Opinion Magazine
Number of visits: 9458224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટૃપતિ સરકારની સલાહને અનુસરીને જજોની નિયુક્તિઓ કરતા હોય છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|5 February 2023

રમેશ ઓઝા

દેશમાં જો હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણમાં મૂળભૂત માળખાકીય ફેરફાર કરવા પડે. મૂળભૂત માળખાકીય સુધારા કરવા હોય તો સર્વોચ્ચ અદાલતનો ૧૯૭૩નો શંકરાનંદ ભારતીવાળો ચુકાદો ઊલટાવવો પડે, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે સરકારને અને લોકપ્રતિનિધિઓને (સંસદને) બંધારણમાં સુધારા કરવાનો અધિકાર છે, પણ બંધારણના મૂળભૂત માળખામાં સુધારા કરવાનો અધિકાર નથી. જો સર્વોચ્ચ અદાલતનો શંકરાનંદ ભારતીવાળો ચુકાદો ઊલટાવવો હોય તો સર્વોચ્ચ અદાલતમાં મોટાં પ્રમાણમાં અનુકૂળ જજો જોઈએ જે સર્વાનુમતીથી નહીં તો કમ સે કમ બહુમતી ચુકાદો આપીને બંધારણમાં ફાંકા પાડવાનો અધિકાર આપે. જો અનુકૂળ જજોને સર્વોચ્ચ અદાલતમાં બેસાડવા હોય તો જજોની નિયુક્તિ અને બદલી કરવાનો અધિકાર શાસકો પાસે હોવો જોઈએ અને એ પણ નીચેથી વડી અદાલતો અને તેનાથી પણ નીચેના સ્તરેથી. સીધા સર્વોચ્ચ અદાલતમાં જજોની ભરતી કરવાની જોગવાઈ છે, પણ એ અપવાદરૂપે. મોટા ભાગના જજો નીચેથી બઢતી પામતા સર્વોચ્ચ અદાલત સુધી પહોંચે છે. આમાં એક ફાયદો પણ છે. જજના લક્ષણની ખબર પડે. જો વધારે પડતી ખુદ્દારી બતાવે તો તેને સીડી ચડતો રોકી શકાય, બદલી કરીને હેરાન કરી શકાય અને એ રીતે રવાના કરી શકાય. અને જો જજોની નિયુક્તિનો અધિકાર હાથમાં લેવો હોય તો અત્યારે જે કોલેજિયમ પદ્ધતિ અસ્તિત્વમાં છે તેને ખતમ કરવી પડે.

માટે તમે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી કોલેજિયમ પદ્ધતિ વિશે અને તેની બંધારણીયતા વિશે પ્રશ્નો કરવામાં આવે છે. કોલેજિયમ દ્વારા સૂચવવામાં આવતા જજોની નિયુક્તિ કરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની જગ્યાઓ ખાલી પડી છે. સરકાર ન્યાયતંત્રને હંફાવે છે અને એ રીતે તેને નિરસ્ત કરવાનો પ્રયાસ કરે છે. કેસોનો ભરાવો અભૂતપૂર્વ પ્રમાણમાં થઈ રહ્યો છે. શાસકો ન્યાયતંત્રને ઘૂંટણીયે પાડીને જજોની નિયુક્તિનો અધિકાર છીનવી લેવા માંગે છે કે જેથી બંધારણનું આખું માળખું બદલીને હિંદુ રાષ્ટ્ર સ્થાપી શકાય.

પણ તેમના પક્ષના અધ્વર્યુ લાલકૃષ્ણ અડવાણીએ તેમની આત્મકથામાં કહ્યું છે કે જે દિવસે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં આવશે એ દિવસે દેશમાં લોકતંત્રનો અંત આવશે એનું શું? તેઓ કેમ અત્યારે તેઓ ચૂપ છે? તેનું કારણ સ્પષ્ટ છે: દેશમાં જો સેક્યુલર ડિક્ટેટરશીપ આવે તો હિન્દુત્વવાદીઓ લોકતંત્રની સીડી ચડીને સત્તા સુધી ન પહોંચી શકે અને જ્યાં સુધી સત્તા સુધી ન પહોંચી શકે ત્યાં સુધી હિંદુ રાષ્ટ્ર સ્થાપી ન શકે. તેમને સત્તા સુધી પહોંચવા માટે લોકતંત્રનો ખપ હતો અને માટે બંધારણના મૂળભૂત માળખાનું મૂલ્ય હતું. હવે તેઓ સત્તા સુધી પહોંચી ગયા છે અને હિંદુ રાષ્ટ્ર સ્થાપવું છે જેમાં બંધારણ આડું આવે છે. હવે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં આવે, તેનો જો પ્રાણ હરી લેવામાં આવે તો તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમની નિસ્બત લોકતંત્ર માટે નહોતી. બહુમતી રાષ્ટ્રવાદી શાસકો લોકતંત્ર વિરોધી હોય છે એમ જગતનો ઇતિહાસ કહે છે. અડવાણી મહારાજ આજે ચૂપ છે. આમ પણ સદ્દગુણની આરાધના કરવી એ વિકૃતિ છે એમ તેમના ગુરુ કહી ગયા છે.

બંધારણની મૂળ જોગવાઈ મુજબ સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. પણ રાષ્ટ્રપતિ કઈ રીતે જજોની નિયુક્તિ કરે છે? રાષ્ટ્રપતિ સરકારની સલાહને અનુસરીને નિયુક્તિઓ કરતા હોય છે અને સરકાર એટલે કે કાયદા મંત્રાલય દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે સલાહમસલત કરીને તેમની ભલામણને અનુસરીને રાષ્ટ્રપતિભવનમાં નિયુક્તિ માટે નામ મોકલે છે. વડી અદાલતો માટે વાયા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જે તે વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સલાહ લેવામાં આવે છે. આ રસમ દાયકાઓ સુધી અસ્તિત્વમાં હતી અને ક્યારેક એકાદ બે અપવાદને છોડીને કાયદા મંત્રાલય મુખ્ય ન્યાયમૂર્તિઓની ભલામણોનો આદર કરતું હતું અને તેમની ભલામણ મુજબ નિયુક્તિઓ થતી હતી. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યાં સુધી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ભાગ્યે જ અથડામણ થઈ હતી. જ્યારે અનુકૂળ ન્યાયમૂર્તિઓને શોધવાની, તેમની નિયુક્તિ કરવાની અને પ્રતિકૂળ હોય એવા ન્યાયમૂર્તિઓની બદલી કરવાની, તેમની સિનિયોરીટીની ઉપેક્ષા કરીને સુપરસીડ કરવાની શાસકોની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે ન્યાયતંત્ર અને શાસકો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. દેખીતી રીતે વિરોધ પક્ષો અને નાગરિક સમાજ શાસકોની સામે પડ્યા હતા. અડવાણીનો લોકશાહીપ્રેમ એ સમય અને સંજોગોનો હતો.

દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાઈ રહે અને એ રીતે દેશમાં લોકશાહી ટકી રહે એ માટે જે પ્રયાસો થયા હતા તેની વિગતોમાં અહીં નથી જવું. માત્ર એટલું કહેવું પૂરતું છે કે સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાઓ દ્વારા ન્યાયમૂર્તિઓની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો હતો. ૧૯૯૮ના નિયુક્તિ અંગેના ત્રીજા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ન્યાયમૂર્તિઓનું રચવામાં આવેલું કોલેજિયમ જે જજોની ભલામણ કરે તેની નિયુક્તિ કરવા સરકાર બંધાયેલી છે. શાસકો જે તે ઉમેદવારની યોગ્યતા વિશે ખુલાસા માગી શકે છે, પુનર્વિચાર માટે નામ પાછાં મોકલી શકે છે, પણ જો ફરી વાર કોલેજિયમ એ જ નામની ભલામણ કરે તો સરકાર પાસે કોઈ વિકલ્પ બચતો નથી. એ જ નામો નિયુક્તિ માટે રાષ્ટ્રપતિને મોકલવા પડે.

વિચક્ષણ વાચકોને ઉપરના ફકરામાં કહેલું એક વાક્ય ધ્યાનમાં આવ્યું હશે. “સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાઓ દ્વારા ન્યાયમૂર્તિઓની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો હતો.” પોતે આપેલા ચુકાદાઓ દ્વારા, કોઈ બંધારણીય જોગવાઈનો આશ્રય લઈને નહીં. બંધારણમાં તો કોલેજિયમનો કોઈ ઉલ્લેખ જ નથી. સર્વોચ્ચ અદાલતે લોકતંત્રના અને સ્વતંત્ર ન્યાયતંત્રના વ્યાપક હિતમાં પોતે પોતાની જાતે નિયુક્તિનો ઉકેલ શોધી કાઢ્યો હતો જે શુદ્ધ અર્થમાં બંધારણીય નથી. વધુમાં વધુ એક કહી શકાય કે તે વ્યાપક હિતમાં વ્યાવહારિક ઉપાય છે. બીજું, બંધારણની જોગવાઈ મુજબ આખરે જજોની નિયુક્તિઓ તો સરકારની ભલામણને અનુસરીને રાષ્ટ્રપતિ જ કરે છે. જે અધિકાર ધરાવે એ અધિકૃત કહેવાય કે નહીં? અધિકૃત અધિકારી અને પોસ્ટમેનમાં ફરક છે. સરકારની દલીલ એવી છે કે કાયદા મંત્રાલય ન્યાયતંત્રનો પોસ્ટમેન નથી.

શાસકોની દલીલમાં દમ છે, પણ એ કેવળ ટેકનીકલ બંધારણીય છે. ન્યાયતંત્રની વ્યાપક હિતવાળી દલીલમાં વધારે દમ છે, પણ એ ટેક્નિકલી બંધારણીય નથી.

હવે આનો ઉપાય શું? વધુ ચર્ચા હવે પછી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ફેબ્રુઆરી 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—182

દીપક મહેતા|Opinion - Opinion|4 February 2023

જ્યારે મનાતું કે છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય

બે અંગ્રેજ પ્રોફેસરોએ શરૂ કરી જ્ઞાનનો પ્રસાર કરતી મંડળી     

અભ્યાસક્રમ પ્રમાણેનું ભણાવી લીધું એટલે ગંગા નાહ્યા એમ માનનારા અધ્યાપકો જ્યારે નહોતા ત્યારની આ વાત છે. અધ્યાપક બીજી કોઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે કરે, કોઈને ભાષણ કરવા બોલાવે કે કોઈ કવિને આમંત્રણ આપે તો મોટું પાપ થઈ જાય એમ પણ ત્યારે મનાતું નહિ. એટલે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ સ્થપાઈ તે પછી બ્રિટનથી આવેલા અધ્યાપકો વિદ્યાર્થીઓના માત્ર અભ્યાસની જ ચિંતા કરતા નહોતા, તેમના વિકાસ અને વિસ્તારને મદદરૂપ થાય એવા પ્રયત્નો પણ કરતા. પોતાના વિદ્યાર્થીઓ સાથે સાંજે દરિયા કિનારે ફરવા જતા, અને તે વખતે તેમની સાથે જુદા જુદા વિષયો પર મુક્ત મને વાતો કરતા. આવી વાતોને પરિણામે સમજાયું કે વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત સમાજ ઉપયોગી કામોમાં જોડવા જોઈએ. આમ કરવાથી બે હેતુ પાર પડે. સામાજિક કામોને પ્રોત્સાહન મળે અને છોકરાઓને જાત-અનુભવ મળે.

આવા બે સજાગ પ્રોફેસર તે એલ્ફિન્સ્ટન કોલેજના એ.એમ. પેટન અને આર.ટી. રીડ. એ બંનેએ સાથે મળીને શરૂ કરી ‘સ્ટુડન્ડસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટી’. ૧૮૪૮ના જૂન મહિનાની ૧૩મી તારીખે તેની સ્થાપના થઈ. પ્રો. પેટન તેના પહેલા પ્રમુખ. શરૂઆતના કેટલાક વરસ એલ્ફિન્સ્ટન કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ આ સોસાયટીના સભ્યો બની શકતા, બીજાઓ નહિ. ૧૮૪૮માં કુલ ૨૧ સભ્યો હતા. આ સ્થાપક સભ્યોમાં દાદાભાઈ નવરોજી, રાવ સાહેબ પ્રાણલાલ મથુરાદાસ, ડોસાભાઈ ફરામજી, મોહનલાલ રણછોડદાસ, વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૫૨થી કોઈ પણ સુશિક્ષિત પુરુષ તેનો સભ્ય બની શકે એમ ઠરાવવામાં આવ્યું. એટલે ૧૮૫૫માં સભ્ય સંખ્યા વધીને ૧૯૦ થઈ ગઈ.

આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિષે લેખો લખીને જાહેરમાં વાંચવા, ભાષણો કરવાં, અને તેના ઉપર ચર્ચા કરવી તે હતી. હા, શરૂઆતથી જ ઠરાવવામાં આવ્યું હતું કે સોસાયટીના કોઈ કાર્યક્રમમાં રાજકારણ કે ધર્મને લગતી વાત થઈ શકશે નહિ. કોઈક જરૂર મનમાં બોલશે : ‘જોયું ને! અંગ્રેજો કેવા આપખુદ હતા!’ પણ ભલા માણસ આજે પણ એક વ્યક્તિ વિશેની એક પરદેશી ફિલ્મ કોઈ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ જોઈ ન જાય એ માટે સરકાર કેટલા તો ધમપછાડા કરે છે? અને એ ય તે પાછા પાછલે બારણેથી. જ્યારે આ અંગ્રેજો વધુ નિખાલસ તો હતા!

આ અધ્યાપકો ચતુર હતા, સુજાણ હતા. થોડા વખતમાં સમજી ગયા કે માત્ર ભાષણો અને લેખોથી આ સમાજ બદલાવાનો નથી. એટલે તેમણે સૌથી પહેલાં કન્યાકેળવણીને મદદરૂપ થાય એવાં કામ કરવાનું વિચાર્યું. એટલે સોસાયટીએ ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી બે મરાઠી અને ચાર ગુજરાતી છોડીઓ માટેની નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને મઝગાંવ ખાતે શરૂ કરી. રોજ સવારે સાતથી દસ વાગ્યા સુધી આ સોસાયટીના ‘પોરિયાઓ’ એક પણ ફદિયું લીધા વગર આ સ્કૂલોમાં ભણાવતા. આ છ નિશાળોમાં બધું મળીને ૬૫૪ છોકરીઓ ભણતી હતી. તેમાંની ૧૩૬ મરાઠી, ૧૨૦ ગુજરાતી અને ૩૯૮ પારસી હતી. અને આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આ છમાંની એક સ્કૂલ હજી આજે પણ ચાલે છે. ગિરગામ રોડ પરના ઠાકુરદ્વાર વિસ્તારની નવરોજી શેઠ સ્ટ્રીટ પર આવેલી આ સ્કૂલ હવે એસ.એલ. એન્ડ એસ.એસ. ગર્લ્સ હાઈ સ્કૂલ તરીકે ઓળખાય છે.

થોડા વખતમાં જ અધ્યાપકોના ધ્યાનમાં એ વાત આવી કે સોસાયટીનું બધું કામકાજ અંગ્રેજીમાં જ થાય છે એટલે વધારે છોકરાઓ તેમાં ભાગ લઈ શકતા નથી. આથી ગુજરાતી-મરાઠીમાં બોલવા-લખવાની સગવડ પણ કરવી જોઈએ. એટલે તેમણે સોસાયટીની બે શાખા તરીકે મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી શરૂ કરાવી. આ મંડળી વિષે મરાઠીમાં અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે, પણ આપણા ઘણાખરા જાણકારો પણ આ મંડળીઓ વિષે ભાગ્યે જ કશું જાણે છે. પારસીઓ જોડાક્ષર વગરની કેવી ‘અશુદ્ધ ગુજરાતી’ ભાષા વાપરતા તેના ઉપહાસભર્યા નમૂના તરીકે તેના સામયિક ‘ગનેઆન પરસારક’નું નામ ઉછાળવા સિવાય આ મંડળી અને તેની કામગીરી વિષે ભાગ્યે જ કોઈ લખે-બોલે છે. ગુજરાતી મંડળીમાં પારસીઓ વધુ ઉત્સાહથી ભાગ લેતા એ ખરું, પણ તે કેવળ પારસીઓની મંડળી નહોતી. ૧૯મી સદીના સાહિત્ય અને સંસ્કાર-જગતના પ્રખર અભ્યાસી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું છે તેમ “જ્ઞાન પ્રસારક મંડળી કંઈ માત્ર પારસીઓની સંસ્થા નથી. પરંતુ પારસી, હિંદુ, મુસ્લિમ, એ સઘળી કોમોના લાભ માટે સ્થપાયેલી સંસ્થા છે. જે વખતે આ મંડળી સ્થપાઈ તે વખતે પારસીઓ અને હિંદુઓ એકમેક સાથે મળીને અને બહુ જ મળતાવડાપણાથી વર્તતા હતા.”

સ્ટુડન્ડસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના વાર્ષિક અહેવાલ

આ લખનારના સદ્ભાગ્યે સ્ટુડન્ટસ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટીના ૧૮૫૪થી ૧૮૫૮નાં વરસોના વાર્ષિક અહેવાલો જોવા મળ્યા છે. તેમાંની માહિતી પ્રમાણે ૧૮૬૦ના વરસમાં પ્રો. રીડ સોસાયટીના પ્રમુખ હતા. ૧૮૫૨માં એલ્ફિન્સ્ટન કોલેજના ભાગ રૂપે લો કોલેજની શરૂઆત થઈ ત્યારે પ્રો. રીડ તેના પહેલા અધ્યાપક બન્યા હતા. મરાઠી જ્ઞાન-પ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ વેલકર અને ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળીના પ્રમુખ નવરોજી ફરદુનજી સોસાયટીના પણ ઉપપ્રમુખ હતા. આજના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના પુરોગામી ‘બોમ્બે ટાઈમ્સ’ની શરૂઆત નારાયણ દીનાનાથે ૧૮૩૮માં કરી હતી. જ્યારે નવરોજી ફરદુનજીએ ગુજરાતી ભાષાનું પહેલવહેલું માસિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ મંત્રીઓ હતા : રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, ગંગાદાસ કિશોરદાસ, અને હોરમસજી દાદાભાઈ. સોસાયટી ગુજરાતી છોડીઓ માટે બે સ્કૂલ ચલાવતી હતી : એક કોટમાં અને બીજી બહાર કોટમાં. બંને સ્કૂલમાં થઈને ૧૦૨ છોડીઓ ભણતી હતી. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, સોની, કણબી વગેરે છોકરીઓ ભણતી હતી. છોકરીઓની ઓછી સંખ્યાનું કારણ આપતાં આ અહેવાલમાં લખ્યું છે કે ઘણી જ્ઞાતિઓમાં એવો વહેમ પ્રચલિત છે કે જો છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય. બીજી નોંધવા જેવી વાત એ છે કે સોસાયટીની પારસી છોકરીઓ માટેની સ્કૂલો ચલાવવાનો તમામ ખરચ પારસી સખી-દાતાઓ ઉપાડી લેતા હતા. ગુજરાતી છોડીઓ માટેની સ્કૂલો માટે આ રીતે દાન આપવાની જાહેર વિનંતી પ્રમુખ પ્રો. રીડે કરી ત્યારે સૌથી પહેલાં મંગળદાસ નથુભાઈ નામના જાણીતા બેન્કરે દર વરસે એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બદલામાં સોસાયટીએ બે સ્કૂલ સાથે મંગળદાસ શેઠનું નામ જોડ્યું હતું.

૧૮૪૯માં શરૂ થયેલી આ સ્કૂલ આજે પણ ચાલે છે

બીજું, એ અરસામાં મરાઠી અને ગુજરાતી જ્ઞાનવર્ધક સભા સક્રિય હતી. ગુજરાતી સભામાં જેમણે ભાષણ કર્યાં હતાં કે લેખો વાંચ્યા હતા તેમાં કવિ નર્મદ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, ઝવેરીલાલ યાજ્ઞિક, ડો. ધીરજરામ દલપતરામ, વગેરેનો સમાવશ થતો હતો. ગુજરાતી જ્ઞાનવર્ધકે ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘ગનેઆન પરસારક’ નામનું ગુજરાતી માસિક શરૂ કર્યું. તે પછી થોડા જ વખતમાં તેનું નામ સુધારીને કરવામાં આવ્યું હતું : ‘જ્ઞાનપ્રસારક’. ૧૮૬૭ના ડિસેમ્બર સુધી આ માસિક ચાલ્યું હતું. તેના તંત્રી તરીકેની કામગીરી દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, એદલજી માસ્તર, કરસનદાસ મૂળજી, વગેરેએ સંભાળી હતી. જ્ઞાનપ્રસારક મંડળીમાં પણ ભાષણો અને નિબંધ વાચનની પ્રવૃત્તિ પહેલેથી જ શરૂ થઈ હતી અને તે છેક ૧૯૫૬-૧૯૫૭ સુધી ચાલુ રહી હતી.

૧૯૪૯માં ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીની શતાબ્દી ઉજવાઈ ત્યારે એક પ્રદર્શન પણ ભરાયું હતું જેમાં હસ્તપ્રતો, શરૂઆતનાં મુદ્રિત પુસ્તકો, અને મુદ્રણની પ્રગતિ દર્શાવતી બીજી કેટલીક સામગ્રી મૂકવામાં આવી હતી. પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતી વખતે આપેલા ભાષણમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું : “આ મંડળીએ આપણા દેશના ભાઈઓમાં અને ખાસ કરીને ગુજરાતી બોલનારી જુદી જુદી કોમોમાં જ્ઞાનનો પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું અને અનેક જાતની ચડતી પડતી જોઈ એ પોતાની કાયનાત પ્રમાણે જુદી જુદી રીતે જ્ઞાનનો ફેલાવો કરતી રહી.”

ગુજરાતી અને મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખો નવરોજી ફરદુનજી અને નારાયણ દીનાનાથ

આ ત્રણે સંસ્થાઓની વિશિષ્ટતાઓ તરફ આજે કદાચ આપણું ધ્યાન ન જાય, અથવા તે બહુ મહત્ત્વની ન લાગે. પહેલી વાત એ કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પહેલાં આ પ્રયત્ન થયો હતો. બીજું, બ્રિટિશરો અને સ્થાનિક લોકોનો આ સહિયારો પ્રયત્ન હતો. ૧૮૦૪માં એશિયાટિક સોસાયટી શરૂ થઈ તે ફક્ત અંગ્રેજો દ્વારા અને અંગ્રેજો માટે. ૧૮૪૧ સુધી તેમાં ‘દેશી’ઓને પ્રવેશ નહોતો. ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફક્ત કેટલાક અંગ્રેજોએ ભેગા મળીને શરૂ કરી હતી. જ્યારે સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટી એ અંગ્રેજો અને ‘દેશી’ઓનો સહિયારો પ્રયત્ન હતો. એટલું જ નહિ, એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો સહિયારો પ્રયત્ન હતો. મુંબઈની સોસાયટી આચરણ અને વિચારણા, બંનેમાં માનતી હતી. એક બાજુ તેણે છોકરા-છોકરી માટે અલગ અલગ સ્કૂલો શરૂ કરી, જેમાં સોસાયટીના સભ્યો એક પાઈ પણ લીધા વગર ભણાવતા. તો બીજી બાજુ આ સભાએ વિચારોની આપ-લેને, ચર્ચાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. સૌથી મહત્ત્વની વાત તો એ કે આ દેશમાં અને આ દેશ માટે કામ કરવું હોય તો ફક્ત અંગ્રેજી નહિ ચાલે એ વાત અંગ્રેજ સ્થાપકો બહુ જલદી સમજી ગયા અને એટલે બીજી બે પેટા શાખા મરાઠી અને ગુજરાતી માટે શરૂ કરી. તો સાથોસાથ લોકોના મોટા સમૂહ સુધી પહોંચવા માટે ગુજરાતી અને મરાઠીમાં માસિકો શરૂ કર્યાં.

અહીં સુધીની વાત તો સીધે પાટે ચાલે છે. પણ હવે વાતમાં એક વળાંક આવે છે. મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી ઉપરાંત એક ત્રીજી સભા પણ સ્ટુડન્ટસ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટી સાથે જોડાયેલી હતી? કે એ સ્વતંત્ર હતી? જો સ્વતંત્ર હતી તો એ કોણે શરૂ કરેલી? ક્યારે? પણ આ બધી વાતો કરશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

 પ્રગટ :  “ગુજરાતી મિડ–ડે”; 04 ફેબ્રુઆરી 2023

Loading

ભારત એક ખોજ : પંડિત નહેરુ, શ્યામ બેનેગલ અને દૂરદર્શન

સોનલ પરીખ|Opinion - Opinion|4 February 2023

મધ્યરાત્રિના આ સમયે જ્યારે વિશ્વ આખું નિદ્રાધીન છે; ભારતમાં જીવન આંખો ખોલી રહ્યું છે, સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં એવી અતિ દુર્લભ ક્ષણો આવે છે જ્યારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ; જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે રાષ્ટ્રના દીર્ઘ કાળથી અવરુદ્ધ પ્રાણને નવજીવન મળે છે. આ અપૂર્વ ક્ષણે આપણે ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ …

— પંડિત જવાહરલાલ નહેરુ

‘સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં  

અંતરિક્ષ ભી નહીં, આકાશ ભી નહીં થા  

છિપા થા ક્યા, કહાં, કિસસે ઢકા થા  

ઉસ પલ તો અગમ અતલ જલ ભી કહાં થા’ 

આ પંક્તિઓ આમ તો ઋગ્વેદના એક શ્લોકનો અનુવાદ છે, પણ એક આખી પેઢી એને દૂરદર્શન ધારાવાહિક ‘ભારત એક ખોજ’ના પ્રારંભગીત તરીકે ઓળખે છે. ‘ભારત એક ખોજ’ એટલે પંડિત જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પરથી બનેલું ધારાવાહિક, જેને ટેલિવિઝન ઇતિહાસના આજ સુધીના શ્રેષ્ઠ રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે, જેનું દિગ્દર્શન શ્યામ બેનેગલ જેવા ધુરંધરે કર્યું હતું. ‘ભારત એક ખોજ’ ભારતનો ઇતિહાસ શીખવવા માટેનું ઉત્તમ માધ્યમ મનાતી અને શિક્ષકો વિદ્યાર્થીઓને એ જોવાની ભલામણ કરતા. 14 નવેમ્બરે આવતા પંડિત નહેરુના જન્મદિન ‘બાલદિન’ નિમિત્તે યાદ કરીએ પંડિત નહેરુ, શ્યામ બેનેગલ અને દૂરદર્શનને.

1942થી 45 દરમ્યાન બ્રિટિશ સરકારે પંડિત નહેરુને મહારાષ્ટ્રની અહમદનગર ફૉર્ટ જેલમાં કેદ રાખ્યા હતા ત્યારે એમણે ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક લખ્યું હતું. 1946માં એની પહેલી આવૃત્તિ બહાર પડી. લગભગ 600 પાનાં અને 10 પ્રકરણના આ પુસ્તકની શરૂઆત પ્રાચીન ભારતથી થાય છે અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે એનો અંત આવે છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને દર્શનનું એક વ્યાપક ચિત્ર એમાં જોવા મળે છે. તેઓ કહે છે, ‘ભારતમાતા કી જય એવું બોલીએ છીએ, પણ ભારતમાતા એટલે કોણ અને એની જય શા માટે થવી જોઈએ એ સમજીએ છીએ ખરા? ભારત એક પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેને સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો અધિકાર છે, એની વિશ્વને જાણ થવા દો.’

એક જમાનો હતો જ્યારે ભારત સરકાર દૂરદર્શન દ્વારા ‘આખા દેશના લોકો આ જુએ છે’ એવી જવાબદારી સાથે સ્વચ્છ અને સાંસ્કૃતિક એવું મનોરંજન પીરસતી. વર્ષો સુધી દૂરદર્શનની એક જ ચેનલ હતી. એ સમયે બનતા ધારાવાહિકો માત્ર દૂરદર્શન માટે નહીં, સમગ્ર ભારત માટે માઈલસ્ટોન સમાં હતાં. 1984-85માં ધારાવાહિક ‘હમ લોગ’ આવ્યું અને 1986માં ‘બુનિયાદ’. 1987માં ‘રામાયણ’ અને 1988મા ‘મહાભારત’ પ્રસારિત થવા લાગ્યા. જે રીતે આ શ્રેણીઓએ ઘર-ઘરમાં પોતાનું સ્થાન જમાવ્યું એ જોઈ સરકારે એવી સિરિયલ પ્રસારિત કરવાનું નક્કી કર્યું જેમાં આપણા વિશાળ દેશનો ઇતિહાસ હોય. ઘર ઘરમાં દરેક નાગરિક સુધી આ પુરાતન વારસો પહોંચવો જોઈએ.

પણ આ વિરાટ વિષય પર સિરિયલ બનાવશે કોણ? પસંદગીનો કળશ સમાનાંતર સિનેમાના અગ્રણી શ્યામ બેનેગલનો સંપર્ક કરવામાં આવ્યો. તેમને ‘મહાભારત’ બનાવવામાં રસ હતો, પણ એ કામ બી.આર. ચોપરાને સોંપાઈ ચૂક્યું હતું. શ્યામ બેનેગલે ઇતિહાસ પરથી સિરિયલ બનાવવાની ઑફર સ્વીકારી અને આધાર બન્યું ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક. ‘આ પુસ્તક મને બાળપણમાં મારા જન્મદિન પર ભેટ મળ્યું હતું. ભારતના ઇતિહાસની મુખોમુખ થવાની એ પહેલી તક હતી.’

અને શ્યામ બેનેગલ કામે લાગ્યા. જબરદસ્ત હતી એમની ટીમ. એમાં 15 ઇતિહાસકારો હતા જે દરેક એપિસોડમાં માર્ગદર્શન આપતા. તેની પટકથા સ્ક્રીપ્ટ રાઈટર અને કૉસ્ચ્યુમ ડિઝાઈનર શમા જૈદી અને લેખક-અભિનેતા અતુલ તિવારીએ તૈયાર કરી હતી. આ બન્નેના હાથ નીચે 25 લેખકો કામ કરતા હતા.

શ્યામ બેનેગલ

5,000 વર્ષના ઇતિહાસને સમાવવાનો હતો એટલે દરેક કાળના વિશેષજ્ઞોની સલાહ લેવાતી. આવા 40 વિશેષજ્ઞો પણ શ્યામ બેનેગલની ટીમનો હિસ્સો હતા. આ આખી ટીમ 10,000 પુસ્તકોથી ઘેરાયેલી હતી. 1985-86થી કામ શરૂ થઈ ગયું હતું. 1988ના નવેમ્બરની 14 તારીખે, પંડિત નહેરુના જન્મદિને પહેલો એપિસોડ પ્રસારિત થયો. દર રવિવારે 11 વાગ્યે આ સિરિયલ પ્રસારિત થતી. દરેક એપિસોડ 60થી 0 મિનિટનો રહેતો.

સિરિયલમાં ઓમ પુરી, આલોક નાથ, પીયૂષ મિશ્રા, પલ્લવી જોશી, શબાના આઝમી, અમરિષ પુરી, નાસિરુદ્દીન શાહ જેવા કલાકારો હતા. અનેક કલાકારોની કારકિર્દીની શરૂઆત ‘ભારત એક ખોજ’થી થઈ હતી. એક અંદાજ મુજબ 350 જેટલા કલાકારોએ આ સિરિયલથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. મોટા ભાગના કલાકારો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના હતા. સૂત્રધાર તરીકે સ્વયં નહેરુને બતાવવામાં આવ્યા, એમનું પાત્ર રોશન શેઠે કર્યું હતું. અમુક એપિસોડના સૂત્રધાર ઓમ પુરી હતા. પુસ્તકમાં રહેલા ખાલી અંશોને ભરવા આ ઉમેરો કરવામાં આવ્યો હતો. 140થી વધુ સેટ બનાવાયા હતા. લોકસંગીત, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્યપરંપરા જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી પરંપરાગત નહીં પણ સર્જનાત્મક પદ્ધતિએ શૂટિંગ થયું હતું. આખો શો ડૉક્યુમેન્ટરી સ્ટાઈલનો હતો પણ અનેક સ્થળે નાટ્ય-પ્રભાવ હતો.

આગળ જણાવ્યું તેમ ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અહમદનગરની જેલમાં લખાઈ હતી. ભારત છોડો આંદોલન પછી બ્રિટિશ સરકારે લગભગ બધા આગેવાનોને કેદ કર્યા હતા. અહમદનગર જેલમાં પણ પંડિત નહેરુ સાથે અન્ય આગેવાનો કેદ હતા. પુસ્તકનું શ્રેય પંડિતજીએ આ સાથીઓને પણ આપ્યું છે અને મૌલાના અબુલ કલામ આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, નરેન્દ્ર દેવ અને અસફ અલી આ ચારનો તો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ સાથીઓ દેશના વિવિધ ભાગોમાંથી રાજકીય કેદીઓ તરીકે પકડાઈને આવ્યા હતા અને ભારતના ઇતિહાસ અને વર્તમાન વિષે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ પંડિતજીના લખાણનું પ્રૂફ વાચન કરી આપતા અને સર્જનાત્મક સૂચનો પણ કરતા. પુસ્તકની પ્રથમ આવૃત્તિ કલકત્તાના સિગ્નેટ પ્રેસે 16 નવેમ્બર 1946ના દિને પ્રગટ કરી હતી. 

જેલમાં લખાયેલાં પુસ્તકોની સંખ્યા નાની નથી. અલાબામાની બર્મિંગહામ જેલમાંથી માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે લખેલા પુસ્તકનું નામ છે, ‘લેટર ફ્રોમ બર્મિંગહામ સિટી જેલ’. પછીથી ઐતિહાસિક બની ગયેલું એમનું વિધાન ‘ઈન્‌જસ્ટિસ એનીવ્હેર ઈઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવ્હેર’ આ પુસ્તકનો ભાગ છે. યુરોપની પહેલી આધુનિક નવલકથા ગણાતી ‘ડૉન કિહોટે’નું બીજ જેલમાં રોપાયેલું. અમેરિકન કવિ એઝરા પાઉંડનું 120 ખંડમાં વહેંચાયેલું દીર્ઘ કાવ્ય ‘પિસન કૅન્ટોન’, નેલ્સન માંડેલાનું ‘ધ કન્વર્ઝેશન ટુ માયસેલ્ફ’, ઓસ્કાર વાઈલ્ડનું ‘દ પ્રોફાઉન્ડિસ’ જેલમાં લખાયાં હતાં. મહાત્મા ગાંધીએ ‘આરોગ્યની ચાવી’ અને ‘મંગળ પ્રભાત’ જેલમાં લખ્યાં હતાં. વિનોબાજીનાં ગીતા પ્રવચનો જેલમાં અપાયાં હતાં. હિટલરની આત્મકથા પણ જેલમાં લખાઈ હતી.

પંડિત નહેરુએ ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે સ્વાતંત્ર્યની ઘોષણા કરતાં ઉચ્ચારેલા ઐતિહાસિક શબ્દો આજે પણ યાદ કરવા જેવા છે : ‘મધ્યરાત્રિના આ સમયે જ્યારે વિશ્વ આખું નિદ્રાધીન છે; ભારતમાં જીવન આંખો ખોલી રહ્યું છે, સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં એવી અતિ દુર્લભ ક્ષણો આવે છે જ્યારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ; જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે રાષ્ટ્રના દીર્ઘ કાળથી અવરુદ્ધ પ્રાણને નવજીવન મળે છે. આ અપૂર્વ ક્ષણે આપણે ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ.’

‘ભારત એક ખોજ’ના અંતિમ એપિસોડના અંતે પંડિતજી કહે છે, ‘આપણે શું છીએ અને દેશને કેવો બનાવવા માગીએ છીએ તેના પર આપણા ભવિષ્યનો આધાર છે.’ અને ગીતાંજલિની પંક્તિઓનો સુંદર હિંદી અનુવાદ ભારતભૂમિનાં ભવ્ય સૌંદર્ય સાથે ટી.વી.ના પડદા સાથે દર્શકોના મનમાં ગુંજી રહે છે, 

‘જહાં ચિત્ત ભયહીન, જહાં પર ઊંચા રહતા માથા હો

જહાં ન ધરતી કો ટુકડો મેં દીવારોં ને બાંટા હો

જહાં મુક્ત હો જ્ઞાન, સત્ય સે વારિ આલોકિત હો

ઉસી લોક મેં દેશ હમારા ભારત ચિરજાગ્રત હો …’

આ ભાવના, આ પ્રાર્થના આપણાં અને આપણી નવી પેઢીનાં ચિત્તને અજવાળતી રહે, એ જ શુભકામના. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 નવેમ્બર 2022

Loading

...102030...1,1141,1151,1161,117...1,1201,1301,140...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved