Opinion Magazine
Number of visits: 9458186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—183

દીપક મહેતા|Opinion - Opinion|11 February 2023

બુદ્ધિવર્ધક સભા : નામ એક, સંસ્થા બે?

ગુજરાતીઓને પુસ્તકો વાંચવાનો શોખ જ નથી?     

“આ જગાએ ગુજરાતી લોકને એટલી જ સૂચના છે કે હાલના વખતમાં ગુજરાતીઓ સઘળી બાબતમાં પાછળ પડી ગયા છે, અને જો તેઓ ઉદ્યોગ કરી પોતાની નીતિમાં, જ્ઞાનમાં, તથા વિદ્યા હુન્નરમાં સુધારો તથા વધારો નહિ કરે તો આગળ જતાં તેમણે ઘણું નુકશાન ખમવું પડશે. જમાનો ઘણો બદલાતો જાય છે. વાસ્તે જો ગુજરાતી લોક અત્યારથી સુધરવાને મહેનત નહિ કરે તો આવતાં પચીસ વર્ષમાં કોઈ તેમનો ભાવ પૂછશે નહિ.” આ શબ્દો લખાયા હતા છેક ૧૮૫૧માં, ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ નામના માસિકના ૧૮૫૬ના માર્ચ અંકની પ્રસ્તાવનામાં.

શરૂઆતમાં દર મહિને આ માસિકની ૫૫૦ નકલ છપાતી, જેમાંની ૩૫૧ ખપતી હતી, અને ૧૫૦ નકલ મુંબઈ સરકાર બમણા ભાવે ખરીદતી હતી! (આજની આપણી લોકશાહી સરકાર આવું કરે તો તો ‘કૌભાંડ’ની બૂમો પડે!) જે ૩૫૧ નકલ વેચાતી તેમાંની ૧૮૦ મુંબઈમાં જતી હતી. આ માહિતી આપવાની સાથોસાથ લખ્યું હતું : “મુંબઈ તથા ગુજરાત મધ્યે હલકી કીમત છતાં ત્રણ સો એકાવન નકલો ખપે એ અજબ જેવું છે! આ ઉપરથી કોઈ પણ વિચારવંત પુરુષ એવું અનુમાન કરે, કે ગુજરાતી લોકો ભણેલા નથી અથવા પુસ્તકો વાંચવાનો તેમને શોખ નથી.”

કવિ નર્મદ

હવે કોયડો એ છે કે ‘બુદ્ધિવર્ધક’ નામ ધરાવતી એક સંસ્થા હતી કે બે? જો એક જ હોય તો તે સ્વતંત્ર સંસ્થા હતી કે બીજી કોઈ સંસ્થા સાથે જોડાએલી હતી? આવી દ્વિધા ઊભી થવાનું કારણ છે આપણે જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદ. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો, નાણ્યો, અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેના જીવનનાં મહત્ત્વનાં ઘણાં વરસ મુંબઈમાં વીતેલાં. ભલે થોડો વખત, પણ તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલો. અને આત્મકથા ‘મારી હકીકત’માં તે લખે છે : “હમે કાલેજના બે ત્રણ સાથી અને બીજા બે ત્રણ દોસ્તદારો એકઠા મળી મારે ઘેર રસાયણશાસ્ત્રના પ્રયોગો કરતા. પછી થોડેક દહાડે હમે  હમારા ઘરની ચોપડીઓ એકઠી કરી એક ન્હાનો સરખો પુસ્તકસંગ્રહ મારે ઘેર કર્યો હતો. પછી એવો વિચાર કર્યો હતો કે આપણે મહિનામાં ચાર વાર મળવું. તેમાં બે વાર આપણે નિબંધો લખી આપણામાં જ વાંચવા – માંહોમાંહે લખતાં બોલતાં ને વાદ કરતાં શીખવું; અને બે વાર જાહેર સભા ભરી લોકનો સુધારો કરવો. એ વિચાર પાર પાડવાને હમે હમારા મળવાને ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’ એવું નામ આપ્યું. તેમાં હું પ્રમુખ, મયારામ શંભુનાથ સેક્રેટરી, કલ્યાણજી શિવલાલ તીજોરર, અને નારણદાસ કલ્યાણદાસ તથા બીજા બે કારભારીઓ હતા. એ સભાની તરફથી જાહેર ભાષણો ભૂલેશ્વરના ચકલામાં અમારા દોસ્ત મેઘજી તથા ભવાની લક્ષ્મણના કોઈ એક ઓળખીતાના ખાલી પડેલા ઘરમાં (હાટકેશ્વરની પાસેના) ૧૦૦થી વધારે સાંભળનારાઓની આગળ થયાં હતાં.” પોતાનું પહેલવહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૦ના જૂનમાં પોતે આ સભામાં કર્યું હતું એમ પણ નર્મદે આત્મકથામાં કહ્યું છે.

તો શું બુદ્ધિવર્ધક સભા નર્મદે શરૂ કરેલી? જવાબ છે, હા અને ના. નર્મદની આત્મકથામાં જેનો ઉલ્લેખ છે એ સભા તેણે શરૂ કરેલી. પણ એ પછી થોડા જ વખતમાં અભ્યાસ અધૂરો મૂકીને નર્મદે સુરત જવું પડ્યું. તે ચોક્કસ કઈ તારીખે ગયો તે જાણવા મળતું નથી. પણ આત્મકથામાંના આડકતરા ઉલ્લેખો પરથી અનુમાન થઈ શકે કે તે ૧૮૫૧ના ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં સુરત ગયો હશે. તેના ગયા પછી એ સભા નિષ્ક્રીય થઈ ગઈ.

બીજી બાજુ સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના સંચાલકોના ધ્યાનમાં એ વાત આવી કે પારસી સમાજના અને હિંદુ ગુજરાતી સમાજના સામાજિક પ્રશ્નો જૂદા જૂદા છે. અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીમાં પારસીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હોવાથી તેમાં હિંદુ ગુજરાતી સમાજ વિષે ઝાઝી ચર્ચા થઈ શકતી નથી. એટલે તેમણે માતૃસંસ્થાની ત્રીજી શાખા શરૂ કરી : બુદ્ધિવર્ધક હિંદુ સભા.

સોસાયટીના ૧૮૫૬ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીએ ૧૮૫૧ના એપ્રિલમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપના કરી. ગંગાદાસ કિશોરદાસ તેના પહેલા પ્રમુખ હતા અને હોદ્દાની રૂએ સોસાયટીના ત્રણ ઉપપ્રમુખોમાંના એક હતા. બીજા બે ઉપપ્રમુખો હતા મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ બમનજી પેસ્તનજી. એટલે કે જ્ઞાનપ્રસારક અને બુદ્ધિવર્ધક બંને સાથોસાથ કામ કરતી હતી. સોસાયટીના અહેવાલમાં જણાવ્યું છે કે બુદ્ધિવર્ધક હિંદુ સભાની બેઠકો કોટની બહારના વિસ્તારમાં મળતી. તેને આશ્રયે પહેલું ભાષણ કન્યા-કેળવણી વિષે યોજાયું હતું. તે એટલું તો વિવાદાસ્પદ બન્યું હતું કે સતત ચાર દિવસ સુધી સાંજે તેના પર ચર્ચા થઈ હતી. પછી એ ભાષણ પુસ્તિકા રૂપે પ્રગટ થયું ત્યારે તેની એક હજાર નકલ ચપોચપ વેચાઈ ગઈ હતી. નર્મદે શરૂ કરેલી સભા જો સોસાયટીની બુદ્ધિવર્ધક હિંદુ સભા સાથે ભળી ગઈ હોત તો સોસાયટીના અહેવાલમાં તેનો જરૂર ઉલ્લેખ થયો હોત. બલકે, ૧૮૫૪ના જાન્યુઆરીમાં મુંબઈ પાછો આવીને નર્મદ ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો અને એ જ વર્ષના ચોમાસામાં બુદ્ધિ વર્ધક હિંદુ સભામાં પોતાનું નામ દાખલ કરાવ્યું.

મરાઠી હિંદુ કન્યાશાળા, ૧૮૭૦

૧૮૫૬ના માર્ચ મહિનાથી ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ નામના માસિકનું પ્રકાશન શરૂ થયું. તેના અંકોમાં સભા વિશેની વિગતો, અહેવાલો, વગેરે નિયમિત રીતે પ્રગટ થતાં, એટલે સભાની કામગીરી વિશેની ઘણી વિગતો મળી રહે છે. ૧૮૫૬ના વર્ષ માટેના તેના વહીવટી મંડળમાં ગંગાદાસ કિશોરદાસ પ્રમુખ હતા અને નર્મદ ઉપપ્રમુખ હતો. ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ના માર્ચ ૧૮૫૬ના પહેલા અંકની પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું હતું : “મુંબઈ રાજધાનીમાં વેપારીઓ, સરકારી હોદ્દેદારો, વિદ્વાન તથા વિદ્યાર્થીઓ, ચાલાક હુન્નરીઓ વગેરેની ધૂમ મચી રહી છે. પણ આપણા સાથીઓને માટે આપણી ભાષામાં લખાઈ છપાયેલાં ઘણાં જ થોડાં પુસ્તકો છે ને જે છે તેમાં આ સમયના સુવિચારના ગ્રંથોનો ઉમેરો થાય તો બહુ શોભા આવે … માટે આ પ્રતિનો ગ્રંથ બુદ્ધિવર્ધક હિંદુ સભા મહિને મહિને કાઢવાની આશા રાખે છે.”

છોકરીઓનો ગ્રૂપ ફોટો ૧૮૭૭

જ્ઞાનપ્રસારક મંડળીની જેમ નિબંધોનું વાચન અને જાહેર પ્રવચનો એ બુદ્ધિવર્ધક સભાની પણ મુખ્ય પ્રવૃત્તિ હતી. દરેક બેઠક વખતે સરેરાશ ૭૦ લોકોની હાજરી રહેતી હતી પણ તેમાં મુંબઈના સાઠ સભાસદોમાંથી માત્ર ૧૨ નિયમિત રીતે હાજર રહેતા હતા. જો કે નર્મદે ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતોના ધર્મ’ વિષે નિબંધ વાંચ્યો ત્યારે ૨૫૦ની હાજરી હતી અને બમનજી પેસ્તનજીની સૂચનાથી તેની ૨,૦૦૦ નકલ છપાવીને મુંબઈ તથા ગુજરાતમાં મફત વહેંચવામાં આવી હતી. બીજો એક ફેરફાર એ થયો કે સોસાયટી હિંદુ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જે સ્કૂલો ચલાવતી હતી તેનો વહીવટ ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીને બદલે બુદ્ધિવર્ધક હિંદુ સભાને સોંપવામાં આવ્યો.

૧૮૬૦માં બુદ્ધિવર્ધક હિંદુ સભામાં એક મોટો વિખવાદ ઊભો થયો. તેનું કારણ હતું મહિપતરામ રૂપરામનો ઇન્ગ્લંડનો પ્રવાસ. હિંદુ ગુજરાતીઓમાં પરદેશનો પ્રવાસ કરનાર તેઓ પહેલા હતા. એ જમાનામાં સમુદ્ર ઓળંગીને પરદેશ જવું એ મોટું પાપ મનાતું. ૧૮૬૦ના માર્ચની ૨૬મી એ મળેલી બેઠકમાં મહિપતરામને  માનપત્ર આપવાનું સર્વાનુમતે ઠરાવાયું, અને તેમને મોકલવા માટે તે તૈયાર પણ થયું. પણ સભાના પ્રમુખ ઝવેરીલાલ ઉમિયાશંકરે અને નર્મદે તેના પર સહી કરવાની ના પાડી. તેથી તે બંનેની સહી વગર, બાકીના કારભારીઓની સહી સાથે તે મહિપતરામને મોકલાયું. તેના જવાબમાં લંડનથી ૧૮૬૦ના જૂનની ચોથી તારીખે લખેલા પત્રમાં મહિપતારામે લખ્યું : “આ વરસમાં સભાના પ્રમુખ ભાઈ ઝવેરીલાલ ઉમિયાશંકર તથા ભાઈ નર્મદાશંકર લાલશંકર તમારી પેઠે કારભારી છે એવું છતાં એ મારા બંને મિત્રોની સહી એ પર નથી તેથી મને કેટલીક નાખુશી થઈ છે, પણ હું ધારું છું કે તેઓ નાતની બીકથી વેગળા નહીં રહ્યા હોય પણ તેમના પેટમાં કાંઈ બીજી સારી મતલબ હશે.” આ વિવાદને પરિણામે છેવટે ઝવેરીલાલ ઉમિયાશંકરે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

બીજા એક વિખવાદના કેન્દ્રમાં પણ નર્મદ જ રહ્યો હતો. ૧૮૬૦ના વર્ષમાં જદુનાથજી મહારાજ અને નર્મદ વચ્ચે વિવાદ શરૂ થયો. ધર્મ અને રાજકારણ વિષે સોસાયટીની બેઠકોમાં ભાષણ કે નિબંધવાચન ન થઈ શકે એવો નિયમ પહેલેથી જ હતો. છતાં આ બાબતને સાંસારિક ગણીને સભાની કારભારી મંડળીએ ઓક્ટોબરની છઠ્ઠી તારીખે મુંબઈના ટાઉન હોલમાં એ વિષય પર બોલવાની નર્મદને મંજૂરી આપી. દેખીતી રીતે જ ઘણા સભ્યોએ આ નિયમભંગનો વિરોધ કર્યો.

ત્યાર બાદ ધીમે ધીમે ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માસિક અનિયમિત અને નિસ્તેજ બનતું ગયું અને ૧૮૭૧ના જૂનના અરસામાં બંધ પડ્યું. બુદ્ધિવર્ધક હિંદુ સભાની ઘણીખરી પ્રવૃત્તિ પણ બંધ પડી. આ સભાને ફરી બેઠી કરવાના કેટલાક પ્રયત્નો થયા પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. ૧૮૯૪માં તેના નામમાંથી હિંદુ શબ્દ દૂર કરવામાં આવ્યો. પણ છેવટે ૧૯૩૨માં બુદ્ધિવર્ધક સભાની કાનૂની વાઈન્ડિંગ અપ કામગીરી શરૂ કરીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. ૧૯૩૩ના ઓક્ટોબરની ૧૩મી તારીખે આ અંગેનો હુકમ હાઈકોર્ટ તરફથી મળી ગયો. ૧૨,૮૧૯ રૂપિયા, ૧૧ આના, ૬ પાઈની બુદ્ધિવર્ધક સભાની કુલ મૂડી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને તબદિલ કરવામાં આવી. સાથોસાથ ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલય સાથે બુદ્ધિવર્ધક સભાનું નામ જોડવામાં આવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય આજે પણ ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે. અને એ રીતે ૧૯મી સદીની એક મહત્ત્વની સંસ્થાનું નામ હજી જીવતું રહ્યું છે. 

આ ફાર્બસ ગુજરાતી સભા વિશેની કેટલીક વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 ફેબ્રુઆરી 2023

Loading

સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ

સોનલ પરીખ|Opinion - Opinion|11 February 2023

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે. ઈલાજ એ નથી કે સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો?

મહાભારતના દુર્યોધનની ‘જાનામિ ધર્મમ્‌ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્યધર્મમ્‌ ન ચ મે નિવૃત્તિ’ ઉક્તિ મહાભારત યુગથી માંડીને મોબાઈલ યુગ સુધીની માનસિકતાને લાગુ પડે. શું યોગ્ય છે તે જાણવા છતાં એ થઈ શકતું નથી અને શું અયોગ્ય છે એ જાણવા છતાં એ છોડી શકાતું નથી – આ સંઘર્ષ ત્યારનો કે આજનો નહીં, કોઈપણ સમયનો છે.

સોનલ પરીખ

2022 હર્મન હેસની પ્રખ્યાન નવલકથા ‘સિદ્ધાર્થ’નું શતાબ્દીવર્ષ હતું. હેસે બંને વિશ્વયુદ્ધમાં વિશ્વને ખુવાર થતું નજીકથી જોયું અને ‘ઓ ફ્રેન્ડ્ઝ, નોટ ઈન ધીસ ટોન’માં લખ્યું, ‘આપણે જાણીએ છીએ કે પ્રેમ ધિક્કારથી મોટો છે, સમજદારી દ્વેષ કરતાં ઊંચી છે અને શાંતિ યુદ્ધ કરતાં ઉમદા છે પણ વિશ્વવિગ્રહે આપણાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખ્યાં છે.’

ગઈ સદીમાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખવાનું જે કામ વિશ્વયુદ્ધોએ કર્યું હતું તે કામ આજે ટૅક્નૉલૉજી કરી રહી છે. તાજી વાત કરીએ તો 2020ની ડૉક્યુ-ડ્રામા ‘ધ સોશ્યલ ડિલેમા’માં અમેરિકાના ટૅક્નૉલૉજી-એથિસિસ્ટ ટ્રિસ્ટન હેરિસે કહ્યું, ‘હું તો સ્માર્ટ ફોનની દરેક ચાલ સમજતો હતો, છતાં એને છોડી શકતો નહોતો. મહામુશ્કેલીએ હું એને મારા કાબૂમાં કરી શક્યો. પણ મારી ખરી ચિંતા એ છે કે આપણે નવી પેઢીને એવી ટ્રેઈનિંગ, એવું કન્ડિશનિંગ આપી રહ્યા છીએ કે દરેક ઉદ્વેગ, એકલતા, ભય કે અનિશ્ચિતતાની સ્થિતિનો ઉકેલ આપણા “ડિજિટલ પેસીફાયર” એટલે કે સ્માર્ટ ફોન પાસે છે. એનાથી આપણી કુદરતી ઉકેલક્ષમતા નકામા અવયવની જેમ નાશ પામશે.’

કેવું બદલાઈ ગયું છે આપણું ભાવવિશ્વ – આપણું સુખ એટલે બ્રાન્ડ ન્યૂ સેલફોન, આપણું દુ:ખ એટલે સાયલન્ટ મોડ પર મૂકેલો સેલફોન ખોવાઈ જવો, ગુસ્સો એટલે કોઈનો સેલફોન છુપાવી દો પછી તેને થાય તે, આપણો આનંદ એટલે સરસ સેલ્ફી અપલોડ થાય તે અને આપણી પીડા એટલે એડિટ કર્યા પછીની પ્રોફાઈલ તસવીર જેવા ન દેખાઈ શકવું તે. ઊલટાંસૂલટાં થવાનું એટલી હદે પહોંચ્યું છે કે આપણે જ શોધેલી ટૅક્નૉલૉજી હવે આપણને એની આંગળીઓ પર નચાવે છે, ને આપણે નાચીએ પણ છીએ, કેમ કે આપણો સ્માર્ટ ફોન આપણા કરતાં વધારે સ્માર્ટ છે. જે સહેલાઈથી દૂર બેઠેલા લોકો નજીક છે એવો ભ્રમ આપે છે એ જ સહેલાઈથી બાજુમાં જ બેઠેલી વ્યક્તિને દૂર કરી દે છે. આપણી સંવેદના કોઈ કાનમાં બૂમો પાડે ન સંભળાય એવી બધિર બનાવી સ્માર્ટ ફોન આપણી એટેન્શન સિકિંગની આદિમ વૃત્તિ પર ટાર્ગેટ કરી પોતાનો આખો કારોબાર ચલાવે છે.

સ્માર્ટ ફોનને વખોડવાનો આશય નથી, પણ જ્યારે એ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ગયો છે ત્યારે આપણે એના વિશે થોડું સમજી તો લેવું જોઈએ. આપણે એના વિશે પૂરું જાણતા નથી જ્યારે એ આપણા વિશે આપણાથી વધારે જાણે છે. સોશ્યલ મિડિયા કંપનીઓના કેટલાક ‘હિડન એજન્ડા’ છે – એ આપણી દરેક ક્લિક રેકૉર્ડ કરે છે, એનું એનાલિસિસ કરે છે, એને ટાર્ગેટ કરે છે અને આ ડેટાનો ફ્યુચર મોડેલ બનાવવામાં ઉપયોગ કરે છે. બે વ્યક્તિ વચ્ચેની ઓનલાઈન ફ્રેન્ડશીપ કોઈ ત્રીજી વ્યક્તિ નક્કી કરે છે ને કમાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ભ્રમ ત્યારે કામ કરે છે, જ્યારે એ તમારા દિમાગના એવા હિસ્સાને સ્પર્શે છે જેની તમને જાણ નથી. લાઈકથી ખુશ થતી વખતે આપણને ખબર હોતી નથી કે એને લીધે આપણી પોકળતા-હોલોનેસ વધે છે. આ ખાલીપો ફરી ફરી, વધુ ને વધુ લાઈક મેળવીને જ ભરાય છે. આખું સોશ્યલ મિડિયા ફોસલાવવાની રમત છે. ફેસબુક ફોસલાવવામાં એટલું ઉસ્તાદ છે કે લગભગ આખા દેશની જનતાને કાબૂમાં લઈ શકે છે.

આપણે બધા, ખાસ તો નવી પેઢી વૉટ્સ અપ, ફેસબુક ને ટ્વિટર પર જે મુકાય તેને સાચું માની લે છે. એની ઈચ્છાશક્તિ એને ખબર ન પડે એમ નિયંત્રિત થવા લાગે છે. એક આભાસી વિશ્વ, ઈનામ મળવાથી થતી લાગણી ઉત્પન્ન કરતા ડોપામાઈન નામના રસાયણનો સ્રાવ વધારે છે. આત્મવિશ્વાસ મળવા ને તૂટવાની ઘટના સેલ્ફીને મળતી કૉમેન્ટ્સ પર આધાર રાખતી થઈ જાય છે. મોબાઈલ-મેનિયા પછી તરુણોની આત્મહત્યા 65 ટકા વધી છે એ આપણે જાણીએ છીએ? આપણી મોબાઈલ-નિર્ભરતાનો કટ્ટરવાદીઓ, અલગતાવાદીઓ અને ફેકન્યૂઝવાળા પુષ્કળ લાભ ઉઠાવે છે. એ લોકોને બરાબર ખબર છે કે જૂઠી ખબર, સાચી ખબર કરતાં અનેકગણી વધારે ઝડપે ફેલાય છે ને ભડકામણી વાતો ફેલાવવી સરળ છે કેમ કે લોકો ઉતાવળમાં હોય છે, સાચું-ખોટું પારખવાની ઝંઝટમાં પડતા નથી ને એમને ઉશ્કેરાવું ગમે છે.

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે, એ આપણને એવા વહેમમાં રાખે છે કે કર્તાહર્તા આપણે જ છીએ કેમ કે આપણે વહેમમાં રહીએ તો જ વ્યસનની પ્રતીતિ ન થાય. આપણે સ્ક્રીન પર રોકાયેલા રહીએ તેમ એ વધારે નફો કમાય, આપણા અભિપ્રાયો-લાગણીઓ-માનસિકતા બદલવામાં સફળ થાય અને અને ખોટા સમાચાર કે લાભદાયક થિયરી ફેલાવી શકાય. સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો એ આનો ઈલાજ નથી, અને એ શક્ય પણ નથી. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. એનો યોગ્ય ઉપયોગ કરવો, એના ગુલામ ન થવું.

પણ, એની લતમાંથી છૂટવું કઈ રીતે?

પહેલા તો પોતાની સ્થિતિ જાણો. જો તમે ત્રણ કલાકથી વધારે મોબાઈલ વાપરો છો તો તમને એની લત લાગી છે એ સમજી લો. એ પણ મોનિટર કરો કે કેટલી વાર, કેટલા સમયાંતરે મેસેજ ચેક કરો છો. જાગૃતિ પહેલું પગલું છે. ‘ચેકી’, ‘ટાઈમર’ જેવી એપ્સ ડાઉનલોડ કરો જે તમારા વપરાશને ટ્રેક કરે.

પછી પ્લાન બનાવો. એક્દમ વપરાશ છોડશો તો અજંપો-એંક્ઝાયટી આવશે. દિવસમાં સવારે એક કલાક ને રાતે એક કલાક નક્કી કરો, એ સિવાય ફોનને અડવાનું નહીં. અડધી કલાકે એક વાર ચેક કરો. એના કરતાં ઓછો વાપર્યો હોય તો પોતાને રિવૉર્ડ આપો. મોબાઈલ આંખથી દૂર રાખો. કામના કલાકોમાં મોબાઈલ સાયલન્ટ રાખો. કોઈને આપી રાખો અને વાપરવો હોય ત્યારે માગો. અઠવાડિયામાં એક દિવસ ‘હોલિડે’ રાખો. બધાને કહી દો કે આ દિવસે મોબાઈલ ઑફ હશે. ફોન વિશે વિચાર્યા ન કરો. વાંચન, સંગીત, મિત્રો, ફરવું વગેરે બહેતર વિકલ્પ તૈયાર રાખો. માઈન્ડફુલનેસ અને સર્જનાત્મકતા કેળવો. એ તમને મોબાઈલના વ્યસનથી તો મુક્ત કરશે, પણ વ્યક્તિત્વ-વિકાસની દૃષ્ટિએ પણ કામ આવશે. રચનાત્મક રીતે વ્યસ્ત રહો.

એક ઉપાય સેટિંગ બદલવાનો પણ છે. પેમેન્ટ સિસ્ટમ બદલી કાઢો. પે એઝ યુ ગો એવા પ્લાન હોય છે અને અમુક એમાઉન્ટ ભરો એટલે અમુક મિનિટની જ છૂટ મળે એવી સગવડ પણ હોય છે. ટેવ બદલો.

આ બધું છતાં જો છોડી ન શકાય તો ટ્રીટમેન્ટ લેતા અચકાતા નહીં. સ્માર્ટ ફોનના સ્માર્ટ યુઝર બનવું એ આજની અનિવાર્યતા છે. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 જાન્યુઆરી 2023

Loading

यात्रा से आगे

कुमार प्रशांत|Opinion - Opinion|10 February 2023

कुमार प्रशांत

बात राहुल गांधी से शुरू करूं या या इतिहास से ? इतिहास से ही करता हूं क्योंकि जो इतिहास का संदर्भ नहीं समझते हैं, वे बहुत जल्दी इतिहास बन जाते हैं. इसलिए राहुल गांधी की पदयात्रा को देखने से पहले भारतीय संस्कृति की तरफ देखते हैं जिसकी अपनी एक यात्रा निरंतर चलती रहती है.  हम यह ध्यान रखें कि जब हम यात्रा की बात करते हैं तो वह सफर से अलग मतलब रखती है.

ईश्वर से दिए पांवों से अलग, चलने के दूसरे साधन जब तक मनुष्य ने खोजे नहीं थे, तब तक पांवों उसका सबसे बड़ा व भरोसे का साथी था. प्राचीन ऋषियों-मुनियों-साधकों आदि का इतिहास हम न भी खंगालें तो भी यह देखना कितना लोमहर्षक है भारत को चार खूटों में बांधने की शंकराचार्य की यात्रा हो कि धर्मप्रवर्तन की गौतम बुद्ध की यात्रा या तीर्थंकर महावीर का परिभ्रमण हो, भारत ने पदयात्राओं से ही खुद को आकार लेते, संस्कारवान होते पाया है. नवीन सत्य के उद्घाटन के लिए हो या सत्य से वृहद् समाज को जोड़ने के लिए हो या अपनी संस्कृति का उद्बोध जगाने के लिए हो, पदयात्राएं इस देश की संस्कृति का अधिष्ठान रही हैं. ऐसा संसार में दूसरी जगहों पर नहीं मिलता है या बहुत ही कम मिलता है.

महात्मा गांधी के रूप में हमें एक ऐसा संस्कृति-पुरुष मिला जिसने प्राचीनतम व नवीनतम का सेतुबंध किया और ताउम्र हमारे मन-प्राणों को झकझोर कर आधुनिक बनाने का उद्यम किया. उस गांधी को हम सुदूर दक्षिण अफ्रीका में मिल मजदूरों को ले कर वह कूच करते पाते हैं जिसे रोकने-समझने में जनरल स्मट्स की गोरी सरकार बला की भोंदू नजर आई. गांधी के संदर्भ में हम बार-बार ऐसा होते पाते हैं. फिर हम 1930 में महात्मा गांधी को नमक सत्याग्रह के वक्त एक लंबी पदयात्रा करते पाते हैं जब वे साबरमती आश्रम से निकल कर, 388 किलोमीटर दूर दांडी के समुद्र तट तक जाते हैं. इस छोटी-सी पदयात्रा ने भारतीय स्वतंत्रता संग्राम को जैसी धार व उत्कटता दी, उसका दूसरा कोई सानी नहीं है.

इसके बाद क्षितिज पर उभरते हैं आचार्य विनोबा भावे ! उन्होंने जिस तरह भूदान की पदयात्रा की, वह ‘न भूतो न भविष्यति’ की श्रेणी का उपक्रम था. वह ज्ञात इतिहास में ऐसी एकमात्र पदयात्रा है  जिसका एक ही उद्देश्य था : अहिंसक क्रांति के लिए देश का मन तैयार करना ! क्रांति के मूल्यों को ले कर समाज से वैसी टक्कर लेने वाला दूसरा कोई अब तक सामने नहीं आया है. विनोबा के शब्दों में कहू तो यह विचार-क्रांति का तूफ़ान था.

इसके बाद भी यात्राओं या पदयात्राओं के दूसरे कुछ उदाहरण भी मिलते हैं जैसे बाबा आमटे की भारत जोड़ो यात्रा जिसने आजादी के बाद युवाओं को उनकी सामाजिक जिम्मेवारियों का व्यापक अहसास कराया. एक लंबी यात्रा जनता पार्टी के अध्यक्ष रहे राजनेता चंद्रशेखर ने भी की जिसमें वे अपनी राजनीतिक जमीन तलाशते रहे. बाद में वे अल्पकाल के लिए देश के प्रधानमंत्री भी बने. पद के लिए पदयात्रा जैसे कुछ छिटपुट उदाहरण और भी मिलेंगे लेकिन जाने-अनजाने में राहुल गांधी ने इन सबसे अलग एक नया परिदृश्य रचा.

वे ऐसे वक्त, एक ऐसी पदयात्रा पर निकले जिसकी देश की हवा में कहीं भनक भी नहीं थी.  राहुल गांधी और कांग्रेस की उनकी टीम ने भी पदयात्रा की तैयारी वगैरह की जितनी भी बारीक योजना बनाई हो तथा अनुशासन आदि तैयार किया हो, यह तो नहीं सोचा था कि यह लोगों में ऐसी हलचल पैदा करेगा. किसी को भी यह अंदेशा नहीं था – राहुल गांधी को भी नहीं – कि यह पदयात्रा कांग्रेस को व देश को इस तरह आलोड़ित कर देगी.

इस पदयात्रा का सत्ता में वापसी जैसा कोई उद्देश्य होगा, यह मानना संभव नहीं है. आज कांग्रेस जिस तरह टूट व चुक चुकी है उसके बाद यह सोचना कि एक पदयात्रा से वह इस कदर उठ खड़ी होगी कि सीधा दिल्ली में गद्दीनशीं हो जाएगी, खतरनाक बचकानापन है. राहुल गांधी में ऐसा बचकानापन नहीं है. इसलिए पूरी यात्रा में कहीं भी, कभी भी राहुल गांधी ने कांग्रेस की वापसी या अपनी सत्ता की बात नहीं की. उन्होंने जो बात सबसे ज्यादा की और इस यात्रा का जो परिणाम सबसे दृश्य है आज, वह यह है कि देश का सामान्य विमर्श कुछ बदला हुआ लगता है. जो बात कहीं से भूली जा रही थी, वह जैसे याद आने लगी है. हिंदुत्व की जैसी विषैली व्याख्या और उसका जैसा वीभत्स चेहरा पिछले वर्षौं में सामने आया है, उससे सारे देश में एक सन्नाटा छा गया था. जो बोलना था वह एक ही व्यक्ति को बोलना था, जो करना था वह उन्मत्त भीड़ को करना था. बाक़ी किसी के पास कुछ कहने व करने जैसा बचा नहीं था. जनता को जब आप भीड़ में बदल देते हैं तो वह लोक की भूमिका से विमुख हो जाती है. यह डर का सन्नाटा भी था और विमूढ़ता का सन्नाटा भी था.

ऐसा तब होता है जब समाज को कोई रास्ता नहीं मिलता है. तब डर कर चुप हो जाता है. रास्ता दिखाने वाला कोई सामने नहीं होता है, तो रास्ता भटक जाना स्वाभाविक होता है. बच्चा भी भटक जाता है जब घर उसे रास्ता नहीं दिखा पाता है. इसलिए बहुत जरूरी होता है कि देश का राजनीतिक तंत्र जैसे भी, जिधर भी चले, लोक के स्तर पर एक प्रगतिशील नेतृत्व सामाजिक पटल पर मजबूती से खड़ा भी रहे तथा जनता से सीधे संपर्क में भी रहे. ऐसा नहीं होता है तो लोकतंत्र सिकुड़ कर तंत्रलोक बन जाता है जिसमें सबसे वाचाल सियारों का हुआं-हुआं होता रहता है.  ऐसा ही हाल हमारा हो गया था. राहुल गांधी की पदयात्रा ने यह सन्नाटा तोड़ा है. एक भिन्न आवाज आज अपनी जगह बनाने लगी है. यह पूरी तरह सजग नहीं है, इसे खतरों का पूरा अहसास नहीं है. लेकिन जो संभावना टूटती-सी लग रही थी, जो लौ बुझती-सी लग रही थी, वह फिर सर उठा रही है.

यह लोकतंत्र का लोक है जिसने इस यात्रा के दौरान अपनी आंखें खोली हैं या कहूं कि जिसने सारा परिदृश्य नई तरह से देखना-समझा शुरू किया है. लेकिन यह भी खूब ठीक से समझने की जरूरत है कि राजनीतिक दल के रूप में कांग्रेस को भी और  विपक्ष को भी अपने अस्तित्व की लड़ाई अलग से लड़नी होगी.  यह यात्रा भारतीय जनता पार्टी को भी यह संकेत दे रही है कि सत्ता का सुख चाहे जितना लुभावना हो, सत्ता में शक्ति जनता से आती है. सत्ता जनता से मिलती है तथा जनता की आराधना से ही वह टिकती है. यह बात न कांग्रेस भूले, न भारतीय जनता पार्टी, सारा विपक्ष ! मतलब यात्रा से आगे भी एक यात्रा है जिसे पूरी एकाग्रता से पूरी किए बिना किसी भी राजनीतिक दल का कल्याण संभव नहीं है.

(10.02.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,1081,1091,1101,111...1,1201,1301,140...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved