Opinion Magazine
Number of visits: 9667481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંગીત એટલે પ્રકૃતિ, મનુષ્યત્વ અને પરમ સાથેનો દિવ્ય સંબંધ

સોનલ પરીખ|Opinion - Opinion|17 May 2023

ખ્યાલ ગાયકી અધ્યાત્મ સાથે જોડાયેલી છે. પણ તેને વર્ણવવા હું એક જ શબ્દ વાપરું – ઈમેજિનેશન. ચાર લીટીના વર્ણનને રાગના સ્વરૂપની સીમા જાળવીને અસીમ બનાવનારી નિપુણ કલ્પના હોય ત્યારે ખ્યાલ સિદ્ધ થાય. લગના ચાહિયે જૈસે પ્રકૃતિ અપને પંખ ફૈલાકર સ્વરો કે સમંદર પર લહરા રહી હો …

— પંડિત રાજન–સાજન મિશ્રા

બે વર્ષ પહેલા આ દિવસોમાં આપણે પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાની ચિરવિદાયથી દુ:ખી હતા. કોરોનાએ 70 વર્ષની ઉંમરે એમનો ભોગ લીધો હતો અને સંગીતવિશ્વની એક અનુપમ જોડી તૂટી હતી.

શાસ્ત્રીય સંગીતની દુનિયાના દિગ્ગજ પંડિત રાજન-સાજન મિશ્રા એટલે બે શરીર, એક આત્મા. સ્ટેજ પરફોર્મન્સ હોય કે આલ્બમ્સ, સાડાત્રણસો વર્ષ જૂની સંગીતપરંપરા હોય કે દહેરાદૂનનું વિરામ ગુરુકુલ, ઈન્ટરવ્યૂ હોય કે દીકરાઓની તાલીમ, ભક્તિ હોય, સંગીત સાધના હોય કે પછી જંગલો-પહાડોમાં રખડપટ્ટી, જોક્સ-ખડખડાટ હાસ્ય, સરસ ફિલ્મો કે ક્રિકેટ-ફૂટબૉલ જેવી મજાઓ હોય – મિશ્રા ભાઈઓ સાથે જ હોય. એકલા એક ભાઈને કોઈએ કદી જોયા નહીં હોય. રેશમી કૂર્તા-ધોતી હોય કે કલાત્મક શાલ કે ક્વચિત આધુનિક પોષાક – બન્ને ભાઈઓ એકસરખાં વસ્ત્રોમાં શોભતા હોય, ને ‘જુગલબંદી એઝ બ્યુટિફુલ એઝ સોલો’ એવા શબ્દોથી પ્રશંસકો અને કલાવિવેચકો એમને નવાજતા હોય. પચાસ વર્ષની કારકિર્દી, દોઢસોથી વધારે રાગની રજૂઆત, ભારતમાં અને વિદેશોમાં અસંખ્ય કાર્યક્રમો.

બન્ને એટલી હદે એક હતા કે એમણે કરેલી એકમાત્ર બોલિવૂડ ફિલ્મ ‘સૂરસંગમ’નાં ગીતોમાં સંભળાતો હોય એક જ પુરુષકંઠ, પણ નામ લખ્યું હોય રાજન-સાજન મિશ્રા. આવી આ જોડી ખંડિત થઈ એ સમાચારથી ખૂબ ઉદાસ થઈ જવાય. પણ એમના ઈન્ટરવ્યૂ જોઈને, એમના વિશે જાણી-વાંચીને અને ખાસ તો એમને સાંભળીને એક અજબ પ્રસન્ન, ચકિત કરતી અનુભૂતિ જાગે : આ યુગમાં આવા લોકો, આવી સાધના, આવી ગાયકી અને આવી ભરપૂર જિંદગી પણ સંભવિત છે!

1951માં પંડિત રાજન મિશ્રાનો અને 1956માં સાજન મિશ્રાનો જન્મ. સંગીતની દુનિયામાં જ આંખ ખૂલી. દાદા બડે રામદાસજી સંત ગાયક કહેવાતા. ગંડાબંધન એમણે કર્યું અને તાલીમ આપી પિતા હનુમાન મિશ્રા અને કાકા ગોપાલ મિશ્રાએ. એમનો જ વિચાર હતો કે બન્ને ભાઇઓએ સાથે જ પરફોર્મ કરવું. ‘સાથ રહો ઔર સાથ ગાઓ. પ્રેમ બઢેગા.’ ‘આ સંસ્કારને કારણે અમારા વચ્ચે સ્પર્ધાનો ભાવ કદી નથી આવ્યો, એકબીજા પ્રત્યે પ્રેમ અને એકબીજાની પ્રતિભા પ્રત્યે આદર રહ્યા છે. અમે અમારા સાથે હોવાને હંમેશાં માણ્યું છે. અમારું સંયુક્ત કુટુંબ હજી એક જ રસોડે જમે છે.’ પત્નીઓના મૌન મજબૂત આધાર વગર આ ન થાય. દીકરાઓ ‘પિતાજીલોકો’ને સંગીતના દેવતા કહે છે. ‘અમે પચીસ વર્ષથી તેમની સંગત કરીએ છીએ. દરેક પરફોર્મન્સ નવો અનુભવ હોય છે. સફર સુખદ છે, તૃપ્ત કરનારી છે; પણ મહાન પિતાના પુત્ર થવું એ એક પડકાર છે. લોકોની અપેક્ષા અતિશય વધારે હોય છે.’ પુત્રો રિતેશ, રજનીશ અને સ્વરાંશ કહે છે.

એ સમયે શાસ્ત્રીય સંગીતથી ભવિષ્ય બનશે કે કેમ એવી આશંકાથી સંગીતકારોના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ લેતા થયા હતા. રાજનજીએ સોશ્યોલોજીમાં એમ.એ. કર્યું અને થોડો વખત કામ પણ કર્યું, પછી સદ્દગુરુ જગજિતસિંહની પ્રેરણાથી જીવન સંગીતને અર્પણ કર્યું. 1973માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા. સાજનજી પણ એમને અનુસર્યા. બન્ને જોતજોતામાં ભારતભરમાં છવાઈ ગયા, સવાઈ ગંધર્વ ફેસ્ટિવલ ગજવ્યું, 1978માં શ્રીલંકામાં દસ લાખ શ્રોતાઓ સામે પરફોર્મ કરી સંગીતને વિદેશોમાં લઈ જવાની શરૂઆત કરી, અનેક પ્રતિષ્ઠિત અવૉર્ડ-સન્માન અંકે કર્યાં. ‘ભૈરવથી ભૈરવી’ શ્રેણી લઈ તેમણે 13 દેશોની ટૂર કરી હતી. ‘સંગીત સાર્વત્રિક ભાષા છે. બધા સીમાડા ભૂંસી નાખે અને આત્માને આત્મા સાથે જોડી આપે.’ તેઓ કહે છે. પણ સંગીત એટલે માત્ર મનનું રંજન નહીં. સંગીતને કઈ રીતે સાંભળવું, સમજવું, અનુભવવું એ પણ એક કૌશલ માગી લે. ‘લિવિંગ વિથ મ્યુઝિક’ પ્રોગ્રામમાં તેઓ એની તાલીમ આપતા.

પંડિત રાજન-સાજન મિશ્રા સાડાત્રણસો વર્ષ પુરાણી ખ્યાલ ગાયકીની વર્તમાન કડી છે. ‘ખ્યાલ ગાયકી અધ્યાત્મ સાથે જોડાયેલી છે. પણ તેને વર્ણવવા હું એક જ શબ્દ વાપરું – ઈમેજિનેશન. ચાર લીટીના વર્ણનને રાગના સ્વરૂપની સીમા જાળવીને અસીમ બનાવનારી નિપુણ કલ્પના હોય ત્યારે ખ્યાલ સિદ્ધ થાય. લગના ચાહિયે જૈસે પ્રકૃતિ અપને પંખ ફૈલાકર સ્વરો કે સમંદર પર લહરા રહી હો …’

પ્રકૃતિ પાંખ ફેલાવી સ્વરસમુદ્ર પર લહેરાતી હોવાનો અનુભવ ફિલ્મી ગીત આપી શકે? હા, જો એ ગીતો ફિલ્મ ‘સૂર સંગમ’નાં હોય અને જો તેને ગાનાર પં. રાજન-સાજન મિશ્રા હોય તો. પણ વિખ્યાત તેલુગુ એપિક ફિલ્મ ‘શંકરાભરણમ્‌’ પરથી હિંદીમાં બનેલી, ‘શંકરાભરણમ્‌’ ક્લાસિક ફિલ્મ તરીકે વખણાઈ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પામી. ‘સૂર સંગમ’ પણ એટલી જ ઉત્કૃષ્ટ ફિલ્મ હતી. પણ એનો વાંક એટલો કે તે હિંદી ફિલ્મોના હિમ્મતવાલા પ્રકારની ફિલ્મોના દોરમાં રિલિઝ થઈ અને ટિપિકલ રોમેન્ટિક, એકશન કે મનોરંજક પ્રકારમાં બંધ ન બેઠી. આ ફિલ્મ અને પં. રાજન-સાજન મિશ્રાએ ગાયેલાં એનાં ગીતો આજે પણ એક જુદી દુનિયામાં લઈ જવા સક્ષમ છે.

‘સૂર સંગમ’ના સંગીતને જ સાધના, ઉપાસના, સ્વયં ઈશ્વર સમજતા પંડિત શિવશંકર શાસ્ત્રી (ગિરિશ કર્નાડ) ગાય છે, ‘હરિ અનંત હરિરૂપ અનંતા કૈસે કોઈ ધ્યાવે, રાગરાગની કે સૂર સૂરમેં હરિ નિજ રૂપ દિખાયા, ઘટ મેં ગૂંજા નાદ નિરંતર, જ્યોત જલી અંતર મેં, સૌ સૂરજ કે ઉજિયાલે મેં મૈંને મુઝકો પાયા’ સંગીતના આ દિવ્ય-ભવ્ય વારસાને બદલાતા જતા સમયમાં કોણ ઝીલી શકશે એ શાસ્ત્રીજીની ચિંતા છે. એક નૃત્યાંગના તુલસી (જયા પ્રદા) ચૂપચાપ શાસ્ત્રીજીને પૂજે છે. પોતે દૂર રહે છે, પણ નાનકડા દીકરાને શાસ્ત્રીજીની સેવામાં મોકલે છે. દીકરો ગુરુપરંપરાને શોભાવે એવી શ્રદ્ધાભક્તિથી સેવા કરે છે, શીખે છે અને ફિલ્મના અંતે શાસ્ત્રીજીનો સાચો વારસ સિદ્ધ થાય છે.

‘સૂર સંગમ’નાં ગીતો અને સંવાદો વસંત દેવે લખ્યાં હતાં. સંગીતકાર હતા લક્ષ્મીકાંત-પ્યારેલાલ. એક એક્થી ચડિયાતાં બધાં જ ગીતો પંડિત રાજન-સાજન મિશ્રાએ ગાયાં હતાં. ગીતો પણ કેવાં, જાણે શાસ્ત્રીજીના મુખે પંડિત રાજન-સાજન મિશ્રાની જ જીવનભાવના વ્યક્ત ન થતી હોય : ‘હે શિવશંકર, હે કરુણાકર, પરમાનંદ મહેશ્વર, મેરે ભીતર તુમ ગાતે હો સુન લો તુમ અપના યે સ્વર’, ‘નાદ છિપા તન મે, લય મન મેં, કોઈ બતા ન પાવે, ચાંદ સૂરજ કા લોચન ગુરુ કા, દેખે ઔર દિખાવે’, ‘આયે સૂર કે પંછી આયે, અંબર કે ઓમકાર નાદ કી ગુંજ સુનાતે આયે’ ‘સૂર કા હૈ સોપાન સુરીલા, અમર લોક લે જાયે, જહાં પહૂંચ કર મન કા સારા દૂજાપન મિટ જાયે’ એક એક ગીત, તેના શબ્દો-ભાવો અને તેની શાસ્ત્રીય ખૂબીઓ પર એકથી વધારે લેખો થઈ શકે. એ વર્ષનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ફિલ્મફેર અવૉર્ડ વસંત દેવને મળ્યો ખરો, પણ તે આ ગીતો માટે નહીં, ‘મન ક્યોં બહકા રે બહકા આધી રાત કો’ માટે. લક્ષ્મી-પ્યારે સંગીતકાર તરીકે નૉમિનેટ થયા. આ સિવાય ફિલ્મ ક્યાં ય દેખાઈ નહીં.

ખેર, ગ્લેમર વિશ્વમાં તો આ બધું ચાલવાનું. આપણે કલાવિશ્વમાં આવીએ. પં. રાજન-સાજન મિશ્રા ગુરુપરંપરાને ખૂબ મહત્ત્વ આપે છે. પંદરવીસ વર્ષ સાધના કરે ત્યારે શિષ્ય તૈયાર થાય છે. 18 વર્ષથી દહેરાદૂનમાં તેઓ ‘વિરામ’ ગુરુકુલ ચલાવે છે. ‘સંગીત આજે વ્યાવસાયિક બન્યું છે. કન્ઝ્યુમર કલ્ચરનો વધતો પ્રભાવ સંગીતમાં પણ દેખાય એ દુ:ખદાયી તો છે, પણ અમને પૂરી આશા છે. શાસ્ત્રીય સંગીત એમ મરશે નહીં, સંગીતના કેટલા ય પ્રકારો-પ્રવાહો આવ્યા અને ગયા, પણ શાસ્ત્રીય સંગીતની અમૃતધારા લીલીછમ વહેતી રહી છે, કેમ કે તેનો સંબંધ પ્રકૃતિ સાથે, મનુષ્યત્વ સાથે, પરમ તત્ત્વ સાથે છે.’ 

‘સાધ રે મન સૂર કો સાધ રે, એક મન કો દૂસરે સે બાંધ રે … મન યહી તૂ ધ્યાન રખ, સૂર કી સહી પહચાન રખ, તૂ રહે યા ન રહે પર સૂર રહે આબાદ રે …’ આ બુલંદ તાન એમના ચાહકોના અસ્તિત્વમાં હંમેશાં ગુંજતી રહેશે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઍપ્રિલ 2023

Loading

નિરંજન ભગત મંત્રકવિતાના વધૈયા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|17 May 2023

ભગત સાહેબ લાંબું જીવ્યા, પણ અપ્રસ્તુત ન બન્યા. સહેજે પાંચ–છ દાયકા અમદાવાદના બૌદ્ધિક જીવનમાં હર નવી પેઢી સાથે એ વિગતખચીત વાગ્મિતા અને વિશ્વ સાહિત્યના પ્રવાહોએ સંકળાયેલા રહ્યા

કવિ નિરંજન ભગત આપણી વચ્ચે હોત, આવતી કાલે (18 મેના રોજ) એમણે સત્તાણું વરસ પૂરાં કર્યાં હોત. બસ, હવે ત્રણ જ વરસ, અને આપણે એમની શતાબ્દી ઊજવતાં હોઈશું. કવિ લાંબું જીવ્યા, 1926થી 2018, એટલે કે ખાસાં બાણું વરસ.

નિરંજન ભગત

દીર્ઘાયુના કેટલાક અભિશાપ હોય છે. વયમાં વધતા જવું અને અપ્રસ્તુત થતા જવું, એવા ય કિસ્સા આપણે જોયા છે. ભગત સાહેબ લાંબું જીવ્યા, પણ અપ્રસ્તુત ન બન્યા. સહેજે પાંચ-છ દાયકા અમદાવાદના બૌદ્ધિક જીવનમાં હર નવી પેઢી સાથે એ વિગતખચીત વાગ્મિતા અને વિશ્વ સાહિત્યના પ્રવાહોએ સંકળાયેલા રહ્યા. એલ.ડી., લો આર્ટ્સ, બી.ડી., ઝેવિયર્સ કોલેજોમાં વિધિસરના અધ્યાપન નિમિત્તે કે ટાઉન હોલ-હેવમોર અગર તો સફાયર હાઉસ કે પછી સાહિત્ય પરિષદની મંગળવારીમાં, બધે બધો વખત કવિ ને કવિતાને મિશે સિવિલાઈઝેશનલ ફલક પર સ્વાધ્યાયપ્રત હૃદયવાર્તા માંડતા નિરંજન અમર્ત્ય સેનના ‘આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન’ અને ભીખુ પારેખના ‘ડિબેટિંગ ઈન્ડિયા’ વચ્ચે ક્યાંક ઊભીને જે હંમેશ કરતા રહ્યા એ વાતો શેની ને કોની હતી, વારુ? જેને એમણે મંત્રકવિતા કહી, એની ગોઠડી જ ઘણુંખરું તો એ હતી.

સહેજસાજ એમની કવિતાની વાત કરીએ તો બને કે આ વાનું ઊઘડતું આવે. આપણા આ કવિ-અધ્યાપક માંડ તેવીસેકના હશે અને ‘છંદોલય’ લઈને આવ્યા, 1949માં. (બાય ધ વે, ‘છંદોલય’માં બચુભાઈ રાવતે જે લિપિવિધાન ને મરોડ આપ્યાં એના પર રામ મનોહર લોહિયા વારી ગયા હતા. દેશ આખામાં નાગરી લિપિ આ ધાટીએ પ્રયોજાવી જોઈએ, એવું એમણે કહ્યું હતું.) વળતે વરસે, 1950માં, કવિ ‘કિન્નરી’ લઈને આવ્યા. પણ એમનો જે વિશેષ પ્રગટ્યો, અને તે પણ નિ:શેષ, એ તો 1946થી 1956ના ગાળામાં વરસોવરસ મુંબઈની ખેપ સાથે બની આવેલી ‘પ્રવાલદ્વીપ’ રચનાઓથી. મહાનગર મુંબઈએ પ્રેરિત-પ્લાવિત આ કાવ્યો ‘હાલો ને ગામડે જાંઈ’ એવાં ત્રીસીનાં વર્ષોના મુગ્ધ ભાવનાવાદથી મુક્ત એવી નગરચેતનાનાં હતાં.

‘છંદોલય’ અને ‘કિન્નરી’થી ઉફરાટે ‘પ્રવાલદ્વીપ’ ને ‘અલ્પવિરામ’ નગરચેતનાને કારણે નિ:શંક એક નવઉઘાડ હતો. કવિના બાળપણનું અમદાવાદ ધુમાડો ઓકતી મિલોનું હતું તો શુભ્ર સૂતરના તારની ઔદ્યોગિક સભ્યતાનુંયે હતું. આ તાર પાછો ગાંધીચરખે કંતાતો આવતો તો એ નોંધીએ તો મિલો જેનું પ્રતિનિધિત્વ કરતી હતી એ યંત્ર અને રેંટિયાની પૂંઠે રહેલ મંત્ર, બેઉની સહોપસ્થિતિ તરત સમજાય છે.

વાત જો યંત્રની અને મંત્રની છે તો કવિએ એના સમાધાન સારુ તંત્રનુંયે ચિંતવન કરેલું છે. 1975માં પચાસ વરસની પરિણત વયે નિરંજન ભગતે રણજિતરામ સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ એ વ્યાખ્યાનમાં વર્તમાનની ભોંયે ઊભી વિગતને સિંહનજરનો લાભ આપી અનાગતની ચર્ચાનાં ઈંગિત કીધાં છે. યંત્ર ઔદ્યોગિક સભ્યતાએ ભયાવહ એવા વાસ્તવ સાથે આપણને મુખોમુખ કરેલા છે. એના સ્વીકાર પડકારમાંથી પસાર થઈ નિજનું સંશોધન પામેલી જે કવિતા આવશે, કવિ એને મંત્રકવિતા કહે છે.

યંત્ર મંત્ર તંત્રની આ જદ્દોજહદમાં નિરંજનને જડેલો જવાબ ‘નગર’ છે. નગર કહેતાં એમને અભિપ્રેત અને અભીષ્ટ એક એવું સંઘજીવન છે જેમાં વ્યવસ્થા છે. એક જ શબ્દમાં કહેવું હોય તો નગર એટલે ઓર્ડર : ઓર્ડર. એટલે શું તો કહે – ટુ એરેન્જ, ટુ માર્શલ, ટુ ઓર્ગેનાઈઝ, ટુ સિસ્ટમેટાઈઝ, ટુ મેથોડાઈઝ. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુમાત્ર એના યોગ્ય સ્થાને પરસ્પરના સમ્યક સંબંધપૂર્વક હોય એવી જે સુશ્લિષ્ટ આયોજના તે નગર.

એમની પહેલી પચીસીની એક મુગ્ધ રચનામાં ‘વ્રજ વિણ રે સૌ અડવું!’ એવી દયારામ પરંપરાની પંક્તિ ઊતરી આવી છે. પણ દયારામનું વ્રજ કહેતાં જે નિસર્ગ છે, ફ્લોરા ને ફોના છે, એનું જે ઉબડખાબડ સૌંદર્ય છે, એ નિરંજનનું નથી. નિરંજન વૈષ્ણવ નથી. નાગર છે, નગરમાં રહે છે એથી, ને નગર કેવું હોવું જોઈએ એની એક સમજ છે એથી પણ.

નાગરિકતાની આ હક્ક અદાયગી, ભલે એ ઉમાશંકરની જેમ જાહેર જીવનના કવિ નહીં તો પણ, એમણે સિવિલાઈઝેશનલ ચર્ચાઓમાં યથાપ્રસંગ સ્ટેન્ડ લઈને કરી. જરૂર કરી. હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં કામ તમારું કે મારું કરવા આવ્યો છું, એવો કવિમિજાજ હોતે છતે એમનો નગરબોધ પ્રસંગે પ્રગટ થતો રહ્યો.

એ કેવું ભર્યું જીવન જીવ્યા એનો સાક્ષાત્કાર કાકાસાહેબ જેને પરમ સખા મૃત્યુ કહે છે એને ભેટતી છેલ્લી ક્ષણોમાં થયો, 2018માં. પરિષદની કાર્યસમિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન ચર્ચાતો હતો. એકાણું-બાણુંના નિરંજન એ લાંબા કલાકો સળંગ બેસવાનું ટાળત તો જરૂર સમજી શકાય એવું હતું. પણ આપણે સમજીએ તે પોતાને સારુ પરબારુ સ્વીકારી શકે તો ભગતસાહેબ શાના. એમણે દાક્તરી ડહાપણ રેઢું મેલી ધરાર દરમ્યાન થવું પસંદ કર્યું.

શું ચાલતું હશે ત્યારે એમના મનમાં? ઉમાશંકરે ગુજરાત સાહિત્ય અકાદમીનું સન્માન સવિનય નકારતાં સ્વાયત્તતાની જરૂરત ઘૂંટી હતી ત્યાંથી માંડીને દર્શકે અકાદમીને સ્વાયત્ત કરવા સબબ એમની ને સાથીઓ સાથે જે ચર્ચાઓ કરી હશે એ બધું – અને મારા ભેરુબંધો આટલું સમજતા કેમ નહીં હોય એવો અવસાદ પણ.

સૌથી વધુ તો કદાચ ‘પ્રાન્તિક’ના રવીન્દ્રકાવ્યોનું અનુરણન ચાલતું હશે. રવીન્દ્રનાથ પંચોતેરેકના હતા ત્યારે એક સાંજે વાત કરતા અચાનક બેભાન થઈ ગયા અને ખાસા બે દિવસે મૃત્યુની ડેલીએ હાથ દઈ પાછા આવ્યા. તે ગાળાની અનુભૂતિનાં કાવ્યો એ ‘પ્રાન્તિક.’ ઉમાશંકરે આ કાવ્યોનું વિવરણ કરતા ભરીબંદૂક લખ્યું છે કે શ્વાસ ચાલે છે ત્યાં સુધી સત્‌-અસત્‌ના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ એ પ્રતીતિ આગળ ‘પ્રાન્તિક’ અટકે છે.

ગમે તેમ પણ, કવિએ તો સ્વાયત્તતા માટેની પ્રતિબદ્ધતાએ કરીને મૃત્યુ વહોરીને જીવી જાણ્યું : એ ક્યાં એકે કામ મારું કે તમારું કરવા આવ્યા હતા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 મે 2023

Loading

વચલી જ્ઞાતિઓનાં અનુલોમ-વિલોમની વાસ્તવિકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2023

માઇસોર નરસિંહાચાર શ્રીનિવાસ

એમ.એન. શ્રીનિવાસ ભારતનાં પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી હતા. તેમણે ૧૯૫૨માં સાંસ્કૃતિકરણની થિયરી આગળ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં પછાત જાતિઓ (વચલી જાતિઓ અને હિન્દીમાં પ્રચલિત શબ્દ મજલી જાતિઓ) હિંદુ નિસરણી ઉપર પોતાને બે-પાંચ પગથિયાં ઉપર ચડાવવા માટે પોતાનું સાંસ્કૃતિકરણ કરે છે અર્થાત તેમને પછાત ગણાવતા રીતિરિવાજોને છોડીને ઉપરને પગથિયે ઉજળિયાતોનાં રીતિરિવાજ અપનાવે છે. (સલામતી ખાતર જ્યાં પણ મન પ્રશ્ન કરે ત્યાં ‘કહેવાતા’ એવો એક શબ્દ ઉમેરી દેવો. મને પણ અનેક જગ્યાએ કહેવાતા શબ્દ અભિપ્રેત છે.) તેમનાં બાપદાદાનું નામ કરસન હતું, પણ હવે તેઓ પોતાનાં સંતાનનું નામ કરસનની જગ્યાએ કૃષ્ણ રાખે છે.

બીજી બાજુ ૧૯મી સદીમાં સાંસ્કૃતિકરણની જગ્યાએ વિકૃતિકરણની ઘટનાઓ પણ બની છે. ત્યારે બ્રાહ્મણોમાં વિધવાવિવાહ પ્રતિબંધિત હતો અને પછાત જાતિઓમાં વિધવા સ્ત્રીનાં પુનર્લગ્ન કરવામાં આવતાં હતાં. કેટલીક વચલી જ્ઞાતિઓ (સાવ પછાત નહીં એવી, પણ સવર્ણ પણ નહીં.) એ પોતાને ઉપર ઊઠાવવા વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ બે પાટલીની ધોતી પહેરવા લાગ્યા હતા, વગેરે.

ત્રીજી વાત, ભારતમાં બ્રાહ્મણોની સ્થિતિ એવી છે કે તેઓ ઈચ્છે તો પણ નીચે ઊતરી શકતા નથી અને દલિતો ઈચ્છે તો પણ ઉપર ચડી શકતા નથી. માટે બાકીની જ્ઞાતિઓને વચલી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર બ્રાહ્મણ અને દલિતોનું જ સ્થાન નિશ્ચિત અને અપરિવર્તીય છે. તેઓ પોતાનાં સ્થાનનું ઉપર કે નીચે અનુલોમ-વિલોમ કરી શકતા નથી, બાકીની જ્ઞાતિઓ કરી શકે છે.

આ વચલી જ્ઞાતિઓનાં અનુલોમ-વિલોમની વાસ્તવિકતાને નજર સામે રાખશો તો ધ્યાનમાં આવશે કે સાંસ્કૃતિકરણને અને વિકૃતિકરણને વિચાર, સભ્યતા, આધુનિકતા સાથે કોઈ સંબંધ નથી; માત્ર અને માત્ર લાભ સાથે સંબંધ છે. જેના જેવા બનવાથી લાભ મળતો હોય તો તેમના જેવું બનવાનું. ૧૯મી સદીમાં બ્રાહ્મણ જેવા બનવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધવાનો લાભ મળતો હતો અને અત્યારે બે પગથિયાં નીચે ઊતરવાથી અનામતનો લાભ મળે છે. બધા પોતાને પછાત કહેવડાવવા લાગ્યા છે. હમ ભી ડીચની માફક હમ ભી પછાત. પાટીદારો કહે છે અમે પછાત, મરાઠાઓ કહે છે અમે પછાત, રાજસ્થાનમાં મિણાઓ કહે છે અમે પછાત, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જાટો કહે છે અમે પછાત. લગભગ સંપૂર્ણ આર્થિક અને રાજકીય વર્ચસ ધરાવનારાઓ કહે છે અમે પછાત. બ્રાહ્મણો પોતાને પછાત જાહેર કરી શકતા એ વાતની તેઓ પીડા અને અસૂયા અનુભવે છે. માટે તેઓ અનામતની જોગવાઈનો જ વિરોધ કરે છે અને કહે છે કે અનામતનો આધાર આર્થિક પછાતપણાનો હોવો જોઈએ.

હવે મણિપુર જઈએ જ્યાં મણિપુરની મૈતી કોમ ઈચ્છે છે કે તેમને અનુસૂચિત આદિવાસી કોમ તરીકેની માન્યતા આપવામાં આવે. આવું તેઓ શા માટે ઈચ્છે છે? શિક્ષણ અને નોકરી માટે નહીં, એની તો તેમને ચિંતા જ નથી કારણ કે તેમાં તો તેઓ અગ્રેસર છે, પણ જંગલમાં જમીન ખરીદવા માટે. મણિપુરમાં આર્ટીકલ ૩૭૧ હેઠળ જંગલમાં જમીન જંગલમાં રહેતા આદિવાસીઓ સિવાય કોઈ માલિકીહક ધરાવી શકે નહીં. કાશ્મીરનો આર્ટીકલ ૩૭૦ અને આ ૩૭૧. વિશેષ જોગવાઈ માત્ર કાશ્મીરને જ આપવામાં આવી છે એવું નથી.

મણિપુરમાં મૈતીઓની વસ્તી ૫૩ ટકા છે, પણ તેઓ મેદાનમાં રહે છે એટલે તેઓ મણિપુરની કુલ જમીનમાં માત્ર દસ ટકાનો જ હિસ્સો ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મણિપુરની દસ ટકા ભૂમિમાં મણિપુરની વસ્તીના અડધા કરતાં વધુ સંખ્યામાં મૈતીઓ વસે છે અને ૯૦ ટકા ભૂમિમાં અડધા કરતાં પણ ઓછી અન્ય આદિવાસી કોમ વસે છે. આ વાત મૈતીઓને ખટકે છે. તેમની નજર જંગલજમીન ઉપર છે. જો આદિવાસી હોવાનો દરજ્જો મળે તો જંગલમાં જમીન ખરીદી શકાય.

મણિપુરના બહુમતી મૈતીઓ વૈષ્ણવ હિંદુ છે. ચૈતન્ય મહાપ્રભુના ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનાં સંપર્કમાં મૈતીઓ ચાર સદી પહેલાં આવ્યા હતા. આને કારણે તેમનું પ્રચલિત અર્થમાં સાંસ્કૃતિકરણ થયું છે. મણિપુરની ભાષા મૈતી છે જેને આજકાલ મણિપુરી તરીકે ઓળખાવવામાં આવે છે. મૈતી ભાષાની લિપિ છે. મૈતી ભાષાસુધાર આંદોલન ચાલી રહ્યું છે. મણિપુરી નૃત્ય વિષે તો તમે જાણતા જ હશો. આઝાદી પહેલાં મૈતીઓએ અન્ય ભારતની રિયાસતોની માફક પ્રજાપરિષદની સ્થાપના કરી હતી અને મૈતી રાજા સામે આંદોલન કરીને માગણી કરવામાં આવી હતી કે રિયાસતમાં લોકતંત્ર દાખલ કરવામાં આવે. શાળા, શિક્ષણ, રાજકારણ, અર્થકારણ એમ દરેક મોરચે મૈતી અગ્રેસર છે. જો કોઈ દરેક બાબતે હાંસિયામાં છે તો એ પહાડોમાં વસતા આદિવાસીઓ છે. મૈતીઓને જંગલમાં ઘૂસવું છે અને જંગલજમીન ઉપર કબજો કરવો છે. ભારતનાં બીજા કોઈ પણ વૈષ્ણવ સાથે એક પંક્તિએ બેસી શકે એવા કહેવાતા સુસંસ્કૃત મૈતી વૈષ્ણવોને આદિવાસી બનવું છે. કારણ કે મેદાની મણિપુરમાં ગોકુળ નાનું પડે છે અને સમૃદ્ધિ, વર્ચસ તેમ જ ચાલાકી ધરાવનારા વૈષ્ણવો ભરપૂર છે.

એ વાત સાચી છે કે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંપર્કમાં આવ્યા પહેલાં મૈતીઓ પણ એક આદિવાસી અથવા વાંશિક કબીલાઈ કોમ જ હતી. પણ છેલ્લાં ત્રણસો ચારસો વરસ દરમ્યાન ચૈતન્યપ્રણિત વૈષ્ણવ ભક્તિ આંદોલનનાં સંપર્કમાં આવ્યા પછી તેમને આદિવાસી કહેવા મુશ્કેલ છે. અને વળી આદિવાસીઓને આખરે “આપણાં જેવાં” બનાવવાનો તો અનામત અને બીજી વિશેષ જોગવાઈ આપવા પાછલનો હેતુ છે. હવે મૈતીઓ કહે છે કે અમારે પાછા આદિવાસી બનવું છે જે આમ તો અમે હતા જ.

ભારતમાં આવો લાભલક્ષી અનુલોમ વિલોમનો ખેલ અનેક દાયકાઓથી ચાલી રહ્યો છે. ભારતનાં શાસકો આ જાણે છે એટલે અત્યાર સુધી હળવે હલેસે કામ લેતા હતા. ખાસ કરીને ઇશાન ભારતનાં સરહદી રાજ્યોમાં તો વિશેષ સાવધાની રાખતા હતા. પણ વર્તમાન હિન્દુત્વવાદી સરકાર ઇચ્છે છે કે પ્રશિષ્ટ હિન્દુઓ ખ્રિસ્તીબહુલ આદિવાસીઓનાં જંગલમાં પ્રવેશે અને જમીન ઉપર કબજો કરે. એટલે તો મણિપુરનાં તોફાનોમાં ૬૫ જણનાં મૃત્યુ થયાં હોવા છતાં પણ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવામાં મશગૂલ છે. આ ખતરનાક ખેલ છે અને અનુલોમ વિલોમનું રાજકારણ તો આગ સાથે રમત રમવા જેવું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 મે 2023

Loading

...102030...1,1371,1381,1391,140...1,1501,1601,170...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved