Opinion Magazine
Number of visits: 9564239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દૈત્ય માનવજાતને ગળી જશે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 April 2023

રાજ ગોસ્વામી

આધુનિક ટેકનોલોજી માટે કહેવાય છે કે જે પરિવર્તનને આવતાં એક દાયકો લાગતો હતો તે હવે, થેન્ક્સ ટુ ટેકનોલોજી, બે વર્ષમાં આવે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ક્ષેત્રમાં ટેકનોલોજીએ તેની પ્રગતિમાં એટલી બધી સ્પીડ વધારી દીધી છે કે આ ક્ષેત્રના અગ્રણીઓમાં ચિંતા પેઠી છે કે એવું તો નહીં થાય ને કે ટેકનોલોજી માણસના કંટ્રોલની બહાર જતી રહેશે અને તે માણસને કંટ્રોલ કરવા લાગી જશે?

તાજેતરમાં ઓપન એ.આઈ.ના ચેટબોક્સ ‘ચેટ-જી.પી.ટી.’ અને અન્ય એ.આઈ. ટૂલ્સમાં જે ઝડપે ક્રાંતિ આવી છે, તેનાથી સફાળા બેઠા થયેલા ટેસ્લા અને ટ્વીટરના વડા ઈલોન મસ્ક સહિત 1,000 જેટલા ટેકનોલોજી નિષ્ણાતોએ ઓપન લેટર લખીને સાર્વજનિક અપીલ કરી છે કે છ મહિના સુધી એમાં વધુ ડેવલપમેન્ટ અટકાવી દેવામાં આવે.

તેમણે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આવી ડિઝાઇન્સમાં સુરક્ષાના પ્રોટોકોલ્સ વિકસાવામાં ન આવે અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તેનું ઓડિટિંગ ન થાય ત્યાં સુધી કોઈ કંપનીએ તેમાં આગળ વધવું ન જોઈએ નહીં તો માનવતા અને સમાજ માટે એમાં જોખમ છે. “તાકાતવર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ ત્યારે જ વિકસાવી જોઈએ જ્યારે આપણને પૂરતો ભરોસો હોય કે તેનાં પરિણામ સકારાત્મક જ હશે અને તેનાં સંભવિત જોખમોનું નિયમન કરી શકાય તેમ હોય,” એમ આ પત્રમાં લખવામાં આવ્યું છે.

આ અગ્રણીઓને ડર છે કે પૂર ઝડપે વિકસી રહેલી નવી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ માણસને હંફાવે તેવી છે અને સરવાળે તે આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં બધું ખેદાનમેદાન કરી નાખશે. સરકારો, નીતિ નિર્માતાઓ અને રેગ્યુલેટરી ઓથોરિટીઓને જો આમાં વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો પછી એવી પરિસ્થિતિ સર્જાશે કે ટેકનોલોજી સ્વચ્છંદ બની જશે.

જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી શીત-યુદ્ધના ગાળામાં પરમાણું હથિયારો બનાવવાની દેશો વચ્ચે હોડ લાગી હતી તેમ, ‘ચેટ-જી.પી.ટી.’ની સફળતા પછી અનેક ટેકનોલોજી કંપનીઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ટૂલ્સ બનાવાની હરીફાઈ શરૂ થઇ છે, જે માણસોનાં જાત-ભાતનાં કામ કરશે. આમ તો એ સુવિધા જ છે, પરંતુ નિષ્ણાતોને એ ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાત જ પોતાનો કંટ્રોલ લઇ લે તો શું?

તમને એવું થાય કે એમાં શું જોખમ હોય? તમે મેડિકલ સ્ટોરમાંથી જે નવી દવાઓ ખરીદો છો તે તેની સલામતીના સખત પરીક્ષણ પછી સ્ટોરમાં આવી હોય છે. ખાવા-પીવાની જે વસ્તુઓ બજારમાં મળે છે તે બારોબાર ફેકટરીમાંથી નથી આવતી. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ‘પહેલું સંતાન’ છે. આપણે જોઈ રહ્યા છીએ કે એ સંતાન કેવું નપાવટ બનીને હવે પજવી રહ્યું છે. ચેટ-જી.પી.ટી. તેનું બીજું ‘સુધરેલું’ સંતાન છે અને બીજા અનેક ‘પાઈપ-લાઈન’માં છે. એ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરશે તેની કોઈને ખબર નથી.

નિષ્ણાતો સાત પ્રકારનાં પ્રમુખ જોખમો જોઈ રહ્યા છે. 

    1. ઓટોમેશન વધતાં નોકરીઓ ખતમ થઇ જશે.
    2. માણસોનીપ્રાઈવસીઉઘાડીપડીજશે.
    3. (ફોટોશોપની જેમ) માણસોના ફેક વીડિયો બનશે.
    4. ગલતડેટાનાંપગલેઅલગોરિધમપક્ષપાતપૂર્ણવર્તનકરશે.
    5. સામાજિક-આર્થિકઅસમાનતાવધશે.
    6. બજારોઅસ્થિરથઇજશે.
    7. ઘાતકહથિયારોનુંઓટોમેશનથશે.

2022માં, દુનિયાની તમામ ટેકનોલોજી કંપનીઓના એક સર્વેમાં અડધોઅડધ કંપનીઓએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવજાતના અસ્તિત્વ સામે ખતરો છે. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી માણસોનાં તમામ કામ કરતી થઇ જઈને તેમને નવરા બેસાડી દેશે એટલું જ નહીં, હોલિવૂડની ફ્યુચરિસ્ટિક ફિલ્મોમાં બને છે તેમ એ સિસ્ટમો ગેરવર્તન કરતી પણ થઇ જશે. 2017માં, ફેસબૂકે બોબ અને એલિસ નામના બે રોબોટ્સને નષ્ટ કરી દેવા પડ્યા હતા કારણ કે તેમણે અચાનક એવી ભાષામાં બોલવાનું શરૂ કર્યું હતું જે માણસો સમજી શકતા નહોતા.

એવી કોઈ ટેકનોલોજી બની નથી જેનો ગેરઉપયોગ થયો ન હોય. અત્યાર સુધી માણસ પોતે તેનો ગેરઉપયોગ કરતો હતો, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીઓમાં જોખમ એ છે કે તેને માણસના મગજની જરૂર નહીં પડે. એ પોતે જ ‘સ્વતંત્ર માણસ’ બની જશે. જેમ કે કોમ્પ્યુટરમાં જે વાઇરસ આવે છે તે આપણા શરીરમાં આવતા વાઇરસનું જ ડિજિટલ રૂપ છે. આવા ઘણા ઉદાહરણ કલ્પી શકાય.

ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગે એ.આઈ.ને ‘માનવ ઇતિહાસની સૌથી બદતર ઘટના’ ગણાવી છે, ટેસ્લા અને ટ્વિટરવાળા ઇલોન મસ્કે કહ્યું છે કે એ.આઈ.માંથી ‘સૌથી દુષ્ટ અને ક્યારે ય ન મરે તેવો સરમુખત્યાર’ પેદા થશે. 2020માં, મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 21મી સદીમાં એ.આઈ. માણસ કરતાં વધુ સ્માર્ટ હશે અને માનવજાતિ પર સરસાઈ ભોગવતી હશે. એમાં ઘણી બાબતો અસ્થિર અને વિચિત્ર થઈ જશે.

2018માં, દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં તત્કાલીન ગૂગલ સી.એ.ઓ. સુંદર પિચઈએ કહ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતે ક્યારે ય ન જોઈ હોય તેવી ટેકનોલોજી છે. તેનો પ્રભાવ ઇલેક્ટ્રિસિટી કે અગ્નિની શોધ કરતાં પણ ક્રાંતિકારી રહેવાની છે.” તે વખતે ત્યાં બેઠેલા લોકોને આ વાતમાં બહુ દમ લાગ્યો ન હતો, પરંતુ ચેટ-જી.પી.ટી.ના વિકાસ પછી સૌને સમજાઈ ગયું છે કે ટેકનોલોજી કેટલી હદે કઈ દિશામાં જઈ રહી છે.

‘હોમો સેપિયન્સ’ પુસ્તકના લેખક યુવલ નોઆ હરારીએ તેની સિકવલમાં ‘હોમો ડેયસ’ નામનું ભવિષ્યવાદી પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે વર્તમાનમાં જે ટેકનોલોજીઓ વિકસી રહી છે તેના દાખલા-દલીલો સાથે કહ્યું છે કે અત્યારે માણસ પ્રકૃતિના નિયમોને અધિન છે, પરંતુ ભવિષ્યમાં એ પાવર આપણે બનાવેલાં યંત્રોમાં હશે. સવાલ એ છે કે શું એ યંત્રો આપણા નિયંત્રણમાં હશે? યંત્રોમાં કોન્સિયસનેસ આવી જાય તો તે તેમની ઈચ્છા પ્રમાણે વર્તશે? આ ડર વ્યાજબી છે.

‘હોમો ડેયસ’માં હરારીએ તેની વાત કરી છે :

“આપણે બહુ ઝડપથી એક અજાણી દિશા તરફ દોડી રહ્યા છીએ અને એનાથી બચવા માટે આશા પણ રાખીએ છીએ કે કોઈક બ્રેક મારે અને આપણને ધીમા પાડે, પણ એ શક્ય નથી કારણ કે કોઈને ખબર નથી કે બ્રેક ક્યાં છે. અમુક લોકો AI, નેનો-ટેકનોલોજી, બિગ ડેટા કે જીનેટિક્સ જેવાં ક્ષેત્રોની ઘટનાઓથી પરિચિત હોઈ શકે, પણ એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ ક્ષેત્રોને અરસપરસ જોડીને વ્યાપક ચિત્ર જોઈ શકે. અલગ અલગ ક્ષેત્રો એકબીજાને એવી પેચીદી રીતે અસર કરે છે કે સૌથી શ્રેષ્ઠ મગજ પણ એ ના સમજી શકે કે AIની નેનો-ટેકનોલોજી પર અને નેનો-ટેકનોલોજીની AI પર કેવી અસર પડશે. એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ આધુનિક વૈજ્ઞાનિક શોધખોળોને સમજી શકે, જે ભવિષ્યવાણી કરી શકે કે આવતાં દસ વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી હશે અને કોઈને ખબર નથી કે આપણે કઈ દિશામાં દોડી રહ્યા છીએ. એટલે આ આખી સિસ્ટમને સમજવાવાળું કોઈ નથી, એને રોકવાવાળું પણ કોઈ નથી.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 09 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમેરિકાનાં પ્રયોગશીલ નાટકો :

વિજય ભટ્ટ|Diaspora - Culture|10 April 2023

વિજય ભટ્ટ

વિશ્વની મનોરંજન-રાજધાની હોલીવુડની નજીક લોસ એન્જલસમાં દાયકાઓ સુધી રહ્યાનો એક મોટો ફાયદો એ કે વૈવિધ્યપૂર્ણ નાટકો, સંગીત-નાટકો (મ્યૂઝિકલ્સ), અને હોલીવુડની ફિલ્મ પ્રોડકશનની પ્રવૃત્તિઓ એક રસિક અને ભાવક તરીકે વારંવાર માણી શકાય.

અહીં એકદમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને ભવ્ય ડિઝની કોન્સર્ટ હોલ, મ્યુઝિક સેંટર, ડોરોથી ચૅડલર પેવેલિયન, અને એહેમેન્સન થિયેટર જેવાં અત્યંત આધુનિક નાટ્યગૃહો છે. એકદમ સાંપ્રત, લોકપ્રિય, વિખ્યાત, અને બ્રોડવેના જાણીતાં નાટકો અને સંગીત-નાટકો અહીં સતત ધૂમ મચાવે છે. અમેરિકાના સાંસ્કૃતિક અને કલા-ચાહકો નિયમિત આવાં નાટકો માણે છે. લોસ એન્જલસની મધ્યમાં જ વિશ્વવિખ્યાત સ્થાપત્યકાર ફ્રેક ગેહરીનું સર્જેલું ડિઝની કોન્સર્ટ હોલ એક જોવા જેવું અદ્દભુત સ્થાપત્ય છે.

અમેરિકાના બધાં શહેરોમાં આધુનિક નાટ્યગૃહો હોય છે જ. આ નાટ્યગૃહોમાં સામાન્ય રીતે પરંપરાગત, પ્રચલિત, નવાં અને જૂનાં ક્લાસિકસ, અને વિખ્યાત નાટકો વેપારી ધોરણે નિયમિત રજૂ થતાં હોય છે.

લોસ એન્જલસ ઉપરાંત બોસ્ટન, સિઆટલ, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા, અને સાન ફ્રાન્સિસકો જેવાં બધાં જ મોટાં શહેરોમાં આવાં અદ્યતન મોટાં નાટ્યગૃહો છે. પણ નાટ્ય-પ્રવૃત્તિમાં સૌથી વધુ ધમધમતું શહેર એટલે ન્યૂયોર્ક. ત્યાં છે બ્રોડવે, નાટકોની અને થિયેટરની પ્રવૃત્તિની રાજધાની!

પણ આવા મોટા નાટ્યગૃહનું ભાડું અને પ્રેક્ષકો માટેની ટિકિટ પણ મોંઘી હોય છે.

પ્રયોગશીલ નાટકોને આવાં મોટા નાટ્યગૃહોમાં રજૂઆત કરવી ન પોષાય. તેમની આવક પણ સાવ ઓછી. પ્રયોગશીલ નાટકોને ભજવવાની જગ્યા પણ પ્રયોગશીલ હોય છે!

પ્રયોગશીલ નાટક મંડળીઓનો ઉદ્દેશ કમાણીને બદલે, ચીલાચાલુથી તદ્દન કંઈક જુદું જ કરવું, એવો  હોય છે. તેમને બીજે ક્યારે ય ન થઇ હોય તેવી અનોખી રજૂઆત કરવામાં રસ હોય છે. તેમનો મુખ્ય આશય હોય છે, નાટકોમાં ચાલી આવતી સ્થાપિત સામાજિક હિતો, સ્થાપિત રાજકીય હિતો-તરફી ચીલાચાલુ રજૂઆતોની સામે બળવો કરવો. તેમણે કંઈક નવી વાત, નવી દૃષ્ટિ, નવીન રીતે પ્રેક્ષકો સમક્ષ મૂકવી હોય છે જે  મૌલિક અને અસરકારક હોય!

લોસ એન્જલસના બૃહત્‌ વિસ્તારમાં સોથી વધુ નાનાં નાટ્યગૃહો છે, જ્યાં નાની નાની નાટકમંડળીઓ ઓછા ભંડોળથી પ્રયોગશીલ નાટકો કરે છે. આ નાનાં થિયેટર્સ કોઈક નાના કાફેમાં, કોઈ પરા વિસ્તારના જાહેર ગ્રંથાલયના પટાંગણમાં, કોઈ મોટા બસ સ્ટેન્ડના વેઇટિંગના પટાંગણમાં, કોઈ ચાર રસ્તાની એક બાજુની મોટી ખુલ્લી જગ્યામાં, અથવા શાળા-કોલેજના નાના ઓરડા કે હૉલ જેવી વિવિધ તદ્દન સામાન્ય જગ્યાઓએ ચાલતાં હોય છે.

લોસ એન્જલસની એક પ્રયોગશીલ નાટ્યસંસ્થા, “ન્યૂ વેવે”, કોવિડ પછી, એક કારખાનાની ખુલ્લી જગ્યામાં પ્રોપ્સ વગર સ્ટેજ અને ‘કાલ્પનિક’ ઓરડાઓ બનાવ્યા – જમીન પર ચોકથી દોરીને! નાટક દરમ્યાન પ્રેક્ષકોએ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરવાનું. દરેક ઓરડે અભિનેતાઓ પોતાના ભાગે આવેલો અભિનય કરતા હોય. જેમ નાટક આગળ વધે તેમ પ્રેક્ષકો ફરે. અભિનેતા તેમના જ સ્થળે રહે. વળી અભિનેતાઓ અને પ્રેક્ષકો વચ્ચે પણ સંવાદ ચાલે અને નાટક આગળ વધે. રેલવે સ્ટેશન દર્શાવવા માટે જમીન પર પાટા દોર્યા હોય. સૂર્ય દર્શાવવા એક લાઈટ બલ્બ અને એક સફેદ વર્તુળાકાર સફેદ કાગળ એટલે ચંદ્ર! આમ તદ્દન જ નવીન રંગમંચ-સજાવટ. છતાં પ્રેક્ષકોને બધાં જ પ્રતીકોની અને અભિવ્યક્તિની સહજ રીતે સમજ પડી જાય તેવી બુદ્ધિપૂર્વકની ગોઠવણી! કોઈ જાતનો ચોક્કસ સજ્જ સેટ નહિ, કે પ્રોપ્સ નહિ. ઘણું બધું માત્ર પ્રતીકાત્મક (સિમ્બોલિક) રીતે મૂકેલું હોય. તદ્દન નવોદિતો અને વિશ્વવિખ્યાત નાટ્યકારો પણ પોતાનાં પ્રયોગશીલ નાટકો અહીં રજૂ કરે છે. લોકો તેમને  બિરદાવીને પ્રોત્સાહિત કરે છે.

“બ્લેક બોક્સ” થિયેટર પણ પ્રયોગશીલ નાટકના ભાગ રૂપે પ્રચલિત છે. નામ પ્રમાણે, તદ્દન સાદા કાળા પડદાઓવાળું કોઈ જ પ્રોપ્સ વગરનું કાળું સ્ટેજ. કાળા રંગને લીધે પ્રેક્ષકોનું ધ્યાન પણ માત્ર અભિનેતાઓ પર અને શું બોલે છે તે પર જ રહે. આ સ્ટેજ ઊભું કરવું પણ એકદમ સસ્તું અને સરળ. તેથી પ્રયોગશીલ નાટકો માટે “બ્લેક બોક્સ” થિયેટર ખૂબ અગત્યનું છે.

અમેરિકાના અનેક શહેરોની મ્યુનિસિપાલિટી નાની પ્રયોગશીલ કલાપ્રવૃત્તિઓ માટે ખાસ ભંડોળ (એન્ડોવમેન્ટ) રાખે છે. સાવ નાની નાટકમંડળી પણ ગ્રાન્ટ મેળવી શકે. અહીં પ્રયોગશીલ નાટકો, બહુ નાના પાયા પર રહીને પણ, ધંધાધારી નાટકોની સમાંતર ચાલે છે. બધી જ શાળાઓ, કોલેજો, અને યુનિવર્સિટીઓમાં થિયેટર અને પરફોર્મિંગ આર્ટ ડિપાર્ટમેન્ટ હોય જ, જેથી પ્રયોગશીલ કલાને પ્રોત્સાહન મળે.

અમેરિકાનાં પ્રયોગશીલ નાટકો અને રંગભૂમિનાં મૂળ છે, ઓગણીસમી સદીના યુરોપની પ્રયોગશીલ, કલા, નાટકો અને રંગભૂમિની ચળવળ – આવાં-ગાર્ડ(avnat-garde)માં. આવાં-ગાર્ડ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ થાય જુદું, આગળ પડતું; પ્રગતિશીલ, પ્રયોગશીલ, નવીન કલા. જેમ લશ્કરમાં અગ્ર હરોળમાં રહીને રક્ષણ થાય તેમ કલા અને સંસ્કૃતિમાં પણ નવીન અને પ્રયોગશીલ અગ્રતા. તદ્દન નવાં જ અને બિનપરંપરાગત સાધનો, પ્રતીકો, દૃશ્ય અને શ્રાવ્યનો, સ્ટેજનો, કલામાં ઉપયોગ કરીને એવી રજૂઆત કરવી કે જે ચીલાચાલુ અને પરંપરાગત રીતે રજૂ થતી ન હોય.

આવાં-ગાર્ડનો ઉદ્ભવ, યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ત્યાંની તે સમયની, સામાજિક જીવનપદ્ધતિ, સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહ, અને રાજકીય કટોકટી સામેના એક બળવા રૂપે થયો હતો.

પ્રયોગશીલ નાટકોનો વિકાસ અમેરિકામાં બહુ ધીમેથી થયો કારણ કે બ્રોડવે જેવા વેપારી ઉદ્દેશથી  તૈયાર થતાં નાટકોની સામે, શરૂઆતમાં, આવાં પ્રયોગશીલ નાટકોને આવકાર નહતો મળ્યો. આ નાટકોનો ઉદ્દેશ મનોરંજનનો ન હતો. કંઈક જુદું જ કરવું, કંઈક નવીન કરવું, જે ક્યારે ય ન કર્યું હોય, માત્ર એવા જ આશયથી પ્રયોગશીલ નાટકો થતાં અને થાય છે.

ઘણા અમેરિકન નાટ્ય-વિદ્વાનો પ્રયોગશીલ નાટકોને, બીજાં નાટકોની સરખામણીમાં, એક વૈકલ્પિક નાટ્યપ્રકાર કહેવા તૈયાર નથી. જો વૈકલ્પિક હોય તો એ ‘શેનો વિકલ્પ?’ વિકલ્પ સમાન વસ્તુઓમાં જ હોય! અજોડ અને અપૂર્વને જો વિકલ્પ તરીકે સ્વીકારો તો એ અજોડ કેવી રીતે કહેવાય? અમેરિકન નાટ્ય-વિદ્વાનો આવાં-ગાર્ડ અને  પ્રયોગશીલ નાટકને ચીલાચાલુ નાટકનો વિકલ્પ નથી માનતા. તેઓ માને છે કે એ બંનેના સ્થાન જુદાં અને સ્વતંત્ર છે.

પરંપરાગત રીતે નાટક લખાય પછી દિગ્દર્શક તેનું અર્થઘટન કરીને મંચ અને અભિનેતા પાસે કામ કરાવે. દિગ્દર્શકની કલા – વિભાવના અને સત્તા પ્રમાણે જ બધાંએ કામ કરવું પડે. પ્રયોગશીલ નાટકોમાં અભિનેતાને સર્જનાત્મક રીતે અને મૌલિક રીતે તેમાં થોડાક ફેરફાર (improvisation) કરવાની છૂટ અને અવકાશ રહે છે.

જાણીતા પ્રયોગશીલ નાટ્યકાર પીટર બ્રૂક્સ કહે છે કે અભિનેતા અને પ્રેક્ષકો વચ્ચે બહુ થોડો ભેદ છે. પ્રયોગશીલ નાટકોમાં પ્રેક્ષકો નિષ્ક્રિય ન હોય અને રંગમંચ હંમેશાં જુદું ન હોય. બંને એકમેક સાથે મળીને જ એક સંકલિત રંગમંચ બનાવે છે. અમેરિકાના ઘણાં પ્રયોગશીલ નાટકોમાં પ્રેક્ષકો સક્રિય ભાગ લેતા હોય છે. આ કારણે જો અસફળતા મળે તો પણ આવી પ્રયોગશીલતાનું મહત્ત્વ સફળતા કરતાં વધુ હોય છે.

વિદ્વાનોનું માનવું છે કે અમેરિકાની પ્રયોગશીલતામાં છેલ્લાં સો વર્ષમાં બહુ બદલાવ આવ્યો નથી. ખરેખર તો પરંપરાના નાટકોની સામે પ્રતિકાર રૂપે કહેવાતાં પ્રયોગશીલ નાટકો જેમ કે ફિલિપ ગ્લાસનું ૨૦૧૦ નું નાટક, સત્યાગ્રહ, પણ સાચું પ્રયોગશીલ નથી ગણાતું.

૧૯૫૦ પછી અમેરિકામાં એક જુદી જ સાહસિક પ્રયોગશીલતા ધંધાદારી નાટકોની સામે શરૂ થઈ. તેમાં પરંપરા અને ચીલાચાલુની સામે ખુલ્લો બળવો શરૂ થયો. રેનેસાંસ પછી સૌ પ્રથમ વાર જ અમેરિકામાં ચાલતી જૂની નાટ્યપદ્ધતિની વિરુદ્ધ આ ચળવળ શરૂ થઈ.

વિવેચકો ઘણીવાર અમેરિકન પ્રયોગશીલ નાટકોને શંકાની નજરે જોઈને ખોટા અર્થઘટનથી ‘મોડર્ન આર્ટ’ તરીકે ખપાવે છે. પ્રયોગશીલતામાં બધી જ જાતની પરંપરા સામે આંચકો અને પડકાર આપવાનો પ્રયાસ હોય છે તે કારણે તેમાં લાગણીવેડા-સભર ભાવનાત્મક અતિશયોક્તિ (મેલોડ્રામા) નથી હોતી. તેથી ઘણાને તે શુષ્ક, નીરસ અને અરુચિકર લાગે છે. ભભકાદાર પ્રકાશમય સ્ટેજ સજાવટ, વેશભૂષા, અને સંગીતથી ભરપૂર ચીલાચાલુ નાટકોની સરખામણીમાં પ્રયોગશીલ નાટકો સામાન્ય ભાવકોને ઓછાં રસપ્રદ લાગે.

પ્રયોગશીલતા એ પ્રેક્ષકોની સૌંદર્યલક્ષી માન્યતા અને અપેક્ષાઓને ધરમૂળથી ખંખેરી નાખી છે. લાગણીવેડાને બદલે, બૌદ્ધિકતાસભર નાટકો બન્યાં છે. સામાન્ય નાટકો વાંચી શકાય અને સમજી શકાય તેવાં આ પ્રયોગશીલ નાટકો નથી હોતાં. આ નાટકોમાં પ્રતીકો, રૂપકો, અને કલ્પનોનો મહદંશે બૌદ્ધિક રીતે જ ઉપયોગ થયો હોય છે.

આજકાલ અમેરિકામાં પ્રયોગશીલ નાટકોની પ્રવૃત્તિના કેટલાક સરસ દાખલાઓમાં :

“મન્ડે નાઇટ રીડિંગ”(સોમવારની રાત્રે નાટક પઠન)માં નવોદિત નાટ્યકારોનાં નાટકો પીઢ અભિનેતાઓ પ્રેક્ષકોની સામે વાંચે, પ્રેક્ષકો અને અભિનેતાઓ બંને પ્રતિભાવ આપે. રસિક પ્રેક્ષકોને પણ નવું સાંભળવા મળે અને ખાસ કરીને નવોદિતોને અને નવી નાટ્યસંસ્થાઓને પ્રોત્સાહન મળે. પ્રેક્ષકોને પણ મોંઘી ટિકિટો ખર્ચવી ના પડે. આવા વાચનનું આયોજન નિ:સામાન્ય પરા વિસ્તારોમાં પણ થાય છે જેથી પ્રયોગનો સંદેશ સામાન્ય જનતા સુધી પહોંચે છે. 

આજકાલ માનસિક સ્વાસ્થ્ય એક મોટી ચિન્તાનો વિષય છે. અમેરિકામાં તો ખાસ.

કોરોના-કાળમાં માનસિક રોગ પણ ફેલાયો હતો. ઘણાં પ્રયોગશીલ નાટકો આ વિષય પર હતાં. એ નાટકો સમજ, જાગૃતિ, અને મનોરંજન પૂરું પાડતાં હતાં.

“ક્રીપ્ટોક્રોમ” નામની એક પ્રયોગશીલ નાટકમંડળી, મેડિટેશન અને સંગીતમય  પ્રયોગ દ્વારા,  પ્રેક્ષકોને નવીન રીતે પ્રાણીજગતની સફર કરાવે છે. ક્રીપ્ટોક્રોમ નામનું એક પ્રોટીન છે. જેના કારણે પ્રાણીઓ અને પક્ષીઓ કુદરતી રીતે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની મદદથી પૃથ્વીના એક ખૂણેથી બીજે ચોક્કસ રીતે સ્થળાન્તર કરે છે. લેધરબેક સી ટર્ટલ (કાચબો) હજારો માઈલ દરિયાની સફર કરે છે અને પાછો પોતે જ્યાં જન્મ્યો હતો ત્યાં જ આવી જાય છે. તેની પાસે કોઈ ગુગલ મેપ નથી! ક્રીપ્ટોક્રોમ આ વૈજ્ઞાનિક વાત, વિજ્ઞાન અને કલાને ભેગાં કરીને, પ્રયોગશીલ નાટક દ્વારા રજૂ કરે છે.

“લા- મા-મા” નાટકમંડળી ૧૯૬૧માં જાણીતા અમેરિકન નાટ્યકાર એલન સ્ટેવર્ટે ન્યુયોર્કમાં સ્થાપી હતી. “લા-મા-મા”- એ અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ પ્રગતિશીલ નાટકો કર્યાં છે, જેમાં ૧,૫૦,૦૦૦ કલાકારોએ ભાગ લીધો છે અને તે ૭૦ દેશોમાં રજૂ થયાં છે. ૨૦૧૮માં તેને “પ્રાદેશિક ટોની એવોર્ડ” મળ્યો હતો. એમાંથી બ્લુ મેન ગ્રુપ, પિંગ ચોન્ગ, તીસા ચાંગ, આન્દ્રે ડી શેએલ્ડ, ટેલર મેક, ડેવિડ સેંદ્રીસ, અને એમી સેંડાઇસ જેવા કલાકારો પ્રશસ્તિ પામ્યાં છે.
આજકાલ “લા મા-મા”ના ‘અનર્થ ધ સ્કિન’, ‘ધ વીક એન્ડ ધ સ્ટ્રોંગ’, ‘નોઉગુઓ’, ‘ધ ફેમિલી શો’, અને, ‘ક્રેમોવ લેબ’, વગેરે  નાટકો ભજવાય છે.

આપણને ભારતીયોને વધુ રસ વધુ પડે એવી એક વાત :

વીસમી સદીની શરૂઆતમાં એડવર્ડ ગોર્ડન ક્રેગ નામનો જાણીતો ઇંગ્લિશ પ્રયોગશીલ અને આધુનિક નાટ્યકાર થઈ ગયો. તેણે ભારતીય કથકલ્લીનો અભ્યાસ કર્યો. તેમાં વપરાતાં મોટાં મોહરાં, બુકાનીઓ, અને મોટી કઠપૂતળી જેવી વેશભૂષામાં, તેમ જ એને ભારતીય નાટ્યશાસ્ત્રમાં ખૂબ જ રસ પડ્યો. એમ કહેવાય છે કે તેનો જ આધાર લઈ ને તેણે પશ્ચિમમાં “ઉબર-મારિઓનેટ્ટ” એટલે કે ‘મહા-કઠપૂતળી'(સુપર પપેટ)ની એક નવી વિભાવના મૂકી. આમ પશ્ચિમના પ્રયોગશીલ નાટકોમાં ઉબર – મારિઓનેટ્ટ ( સુપર પપેટ),  એ ભારતીય નાટ્યકલા પ્રકાર – કથકલ્લીમાંથી આવી એમ મનાય છે.

ક્રેગના અભ્યાસનું એક તારણ એવું પણ છે કે અભિનેતા અને પાત્ર એકબીજામાં ભેગાં ન થઈ જવાં જોઈએ. ઉબર-મારિઓનેટ્ટ – એટલે કે મોહરું પહેરીને નટ કે કઠપૂતળી અભિનય કરે તે હંમેશાં તેના પાત્રને જ પ્રગટ કરે છે, ક્યારે ય અભિનેતાને નહીં! જેથી તેના અભિનયનું સાતત્ય હંમેશાં જળવાઈ રહે છે. કદાચ એટલે જ ડિઝનીના મીકીમાઉસ અને બીજાં પાત્રો આટલાં લોકપ્રિય થયાં છે. જો કે આ એક આખો જુદો જ સંશોધન અને પ્રયોગનો વિષય છે.

ડિસેમ્બર ૧૬, ૨૦૨૨
e.mail : vijaybhatt01@gmail.com
(એકત્ર ફાઉન્ડેશનના સાહિત્યિક સંરસન(Literary Consortium)ના અંક ૧, ફેબ્રુઆરી ૨૦૨૩માંથી સાભાર; 103-106)

Loading

સિદ્ધિવંતા મહિલા માધ્યમકર્મીનું મેઘધનુષી જીવન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 April 2023

પુસ્તક પરિચય

‘વસુબહેન એટલે વસુબહેન’, સંપાદક: ડૉ. રૂપા મહેતા, પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ, માર્ચ 2023,કિ. રૂ. 300/- 

જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન (1924 -2020) એક જમાનામાં સેલિબ્રિટી હતાં. છેક સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ હતું.

વ્યક્તિગત કે વ્યાવસાયિક રીતે તેમના સંપર્કમાં આવનાર અનેક લોકો વસુબહેનના દેહના સૌંદર્ય, મનના ઐશ્વર્ય અને જાહેર  જીવનના કર્તવ્યથી પ્રભાવિત થઈને તેમને હંમેશાં યાદ કરતા.

તેમાંથી કેટલીક વ્યક્તિઓએ લખેલાં વસુબહેન વિશેનાં સંભારણાંનું ‘વસુબહેન એટલે વસુબહેન’ નામનું પુસ્તક તેમના જન્માશતાબ્દી વર્ષના આરંભદિન 23 માર્ચે સૂઝપૂર્વક યોજાયેલા સમારંભમાં પ્રકટ થયું.

આ સ્મરણ-સંચયનું સંપાદન વસુબહેન સાથે ‘દોસ્તી’ અને ‘ભગિનિત્વ’ અનુભવનારાં દૂરદર્શનના ઉચ્ચ પૂર્વ અધિકારી અને કાર્યક્રમ નિર્માતા ડૉ. રૂપા મહેતાએ કર્યું છે. વસુબહેનના ‘ચાહક અને ભાવક’ એવા નિવડેલા રેડિયોકર્મીઓ તુષાર શુક્લ અને જયેશ પંડ્યાએ તેમને મદદ કરી છે. 

પુસ્તકના 43 લેખકોમાં વસુબહેનના કાર્યકાળમાં કામ કરી ચૂકેલા પ્રસારણકર્મીઓ ઉપરાંત રેડિયો પ્રોગ્રામ્સ નિમિત્તે તેમનો અનુભવોને યાદ કરનારા બેએક પેઢીના સંગીતકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ અને શિક્ષણવિદો છે. વસુબહેનના સેવક અને સ્વજનોએ પણ તેમને યાદ કર્યા છે.

પુસ્તકના 164 પાનાંમાંથી છેલ્લાં ફર્મામાં ચરિત્રનાયિકાના સંગ્રહના ચાળીસ આલબમોમાંથી પસંદ કરેલી છત્રીસ તસવીરો છે પુસ્તકની મિરાત છે. 

ફોટોગ્રાફમાં જોવા મળતાં વસુબહેનનનાં લાવણ્યને ચાહકોએ શબ્દોમાં મૂકી આપ્યું છે  : ‘ગ્રીસની સૌંદર્યદેવી વિનસનું સ્મરણ કરાવે તેવી ઊંચી દેહયષ્ટિ’, ‘ગૌર મોહક ચહેરો અને હરણી જેવી આંખો’, ‘સાઠ વર્ષની ઉંમરે પણ ગળાની ત્વચામાં ચમક જળવાયેલી’, ઠસ્સો અને ઠમકો, ‘દમામે-સામાજ્ઞી મિજાજે-સમ્રાટ’, ‘સરસ રીતે પહેરેલી ગુજરાતી સાડી, આત્મવિશ્વાસથી છલોછલ’. ‘જે પહેરે એને શોભાવે. પાસે ચાલતાં હોય એ ઝાંખા પડે’, ‘જોતાં જ ગમી જાય તેવાં’.

‘રસિલું, રંગિલું અને ખડખડાટ હાસ્યવાળું જીવન’. મિત્રો અને મહેફિલ, ઉજવણા અને ઉજાણીઓ, લાડ અને જલસા તેમની જિંદગીનો હિસ્સો. સેવક પાર્વતી બહેનના લેખમાંથી બહેનને ભાવતી વાનગીઓની લાંબી યાદી બનાવી શકાય.

મોટે ભાગે બધાંને ‘દોસ્ત’ કે ‘પ્રભુ’ કહીને સંબોધે, પીઠમાં ધબ્બો મારે. તેમને ખૂબ ગમતાં કેસુડાં અને તેમનું સોહામણું રૂપ પુસ્તકના સરસ મુખપૃષ્ઠને શોભાવે છે.

અલબત્ત, વધુ પ્રસ્તુત છે તે રેડિયો પ્રસારણ ક્ષેત્રે વસુબહેનનું પ્રદાન. તેમણે 1949થી તેંત્રીસ વર્ષ આકાશવાણીના જુદાજુદા વિભાગોમાં સર્જનાત્મક રીતે કામ કર્યું, અમદાવાદ-વડોદરા અને રાજકોટ કેન્દ્રના વડાં રહ્યાં. તેઓ ‘આકાશવાણીના પહેલાં મહિલા કેન્દ્ર નિયામક’ હતાં. સંપાદક નોંધે છે કે લોકપ્રિય અને પ્રાણવાન પ્રસારમાધ્યમમાં ‘સંવેદનશીલ અને સમજદાર પ્રસારકર્મી’ તરીકે તેમણે ‘સર્જનાત્મક અને નિર્ણાયાત્મક ભૂમિકા’ પાર પાડી. ‘સમાજ, કલા, સંસ્કૃતિને આકાશવાણી સાથે જોડતી કડી’ બન્યાં.

તેમણે ‘આકશવાણીને પ્રજાની વચ્ચે મૂકી આપ્યું’ તેની વાત ભદ્રાયુ વચ્છરાજાનીએ માંડી છે. તુષાર શુક્લ નિરૂપે છે કે તેમણે ‘અમદાવાદ આકાશવાણીને …. નવી ઓળખ આપી’. રઘુવીર ચૌધરીના મતે તેમણે તમામ કાર્યક્રમોમાં ‘વ્યાપક શિક્ષણની દૃષ્ટિ’ રાખી હતી. કેળવણીકાર ગુલાબભાઈ જાની પણ  બીજાં કેટલાંક લેખકોની જેમ વસુબહેને કરેલાં બાળકો, મહિલાજાગૃતિ અને સમાજકલ્યાણના કાર્યક્રમોનો ઉલ્લેખ કરે છે.

વળી તેમની જેમ રજનીકુમાર પંડ્યા પણ ‘સૌરાષ્ટ્ર અને સાગરકાંઠાની ગ્રામીણ સંસ્કૃતિને આકાશવાણી દ્વારા પ્રસારિત કરીને સંગોપી લીધી’ એમ જણાવે છે. યજ્ઞેશ દવે નોંધે છે : ‘સૌરાષ્ટ્રના ધ્વનિમુદ્રિત સાંસ્કૃતિક વારસાને કાળસંદૂક રૂપે જમીનમાં દાટી તેને સુરક્ષિત રાખવાનો વિચાર પણ વસુબહેનનો.’ 

ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના દિવસોમાં ‘યુવવાણી’માં  ‘યુવાસહજ  આક્રોશ’ ધરાવતો કાર્યક્રમ પ્રસારિત કરીને વસુબહેને મુખ્યમંત્રી ચીમનભાઈનો ખોફ વહોર્યો હોવાનો કિસ્સો મનીષી જાની વર્ણવે છે.

આકાશવાણીમાં ચાલતી અમલદારશાહીમાં સર્જનાત્મકતા નડતા અવરોધો સાથે તેમણે પોતાના દમામ અને ચાતુરીથી કેવી રીતે કામ પાડ્યું તેના પ્રસંગો અહીં છે. એક નવરાત્રીએ અને હોળીએ તેમણે રડિયો માટે ખુલ્લાં મેદાનમાં, રીપિટ ખુલ્લાં મેદાનમાં, કરાવેલાં ‘હે મા ત્વમેવ સર્વમ’ અને ‘રંગ દે ચુનરિયા’ નામના ભવ્ય કાર્યક્રમોને પુસ્તકમાં અધઝાઝેરા લેખકોએ યાદ કર્યા છે.

આકાશવાણીના નિરસ વાસ્તુઓમાંને તેમણે સૌંદર્ય આપ્યું એ પણ તેમનું પ્રદાન. તેમને વૉઇસ ઑફ અમેરિકા અને બી.બી.સી. એ મુલાકાત માટે આમંત્રેલાં.

અનેક જાહેર સંસ્થાઓ સાથે સંકળાયેલા વસુબહેને ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં કરેલાં કામ વિશે સંસ્થાના અત્યારના મંત્રી ચાન્દ્રિકાબહેન રાવળના ‘મૅનજમેન્ટ ગુરુ’ અને લેખમાંથી મળે છે. રતુબહેન રોહડિયાના લેખમાંથી મહિલા જાગૃતિ અંગેના તેમના કાર્યનો નિર્દેશ મળે છે.

કેટલીક નોખી સાંભરણો છે. ઇલાબહેન ભટ્ટ જણાવે છે મજૂર મહાજને તેમને કરેલાં અન્યાયની વિરુદ્ધ રેડિયો પર  જાહેરમાં બોલીને ઇલાબહેનને ટેકો આપનાર માત્ર વસુબહેન હતાં.

બીજા એક  સ્નેહી નોંધે છે કે તેમણે રેલવેના વિધાઉટ રિઝર્વેશન ડબ્બામાં બહેનપણીઓ સાથે ઝભ્ભો-લેંઘો પહેરીને ભારતભ્રમણ કરેલું.

મા ત્વમેવ સર્વમ કાર્યક્રમ માટે તેઓ એક મંદિરમાંથી ક્યારે ય બહાર ન નીકળી હોય તેવી પાલખી લઈ આવ્યાં હતાં.

રક્ષાબંધનને દિવસે ચલાવેલાં મરસિયાં પરના ‘અશ્રુગીતો’ કાર્યક્રમની કેટલાક શ્રોતાઓ પર એવી  વિપરિત માનસિક અસર પડી કે તેનું પ્રસારણ અધવચ્ચે અટકાવી દેવું પડ્યું હતું.

તેમના ઘરે ચોરી કરતાં પકડાયેલાં ચોરને તેમણે ચા પિવડાવી હતી અને તેને છોડી દેવાની પોલીસને ભલામણ કરી હતી.

સાઠ વર્ષની ઉંમરે તેમણે કરેલો ‘રતનબાઈ ઠમકો કરો’ નામનો અઢી કલાકનો એકપાત્રી નાટ્યપ્રયોગ ભજવ્યો હતો !

જીવનનાં આખરી વર્ષોની વિવશ દશામાં તેમની સાથે રહેનાર પાર્વતીબહેન લખે છે : ‘હવે મને પસ્તાવો થાય છે મેં લગ્ન નથી કર્યાં. જો લગ્ન કર્યાં હોત તો મારો પરિવાર હોત તો મને પણ આનંદ થાત, ને મારું પોતાનું કોઈ છે એવું લાગત’.

ગુજરાતના મહિલા સામર્થ્યનો પ્રવાહ ઓગણીસમી સદીના હરકુંવર શેઠાણી તેમ જ લક્ષ્મીબહેન ડોસાણીથી લઈને ગાંધીયુગમાં થઈને ઇલાબહેન પાઠક તેમ જ ભટ્ટ અને અત્યાર સુધી ચાલતો રહ્યો છે. તેમાં વસુબહેનને ક્યાં મૂકવા તે સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે રસપ્રદ ચર્ચા બની શકે.

સહેજે એક સરખામાણી મનમાં આવે : ઉષાબહેન મહેતા (1920-2000) વસુબહેનના સમકાલીન. તેમણે પણ રેડિયો માધ્યમનો જ ઉપયોગ કર્યો. તેમણે અને સાથીઓએ ચલાવેલા ભૂગર્ભ રેડિયોના આઝાદીની લડતમાં પ્રદાન વિશે ઉષાબહેન ઠક્કરે Congress Radio: Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું પુસ્તક લખ્યું છે.

વસુબહેને આઝાદીની લડત માટેની તેમની પૅશનને વ્યક્ત કરતો ‘વેદના વેઠી ન જાય’ નામનો 1942 માં  લખેલો લેખ પુસ્તકમાં વાંચવા મળે છે.         

તાજેતરમાં, રેડિયો માધ્યમને લગતાં ‘સાદિકનામા : સાદિક નૂર પઠાન’ અને કલ્પના પાલખીવાલાનું ‘આકાશવાણી સમાચાર આપે છે ’ પુસ્તકો પ્રસિદ્ધ થયાં હોવાનું જણવા મળે છે, જે  ગુજરાતી  પ્રકાશન પ્રવૃત્તિ અને વાચકો માટે રસપ્રદ બાબત છે.

વસુબહેને વિજાતીય સભાનતામાંથી તેમણે આત્મકેળવણીથી મુકિત મેળવેલી એમ રઘુવીર ચૌધરી નોંધે છે. સ્વાતિ જોશી સમજાવે  છે કે ‘એક સ્વતંત્ર સ્રી હોવું એટલે શું તે તો તેમણે તેમના જીવનથી જીવી બતાવ્યું.’

જો કે આ વિશિષ્ટ માધ્યમકર્મીના અવસાનની ભાગ્યે જ કોઈ નોંધ માધ્યમોમાં આવી હતી !

-X-X-X-X-X-

pastedGraphic.png

 પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ : 079-26587949                                  

09 એપ્રિલ 2023
[900 શબ્દો : ‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા પુસ્તક પરિચયમાં થોડાંક ઉમેરણ સાથેનો લેખ
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1381,1391,1401,141...1,1501,1601,170...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved