Opinion Magazine
Number of visits: 9667539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધની બિભિષિકા અને સ્ત્રીઓ – ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ 

સોનલ પરીખ|Opinion - Opinion|25 April 2023

‘તેણે મને પ્રપૉઝ કર્યું ત્યારે અમે યુદ્ધની વચ્ચે હતા. જમીન પર ગંદકી, હવામાં લોહીની વાસ. મેં કહ્યું, ‘કોની સાથે લગ્ન કરીશ? મારામાંની સ્ત્રી તો મરી ગઈ છે.’ એનો એક ગાલ આખો ઊતરડાઈ ગયો હતો. એ ગાલ પરથી ગરમ આંસુ સરી પડ્યાં. મારાથી જોવાયું નહીં. મેં એને હા પાડી. મારી હાને હું જ ઓળખી શકતી નહોતી. અમારી આસપાસ રાખ ઊડતી હતી, ઈંટો ભાંગી ભાંગીને પડતી હતી …’

‘આ પોડિયમ પાસે હું એકલી નથી ઊભી, હજારો અવાજો મને ઘેરીને ઊભેલા છે. આ અવાજો મારા ગામની સ્ત્રીઓના છે. એમાંની કોઈને ભાઈ, પતિ કે પિતા નહોતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામમાં એક પણ પુરુષ બચ્યો નહોતો. બેલારુસમાં દર ચોથો પુરુષ યુદ્ધમાં ખતમ થઈ ગયો હતો. અમે બાળકો સ્ત્રીઓ વચ્ચે ઊછરતાં. મને યાદ છે કે આ સ્ત્રીઓ પ્રેમની વાતો કરતી, મૃત્યુની નહીં.’

આ શબ્દો છે સાહિત્યનું નોબેલ ઈનામ જીતનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવિચના. સ્વેતલાના પત્રકાર છે. પોતાને ‘હિસ્ટોરિયન ઑફ ધ સોલ’ કહે છે. 1985માં પ્રગટ થયેલું એનું પુસ્તક ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ વિશ્વયુદ્ધમાં લડવા ગયેલી મહિલાઓની સ્મૃતિઓનું ‘કોલાજ’ છે. ત્યારે સોવિયેત આર્મીમાં દસ લાખ જેટલી સ્ત્રીઓ હતી. યુદ્ધ દરમ્યાન અને એ પછી આ સ્ત્રીઓનું શું થયું? સ્વેતલાનાએ એમને મળી, એમના અનુભવોનું રેકૉર્ડિંગ કરી, એનું લિપ્યાંતર કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. 2015માં સ્વેતલાનાને નોબેલ મળ્યું અને 2017માં પુસ્તકનું અંગ્રેજી થયું. આ પુસ્તકની ગણતરી દુનિયાના સૌથી દુ:ખી-ઉદાસ પુસ્તકોમાં થાય છે. એનું પોત રશિયન મહિલા સૈનિકોનાં આંસુ અને લોહી વડે વણાયેલું છે. આવી રહેલા મહિલા દિન નિમિત્તે એની જ વાત કરીએ.

આગળ એણે જે અવાજોની વાત કહી છે તે આ સ્ત્રીઓના અવાજો છે. એક અવાજ કહે છે, ‘તેણે મને પ્રપૉઝ કર્યું ત્યારે અમે યુદ્ધની વચ્ચે હતા. જમીન પર ગંદકી, હવામાં લોહીની વાસ. મેં કહ્યું, ‘કોની સાથે લગ્ન કરીશ? મારામાંની સ્ત્રી તો મરી ગઈ છે.’ એનો એક ગાલ આખો ઊતરડાઈ ગયો હતો. એ ગાલ પર ગરમ આંસુ સરી પડ્યાં. મારાથી જોવાયું નહીં. મેં એને હા પાડી. મારી હાને હું જ ઓળખી શકતી નહોતી. અમારી આસપાસ રાખ ઊડતી હતી, ઈંટો ભાંગી ભાંગીને પડતી હતી …’ 

સ્વેતલાના કહે છે, ‘ફ્લુબર્ટ પોતાને ‘હ્યુમન પેન’ કહેતો. હું પોતાને ‘હ્યુમન ઈયર’ કહું છું. આ પોડિયમ સુધીનો રસ્તો ચાલીસ વર્ષ લાંબો છે. આ ચાલીસ વર્ષ મેં એક એક અવાજ સાંભળવામાં ગાળ્યા છે. અનેક વાર ભય પામી છું, આઘાત પામી છું અને કેટલી ય વાર અવાજોને ભૂલી જવાનો પ્રયત્ન પણ કર્યો છે. હું એ સમયમાં જીવી છું જ્યારે નાનું બાળક પણ મૃત્યુને જાણતું. અમારી આસપાસની હવામાં ઝેર હતું અને અમે એ શ્વસતાં.’ 

‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’નું એક પાત્ર કહે છે, ‘હું રશિયન છું. હું આપણો રશિયનોનો અનુભવ દુનિયા સાથે શૅર કરવા માગું છું. આપણે વર્ષોથી એ સ્થિતિમાં છીએ કે કાં તો લડતાં હોઈએ, કે પછી લડાઈની યોજના બનાવતા હોઈએ.’ આ પુસ્તક હચમચાવી નાખે એટલું કરુણ છે, યુદ્ધની બિભિષિકામાંથી પસાર થયેલી સ્ત્રીઓના અવાજો એનાં પૃષ્ઠોમાંથી ઊઠે છે. 

સ્વેતલાનાએ એમને પૂછ્યું, ‘તમે યુદ્ધમાં શા માટે જોડાયા?’ એક સ્ત્રી તરત બોલી, ‘કારણ કે ત્યાં દિવસમાં બે વાર ખાંડવાળી ચા અને ટોસ્ટ મળતાં હતાં!’ તેણે નોંધ્યું છે, એક વાર બળાત્કારનો ભોગ બનેલી મહિલા સૈનિકોએ ગુનેગારોને ઓળખવા કરતાં ખાવાનું વધારે પસંદ કર્યું હતું! કેવી સ્થિતિ હશે? શાસકોને આ મહિલાઓના સ્ત્રી-અસ્તિત્વની પરવા નહોતી. કોઈ વાજબી માગણીના જવાબમાં પણ તેઓ બરાડતા, ‘શટ અપ, વી વૉન્ટ સૉલ્જર્સ, નોટ ગર્લ્સ.’ પણ સ્ત્રી પોતાની અસ્મિતાને, સુઘડતા અને સુંદરતા માટેના પ્રેમને ક્યાં મૂકવા જાય? એક સ્ત્રી કહે છે, ‘અમને એટલો માનસિક ત્રાસ થતો કે અમારામાંના કેટલાયના માસિક સ્રાવ બંધ થઈ જતા. અમે ડરી ગયા, અમે હવે સ્ત્રી નથી રહ્યા શું?’ અસ્તિત્વ પરના આ ઘાની કલ્પના પુરુષોને ન આવે.

નોબેલ ભાષણમાં સ્વેતલાનાએ ચેર્નોબિલ ઘટનાનો ભોગ બનેલી સ્ત્રીઓની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. ચેર્નોબિલનો કાટમાળ ખસેડતાં રેડિયેશનનો ભોગ બનેલા એક મજૂરને હૉસ્પિટલમાં લઈ જવાયો. તેની પત્નીએ સ્વેતલાનાને કહ્યું, ‘મને તેને મળવા ન દીધી. હૉસ્પિટલમાં જવા પણ ન દીધી, કહે કે તમે એને ઓળખી નહીં શકો. તમે જેને જાણો છો એ માણસ એ રહ્યો નથી.’ આ સ્ત્રી રાતે ચીમની દ્વારા હૉસ્પિટલમાં ઊતરે છે. ચોકીદારોને પૈસા ખવડાવી પતિને મળે છે. એને જોઈને સમજી જાય છે કે કદાચ આ છેલ્લી મુલાકાત છે. એ ક્ષણોને જીવી લેવા બંને ગાઢ પ્રેમ કરે છે. તેને ગર્ભ રહે છે અને રેડિયેશનને લીધે બાળકી મૃત જન્મે છે. ‘બંનેની કબર પર ફૂલ મૂકતાં હું આ જીવલેણ પ્રેમ વિશે વિચારું છું …’ 

સ્ત્રીઓ શારીરિક કામો માટે નાજુક ગણાય પણ એક મહિલા ઘાયલ સૈનિકોને હૉસ્પિટલમાં લાવવાની ડ્યુટી કરતી હતી તે એક દિવસમાં 481 ઘાયલ સૈનિકોને હૉસ્પિટલ લઈ આવી હતી. સ્વેતલાના કહે છે, ‘માનવું મુશ્કેલ છે.’ ‘મને પણ એવું જ લાગે છે.’ સ્ત્રી શાંતિથી કહે છે. 

એક સ્ત્રી કહે છે, ‘મારે બહુ બધું કહેવું છે. વર્ષો સુધી હું કશું બોલી નથી. મેં પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ મારું સાંભળતું નહોતું. સારું થયું તમે આવ્યા, પૂછ્યું. આઈ ટેલ યુ, ઈટ ઈઝ ટેરિબલ ટુ રિમેમ્બર, બટ ઈટ ઈઝ ફાર મોર ટેરિબલ ટુ ફરગેટ – યાદ કરવું ભયાનક છે, પણ ભૂલી જવું એનાથી પણ ભયાનક છે.’ એણે એક એવી સૈનિકની વાત કરી હતી, જેણે પીછો કરતા જર્મન લશ્કરથી ટુકડીને બચાવવા પોતાના રડતા બાળકને પાણીમાં ડુબાડી દીધું હતું. ‘એનું બાળક રડતું બંધ થયું. ક્યાં ય સુધી અમે આંખો ઊંચી કરી એ સ્ત્રી સામે કે એકબીજા સામે જોઈ શક્યા નહીં.’

યુદ્ધ પૂરું થયું અને આ મહિલાઓ ઘેર પાછી ફરી ત્યારે ઘરના મોરચે પણ એક યુદ્ધ ખેલાયું. યુદ્ધમાંથી પાછા ફરતા પુરુષની રાહ જોવાય છે, એને વધાવી લેવાય છે. પણ મહિલાઓનું શું થાય છે? પતિઓ શહીદ થઈ ગયા છે. ગામો રાખ થઈ ગયાં છે. પાંચ છ મહિનાનાં હતાં તે બાળકો હવે મોટાં થઈ ગયા છે, માને ઓળખતા નથી. કુંવારી હતી તેને કોઈ પરણતું નથી. એક મહિલા કહે છે, ઓગણીસની ઉંમરે મને વીરતા માટે અવૉર્ડ મળ્યો ત્યારે મારા વાળ સફેદ થઈ ગયા હતા અને મારાં ફેફસાંની આરપાર ગોળી ચાલી ગઈ હતી.’ એક સ્ત્રીને માબાપે કહ્યું, ‘તારી બે નાની બહેનો સાથે કોઈ લગ્ન નહીં કરે કેમ કે તું આટલા પુરુષો સાથે રહીને આવી છે. તું ક્યાંક ચાલી જા.’ યુદ્ધમાંથી પાછી ફરેલી સ્ત્રીઓ માટે ‘આર્મી હોર્સ’ કે ‘મિલિટરી બિચિસ’ જેવા શબ્દો વપરાતા. આટલી ભયાનક પુરુષપ્રધાનતા?’

આ પુસ્તક સાથે જ સ્વેતલાનાનું ‘લાસ્ટ વિટનેસ’ પુસ્તક પ્રગટ થયું હતું. એમાં યુદ્ધગ્રસ્ત બાળકોની વાત હતી. 1997માં ‘વૉઈસિઝ ફ્રોમ ચેર્નોબિલ’ આવ્યું અને 2013માં ‘સેકન્ડહેન્ડ ટાઈમ’. નાની હતી ત્યારથી સ્વેતલાના જાણતી કે ‘વિમેન્સ સ્ટોરીઝ આર ડિફરન્ટ’. દર્દને એ માનવમાત્રની નિયતિ કહે છે. લખે છે કે યુદ્ધનો ઇતિહાસ પુરુષો લખે છે અને પુરુષો વિશે લખે છે, પણ મેં બાળપણમાં સ્ત્રીઓની જે વાતો સાંભળી હતી, એની પકડ જુદી જ છે. ‘વાસ્તવ મને ડરાવે છે અને આકર્ષે પણ છે.’ ‘યુદ્ધમાં કોઈ વીરનાયક હોતો નથી. હોય છે માનવીય બાબતો પ્રત્યે અમાનવીય રીતે વર્તનારા માનવો.’ 

સ્વેતલાનાના શરૂઆતના લખાણોમાં સામ્યવાદી રશિયામાં વધતા જતા ઔદ્યોગીકરણનો ચિતાર છે, પણ પછી એ બહુ જ નિર્ભયતાથી યુદ્ધના વિશ્વમાં પ્રવેશી ગઈ છે. ડઝનબંધ પ્રવાસો, સેંકડો મુલાકાતો અને અનેક રેકૉર્ડિંગ. ‘મારું ધ્યેય ચોક્કસ સમયખંડમાં જીવતા અને ચોક્કસ બનાવોનો હિસ્સો બનતા ચોક્કસ માણસોને સાંભળવા એ છે.’ ‘યુદ્ધ શાપ છે, પણ માણસ યુદ્ધથી મોટો છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 માર્ચ 2023

Loading

લાગણીઓની અભિવ્યક્તિ પર પશ્ચિમનો રંગ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, તિબેટિયન નેતા અને આધ્યામિક ગુરુ દલાઈ લામાને લઈને એક વિવાદ થયો હતો. 28મી ફેબ્રુઆરીએ, ધર્મશાલાના એક ગામ મેકલોર્ડ ગંજમાં, દલાઈ લામાની ઉપસ્થિતિમાં એક મંદિર ખાતે લગભગ 100 વિધાર્થીઓનો એક કાર્યક્રમ યોજાયો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, પછી આ વિવાદ ચગ્યો હતો.

વીડિયોમાં, એક વિધાર્થીએ માઈકમાં દલાઈ લામાને પૂછ્યું કે હું તમને ભેટી શકું? 87 વર્ષીય દલાઈ લામાએ તેને સ્ટેજ પર આવવા કહ્યું. એ આવીને બેઠો એટલે તેમણે બાળકના હોઠ પર ચૂમી લીધી અને પછી પોતાની જીભ બહાર કાઢીને બાળકને તે ચૂસવા કહ્યું. બાળક થોડો ખસ્યો એટલે દલાઈ લામા હસ્યા અને બાળકને ખેંચીને ભેટ્યા.

કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ આ આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર નાખ્યો. લોકોએ આ વીડિયોને ‘ઘૃણાસ્પદ,’ ‘ગંદો’ અને ‘બીમાર’ ગણાવીને દલાઈ લામાની જબરદસ્ત ટીકા કરી. અમુક લોકોએ તો ચાઈલ્ડ એબ્યુઝના અપરાધ હેઠળ દલાઈ લામા સામે પોલીસ ફરિયાદ કરવાનું પણ સૂચન કર્યું.

દલાઈ લામા અને તેમના અનુયાયીઓને આ વિવાદની જાણ થતાં તેમણે જનહિતમાં તાબડતોબ એક બયાન જારી કરીને બાળક અને તેના પરિવારની માફી માગી અને કહ્યું કે, “દલાઈ લામા જ્યારે પણ લોકોને મળે છે ત્યારે આવી નિર્દોષ અને રમતિયાળ શરારત કરે છે.”

દલાઈ લામાએ તો કોઈ બચાવ કરવાને બદલે સાર્વજનિક માફી માગીને વિવાદને આગળ ન વધાર્યો, પરંતુ હકીકત એ છે કે આવી રીતે જીભ કાઢવી એ તિબેટની એક પરંપરાનો હિસ્સો છે. તિબેટિયન લોકો આપસમાં મળે ત્યારે આવું કરતાં રહે છે પણ એ જ વાત સોશિયલ મીડિયા પર આવીને ‘કૌભાંડ’ બની ગઈ. એમાં ય પાછા એ દલાઈ લામા પોતે હતા, જે એક હાઈપ્રોફાઈલ વૈશ્વિક નેતા છે.

બાકી, સોશિયલ મીડિયા કેટલું ક્રૂર માધ્યમ છે તેનું આ લેટેસ્ટ ઉદાહરણ છે. સોશિયલ મીડિયા ધ્રુવીકરણ પર નભે છે. એમાં બહુમતી લોકોને આત્યંતિક, સામા છેવાડાનાં વલણ પસંદ હોય છે. લોકો કોઈ વિચાર કે વ્યક્તિની અત્યંત વાહવાહી કરે છે અથવા અત્યંત ટીકા કરે છે. લોકો ભાગ્યે જ ગમતી કે ન ગમતી વાત અથવા વ્યક્તિ માટે સંતુલિત સ્ટેન્ડ લઇ શકે છે. એટલા માટે તેમાં રોજ એક નવો વિવાદ ચાલતો રહે છે.

સોશિયલ મીડિયામાં લોકો ચીડમાં જીવે છે. દરેકને દરેકની સામે ચીડ છે. આપણે રોજ સવારે એક નવી ચીડ સાથે દિવસ શરૂ કરીએ છીએ અને રાત પડે બીજી કોઈક ચીડ લઈને સૂઈ જઈએ છીએ. ‘સૂઈ જઈએ છીએ’ કહેવું પણ ખોટું છે, કારણ કે આખા દિવસની ચીડ બંધ આંખો પાછળ જીવતી રહે છે. આપણને સુંદર સપનાં આવતાં બંધ થઈ ગયાં છે. આપણે ચીડનો એક રાક્ષસ પાળ્યો છે, અને એનું પેટ બહુ મોટું છે, એટલે આપણે નિરંતર એને ખવડાવતા રહેવું પડે છે. આપણે રોજ ચીડનો શિકાર શોધી લઈએ છીએ.

ક્યારેક મોદી-ગાંધી, ક્યારેક હિન્દુ-મુસ્લિમ, ક્યારેક મોરારિબાપુ, ક્યારેક મીડિયા, ક્યારેક હું અને ક્યારેક તમે. એનાથી કોઈ ફરક પડતો નથી કે હું તમારી પર મારી ભડાસ કાઢું છું કે બીજા કોઈની પર. ચીડની પ્રકૃતિ છે કે એ ક્યાંક ઠલવાવવી જોઈએ, અને તે ઠલવાઇને પાછી મળે છે. ચીડ કોરોના વાઇરસની જેમ ચેપી છે. તેનું કમ્યુનિટી સંક્રમણ થાય છે. રાજકારણ, મીડિયા અને આઈ.ટી. સેલ આ સંક્રમણ પર નભે છે. તે તમને સતત ચીડમાં રાખે છે. ચીડનું વ્યવસાયિક મૂલ્ય છે. સોશ્યલ મીડિયાનું અલગોરિધમ શું છે? એ તમારી ચીડને એમ્પ્લીફાઇ કરી મૂકે છે, જેથી તે જીવતી રહે. તે જીવતી રહે છે અને આપણને ‘ખાતી’ રહે છે.

આમાં જ દલાઈ લામા ઝપટમાં આવી ગયા. દલાઈ લામાના અનુયાયીઓ તો તેને ચીની કાવતરું પણ ગણે છે. “પરમ પૂજ્યની પ્રતિષ્ઠાને બગાડીને કોને ફાયદો થાય છે તે સમજાવાની જરૂર નથી,” ભારત સ્થિત સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશનના વડા પેન્પા ઝેરિંગે એક મીડિયામાં કહ્યું હતું, “જે સ્તર પર વિવાદ ચગાવામાં આવ્યો તેમાં રાજકીય હિતને નજરઅંદાજ ન કરાય.”

તિબેટિયન સમાજમાં આ એક જૂની પરંપરામાં છે જેમાં તેઓ જીભ કાઢીને અરસપરસ અભિવાદન કરે છે, પરંતુ પશ્ચિમી મૂલ્યોથી રંગાયેલા લોકોએ તેને સેક્સુઅલ એક્ટ ગણીને ‘ગંદુ’ બનાવી દીધું. આ ઘટના પછી રેડિયો ફ્રી એશિયાએ પેલા બાળકનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જેમાં તેણે તેને કેવું લાગ્યું હતું તેના જવાબમાં કહ્યું હતું કે તેને ‘સકારાત્મક ઉર્જા’નો અનુભવ થયો હતો.

1997માં, હોલિવૂડ સ્ટાર બ્રાડ પિટની એક ફિલ્મ ‘સેવન ઈયર્સ ઇન તિબેટ’ આવી હતી. તેમાં પિટ જ્યારે તિબેટિયન લોકોના એક સમૂહને મળે છે ત્યારે તે સૌ તેને જોઇને જીભ બહાર કાઢે છે. આ પરંપરા 9મી સદી જૂની છે. તે વખતે લાંગ દરમા નામનો તિબેટનો રાજા હતો. એ અત્યંત ક્રૂર હતો અને તેની જીભ કાળી હતી. તિબેટના લોકો પુનર્જન્મમાં માને છે. તેમને ડર હતો કે રાજા પણ પુનર્જન્મ લેશે. પરિણામે, સદીઓ સુધી તિબેટિયન લોકો એકબીજાને મળે ત્યારે જીભ બહાર કાઢતા હતા, એવું સાબિત કરવા કે તેમની જીભ કાળી નથી અને તેઓ ક્રૂર રાજાનો પુનર્જન્મ નથી.

રિવાજો હંમેશાં તર્કશૂન્ય હોય છે. ચાહે તે ધર્મ હોય, દેશ હોય કે સંસ્થા હોય, માણસ સદીઓથી જાત-ભાતની રસમ નિભાવતો આવ્યો છે, અને ધર્મ, દેશ કે સંસ્થામાં માન્યતાઓ બદલાય, તો માણસ નવા રિવાજો પાળતો પણ આવ્યો છે. ઉદાહરણ તરીકે એક જમાનામાં ધાર્મિક અનુષ્ઠાન વખતે પશુનો બલિ ચઢાવાનો રિવાજ હતો, આજે નથી. સદીઓ પહેલાં નેશન સ્ટેટની રચના ન થઇ હતી, ત્યારે ન તો કોઇ રાષ્ટ્રધ્વજ હતો કે ન તો રાષ્ટ્રગાન. એક સમયે રાજાશાહી હતી, ત્યારે રાજાના માનમાં ઊભા થવાનો કે ગાન કરવાનો રિવાજ હતો, આજે નથી. આજે આપણે રાષ્ટ્રગાનમાં ઊભા થઈએ છીએ. રિવાજનું મહત્ત્વ તેના પ્રસંગ કે સંદર્ભમાં છે, રિવાજમાં નહીં. એ પ્રસંગ કે સંદર્ભ ન હોય, તો રિવાજનો મતલબ રહેતો નથી.

ઉત્તરોતર, તિબેટમાં જીભ કાઢવી એક રિવાજ બની ગયો. હવે તો જીભ કાઢવી એ સન્માન, આવકાર અને સહમતિનું પ્રતિક છે. સોશિયલ મીડિયા પર લોકોએ દલાઈ લામાના વર્તનમાં કિસ જોઈ હતી, જે એક પશ્ચિમી ખ્યાલ છે. મુસીબત એ છે કે લાગણીઓ અને શિષ્ટાચારની અભિવ્યક્તિમાં પશ્ચિમનાં ધારા-ધોરણનો રંગ ચઢી ગયો છે. પશ્ચિમમાં લાગણીઓની અભિવ્યક્તિઓને ઇન્દ્રિય સુખનાં ચશ્માંમાંથી જ જોવામાં આવે છે.

જીભ બહાર કાઢવાની ક્રિયાના અલગ-અલગ સમાજોમાં અલગ-અલગ અર્થ નીકળે છે. ત્યાં સુધી કે એક બાળક જીભ કાઢે તેનો અર્થ એક વયસ્ક જીભ બહાર કાઢે અથવા એક સ્ત્રી જીભ બહાર કાઢે તેનો એક પુરુષ જીભ કાઢે તેના કરતાં ભિન્ન અર્થ હોય છે. એનો અર્થ અસભ્યતા પણ થાય, ઘૃણા પણ થાય, રમત પણ થાય અને જાતીય ઉશ્કેરણી પણ થાય. તેનો સંદર્ભ જોવો પડે. દાખલા તરીકે, ન્યુઝીલેન્ડના માઓરી જાતિના લોકોમાં યુદ્ધ શરૂ થતાં પહેલાં લલકાર તરીકે જીભ કાઢવાનો રિવાજ છે. ત્યાં જીભ કાઢવી એ આક્રમકતાનું પ્રતિક છે.

લાગણીઓની અભિવ્યક્તિ દુનિયામાં એક સરખી, એટલે કે બાયોલોજીકલ નથી હોતી. લાગણીઓ પર સામાજિક વાતાવરણનો પણ એટલો જ પ્રભાવ પડે છે. દાખલા તરીકે, ઉત્તેજના, આશ્ચર્ય, ઉલ્લાસ, ખુશી જેવા ‘હાઈ અરાઉઝલ ઈમોશન્સ’ પશ્ચિમના વ્યક્તિવાદી સમાજોમાં વધુ સ્વીકૃત છે, જ્યારે શાંતિ, શીતળતા, આરામ, દુઃખ, કંટાળો જેવા ‘લો અરાઉઝલ ઈમોશન્સ’ને પૂર્વનાં સમાજો વધુ મહત્ત્વ આપે છે.

બાય ધ વે, તિબેટિયન સમાજમાં ‘ઇટ માય ટંગ’ (મારી જીભ ખાઈ જા) નામની એક રમત પણ છે. એમાં બાળકો તેમના દાદા પાસે જઈને તેમના કપાળ પર ચૂમી ભરે છે અને નાકને સ્પર્શ કરે છે. દાદા તેમને મોઢા વડે કેન્ડી, ચોકલેટ કે ટોફી આપે છે અને પછી કહે છે, મેં તમને બધું જ આપી દીધું છે અને હવે મારી પાસે મારી જીભ જ રહી છે.

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 23 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—193

દીપક મહેતા|Opinion - Opinion|25 April 2023

ખમ્ભાલા હિલ નામ કોના પરથી પડ્યું? 

આપણા દેશનો પહેલો ફ્લાય ઓવર મુંબઈમાં બંધાયો, 

જે આજે ય અડીખમ ઊભો છે.

ઈશ્વર જેવો ઈશ્વર પણ જ્યાં ભૂલો પડે તે ભૂલેશ્વરને રામ રામ કરીને હવે આગળ વધીએ. મુંબઈના રસ્તાઓનાં નામ વિષે ક્યારેક તો હસવું ખાળી ન શકાય એવી વાતો મળે છે. બોમ્બે પોર્ટ ટ્રસ્ટની માલિકીના વિસ્તારમાંનાં ઘણાં નામ મહારાષ્ટ્ર-ગુજરાતનાં બંદરો પરથી પડ્યાં છે એ વાત આપણે અગાઉ કરી હતી. જેમ કે ગોઆ સ્ટ્રીટ, કારવાર સ્ટ્રીટ, ઘોઘા સ્ટ્રીટ. પણ આ ઘોઘા સ્ટ્રીટ નામ કઈ રીતે પડ્યું એની એક સમજૂતી ‘મુંબઈનો બહાર’ નામના અમૂલ્ય પુસ્તકના વિદ્વાન લેખક રતનજી ફરામજી વાચ્છાએ આપી છે. ઘણા અંગ્રેજો ઘોઘા સ્ટ્રીટને બદલે ‘ગોગો સ્ટ્રીટ’ બોલતા. હવે વાચ્છાસાહેબ કહે છે કે એક જમાનામાં બહુ જાણીતું બનાજી કુટુંબ આ વિસ્તારમાં રહેતું. આ કુટુંબ મૂળ ઘોઘાનું વતની એટલે ઘણા તેને ‘ઘોઘાવાળા’ તરીકે પણ ઓળખતા. આ કુટુંબના કાવસજીની આ રસ્તા પર દુકાન. એક દિવસ એક ગોરો ખલાસી દુકાનમાંથી કંઈ ખરીદવા આવ્યો. ભાવ-તાલ અંગે કશોક ઝગડો થતાં કાવસજીના ભેજાનું બોઈલર ફાટ્યું. ઝાઝું અંગ્રેજી બોલતાં તો આવડે નહિ, એટલે મોટે મોટેથી Go, go એમ બૂમો પાડવા લાગ્યા. પણ ખલાસી માથાનો ફરેલો હતો. દુકાનથી થોડે દૂર ઊભો રહીને બૂમો પાડીને બીજા ખલાસીઓને કહેવા લાગ્યો: Don’t go to this ‘Go Go’s shop. પછીથી આ દુકાન જે રસ્તા પર આવેલી તેનું નામ ગોગો સ્ટ્રીટ પડી ગયું. પારસીઓ સ્વભાવે રમૂજી. વાચ્છાસાહેબ જેવા સુસજ્જ લેખક આવું કહેતા હોય તો તે મોટે ભાગે ઠઠ્ઠા તરીકે જ હોય. પણ ઘણાએ તેમની આ વાત સાચી માની લીધી છે. હા, એક વાત સાચી કે એક જમાનામાં આ સ્ટ્રીટને નાકે લગાડેલા પાટિયા પર Gogo Street એવું નામ લખાતું. પણ આવા સ્પેલિંગ એ જમાનાની એક ખાસિયત હતી.

ખમ્ભાલા હિલ, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં

‘ભોલેશ્વર’માંથી ‘ભૂલેશ્વર’ ભાષાશાસ્ત્રના કિયા નિયમ પ્રમાણે થાય, એવો સવાલ કરનારા પંડિતોને આ એક દાખલો સાદર: માહિમમાં લેડી જમશેદજી રોડથી મોગલ લેન તરફ જતા એક રસ્તાનું નામ હતું હસાલી ટેન્ક સ્ટ્રીટ. એટલે કે એ વિસ્તારમાં ટેન્ક કહેતાં એક તળાવ આવેલું એટલું તો નક્કી. અલબત્ત, આજે એનું નામોનિશાન રહ્યું નથી. રુસ્તમ મસાણીસાહેબ કહે છે કે અહીં ‘હસાલી’ નામનું ગામડું આવેલું તેના પરથી તળાવ અને રસ્તાનાં નામ પડ્યાં. અહીંના વતનીઓ મૂળ જંજીરાના હબસીઓ. હવે ગેઝેટિયર કહે છે કે આ જંજીરાનો ટાપુ ‘હબસાણી’ તરીકે પણ ઓળખાતો. હબસાણી એટલે હબસીઓનો ટાપુ. માહિમ વિસ્તારમાં આવેલા ગામનું અસલ નામ હબસાણી. પછી તેનું થયું હબસાલી, અને તેનું થયું હસાલી. બોમ્બે વોટર વર્કસમાં એક જમાનામાં નોકરી કરતા કાશીનાથ ધુરુએ લખ્યું છે કે તેમના જમાનામાં પાણીનાં બિલમાં લખાતાં સરનામાંમાં આ વિસ્તાર માટે ‘હસાલી’ લખાતું. હવે, કોઈ ભાષા પંડિત કહી શકશે કે ‘હબસી’નું ‘હસાલી’ કયા નિયમ પ્રમાણે થાય? લોકોની જીભને ભાષાશાસ્ત્રના નિયમોથી બાંધી શકાતી નથી.

માત્ર મુંબઈમાં જ નહિ, એક જમાનામાં ગુજરાત-મહારાષ્ટ્રના દરિયા કાંઠા પરના ઘણા વિસ્તારોમાં આ હબસી કે સીદીઓની વસ્તી હતી. હજી આજે પણ ગીરના જંગલ નજીક તેમની અલગ વસ્તી છે. અગાઉ ભાવનગર જેવાં કેટલાંક દેશી રાજ્યો ‘સીદી સેના’ રાખતાં. અને એક જમાનામાં મુંબઈમાં ચીનાઓની પણ નોંધપાત્ર વસતી હતી. એ વખતે અહીંના રસ્તાઓ પર ચીની દાંતનાં ડોકટરનાં પાટિયાં જોવા મળતાં. નાતાલ વખતે વેચાતાં કાગળનાં ફાનસ, તોરણ વગેરે પણ મોટે ભાગે ચીનાઓ બનાવીને વેચતા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ થયું તે વખતે આ ચીની વસતી અલોપ થઈ ગઈ.

જાણકારોને પણ મૂંઝવે એવું એક નામ છે ખમ્ભાલા હિલ. અંગ્રેજીમાં તેના ઓછામાં ઓછા બે સ્પેલિંગ જોવા મળે છે: Cumballa અને Kambala. આજે તો ફક્ત માલેતુજારો જ રહી શકે એવો આ વિસ્તાર. મલબાર હિલ પણ તેવો જ વિસ્તાર. પણ એક જમાનામાં આ બંને ટેકરીઓ પર નકરું જંગલ હતું. અને બંનેના વાસી હતાં જંગલી જાનવર. જ્યાં જુઓ ત્યાં સાપ સરતા હોય. ગીચ ઝાડીમાંથી ક્યારેક વાઘ કે ક્યારેક વરુનો અણસાર વર્તાય. માણસોએ અહીં વસવાનું શરૂ કર્યું તે પછી પણ જનાવરોએ સહેલાઈથી હાર માની નહોતી. ૧૮૦૩ના ઓક્ટોબરમાં તરસ (કે ઝરખ) નામનું પ્રાણી રેન્ડલ લોજ નામના મકાનના કંપાઉન્ડમાં દેખાયું હતું. ૧૮૨૨માં એક વાઘ મલબાર હિલની ટેકરી ઊતરીને પોતાની તરસ છીપાવવા ઠેઠ ગોવાળિયા તળાવ સુધી ગયો હતો. પણ પછી કશાકથી તે એવો તો ગભરાયો કે તીરની ઝડપે હર્મિટેજ અને અને પ્રોસ્પેક્ટ લોજ નામના બે બંગલાઓ વચ્ચેની ઝાડીમાં થઈને મલબાર હિલ ને બદલે સીધો કમ્બાલા હિલ પહોંચી ગયો હતો!

કેમ્પ્સ કોર્નર  ફ્લાયઓવર, ૧૯૬૫

મલબાર હિલ અને કમ્બાલા હિલના ઢોળાવ જ્યાં મળે છે ત્યાં વખત જતાં કેમ્પ એન્ડ કંપનીની દુકાન ખૂલી હતી. તે પછી એ વિસ્તાર કેમ્પ્સ કોર્નર તરીકે ઓળખાતો થયો. આજે હવે એ કંપની બંધ થઈ ગઈ છે. સત્તાવાર નામ છે ગોદરેજ ચોક. અને છતાં લોકજીભે વસેલું નામ તો છે કેમ્પ્સ કોર્નર. તેની નજીક આપણા દેશનો પહેલવહેલો ફ્લાઈ ઓવર બાંધવાનું કામ ૧૯૬૪ના એપ્રિલમાં શરૂ થયું હતું. અને ૧૯૬૫ના એપ્રિલની ૧૪મી તારીખે તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. બાંધવાનો ખર્ચ થયો હતો સાડા સત્તર લાખ. (ના, જી. અહીં છાપભૂલ નથી. સાડા સત્તર કરોડ નહિ. સાડા સત્તર લાખ) પંદર-વીસ વરસ પહેલાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્લાઈ ઓવર કે સ્કાય વોક આજે તોડીને ફરી બાંધવા પડે છે. જ્યારે આ અને અને લગભગ તેની સાથે જ બંધાયેલ પ્રિન્સેસ સ્ટ્રીટનો ફ્લાઈ ઓવર થોડા સમારકામ પછી આજે ય અડીખમ ઊભા છે.

પણ સમયના ફ્લાય ઓવર પર આપણે જરા આગળ નીકળી ગયા. ખમ્ભાલા હિલની ટોચ  સુધી જતા રસ્તાનું નામ હતું અલ્ટામાઉન્ટ રોડ. કારણ એ નામનો બંગલો એ ટેકરીને મથાળે આવેલો હતો. આજુબાજુ ઝાડીઝાંખરા એટલે ત્યાં રહેવાનું કોઈ બહુ પસંદ ન કરે. છતાં ૧૮૬૫માં તેનું ‘બાદશાહી’ ભાડું હતું મહીને એક હજાર રૂપિયા! આજે અલ્ટામાઉન્ટ રોડનું સત્તાવાર નામ છે એસ.કે. બરોડાવાલા માર્ગ. પણ કોઈ ટેક્સીવાળાને આ નામ કહી જોજો. જવાબ મળશે : ‘સાહબ, યે તો મુમ્બઈ કા લોકલ ટેક્સી હૈ, બરોડા તક નહિ જાતા.’ આ બરોડાવાલા સાહેબ કોણ હતા તે જાણી શકાયું નથી.

ભુલાભાઈ દેસાઈ

અલ્ટામાઉન્ટ રોડને સમાંતર જતો બીજો રસ્તો તે પેડર રોડ. ૧૮૫૫થી ૧૮૭૯ સુધી ડબલ્યુ.જી. પેડર બોમ્બે સિવિલ સર્વિસમાં કામ કરતા હતા. ૧૮૭૯માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બન્યા. નિવૃત્તિ પછી સ્વદેશ પાછા ગયા ત્યારે લંડનની ઇન્ડિયા ઓફિસમાં રેવન્યૂ અને કોમર્સ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે તેમની નિમણૂંક થઈ હતી. આ રસ્તાનું આજનું સત્તાવાર નામ છે ગોપાળરાવ દેશમુખ માર્ગ. આગળ જતાં દરિયા કિનારા નજીક પેડર રોડને સમાંતર જતા રસ્તાનું નામ હતું વોર્ડન રોડ. આ રસ્તો લગભગ બસ્સો વરસ પહેલાં બંધાયેલો. ફ્રાન્સિસ વોર્ડન ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં એક મહત્ત્વના અમલદાર હતા. ૧૮૨૮માં તેઓ મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી નિમાયા હતા. નિવૃત્તિ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર બન્યા હતા. આ રોડનું આજનું નામ ભૂલાભાઈ દેસાઈ રોડ. ભૂલાભાઈ દેસાઈ (૧૮૭૭-૧૯૪૬) એટલે એ જમાનાના અત્યંત બાહોશ અને જાણીતા વકીલ.

પણ હવે પાછા જઈએ ખમ્ભાલા હિલ. આ નામ પડ્યું કેવી રીતે? ખમ્ભાલા હિલ પરના એક બંગલામાં એક મિજબાની દરમ્યાન એક મહેમાને પૂછેલું : ‘પણ આ મિસ્ટર ખમ્ભાલા હતા કોણ?’ આજુબાજુ બેઠેલાઓ હસ્યા હતા. પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. કારણ આ નામનો ગળે ઊતરે એવો ખોલાસો હજી સુધી મળ્યો નથી. કોઈ ‘કમ્બાલા’ને કમળનાં ફૂલ સાથે સાંકળે છે. અને કહે છે કે ‘કમળ’નામથી થયું ‘કમ્બાલા.’ પણ ખાટલે મોટી ખોડ એ કે કમળ કાંઈ જમીન પર ખીલતાં નથી, અને ખમ્ભાલા હિલ પર મોટું તળાવ હોવાનું કોઈએ કહ્યું નથી. તો એક વિદ્વાન રિચાર્ડ એટન કહે છે કે આ નામ ઇથોપિયાના ‘કમબાતા’ શહેરના નામ સાથે જોડાયેલું છે. એક જમાનામાં હબસીઓને ગુલામ તરીકે હિન્દુસ્તાન મોકલવામાં આવતા. પણ મુશ્કેલી એ છે કે આવા ગુલામો વહાણ દ્વારા લવાતા અને વહાણ કાંઈ ટેકરી ઉપર નાંગરે નહિ. તો કોઈ વળી કહે છે કે એક જમાનામાં અહીં કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ આવેલાં હતાં. અંતિમ વિધિ થયા પછી તેમના માનમાં અહીં ખંભા કહેતાં થાંભલા ખોડાતા એટલે નામ પડ્યું ખમ્ભાલા હિલ. આમાં બે મુશ્કેલી : એક તો અહીં કબ્રસ્તાન કે સ્મશાન ભૂમિ હતાં એવું ક્યાં ય નોંધાયું નથી. બીજું, મુસ્લિમ બિરાદરો જે બાંધે છે તેને ‘કબર’ કહેવાય છે, ‘ખંભા’ નહિ. હા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીંગાણામાં માર્યા ગયેલા વીરોની ખાંભી ખોડાય છે, પણ તેને ‘ખંભા’ કહેતાં નથી. વળી આ ટેકરી ઉપર ક્યારે ય કોઈ ધીગાણું થયું હોય એવું જાણવા મળતું નથી.

કંબલ / શમી / ખીજડો

બીજો અભિપ્રાય એવો કે આ ટેકરી પર મોટા પ્રમાણમાં જોવા મળતાં કંબલ નામના ઝાડને કારણે આ નામ પડ્યું. આ ‘કંબલ’ આપણને ‘શમી વૃક્ષ’ તરીકે વધુ જાણીતું છે. તેનું બીજું નામ ‘ખીજડો.’ શમી વૃક્ષનો ઉલ્લેખ છેક રામાયણ મહાભારતમાં પણ જોવા મળે છે. રાવણ સાથેના યુદ્ધ પહેલાં રામે શમી વૃક્ષની પૂજા કરી હતી. તો મહાભારતમાં એક વરસના વનવાસ દરમ્યાન પાંડવોએ પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર શમીના ઝાડ પર છૂપાવ્યાં હતાં એવા ઉલ્લેખ મળે છે. બીજી બાજુ ખીજડાના ઝાડ પર ભૂતનો વાસ હોય છે એવી લોકમાન્યતા પણ છે. બધી વાતોમાં આ વાત સૌથી વધુ ગળે ઊતરે તેવી છે. જે ટેકરી પર મોટા પ્રમાણમાં ‘કંબલ’નાં ઝાડ, એ ટેકરીનું નામ કમ્બાલા હિલ. અને બીજા ઘણા રસ્તાનાં નામ પણ કોઈ ને કોઈ ઝાડ પરથી ક્યાં નથી પડ્યાં? હવે આવતે અઠવાડિયે કયા રસ્તા પર લટાર મારશું? રામ જાણે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મીડ–ડે”; 22 એપ્રિલ 2023)

Loading

...102030...1,1641,1651,1661,167...1,1701,1801,190...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved