Opinion Magazine
Number of visits: 9458281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—172

દીપક મહેતા|Opinion - Opinion|28 November 2022

ટી, ચા, ચાય, ચહા – બધા શબ્દોનું મૂળ મળે ચીની ભાષામાં

મુંબઈને ચા પીતું કર્યું પોર્ટુગીઝોએ    

“આ પ્રદેશમાં ચાનું પીણું હજી તાજું જ દાખલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો, તેથી એક લોહાણો ડોસો ‘ભ્રામણિયા ચા’ની કીટલી અહીં ફેરવતો એ પણ અત્યારે શેઠિયા માણસની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કિટલી લઈને આવી પહોંચ્યો અને પિત્તળનાં કપ–રકાબીમાં ફરફરતી ચા રેડવા જતો હતો, પણ ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભળાવી દીધું : ‘અમારે ચા પીવાની અગડ છે.’ અને પછી આવશ્યકતા નહોતી છતાં અગડનું કારણ ઉમેર્યું : ‘કિયે છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દિયે છે એટલે ઉકાળાનો રંગ રાતોચોળ થાય છે.”

કાઠિયાવાડની ધરતી, ત્યાંના લોકો, તેમનું જીવન, એ બધાંના પરખંદા જાણતલ ચુનીલાલ મડિયાની જાણીતી નવલકથા ‘વેળા વેળાની છાંયડી’ની શરૂઆતમાં જ આવતો આ પ્રસંગ. ૧૯મી સદીની શરૂઆતમાં ચાનું પીણું કાઠિયાવાડ સુધી પહોચ્યું ત્યારે રૂઢિચુસ્ત લોકોનો પ્રતિભાવ કેવો હતો એનો ખ્યાલ આ પ્રસંગ પરથી આવી શકે.

હા. કેટલી ય સદીઓથી ચાનો અથવા તેના જેવો જંગલી છોડ પૂર્વ ભારતના કેટલાક પ્રદેશોમાં ઊગતો હતો. આદિવાસીઓ એનો ઉપયોગ પણ કરતા. પણ ચા એક સાર્વજનિક પીણું બની તે તો નજીકના ભૂતકાળમાં. Tea, ચા, ચાય, ચહા – આ બધા શબ્દોના સગડ મળે ચીની ભાષાની જુદી જુદી બોલીમાંથી. કારણ ચાનું પિયર છે ચીન. ઈ.સ. પૂર્વે ૧૬૦૦ની આસપાસ ચીનમાં ચાની વ્યવસ્થિત વાવણી શરૂ થઈ. જો કે જંગલી છોડ રૂપે તો તે ઈ.સ. પૂર્વે ૨૪૩૭થી જોવા મળતી હતી. કહે છે કે શેનોંગ નામનો એક દેવ. એક દિવસ પાણી ઊકાળતો હતો. બાજુમાં હતો એક છોડ. એકાએક એ છોડ સળગી ઊઠ્યો. એને કારણે પાંદડાં સૂકાઈ ગયાં અને ઊડતાં ઊડતાં આવીને પડ્યાં પેલા ઊકળતા પાણીમાં. શેનોંગે એ પાણી ચાખી જોયું. ભાવ્યું. રોજ પીતો થયો. વખત જતાં ખ્યાલ આવ્યો કે આ પાણી પીવાથી બીજા ૭૦ જેટલા ઝેરી છોડની અસર દૂર થાય છે!

ચીનમાં ચાનું વાવેતર શરૂ થયું ત્યારે તેના પર બીજી કોઈ પ્રક્રિયા કરતા નહિ, એટલે તેનો સ્વાદ કડવો હતો. એટલે તેનું નામ પડ્યું ‘તુ’, જેનો અર્થ થતો હતો કડવો સ્વાદ ધરાવતી વનસ્પતિ. ઈ.સ. પૂર્વે ૭૬૦માં લુ યુ નામના એક વિદ્વાને ચા વિષે લખતાં ભૂલથી ‘તુ’ને બદલે ‘ચા’ લખી નાખ્યું. (ચીની ચિત્રલિપિમાં મામૂલી ફેરફારથી પણ આખો શબ્દ બદલાઈ જાય છે.)

આસામના ચાના બગીચામાં કામ કરતી સ્ત્રીઓ

ઈ.સ. ૧૫૦૦ના સૈકામાં પોર્ટુગીઝોએ ચીનમાં પ્રવેશ કર્યો. તે વખતે એમનો મનસૂબો તો તેજાના અને મરીમસાલાના વેપાર પર એકહથ્થુ પકડ જમાવવાનો હતો. પણ તેમણે જ્યારે ચા ચાખી ત્યારે તરત થયું કે મરીમસાલા કરતાં ય આ ચાના વેપાર પર પકડ ધરાવવી ઘણી વધુ ફાયદાકારક થશે. એ વખતે દક્ષિણ ચીનમાં વપરાતું નામ ‘ચા’ પોર્ટુગીઝોએ અપનાવ્યું. ત્યાં સુધીમાં ચાનાં પાંદડાં પર પ્રક્રિયા કરવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને તેથી તેનો સ્વાદ કડવો રહ્યો નહોતો. પોર્ટુગીઝોએ ચાની નિકાસ શરૂ કરી અને ઇન્ડોનેશિયા, આફ્રિકા અને પશ્ચિમ યુરપના દેશો સુધી ચાને પહોંચાડી. આ દરિયાઈ રસ્તા ઉપરાંત જમીન રસ્તે પણ ચા બીજા દેશોમાં પહોંચી. ચાની ગુણીઓ પીઠ પર લાદીને મજૂરો એક દેશથી બીજે દેશ ચા લઈ જતા. એ રીતે પર્શિયા થઈ ચા હિન્દુસ્તાન પહોંચી. મૂળ ચીની ભાષાનો ‘ચા’ શબ્દ ફારસીમાં બન્યો ‘ચાય.’ હિન્દી અને ઉત્તર ભારતની બીજી કેટલીક ભાષાઓમાં આજે પણ આ ‘ચાય’ શબ્દ વપરાય છે. ગુજરાતી અને બંગાળીમાં વપરાય છે ‘ચા’. તો મરાઠીમાં વપરાય છે ‘ચહા.’ પોર્ટુગીઝો ઈ.સ. ૧૫૩૪માં મુંબઈ આવ્યા અને પછી ધીમે ધીમે રાજવટ સ્થાપી. સુરત અને મુંબઈના ઘણા ગુજરાતી વેપારીઓના પોર્ટુગીઝો સાથેના વેપારી સંબંધો હતા. એટલે આવા વેપારીઓ દ્વારા પોર્ટુગીઝ ભાષાનો ‘ચા’ શબ્દ ગુજરાતીમાં આવ્યો હોય એમ બને.

અંગ્રેજ  કુટુંબનું બપોરનું ચા–પાન

ગ્રેટ બ્રિટનના લોકોને ચાનો સ્વાદ પહેલી વાર ચખાડ્યો ડચ વેપારીઓએ. ગોરાઓ જોતજોતામાં ચાના બંધાણી થઈ ગયા. પણ એ વખતે ઘણો વેપાર વિનિમય (બાર્ટર) પદ્ધતિથી થતો. ચીનની ચાના બદલામાં આપવું શું? એટલે અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં અફીણના ઉત્પાદનને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આ અફીણ અહીંથી ચીન જતું, અને તેના બદલામાં બ્રિટન ચા ખરીદતું. અફીણના વેપારમાં પારસીઓ મોટે ભાગે આગળ પડતો ભાગ ભજવતા. આજે પણ પારસીઓ ‘ચા’ને બદલે ‘ચાય’ શબ્દ વાપરે છે.

બીજા પ્રદેશોની જેમ મુંબઈમાં પણ ચા એ લાટ સાહેબોનું પીણું હતું. ચા બનાવવાની રીતને તેમણે એક કલાની જેમ વિકસાવેલી. એમાં ચાને ઉકાળાય નહિ. ટી-પોટમાં ચાની પત્તી પર ગરમ ગરમ પાણી રેડવાનું. કપમાં રેડ્યા પછી થોડી ખાંડ અને થોડું દૂધ. ચમચીથી હલાવીને હળવેકથી કપ મોઢે માંડી ચુસ્કી લેતા જવાની, ધીરે ધીરે. સાથે આછો-પાતળો નાસ્તો. ટી-પોટમાંની ચા ઠંડી પડી ન જાય એટલે ટી-પોટને ટોપી કહેતાં ટી-કોઝી પહેરાવવાની. ખાનદાની પારસીઓ આજે પણ આ રીતે ચા પીએ.

ચાય ગરમ લો ચાય ગરમ

દીવાને ખાસની ચા દીવાને આમ પહોંચી ત્યારે ઘણી બદલાઈ ગઈ. તપેલીમાંનું પાણી ગરમ થાય એટલે તેમાં ચા, દૂધ, ખાંડ નાખવાનાં. કેટલાક વળી એકલા દૂધની ચા બનાવે. પછી ઠીક ઠીક વખત ઉકાળવાની. ઘરમાં ગરણીથી અને ચાની દુકાનોમાં કપડાના ગરણાથી ગાળીને ઊંચેથી એવી રીતે રેડવાની કે કપમાં ફીણ થાય. સાચો પીનારો – કે પીનારી – કપ મોઢે ન માંડે. રકાબી કહેતાં સોસરમાં રેડીને ચાનું તળાવ બનાવે અને ઘૂંટડે ઘૂંટડે પીએ. દેશીઓની બીજી એક ખાસિયત. સાથે ખારી કે બિસ્કિટ હોય તો ચામાં બોળી બોળીને ખાવાની. બીજી ખાસિયત તે ચાનો મસાલો, ફુદીનો, આદુ, એલચી વગેરે વગેરે ઉમેરવાની. મુંબઈમાં સૌથી વધુ પીવાતી હોય તો આ રીતની ચા. પહેલાં તો ચાની જ અલગ દુકાનો હતી. પણ વધતાં જતાં ભાડાં અને હરીફાઈને કારણે એવી દુકાનો ઘણી ઓછી થઈ ગઈ. અમદાવાદીઓની ‘ચાની કીટલી’ પણ મુંબઈમાં ઓછી જ જોવા મળે. હા, થર્મોસમાં ભરેલી ગરમ ગરમ ચા સાઈકલ પર ફરીને વેચનારા આજે પણ જોવા મળે.

ચુનીલાલ મડિયાએ નિરૂપ્યો છે તેવો ચાનો વિરોધ મુંબઈમાં તો લગભગ હતો જ નહિ. પણ હા. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી માટેનો વિરોધ ઘણા વખત સુધી રહ્યો. ઘણાં ઘરોમાં પિત્તળનાં કે જર્મન સિલ્વરનાં કપ-રકાબી જ વપરાતાં. કાચનાં તો નોકરો માટે. ચાની દુકાનો પણ બંને જાતનાં કપ-રકાબી રાખે – પિત્તળનાં અને કાચનાં. જેની જેવી માગ. ઘણીખરી દુકાનો આજે આપણે જેને ‘કુકીઝ’ કહીએ છીએ તે પણ રાખે, ચા સાથે ખાવા માટે. અને હા. આ દુકાનોમાં ચા સાવ તાજેતાજી મળે, ફરી ફરી ઉકાળેલી નહિ.

સેન્ટ ઝેવિયર્સ કોલેજથી થોડે દૂર, ધોબી તળાવના નાકા પર એક ચાની દુકાન. કવિ, વિવેચક, અદ્ભુત અધ્યાપક મનસુખભાઈ ઝવેરી દિવસમાં બે-ત્રણ વાર ત્યાં ચા પીવા જાય. જઈને બેસે એટલે એમની ખાસ ચા તાબડતોબ બને. ગરમ ફળફળતી (મડિયા જેને ‘ફરફરતી’ કહે છે) ચાના બે કપ એક સાથે સામેના લાકડાના નાનકડા ટેબલ પર ગોઠવાય. અસાધારણ ઝડપથી એક પછી એક બંને કપ જોતજોતામાં ખાલી! ઘણી વાર બીજા અધ્યાપકોને કે બી.એ.ના બે-ત્રણ વિદ્યાર્થીને સાથે લઈ જાય. બધાના પૈસા અચૂક પોતે જ આપે. આ લખનાર તેમનો વિદ્યાર્થી હતો ત્યારે આવો લાભ ઘણી વાર મળેલો.

પ્લાઈ વૂડનાં ખોખાંમાં ભરેલી જૂદી જૂદી જાતની ચા

એ જમાનામાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ‘લૂઝ ટી’ જ વપરાય. એટલે આવી ચા વેચનારી નાની-મોટી દુકાનો ઠેરઠેર. મોટે ભાગે પારસીઓની કે ખોજા-વ્હોરા વગેરેની. પ્રાર્થના સમાજ આગળ બે ગાળાની એક મોટી દુકાન, ચેમ્પિયન ટી માર્ટ. પ્લાઇવૂડનાં મોટાં મોટાં ખોખાંમાં આઠ-દસ જાતની ચા. બધી તાજી. ઘરાકને જોઈતી ચા તોળીને આપે. આ લખનાર ગિરગામ રહ્યો તે બધાં વરસ ઘરે ચા અચૂક આ દુકાનેથી જ આવે. હવે આવી ફક્ત ચા વેચતી દુકાનો ઘણી ઓછી થઈ ગઈ છે. કારણ પેક્ડ ટીનું ચલણ વધ્યું છે. આજે તો મસાલાથી માંડીને કંઈ કંઈ નાખેલી પેક્ડ ચા વેચાય અને વપરાય છે. અને હા, શુગર ફ્રી ચાની તો કોઈએ કલ્પના ય કરી નહોતી. એક કપ ચામાં ત્રણ-ચાર ચમચી ખાંડ ઠઠાડી દેનારા તો કેટલાયે જોવા મળે. ગુજરાતી ઘરોમાં મસાલા વગરની ચા તો ન્યાત બહારની ગણાય. તો વાર-તહેવારે કે લગ્ન જેવા શુભ પ્રસંગે એલચી-કેસર નાખેલી ચા પણ બને. વર-વહુને એ ચાંદીના કપ-રકાબીમાં પણ અપાય.

મુંબઈની લોકલ ટ્રેનનાં સ્ટેશનોના પ્લેટફોર્મ પરની ચાની વળી જુદી જ ન્યાતજાત. વહેલી સવારથી મોડી રાત સુધી મસ મોટો પ્રાઈમસ ફૂંફાડા મારતો હોય. પિત્તળના મોટા તપેલામાં દૂધ, ચાની ભૂકી – હા પાઉડર જેવી ભૂકી, અને ખાંડ પાણીમાં ઉમેરાતાં રહે. તેમાંથી એલ્યુમિનિયમની કીટલીમાં ચા ઠલવાય. અને તેમાંથી એક પછી એક કાચના ગ્લાસમાં. ના, ત્યારે કાગળની નાની નાની ‘કપડી’ આવી નહોતી. પ્લેટફોર્મ પરની ચા ચુસ્ત લોકશાહી પદ્ધતિની. કમ શક્કર કે દૂધ જ્યાદા જેવા જૂદા ચોતરા નહિ. બધાને સમાન હક, સમાન તક. હજી પ્લેટફોર્મ પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ નહોતી. એટલે પીનારાની એક આંખ ટ્રેનના પાટા તરફ. ટ્રેન આવતી દેખાય તો ફટાફટ પી જાય. નિરાંત જીવે, ચુસ્કી લેતાં લેતાં ચા પીવાનો વૈભવ અહીં તે વળી કેવો?

એક જમાનામાં ચાનું એકચક્રી રાજ. કોફી તો માંદા હોય તે પીએ એવી માન્યતા, મોટે ભાગે. પણ વખત જતાં આ ચિત્ર બદલાવા લાગ્યું. ચા-કોફીના ગજગ્રાહની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 નવેમ્બર 2022

Loading

એકબીજાને પુછાતો સવાલ : ‘શું લાગે છે?’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 November 2022

ગુજરાતમાં અંદરોઅંદર ચર્ચાતો આ પ્રશ્ન છે : શું લાગે છે? આમ તો કોઈને કૈં લાગતું નથી, કારણ આ પ્રશ્ન ચૂંટણીનો છે. કૈં ન લાગતું હોય તો પણ બધાંને બધું જ લાગતું હોય તેમ સૌ વ્યસ્ત છે. આમ લાગવાનું કારણ એ પણ છે કે મતદાતાઓ તેમનું મન કળાવા દેતા નથી. બધે જ મતદાતાઓ દેખાય છે. બધા જ સભાઓમાં ભીડ કરે છે. બધી જ પાર્ટીઓને લાગે છે કે લોકો તેમની તરફ છે, પણ બધી જ પાર્ટીઓ કૈં ગાદી પર બેસવાની નથી, એટલે કોણ બેસશે તે સંદર્ભે પુછાયા કરે છે, ‘શું લાગે છે?’ ભા.જ.પ.ને બધી જ 182 સીટો મળશે એવું કહેનારાઓ અત્યારે આંકડો ઘટાડીને 150 પર આવ્યા છે, એટલું જ નહીં, ગૃહ મંત્રી જેવાને ભરોસો ન પડતાં તેમણે તો કહ્યું પણ ખરું, ‘તમે ભરોસો આપો પણ હું કેમ માનું? વાણિયો છું.’ એમણે એવો તોડ કાઢ્યો કે એક ઓળખીતો બીજા 20 ઓળખીતાને મત આપવાનો આગ્રહ કરે. એ પરથી અહીં એક એક મતની ચિંતા થતી હોય એમ લાગે છે. બીજી તરફ દિલ્હીના મુખ્ય મંત્રી ને આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ તો દાવો કરે છે કે ગુજરાતમાં આપની સરકાર આવે છે. કાઁગ્રેસનો અવાજ નથી સંભળાતો, પણ તેણે પણ આશા છોડી નથી.

આજકાલ ચૂંટણીનો ગરમાટો એટલો છે કે ગુજરાતમાં કોઈને ઠંડી લાગતી નથી. એ જ કારણ છે કે ગુજરાત જ ભારત થઈ ઊઠયું હોય તેમ મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ, પક્ષ પ્રમુખો ને નાના મોટા નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા દોઢિયું કે દાંડિયા રાસ ખેલતા હોય તેમ જનતાને પણ હાથતાળીના ગરબા કરાવે છે ને લોકો સભાઓ અને રોડ શોમાં અળસિયાંની જેમ આગળપાછળ થતા રહે છે. આટલું ઓછું હોય તેમ સુરતની 12 સીટોને માપી લેવા વડા પ્રધાન પણ સુરતમાં ઊતરી પડ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને બીજા પણ ઘણા નેતાઓ સુરતમાં આવી ગયા છે ને બાકી હશે તે 1 તારીખ પહેલાં આવશે પણ ખરા. એ પછી આ ભરતી રહેવાની નથી. 8 તારીખે ચૂંટણીનું પરિણામ આવે તે પછી લાંબો વનવાસ જનતાએ પોતાને ખર્ચે ને જોખમે વેઠવાનો જ છે. અત્યારે તો નારેબાજી ને રોડ શોમાં ને ચૂંટણી કાર્યાલયોમાં મફતિયા નાસ્તાપાણીમાં દા’ડા ક્યાં જાય છે તેની ખબર પડતી નથી, પણ પછી બધાંને મોંઘવારી ને ગેસ સિલિન્ડર કે પેટ્રોલની વધઘટ ઘેરી વળવાની છે તે નક્કી છે. ટૂંકમાં, જનતાએ પોતાનું વજન પોતે જ ઉપાડીને જિંદગી ઢસડવાની છે.

અત્યારે તો પાર્ટીનો નેતા કે મંત્રી ભાષણમાં સામેની પાર્ટીની કેવી રીતે ધોલાઈ કરે છે તે જોવાની મજા પડે છે, એવી જ મજા સામેવાળો એની સામેવાળાની કેવી રીતે ફિરકી ઉતારે છે તેમાંથી પણ લેવાય છે. આમ તો  આકાશમાં પરપોટા ફૂટતા હોય એવું વધારે લાગે છે. કોઈ પણ કૈં પણ કરી શકે છે. જેમ કે, રાજકોટ કાઁગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સભામાં અલ્લાહ અને મહાદેવને એક કરી દીધા છે. એમને  અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ દેખાય છે. આ કોઈ આધ્યાત્મિક અવસ્થા નથી, પણ હિન્દુ અને મુસ્લિમોના મત મળે એટલે એમણે અલ્લાહ-મહાદેવને એક કર્યા છે. ચાલો, મતને નામે તો એકતા થઈ ! આ એ ઇન્દ્રનીલ છે જે આપમાં 200 દિવસ ઝાડુ ફેરવીને કાઁગ્રેસમાં પરત થયા હતા અને રાહુલ ગાંધીની તેમણે આપમાં જવા બદલ જાહેરમાં માફી માંગી હતી. આટલું થાય અને ભા.જ.પ. ચૂપ રહે એવું તો બને જ કેમ? તેણે તરત જ કહી દીધું કે કાઁગ્રેસ તકવાદી છે. અહીં ગમ્મતી સવાલ એ થાય કે તકવાદી કોણ નથી? આ તો ડાહી સાસરે ન જાય ને…વાળો ઘાટ છે.

યોગી આદિત્યનાથે સુરતમાં ત્રણેક સભાઓ કરી. એમાં કામ તો પ્રચારનું જ હોય, પણ તે સામેવાળાને ભાંડ્યા વગર તો ન થાયને ! તેમણે આમ આદમી પાર્ટીના કેજરીવાલને એમ સંભળાવ્યું કે એ તો આતંકીઓના હિતેચ્છુ છે. તેને મત ન અપાય. તો, કેજરીવાલ બાકી રહે? એમણે ટ્વિટ કરીને કહ્યું કે ગાળાગાળી, ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર જોઈતો હોય તો ભા.જ.પ.ને મત આપજો ને સ્કૂલ, હોસ્પિટલ, વીજળી, પાણી જોઈતાં હોય તો મને મત આપજો. સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ બોલાચાલી કરતાં હોય એવું નથી આ? બેની લડાઈમાં ત્રીજો ફાવે એમ કાઁગ્રેસ પણ ઘૂસ તો મારે જને ! તેણે પણ પંજો મારતાં કહ્યું કે બીજાને રેવડીની ટકોર કરતાં ભા.જ.પે. પણ, સંકલ્પ પત્રને નામે રેવડી પત્ર જ બહાર પાડ્યો છે. કાઁગ્રેસે જ સંકલ્પપત્રને ‘દગાપત્ર’ પણ કહ્યો. એમ પણ લાગે છે કે મતદાતાઓ પક્ષોને વિશ્વાસુ લાગતા નથી. એટલે જ અમિત શાહે ‘20-20’ નો ખેલ પડ્યો છે. ભા.જ.પ.નો ઢંઢેરો બહાર પડ્યો છે. વડા પ્રધાને પોતે કહ્યું છે કે બાળકથી લઈને વડીલો સુધીનાનું ધ્યાન રખાયું છે. એમણે કહ્યું નથી પણ જનતાને એ સંભળાય તો નવાઈ નહીં કે કોઈના મત રહી ન જાય એનું ધ્યાન વધારે રખાયું છે. એ પણ દેખાય છે કે ગરીબી અને મોંઘવારીનો મુદ્દો હવે કદાચ પ્રભાવક રહ્યો નથી. ન રહે એનું કારણ છે. આ વખતે નવેક ઉમેદવારો તો અબજોપતિ છે. કરોડપતિ તો હોય, પણ આ તો અબજોપતિ ! એમાંના 5 તો ભા.જ.પ.ના જ છે. માણસાના જયંતીભાઈ પટેલ 661 કરોડ સાથે સૌથી ઉપર છે. આ સ્થિતિ હોય તો ગરીબી કે મોંઘવારીની વાત તો આઉટડેટેડ જ લાગેને !

વડા પ્રધાન વરાછામાં રોડ શો કરે તેનું કારણ છે. કારણ એ કે અહીંના પાટીદારો નારાજ છે. પાટીદારોના મત નિર્ણાયક છે ને રાત્રિ રોકાણ સુરતમાં કરીને વડા પ્રધાને ડેમેજ કંટ્રોલનું કામ કર્યું હોય તો નવાઈ નહીં. 19 બેઠકો એવી છે જેની ભા જ પ ને ચિંતા છે, તેમાં પણ 9 બેઠકો પાટીદારોનો ગઢ ગણાય છે. એમાં પણ સુરત અને અમરેલી જિલ્લાની બેઠકો પર ભા જ પ ને જીત અંગે શંકા છે. શંકા એટલે છે કે કામરેજ, કતારગામ અને વરાછામાં ભા.જ.પ.ને આમ આદમી પાર્ટીનો સામનો કરવાનું અઘરું પડે એવો મજબૂત પ્રચાર તેનો છે. એટલે જ કદાચ વડા પ્રધાને સુરતનો આંટો માર્યો છે.

કતારગામ બેઠક પર વીનુ મોરડિયાને રિપીટ કરાયા છે ને તેમની સામે આપના ગોપાલ ઇટાલિયા છે. કાઁગ્રેસે કોર્પોરેશનની ચૂંટણી લડનાર પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. એ પણ કાઁગ્રેસનો યુવા ચહેરો છે. 2017માં તો કાઁગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે જ ટક્કર હતી. આ વખતે આપના ગોપાલ ઇટાલિયાનું આક્રમક તત્ત્વ ઉમેરાયું છે. એ જ કારણ છે કે ભા.જ.પ.ને જીત અંગે શંકા છે. કામરેજની વાત કરીએ તો ભા.જ.પે. અહીં પ્રફુલ્લ પાનસેરિયાને ઊભા રાખ્યા છે, એની સામે આપના રામ ધડૂક અને કાઁગ્રેસના પાટીદાર ઉમેદવાર નીલેશ કુંભાણી છે. ગઈ વખતે ભા.જ.પ.ની 28 હજાર મતે જીત થયેલી, પણ આ વખતે ત્રિપાંખિયો જંગ છે, વધારામાં ભા.જ.પ.ના જ ગઈ વખતના વિજેતા ઉમેદવાર વી.ડી. ઝાલાવાડિયાની ટિકિટ આ વખતે કપાઈ એટલે આંતરિક રોષ પણ કામ કરે છે. વરાછામાં તો જંગ જ પાટીદારો વચ્ચેનો છે. અહીં પાટીદારોના દોઢ લાખથી વધુ મત છે. આપે અહીં ગબ્બર નામે જાણીતા PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે. નો રિપીટની થિયરીમાં માનનાર ભા.જ.પે. આ જંગમાં કુમાર કાનાણીને ફરી ચૂંટણી લડાવી છે. તો, કાઁગ્રેસના ઉમેદવાર છે, પ્રફુલ તોગડિયા. ગઈ વખતે કાનાણી કાઁગ્રેસી ઉમેદવાર સામે 13 હજારથી વધુ મતે જીતેલા, પણ આ વખતે અલ્પેશ કથીરિયા જીતનો દાવો કરી રહ્યા છે. એની સામે કાનાણીનો જોઈએ એવો દબદબો જણાતો નથી. આ બધાં કારણે વડા પ્રધાને સુરતમાં બે દિવસનો પડાવ નાખ્યો છે. એની અસર તો પડશે, પણ કેટલી પડશે તે તો 8મી ડિસેમ્બર જ કહી શકે.

પહેલીએ પહેલા તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થશે. આપની એન્ટ્રી સુરતમાં થઈ ચૂકી છે. આપના પ્રદેશના મુખ્ય નેતાઓ અહીંથી જ લડી રહ્યા છે અને પાટીદારો નારાજ છે એ સ્થિતિમાં વડા પ્રધાન સુરત આવ્યા છે. 2017 વખતે પણ એમને અહીં આવવાની જરૂર પડી ન હતી, પણ આજે અહીં છે. 2017માં પણ માર્જિન ઘટ્યો હતો. ત્યારે સામે કાઁગ્રેસ હતી, એમાં હવે આપનું ફેક્ટર ઉમેરાયું છે. સુરતમાં 6 બેઠકો એવી છે, જેમાં પાટીદારોના મત વધારે છે ને તેમાંની 3 તો વરાછા, કામરેજ અને કરંજની બેઠકો છે. કરંજની બેઠક પર 2017માં લીડ ઘટેલી. આ વખતે કરંજ બેઠક પરથી આપના ઉમેદવાર મનોજ સોરઠિયા છે ને એ ફેક્ટરનો ભા.જ.પે. સામનો કરવાનું મુશ્કેલ થાય એમ બને. એ ઉપરાંત કતારગામની બેઠક પણ ભા.જ.પ.ને મથાવે એમ તો છે જ ! ઈચ્છીએ કે વડા.પ્રધાનને ફેરો માથે ન પડે.

ટૂંકમાં, ‘શું લાગે છે’ એનો સ્પષ્ટ પડઘો ક્યાંયથી સાંભળાતો નથી….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 નવેમ્બર 2022

Loading

વૈશ્વિક મંદીઃ સ્થાનિક બજાર ભારતને બચાવશે, પણ વૈશ્વિક તેજીમાં આપણો નંબર આવે એ જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 November 2022

અર્થતંત્રના એક્સપર્ટ્સ એવી આશા સેવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ફુગાવો ટોચે પહોંચશે, વ્યાજના દર જરા હળવા થશે અને રોકાણકારો વિશ્વના ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર તરફ મોટી સંખ્યામાં ધસી આવશે

આ દુનિયામાં બે ઘટનાઓ એવી ઘટી જેણે માનવજાતિ પર બહુ ઘેરો પ્રભાવ પાડ્યો. સારો ઓછો, નરસો વધારે. પહેલી ઘટના હતી બીજું વિશ્વ યુદ્ધ અને બીજી ઘટના એટલે કે કોરોનાવાઇરસ રોગચાળો. થંભી ગયેલી દુનિયા, મૃત્યુના આંકડા, બેવડ વળી ગયેલા અર્થતંત્રને બેઠા કરવા માટે થતી જહેમત જેવું કેટલું ય આ બન્ને ઘટનાને પગલે દુનિયાએ જોયું. યુદ્ધ થંભે અને દુનિયાના રાજકારણના સમીકરણો બદલાઇ જાય. રોગચાળાની અસરો પણ એટલી જ વ્યાપક રહી – વેક્સિન ડિપ્લોમસીથી માંડીને વાઇરસ એક શસ્ત્ર છે જે ચીનની લેબમાં બન્યું છે જેવી થિયરીઓને પગલે રાજકારણના સમીકરણો બદલાય તે સ્વાભાવિક છે. વળી કોવિડ-19ના પેન્ડેમિકે કંઇ પાછી પાની નથી કરી, તેના તિખારા, તણખા અને ભડકા ક્યાંક ક્યાંક ગમે ત્યારે દેખાઇ જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જે રીતે સરકારની તિજોરીનાં તળિયાં દેખાઇ ગયાં અને અર્થતંત્રનું મિટર સડસડાટ નીચે ઉતરી ગયું અને જી.ડી.પી. પર અસર થઇ. આવી જ અસરો રોગચાળા પછી પણ થઇ છે. કોરોના વાઇરસ રોગચાળાને યુદ્ધ સાથે પહેલાં પણ સરખાવાઇ ચૂક્યો છે – ખાસ કરીને રાષ્ટ્રોના પ્રમુખોએ પોતાના નાગરિકોને સંબોધતા ઘણીવાર યુદ્ધ સાથે રોગચાળાની સરખામણી કરી છે.

બન્નેમાં મૃત્યુ આંક બહુ મોટો હતો, રોજે રોજના આંકડા નોંધવામાં આવ્યા છે, રોજિંદી જિંદગીમાં આવેલા અવરોધો, અમુક સેવાઓનું બંધ થવું વગેરે બન્ને ઘટનાઓની સામાન્ય બાબતો છે. ફ્રાંસ અને જર્મની જેવા યુરોપિયન દેશોમાં હવે જે મંદીના ડંકા વાગી રહ્યા છે તેની સરખામણી બીજા વિશ્વ યુદ્ધ પછીના સંજોગો સાથે જ કરવી પડે એમ છે. જો કે આ બન્નેમાં ભેદ પણ છે – એ ભેદ એ કે યુદ્ધમાં સામાવાળાનો ખાત્મો બોલાવવો, સ્થળાંતર થવા, ઉત્પાદન ક્ષમતાને નીચે લાવવી વગેરે પર ધ્યાન અપાતું પણ હવે રોગચાળા પછી જે જરૂરી નથી તે બંધ કરવું, સ્થળાંતર ટાળવા, આત્મનિર્ભરતા પર ધ્યાન આપવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધમાં 60 મિલિયન લોકોનાં મોત થયા અને રોગચાળાએ 6,00,000થી વધુ લોકોના જીવ લીધા છે –  એ સરખાણીની દૃષ્ટિએ બન્નેમાં તફાવત છે. વળી કમનસીબે રોગચાળાની પીડા સાથે આપણા માથે રશિયા અને યુક્રેનનો સંઘર્ષ પણ ઝિંકાયો છે. આ સંઘર્ષને કારણે ખાધા-ખોરાકીની કિંમતો, ઇંધણની કિંમતો, ફુગાવો, સપ્લાય ચેઇન્સ અને કનેક્ટિવિટી બધા પર અસર પડી છે.

ટેક જાયન્ટ્સ હવે વૈશ્વિક સ્તરે માથે તોળાઇ રહેલી મંદીની વાત કરી ચૂક્યા છે. વૈશ્વિક મંદીની અસર ભારત પર નહીં જ પડે એવું માની લેવું ખોટાં ફીફાં ખાંડવાં જેવું છે. હા, પણ ભારત પર વૈશ્વિક મંદીની એટલી ઘેરી અસર નહીં હોય જેટલી બીજા દેશો પર હશે. આપણે ત્યાં તો ડોમેસ્ટિક માર્કેટની માંગ જ એટલી મોટી છે કે એ જ આપણા જી.ડી.પી.નો આધાર બને છે. અર્થતંત્રના એક્સપર્ટ્સ એવી આશા સેવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ફુગાવો ટોચે પહોંચશે, વ્યાજના દર જરા હળવા થશે અને રોકાણકારો વિશ્વના ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર તરફ મોટી સંખ્યામાં ધસી આવશે. પરંતુ ટેક જાયન્ટ્સ જે રીતે છટણી કરી રહ્યા છે તેની અસરો હવે દેખાવાની શરૂ થશે – આર્થિક હતાશાની અસર ઉપભોક્તાવાદ પર પણ પડે અને પડી રહી છે. 2022નું વર્ષ હવે પતવા આવ્યું અને આગામી ફાનિન્શિયલ યરનું જે બજેટ હશે તેની પર અત્યારના વૈશ્વિક સંજોગોની સીધી અસર પડશે. ખાસ કરીને યુ.એસ.ની મંદીની અસર આપણા બજેટ પર વર્તાશે. આ પહેલાંની મંદીઓમાં દેખાયેલા ટ્રેન્ડ અનુસાર ઑટો, એન્સિલરીઝ, ધાતુ, ટેક્સ્ટાઇલ વગેરે પર અસર થઇ પરંતુ જેમ્સ – જ્વેલરી, કેમિકલ્સ, ફાર્માસ્યૂટિકલ્સ પર અસર નહોતી પડી અને તે ધંધો ધીકતો જ રહ્યો. ઓછી નિકાસ અને મજબૂત ડૉમેસ્ટિક ગ્રોથ – જેમાં વધુ આયાતનો પણ સમાવેશ કરાય તે આખા અર્થતંત્રનું ઓવરઓલ બેલેન્સ ખોરવી નાખે એમ બને. નિકાસને કારણે આપણો જી.ડી.પી. – રોગચાળા પહેલાંની સ્થિતિએ પહોંચ્યો છે. કોમોડિટીના ભાવમાં જે કડાકો આવશે તેનાથી ભારતને ફાયદો થઇ શકે છે. માંગ ઘટવાને કારણે ભાવ ઘટશે અને આ આખી ત્રિરાશી મંદીનું પરિણામ હશે. વૈશ્વિક મંદીની અસર કોમોડિટીના ભાવ પર પડે જ. બીજી તરફ નિકાસ ઘટશે તો ઉત્પાદન વિકાસ પર અસર પડશે, નિકાસ પર આધાર ઓછો હશે તો વિદેશી ભંડોળ માટે ભારત અન્ય રાષ્ટ્રોની પસંદગી બને તે પણ સ્વભાવિક છે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એવી ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થતંત્ર સાપેક્ષ અનુમાનોની દુનિયામાંથી એક મોટી અનિશ્ચિતતાઓ તરફ આગળ વધી રહ્યું છે. યુરોપિયન અને અમેરિકન અર્થતંત્રમાં જે થોડોઘણો વિકાસ છે તે એટલે છે કે સરકાર એનર્જી સબસિડીઝ અને નીતિઓમાં પૈસા ખર્ચી રહી છે – પરંતુ આવું ક્યાં સુધી સંભાળી શકાશે એ પણ એક પ્રશ્ન છે. એક સારી બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય આર્થિક વિશેષજ્ઞોના મતે એશિયાના મોટા અર્થતંત્રો પર વૈશ્વિક વિકાસનો આધાર છે.

આગામી ફાઇનાન્શિયલ વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્ર જો છથી સાત ટકા વિકાસ કરીને તે આંકડો જાળવી શકે તો ભારત વૈશ્વિક મંદીનો ભાર ખમી શકે. થોડા વખત પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે યુ.એસ.એ., યુરોપ, જાપાન અને ચીનમાં એક ચોક્કસ રિધમમાં ડાઉન ટર્ન થઇ રહ્યું છે જે વૈશ્વિક મંદીનું કારણ બનશે. તેમના મતે ભારતમાં કોઇ સ્લોડાઉનના એંધાણ નથી.

બાય ધી વેઃ

સંજોગો વધુ બગડી શકે તેમ છે પણ ભારતીય અર્થતંત્રના વિભાગીય લક્ષણોને કારણે ગ્લોબલ સપ્લાય ચેનમાં જે અવરોધો આવ્યા તેમાં આપણે સલામત રહી શક્યા છીએ. આજે પણ ભારતીય અર્થતંત્રમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો મોટો છે. ભારત ઓઇલ શોક્સને મામલે સંવેદનશીલ અર્થતંત્ર છે કારણ કે આપણે આપણી ઉર્જાની જરૂરિયાત માટે ત્રણ ચતુર્થાંશ જેટલી આયાત કરીએ છીએ પણ રશિયા સાથેના જોડાણથી એ મોરચો અત્યારે સચવાયેલો છે. અત્યારે ભારત ખુશ થઇ શકે છે કે એક રીતે આપણા સ્થાનિક સંજોગો આપણને વૈશ્વિક મંદીથી દૂર રાખે છે અને અર્થતંત્ર ડોમેસ્ટિક એલિમેન્ટ્સ પર ટકી જાય છે પણ જ્યારે વૈશ્વિક તેજી આવશે ત્યારે આ માત્ર સ્થાનિક બજારને મજબૂત રાખવાનું વલણ આપણને પાછા પાડી શકે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 નવેમ્બર 2022

Loading

...102030...1,1821,1831,1841,185...1,1901,2001,210...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved