Opinion Magazine
Number of visits: 9458228
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2023

ચંદુ મહેરિયા

૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ આ વરસે યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની બી.જે.પી. સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્ય મંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. બી.જે.પી.ના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ વરસના જૂનમાં આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભા.જ.પા. તરફથી મતદાનથી બી.જે.પી.એ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડા પ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું છે. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુ પર રાખીને પેટા ચૂંટણીનાં પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તર પ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય.

૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમિયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજ્ય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એકથી ચૌદ લોકસભાના આશરે ૭,૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.

સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી મુસ્લિમોમાં કોટિક્રમ કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટા ભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે.

મસૂદ આલમ ફતાહીના “હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન”, અય્યૂબ રાયનના “ભારત કે દલિત મુસલમાન” જેવાં પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઇન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓ.બી.સી. સંગઠન અને ઓલ ઇન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે.

બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા. ૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો ઘરવિહોણા હતા.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭,૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો.

ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે. બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે.

ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌદ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.

ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “થોટ્સ ઓન પાકિસ્તાન”માં જણાવ્યું  છે કે, “મુસલમાનો એવું અનુભવતા જ નથી કે આ (પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે. તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય એ દૃષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ.

ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે. ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગેલેલિયો અમારો અને ગાય – ગોબર તમારાં

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2023

ईमाँ मुझे रोके है जो खींचे है मुझे कुफ्र

काबा मेरे पीछे है कलीसा मेरे आगे

રમેશ ઓઝા

૧૯મી સદીમાં થયેલા મહાન ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબનો આ શકવર્તી શેર છે. તેમના સમયનું રેખાંકન કરનારી લાંબી કવિતાની આ બે પંક્તિ છે જેમાં ગાલિબ તેમના સમકાલીન મુસલમાનોની મન:સ્થિતિ વિષે કહે છે: ધર્મશ્રદ્ધા મને રોકીને રાખે છે જ્યારે કુફ્ર (ઇસ્લામ જેણે કબૂલ નથી કર્યો એવા લોકો, ઇસ્લામમાં નિ:શંક શ્રદ્ધા નહીં રાખનારાઓ, નાસ્તિકો, શંકા તેમ જ પ્રશ્ન કરનારાઓ) મને પોતાના તરફ ખેંચે છે અને હું ખેંચાઉં છું. કાબા મારી પાછળ છે એટલે કે ઇસ્લામની શ્રદ્ધાજન્ય પરંપરાઓ મારી પાછળ છે અને કલીસા (ચર્ચ) મારી આગળ છે. અહીં ચર્ચ શબ્દ ઈસાઈ ધર્મના અર્થમાં નથી, પણ પ્રતિકરૂપે છે. હું માનું છું એનાથી અલગ રીતે વિચારનારાઓ, દુનિયાને જોનારાઓ અને જીવનારાઓ.

હવે થોડી પૃષ્ઠભૂમિ. મિર્ઝા ગાલિબનો જન્મ આગરામાં ઈ.સ. ૧૭૯૭માં થયો હતો અને મૃત્યુ દિલ્હીમાં ૧૮૬૯માં થયું હતું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે ગાલિબનો સમય મુસલમાનોની પડતીનો સમય હતો અને જ્યારે પડતી થાય ત્યારે માણસ વધારે ધાર્મિક, વધારે અંધશ્રદ્ધાળુ, વધારે દુનિયાથી કપાયેલો, જૂની જાહોજલાલીની યાદોમાં રાચનારો અતીતરાગી, વર્તમાનની વરવી વાસ્તવિકતાઓ તરફથી મોઢું ફેરવી લેનારો, બીજાને પોતાનાં દુઃખો માટે દોષી ઠેરવીને રૂદન કરનારો, વેવલો, સતત તારણહારની શોધમાં ફાંફા મારનારો બનવા લાગે છે. ગાલિબના સમયમાં મુસ્લિમ મન:સ્થિતિ કાંઈક આવી હતી. દેખીતી રીતે ધર્મગુરુઓ અને ધર્મનું રાજકારણ કરનારાઓ મુસલમાનોની આવી  મન:સ્થિતિનો ઉપયોગ કરતા હતા. બીજી બાજુ પોતાના વિષે, પોતાની પરંપરા વિષે, પોતાની ધાર્મિક માન્યતાઓ વિષે પ્રશ્ન કરનારાઓ, સમયને ઓળખનારાઓ, જૂની નકામી ચીજોને છોડનારાઓ અને અને નવી કામની ચીજોને અપનાવનારાઓ આગળ જતા હતા અને ભવિષ્યના ભારતમાં પોતાની જગ્યા બનાવતા હતા. કોણ હતા એ? જવાબ દેખીતો છે; હિંદુઓ. હિંદુઓએ વિચારવાનું, શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, આગળ જોવાનું, પશ્ચિમ પાસેથી શીખવાનું, છોડવાનું-અપનાવવાનું શરૂ કરી દીધું છે અને ગાલિબ કહે છે એ બધું મને ખેંચે છે આકર્ષે છે. એ માર્ગે દોટ મુકવાનું મન થાય છે. કાબા (ઇસ્લામિક માન્યતાઓ) મારી પાછળ છે અને ભવિષ્ય મારી આગળ છે. 

આજે ભારતમાં સરેરાશ હિંદુ માનસિકતા ૧૮મી-૧૯મી સદીના મુસલમાનો જેવી છે. તેમને રાજી રાખવા માટે દુનિયા માને કે ન માને, પણ સ્વયં ઘોષણા કરી દેવામાં આવી છે કે ભારત વિશ્વગુરુ છે. આખા જગતે ભારત પાસેથી શીખવાનું છે. પણ હવે વિશ્વગુરુએ જાહેરાત કરી છે કે વિશ્વગુરુ મ્લેચ્છોને ગુરુ બનાવીને તેમની પાસે ભણશે. વિદેશનાં પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયો ભારતમાં આવીને ગુરુકૂળ સ્થાપી શકે છે અને વિશ્વગુરુને ભણાવી શકે છે.

આવું શા માટે કરવામાં આવ્યું હશે? ગાલિબની જેમ ભક્તરાજોનાં પ્રશ્ન મનમાં પેદા થાય છે ખરો? નહીં થતો હોય અને એ વાતની મને ખાતરી છે. 

વિશ્વગુરુએ વિદેશીઓ પાસે ભણવાનો નિર્ણય લીધો એનાં બે કારણો છે. એક છે ધંધો. શિક્ષણનો ધંધો ખૂબ મોટો છે અને ઝડપથી વધી રહ્યો છે. ૨૦૨૧ની સાલમાં વિશ્વમાં શિક્ષણનો ધંધો ૨,૮૮૨.૫૨ અબજ ડોલર્સનો હતો જે ૨૦૨૨માં વધીને ૩,૧૮૪.૪૫ અબજ ડોલર્સનો થયો. ધંધાનો વૃદ્ધિ દર થયો ૧૦.૫ ટકાનો. કયા ધંધામાં આટલી બરકત છે? વળી ધંધો પણ એવો કે નાપાસ થાય તો વિદ્યાર્થી જવાબદાર અને જો પાસ થાય તો જશ ભણાવનારાનો. ભારતમાં શિક્ષણનો ધંધો કરનારાઓ અને હવે પછી કરવા માગનારાઓને નવું ઓપનીંગ જોઈએ છે જે હાર્વડ અને વોર્ટનનાં બ્રેન્ડ નેમ આપી શકે છે. આઇ.આઇ.ટી., જે.એન.યુ. જેવી વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવાનારી આપણી પોતાની શિક્ષણસંસ્થાઓને ખતમ કરી નાખો કારણ કે એમાં ધંધો થઈ શકે એમ નથી અને એનાથી પણ મોટું કારણ એ કે એમાંથી કનૈયાકુમાર જેવા ગરીબ કુટુંબના છોકરા પેદા થાય છે જે વિચારે છે અને પ્રશ્નો કરે છે. અસ્મિતાઓનું રાજકારણ કરનારા શાસકોને વિચારનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓ પરવડતા નથી. મીડિયોકર માસ્તરોની ભરતી કરીને આઇ.આઇ.ટી., જે.એન.યુ.નું સ્તર એટલી હદે નીચે લઈ જવાનું જ્યાં ભક્તોને ભણ્યા વિના વિશ્વગુરુ હોવાની સુવાણ મળે. તેમને બિચારાઓને આનાથી વધુ કાંઈ જોઈતું પણ નથી. પરમ સંતોષી છે.

પણ બધા હિંદુ આ પ્રકારના નથી. આ બીજું કારણ છે. હિંદુઓનો એક નાનકડો વગદાર ભદ્રવર્ગ છે જેની પાસે ખૂબ પૈસા છે, સારી જગ્યાએ ગોઠવાયેલા છે, પોતાનાં સંતાનો માટે ભવિષ્યમાં હજુ વધારે મોટી જગ્યા બનાવવા માગે છે અને એ માટે તેમને ઉપયોગી નીવડે એવું (શું કહીશું, સાચું ધોરણસરનું) શિક્ષણ જોઈએ છે. આ એવો વર્ગ છે જે હિંદુ મહાનતાનાં ડાકલાં તો વગાડે છે, પણ પોતાનાં સંતાનોને એનાથી બહાર રાખે છે. એમાં સંઘ-સુતોના સંતાનોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી આઇ.આઇ.ટી., જે.એન.યુ. જેવી શિક્ષણસંસ્થાઓ તેમની પાસે હતી, પણ હવે તેનું દેશભક્તોને પેદા કરવા માટે રૂપાંતરણ થઈ રહ્યું છે એટલે એ વિકલ્પ બચ્યો નથી. તેઓ પોતાનાં સંતાનોને એવી શિક્ષણસંસ્થામાં ભણાવવા માંગે છે જ્યાં ધોરણસરનું શિક્ષણ આપવામાં આવતું હોય, જ્યાં વિચારતા, શંકા કરતા અને પ્રશ્ન પૂછતા શીખવાડાતું હોય અને ઉપરથી શિક્ષણસંસ્થાનું બ્રેન્ડ વેલ્યુ પણ હોય; રહી વાત પૈસાની તો એની તો કોઈ કમી નથી ભલે ગમે તેટલું મોંઘુ હોય. વળી મોંઘુ હોવું જરૂરી છે કે જેથી કનૈયા કુમાર તો શું, મધ્યમવર્ગના લોકોને પણ એ ગજા બહાર લાગે.

તો ખેલ એવો છે કે જેઓ શિક્ષણનો ધંધો કરવા માગે છે તેમને એજ્યુકેશન સેક્ટર ખોલી આપવામાં આવ્યું છે, જે સુખી સંપન્ન અને વગદાર લોકો છે તેમને માટે મધ્યમવર્ગીય જ્યાં ક્યારે ય પહોંચી ન શકે એવી અલાયદી શિક્ષણસંસ્થાઓ ઉપલબ્ધ કરાવી આપી છે અને જ્યાં ગરીબ અને મધ્યમવર્ગીય પહોંચે છે તેવી શિક્ષણસંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે. વળી મજાની વાત એ છે કે ધંધાર્થીઓ અને એલિટ એજ્યુકેશનના લાભાર્થીઓ સાથે સાથે ઓળખના રાજકારણને પોષે પણ છે.

કેવી મજેદાર વહેંચણી છે નહીં! ગેલેલિયો અમારો અને ગાય અને ગોબર તમારાં. (ગેલેલિયો નામનો સોળમી સદીમાં થયેલો એક વિજ્ઞાની હતો જેણે વિચાર કર્યો, પ્રશ્ન કર્યો અને કહ્યું હતું કે પૃથ્વી સપાટ નથી ગોળ છે અને સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. આમ કહેવા માટે તેને ચર્ચે એટલે કે ઈસાઈ ધર્મના ઠેકેદારોએ સજા કરી હતી) ગણપતિના ધડ ઉપર હાથીનું મસ્તક સાંધીને જગતમાં પહેલી પ્લાસ્ટિક સર્જરી વિશ્વગુરુએ કરી હતી એનું શિક્ષણ ગરીબ અને મધ્યમવર્ગીય હિંદુઓને આપવામાં આવશે. પણ એ પાછું સાર્વત્રિક નહીં હોય. ખાસ ખાસ લોકોનાં સંતાનો વિશ્વગુરુની જગ્યાએ વિદ્યાર્થી બનીને ગેલેલિયો ભણશે અને જીવનમાં આગળ વધશે અને હજુ વધારે મોટી જગ્યા બનાવશે.

ફરી એક વાર ગાલિબનો શેર વાંચો અને તમારી મન:સ્થિતિ તપાસો. તમે તમારાં સંતાનોને ટીપીને નવો આકાર આપી શકાય એવો ઘણ આપવા માગો છો કે આરતી ઉતારનારી ઘંટી? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2023

Loading

ભારતમાં રાજ્યોની પુનર્રચના-પડકારો અને ઉકેલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 January 2023

ચંદુ મહેરિયા

બ્રિટિશરોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે દેશમાં ચાર પ્રકારના ઘટક રાજ્યો અસ્તિત્વમાં હતા : “અ”વર્ગના નવ (૯) રાજ્યોમાં પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ અને મુંબઈનો સમાવેશ થતો હતો. મધ્ય ભારત, મૈસુર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, પતિયાલા (’પેપ્સુ’, ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન) અને કોચીન-ત્રાવણકોર એ સાત (૭) “બ” વર્ગના રાજ્યો હતા. આ સાત રાજ્યો દેશી રજવાડા કે તેના એકમો હતા. દિલ્હી, કચ્છ, મણિપુર, દુર્ગ, ત્રિપુરા, અજમેર, વિલાસપુર, ભોપાલ, હિમાચલ પ્રદેશ અને વિંધ્ય પ્રદેશ એ દસ (૧૦) ટચૂકડા વિસ્તારો “ક”વર્ગમાં મુકાયા હતા. આંદામાન-નિકોબાર કેન્દ્રશાસિત “ડ” વર્ગમાં હતું.

આ ચાર પ્રકારના ઘટક રાજ્યોનો દરજ્જો અને અધિકારો સમાન નહોતા. તેમનું માળખું યોગ્ય રીતે ગોઠવાયું નહોતું. અંગ્રેજ અમલ દરમિયાન પણ રાજ્યોનું માળખું અવ્યવસ્થિત હતું. પ્રાદેશિક સીમાઓ એક સરખા, ચોક્કસ અને તર્કબદ્ધ કારણોથી નક્કી કરવામાં આવી નહોતી.

માત્ર ભાષાના મુદ્દે પણ આ રાજ્યોનો વહીવટ ખૂબ મુશ્કેલ હતો. બેઈલી નામના અંગ્રેજ કલેકટરે ઈ.સ. ૧૮૫૭માં નોંધ્યું હતું કે બંગાળ પ્રાંતના બ્રિટિશ અફસરોને બંગાળી, અસમિયા, હિંદી અને ઉડિયા જેવી ચાર ભાષાઓ આવડતી હોય તો જ તે સુગમ રીતે વહીવટ કરી શકે અને લોકસંપર્ક સાધી શકે. 

ગાંધીજી અને કાઁગ્રેસ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવાના હિમાયતી હતા. ગાંધીજીએ લખ્યું છે કે “હું માનું છું કે પ્રાંતોની રચના ભાષાવાર કરવી એ જ ખરું ધોરણ છે. કાઁગ્રેસના કામ માટે પ્રાંતોની ભાષાવાર નવેસર વહેંચણીને કાઁગ્રેસ તરફથી મંજૂરી મેળવી આપવામાં મુખ્યત્વે કરીને મારો હાથ હતો.” (ગાંધીજીનો અક્ષરદેહ, ભાગ-૭૫, પૃષ્ઠ-૪૩૧) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯માં કાઁગ્રેસની પ્રાંતિય શાખાઓ ભાષાના ધોરણે સ્થાપી હતી. ૧૯૩૭ અને ૧૯૪૩માં આઝાદી મળશે કે તરત જ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરાશે તેવું વચન દેશની જનતાને કાઁગ્રેસે આપ્યું હતું.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન જ રાજ્યોની રચના ભાષાના ધોરણે થવી જોઈએ તેવી માંગણી બળવત્તર બની હતી. ઈ.સ. ૧૮૯૫માં બિહાર અને ઓરિસ્સાને વિભાજિત કરીને અલગ ઉડિયા રાજ્યનું આંદોલન, ઉડિયા રાષ્ટ્રવાદ અને ઉડિયા ભાષાના મુદ્દે થયું હતું અને ૧૯૩૬માં અલગ રાજ્ય મેળવ્યું હતું. તેલુગુભાષી વિસ્તારની અલગ કાઁગ્રેસ પ્રાંતિય શાખા પૂર્વે “આંધ્ર મહાસભા”એ ઈ.સ. ૧૯૦૯માં અલગ આંધ્રની માગણી કરી હતી.

કાઁગ્રેસે ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીની રચના કરી હતી. તેણે વસ્તી, ભાષા, લોકભાવના, ભૌગોલિક અને આર્થિક સ્થિતિને રાજ્ય રચનાનો આધાર માન્યો હતો. ૧૯૪૭માં આઝાદી મળી પરંતુ દેશના ધર્મના આધારે ભાગલા પડ્યા. એટલે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ભાષાના ધોરણે રાજ્યોની રચનાના પક્ષે નહોતા. સરદાર પટેલ પણ એવો જ મત ધરાવતા હતા. ૧૯૪૮માં સરકારે નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે ધરના નેતૃત્વમાં પ્રાંતિય ભાષા કમિશનની રચના કરી પંચે છ જ મહિનામાં સરકારના વિચારો જેવી જ ભલામણો કરતો અહેવાલ આપ્યો. પંચે ભાષાના આધારે રાજ્યોની માંગણી નકારી હતી. પંચનું માનવું હતું કે લોકોની લાગણી ભાષાવાર રાજ્યોની રચના સાથે જોડાયેલી છે, પરંતુ તે દેશહિતમાં નથી. કાઁગ્રેસે પણ તે પછીના તેના જયપુર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાની સમિતિ બનાવી હતી. સમિતિએ અસરગ્રસ્તરાજ્યોના લોકોની ભાવના, આપસી સહમતિ, આર્થિક અને વહીવટી વ્યવહાર્યતાને ધ્યાનમાં રાખીને જ  ભાષાના આધારે રાજ્યોની રચના કરવા પર ભાર મૂક્યો હતો.

ઈ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલી બન્યા પછી બંધારણના અનુચ્છેદ ૩માં સંસદને રાજ્યોના વિસ્તારમાં ફેરફારની સત્તા આપતી જોગવાઈ કરવામાં આવી હતી. રાજનીતિશાસ્ત્રના વિદ્વાનો આ જોગવાઈને સમવાયતંત્રના સ્વીકૃત સિદ્ધાંત વિરુદ્ધની ગણાવે છે.

સ્વતંત્રતા પછી તરત જ ભાષાકીય ધોરણે રાજ્યોની રચનાની માંગણી જોર પકડવા લાગી હતી. અનેક રાજ્યોમાં આ માટેના આંદોલનો શરૂ થયા. તેમાં આંધ્ર, પંજાબ અને ગુજરાતના આંદોલનો પ્રમુખ હતા. પંડિત નહેરુ ભાષાના ધોરણે આંધ્ર કે ગુજરાતની રચના અંગે સહેજ પણ સંમત નહોતા. આખા દેશમાં તેમના ચૂંટણી પ્રવચનોમાં તેઓ ભાષા કે ભાષાવાર રાજ્ય રચના વિશે એક શબ્દ પણ બોલતા નહોતા. ૧૯૫૨માં પહેલી સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં તો કાઁગ્રેસને જંગી બહુમતી મળી પરંતુ મદ્રાસની ધારાસભાની ચૂંટણીમાં તેને ૧૪૫માંથી માત્ર ૪૩ જ બેઠકો મળી હતી. એટલો પ્રભાવ ભાષાવાર રાજ્ય રચનાના આંદોલનનો હતો.

મદ્રાસના તેલુગુભાષી રાજ્યોનું અલગ આંધ્ર રાજ્ય રચવા માટેનું આંદોલન કાઁગ્રેસી આગેવાન શ્રીરામુલુ પોટ્ટીના આમરણ અનશન સાથે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હતું. ઉપવાસ દરમિયાન જ અઠ્ઠાવનમા દિવસે તેમનું મૃત્યુ થયું. અને તેના પગલે હિંસા ફાટી નીકળી. આ આંદોલનના પડઘા આખા દેશમાં પડ્યા. ૧૫મી ડિસેમ્બર ૧૯૫૨માં શ્રીરામલુ પોટ્ટીનું  અવસાન થયું તેના બે દિવસ પછી જ વડા પ્રધાન નહેરુએ આંધ્રના અલગ રાજ્યની માંગણી સ્વીકારવી પડી હતી. અને ૧૯૫૩માં આંધ્રના અલગ રાજ્યની રચના કરવી પડી હતી. પહેલી ઓકટોબર ૧૯૫૩ના રોજ મદ્રાસ રાજ્યના ૧૧ ઉત્તરી તેલુગુભાષી  જિલ્લાઓને છૂટા પાડીને આંધ્ર પ્રદેશનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

અલગ આંધ્રની રચના પછી કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૧૯૫૩માં “રાજ્ય પુનર્રચના પંચ”ની રચના કરી હતી. ન્યાયમૂર્તિ ફઝલ અલી, પંડિત હ્રદયનાથ કુંઝરુ અને સરદાર કે.એમ. પણિકરના બનેલા આ પંચે ભાષાકીય એકતા, વહીવટી સુગમતા, આર્થિક વિકાસની જરૂરિયાત, સાંસ્કૃતિક સમાનતા અને લઘુમતીઓનાં હિતોનું રક્ષણ જેવા માપદંડોને આધારે સપ્ટેમ્બર ૧૯૫૫માં રાજ્યોની પુનર્રચના કરવા અંગે અહેવાલ આપ્યો હતો.  ફઝલ અલી પંચે રાજ્યોના અ,બ,ક  અને ડ જેવા જૂથો અને ભેદભાવ નાબૂદ કરવા સૂચવ્યું હતું. પંચે નવેસરથી ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવા ભલામણ કરી હતી. અનેક ચર્ચા વિચારણાઓ બાદ ૧૯૫૬માં સંસદે રાજ્ય પુનર્રચના અધિનિયમ પસાર કર્યો હતો. તે મુજબ આંધ્ર, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ-કશ્મીર, કેરળ, મધ્ય પ્રદેશ, મદ્રાસ, મૈસુર, ઉડિયા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ ૧૪ રાજ્યો તથા આંદામાન –નિકોબાર, દિલ્હી, મણિપુર, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને લક્ષદીપ એ ૬ કેન્દ્રશાસિત પ્રદેશોની ભાષાના ધોરણે રચના કરવામાં આવી હતી.

૧૯૫૬માં ભાષાવાર રાજ્યોની રચના કરવા છતાં અસંતોષ અને અન્યાયની લાગણી સાથે નવા રાજ્યોની માંગણી ચાલુ રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવાની ચળવળ ઉગ્ર બની. અંતે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્ર એવા બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. ડિસેમ્બર ૧૯૬૧માં ફિરંગીઓના ત્રણ થાણા દીવ, દમણ અને ગોવાને જોડીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ૧૯૬૩માં નાગાલેન્ડ, ૧૯૬૬માં પંજાબમાંથી પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરા તથા ૧૯૮૭માં મિઝોરમ રાજ્યો બન્યાં હતા. ૧૯૮૭માં અરુણાચલ પ્રદેશ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યો બનાવાયા હતા. ૨૦૦૦ના વરસમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ – એ ત્રણ રાજ્યો અનુક્રમે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારનું વિભાજન કરીને રચવામાં આવ્યા હતા. ૨૦૧૪ના વરસમાં આંધ્રનું વિભાજન કરીને તેલંગાણા અને આંધ્રના બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા હતા.

જમ્મુ-કશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી પછી તેને રાજ્યને બદલે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરતાં આજે દેશમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો છે. ભાષાની દૃષ્ટિએ તો આ રાજ્યોની ભાષાઓ – હિંદી, અંગ્રેજી, તેલુગુ, અસમિયા, મિઝો, કોંકણી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, મણિપુરી, ઉડિયા, પંજાબી, તમિલ, ત્રિપુરી, બંગાળી અને સાંથાલી છે. સૌથી વધુ ૧૦ રાજ્યોની ભાષા હિંદી છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોની ભાષા અંગ્રેજી છે. તેલંગાણાની ભાષા તેલુગુ અને ઉર્દૂ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ચાર ભાષાઓ(બંગાળી, ઉર્દૂ, હિંદી અને સંથાલી)નું ચલણ છે.

“ઈન્ડિયા આફટર ગાંધી”માં ઇતિહાસવિદ્દ રામચન્દ્ર ગુહા “ભાષાવાર રાજ્યરચનાને કારણે દેશનું સમવાય માળખુ મજબૂત થયાનું” જણાવે છે. ગાંધીજી પણ ભાષાવાર રાજ્યોને ભારતની સાંસ્કૃતિક પ્રગતિનો માર્ગ. અને દેશને જોડનારી મજબૂત કડી માનતા હતા.

ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષા અર્થાત જે તે પ્રદેશમાં બોલાતી ભાષા પરથી રાજ્યની રચના કરવી કે જે તે રાજ્યની રાજભાષા નક્કી કરવી તે સવાલ રહે છે. આરંભે ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. પરંતુ ૨૦૦૦ અને ૨૦૧૪માં રચાયેલા ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણા તો સમાનભાષી રાજ્યોમાંથી વિકાસ કે પછાતપણાના કારણે વિભાજિત થઈને રચાયેલા રાજ્યો છે. એટલે માત્ર ભાષાના ધોરણે રાજ્ય રચનાનો સિદ્ધાંત  સંપૂર્ણ સાચો નથી. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,1371,1381,1391,140...1,1501,1601,170...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved