Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાંચને ન આવે આંચ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2025

રવીન્દ્ર પારેખ

આ દેશમાં અનેક કામો વિકાસના થયા છે ને વિશ્વમાં તે ચોથી ઈકોનોમી તરીકે પંકાઈ રહ્યો હોય તો તેની પણ ના નથી. ભલે 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાઈ રહ્યું હોય ને છતાં, દેશમાં અત્યંત ગરીબોની ટકાવારી ઘટી હોય, તો તેનોય વાંધો નથી. દુશ્મન દેશને થોડી મિનિટોમાં જ આ દેશનાં સૈન્યે ધોળે દિવસે તારા દેખાડી દીધા હોય તો તે પણ કબૂલ, પણ દેશ ધાર્મિક, સામાજિક અંધશ્રદ્ધાનો વધુ ને વધુ શિકાર થઈ રહ્યો છે તે અંગે વિચારવાનું રહે જ છે. લગ્ન અને લગ્નેતર સંબંધોને કારણે આત્મહત્યા ને હત્યાનું પ્રમાણ જે રીતે વકરતું આવે છે, તે સામાજિક સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉપજાવનારું છે. આખો દેશ પરસ્પર હિંસક આક્રમણની છૂપી તૈયારીમાં લાગ્યો હોય એવું પણ લાગે છે. એ ઓછું હોય તેમ દેશમાં, રાજ્યમાં અનેક સ્તરે ચાલતો ભ્રષ્ટાચાર નફફટાઈ અને નિર્લજ્જતાને આંટી જાય એવો છે.

24 ઓકટોબર, 2024ને રોજ વેરાવળ-પાટણની સંયુક્ત મ્યુનિસિપાલિટીના પૂર્વ પ્રમુખે, વર્તમાન ચીફ ઓફિસરને લખેલ પત્રમાં થોડી આવી લાઈનો લખેલી, ‘… સાથે સાથે જે ગત વર્ષે 1 કરોડના કામો મંજૂર થયેલ હતા તેમ 4 કરોડ 25 લાખના કરી નાખવામાં આવેલ હતા. જેમાં કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવેલ હતી નહીં. આ 4 કરોડ 25 લાખના કામો માં જે જે રસ્તા રીપેર કરવામાં આવ્યા હતા તે રસ્તા પણ હાલ તૂટી ગયા છે જે ખૂબ ગંભીર બાબત કહેવાય જે રસ્તાના ગત વર્ષે કામો કરવામાં આવ્યાં હતા તે કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે. ગત વર્ષે થયેલ રસ્તાના કામો તપાસી તે કોન્ટ્રાકટર પાસે તાત્કાલિક તે રસ્તા રીપેર કરાવવામાં આવે અને તે કોન્ટ્રાકટર ને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેની માંગણી મૂકી રહ્યો છું.’

પત્રની લખાવટમાં ન પડીએ કે તે લખવાનાં કારણોમાં ન પડીએ તો પણ, વેરાવળ-પાટણ ઉપરાંત રાજ્યમાં અને દેશમાં રસ્તાઓ તૂટવાના ને બંધાઈ રહેલા પુલો તૂટવાના અનેક કિસ્સાઓ મીડિયામાં આવી ચૂક્યા છે ને તે આખરી નથી. બહુ દૂર ન જવું હોય તો બે’ક વર્ષ પર મોરબીનો ખુલ્લો મુકાયેલ પુલ જળાશાયી થયો તે ઘટનાને પણ ભ્રષ્ટાચાર સંદર્ભે યાદ કરી શકાય અને પૂર્ણ વિરામ તો ત્યાં પણ આવતું નથી. ક્યાંક ને ક્યાંક એ ઘટમાળ ન જ ચાલતી હોય એમ માનવાને કોઈ કારણ નથી.

CJI ભલે કહે કે ન્યાયપાલિકા ન્યાયિક આતંકવાદથી બચે, પણ ન્યાયતંત્ર સામે પણ ઘણા સવાલો છે તે ભૂલવા જેવુ નથી. એ ખરું કે ન્યાયિક સક્રિયતા અનિવાર્ય છે, પણ તે એ હદે ન વધવી જોઈએ કે ન્યાયિક આતંકવાદનું રૂપ લઈ લે. એ સાચું છે, પણ ન્યાયતંત્ર સામે આંગળી ચીંધાય એવું પણ થયું જ છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વર્માના લુટિયન્સ દિલ્હી સ્થિત ઘરમાં 14 માર્ચની રાત્રે આગ લાગી ને તેમના સ્ટોર રૂમમાંથી 500-500ની નોટોનાં સળગતાં બંડલો મળી આવ્યાં. તેમની સામે તત્કાલીન CJIએ તપાસ સમિતિ મૂકી. સમિતિને જસ્ટિસ વર્મા સામેના આક્ષેપો સાચા લાગ્યા ને તેમને દોષી ઠેરવવામાં આવ્યા. તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું જેનો તેમણે ઇનકાર કર્યો ને હવે તેમને મહાભિયોગથી દૂર કરવા સુધી વાત આવી છે. એ પણ છે કે મહાભિયોગના નિર્ણય સુધી આવ્યા પછી પણ નથી તો જસ્ટિસ વર્માએ ફોડ પાડ્યો કે નથી તો તપાસ સમિતિએ ખુલાસો કર્યો કે કરોડોનાં બંડલો સ્ટોરરૂમ સુધી પહોંચ્યા કઈ રીતે? જસ્ટિસ વર્મા તો કહે છે કે એ બંડલો તેમને ફસાવવા કોઈકે મૂક્યા છે. જો એવું હોય તો તપાસ સમિતિએ એ વાત ધ્યાને લીધી હતી કે કેમ? લાગે છે તો એવું કે સમિતિએ એ માની લીધું છે કે એ બંડલો જસ્ટિસ વર્માના જ હતા. એમ ન હોય તો સમિતિ પાસે જસ્ટિસ વર્માને દોષી ઠેરવવાનું કારણ જ કયું છે? એનું પણ આશ્ચર્ય જ છે કે પોતે મહાભિયોગ સુધી પહોંચવા તૈયાર છે, પણ એ બંડલો અંગે જસ્ટિસ વર્મા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એ પણ છે કે જો બંડલો જસ્ટિસ વર્માનાં જ હોય તો તે તેમની પાસે ભ્રષ્ટાચાર વગર આવ્યાં હોવાનું મુશ્કેલ છે.

લાગે છે તો એવું કે ભ્રષ્ટાચાર ને લાંચ રૂશ્વત કેટલાક સરકારી અધિકારીઓનાં લોહીમાં ઊતરી ગયાં છે. રાજસ્થાનનાં ઝુનઝુનુનો 11 જૂન, 2025નો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દોડતા સરકારી અધિકારી નરેન્દ્ર સિંહની પાછળ ACBનો અધિકારી પડ્યો છે ને સરકારી અધિકારીને ઝડપી લે છે. તે એટલે ઝડપે છે કે નરેન્દ્ર સિંહ 30,000ની લાંચ લેતા પકડાયો, તો ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. ACB અધિકારી પાછળ પડ્યો છે, એવું લાગતાં સરકારી અધિકારીએ હાથમાં પકડેલું લાંચનું બંડલ ખાલી પ્લોટમાં ફેંકી દીધું. જો કે, ACB અધિકારીએ તેને પકડી પાડ્યો હતો ને આ આખી ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ચૂકી હતી.

સરકારી ઓફિસોમાં લાંચ એ જાણે ફેશન બની ગઈ છે. ઓડિસા વિજિલન્સ ડિરેક્ટોરેટે કાલાહાંડી જિલ્લામાં તૈનાત 2021 બેચના એક આઇ.એ.એસ. અધિકારી ધીમન ચકમાને 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ધીમન ચકમા ધરમગઢના નાયબ કલેકટર તરીકે કાર્યરત છે. ચકમાએ એક વેપારી પાસેથી 20 લાખની લાંચ માંગી હતી. તેનો 10 લાખનો પહેલો હપ્તો તો ચૂકવાઈ ગયો હતો. બીજા હપ્તા માટે ધમકી અપાઈ હતી કે તે નહીં ચૂકવાય તો કાર્યવાહી થશે. આથી ત્રાસીને ઉદ્યોગપતિએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. ચકમાના ઘરે 8 જૂનને રવિવારે સઘન તપાસ કરતાં બીજી 47 લાખ જેટલી રોકડ મળી આવી હતી.

આ એક જ દાખલો છે. એવું નથી. ગયા એપ્રિલમાં અમદાવાદના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને, એન્ટિ કરપ્શન બ્યૂરો(ACB)એ છટકું ગોઠવીને 15 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. વિગતો એવી છે કે ફરિયાદીની ફેવરમાં કામ કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસેથી 30 લાખની લાંચ માંગવામાં આવી હતી. માર્ચ, 2025માં સુરતમાં રાજ્ય વેરા વિભાગમાં નીલેશ પટેલ નામના એક અધિકારી, એક વેપારીને મળવા પાત્ર રિફંડની રકમની કાર્યવાહી કરવાના બદલામાં, 15,000ની લાંચ લેતાં ACBએ પકડ્યા હતા.

આવા એકલદોકલ કિસ્સાઓ પૂરતી આ વાત નથી. ACBના 9 એકમનાં 76 સફળ ટ્રેપને લીધે છેલ્લા 4 મહિનામાં 109 સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ તો ગુજરાતનો જ ચાર મહિનાનો હિસાબ છે. સૌથી વધુ અધિકારીઓ, કર્મીઓ ગાંધીનગર અને અમદાવાદથી ઝડપાયા છે. આ ઉપરાંત નેતાઓ, મંત્રીઓનો ભ્રષ્ટાચાર છૂપો હોય છે, તે એકાએક ધ્યાને આવતો નથી. ગમે ત્યારે પગાર, ભથ્થાં વધારીને મબલખ આવક મેળવતા સાંસદો, મંત્રીઓ ડાબે હાથે પણ ઘણું ગજવે ઘાલતાં હોય છે. એવું નથી કે બધાં જ લાંચિયાંને ભ્રષ્ટાચારી છે. કોઈ કોઈ આ બધાંથી બચીને પણ ચાલે છે, પણ ઘણા વિકાસ પછી પણ આ દેશમાં લાંચરૂશ્વત, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એ હકીકત છે.

અહીં જે ઉદાહરણો લીધાં છે, એમાં જસ્ટિસથી લઈને નાના મોટા સરકારી અધિકારીઓ છે. તેમને સારાં એવાં પગાર-ભથ્થાં મળે છે, જેનો આંકડો લાખોમાં પડે છે. એમને મહિનાનો જેટલો પગાર મળે છે, એટલો તો ઘણાનો વાર્ષિક પગાર પણ નહીં હોય ! કોઈ ગરીબ માણસ પેટ પૂરવા થોડું ઘણું ખોટું કરે ને તે છીંડે ચડે તો સહેલાઈથી ચોર પુરવાર થઈ શકે છે, પણ લાખોમાં આળોટતા આ સરકારી માણસો લાંચ લેવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં પૂરા નિર્લજ્જ ને નિષ્ઠુર થઈ શકે છે. એમનાં બેશરમ મોઢાં લાખોનો કોળિયો કરી જાય છે ને ઓડકાર પણ નથી ખાતા. એને લીધે જે કામ થાય છે તેમાં જરા જેટલો પણ ભલીવાર હોતો નથી. તેમને પકડીને જેર કરનાર તંત્રોને સલામ કરવાની રહે. એનો આનદ છે કે ACB તેનું કાર્ય વફાદારીથી કરે છે, પણ કેટલા ય કિસ્સા એવા પણ હશે જે તેમની નજરે ન ચડાય તેની કાળજી રાખતા હશે ને એ સંખ્યા પણ નાનીસૂની નહીં જ હોય. ખરું તો એ છે કે સારો પગાર મેળવનાર અધિકારીઓ પોતે જ સમજીને લાંચ લેવાથી કે ભ્રષ્ટાચાર કરવાથી દૂર રહે, પણ તેવું થતું નથી ને એટલે જ તો ACBએ ફરજ બજાવવી પડે છે.

સાંભળ્યું તો એવું પણ છે કે ACB કે CBI પણ દૂધે ધોયેલ નથી, છતાં આટલા કેસ કરે છે ને લાંચ રૂશ્વત રોકવાની કોશિશ કરે છે તેની અવગણના થઈ શકે નહીં. એટલું સ્પષ્ટ છે કે આપણે તો આશ્વાસનોથી જ રાજી રહેવાનું છે. આવનારો સમય આશ્વસ્ત પણ ન થવા દે એમ બને –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જૂન 2025

Loading

અલવિદા સફારી …

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|15 June 2025

ત્રીસેક વર્ષ પહેલાં એક શિક્ષક ગેરહાજર હતા, એટલે એમના પીરિયડમાં શાળાની લાઇબ્રેરીમાં બેઠાં બેઠાં છાપાં – મેગેઝીન જોતી વખતે પ્રથમવાર ‘સફારી’ જોયું હતું. તેના મુખપૃષ્ઠ પર નજર પડતાં જ તેની ટેગલાઇન ‘બુદ્ધિશાળી બાળકોનું મેગેઝીન’ કંઇક અલગ જ લાગેલી. મેગેઝીન હાથમાં લઇ એમાંથી એક પીરિયડ દરમિયાન વાંચી શકાય એટલું વાંચેલું અને ખબર નહીં ત્યારે શું વિચાર્યું હશે પણ મેગેઝીનનું લવાજમ અને એ અંગેની વિગતો નોંધી લીધી હતી. શાળા છૂટ્યા પછી આ મેગેઝીન મનમાં અને એના લવાજમની વિગતો નોટબૂકમાં જ રહી ગયેલી. આ ઘટનાના ખાસા સમય પછી એકવાર પસ્તી લેનાર ભાઇ અમે રહેતા હતા એ સોસાયટીમાં આવ્યા, ત્યારે છાપાંની પસ્તી આપતી વખતે પપ્પા સાથે હું પણ ઊભેલો. ત્યારે પસ્તી ભરેલી લારીમાં ‘સફારી’ના થોડાક અંકો પણ હતા. મેં એ અંકો લેવાનું કહ્યું અને પપ્પાએ અંકો અપાવ્યા. ‘સફારી’ની આ (મારી ગણાય તો?!) પહેલી ખરીદી !

હાઇસ્કૂલના શિક્ષણ પછી કૉલેજનો અભ્યાસ વતન વડનગર પાસેના વીસનગર ખાતે કરવાનો થયો. વળી, વડનગરમાં પ્રમાણમાં સારી – સમૃદ્ધ ગણાય એવી લાઇબ્રેરી અને એના વિશાળ વાંચનાલયમાં છાપાં – મેગેઝીન વાંચવા માટે નિયમિત જવાનું થાય, એટલે ત્યાં અભિયાન, ચિત્રલેખા, નવનીત સમર્પણ, અખંડ આનંદ જેવાં મેગેઝીન સાથે સફારી વાંચવાનું નિયમિતપણે ચાલુ થયું. નવા નવા કૉલેજમાં આવેલા અને અભ્યાસક્રમ સિવાયનું (જ) વાંચવાનું ગમે એટલે ચંદ્રકાન્ત બક્ષી, ગુણવંત શાહની જે તીવ્ર અસર હતી એવી અને એટલી તીવ્ર અસર ‘સફારી’ની થઇ અને ‘સફારી’નો ડાયહાર્ડ ફેન બન્યો. પછી તો અપડાઉન કરતી વખતે દર મહિને બસસ્ટેશન પરના બૂકસ્ટૉલ પરથી સફારી ખરીદવાનું ચાલુ થયું. સફારી આવે પછી બે-ત્રણ દિવસમાં જ આખું વાંચી નાખું. કેટલાક લેખ બે વાર પણ વંચાય તેમ છતાં નવો અંક આવે નહીં ત્યાં સુધીના દિવસો રાહ જોવામાં જતા. આ સાથે સફારી દ્વારા બહાર પડતાં ‘વીસમી સદીની યાદગાર ઘટનાઓ’, ‘યુદ્ધ -71’, ‘જિંદગી જિંદગી’, ‘દુનિયાનાં પ્રાણી પંખીઓની દુનિયા’, ‘મોસાદનાં જાસૂસી મિશનો’, ‘કૉસ્મોસ’ વગેરે ખરીદીને વાંચવાનું બન્યું. સફારીનો જાદુ એવો હતો કે કૉલેજની પરીક્ષાના આગળના દિવસે પણ એના લેખો વાંચવાનું ટાળી શકાયું નથી. સફારી અને અન્ય વાચનમાં એટલો ગળાડૂબ કે કૉલેજની પરીક્ષામાં આવેલા નબળા પરિણામનું ઠીકરું ઘરના સભ્યોએ મારી સાથે સફારી પર પણ ફોડેલું. સાથે સાથે કલેક્શનમાં ન હોય એવા સફારીના જૂના અંકો ખરીદવાનું ચાલુ થયું. સફારીના જૂના અંકો અપ્રાપ્ય હોય એવું બનવું સામાન્ય છે. એટલે જ્યાંથી મળે ત્યાંથી અંકો ભેગા કર્યા છે, એ એટલે સુધી કે નોકરી અર્થે નાના ગામડામાં રહેવાનું બન્યું કે જ્યાંથી તાલુકા મથક 45 કિલોમીટર દૂર હોય ત્યારે પણ યાદ રાખીને ‘સફારી’ મેળવ્યું છે. અને આજે પણ સંગ્રહમાં અપ્રાપ્ય એવા વીસેક અંકો સિવાય તમામ અંકો અને એનાં વિવિધ પ્રકાશનો છે.

આ બધી વિગતો મારો ‘હું’ બતાવવા કરતાં ‘સફારી’ કેટલું પ્રિય હતું તે દર્શાવવા લખી છે.

સફારીએ વર્ષો સુધી જ્ઞાન વિજ્ઞાનની રોમાંચક સફર કરાવી છે. (અ) મારી વાંચન રુચિ ઘડવામાં એનો ઘણો મોટો ફાળો છે. જીવવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે સફારીમાં આવતી કેટલીયે વિગતોએ મદદ કરી છે તો શિક્ષક તરીકેની તાલીમ દરમિયાન અને શરૂઆતમાં શિક્ષક તરીકેની નોકરી દરમિયાન એનો વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કર્યો છે.

સમય જતાં વાંચનની ક્ષિતિજો વિસ્તરતાં જેમ એક સમયના પ્રિય લેખકોના લેખન વિશે પ્રશ્નો થવા લાગ્યા અને એમની ભૂરકી દૂર થઇ એ જ બાબતો ‘સફારી’ સાથે પણ બની. સફારીની ટેગલાઇન પણ હવે ‘બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝીન’ થઇ હતી. હવે મુગ્ધ વાંચનની સાથે સાથે મનમાં પ્રશ્નો પણ ઉદ્ભવવા લાગ્યા હતા. ખાસ તો (બીજા ઘણા મિત્રો એ લખ્યું છે તેમ) ગાંધી- નહેરુ વિશે એક જ બાજુ દર્શાવતાં, તેમની લીટી નાની કરતાં, એમના પ્રત્યે ઘૃણા, અભાવ જન્માવે તેવાં લખાણો. ગોડસે વિશે લખતી વખતે જણાઇ આવતો સૉફ્ટ કૉર્નર, અને હીટલર તો જાણે ‘હીરો.’ કશ્મીર કે ઇઝરાયેલ જેવા ‘કૉમ્લેક્ષ’ પ્રશ્નો પરત્વે પણ એકદમ સામાન્યીકરણ કરીને થતું ચિત્રણ.આ વલણ સફારીમાં છપાયેલા કેટલાક લેખોનાં શીર્ષક પરથી પણ જાણી શકાય છે. દાત., ‘ભગતસિંહને બચાવવામાં ગાંધીજી મોડા પડ્યા કે મોળા પડ્યા.’, ‘પાકિસ્તાનને આપવાના પંચાવન કરોડનો પ્રશ્ન ગાંધીજી માટે પ્રાણઘાતક નીવડ્યો.’ કે આઝાદી અપાવવામાં ‘મુંબઇના નૌસેના બળવા’નો લેખ. આ સિવાય પણ ઘણાં ઉદાહરણ આપી શકાય એમ છે. પરંતુ, હકીકત જોઇએ તો ગાંધીજીની હત્યા માટે પાકિસ્તાનને આપવાના પંચાવન કરોડ તો ક્યાં ય ચિત્રમાં જ નહોતા. ગાંધીજીને મારવા માટે 1934થી સતત પ્રયત્નો ચાલતા હતા. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં જૂથ એ માટે જવાબદાર હતાં. પણ સફારી આ બધું ગપચાવીને ‘સિલેક્ટેડ વિગતો’ એવા પેકેજમાં રજૂ કરતું કે નવો વાંચનાર કે એક જ વાચન સ્રોતનો ઉપયોગ કરનાર વ્યક્તિ આવી ખોટી માહિતીને સાચી માની લે. ગુજરાતી વાચકોમાં ગાંધી-નહેરુ પ્રત્યે ઘૃણા અને હિટલર – ગોડસે પ્રત્યે સહાનુભૂતિ કે કેટલેક અંશે પ્રેમ જન્માવવવામાં સફારીનો ‘ફાળો’ નાનોસૂનો નથી. આ હકીકતો સફારીના યોગદાનને ઝાંખપ લગાવે છે. આ સિવાય તંત્રીલેખથી લઇને અંદર છપાતા લેખોમાં પણ પક્ષપાતભર્યું વલણ જોઇ શકાતું હતું.

છેલ્લાં ઘણાં વર્ષોથી સફારી તેની તાજગી ગુમાવી ચૂક્યું હતું. ‘ઑલ્ડ વાઇન ઇન ન્યુ બૉટલ’ની જેમ જૂના લેખો સામાન્ય ફેરફાર કરીને છાપવામાં આવતા હતા. એકવાર એક જૂનો લેખ તો નવા અંકમાં બેઠો છાપી મારવામાં આવ્યો ત્યારે એક જાગૃત વાચકે બંને લેખ મૂકીને ધ્યાન દોર્યું છતાં સ્વીકારભાવની જગ્યાએ બોદી દલીલો …. આવી ઘટનાઓના લીધે સફારીના ઘણા અંકોના છેલ્લા પેજ પર રેતીમાં મોં નાખીને ઊભેલા શાહમૃગવાળું ચિત્ર યાદ આવતું હતું. પહેલા – બીજા વિશ્વયુદ્ધના લેખો, મોસાદનાં પરાક્રમો, શસ્ત્રો વિશેની માહિતીની આસપાસ સફારી બંધાઇ ગયેલું લાગતું હતું.

છેલ્લા લગભગ પાંચેક વર્ષથી નગેન્દ્ર વિજય એકલા હાથે જ સફારી કાઢતા હતા. હર્ષલભાઇનું સફારીમાંથી છૂટા થવું એ સફારી માટે કારમો આઘાત હતો. વળી, મોબાઇલ – ઇન્ટરનેટના પ્રતાપે લોકોને એમાં પણ નવીપેઢીનો વાંચનમાં ઘટતો રસ, સર્ક્યુલેસનમાં થતો ઘટાડો, છાપકામની વધતી જતી કિંમતો એની સાથેના ખર્ચા એમ ઘણાંબધાં કારણો સફારીની સફરના અંત માટે જવાબદાર છે. છેલ્લાં સાત- આઠ વર્ષથી જે બૂકસ્ટૉલમાંથી સફારી ખરીદું છું ત્યાં સફારી લેવા જાઉં ત્યારે વિક્રેતા ઘણીવાર સફારી પ્રકાશિત થવાની અનિયમિતતા વિષે વાત કરતા ત્યારે એમને કહેતો કે હવે સફારી લાંબુ નહીં ખેંચે … અને અંતે એ જ બન્યું. આ વખતે પ્રકાશિત અંક નં.- 369 સફારીની સફરનો અંતિમ માઇલસ્ટોન છે. ઘણામિત્રોએ ‘સફારી’ના યોગદાન વિશે લખ્યું છે. ઘણામિત્રોએ તો ફંડીગ / લવાજમ દ્વારા સફારીને પુન:ચાલુ કરવાની વાત પણ મૂકી છે.

વર્ષો સુધી ‘સંસ્કૃતિ’ ચલાવ્યા પછી ઉમાશંકર જોશીએ જાતે જ એ બંધ કરેલું. એ સિવાય ‘નયામાર્ગ’, ‘નિરીક્ષક’ જેવાં વિચારપત્રો પણ એમના તંત્રી – સંપાદકોએ બંધ કર્યાં છે. સફારી પણ નગેન્દ્ર વિજયે જાતે જ બંધ કર્યું છે, હા, એના પાછળનું કારણ વાચકોની નિરસતા જણાવ્યું છે એ સૌએ વિચારવા જેવું છે. સફારી માટે નહીં પણ ઘટતા વાચનથી થતી અસરો માટે.

સફારીએ વર્ષો સુધી મનોરંજન સાથે જ્ઞાન – માહિતી પીરસ્યાં છે. ઉપર લખ્યું છે એમ મુગ્ધવાચન અવસ્થા પસાર કરી દીધા બાદ વૈચારિક રીતે એનાથી બહુ દૂરી કેળવી લીધી હતી. માહિતીવાન નાગરિક કરતાં અનબાયસ્ડ નાગરિક હોવું વધુ મહત્ત્વપૂર્ણ છે.

સફારીનો છેલ્લો અંક ‘Captains and kings of my generation departs’ની થોડી ફીલ કરાવે છે. સફારી બંધ થવાના સમાચાર સાંભળીને લાગણીઓના ઊભરા સમાઇ જાય એટલે, લગીર અટકીને થોડા દિવસ પછી આટલું લખ્યું. 

અલવિદા ‘સફારી’.

e.mail : viragsutariya@gmail.com

Loading

ડોનાલ્ડ ટ્રમ્પ નામે વંટોળિયોઃ તેની ઉચ્છૃંખલતા તેનું ઘર તો બાળે જ છે પણ સાથે વૈશ્વિક સંતુલન ખોરવાઇ રહ્યું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 June 2025

ટ્રમ્પનો રાજદ્વારી અભિગમ બહુ વ્યવહારિક – ઉપરછલ્લો છે તેમાં કોઈ ઊંડાણ નથી અને માટે ભારત અને યુ.એસ.એ. વચ્ચે લાંબા ગાળાનું, નક્કર પરિણામ લાવે તેવું જોડાણ થાય અને જળવાઇ રહે તેવી શક્યતાઓ પણ ઘટી રહી છે.  

ચિરંતના ભટ્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ ફાટી ફાટીને એવા ધુમાડે ગયા છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, એમના વિશે, એમની કામગીરી કહો તો એ અને કરતૂત કહો તો એ – એની વાત કર્યે જ છૂટકો. એક મ્હોં ફાટ, મનસ્વી રિપબ્લિકન પ્રતિનિધિ, પ્રમુખ બને પછી જે બેફામ નિર્ણયો લે ત્યારે શું વલે થાય તે આપણે જોઈ રહ્યા છીએ. તાજેતરમાં જ ટ્રમ્પે 2,700 જેટલા મિલિટરી પર્સનલના દળ, જેમાં નેશનલ ગાર્ડ ટ્રૂપ્સ અને મરીન્સનો પણ સમાવેશ થાય છે તેમને લોસ એન્જેલસમાં તૈનાત કર્યા. આ પગલું ટ્રમ્પની બીજી ઇનિંગનું સૌથી વધુ આક્રમક પગલું છે. શહેરને કથિત ‘માઇગ્રન્ટ્સ’ના મારાથી મુક્ત કરવા માટે ટ્રમ્પે આવું કર્યું હોવાનો તેમનો દાવો છે. માનવાધિકાર જૂથો અને લોસ એન્જલસના સ્થાનિક નેતાઓએ આ પગલાંની આકરી ટીકા કરી. ટ્રમ્પનુ આ વર્તન તેમની સરમુખત્યારશાહીનો પડઘો છે.  ડરનો માહોલ ખડો કરવો, લઘુમતીને રાક્ષસ તરીકે ચિતરવી અને પોતાની જાતને યુ.એસ.એ.ના તારણહારની માફક રજૂ કરવામાં ટ્રમ્પને જબર ફાવટ આવી ગઈ છે. જરા ય નવાઈની વાત નથી કે આ લશ્કરી વલણને પગલે 1,500થી વધુ શહેરોમાં ‘નો કિંગ્ઝ’ની ચળવળ છેડાઈ છે જે એક સરમુખત્યારશાહીનો વિરોધ દર્શાવે છે. 

ટ્રમ્પને તુમાખી બહુ છે. જે કરે છે એ પોતાના દેશ માટે કરે છેનું તેનું ગાણું અમુક વર્ગને ગમતું હશે પણ પોતે જે રસ્તો અપનાવે છે તેમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરના નેતા તરીકેની તેની છબી એવી ખરડાય છે કે ન પૂછો વાત. જૂન 2025માં કેનેડામાં G7 સમિટ થયું અને ત્યારે ટ્રમ્પ એકલા પડી ગયા હોવાનું દેખાઈ આવ્યું. સીધી વાત છે કે યુ.એસ.એ.ના પરંપરાગત સાથી રાષ્ટ્રોને ટ્રમ્પની અંધાધૂંધ ટેરિફ નીતિ અને વૈશ્વિક વાટા-ઘાટોમાં એક પક્ષીય કાપકૂપ માફક નથી આવી. માત્ર પોતાના દેશનો સ્વાર્થ જોવાને નામે ટ્રમ્પે અન્ય દેશો સાથે સંબંધો બગાડ્યા છે. એક સમયે કેનેડા અને યુ.એસ.એ.ની ભાગીદારી અડગ હતી, પણ જે કેનેડા એક સમયે 54 ટકા યુ.એસ.એ. તરફી હતો એ દેશ હવે માત્ર 34 ટકા યુ.એસ.એ. તરફી છે. ટ્રમ્પ આડી ફાટેલી સાસુ જેવું વર્તન કરે છે, અચાનક જ રાજદ્વારી વહેવારોમાં આડોડાઈ કરવાની તેમની ઇજારાશાહી હોય એમ લાગે. જેમ કે ક્લાઇમેટ સંબંધી ચર્ચાઓ છોડી દેવી અને વિદેશી નેતાઓનું અપમાન કરવા જેવા ટ્રમ્પના વહેવારથી G7 રાષ્ટ્રોએ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યા. અમેરિકાએ યુરોપનો વિશ્વાસ એટલીવાર તોડ્યો કે આ અવિશ્વસનીયતાથી કંટાળીને યુરોપે સંરક્ષણના સ્વાયત્ત માળખા તરફ કદમ ભરવાની શરૂઆત કરી દીધી છે. NATO પણ નબળું પડી રહ્યું છે. NATOની પ્રાસંગિકતા કેટલી એવો સવાલ યુ.એસ.એ.ના ડેપ્યુટી સેક્રેટરીએ પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો અને પછી તે ડિલીટ કરી નાખ્યો. આ કદાચ એવો સંકેત ગણી શકાય કે હવે અમેરિકા એ રાષ્ટ્ર નથી રહ્યું જેના હાથમાં બીજા વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સાચવવાનું સૂકાન હતું. હવે અમેરિકામાં એ ક્ષમતા અને સમજદારી નથી રહ્યાં. 

ટ્રમ્પ જે વિચાર્યા વગર વહેવાર કરે છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટી અસર પડી રહી છે. પ્યુ રિસર્ચે 24 દેશોમાં 28 હજાર લોકોમાં કરેલા એક સરવે અનુસાર 19 દેશો એવા છે જ્યાંની અડધાથી વધુ વસ્તીને ટ્રમ્પ પર રતી ભાર વિશ્વાસ નથી. આ લોકો ટ્રમ્પ માટે ઘમંડી, ખતરનાક અને અપ્રામાણિક જેવા શબ્દો વાપરે છે – આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ વિશે લોકોની માન્યતાઓ આ શબ્દોમાં સમાઈ જાય છે. યુનાઇટેડ કિંગ્ડમ અને જર્મની જેવા સાથી દેશો પર્યાવરણ, સાયબર સિક્યુરિટી અને વૈશ્વિક વ્યાપાર જેવા મુદ્દાઓને મામલે યુ.એસ.એ. કરતાં પોતાની સરકારો પર વધુ મદાર રાખતા થયા છે. કેનેડા, મેક્સિકો, જર્મની અને સ્વીડન જેવા દેશોમાં તો અમેરિકા પ્રત્યેનો અહોભાવ પાતાળલોકમાં ચાલ્યો ગયો છે. ઘર આંગણે એટલે કે અમેરિકામાં ટ્રમ્પના ચાહકો કરતાં વિરોધીઓનું પ્રમાણ વધારે છે. વિવિધ પોલ્સ અનુસાર ટ્રમ્પ તરફ નકારાત્મક વલણ ધરાવનારાઓ અમેરિકામાં જ લગભગ 53-56 ટકાની આસપાસ છે. ટ્રમ્પે જાહેર કરેલા અમુક ફરમાનો, સાંસ્કૃતિક યુદ્ધનું અમેરિકન સમાજમાં ખેલાતું રાજકારણ, એવી આર્થિક નીતિઓ જે માત્ર સાંભળવામાં સારી લાગે, અમલીકરણને મામલે જરાય ફાયદાકારક નથી. આ બધું જ તેમને પ્રત્યે નકારાત્મકતાને વેગ આપનારું સાબિત થયું છે. પરિણામે, અમેરિકન સમાજમાં ધ્રુવીકરણનાં મૂળિયાં ઊંડાં ઉતર્યાં છે તો સાથે પાયાના પ્રશ્નોને લઇને ચળવળો પણ છેડાઈ રહી છે – અમેરિકન સમાજનાં પોપડાં ઉખડી રહ્યાં છે. 2025માં ‘ન્યૂ યોર્ક ટાઇમ્સે’ કરેલા એક ઇન્ટરેક્ટિવ વિશ્લેષણમાં દેખાઇ આવે છે કે ટ્રમ્પને ગ્રામીણ અને નાના શહેરના મતદારોનો ટેકો છે પણ શહેરી અને ઉપનગરીય મતવિસ્તારો જેમાં સ્ત્રીઓ, લઘુમતી અને શિક્ષિત અમેરિકન્સ ડેમોક્રેટ્સ તરફ વળ્યા છે. મિશિનગ, પેન્સિલવેનિયા અને એરિઝોના જેવા રાજ્યો જ્યાં એક સમયે ટ્રમ્પ ઓછા મતે જીત્યા હતા ત્યાં હવે મતદારો ટ્રમ્પના ધ્રુવીકરણના કીમિયાઓથી કંટાળ્યા છે. ચૂંટણીમાં દેખાઈ આવેલી આ પેટર્ન ટ્રમ્પ શાસન હેઠળ સમાજના વિભાજનનું પ્રતિબિંબ છે. 

ટ્રમ્પને ‘અમેરિકા ફર્સ્ટ’ વાળું ગાણું બહુ ગાયું. જૂનની 12મી તારીખે યુ.એસ. હાઉસે ટ્રમ્પના વિદેશી સહાય ભંડોળમાંથી વૈશ્વિક આરોગ્ય માટેના કાર્યક્રમોમાંથી 9.4 બિલિયન ડૉલર કાપવાની પ્રસ્તાવને મંજૂરી આપી, તેમાંથી 900 મિલિયન ડૉલર્સ તો HIV-AIDS માટે કામ કરતા કાર્યક્રમોમાંથી કાપી લેવાની વાત થઇ. વળી યુ.એસ.એ.ના ફંડથી ચાલનારા બ્રોડકારસ્ટર્સને અપાતા ભંડોળમાં પણ કાપની જાહેરાત કરાઇ. વિકાસશીલ દેશોમાં જ્યાં અમેરિકા સોફ્ટ પાવર તરીકે હંમેશાં પોતાનો પ્રભાવ રાખનાર રાષ્ટ્ર હતો તે સન્માન અને પદ હવે આવાં પગલાંથી અમેરિકા પાસેથી છીનવાઇ જશે તે ચોક્કસ. બીજી તરફ ટ્રેડ વોર ચાલે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટ્રમ્પે ઝીંકેલા ટેરિફના સપાટામાં EU અને ભારત છે. ટેરિફનું તાંડવ ઓછું હોય તેમ ઉર્જાને લગતી નીતિઓ ઢંગધડા વગરની છે જ સપ્લાય ચેન ખોરવનારી છે. અમેરિકાના આવા વલણની સામે પોતાનો રસ્તો કાઢવા માટે અન્ય રાષ્ટ્રો ચીન અને EU સાથેના પોતાના સંબંધો ગાઢ બનાવી રહ્યા છે. 

ટ્રમ્પે સત્તા પર આવતા પહેલાં બહુ ફાંકા માર્યા હતા કે તે તરત જ રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષને અટકાવી દેશે. આ આખી વાત તેમની ચૂંટણી પ્રચારનો અગત્યનો હિસ્સો હતી. ટ્રમ્પે નકરા ફીફાં ખાંડ્યાં – અને અધૂરામાં પૂરું ઝેલન્સ્કી સાથે ઓવલ ઑફિસમાં જે મીટિંગ કરી તેની પણ આકરી નિંદા થઇ. યુ.એસ.એ.ની વિશ્વસનીયિતા અને યુદ્ધ અટકાવવાના દાવાની ગંભીરતા પર આખી દુનિયાને શંકા પેઠી. ટ્રમ્પે જે પણ કંઇ દાવા કરેલા એ બધા એળે ગયા. આ તરફ NATO સાથે જોડાયેલા દેશોમાં અંદર અંદર એકતા છે કે નહીં તેનો પણ પ્રશ્ન છે. યુક્રેન અને ચીનને મામલે ટ્રમ્પને શું કરવું તેની ગતાગમ નથી અને પોતે દ્વિધામાં છે તે દેખાઇ આવ્યું છે. NATOમાં જોડાયેલા સાથી રાષ્ટ્રો પણ આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે કારણ કે ટ્રમ્પના પ્રમુખપદ હેઠળના યુ.એસ.એ.ના પગ તળેથી જમીન ખસી રહી હોવા સંકેત સમયાંતરે મજબૂત બની રહ્યા છે. 

હવે આપણા દેશની વાત કરીએ તો મોદી અને ટ્રમ્પની દોસ્તી પર આપણે ત્યાં બહુ ઉત્સાહ દેખાડાયો છે. આપણો દેશ અમેરિકા માટે કે ચાવીરૂપ વ્યૂહાત્મક સાથી તરીકે જોવાયો છે. ટ્રમ્પના અણધાર્યા વહેવારોનો આંચકો ભારતને પણ લાગી જ રહ્યો છે. ભલે વેપાર અને સુરક્ષાના સંબંધો કાગળ પર મજબૂત લાગતા હોય પણ આંતરીક સ્તરે અમેરિકા પરનો આપણો એક રાષ્ટ્ર તરીકેનો વિશ્વાસ દિવસે દિવસે પાંખો થઇ રહ્યો છે. અણધારી વિઝા નીતિઓ, ટેરિફની ધમકીઓ, કાશ્મીર, ચીન અને યુક્રેન જેવા મુદ્દાઓ પર યુ.એસ.એ.ના ડગમગતા સમર્થનોને કારણે આપણી કેન્દ્ર સરકાર હવે સતર્ક થઇ ગઇ છે. પોતાના દેશનું ગાણું ગાનારા ટ્રમ્પ સ્વાભાવિક રીતે જ બહુપક્ષીય માળખાને નબળું પાડે છે જે ભારત, વૈશ્વિક વ્યાપાર, ક્લાઇમેટને લગતા પગલાં અને પ્રાદેશિક સંતુલન પર સીધી અસર કરે છે.  ટ્રમ્પનો રાજદ્વારી અભિગમ બહુ વ્યવહારિક – ઉપરછલ્લો છે તેમાં કોઈ ઊંડાણ નથી અને માટે ભારત અને યુ.એસ.એ. વચ્ચે લાંગા ગાળાનું, નક્કર પરિણામ લાવે તેવું જોડાણ થાય અને જળવાઇ રહે તેવી શક્યતાઓ પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં ભારત પોતાના રાજદ્વારી અભિગમમાં વિવિધતા લાવીને ગ્લોબલ સાઉથ અને ASEAN દેશો સાથે વધુ નજીકથી જોડાઈને કામ કરી રહ્યો છે. માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો મહાસત્તા ગણાતો દેશ હવે પહેલાં જેવો સ્થિર સાથી નહીં રહે તેવું આપણી કેન્દ્ર સરકાર સમજી ચૂકી છે.

આ બધાંની સાથે ટ્રમ્પ અને મસ્કના રોમાન્સ (બ્રોમાન્સ) અને બ્રેક-અપના ખેલ પણ ચાલ્યા કરે છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જે પણ ચાલ્યું છે તેમાં રાજકીય નેતૃત્વ અને મનોરંજનની ભેદરેખા સચવાઈ નથી. ઉદારવાદી ઝૂકાવ ધરાવાતા પ્રેક્ષકો માટે આ બધું જોણું બને તો વિદેશી નેતાઓ મૂંઝવાય – એક રાષ્ટ્રની સંસ્થાકીય ગંભીરતા, તેનું વજન, તેનો મોભો આવા બધા તાયફાને કારણે વૈશ્વિક મીડિયા શો જેવું લાગે અને તેનું મહત્ત્વ ઘટી જાય તે સ્વાભાવિક છે.

એક સમયે લોકશાહી શક્તિનો શિરમોર ગણાતો અમેરિકા દેશ હવે શંકા અને આશ્ચર્યની નજરોથી નાણવામાં આવે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યું છે, સાથી દેશો પોતાના દાવ ખેલી રહ્યા છે અને પોતાની પકડ મજબૂત રહે તેની તકેદારી રાખી રહ્યા છે. યુ.એસ.એ.નું સ્થાન વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર ક્ષેત્રોમાં હચમચી ગયું છે. એક સમયે બધી બાબતે યુ.એસ.એ.ની સલાહ માગવામાં આવતી પણ હવે ભલે તેને હળવાશથી નથી લેવાતો છતાં ય તેની પર બને એટલો ઓછો આધાર રાખવાની ગાંઠ તો ઘણાં દેશોએ વાળી છે. જેમ કે કેનેડા પોતાના વ્યાપારી સાર્વભૌમત્વને મજબૂત કરે છે અને યુ.એસ.એ.ના માલના બહિષ્કારને કેનેડિયન ગ્રાહકોમાં રોકવાની પહેલ પર પણ ધ્યાન આપી રહ્યો છે. યુરોપ હવે વોશિંગ્ટનથી સ્વતંત્ર રીતે પોતાની સંરક્ષણ અને વ્યાપારી પદ્ધતિઓ પર કામ કરે છે. જાપાન પણ આગવા સ્તરે સંરક્ષણ અને રાજદ્વારી સંપર્કો વિસ્તારે છે તો લેટિન અમેરિકા અને આફ્રિકા ચીન અને EUની આગેવાની હેઠળ પોતાની માળખાગત સુવિધાઓ અને રોકાણના પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહ્યા છે. આ વ્યૂહાત્મક ફેરફારો માત્ર હંગામી પ્રતિક્રિયાઓ નથી બલ્કે હવે વૈશ્વિક સ્તરે યુ.એસ.એ.ને બાયપાસ કરીને નવા જોડાણોની કેડી કંડારાઇ રહી છે. 

બાય ધી વેઃ 

ટ્રમ્પના નેતૃત્વની પ્રકૃતિ અણધારી, નાટકીય અને અલગાવવાદી છે – વૈશ્વિક સ્તરે એક સમયે યુ.એસ.એ.ના નેતૃત્વમાં રહેલો વિશ્વાસ ટ્રમ્પને કારણે તૂટી ગયો છે. યુ.એસ.એ.માં ઘર-આંગણે ટ્રમ્પની વાહવાહી કરનારાઓને તે કદાચ બહુ બોલ્ડ કે હિંમતવાન લાગી શકે છે પણ ખરેખર તો તે ઉચ્છૃંખલ છે એવું આખી દુનિયાને હવે સમજાઇ ગયું છે. અમેરિકાના વૈશ્વિક મહાસત્તા તરીકેના વારસાના ગઢના કાંગરા ખરી રહ્યા છે. એક સમયનો વિશ્વાસ ખંડિત જોડાણો, ખાડે ગયેલી આર્થિક વ્યાપારી સંસ્થાઓમાં ખોવાયો છે અને દરેક રાષ્ટ્ર ક્યાંક બીજે વિશ્વસનીય સાથી શોધી રહ્યું છે. જો અમેરિકા પોતાને મહાસત્તા તરીકે ફરી સ્થાપિત કરવા માંગતો હશે તો તેણે ફરી લોકોનો વિશ્વાસ જીતવો પડશે અને તેના ઇરાદાઓમાં અંચઇ નથી એ સાબિત કરવું પડશે. દુનિયાના દરેક દેશ જે એવું માને છે કે પોતાનામાં વૈશ્વિક સ્તરે ટોચ પર જવાની તાકાત છે તે દરેકે ટ્રમ્પની અભિમાન ભરેલી મૂર્ખતા પરથી બોધ પાઠ લેવા જોઇએ અને સત્તાના મદમાં સ્થિરતા ખોઈ બેસવાની ભૂલથી બચવું જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 જૂન 2025

Loading

...102030...112113114115...120130140...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved