Opinion Magazine
Number of visits: 9667576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એક અનોખો રાજવી’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|23 April 2023

પુસ્તક પરિચય 

‘એક અનોખો રાજવી’ : મૂળ લેખક – રાજમોહન ગાંધી : અનુવાદ – અશોક મેઘાણી : નવજીવન પ્રકાશન, ફેબ્રુઆરી 2023, પાનાં : 272, કદ : રૉયલ, પેપરબૅક કિં. રૂ. 375/-

‘કળિયુગના હરિશ્ચન્દ્ર’ના વિસ્તૃત અંગ્રેજી જીવનચરિત્રનો ઉત્તમ ગુજરાતી અનુવાદ

‘એક અનોખો રાજવી’ પુસ્તક ગરાસદાર સ્વાતંત્ર્યસૈનિક દરબાર ગોપાળદાસ દેસાઈ(1887-1851)ના, રાજમોહન ગાંધીએ લખેલા વિસ્તૃત જીવનચરિત્ર The Prince of Gujarat : The Extraordinary Story of the Prince Darbar Gopaldas Desai (2014)નો અમેરિકા-સ્થિત અશોક મેઘાણીએ કરેલ ખૂબ વાચનીય અનુવાદ છે.

અનુવાદકના પિતા ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’ નવલકથામાં ‘દરબારશ્રીના જીવનમાંથી પ્રેરણા લઈને સર્જેલી વિભૂતિ’ એવા સુરન્દ્રદેવજીનું પાત્ર ઊભું કર્યું છે.

ગુજરાતના સેંકડો રજવાડાંના શાસકોમાંથી ગોપાળદાસ સંભવત: એકમાત્ર રાજા હતા કે જેમણે આઝાદીની લડત માટે પોતાની રિયાસતનો ભોગ આપ્યો. લડતમાં ભાગ લેવા બદલ અંગ્રેજ હકુમતે સૌરાષ્ટ્રના ઢસા અને રાયસાંકળી તેમનું રાજ જુલાઈ 1922માં જપ્ત કર્યું.

એ રાજ તેમણે કુટુંબ કલહ તેમ જ કાવતરાં વચ્ચે કુનેહપૂર્વક મેળવ્યું હતું, અને તેનું પ્રગતિવાદી મૂલ્યોને અમલમાં મૂકીને જતન કર્યું હતું, જે રાજમોહને અનુક્રમે ત્રીજા અને ચોથા પ્રકરણમાં વર્ણવ્યું છે.

ઉપરાંત, તેઓ એવા પણ એક માત્ર રાજા હતા કે જેમણે રાજ્ય પાછું મેળવ્યા બાદ કોઈ પણ શરત કે વળતર વિના તરત જ મે 1947માં ભારતીય સંઘરાજ્યમાં ભેળવી દીધું હોય.

મોટા ભાગના રજવાડા રૈયતલૂંટ, ઐયાષી અને અંગ્રેજોની કદમબોશી કરી રહ્યા હતા, તેવા સમયે એક વાર ‘પોતાની પ્રજા અને બીજાની મદદ માટેના ખર્ચ પાછળ ગોપાળદાસે લગભગ એક લાખ રૂપિયાનું કરજ કર્યું હતું’ અને ‘કુટુંબનાં ઘરેણાં વેચીને એ દેણું ચૂકતે થયું’.

સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેને ગોપાળદાસને ‘કળિયુગના હરિશ્ચન્દ્ર’ કહ્યા છે. ‘પટેલબંધુ’ નામના સામયિકના 1922ના ઉનાળામાં પ્રસિદ્ધ થયેલા અંકમાં મણિબહેને એમના લેખમાં ગોપાળદાસનું આ મુજબનું ગૌરવ કર્યું છે, એમ રાજમોહન ટાંકે છે.

લેખક પ્રસ્તાવનામાં નોધે છે : ‘ભારતનો મોટો ભાગ આ માણસના જીવનમાં બનેલી અસાધારણ ઘટનાઓ અને એમના અદ્દભુત પ્રદાન વિશે અજ્ઞાત કેમ છે ?’ પુસ્તકના પોણા ત્રણસો વિગતસભર પાનાંમાંથી પસાર થતાં આ સવાલ બિલકુલ પ્રસ્તુત લાગે છે.

પુસ્તકના 45 પાનાંના ત્રીજા પ્રકરણ ‘તાલુકદાર એની પ્રજા અને રાજ 1912-1991’માં ગોપાળદાસના શાસનકર્તા તરીકેના સંખ્યાબંધ ઉજળા પાસાંનું વિવરણ થયું છે.

જેમ કે, આઝાદી પૂર્વે ગરાસની જમીન અને મકાનો એ રાજાની માલિકીના ગણાતા એ ઐતિહાસિક હકીકતનો ઉલ્લેખ કરીને લેખક નોંધે છે : ‘ગોપાળદાસે ખેડૂતોને તેમની જમીન અને ઘરની માલિકી સોંપી દીધી’.

ભારતમાં બંધારણીય રીતે છેક 1992માં આવેલું પંચાયત રાજ ‘ઢસામાં 1915’માં આવી ગયેલું. સૌરાષ્ટ્રનો 1950ના દાયકાનો જમીનસુધારો લાવ્યા ગોપાળદાસે ‘વર્ષો પહેલાં પોતાનાં તાલુકાઓમાં દાખલ કરેલો’.

તેમણે ખેડૂતોને શાહુકારના દેવા અને ચૂકવાણાની બાબતે પારદર્શક ન્યાયપૂર્ણ પદ્ધતિ દાખલ કરી. તેમની પરનું રાજ્યનું દેવુ માફ કર્યું, દુકાળમાં તેમને સહાય કરી અને તેમનો પાક ચોરીથી બચે તેવો પ્રબંધ કર્યો.

સુધારક શાસક ગોપાળદાસે કોલ્હાપુરના શાહૂ મહારાજની જેમ હંમેશાં અંત્યજોને સમાન દરજ્જો આપતી નીતિઓ કુનેહપૂર્વક ઘડી. તેમાં સાર્વજનિક કૂવા પરથી દલિતો માટે પાણીથી લઈને સમાવેશી અત્યંજ પરિષદોના સફળ આયોજન સુધી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

‘દીકરીને હું દલિત છોકરા સાથે પરણાવીશ’ એવી ઇચ્છા તેમણે પત્ની ત્રણ દીકરાના જન્મ પછી ગર્ભવતી હતાં ત્યારે જાહેર કરી હતી. તેમનાં સ્વતંત્રમતિ, સ્વમાની પત્ની ભક્તિલક્ષ્મી પણ ગાંધીવારસાનાં એક અગ્રણી નારીરત્ન ગણાય છે. કન્યાકેળવણી અને નારીસન્માન, પુસ્તકાલય પ્રવૃત્તિ અને કોમી એખલાસ માટે તેમણે કરેલાં કામ નોંધપાત્ર છે.

પોતાની જનતાની નજીક જઈ શકાય તે માટે તેઓ લોકો વચ્ચે જઈને ચોપાટ રમતા, નાચગાન કરતા, અંત્યજો સાથે રાસડા લેતાં નીચે પણ નમતા. લોકોની નાડ પારખવા તેમણે વેષાંતરમાં કરેલા વિહારના કિસ્સા પણ લેખકે નોંધ્યા છે.

મન-વચન-કર્મથી પોતાનું ‘રાજાપણું’ છોડી ચૂકેલા શાસક લોકો સામે મુગટ નહીં, ગાંધી ટોપી પહેરીને જતા. તેઓ ક્યારે ય કોઈને તુકારે બોલાવતા નહીં. સરદાર પટેલે કહ્યું હતું કે પગપાળા ચાલે છે.

રાજ્ય જપ્ત થયું ત્યારે દરબારને લોકોએ આપેલા ટેકાના અને પાછું મળ્યું ત્યારે તેમણે કરેલા ઉજવણાના રોમહર્ષક વર્ણનો રાજમોહને આપ્યાં છે.

આઝાદી ચળવળમાં શરૂથી લઈને બંધારણ સભાના સભ્યપદ સુધીના લગભગ દરેક તબક્કામાં ગુજરાતમાં ગોપાળદાસના પ્રદાનનું રાજમોહને વિશ્લેષણ કર્યું છે. તેમાં પ્રારંભિક તબક્કે પ્રજા અને પરિવાર માટેની ચિંતાને કારણે તેમણે અનુભવેલી ખેંચતાણનું બયાન રસપ્રદ છે.

રાજ્ય જપ્ત થયું તે પહેલાં અંગ્રેજ સરકારના અધિકારીઓની તેમ જ એજન્ટો જોહુકમીભર્યાં ફરમાનો અને માગણીઓ સામે તેઓ કેવા અણનમ રહ્યા તેના ઉત્તેજનાપૂર્ણ કિસ્સા લેખકે નોંધ્યા છે.

ગોપાળદાસ અને ભક્તિલક્ષ્મીએ કેટલી ય વખત જેલ ભોગવી. સ્વાતંત્ર્ય સંગ્રમાના હજારો પરિવારોની જેમ ગોપાળદાસના ચાર પુત્રો સહિતના પરિવારના વિચ્છેદ અને આંશિક ફેરમેળાપને લેખકે સંયત સંવેદનશીલતાથી નિરૂપ્યો છે.

પુસ્તકની શરૂઆતમાં, છેક પ્રાચીન સમયથી ઓગણીસમી સદીના ગુજરાતની રૂપરેખા મળે છે. ત્યાર બાદ નાયકના જીવનને સમાંતરે સ્વાતંત્ર્ય-સંગ્રામનો આલેખ પણ છે.

મુખ્યમંત્રીપદનો અસ્વીકાર કરીને પણ ત્રીજા-ચોથા દાયકાના ગુજરાતના રાજકરણમાં ગોપાળદાસની ભજવેલી નિર્ણાયક ભૂમિકા વિશે પણ વાંચવા મળે છે.

પ્લેટોના ફિલોસૉફર કિન્ગની વિભાવનાની આછેરી ઝલક આપતા ગોપાળદાસના અનેક માનવસહજ પાસાં પણ જોવા મળે છે : એક પરિવારજનના ઝેરપ્રાશન જેવાં બાળપણના પ્રસંગની અસર, અંગ્રેજોની કેટલીક બાબતો માટે માન, હોકા-સિગરેટ-ચાનાં બંધાણ, હૃદયનો વ્યાધિ, રમૂજવૃત્તિ, વાળની માવજત અને અન્ય.

વિશ્વકક્ષાના સંશોધક રાજમોહને સરદાર પટેલ સહિત છ અગ્રણી ભારતીયોના પૂરાં કદનાં ચરિત્રો લખ્યાં છે.

સન્નિષ્ઠ અનુવાદક અશોક મેઘાણી તેમના પિતાના ચાર પુસ્તકો (‘સંત દેવીદાસ’, ‘વેવિશાળ’ અને ‘રંગ છે બારોટ’) ઉપરાંત કાકા કાલેલકરના ‘હિમાલયનો પ્રવાસ’ને અંગેજીમાં લઈ ગયા છે.

તાજેતરમાં અશોકભાઈ કર્મશીલ મિત્તલ પટેલના ‘સરનામાં વિનાનાં માનવી’ પુસ્તકનો દિવંગત જયંત મેઘાણીએ કરેલા અનુવાદને પૂર્ણતાએ લઈ ગયા છે, જે નવજીવને બહાર પાડ્યો છે.

પ્રસ્તુત પુસ્તક એ તેમનો પહેલો ગુજરાતી અનુવાદ છે. અશોકભાઈએ અનુવાદની ગુણવત્તાની બાબતમાં નક્કી કરેલા, ‘બીજી ભાષામાંથી થયેલો અનુવાદ છે એવો વાંચનારને ખ્યાલ પણ ન આવે’ એ માપદંડ અનુસાર આ ‘સારો અનુવાદ’ છે, ખરેખર તો ઉત્તમ અનુવાદ છે.

રાજમોહને નોંધ્યું છે તેમણે આ પુસ્તક ‘ગોપાળદાસની યાદને અત્યાર સુધી નહીં મળેલો ન્યાય મેળવવાના પ્રયત્ન તરીકે’ લખ્યું છે. લેખકે ન્યાય અપાવ્યો છે. 

[વિશ્વ પુસ્તક દિન, 2023]

-X-X-X-X-

પ્રાપ્તિસ્થાન : 

[1] ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

[2] નવજીવન, સંપર્ક : 079-27540635, 27542634

[‘દિવ્ય ભાસ્કર’માં આજે [23 ઍપ્રિલ 2023] આવેલા પુસ્તક પરિચયમાં થોડાં ઉમેરણ સથેનો લેખ, 800 શબ્દો] 
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

લોકસભા ચૂંટણી 2024 : મંડલ-કમંડલ પાર્ટ-2

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 April 2023

રાજ ગોસ્વામી

સુરતની કોર્ટે ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) જાતિના અપમાન બદલ, કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવતો ચુકાદો આપ્યો અને તેનાં પગલે લોકસભાના સ્પીકરે કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ કર્યું, તે પછી રાહુલે કર્ણાટકના કોલાર ખાતેથી રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ એ જ જગ્યા હતી, જ્યાં 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે કેન્દ્ર સરકાર પર વાર કરતાં તેમણે કહ્યું હતું હતું કે, “તમામ ચોરનાં નામ મોદી કેમ છે?”

રાજકીય વર્તુળોમાં એવું અનુમાન હતું કે રાહુલ એ જ જગ્યાએ ફરીથી ‘નીરવ મોદી-લલિત મોદી’ વાળો આરોપ દોહરાવશે. રાહુલે જો કે ભાગેડુ બિઝનેસમેનો પર નિશાન સાધવાને બદલે ઓ.બી.સી. જાતિનો મુદ્દો ઉઠાવ્યો. રાજકીય રીતે એ મુદ્દો વધુ સંવેદનશીલ અને મહત્ત્વનો છે. રાહુલે ગૌતમ અદાણી વાળો મુદ્દો ઉઠાવ્યા પછી, ‘જેટલી વસ્તી, એટલો હક’ એવો નારો આપીને ચાર માંગણી કરી હતી;

પછાત જ્ઞાતિઓ માટેના આરક્ષણ પર 50 ટકાની મર્યાદા છે તે કેન્દ્ર સરકાર દૂર કરે, દેશમાં કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે તેના આંકડા સાર્વજનિક કરે, ઓ.બી.સી. વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં વધુ પ્રતિનિધિત્વ આપે અને દલિતો તેમ જ આદિવાસીઓને તેમની વસ્તી અનુસાર નોકરીઓમાં આરક્ષણ મળે.

રાહુલે કહ્યું કે તેમના પક્ષની સરકાર હતી ત્યારે તેણે 2011માં દેશમાં જાતિગત જનગણના કરાવી હતી. ભા.જ.પ.ની સરકાર તેના આંકડા જાહેર કરતી નથી. વિપક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર 10 વર્ષના નિયમ પ્રમાણે નવી વસ્તી ગણતરી પણ કરાવતી નથી (તેના માટે કોરોનાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું) કારણ કે તે ઓ.બી.સી. જાતિઓના આંકડા ગણવામાં ફસાવા નથી માંગતી. બીજું, મુસલમાનોની વસ્તીની સચ્ચાઈ સામે આવવા દેવા નથી માંગતી. ત્રીજું, દેશમાં કેટલા લોકોને સુવિધાઓ પહોંચે છે તેની વાસ્તવિકતા પણ ગમે તેવી નથી.

એ જે  હોય તે, સરકારે 2021ની વસ્તી ગણતરી કેમ નથી કરાવી તેનું ગળે ઉતરે તેવું કારણ નથી આપ્યું. એવું મનાય છે કે તે 2024ની લોકસભા ચૂંટણી પૂરી થાય તેની રાહ જુવે છે. એટલે જ વિપક્ષો આ મુદ્દા પર એક થઇ રહ્યા છે.

આ માત્ર કાઁગ્રેસ કે રાહુલનો જ મુદ્દો નથી. 2024ની લોકસભા ચૂંટણી આવતાં સુધી અન્ય વિરોધ પક્ષો પણ ‘સામાજિક ન્યાય’ના નામે એક થઇ જાય એવું લાગી રહ્યું છે. કારણ એ છે કે વડા પ્રધાન સહિત ભા.જ.પ. પહેલેથી જ જાતિ આધારિત ગણનાની વિરુદ્ધ છે. રાહુલ ગાંધી પછી, જનતા દળ યુનાઇટેડ(જે.ડી.યુ.)ના નીતિશ કુમાર અને તેમની પાર્ટીએ આખા દેશમાં જાતિ આધારિત સર્વે કરાવવાની માંગણી કરી છે. બિહારમાં તો તેમની સરકારે આવો સર્વે શરૂ પણ કરી દીધો છે.

તાજેતરમાં, ડી.એમ.કે. નેતા અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર સોશિયલ જસ્ટિસનો રાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો હતો, જેમાં કાઁગ્રેસના અશોક ગેહલોત, આર.જે.ડી.ના તેજસ્વી યાદવ, એમ. વીરપ્પા મોઈલી, છગન ભુજબળ, ફારુક અબ્દુલા, સીતારામ યેચુરી, અખિલેશ યાદવ અને ડેરેક ઓ બ્રાયન જેવા ભા.જ.પ. વિરોધી પક્ષોના નેતા એક મંચ પર આવ્યા હતા.

2014માં, ભા.જ.પ. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સામાજિક વિકાસના નારા પર જ કાઁગ્રેસને સત્તામાંથી બહાર ફેંકવામાં સફળ રહી હતી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાંથી ‘જેટલી વસ્તી, એટલો હક’નો નારો આપીને જાતિગત જનગણનાની માંગણી કરી છે. દેખીતું છે કે ભા.જ.પ. એમાં ફસાવા માગતી નથી. રાહુલના બયાન પછી બીજા જ દિવસે, કાઁગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને જાતિ આધારિત જનગણના કરવાની અપીલ કરી છે. કાઁગ્રેસને લાગે છે કે આ એક એવો મુદ્દો છે જેના પર ભા.જ.પ.ને ઘેરી શકાય છે.

એમાં બીજું રાજકારણ એ પણ છે કે રાહુલ ગાંધીએ ઓ.બી.સી. વર્ગનું અપમાન કર્યું છે એવા આરોપસર સજા થઇ છે. ભા.જ.પ. કાઁગ્રેસને ઓ.બી.સી. વિરોધી બતાવી રહી છે. જેમ કે રાહુલે એ સભામાં કહ્યું હતું કે વડા પ્રધાન જો ઓ.બી.સી.ને તાકાતવર બનાવવા માંગતાં હોય તો પહેલાં એ સમજવું પડશે કે દેશમાં ઓ.બી.સી.ની સંખ્યા કેટલી છે. અમે 2011માં તેની ગણતરી કરાવી હતી, પરંતુ મોદી સરકાર એ ડેટાને છુપાવીને બેઠી છે.

કાઁગ્રેસને એવો પણ વિશ્વાસ છે કે અન્ય વિરોધ પક્ષો પણ આ મુદ્દા પર તેનું સમર્થન આપશે. તેને ખબર છે કે અ દેશમાં દલિત વિરોધી રહેવું કોઈને પોષાય તેમ નથી અને આ એક મુદ્દો એવો છે જ્યાં તમામ પક્ષો ભા.જ.પ.ને દલિત વિરોધી સાબિત કરવા મહેનત કરશે.

આ મુદ્દો નવો પણ નથી. અગાઉ, 1989માં વી.પી. સિંહની સરકારે દલિતોના મસીહા બનવા માટે મંડલ કમિશનની રચના કરી હતી અને પછાત જાતિઓ માટે આરક્ષણ લાગુ કર્યું હતું. એનાથી ભારતીય રાજનીતિમાં જબરદસ્ત ફેરફાર આવ્યો હતો, ઘણાં અંદોલનો થયાં, અનેક નવી પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. સિંહે એક ઝાટકે એવા વર્ગોને રાજકીય મુખ્યધારામાં લાવીને ઊભા કરી દીધા હતા, જે હાંસિયાની પણ બહાર હતા.

જાતિ આધારિત જનગણના ભારતમાં બહુ જૂની પરંપરા છે. 1955માં, જવાહરલાલ નહેરુએ કાકા કાલેલકર કમિશનની રચના કરીને સૂચનો માંગ્યાં હતા. જો કે કાઁગ્રેસ સરકારે 1961ની જનગણના વખતે એ સૂચનો લાગુ કર્યા નહોતાં. પાછળથી ઇન્દિરા ગાંધીની સરકારે ‘ગરીબી હટાવો’ના નારા હેઠળ એનો અમલ કર્યો હતો અને તે પછી વી.પી. સિંહની સરકારે ઓ.બી.સી. માટે આરક્ષણ શરૂ કર્યું હતું.

સિંહની આ દલિતો તરફી રાજનીતિની સફળતા જોઈને જ ભા.જ.પે. રામમંદિરનો નારો આપીને હિન્દુત્વનું રાજકીય કાર્ડ તૈયાર કર્યું હતું. ભા.જ.પ. બધાને હિંદુની એક જ છત્રી હેઠળ લાવવા માંગે છે, એટલે તે હિંદુની અંદર દલિતો અને પછાતોની અલગ ઓળખાણથી અસહજ છે. બદનસીબે, ભા.જ.પ. સવર્ણોની પાર્ટી છે એવી છાપ પણ ત્યારથી જ મજબૂત થઇ છે. ભા.જ.પ. તેની રાજનીતિને હિંદુ-મુસ્લિમના કૌંસમાં જ સીમિત રાખવા માંગે છે, પરંતુ હિંદુઓની અંદર પણ મંડલ-કમંડલની એક અલગ જ રાજનીતિ આકાર લેતી રહી છે.

દેશમાં પછાત જાતિના લોકોની વસ્તી 52 ટકા જેટલી હોવાનું મનાય છે, પણ તેમને 27 ટકા જ આરક્ષણ મળે છે. અમુક રાજ્યોમાં તો એથી ય ઓછું મળે છે. આ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે તેમની વસ્તીમાં વધારો થયો છે પણ એ હિસાબે આરક્ષણ મળતું નથી. ભા.જ.પ. પણ આ વર્ગના સમર્થનથી જ સત્તામાં આવી હતી, પણ હવે એ તેમને ભૂલી ગઈ છે અને બૃહદ્દ હિન્દુત્વના મુદ્દામાં વ્યસ્ત થઇ ગઈ છે.

રાજકીય પક્ષો માટે આ એક મોટી વોટ બેંક છે. જાતિગત ગણનાની માંગણી પાછળ ગણતરી એવી છે કે ભા.જ.પ. ક્યારે ય (એટલિસ્ટ, લોકસભાની ચૂંટણી સુધી) એમાં સંમત નહિ થાય કારણ કે તે તેના પરંપરાગત મતદારોને નારાજ કરવા માંગતી નથી.

કાઁગ્રેસ આ મુદ્દા પર આર.જે.ડી., ડી.એમ.કે., જે.ડી.યુ., સમાજવાદી પાર્ટી, આર.એલ.ડી., જે.એમ.એમ. જેવા વિરોધપક્ષોને એક કરવા માંગે છે. આ તમામ પક્ષો જાતિગત જનગણનાના પક્ષમાં છે. આર.જે.ડી. અને ડી.એમ.કે.ની જેમ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત જનગણના માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. જે.એમ.એમ.ના હેમંત સોરેન પણ તેની માંગણી કરી રહ્યા છે.

રાહુલ વિપક્ષોનું સમર્થન લેવા માટે તેનાથી પણ એક કદમ આગળ ગયા છે. તેમણે વડા પ્રધાનને અપીલ કરી છે કે તેમની સરકાર આરક્ષણ પર 50 ટકાની મર્યાદા ખતમ કરી દે. એવું મનાય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષોની યુતિ રચાય તો તેમના કોમન મિનિમમ પ્રોગ્રામમાં આ માંગણીને સમાવવામાં આવશે. ત્યાં સુધી કે, ભા.જ.પે. ઊભા કરેલા એન.ડી.એ.માં સામેલ ઘણા પક્ષો પણ જાતિ આધારિત જનગણનાની માંગણી કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી પોતાને ઓ.બી.સી. વર્ગના સભ્ય તરીકે લગાતાર પેશ કરે છે. રાહુલ ઓ.બી.સી. વિરોધી છે તેવા કેસ અને પ્રચાર પાછળ પણ ગણતરી એવી જ છે કે પછાત મતો ભા.જ.પ. તરફી રહે. રાહુલે ઓ.બી.સી.ના આંકડા જાહેર કરવાની અને ‘જેટલી વસ્તી, એટલો હક’નો આરક્ષણનો નારો આપીને વળતો દાવ ખેલ્યો છે. તેમણે સીધો જ આરોપ મુક્યો છે કે ભા.જ.પ.ને ઓ.બી.સી.ના મતો જ જોઈએ છીએ, તેમના કલ્યાણમાં કોઈ રસ નથી.

આનાથી ઓ.બી.સી. વર્ગમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાનો ભા.જ.પ. સામે પડકાર ઊભો થાય તેવું લાગે છે. જેટલી વસ્તી એટલું આરક્ષણ એ એક નવું સામાજિક સમીકરણ છે. એ જો કારગત નીવડ્યું તો વી.પી. સિંહના સમયની જેમ ફરી એકવાર દેશમાં મંડલનું રાજકારણ જોર પકડશે. દેખીતું જ છે કે તેની સામે કમંડલનું રાજકારણ પણ એટલું જ આક્રમક હશે. 

લાસ્ટ લાઈન: 

“જે ધર્મ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની વાત કરે એ મને ગમે.”

– બાબાસાહેબ આંબેડકર

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 23 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભજનિક કરસનદાસ યાદવ

ભરત વિઝુંડા|Opinion - Opinion|23 April 2023

તારીખ ૨૨-૭-૧૯૫૬ના મારો જન્મ, સાવરકુંડલામાં. અમારા ઘરમાં રેડિયો આવ્યો ૧૯૬૨માં. આસપાસમાં ત્યારે રેડિયો નહીં, એટલે કૌતુક જેવું થાય. બધા એકઠા થાય અને મોટાભાગે ભજનો સાંભળે‌.

આકાશવાણી, રાજકોટ સ્ટેશનના ભજનોમાં ત્યારે કરસનદાસ યાદવના ભજનો આવતા. રોજ સવારે અર્ચના કાર્યક્રમ હોય, અઠવાડિયામાં રાત્રે સંતવાણી હોય, રોજ એક જ કલાકારના ત્રણ ત્રણ ભજનો પ્રસ્તુત થતા હોય. એમાં કરસનદાસ યાદવના ભજન સાંભળી મારા પિતાજી તથા દાદા પ્રભાવિત થયા. એ ભજનિકનો સંપર્ક કરવા તેમની વિગતો જાણવા માટે આકાશવાણીને મારા પિતાજીએ લખ્યું હશે. તો તેમણે તેમનું રાજકોટનું સરનામું આપ્યું. એ મુજબ પત્ર વ્યવહાર ચાલ્યો ને છેક ૧૯૬૫માં તેમનો ભજનનો કાર્યક્રમ અમારા ઘરે ગોઠવાયો.

કરસનદાસ યાદવ

અમારા ઘરે દર રામનવમીએ બાળકોને જમાડવાનું આયોજન થતું. ૧૯૬૫ના વર્ષમાં રાત્રે ભજન પણ રાખવાનું આયોજન થયું. એ સમયમાં સમાજના લોકોના ઘરમાં પૂજા-પાઠ-પાટ જેવા વિધિ જે ગુરુ હોય તે કરતા‌. લગ્ન જેવો વિધિ ગોર કરતો. એમાં ભજનનો કાર્યક્રમ રાખ્યો હોય તો જે ગુરુ હોય તે ભજન ગાતા. ભલે સાંભળનારને મજા આવે કે નહીં. અવાજ પણ ભલે કર્કશ હોય પણ આ હક એમનો. ભજનમાં યજમાન તરફથી પૈસા આપવામાં આવતા તેમ જ સાંભળવા આવેલા લોકો પણ પૈસા આપતા. આ બધું જ ગુરુનું. એટલે તેમની આવકમાં આમ આકાશવાણીના કલાકાર આવીને વિક્ષેપ ઊભો કરે તે તેમને ગમતું નહીં‌. એટલે તેઓ સમાજના અમુક અણસમજ વર્ગને ભડકાવતા પણ ખરા. એટલે કે અત્યારે જે રાજકારણ કરે છે અને સામાજિક વિસંવાદ ફેલાવે છે. તેવું કામ એ સમયે ગુરુઓ કરતા. તે સમયે આવા ભજનિકોને આકાશવાણી ઉપરાંત કોઈ ટ્રસ્ટ કે સંસ્થા હોય તેના સીમિત કાર્યક્રમો કરવાના રહેતા. 

૧૯૬૫માં  કરસનદાસ યાદવનો કાર્યક્રમ એકદમ સફળ રહ્યો. તે સમયે મારી ઉંમર નવ વર્ષની. મને પણ આ ભજનોમાં બહુ રસ પડ્યો. કાર્યક્રમની અસર ત્યારબાદ મહિનાઓ સુધી મારા મન ઉપર રહેતી. આ ભજન એ કવિતા કહેવાય એવી ત્યારે ખબર પડતી નહીં. પણ આ ભજનો એટલા બધા મને સ્પર્શી જતા, કે એવું લાગે છે કે મારામાં કવિતાનો સૌ પ્રથમ સ્પર્શ આ ભજનોએ કરાવ્યો. એમાં ય  કરસનદાસ યાદવના ભજનોએ. ૧૯૬૫ પછી ૧૯૬૬ અને ૧૦૬૭ એમ ઉપરાઉપર ત્રણ રામનવમીમાં તેમને બોલાવવામાં આવેલા. આ કારણસર તેમની સાથે મારા પિતાજી અને દાદાને અંગત સંબંધ બંધાઈ ગયો. તેઓ વાતો કરતા અને હું સાંભળતો. તેઓની વાતોમાંથી એ જાણવા મળ્યું કે તેઓ સાવરકુંડલામાં પ્રથમ વખત હેમુ ગઢવીએ “શેણી-વિજાનંદ” નાટકનો શો રાખેલો ત્યારે આવેલા. તેમાં તેમણે વિજાણંદના જંતરનો અવાજ સિતારમાંથી પડદા પાછળથી વગાડવાનો હતો. ઉપરાંત તેઓની વાતોમાં કલાકાર તરીકે તેમને થતાં અન્યાયની વાતો રહેતી. આકાશવાણી પરથી યોગ્ય ન્યાય મળતો નહીં હોવાનું તેમ જ ટૂંકમાં તેઓ એવોઇડ થતા હોવાનું અનુભવતા. તેમની વાતોમાં ફરિયાદો કેન્દ્રમાં રહેતી. જેમાંથી ઘણી વાતો સાચી પણ હશે.

એ પછી થોડા થોડા વર્ષના અંતરે સાવરકુંડલામાં એમના કાર્યક્રમ અમારા ઘરે કે અન્ય સ્થળે થયા કરતા. એમાં હું અચૂક સાંભળવા જતો. આમ તો ૧૯૬૫ના પ્રથમ વર્ષે જ જે કાર્યક્રમ થયો એ વર્ષે કુંડલાની બાજુમાં આવેલ બાઢડા મુકામે સનાતન આશ્રમમાં દયાનંદ બાપુએ “ગુરુપૂર્ણિમા” ઊજવવાનું શરૂ કરેલું. ગામ ત્યારે નાનું એટલે કરસનદાસના સાવરકુંડલાના પ્રોગ્રામના સમાચાર તેમને મળ્યા હશે. તો તેમણે પ્રથમ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં ઇસ્માઈલ વાલેરા, મુગટલાલ જોશી તથા અન્ય ભજનિકોની સાથે કરસનદાસ યાદવને પણ બોલાવેલા. એ કાર્યક્રમ પણ મેં માણેલો.

બાદમાં મને નોકરી મળી. હું કમાતો થયો. એ સમયે ટેપ રેકોર્ડર બજારમાં આવી ગયેલા. એટલે ખરીદ્યું. કરસનદાસની બે કેસેટો પણ પ્રગટ થઈ હતી તે મેળવી. ઉપરાંત સાવરકુંડલામાં ત્યારબાદ થયેલ કાર્યક્રમનું રેકોર્ડિંગ પણ કરવામાં આવતું તે હું સાંભળ્યા કરતો. તેઓ ભજનો ગાતા એમાં બહુ ગવાઈ ગયેલા / ચવાઈ ગયેલા ભજનો ગાવા માટે પસંદ કરતા નહીં. પણ જે ભજન આપણે ક્યાં ય સાંભળ્યું જ ન હોય એનો પોતાની રીતે સ્વરાંકન કરીને સંભળાવતા. દાખલા તરીકે, રવિ સાહેબનું આ પદ: 

  સઘળું કુટુંબ પરવાર્યું રે રવિ કહે 

  તણખલિયે રે ઘર બાળ્યું રે રવિ કહે‌. 

  કાકા રે કુટુંબના મેં તો કરી નાખ્યાં કટકા, 

  પછી રવિને ચડ્યા છે રંગના ચટકા રે રવિ કહે.

તેમની પાસે આવા ભજનોની એક હસ્તલેખિત બુક પણ હતી તેમણે એક વખતે એમ કહેલું કે હેમંત ચૌહાણ જ્યારે નવોદિત હતા ત્યારે ભજન વિશે જાણવા તેમની પાસે આવેલા. ત્યારે મૌખિક વાતો ઉપરાંત તેઓએ આ બુક હેમંત ચૌહાણને આપેલી. જેમાંથી હેમંત ચૌહાણે ગમતા ભજન ઉતારી પરત કરેલી. એટલે ઘણાં ભજન કરસનદાસ યાદવે ગાયેલા હોય તે હેમંત ચૌહાણના સ્વરમાં પણ સાંભળવા મળે છે. તેમના ભજનો youtubeમાં તેમનું નામ સર્ચ કરવાથી મળી રહેશે.

તેઓ રાજકોટની હાઈસ્કૂલમાં પ્યુન તરીકે સેવા આપતા હતા. એમાંથી નિવૃત્ત થયા બાદમાં થોડાક વરસ પછી જૂનાગઢમાં સંન્યાસ લઈને તેમણે આશ્રમ સ્થાપેલો. હું તેમના ઘરે રાજકોટ ગયો છું. પણ નોકરીની વ્યસ્તતાના કારણે જૂનાગઢ આશ્રમે જઈ શક્યો નથી.

પછી તો તેઓ કાર્યક્રમ ન હોય તો પણ સાવરકુંડલા આવતા અને બે ત્રણ દિવસ રોકાઈને મારા પિતાજી સાથે સત્સંગ કરતા. આ સમયમાં હું મોટાભાગે ઓફિસ કામે બહાર‌ હોઉં. એક વખત તેઓ આવ્યા. મારા પિતાજી તેમને લઈને રાત્રે મારે ત્યાં આવ્યા. અને વાત કરી કે કરસનભાઈ ને મોરારિબાપુને મળવું છે. એટલે હું એમાં તેમને મદદરૂપ થાઉં. મને મોરારિબાપુની ખબર હતી. તેઓ અનેક કથામાં એવું બોલેલા કે જેમણે મને મળવું હોય તેઓ સીધા મારી પાસે આવો. કોઈ ઓળખાણ વાળાને સાથે લઈને નહીં. આ વાત મેં તેઓને કરી ઉપરાંત એમ પણ કહ્યું કે “પૂ. મોરારીબાપુને હું બરાબર ઓળખું છું. અત્યારે તેઓ તલગાજરડા હશે. સવારના ૧૦થી ૧૨ અને સાંજે ૫થી ૭ તેઓ મુલાકાતીઓને મળતા હોય છે. એટલે તમો કાલે સવારે જાવ અને બાપુને તમારો આકાશવાણીનો પરિચય આપીને એમ કહેવાનું કે બાપુ, મારે તમને ભજન સંભળાવવા છે. એટલે બાપુ ફ્રી હશે તો ના નહીં પાડી શકે. અને ક્યાંક જવાનો સમય આપેલો હશે તો તમારો મોબાઈલ નંબર નોંધાવવા અને તેઓ વારંવાર રાજકોટ તથા જૂનાગઢ આવતા હોય જ્યારે આવશે ત્યારે તમને ભજન માટે બોલાવીશું, એમ કહેશે‌.” આ વાત કરસનદાસ યાદવને ગળે બરાબર ઊતરી ગઈ. તેમણે એમ કર્યું. આ વાત મારે ક્યારે ય કોઈ સાથે થઈ નથી. પરંતુ અહીં સંસ્મરણો લખવાનો હેતુ છે. આ  વાત વગર વાત અધૂરી રહે એવું લાગે છે, એટલે લખી છે.

એ વાતને વરસ-દોઢ વર્ષ થયું હશે ત્યારે ફરી તેઓ સાવરકુંડલા આવ્યા. ત્યારે પણ હું ઘરે નહીં. તેઓ મારા પિતાજીને અત્યંત ખુશખુશાલ હાલતમાં મળ્યા. અને કહ્યું કે “ગઈ કાલે હું તલગાજરડા હતો. બાપુએ નવો સંતવાણી એવોર્ડ શરૂ કર્યો છે. આ એવોર્ડ આપવા માટે સૌ પ્રથમ મને પસંદ કરવામાં આવ્યો અને બાપુના હસ્તે આ એવોર્ડ મને મળ્યો એટલે હું બહુ આનંદિત છું‌.” એ કાર્યક્રમની સી.ડી. પણ તેઓ “સંગીતની દુનિયા”માંથી સાથે લાવેલા. એ મારા પિતાજીને આપી અને જતા રહ્યા.

સાંજે હું નોકરી પરથી પરત આવ્યો એટલે આ વાત અને સી.ડી. મને મળ્યા. તે જ રાત્રે એ સી.ડી. જોઈ. બાપુએ સંતવાણી એવોર્ડના એ કાર્યક્રમમાં તમામ હયાત ભજનિકોને તેમ જ હયાત ન હોય તેમના વારસદારોને આ કાર્યક્રમમાં બોલાવેલા. તમામનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું. ત્યારબાદ કરસનદાસ યાદવને એવોર્ડ અર્પણવિધિનો કાર્યક્રમ ચાલ્યો. આ કાર્યક્રમ પછી સંતવાણી કાર્યક્રમ. કરસનદાસ યાદવ પાસેથી ભજનની શરૂઆત કરાવી તમામ હાજર ભજનિકો જેવા કે પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ વગેરેએ એક એક ભજન ગાવાનું હતું. એમ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો. તારીખ ૧૪-૯-૨૦૦૮ના રોજ યોજાયેલ સંતવાણી એવોર્ડના કાર્યક્રમ પછી તેમના મનમાં રહી ગયેલો રંજ આપોઆપ ઓગળી ગયો હોય એવું લાગ્યું.

બાદમાં એકાદ વર્ષ પછી સાંજે તેમને છાતીમાં દુખાવો થાય છે. રાજકોટની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાય છે. સાંજે થોડી તબિયત સુધરી હશે તો રાત્રે ઊંઘ ન આવે ત્યાં સુધી તેઓ ભજન ગણગણ્યા કર્યા હતા. હોસ્પિટલમાં બીજા દિવસે તારીખ ૨૪-૧૧-૨૦૦૯ના વહેલી પરોઢે તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી.

સૌજન્ય : ભરતભાઈ વિંઝુડાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1661,1671,1681,169...1,1801,1901,200...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved