Opinion Magazine
Number of visits: 9458206
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્ધી રાતે આઝાદી : યશસ્વી હિસ્ટોરિકલ ફિક્શન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2022

લેરી કોલિન્સના જોડીદાર લેખક ડોમિનીક લાપિયરનું અવસાન :

અશ્વિની ભટ્ટનું શ્રેષ્ઠ પુસ્તક તેમની નવલકથાઓમાંથી નહોતું. ઓથાર, આશકા માંડલ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આખેટ કે અંગાર તેમની સર્વાધિક વંચાયેલી નવલકથાઓ હતી, અને તેણે નિશ્ચિતરૂપે અશ્વિની ભટ્ટનો ગુજરાતના લોકપ્રિય નવલકથાકારોની શ્રેણીમાં રાજ્યાભિષેક કરાવ્યો હતો, પણ તેમનું શ્રેષ્ઠ પુસ્તક ‘અર્ધી રાતે આઝાદી’ હતું, જે તેમના અનુવાદ કરીને ‘બે પાંદડે’ થવાના સમયગાળાનું છે. તેમની નવલકથાઓની સરખામણીમાં તે તેમનું ‘ઓછું જાણીતું’ પુસ્તક છે. તેનું કારણ તેનો વિષય છે. ગુજરાતી વાચકો ફિક્શનને જેટલો પ્યાર કરે છે, તેની સરખામણીમાં નોન-ફિક્શનને ઓછો કરે છે. ‘અર્ધી રાતે આઝાદી,’ જે મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’નો અનુવાદ છે તે, શીર્ષક પરથી સ્પષ્ટ છે તે પ્રમાણે, ભારતની આઝાદીનો ઇતિહાસ માંડે છે.

જે લોકોને ઇતિહાસમાં, અને અશ્વિનીભાઈના અનુવાદોમાં રસ છે, તેઓ ‘અર્ધી રાતે આઝાદી’ને યશસ્વી પુસ્તક ગણાવે છે. એક તો, મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ લખાયું હતું જ એક રોચક રાજકીય થ્રિલર તરીકે અને બીજું, અશ્વિનીભાઈએ રહસ્ય-રોમાંચની હથોટીનો ઉપયોગ કરીને તેને ગુજરાતી વાચકો માટે સ્વાદિષ્ટ કરી આપ્યું હતું.

90ના દાયકામાં ભારતની આઝાદીના ઇતિહાસ પર પુસ્તકો લખાતાં થયાં, તે પહેલાં 70ના દાયકામાં ભારતમાં ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ એટલું લોકપ્રિય થયું હતું કે, અશ્વિનીભાઈ જેમની વાર્તાઓનો અનુવાદ કરતા હતા તે થ્રિલર લેખક એલિસ્ટર મેક્લીનની પોકેટ બૂક્સની જેમ, રેલવે સ્ટોલ્સ પર વેચાતું હતું. એ પુસ્તક હિસ્ટોરિકલ ફિક્શન હતું અને અશ્વિનીભાઈને એમાં સારી ફાવટ હતી.

1975માં, ડોમિનીક લાપિયર અને લેરી કોલિન્સ નામના, અનુક્રમે, ફ્રેંચ અને અમેરિકન પત્રકાર-લેખકોએ ભેગા મળીને તેને લખ્યું હતું. તેમાંના ડોમિનીક લાપિયરનું આ અઠવાડિયે, રવિવાર તારીખ 4મી ડિસેમ્બરે, અવસાન થઇ ગયું. તે 91 વર્ષના હતા અને ફ્રાન્સના માર્સેલ્સમાં રહેતા હતા. ભારત સરકારે 2008માં તેમનું પદ્મ ભૂષણથી સન્માન કર્યું હતું. તે કડેડાટ બંગાળી બોલતા હતા અને ભારતમાં અને ભારત બહાર તેમની ખ્યાતિ કોલકત્તા પર તેમના પુસ્તક ‘ધ સિટી ઓફ જોય’થી ફેલાઈ હતી. આ પુસ્તકમાંથી મળેલી અડધી કમાણી તેમણે કોલકતાના ગરીબોનો સેવામાં આપી દીધી હતી. તેમના જોડીદાર લેરી કોલિન્સનું આગાઉ 20 જૂન 2005માં અવસાન થયું હતું.

બંને જણાનો ભેટો ફ્રેંચ સૈન્યમાં થયો હતો. સૈન્યમાં છૂટા થયા પછી બંને અલગ-અલગ પ્રકાશનોમાં પત્રકાર બન્યા હતા, પણ દોસ્તી એવી હતી કે 1965માં “ઈઝ પેરિસ બર્નિંગ?” નામના બેસ્ટસેલર પુસ્તકમાં લેખક તરીકે ભેગા થયા હતા. આ પુસ્તક દ્વિતીય મહાયુદ્ધમાં પેરિસના મુક્તિ સંઘર્ષ પર આધારિત હતું. તેમનું આ પહેલા જ પુસ્તકની ત્રીસેક જેટલી ભાષામાં એક કરોડ નકલો વેચાઈ હતી. ચાર વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે ઈઝરાયેલના ઉદ્ભવ પર બંનેનું ‘ઓ જેરુસલેમ’ આવ્યું.

ત્રીજું પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ 1975માં આવ્યું. પુસ્તકનો સમયગાળો 1947થી 1948 વચ્ચેનો જ છે અને આખું પુસ્તક અંતિમ વાઈસરોય લુઈ માઉન્ટબેટનની આસપાસ ફરે છે. પુસ્તકનો સૌથી રોચક હિસ્સો એ છે કે માઉન્ટબેટન ભારતના વિભાજનની વિરુદ્ધમાં હતા, જિન્હાની જિદ્દ આગળ તે ઝુકી ગયા હતા. પુસ્તક કહે છે કે તે વખતે જિન્હા ક્ષયની બીમારીથી પીડાતા હતા (જિન્હા 30 વર્ષથી રોજની 50 સિગારેટ્સ પીતા હતા) અને તેમના હિંદુ ડોક્ટર અનુસાર ‘થોડા જ મહિનાના મહેમાન હતા.’ વાઇસરોયને જો આ ખબર હોત, તો તેમણે વિભાજનની વાતને ટાળી દીધી હોત અને જિન્હાના મોતનો ઈન્તેજાર કર્યો હોત. જો કે બીમારીની આ વાત જિન્હા અને તેમના ડોકટરને જ ખબર હતી અને બંનેએ સફળતાપૂર્વક તેને છુપાવી રાખી હતી.

વિડંબના કેવી કે આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધીએ જે વર્ષે લોકોની આઝાદી છીનવી લઈને કટોકટી લાદી હતી, તે જ વર્ષે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ આવ્યું હતું. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં, 26 ઓકટોબર 1975ના રોજ આ પુસ્તકનો રીવ્યુ કરતાં મશહૂર ફિલ્મ સર્જક જેમ્સ કેમરોને લેખની શરૂઆતમાં જ લખ્યું હતું, “બાહ્ય શાસકની ગુલામીમાંથી ભારતની આઝાદીની હૃદયસ્પર્શી વાર્તા કહેતા આ પુસ્તકનું કમનસીબ તો જુઓ કે તે એવા સમયમાં પ્રકાશિત થયું છે જ્યારે એ આઝાદીને અંદરના શાસકે અચાનક અને નિર્દયી રીતે ખતમ કરી નાખી છે. આવા ક્રૂર વિરોધાભાસની કોણે કલ્પના કરી હોત!”

લેખમાં વચ્ચે કેમરોન લખે છે, “એ કહેવું ઉચિત છે કે 1947માં ભારતે તેની આઝાદી છીનવી લીધી ન હોત, તો દુનિયા અલગ જ હોત અને અત્યારે છે તેના કરતાં નિશ્ચિતપણે વધુ મુસીબતવાળી હોત, પણ (બ્રિટિશ) ‘મુગટમાંથી એ સર્વોત્તમ રત્ન’ને કાપવાને અલગ કરવાનું એ ઓપરેશન અભૂતપૂર્વ રીતે અઘરું, જટિલ અને ભાવનાત્મક હતું. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ એ ઐતિહાસિક મધરાત સુધી લઇ જતી એ દુઃખદ વાટાઘાટોનું ટોટલ રીકોલ છે, જેણે છેવટે બ્રિટિશ સામ્રાજ્યવાદી બોટલમાંથી કોર્કને ખોલી નાખ્યો અને ઝઘડાના જીનને છોડી મુક્યો. બંને લેખકોએ સરસ રીતે આ બધી વાત લખી છે. તેમને લોર્ડ માઉન્ટબેટન સહિત એ સમયના પ્રમુખ નાયકોને અંગત રેકોર્ડમાં ઝાંખવા મળ્યું છે અને તે પુસ્તકમાં દેખાય છે.”

600 પાનાંની આ ચોપડી, ‘ફ્રીડમ એટ મિડનાઈટ,’ કોમર્સિયલ જર્નાલિઝમમાંથી આવી છે તેવી ટીકાના જવાબમાં ડોમિનીક લાપિયરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “શું ઇતિહાસ ઠંડી કોકાકોલા છે, જેને સૌ કોઈ પચાવી ન શકે કે પછી ઇતિહાસ જે કંઈ થયું હતું તેનું તેની લાગણીઓ, ગંધ, રંગ અને ઘટનાઓની અસરોનું પુન:સર્જન છે?”

અશ્વિનીભાઈએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેને લઈને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારીએ એક દિલચસ્પ કિસ્સો ટાંક્યો છે. તે આ પ્રમાણે છે : ‘અર્ધી રાત્રે આઝાદી’ની સૌ પ્રથમ ૩,૨૫૦ કોપી છપાઈ હતી. તેના મહેનતાણા પેટે અશ્વિનીભાઈને રૂ.૩,૦૦૦ હજાર આપવા હતા, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા હતા. તેમને આવું થવાની શંકા હશે એટલે તેમણે પુસ્તકની 50 નકલો લઇ લીધી હતી. તેમાંથી 10 તેમણે ભેટમાં આપી હતી, અને 40 તેમની પાસે હતી.

જેટલી નકલો બજારમાં હતી, તે તમામ ફટાફટ વેચાઈ ગઈ. વધુ નકલોની તાબડતોબ માંગ હશે એટલે પ્રકાશકના ભાઈએ અશ્વિનીભાઇને “હમણાં તમારી નકલો આપો, પછી છપાશે એટલે પાછી આપીશું” એમ કહીને 40 નકલો મેળવી લીધી. રાત ગઈ બાત ગઈ. નકલો ય પાછી ન મળી અને પૈસા ય ન આપ્યા!

હવે અશ્વિનીભાઈ ખુદના માટે નકલ શોધે! એક વાર પ્રવાસમાં ભૂસાવળ રેલવે સ્ટેશને બુક સ્ટોલ પર ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પર તેમની નજર પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, પણ પેલાએ “એ તો મારા માટે છે” કહીને ના પાડી દીધી. અશ્વિનીભાઈએ એ પુસ્તકના લેખક તરીકે પોતાની ઓળખાણ આપી તો ય સ્ટોલ માલિક માન્યો નહીં. એટલે અશ્વિનીભાઈએ કહ્યું કે જોઈએ તો થોડા વધારે રૂપિયા લઇને પણ મને આપ, મારી પાસે એકે ય કોપી નથી. પેલાએ 45 રૂપિયાની ચોપડીના 100 રૂપિયા કહ્યા!

અશ્વિનીભાઈ રંગમંચ અને સિનેમાના માણસ પણ ખરા અને તેમને થિયેટરો પર ટિકિટો બ્લેકમાં વેચાતી હોય તેનો અનુભવ પણ હશે, પણ તે દિવસે ભૂસાવળ રેલવે સ્ટેશન પર તેમણે જ અનુવાદિત કરેલી ચોપડીના બ્લેક થતા જોયા હતા. આને ટ્રેજેડી કહેવાય કે કોમેડી એ ખબર નથી, પણ એટલી ખબર છે કે “લે આ 100 રૂપિયા” એવું કહેવાની તેમની હેસિયત નહીં હોય એટલે રકઝક કરીને 75 રૂપિયામાં તેમણે ‘અર્ધી રાત્રે આઝાદી’નો સોદો પાર પાડ્યો. 

ઇતિહાસમાં અને અશ્વિની ભટ્ટની લખાવટમાં રસ હોય, તો ‘અર્ધી રાતે આઝાદી’ વાંચજો, વાંચવા જેવું પુસ્તક છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મન્તવ્યજ્યોત (૨૦) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સહૃદયી પ્રતિભાવ 

સુમન શાહ|Opinion - Literature|12 December 2022

એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.

સહૃદય અને સમીક્ષક હમેશાં સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, તેની પૂરતી કાળજી પણ રાખતા હોય છે.

આજે, સહૃદયસમાજ વિશે :

આ સહૃદયસમાજ એટલે શું? ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાના સાહિત્યમાં ભિન્ન ભિન્ન કક્ષાના સહૃદયોનો બનેલો ‘સમાજ’ મળવો મુશ્કેલ હોય છે. વળી, ત્યાં સહૃદયો હોય છે ખરા, પણ ત્રણ-ચાર આંગળીને વેઢે ગણાય એટલા – વિરલ.

એમાં પણ પ્રગટ અને પ્રચ્છન્ન એવા બે વર્ગ જોવા મળે છે. પ્રગટ એ અર્થમાં કે તેઓ પોતાના સાહિત્યસમયને પોતાના સહૃદય-દર્પણમાં ઝીલી જાણે છે અને તે સાહિત્યની જાહેર સમીક્ષા કરે છે. નર્મદ, નવલરામ, નરસિંહરાવ, બ.ક.ઠા., રમણભાઈ નીલકંઠ, મુનશી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, નિરંજન ભગત, સુરેશ જોષી આદિ દિવંગતો પ્રગટ સહૃદય હતા.

પણ તુલનાએ સમજી શકાશે કે દલપતરામ, ન્હાનાલાલ, ગાંધીજી, રાજેન્દ્ર શાહ પ્રચ્છન્ન સહૃદયો હતા; એમણે ગળું ફાડીને પોતાના સમયની સમીક્ષા ન્હૉતી કરી. તેમછતાં, એમને આપણે કોઈપણ ધૉરણે ઓછા સહૃદય નથી ગણી શકતા.

ભારતીય સ્તરે આપણા કયા સાહિત્યકારને સહૃદયી પ્રતિભાવ સાંપડ્યો, એ એક વિચારણીય પ્રશ્ન છે. એટલે કે, કયો પરભાષી સહૃદય આપણા કયા સાહિત્યકારની કઈ કૃતિને પામ્યો અને તે વિશે તેણે પોતાની ભાષામાં લખ્યું, બલકે, પરભાષાના સાહિત્યક્ષેત્રે તે કેટલો ઝીલાયો.

સુવિદિત છે કે કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ ચેખવ બૅકેટ વગેરેની સૃષ્ટિઓને આપણા સહૃદયી સાહિત્કારો સૌ પહેલાં પામ્યા હતા ને પછી તેઓએ તેમને વિશે લખ્યું હતું કે અનુવાદ કરવા લગીનું, ઉમાશંકરે તો સમશ્લોકી અનુવાદ કરવા લગીનું, દિલી સાહસ કર્યું હતું.

ટ્રેનમાં સહપ્રવાસી જોડે નાની સરખી મૈત્રી ઊભી થઈ જાય છે. આપણો ગુજરાતી હાંડવો એને અને એની મિષ્ટી આપણને એટલો સમય મધુર લાગતાં હોય છે. સ્વાર્થ-પરમાર્થ બન્ને સધાય છે. દિલ્હી સાહિત્ય અકાદમીમાં કોઈ સ્તરે કર્તાધર્તા હોવાથી મળેલી કે ભારતમાં હરતાફરતા રહેવાથી મળેલી અન્ય ભાષાના સાહિત્યકાર સાથેની મૈત્રીને હું એવું જ સદ્ભાગ્ય ગણું છું. પરન્તુ એ મિત્રે કશો સહૃદયી પ્રતિભાવ એની ભાષામાં લખ્યો ન હોય તો એ મૈત્રીનું સાહિત્યિક ધૉરણે ખાસ કશું મૂલ્ય નથી બનતું.

સુરેશ જોષીએ ભાગ્યે જ જેને ભારતભ્રમણ કહેવાય એવી શારીરિક ચેષ્ટા કરેલી, એ તો હાથમાં પુસ્તક સાહી બારીએ બેસીને આકાશ જોતા જોતા વિશ્વયાત્રા કરતા હતા, એમની એવી મૈત્રી તો કેટલા બધા એઓ સાથે ! પણ ભારતના કોઇ ગણમાન્ય સહૃદયે એમને વિશે કશું અંકે કરવાલાયક લખ્યાનું મારી જાણમાં નથી. સલમાન રશદી મળવા આવેલા કે નામવરસિંહ વડોદરા જતા તો સુરેશભાઈને મળ્યા વિના રહે નહીં, એ વાતોનું પણ એ જ મૂલ્ય છે.

મારે આમ્સ્ટર્ડામમાં ડચ મિત્રો છે, એમાં લેખકો પણ છે, અમે એકબીજાના સાહિત્યની વાતો કરીએ છીએ, પણ અંગ્રેજીમાં ! એ મને રૅમ્બ્રાં ને વાન ગોઘનાં મ્યુઝિયમોમાં લઈ જાય છે, એ મને એ બે મહાન કલાકારોનાં પેઇન્ટિન્ગ્સની વિશેષતાઓ સમજાવે છે, છતાં, સહૃદયી પ્રતિભાવના મુદ્દે અમે મિત્રો જ રહી જઈએ છીએ. કારણ કે મારી ગુજરાતી વાર્તાનો એણે કે એના ડચ કાવ્યનો મેં કશો રસાનુભવ કર્યો હોતો નથી. ટૂંકમાં, એવી મૈત્રીને ‘મૈત્રી’-ના વાચ્યાર્થથી વધારે મૂલ્ય ન અપાય, તે સમજાય એવું છે.

હું ઇનામીઓને કે ઍવૉર્ડીઓને પણ સહૃદયી પ્રતિભાવ પામેલાઓમાં નથી ગણતો કેમ કે ઇનામ કે ઍવૉર્ડ સહૃદયી પ્રતિભાવનું ફળ નથી હોતું, કહો કે, જવલ્લે જ હોય છે. એ તો એ સંસ્થાઓની જરૂરિયાતોનું સાગમટે નીપજતું એક કામચલાઉ પરિણામ હોય છે.

કે.કે. બિરલાના પદાધિકારીઓને ખબર નથી હોતી કે જે તે વર્ષે કયો ગુજરાતી એમના ઍવૉર્ડને પાત્ર ગણાય – ફૉર ધૅમ ઇટ રીમેઇન્સ અ મૅટર ઑફ કરેક્ટ ઇન્ફર્મેશન. હા, એ માહિતી એમને પસંદગીસમિતિ આપતી હોય છે, પણ એ માહિતી કેટલી કરેક્ટ હોય છે એ પ્રશ્ન ઊભો રહે છે.

સંસ્થાઓએ ઝોન પાડ્યાં હોય છે. પદાધિકારી કહેતો હોય છે – હમારા ઍવૉર્ડ ગત સાલ તો ગુજરાતી કો દિયા ગયા થા; હમારી પૉલિસી હૈ કિ પુનરાવર્તન નહીં કરના …

Pic courtesy : Alamo

ઝોન પાડ્યા હોય છે એટલે અન્તિમ નિર્ણાયક સમિતિમાં એ ઝોનમાં આવતી બીજી ત્રણેક ભાષાના સભ્યો પણ હોય છે. બહુ સ્વાભાવિક છે કે એ દરેક સજ્જન પોતાની ભાષાના સાહિત્યકારનું પૂંછડું તાણે. પરન્તુ ત્યારે કૃતિના પ્રાણને વર્ણવી બતાવવાનું કામ અધ્ધર રહી જાય છે, એટલે કે, સહૃદયી પ્રતિભાવ તો બચારો ક્યાં ય ખૂણે બેસી રડમસ થઈ ગયો હોય છે.

ત્યારે મેં સહૃદયી પ્રતિભાવ અને સમ્યક સમીક્ષા કરીને સૌને સમજાવેલું કે – જુઓ મહેરબાનો, આ બધા પ્રસ્તાવોમાં ‘કુરુક્ષેત્ર’ કૃતિ ઉત્તમ છે; સમજાવેલું કે નવલકથાનાં સર્વમાન્ય અને વ્યાપક ધૉરણે આ કૃતિ કેવી રીતે ઉત્તમ ઠરે છે. આ વર્ષે, કે.કે. બિરલા એના લેખકને જ મળવો જોઇએ. અને, તે વર્ષે દર્શકને અપાયેલો. મને નથી ખબર કે ‘કુરુક્ષેત્ર’-નો કોઈ ભારતીય ભાષામાં અનુવાદ થયો હોય, કે એને વિશે કશું નૉંધપાત્ર લખાયું હોય. (કોઈ જણાવશે તો આભારી થઇશ).

એમાંથી જ સવાલ પ્રગટે છે કે ઇનામો-ઍવૉર્ડો કૃતિના પ્રસારને પ્રેરે છે કે ત્યાં જ ‘ઇતિસિધ્ધમ્’ થઇ જાય છે.

વાતનો સાર પકડવાનો છે. એ કે ઇનામો-ઍવૉર્ડોને સહૃદયી પ્રતિભાવ ગણાય નહીં. મોટેભાગે એ મૅનુવરિન્ગ કે મૅનેજમેન્ટ હોય છે. અથવા એ એવું બૅટલફીલ્ડ છે જ્યાં જીતવાનું સહૃદયી નિર્ણાયક માટે અતિ કઠિન જ નહીં, અશક્ય હોય છે.

વાતનો બીજો સાર પણ છે; એ કે ઍવૉર્ડીએ પણ એને જીવનસિદ્ધિ ગણીને બીજાઓને ભરમાવવાની જરૂરત નથી; ફુલાઈને ઍવૉર્ડની તક્તીને પંપાળતા રહીને કીર્તિના અભયારણ્યમાં પડી રહેવાની પણ જરૂર નથી. એણે સર્જન / લેખન કરવું રહેશે, એને યાદ રહેવું જોઇશે કે પોતાની ભાષાના સાહિત્યકારો વચ્ચે જ પોતે ‘મહાન’ છે અને તેમની જોડે સહભાગી રહેવું એ બહુ મોટું દાયિત્વ છે. બીજાઓ કહેશે – તને છતરી મળી ગઈ એટલે ભર વરસાદમાં તું તો સડક વચ્ચેથી હરખાતો હરખાતો હાલ્યો જઉં છું પણ જેમની પાસે ન્હૉતી તેઓ તો દુકાનોમાં ચાલી ગયા છે, એમનું શું?

પ્રાદેશિક ભાષાના સાક્ષર માટે મારે હજી તો ઘણું કહેવાનું બાકી છે.

ઇનામ-ઍવૉર્ડ નામનું ગાજર આજના જમાનામાં ઝૅરી છે એટલું સમજાય તો બસ છે. બે-ચાર સહૃદયી મળે એના જેવું અ-મૃત સાહિત્યકાર માટે શું હોઈ શકે?

= = =

(Dec 12. 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મોદી હૈ તો મુમકીન હૈ અને આપ આયે બહાર આયી! 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2022

ચૂંટણીનાં પરિણામોને હાર-જીતથી આગળ જઈને સમજવા માટે, બ્રેકિંગ ન્યૂઝ અને ભાવનાઓના પૂરને ઓસરવાની રાહ જોવી પડે. આ વખતે નાની-મોટ ચાર ચૂંટણીઓ, પેટા-ચૂંટણીઓ હતી. તેની મોટી-મોટી હેડલાઈન આ પ્રમાણે છે; ભા.જ.પે. ગુજરાતમાં રેકોર્ડ તોડ બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં ભા.જ.પ.ની હાર થઇ છે અને કાઁગ્રેસને બહુમતી મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(એમ.સી.ડી.)માં ભા.જ.પ.નું શાસન સમાપ્ત થયું છે અને દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે.

એ સિવાય, વિધાન સભાની પેટા ચૂંટણીઓમાં બિહારમાં ભા.જ.પ., છતીસગઢમાં કાઁગ્રેસ, ઓડીસામાં બીજુ જનતા દળ, રાજસ્થાનમાં કાઁગ્રેસ અને ભા.જ.પ. અને રાષ્ટ્રીય લોક દળને એક-એક બેઠકો મળી છે. લોકસભાની પેટાચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને જીત મળી છે.

આ ચૂંટણીઓમાં બે મહત્ત્વની બાબત ઊડીને આંખે વળગે તેવી છે. ગુજરાતમાં ભા.જ.પ.નો દેખાવ સારો હશે તે પાર્ટીને ખુદને અપેક્ષિત હતું (અને કાઁગ્રેસ જોર નહીં મારે તેનો કાઁગ્રેસને ‘વિશ્વાસ’ હતો), પરંતુ ભા.જ.પ.ને 2017નું અધૂરું રહી ગયેલું સ્વપ્ન પૂરું કરવું હતું. તે વખતે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સાબરમતી નદીના કિનારે કાર્યકરો પાસે 150 બેઠકો મેળવવાના શપથ લેવડાવ્યા હતા, પણ પાર્ટી 99 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. તે સ્વપ્ન 2022માં પૂરું થયું છે. તે સાથે, 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના જોશમાં ઉમરો થયો છે.

કાઁગ્રેસ ગુજરાતમાં લગાતાર ધોવાતી રહી છે અને આ વખતે પણ એમાં કોઈ ચમત્કાર થવાની આશા નહોતી. એટલા માટે જ પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતમાં પ્રચાર કર્યો નહતો. આંતરિક વ્યૂહરચના એવી હતી કે ગાંધી પરિવાર ગુજરાતમાં લો પ્રોફાઈલ રહે, જેથી પ્રધાન મંત્રીને એ મોકો ન મળે કે તેઓ પરિવારને નિશાન બનાવે. અત્યાર સુધી તેમણે દરેક ચૂંટણી પ્રચારમાં ગાંધી પરિવારને ગુજરાતના દુ:શ્મન તરીકે ચીતર્યા છે અને એ યોજના કારગત પણ નીવડી છે. એટલા માટે રાહુલ ગાંધીએ માત્ર બે જ પ્રચાર સભાઓ કરી હતી અને તેમાં પણ કોઈ એવું નિવેદન ટાળ્યું હતું જેનો ભા.જ.પ. હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. તેમાં છતાં, કાઁગ્રેસના નવનિર્વાચિત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ‘રાવણ’વાળી ટીકા મોદી સહિત તમામ નેતાઓએ પકડી લીધી હતી.

કાઁગ્રેસ 17 બેઠકો પર આવી ગઈ તેમાં એ વ્યૂહરચનાની નિષ્ફળતા છે કે બીજાં કારણો તે તો વિગતવાર અભ્યાસનો વિષય છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં ભા.જ.પ.ની સરકારને હરાવીને કાઁગ્રેસે એ હકીકત તો સાબિત કરી છે કે ‘કાઁગ્રેસ મુક્ત ભારત’નું સ્વપ્ન એટલું જલદી સાકાર થતું દેખાતું નથી. ગુજરાતની જીત પછી, દિલ્હીમાં ભા.જ.પ.ના કાર્યકરોને સંબોધતાં પ્રધાન મંત્રીએ તેનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, “હિમાચલની અપેક્ષાઓ પૂરી કરવા માટે ભા.જ.પ. હજુ વધુ મહેનત કરતી રહેશે. હિમાચલમાં વિજેતા પાર્ટી (કાઁગ્રેસ) કરતાં અમારો વોટ શેર એક ટકો જ ઓછો છે તે માટે હું મતદારોનો આભારી છું.”

બીજી મહત્ત્વની બાબત આમ આદમી પાર્ટીને લગતી છે. એક તરફ તેણે દિલ્હી કોર્પોરેશન કબજે કર્યું છે, ત્યારે બીજી તરફ તેણે ગુજરાતમાં 5 બેઠકોથી ખાતું ખોલાવ્યું છે. ગુજરાતમાં આપનો વોટ શેર 12.9 ટકા છે અને કાઁગ્રેસનો 27. 3 ટકા છે (ભા.જ.પ.નો 52.9 ટકા છે). 2017માં કાઁગ્રેસનો વોટ શેર 41. 4 ટકા (તેની બેઠકો 77 હતી). સ્પષ્ટ રૂપે, આપે કાઁગ્રેસના વોટ શેરમાં ભાગ પડાવ્યો છે. ધારો કે, આપ ગુજરાતની ચૂંટણીમાં ન હોત તો પરિણામ કેવું રહ્યું હોત? કાઁગ્રેસના ઉમેદવારો જ્યાં હાર્યા છે તે બેઠકો પર આપને (અને ઓવેસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીનને) કેટલા વોટ મળ્યા છે તેનું વિશ્લેષણ રસપ્રદ બની રહેશે.

આપ અને ઓવેસી ભા.જ.પ.ની ‘બી’ ટીમ તરીકે કામ કરે છે તેઓ આરોપ દરેક ચૂંટણીમાં થતો રહે છે. તેમનું કામ કાઁગ્રેસના વોટ કાપવાનું (અને એ રીતે ભા.જ.પ.ને જીતાડવાનું હોય છે) તેવો વ્યાપક પ્રચાર વિરોધ પક્ષો કરી રહ્યા છે. ઇન ફેક્ટ, ગુજરાતનાં પરિણામો પછી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આ જીત માટે હું ભા.જ.પ.ને અભિનંદન આપું છું, પણ અમારા આટલા ખરાબ દેખાવની આશા નહોતી, અમે તેનું ચિંતન કરીશું પણ આપ અને ઓવેસીને અમારા વોટ કાપવા માટે જ ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.

કાઁગ્રેસે જો કે આ ‘મત કાપ્યા’ની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ અને એ વિચારવું જોઈએ કે મતદારો બીજા પક્ષોને કેમ મત આપે છે. લોકશાહીમાં દરેક પક્ષને મોટા થવાનો અધિકાર છે અને એ અંતે તો કોઈક પક્ષના ભોગે જ મોટો થાય છે. એવું તો છે નહીં કે તેના માટે એક્સ્ટ્રા મત ઊભા કરવામાં આવે.

ગુજરાતનાં પરિણામ આવ્યાં તેની સાથે જ, ભા.જ..પે મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં આપને મુખ્ય પ્રતિદ્વંદ્વી ઘોષિત કરી દીધી છે. મુંબઈ ભા.જ.પ.ના અધ્યક્ષ એડવોકેટ આશિષ શેલારે એક નિવેદનમાં કહ્યું હતું કે આપે જે ગુજરાત અને હિમાચલમાં લડત આપી છે તે જોતાં લાગે છે કે બી.એમ.સી.માં ભા.જ.પ.ની સીધી લડાઈ આપ સાથે હશે, બીજી પાર્ટીઓનું કોઈ મહત્ત્વ નથી.

એક વાત તો છે કે પહેલાં દિલ્હી, પછી પંજાબ અને હવે ગુજરાતમાં લડાઈ લડીને આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય પાર્ટી બનવાનો રસ્તો ખુલ્યો છે. કદાચ એ રસ્તા પર જ ભા.જ.પ.નું ‘કાઁગ્રેસ મુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર થાય તો નવાઈ નહીં. કાઁગ્રેસ પૂરા દેશમાં નબળી પડેલી છે અને મુખ્ય વિરોધ પક્ષની ખાલી પડેલી જે જગ્યાને ભરવાના આપના મનોરથ છે.

ચૂંટણી પ્રચારમાં દાવા ભલે ગમે તે કર્યા હોય, આપ ગુજરાતમાં સત્તા કબજે કરવા નહીં, પણ તેની હાજરી સાબિત કરવા આવી હતી. ગુજરાતનાં પરિણામ આવ્યાં તે સાંજે પક્ષના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ખુશ મિજાજ સાથે કહ્યું હતું, “આજે આપ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. 10 વર્ષ પહેલાં આપ એક નાનકડી પાર્ટી હતી, આજે 10 વર્ષ પછી બે રાજ્યોમાં તેની સરકાર અને ગુજરાતમાં 5 વિધાનસભ્યો છે.” ગુજરાતને કાઁગ્રેસ મુક્ત કરવામાં આપનું જે યોગદાન છે તેના માટે કેજેરીવાલ અભિનંદનને પાત્ર છે.

આપ માટે ખુશીનું બેવડું કારણ છે. દેશમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને બાદ કરતાં, બીજી કોઇ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં બાકી દેશના લોકોને રસ પડ્યો નથી, પરંતુ આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(એમ.સી.ડી.)ની ચૂંટણી પર સૌની નજર હતી, તેનું કારણ જ એ હતું કે તેની ચૂંટણી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની સાથે યોજાઈ હતી અને એમાં આમ આદમી પાર્ટી (આપ) એક મુખ્ય ખેલાડી તરીકે હિસ્સો લઇ રહી હતી. દિલ્હી પછી પંજાબ વિધાનસભાને કબજે કરનાર આપ, રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પક્ષ તરીકે કાઁગ્રેસનો વિકલ્પ બનવા માટે સક્ષમ છે કે નહીં તે આ ત્રણે ચૂંટણીઓ પરથી નક્કી થવાનું હતું.

એમ.સી.ડી.નું પરિણામ આપ માટે નૈતિક જુસ્સો વધારનારું છે. આપ માટે આ ડબલ ધમાકા જેવું છે. 2013માં, આપે દિલ્હી વિધાનસભામાં 15 વર્ષ જૂના કાઁગ્રેસના શાસનને સમાપ્ત કર્યું હતું. 2022માં, તેણે એમ.સી.ડી.માં ભા.જ.પ.ના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. મહત્ત્વની વાત એ છે આપે પહેલીવાર ભા.જ.પ.ને કોઈ ચૂંટણીમાં હાર આપી છે.

250ની સભ્ય સંખ્યાવાળા કોર્પોરેશનમાં આપને 134 બેઠકો (બહુમતી કરતાં 8 વધુ) મળી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડનાર ભા.જ.પ.ને 104 બેઠકો મળી છે, જે 15 વર્ષની શાસન-વિરોધી ભાવના વચ્ચે પણ ખરાબ દેખાવ ન કહેવાય. કાઁગ્રેસ 7 પર આવીને સમેટાઈ ગઈ છે, જે તેના પૂરા દેશમાં ઓલ-રાઉન્ડ પતનના ટ્રેન્ડ પ્રમાણે જ છે. 2017ની ચૂટણીમાં ભા.જ.પ.ને 272 વોર્ડમાંથી 181 પર જીત મળી હતી, આપને માત્ર 48 મળી હતી, જ્યારે કાઁગ્રેસે 30 બેઠકો જાળવી રાખી હતી.

આમાં સૌથી રસપ્રદ હિમાચલ છે. કાઁગ્રેસે તાજેતરમાં જ તેના નવા અધ્યક્ષ (મલ્લિકાર્જુન ખડગે) ચૂંટ્યા છે. રાહુલ ગાંધી મહિનાઓથી ‘ભારત જોડો’ યાત્રામાં વ્યસ્ત છે. હિમાચલનું સઘળું સંચાલન પ્રિયંકા ગાંધીના હાથમાં હતું. તે અને હિમાચલ ભા.જ.પ.માં ચાલતા ડખાનો ફાયદો કાઁગ્રેસને મળ્યો છે. કાઁગ્રેસને ગુજરાતમાં તો બહુ આશા નહોતી (ગુજરાત તેના સપૂત નરેન્દ્ર મોદીના નામે વોટ આપશે તેવું સૌને અપેક્ષિત હતું. મોદીએ એટલા માટે જ ‘ઇન્દ્ર’નો પ્રાસ મેળવીને એક રેલીમાં કહ્યું હતું કે ‘ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડશે).

હિમાચલમાં તેનો આત્મવિશ્વાસ હાલકડોલક હતો, પરંતુ પ્રિયંકાના કુનેહપૂર્વકના પ્રચાર મેનેજમેન્ટનો તેનો ફાયદો થયો છે અને ગુજરાતનું નુકશાન ભરપાઈ કરી આપ્યું છે. હિમાચલ માટે કહેવાય છે તેના મતદારો ક્યારે ય એક પાર્ટીને પાંચ વર્ષ પછી રિપીટ નથી કરતાં (તેનાં શું કારણો છે તે વિગતવાર અભ્યાસનો વિષય છે) અને તે પરંપરા પ્રમાણે તેમણે પહેલીવાર મુખ્ય મંત્રી બનેલા ભા.જ.પ.ના જય રામ ઠાકુરની સરકારને ગડગડિયું આપ્યું છે. એ રીતે કાઁગ્રેસ અને આપ બંનેને આ ચૂંટણીઓમાં સંતોષ થયો છે.

પણ એક વાત સાફ છે. ભા.જ.પ.ની જીતમાં નરેન્દ્ર મોદી અનિવાર્ય પરિબળ છે. જ્યાં સુધી મતદારોને આકર્ષવાની વાત છે ત્યાં સુધી બીજો કોઈ નેતા તેમની આસપાસ પણ આવે તેવું નિકટના ભવિષ્યમાં દેખાતું નથી. ભા.જ.પ.ને આજે ‘ઈલેકશન-મશીન’ કહેવામાં આવે છે અને પાર્ટીના હાથમાં એ જાદુઈ છડી પકડાવાનું શ્રેય મોદીને જાય છે. ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો અને જીત કેવી રીતે હાંસલ કરવી એ તેમની પાસેથી શીખવા જેવું છે. ભા.જ.પ.ની તોતિંગ તાકાતને કેવી રીતે પહોંચી વળવું તેના માટે વિપક્ષોએ નવેસરથી ચિંતન કરવું પડશે.

લાસ્ટ લાઈન:

“વોટ બંધૂક જેવો છે. તેની ઉપયોગિતા મતદારના ચારિત્ર્ય પર નિર્ભર કરે છે.”

— થિયોડોર રૂઝવેલ્ટ, અમેરિકાના 26માં પ્રેસિડેન્ટ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1691,1701,1711,172...1,1801,1901,200...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved