છું કે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ એકબીજા સાથે સંલગ્ન છે, પણ તમારી જાણ બહાર વર્તવાની મોકળાશ શિક્ષણ વિભાગ ભોગવે તો તેની જવાબદારી કોની તે વાતે મૂંઝાઉં છું. મારી સમજ શક્તિની મર્યાદા સ્વીકારીને પણ હું એમ કહેવા પ્રેરાઉં છું કે શિક્ષણ વિભાગ પરસ્પર વિરોધી નિર્ણયો લેવામાં સંકોચ નથી અનુભવતો. ઉતાવળે નિર્ણયો લઈને તેને સ્થગિત કે રદ્દ કરવાનું આ વિભાગના ડી.એન.એ.માં હોય એવું લાગે છે.

ઉદાહરણો આપીને અહીં કેટલીક વાતો કરવી છે.

આમ તો આપણે આપણાં રાજ્યને ગુજરાત કહીએ છીએ ને અહીં આદિ કવિ નરસિંહ મહેતાના કાળથી ગુજરાતી માતૃભાષા તરીકે વ્યવહારમાં રહી છે. તે પછી તો મીરાં, અખો, દયારામ, દલપત, નર્મદ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, પન્નાલાલ, ચં.ચી., સુંદરમ્‌, ઉમાશંકર, સુરેશ જોશી જેવાં અનેક સર્જકોને હાથે ગુજરાતી સહજ રીતે ખેડાતી રહી છે. નર્મદ પછીના તો ઘણા સર્જકો અંગ્રેજી ભાષા અને સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા, પણ ગુજરાતી તો વરવી થવા લાગી હોય તોય ‘જય જય ગરવી ગુજરાત..’ ગાતી રહી છે. ગુજરાતીનું તેજ એટલું બળકટ હતું કે કાલેલકર જેવા સર્જકે તો પોતાની મરાઠીમાં સર્જન કરવાને બદલે ગુજરાતીમાં લખવાનું સ્વીકાર્યું અને પોતાનું સવાઇ ગુજરાતીપણું સિદ્ધ કર્યું. અંગ્રેજોએ તો સૂરતથી ગુજરાતમાં અને દેશમાં વિસ્તરવાનું સ્વીકાર્યું. એમણે વહીવટ અંગ્રેજીમાં કર્યો, પણ ફાર્બસ જેવા તો ‘સાહિત્ય સભા’ સુધી પણ પહોંચ્યા. અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરવાનું કોઈ રીતે ફરજિયાત ન હતું, પણ તેમણે ગુજરાતી સ્કૂલો શરૂ કરી, એટલું જ નહીં, કન્યા કેળવણીનો મહિમા સ્વીકારીને કન્યાશાળાઓ પણ સ્થાપી. એ વખતે જેમને જરૂર લાગી, તેમણે અંગ્રેજી શિક્ષણ પણ લીધું ને વધુ અભ્યાસ માટે વિદેશ પણ ગયા, પણ કોઈને

રવીન્દ્ર પારેખ

ગુજરાતી આટલી ખટકી નથી જેટલી હાલની ગુજરાત સરકારને ખટકી રહી છે. એ અત્યંત દુ:ખદ છે કે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરી ને ગુજરાત સરકારે તે બંધ કરી, અંગ્રેજી માધ્યમની શાળાઓને ઉત્તેજન આપ્યું. આ કોઈ પણ રીતે યોગ્ય નથી. ગુજરાત ઇંગ્લેન્ડ નથી કે અહીંની માતૃભાષા અંગ્રેજી કરવાનો ઇરાદો રાખવો પડે. અંગ્રેજીનો મને જરા જેટલો ય વાંધો નથી. પ્રાદેશિક ભાષા તરીકે ગુજરાતી, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીનું સન્માન હોય જ !  પણ, ગુજરાતીને ભોગે અંગ્રેજીનો મહિમા અક્ષમ્ય છે.

માનનીય સાહેબ, જરા તપાસ કરાવજો કે છેલ્લા દાયકામાં કેટલી ગુજરાતી સ્કૂલો બંધ થઈ અને અંગ્રેજી માધ્યમની શરૂ થઈ? ગુજરાતી સ્કૂલો બંધ થવા માટે કારણ એવું અપાય છે કે વિદ્યાર્થીઓ નથી મળતા. હસવું આવે એવી વાત છે કે ગુજરાતમાં ગુજરાતી ભણવા ગુજરાતીઓ નથી મળતા ! તો એ ક્યાંથી,  ઇંગ્લેંડથી મળવાના છે? આ કેમ થયું? ગુજરાતીઓ ગુજરાતીથી દૂર ભાગતા કેમ થયા? એને માટે સરકારની નફાકારક નીતિ અને અમીર વાલીઓ જવાબદાર છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અંગ્રેજી સ્કૂલોનો એટલો મારો ચાલ્યો કે અંગ્રેજી વગર ઉદ્ધાર નથી એવું અલ્પ શિક્ષિત વાલીઓનાં મગજમાં ઠસી ગયું ને તેણે રાતોરાત પોતાનાં સંતાનોને અંગ્રેજ બનાવવા તનતોડ મહેનત કરવા માંડી. આખું ગુજરાત, ઇંગ્લેન્ડ, અમેરિકા જઈને ઠલવાવાનું હોય તેમ અહીં વસનારનો વિચાર બાજુ પર મુકાયો. જે વિદેશ જવાના હોય તેમને ભલે સરકાર અંગ્રેજ બનાવે, પણ જે અહીં રહેવાના હતા ને દાળભાત જ ખાવાના હતા એમને અંગ્રેજીથી વટલાવવા જેવું કરવાની જરૂર હતી? એક તરફ ગુજરાતી સ્કૂલો બંધ થતી જતી હતી ને બીજી તરફ અંગ્રેજી માધ્યમની સ્કૂલો, એક ભાષા તરીકે પણ ગુજરાતી ભણાવવા તૈયાર ન હતી. હાઇકોર્ટની ટકોર હતી કે એક વિષય તરીકે દરેક સ્કૂલોએ ગુજરાતી ભણાવવું જ, પણ અંગ્રેજોની ઔલાદ જેવી કેટલીક સ્કૂલો મચક આપતી ન હતી …

ભલું થજો ગુજરાત સરકારનું કે તેણે કેબિનેટમાં ધોરણ 1થી 8માં ગુજરાતી એક વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો નિર્ણય લીધો. સરકાર, વધારામાં સંબંધિત સ્કૂલો સામે ધોરણ 1થી ગુજરાતી ફરજિયાત ભણાવવા અંગેનું બિલ પણ લાવી રહી છે. નવાં વિધાનસભા સત્રમાં સરકાર કાયદો લાવે એમ બને. સરકારે હાઇકોર્ટને ગુજરાતી અંગે બાંહેધરી આપી હતી, તેનો કાયદો થતાં અમલ થાય એમ બને. કાયદો થશે તો ગુજરાતી ન ભણાવતી શાળાઓને બે વાર દંડ થશે ને તે પછી પણ તે ન માને તો સજા થશે. ગુજરાતમાં ગુજરાતી ભણાવવા કાયદો કરવો પડે એવી આ અભૂતપૂર્વ ઘટના પરથી પણ સમજી શકાય એવું છે કે ગુજરાતીઓ ગુજરાતીને કેટલું ચાહે છે !

મારા સાહેબ, ગુજરાતી અંગે બિલ લાવવા બદલ તમને હું અંગત રીતે અભિનંદનો પાઠવું છું ને વિનંતી કરું છું કે નરસિંહ, નર્મદની ગુજરાતી, નમર્દના હાથોમાં ન પડે એટલું જોવાય. આમાંની ઘણી વાતો તમે જાણતા જ હશો, પણ કેટલીક વાતો એટલે દ્રઢાવી છે કે હવે પછી હું જે વાતો કહેવા ધારું છું તેને પુષ્ટિ મળે.

ગયે વર્ષે એટલે કે 2022માં શિક્ષણ વિભાગ દ્વારા અંગ્રેજી-ગુજરાતી મિશ્ર ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની યોજના અમલમાં મુકાઇ. થોડાક અધિકારીઓની ધૂનને પોષવા કે અમુક જૂથની આર્થિક અનુકૂળતાઓ સાચવવા દ્વિભાષી પુસ્તકો તૈયાર કરવાનો નિર્ણય લેવાયો.

ફરીથી કહું છું કે અંગ્રેજી જરૂરી છે, પણ તેની ગુલામી તો ન હોય ને ! અંગ્રેજોની ગુલામી ન રહી હોય તો અંગ્રેજીની શું કામ રહેવી જોઈએ? એક તરફ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માતૃભાષામાં લેવાતી હોય, તબીબી વિદ્યાશાખાનો અભ્યાસ પોતાની ભાષામાં કરવાની અનુકૂળતાઓ ઊભી કરાતી હોય, ત્યાં જાણે ગુજરાતી પણ અંગ્રેજીમાં શીખવવાની વાત હોય તેમ, આ દ્વિભાષી પુસ્તકોની વાત આવી. ખુદ વડાપ્રધાને નવી શિક્ષણ નીતિમાં સાયન્સ, ટેકનોલોજી અને દાક્તરીનાં પુસ્તકો ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરી હોય, ગુજરાતી ફરજિયાત ભણાવવાનું ઠરાવાયું હોય, ત્યાં દ્વિભાષી પુસ્તકનું આખું તર્કટ કોઇકનાં મનસ્વીપણાંની જ ચાડી ખાય છે એવું નથી લાગતું? આવું તો ઘણું શિક્ષણ વિભાગમાં ભર્યું પડ્યું છે.

આ અંગ્રેજી-ગુજરાતી મિશ્ર પાઠ્ય પુસ્તક યોજનાનો જ દાખલો લઇએ તો તે ભાર વગરનાં ભણતરનો છેદ ઉડાડે છે. એક બાજુ ભાર વગરનાં ભણતરને સમર્થન અપાય, તેમ ન થાય તો કાનૂની જોગવાઈ કરી હોય, વાલીઓએ 10મી ફેબ્રુઆરીએ જ સ્કૂલ બેગનું વજન ઘટાડવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હોય, શરીરનાં વજનનું 10 ટકા વજન જ બેગનું  હોવું જોઈએ એવું કહેવાતું હોય ને બીજી બાજુ આ જ શિક્ષણ વિભાગ દ્વિભાષી પુસ્તકો દ્વારા પુસ્તકોનું કદ, વજન ને બમણું કરે તો ભણતર ભાર વગરનું થાય કે આભાર વગરનું તે જોવાનું રહે જ છે. વારુ, આ બધું ખર્ચની રીતે તો બમણું નથી થતું ને તે પણ જોવાનું રહે. પણ આવું કશું શિક્ષણ વિભાગના સિલેબસમાં આવતું હોય એમ લાગતું નથી.

એટલું જરૂર થયું કે ગણિત-વિજ્ઞાનનાં દ્વિભાષી પુસ્તકો છાપવાનો નિર્ણય તમારી દરમિયાનગીરીથી સ્થગિત થયો. આમ તો 17 માર્ચ, 2022ને રોજ શિક્ષણ વિભાગે ધોરણ 6થી 8 સુધી, ક્રમશ: ગણિત-વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્ય પુસ્તકોનાં અમલીકરણનો પરિપત્ર બહાર પાડ્યો, ત્યારે સરકારને વિશ્વાસમાં ન લીધી, એનો કમિટીના જ પાંચ સભ્યોએ વિરોધ કર્યો, તો એમને નજર અંદાજ કરાયા, ન તો શિક્ષણવિદો, શિક્ષકો, વાલીઓને વિશ્વાસમાં લીધા, આના પરથી નથી લાગતું કે આખો શિક્ષણ વિભાગ મનસ્વી રીતે કોઈ તુક્કાને અમલમાં મૂકવાની ગણતરીથી ચાલે છે? જો ભણતર ભાર વગરનું સ્વીકારાયું હોય તો સ્થૂળ બુદ્ધિને પણ  એટલું તો સમજાય કે દ્વિભાષી પુસ્તક તો આપ મેળે જ કદ અને વજન બમણું કરે એમ છે, તો, એનો અમલ કરવામાં થૂંકીને ચાટવા જેવું થશે એવો સાદો વિચાર પણ કોઈ અધિકારીને ન આવે એ સમજાતું નથી. આ વિભાગના સાહેબો બાળકોની બુદ્ધિના સહજ વિકાસને સ્વીકારવાને બદલે ભાષાનું ભારણ વધારવાની માનસિકતાથી પીડાતા હોય એવું લાગે છે. ધોરણ 6થી શરૂ કરીને ક્રમશ: આ યોજના ધોરણ 8 સુધી વિસ્તારવાની વાત હતી, આ વાતની તમને જાણ થઈ ને તમે એ નિર્ણય સ્થગિત કરીને બાળકોની પીઠ પરનો બોજ ઘટાડયો છે, એને માટે બાળકો તમારાં ઋણી રહેશે.

આવું તો ઘણું છે જે ગંભીર વિચારણા માંગે છે. પ્રવાસી શિક્ષકોને મહિનાઓથી પગાર નથી મળતો એ કદાચ તમે જાણતા હો તો એ દિશામાં કશુંક નક્કર કરવા વિનંતી છે. પ્રવાસી શિક્ષક, વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક નીમવા કરતાં મૂળ શિક્ષકોની નિમણૂક કદાચ વધારે સહેલી છે. આ ઉપરાંત શિક્ષકોને, આચાર્યોને પરિપત્રો ને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરવાનું ઓછું થાય તો એ ભણાવી પણ શકે. એને ભણાવવાની મોકળાશ થાય એવું વાતાવરણ અપેક્ષિત છે, કારણ શિક્ષક થયો છે જ ભણાવવા માટે –

વધારે શું કહું?

આભાર સહ,

રવીન્દ્ર પારેખ

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2023

Loading

આશાની નિરાશા : શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 February 2023

પ્રશ્ન : તમારી ગમતી ફિલ્મ કઈ?

જે. ઓમ પ્રકાશની આશા અને રાજુકુમાર કોહલીની નાગિન.

પ્રશ્ન : લતા મંગેશકરનાં ગીતોએ તમારી કારકિર્દીમાં બહુ મદદ કરી હતી.

બહુ જ. આજે પણ લોકો ‘આશા’માં તેમના ગીત ‘શીશા હો યા દિલ હો’થી મને યાદ કરે છે.

પ્રશ્ન : એ ગીતમાં તમારા જીવનનું પ્રતિબિંબ છે?

મારાં આંસુ સુકાઈ ગયાં છે. હવે, હું દરેક મુસીબત સામે હસું છું.

તાજેતરમાં, એક્ટ્રેસ રીના રોય સાથે ફિલ્મ પત્રકાર સુભાષ ઝાની વાતચીતનો આ અંશ છે. કળા જીવનથી પ્રેરિત હોય છે કે કળાથી જીવન પ્રેરિત થાય છે તેને લઈને મતમતાંતર છે, પણ રીના રોયના કિસ્સામાં તો જાણે તેમની ફેવરિટ ફિલ્મ ‘આશા’ અને તેમનું અંગત જીવન જાણે સમાંતર ચાલ્યું હતું. એવી રીતે ફિલ્મની હિરોઈન આશા પ્રેમના સુખી સંસારથી વંચિત રહી જાય છે, તેવી રીતે રીના પણ અસલી જીવનમાં તેમના બે સૌથી મોટા પ્રેમ સંબંધમાં કામિયાબ રહી શક્યાં નહોતાં. 

રીના રોય

19 વર્ષની વયે, રીના રોયે બ્લોકબસ્ટર ફિલ્મ ‘કાલીચરણ’ (1976) આપી હતી. એમાં જ તેમનું નામ શત્રુઘ્ન સિંહા સાથે જોડાઈ ગયું. તેમની બીજી ફિલ્મ ‘વિશ્વનાથ’ પણ એટલી જ સફળ રહી હતી. શત્રુઘ્ન અને રીના બંનેની કારકિર્દી આ ફિલ્મોથી ઊંચકાઈ ગઈ હતી. શત્રુ તેમનાથી 11 વર્ષ મોટા હતા. બંનેના વ્યવસાયિક સંબંધો જલદીથી પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયા. 

શત્રુઘ્ન સિંહાનો એ વિચિત્ર સંબંધ હતો એવું કહીએ તો ખોટું નથી, કારણ કે એક તરફ તે રીના રોયના પ્રેમમાં હતા અને બીજી તરફ મોડેલ પૂનમ ચંદીરામાણી સાથે ફેરા ફર્યા હતા. સિનેમા જગતમાં એવી અફવા હતી કે રીના અને શત્રુઘ્ન લગ્ન કરશે, પણ પૂનમ સાથે લગ્ન કર્યા પછી પણ જાણે કશું બન્યું ન હોય તેમ શત્રુએ રીના સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. 

એ સ્કેન્ડલ એટલું ગાજ્યું હતું કે રીનાએ શરત મુકવી પડી હતી કે શત્રુઘ્ન જો તેમની સાથે લગ્ન નહીં કરે તો તે આઠ દિવસમાં બીજે લગ્ન કરી લેશે. એ “બીજે” એટલે પાકિસ્તાનનો ડેશિંગ ક્રિકેટર મોહિસીન ખાન. પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેસ્ટમેન મોહસિન ખાન જેટલો દેખાવમાં ય હિરો જેવો હતો. રીના અને મોહસિનનાં લગ્ન બોમ્બસેલ જેવાં હતાં. સિનેમા જગતમાં કોઈને આની ગંધ સુદ્ધાં નહોતી, પરંતુ શત્રુઘ્ન સિંહાની ‘બીજી પત્ની’ તરીકેનું સ્કેન્ડલ એટલું ગાજ્યું હતું કે રીનાએ તાબડતોબ પોતાનો આગવો સંસાર માંડી દીધો હતો.

ખાલી દેખાવનું આકર્ષણ કહો, ભારત-પાકિસ્તાનની અલગ રીત-ભાત કહો, સિનેમા-ક્રિકેટનું ગ્લેમર કહો કે પછી રીનાનો ભૂતકાળ કહો, મોહસિન સાથે શરૂઆતનાં વર્ષો તો સારાં ગયાં પણ એક દીકરી થયા પછી બંને વચ્ચે અંતર વધતું ગયું અને એ લગ્ન પણ તૂટી ગયાં. એવાં તૂટ્યા કે દીકરીનું નામ જન્નત હતું તેને બદલીને રીનાએ સનમ કરી નાખ્યું. દિલ હોય કે કાચ, એ તૂટી જ જાય છે એ વાત રીના માટે ફરી સાબિત થઇ હતી.

રીનાએ કહ્યું હતું કે મોહસિનની લાઈફસ્ટાઈલ અને લંડનમાં રહેવાનો તેનો આગ્રહ માફક આવ્યો નહોતો. મોહસિનનો લંડનમાં પણ બંગલો હતો અને તે ઈચ્છતો હતો કે રીના બ્રિટિશ નાગરિક બની જાય. નવાં નવાં  લગ્ન હોય એટલે મુંબઈ, કરાચી અને લંડન વચ્ચે વહેચાયેલું જીવન આકર્ષક લાગે પણ પછી પછી એવી લાઈફસ્ટાઈલ આકરી પડવા માંડી હતી.

એક જૂનાં ઇન્ટરવ્યૂમાં રીનાએ કહ્યું હતું, “હું મજબૂત સ્ત્રી છું. જીવનમાં બહાદુર રહેવું પડે. સંવેદનશીલ પણ છું, અને એટલે જ એક્ટર છું, પણ અસલ જીવનમાં હું મારા પરિવાર સુધ્ધાં સમક્ષ મારી લાગણીઓ જાહેર થવા દેતી નથી. હું નાની હતી ત્યારે પણ નારાજ થઇ હોઉં તો કોઈની સામે રડતી નહોતી. કુછ ભી સહન કર લો, બર્દાશ્ત કર લો, આંસુ નહીં લાના હૈ, એવું હું મને કહેતી હતી. હું કોઇની સામે રડતી નથી. સાચું કહું તો, કોઈ એવો દાવો ના કરી શકે કે તેમણે મને રડતાં જોઈ છે, ન તો મારા પરિવાર કે ન તો મારી દીકરી.”

અસલી જીવનની આ હકીકતના કારણે જ કદાચ રીનાને ‘આશા’ ફિલ્મ વધુ ગમતી હશે. ફિલ્મ રીના રોયના કારણે જ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી કારણ કે તેની ભૂમિકા દર્શકોની સહાનુભૂતિ મેળવી ગઈ હતી અને બીજું તેનું કર્ણપ્રિય સંગીત. 

‘આશા’(1980)ની કહાની, જે. ઓમ પ્રકાશની મોટા ભાગની ફિલ્મોમાં બંને છે તેમ, અત્યંત ઉતારચઢાવ વાળી હતી. ફિલ્મમાં દીપક (જીતેન્દ્ર) ટ્રક ડ્રાઈવર છે અને આશા નામની જાણીતી ગાયિકાને લિફ્ટ આપે છે. એમાં આશાને દીપક ગમવા લાગે છે. દીપકનાં લગ્ન માલા (રામેશ્વરી) સાથે થાય છે. એમાં દીપકને અકસ્માત થાય છે અને તે મરી ગયો એવું જાહેર થાય છે. માલા ઘર છોડવા મજબૂર થાય છે અને નદીમાં કૂદી પડે છે. એક મંદિરના લોકો તેને બચાવે છે પણ તેની આંખો જતી રહે છે. તે એક દીકરી દીપમાલાને જન્મ આપે છે.

દીપક જીવતો હોય છે અને ઘરે પાછો આવે છે. તેના જીવનમાં આશાની પણ વાપસી થાય છે. બંને રસ્તા પર મૂર્તિઓ વેચતી દીપમાલાના પરિચયમાં આવે છે. આશા માલાને પણ મળે છે અને તેની સારવાર કરે છે. તે માલાને પોતાના લગ્નમાં બોલાવે છે. ત્યાં માલાને ખબર પડે છે દીપક તો જીવતો છે. બીજી બાજુ દીપકને પણ ખબર પડે છે કે માલા જીવતી છે અને દીપમાલા તેની દીકરી છે. 

આશા છેલ્લી ઘડીએ લગ્ન રદ્દ કરે છે અને દીપકને તેની પત્ની અને દીકરી સાથે મિલાવે છે. આશા પાછી તેની ગાયકીની દુનિયામાં જતી રહે છે અને તેનું જાણીતું ગીત ગાય છે; શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ.

યોગનુયોગ જ હશે, પણ ‘આશા’માં જાણે રીના રોયના ભાવિ જીવનનો સંકેત હતો. ‘આશા’ (રિતીક રોશનના નાના) જે. ઓમ પ્રકાશની નિર્દેશક તરીકેની પાંચમી ફિલ્મ. એ પહેલાં તે આપ કી કસમ, આક્રમણ, અપના પન અને આશિક હું બહારો કા બનાવી ચુક્યા હતા. ‘અપના પન’માં તેમણે રીના સાથે પહેલીવાર કામ કર્યું હતું. એ ફિલ્મ એટલી સફળ રહી કે તે તેમણે રીના અને જીતેન્દ્રને ‘આશા’માં રિપીટ કર્યાં અને રીના સાથે ત્રીજી સફળ ફિલ્મ ‘અર્પણ’ બનાવી હતી. 

આ બધી જ ભૂમિકાઓ બહુ નાટ્યાત્મક હતી, જેમાં રીનાના ભાગે પ્રેમનું બલિદાન આવ્યું હતું. એક જગ્યાએ રીના કહે છે; “મારી માને ચિંતા થઇ આવી હતી. તે કહેતી, બેટા, ઇતની સેક્રિફાઇસ વાલે રોલ મત કરો, કહી હકીકત મેં તુમ્હારી જિંદગી ઐસી ન હો જાયે. હું દલીલ કરતી કે આ એવા તાકાતવર રોલ છે કે કોઈ પણ હિરોઈન સામેથી માગે. આશા, અપના પન અને અર્પણના રોલનું મારી કારકિર્દીમાં મોટું યોગદાન હતું.”

રીનાએ કહ્યું હતું, “શીશા હો યા દિલ … મારું જ નહીં, દુનિયાનું પ્રિય છે. સબ કા દિલ કઈ બાર તૂટા હૈ, ફિર જુડતા હૈ, ફિર તૂટતા હૈ. જીવન એવું જ હોય છે.”

પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 22 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ગાંધી’નાં ૪૦ વર્ષ, ગાંધી વિનાના સાડા સાત દાયકા

અશોક પટેલ|Opinion - Opinion|23 February 2023

ગાંધીજી એ ભારતની એક એવી વ્યક્તિ છે, જેને કેટલાક ભલે ગાળો દેતા હોય, પરંતુ તેમને અવગણી શકાય નહીં. તેમની આઝાદીની લડતમાં જે ભૂમિકા રહી છે, તેને ભૂલી શકાય નહીં. ખેર, આજે તો ગાંધીને ભુલાવી દેવાનો ઠીક ઠીક પ્રયાસ થાય છે, પરંતુ ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવા કે રાજઘાટ પર અંજલિ આપવાનું બંધ કરી શકાતું નથી. વિદેશની ધરતી પર પહોંચો તો પણ ગાંધીજીના સાંનિધ્યમાં જવું જ પડે, એવો તેમનો પ્રભાવ દુનિયાભરમાં રહ્યો છે. એક બે નહીં, દુનિયાના ૭૦ દેશોમાં ગાંધીજીની પ્રતિમા કે કોઈ ને કોઈ સ્મારક અસ્તિત્વ ધરાવે છે, ત્યારે તેમનું નવી પેઢીને ઘેલું લગાડનાર ફિલ્મ ‘ગાંધી’નાં ૪૦ વર્ષ થયાં છે, તો ગાંધી વિના દેશે સાડા સાત દાયકા ખેંચી કાઢ્યા છે, એ પણ કડવું સત્ય છે.

ગાંધીજીને ધીરે ધીરે દેશ ભૂલવા માંડ્યો છે, એમ તો કહી શકાય નહીં. તેમને ગાળો દેવા કે તેમના ઋણને યાદ કરવા માટે પણ ગાંધીજીનું નામ તો લેવું જ પડે એમ છે. હા, તેમણે દર્શાવેલાં મૂલ્યોનું હવે કમ સે કમ આપણા દેશમાં ધોવાણ થઈ ગયું છે. ગાંધીનાં મૂલ્યોની જાળવણી કરવામાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની વસ્તીમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ રહ્યા છે. એવા લોકોને પણ સલામ કરવી પડે કે તેઓ આજે એક દૃષ્ટિએ જોઈએ તો સામા પ્રવાહે તરી રહ્યા છે. ખેર, નૈતિક મૂલ્યોની વાત કરીએ તો ભારોભાર દંભ ભારતીયોમાં ભર્યો છે. તત્કાલિન વડા પ્રધાનશ્રીએ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી હતી, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ પણ એ નારો લગાવ્યો હતો, પરંતુ આજે પણ ભ્રષ્ટાચાર નાબૂદ થવાની વાત તો દૂર, ભ્રષ્ટાચાર ઘટ્યો એમ પણ કહી શકાય નહીં.

ગાંધી વિનાના સાડા સાત દાયકામાં આપણે ગાંધીજીને આપણા દંભનું રેપર બનાવીને રાખ્યા છે, એમ કહીએ તો ચાલે. આજે એવા ગાંધીવાદીઓ પણ રહ્યા નથી કે જે ખોંખારીને ગાંધીજીનાં મૂલ્યો માટે ઊભા થઈ જાય. વોટ્સ એપ યુનિવર્સિટીએ એવું ચિત્ર દોરી નાખ્યું છે કે ગાંધીજીને ગાળો દઈને જ નવી પેઢી ગૌરવ અનુભવે છે. તેનું કારણ એ જ કે, ગાંધીજી અંગે કોઈ વાંચતા નથી અને વિચારતા પણ નથી. આ ફાસ્ટ લાઈફમાં એટલું વાંચવાનો પણ સમય રહ્યો નથી. રાજકારણીઓ તો ગાંધીજીને અવગણી ન શકાય એટલે તહેવારોએ યાદ કરી લેતા હોય છે, ત્યારે ગાંધીજીને સમજવા માટે ફિલ્મનું માધ્યમ સબળ છે, એમ કહી શકાય. છતાં આજે તો ગાંધી પરની ફિલ્મ પણ ચાલે કે કેમ એ સવાલ છે. પરંતુ ચાલીસ વર્ષ પહેલાં ગાંધીજીને દુનિયા સમક્ષ મૂકવાનું એક સારું કામ બ્રિટિશ ફિલ્મ-કારે કર્યું હતું.

૩૦ નવેમ્બર, ૧૯૮૨ના રોજ ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગાંધી’ને ૪૦ વર્ષ પૂરાં થયાં છે. જો કે ચાર દાયકામાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. ‘ગાંધી’ ફિલ્મ ભારતમાં ૩૦ નવેમ્બર ૧૯૮૨ના રોજ રાજધાનીનાં રીગલ, કમલ અને વિવેક સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ત્રણેય થિયેટરો બંધ થઈ ગયાં છે અને માત્ર યાદોમાં જ જીવંત છે. અલબત્ત, ‘ગાંધી’ જોયા પછી વિશ્વે મહાત્મા ગાંધીને નજીકથી જાણવાનું વિચાર્યું. રિચર્ડ એટનબરોએ મહાન લેખક લુઈ ફિશર દ્વારા લખાયેલ ગાંધીજીના જીવનચરિત્ર ‘ધ લાઈફ ઑફ મહાત્મા’ પર આધારિત ‘ગાંધી’નું નિર્દેશન કર્યું હતું. જો એટનબરોએ લુઈ ફિશરે લખેલું ગાંધીજીનું જીવનચરિત્ર વાંચ્યું ન હોત તો શું ‘ગાંધી’ ફિલ્મ બની હોત ? ગાંધીજીની હત્યાનું દૃશ્ય બિરલા હાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું. સમગ્ર દૃશ્યને જીવંત કરવા માટે દિલ્હીની વિવિધ કૉલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા.

‘ગાંધી’ના શૂટિંગ પહેલાં, તેમાં ગાંધીની ભૂમિકા ભજવતા શક્તિશાળી અભિનેતા બેન કિંગ્સલીએ રાજધાનીમાં ગાંધીજી સાથે સંકળાયેલાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થાનો જોયાં અને અનુભવ્યાં હતાં. તેમણે દિલ્હીના પંચકુઈઆ રોડની વાલ્મીકિ બસ્તીથી બિરલા હાઉસ સુધી મુલાકાત લીધી હતી. બેન કિંગ્સલીએ એક સમયે કહ્યું પણ હતું કે, મેં ‘ગાંધી’ ફિલ્મ કરતા પહેલાં બાપુની લૂઈ ફિશરની જીવનકથા ઘણી વખત વાંચી હતી. તે વાંચીને મને બાપુ અને તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની જાણ થઈ. વારંવાર એ વાંચવાને કારણે જ હું મારા પાત્ર સાથે ન્યાય કરી શક્યો છું. ગાંધીજીના જીવન પર બનેલી ‘ગાંધી’ને આઠ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ ગાંધીજીના જીવન પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

ગાંધી ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, દરિયાગંજ પોલીસ સ્ટેશન વગેરેમાં પણ થયું હતું. ગાંધીજીની હત્યાનું દૃશ્ય રીલને બદલે વાસ્તવિક લાગે તે માટે હજારો લોકોને અંતિમયાત્રાનો ભાગ બનાવવામાં આવ્યા હતા. આ એક વિચિત્ર સંયોગ છે કે ગાંધી ફિલ્મની રાજધાનીમાં આઉટડોર શૂટિંગની તમામ વ્યવસ્થા કરનારા પ્રખ્યાત ફિલ્મ સર્જક સુરેશ જિંદાલનું તાજેતરમાં નિધન થયું છે. અલબત્ત, રાજધાનીમાં ગાંધી ફિલ્મના શૂટિંગને લગતા તમામ લોકેશન સુરેશ જિંદાલના પ્રયાસોથી મળી આવ્યા હતા.

ગાંધીની ભૂમિકા ફિલ્મ રિલીઝ થઈ તેના ઘણા સમય પહેલાં લખાઈ હતી. ગાંધીજીની જીવનકથા લખનાર અમેરિકન લેખક લૂઈ ફિશરે ૨૫ જૂન ૧૯૪૬ના રોજ દિલ્હીની મુલાકાત લીધી હતી. સફદરગંજ એરપોર્ટ પર પ્લેનમાંથી ઊતર્યા પછી, તે ટેક્સી દ્વારા સીધા જ જનપથ (તે સમયે ક્વીન્સ એવન્યુ) પરની ઇમ્પિરિયલ હોટેલ પહોંચ્યા હતા. ઇમ્પિરિયલ લોબીમાં જ પોતાનો સામાન મૂકીને ફિશર પંચકુઈઆ રોડ પરની હોટલમાં જવા નીકળી ગયા હતા. ફિશર સાંજે ૫ વાગે વાલ્મીકિ મંદિર પહોંચ્યા હતા, ત્યારે દિલ્હીના રસ્તાઓ પર આજના જેવો ટ્રાફિક ક્યાં હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પંડિત નહેરુ અને ઘણા લોકો ત્યાં હાજર હતા. થોડી વાર પછી બાપુ તેમના મંદિરના ઓરડામાંથી બહાર આવ્યા હતા. બાપુ તેને તરત ઓળખી જાય છે. તેઓ અમદાવાદમાં ફિશરને મળ્યા હતા. બંનેની મિત્રતા હતી. તેઓ ફિશરના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરે છે. લૂઈ ફિશરે ‘ધ લાઈફ ઓફ મહાત્મા’માં આ બધી બાબતોનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. આ વાંચીને જ રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી હતી.

(‘ગુજરાતગાર્ડિયન’માંથીસાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 09

Loading

...102030...1,1871,1881,1891,190...1,2001,2101,220...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved