Opinion Magazine
Number of visits: 9563705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રણજીત ગુહા : એક અનોખા ઇતિહાસકાર

રમેશ ઓઝા|Opinion - Opinion|7 May 2023

રમેશ ઓઝા

આમ તો ઇતિહાસનું વિષયવસ્તુ ઇતિહાસ એટલે કે અતીતની ઘટનાઓ હોય છે, પણ તેનો ખપ વર્તમાનમાં હોય છે. અંગ્રેજોએ ભારત ઉપર ભારતને સંસ્થાન બનાવીને બને એટલો લાંબો સમય રાજ કરવું હતું એટલે તેમણે તેમને અનુકૂળ આવે એ રીતનો ઇતિહાસ લખ્યો હતો. ભારત ઉપર રાજ કરવું અને ભારતને સંસ્થાન બનાવીને રાજ કરવું એ બેમાં જમીન આસમાનનો ફરક છે. સંસ્થાનનાં કેન્દ્રમાં સત્તા સાથે અને સત્તાથી વિશેષ શોષણ હોય છે. શોષણ લાંબો સમય તો જ ટકે જો શોષણકર્તા સત્તાધીશોનો સમાજના દરેક ઘટક હોંશે હોંશે સ્વીકાર કરે. આને માટે અંગ્રેજોએ એવી રીતે ભારતનો ઇતિહાસ લખ્યો કે દરેક સમાજઘટકને અંગ્રેજો પોતાનાં લાગ્યા હતા. હિંદુઓ અંગ્રેજોને કારણે પોતાને મુસલમાનોથી સુરક્ષિત માનતા હતા અને મુસલમાનો અંગ્રેજોને કારણે પોતાને હિંદુઓથી સુરક્ષિત માનતા હતા. દલિતો અને પછાત કોમો અંગ્રેજોને કારણે પોતાને સવર્ણ હિંદુઓથી સુરક્ષિત માનતા હતા. દક્ષિણના દ્રવિડો અંગ્રેજોના કારણે પોતાને ઉત્તરના આર્યો સામે સુરક્ષિત માનતા હતા. શોષણ દરેકનું થતું હતું, પણ એ છતાં ય તેમને અંગ્રેજો તારણહાર લાગતા હતા. આ અંગ્રેજોએ લખેલા ભારતના ઇતિહાસની કમાલ હતી.

જેઓ દેશની આઝાદી માટે લડ્યા હતા એ લોકોને સમજાઈ ગયું હતું કે અંગ્રેજોએ તેમને માફક આવે એવો જે ઇતિહાસ લખ્યો છે એ રાષ્ટ્રીય એકતાનાં પાયામાં રોપવામાં આવેલી સુરંગ છે. જ્યાં સુધી રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી ઇતિહાસ નહીં લખાય ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ થવાનું નથી. એટલે આઝાદી પછી રાષ્ટ્રીય ઇતિહાસલેખન કરવાનો ઉપક્રમ સરકારે, વિવિધ સંસ્થાઓએ અને વ્યક્તિગત રીતે કેટલાક ઇતિહાસકારોએ હાથ ધર્યો. એ ઇતિહાસલેખનના કેન્દ્રમાં ભારત અને ભારતની પ્રજાની અંદર રહેલી એકતા હતાં. વિવિધતાનો સ્વીકાર તેમ જ આદર અને તેનાં દ્વારા એકતાને ઘનીભૂત કરવી. જે લોકોએ આઝાદીનાં આંદોલનમાં ભાગ નહોતો લીધો અને લેવો પણ નહોતો તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ વધારે માફક આવતો હતો. શું કરીએ અમે તો દેશ માટે સમર્પિત છીએ, પણ બીજા નથી.

ઇતિહાસ લેખનની ત્રીજી સ્કૂલ માર્કસવાદીઓની છે. જગતનો ઇતિહાસ મુખ્યત્વે શોષણનો ઇતિહાસ છે. એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરે છે અને એ જ જગતનું સત્ય છે. શોષણ કરનારી વ્યવસ્થા હંમેશાં પોતાનાં હિતમાં કાયમ રહે એ માટે શોષણકર્તાઓ શાસકોનો, ધર્મ અને ધર્મગુરુઓનો, સામાજિક અને સાંસ્કૃતિક રીતિરિવાજોનો, શિક્ષણનો ઉપયોગ કરે છે. જગતમાં સપાટી ઉપર જે બની રહ્યું છે એ વાસ્તવમાં વર્ગસંઘર્ષ છે. આનો અર્થ એ થયો કે વર્ગસંઘર્ષનો ઇતિહાસ એ જ માનવસમાજનો ઇતિહાસ.

ઇતિહાસ લેખનની ચોથી સ્કૂલ આજકાલ ભારતમાં નજરે પડી રહી છે એ હિંદુ રાષ્ટ્રવાદીઓની છે. રાષ્ટ્રવાદી ઉતિહાસ લેખન નહીં, હિંદુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખન. ભારતમાં રાષ્ટ્રવાદી ફક્ત હિંદુ જ હોય એવું તેમનું ગૃહિત છે. તેઓ અંગ્રેજોના ઇતિહાસમાંથી એટલું લે છે જે હિંદુઓને માફક આવે અને એ નથી લેતા જે હિંદુઓને માફક ન આવે. તેઓ હિંદુઓને માફક ન આવે એવી ઐતિહાસિક ઘટનાઓને, હિંદુઓએ શરમાવું પડે એવા પરાજયોને, સામાજિક-સાંસ્કૃતિક રીતિરિવાજોને ભૂલવાડી દેવા માગે છે, ભૂંસી નાખવા માગે છે. એને માટે તેઓ નવેસરથી ઇતિહાસ લેખન કરે છે જેમાં કાપકૂપ અને ઉમેરણ બન્નેનો સમાવેશ થાય છે.

પણ આ ચારમાંથી કોઈએ સ્ત્રીઓની, દલિતોની, જંગલમાં રહેતા આદિવાસીઓની, ખેતમજૂરોની, બંધવા મજદૂરોની વાત કરી નથી. શું આ હાંસિયામાં રહેલી પ્રજાની અંદર કોઈ ચેતના જ નહોતી? શું તેમણે તેમની પીડાને કોઈ દહાડો વાચા આપી જ નહોતી? શું તેમણે ક્યારે ય વિદ્રોહ કર્યો જ નહોતો? તેમણે ખૂબ પીડા સહન કરી હતી, પણ શું તેમની સહન કરવાની ક્ષમતાએ ક્યારે ય જવાબ આપ્યો જ નહોતો? શું તેમણે ઊંહકારો કર્યો જ નહોતો? ન્યાય અન્યાય શું કહેવાય તેની તેમને જાણ નહોતી? પણ આશ્ચર્યની વાત છે કે અંગ્રેજોએ, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ, માર્કસવાદીઓએ કે હિંદુ રાષ્ટ્રવાદીઓને તેમના તરફ કાન માંડવાની તસ્દી નહોતી લીધી. માર્કસવાદીઓએ તેમનાં વર્ગસંઘર્ષકેન્દ્રી ઇતિહાસ લેખનનાં ખાનાંમાં હાંસિયામાં રહેલી પ્રજાઓનાં શોષણનો અને શોષણ સામેના સંઘર્ષનો સમાવેશ નહોતો કર્યો, જે તેમની પાસે અપેક્ષિત હતો.

આ કામ રણજીત ગુહાએ કર્યું હતું જેમનું હમણાં સો વર્ષની વયે ૨૮મી એપ્રિલે અવસાન થયું. વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર રણજીત ગુહાએ ૧૯૮૦માં સબાલ્ટર્ન સ્ટડીઝનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. સબાલ્ટર્નનો અર્થ થાય છે હાંસિયામાં સ્થાન પામતા લોકો. એવા લોકો જેઓ બીજાની મરજીથી જીવે છે અને બીજાનાં આદેશોનું પાલન કરે છે. એવું નથી કે તેમના જીવનની કોઈ કિંમત હોતી નથી, પરંતુ કિંમત કરનારાઓએ કિંમત કરી નથી. સામાન્ય પ્રજા તો ઠીક, પ્રગલ્ભ ઇતિહાસકારોને પણ તેમના તરફ નજર કરવાની જરૂર નહોતી લાગી. રણજીત ગુહાએ કહ્યું કે તેમણે પણ સંઘર્ષ કર્યો છે, કારણ કે તેમની અંદર પણ જીવતી ચેતના હતી. તેમણે પણ શોષણ સામે વિદ્રોહ કર્યો હતો. પરંતુ તેમની અભિવ્યક્તિની, અભિવ્યક્તિનાં સ્વરૂપની, અભિવ્યક્તિનાં માધ્યમોની, તેમણે કરેલા સંઘર્ષની, તેમની શહીદીની કોઈએ નોંધ પણ નથી લીધી. અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાનની સરહદે ભીલોએ કરેલો વિદ્રોહ અને દક્ષિણ ગુજરાતની રાનીપરજ પ્રજા હોળીના દિવસે શોષણકર્તા પારસીઓને ગાળો આપતાં ગીતો ગાય એ બન્ને પીડાને આપવામાં આવેલી અભિવ્યક્તિ છે. તમને નથીં લાગતું કે તેમની વ્યથાની અને વાચાની નોંધ લીધા વિના ભારતનું ઇતિહાસ લેખન અધૂરું છે? રણજીત ગુહાએ ચાલીસ વર્ષ પહેલાં આ પ્રશ્ન કર્યો હતો.

ઇતિહાસ લેખનના વિષયવસ્તુ તરીકે સબાલ્ટર્ન એવો શબ્દપ્રયોગ તેમણે સૌથી પહેલાં કર્યો હતો. આમ તો ઇટાલિયન સામ્યવાદી ફિલોસોફર એન્ટોનિયો ગ્રામસીએ આ શબ્દ પ્રયોજ્યો હતો પણ એ જુદા સંદર્ભમાં. ગુહા સાથે કેટલાક મેધાવી ઇતિહાસકારો જોડાયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની સાથે મળીને સબાલ્ટર્ન સ્ટડીઝ પ્રોજેક્ટ શરૂ થયો. ધીરેધીરે ઇતિહાસકારો જોડતા ગયા અને સોએક ઇતિહાસકારોનું એક રાવણું બની ગયું જેમાં ડેવિડ હાર્ડીમેન જેવા વિદેશીઓ પણ હતા. કેટલાક વૈચારિક મતભેદ થતા પ્રોજેક્ટમાંથી નીકળી પણ ગયા. અત્યાર સુધીમાં હાંસિયામાં રહેલી પ્રજાએ દાખવેલી ચેતનાને અને તેમના સંઘર્ષને વાચા આપતાં ૧૧ ખંડો પ્રકાશિત થઈ ચુક્યાં છે જેમાંથી પહેલા છ ખંડોનું સંપાદન રણજીત ગુહાએ કર્યું હતું. રણજીત ગુહાને અનુસરીને બીજા દેશોમાં પણ આ રીતનું સબાલ્ટર્ન ઇતિહાસ લેખન શરૂ થયું છે.

તમે ક્યારે ય વિચાર્યું હતું કે ઘરમાં ગોંધી રાખેલી સ્ત્રી પણ પોતાને કોઈને કોઈ રીતે વ્યક્ત કરે છે? ક્યારે ય કાન આપવાની કોશિશ કરી છે? માટે રણજીત ગુહા સાંપ્રત યુગના મહાન ઇતિહાસકારોમાં સ્થાન ધરાવે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 મે 2023

Loading

રાજકારણીઓની શતરંજમાં પ્યાદા બની જશે મહારાષ્ટ્રનું મુંબઈ, મુંબઈનાં ગુજરાતીઓ અને ગુજરાતીઓનું મુંબઈ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 May 2023

રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો.

ચિરંતના ભટ્ટ

મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે શતરંજની બાજી ખેલાઇ રહી છે. જે પક્ષને 1999માં સ્થાપ્યો હતો તે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના (NCP) સુપ્રીમો શરદ પવારે પોતાનું રાજીનામું જાહેર કરવાની વાત કરીને મોટો જુગાર રમી નાખ્યો. આ અણધાર્યા નિર્ણય પાછળ એક માત્ર હેતુ છે કે ફરી એકવાર એ પક્ષની પૂરેપૂરી લગામ પોતાના હાથમાં લઇ લેવી. 

છેલ્લા કેટલાક અઠવાડિયાથી NCPના નેતાઓ વચ્ચે સંતુલન પાછું લાવવા માટે શરદ પવાર આકાશ પાતળ એક કરી રહ્યા હતા અને એમાં તેમને કોઇપણ પ્રકારની ધારી સફળતા નહોતી મળી રહી. એન.સી.પી.નો એક હિસ્સો મહા વિકાસ અઘાડી(MVA)ના ગઠબંધનમાંથી નીકળી જવાની ભાંજગડમાં હતો અને આ માટે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાની વાતો ચાલી રહી હતી. MVA કાઁગ્રેસ, NCP અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)નું ગઠન છે. શરદ પવારના ભત્રીજા અજીત પવારે અમિત શાહ સહિત ભા.જ.પા.ના બીજા મોટાં માથાઓ સાથે બેઠક કરી હોવાની ચર્ચાએ મુંબઈમાં સારી એવી હવા પકડી. જો કે અજીત પવારે આવું કંઇપણ થયું હોવાની કોઈ વાત સ્વીકારી નહીં. NCPમાંથી મોટી સંખ્યાના ધારાસભ્યો નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.-શિંદેના નેતૃત્વ હેઠળની સેના તરફ સરકવા થનગની રહ્યા હતા, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના પક્ષમાં જવામાં તેમને કોઇ લાભ નહોતો દેખાતો. આ તરફ NCPની મુખ્ય સમિતિએ શરદ પવારના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. પક્ષ માટે સૌથી મોટું કામ છે શરદ પવાર અને અજીત પવારને ભેગા રાખવા અને આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સેના અને કૉંગ્રેસ કોને MVAમાંથી મુખ્ય મંત્રીના પદનો ચહેરો ઠેરવે છે તેનો નિર્ણય લેવાની સૂચના પણ અપાઇ છે. શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત પાર્ટીનો ભંગ અટકાવવા માટેનું પગલું હતી તેમ માનવામાં આવી રહ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતા છગન ભૂજબળે એમ કહ્યું હતું કે શરદ પવાર પછી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં સુપ્રિયા સૂલેને આગળ કરવાં જોઇએ અને અજીત પવારને રાજ્ય સ્તરના રાજકારણની જવાબદારી સોંપવી જોઇએ. અજીત પવારે 2018માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસની સાથે શપથ વિધિમાં જોયા ત્યારે શરદ પવારને ઝટકો લાગ્યો હતો કારણ કે તે NCPના સાંધા મજબૂત કરવા માટે મથી રહ્યા હતા. અજીત પવારનું એ પગલું – ઘર કા ભેદી લંકા ઢાયે જેવું સાબિત થયું હતું.

આટલા બધા હાઇ-પોલિટીકલ ડ્રામા વચ્ચે તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં અમિત શાહની ટીકા કરવામાં આવી અને લખાયું કે ભા.જ.પા. મુંબઈને તોડવા માગે છે અને એટલે જ અમિત શાહ વારંવાર મુંબઈની મુલાકાતે આવે છે. આ થયું અને ભા.જ.પા.ના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ ઠાકરે પરિવારને ગુજરાતીઓ તરફથી મળતી કમાણીમાં રસ છે, તેની સાથે બિઝનેસ પાર્ટનરશીપ માફક આવે છે પણ ગુજરાતીઓથી હવે તેમને એલર્જી થાય છેની વાત કરી.

આ જે પણ થઇ રહ્યું છે, કહેવાઈ રહ્યું છે ત્યારે એ વિચારવું રહ્યું કે મહારાષ્ટ્રની ઓળખ, પાટનગર અને દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઈ ગુજરાતીઓ થકી સમૃદ્ધ થયું છે. બાળ ઠાકરે જ્યારે મુંબઈ પર ‘રાજ’ કરતા હતા અને તેમણે બિન-મરાઠીઓને નિશાને લીધા હતા ત્યારે તેમણે ગુજરાતીઓ સાથે ક્યારે ય કોઈ સીધી બબાલ ખડી નહોતી કરી. મુંબઈને ઘડવામાં ગુજરાતી, પારસી, દક્ષિણ ભારતીય, રાજસ્થાનીનો નોંધપાત્ર ફાળો છે વળી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકોએ પણ મુંબઈનું ઘડતર કરવામાં પોતાનું યોગદાન આપ્યું જ છે. આપણે માત્ર ગુજરાતીઓની જ વાત કરીએ તો ચંદ્રકાંત બક્ષીએ જે વાત કરી હતી તે યાદ કરવી રહી. અંદાજે 300થી પણ વધુ વર્ષ પહેલાં રૂપજી ધનજી દીવથી મુંબઈ આવીને વસ્યા. કપોળ અને ભાટિયાઓ મુંબઈ આવ્યા અને 19મી સદીમાં મુંબઈ ગુજરાતીઓનું મુંબઈ જ કહેવાતું અને 20મી સદીમાં મુંબઈના ગુજરાતીઓની ઓળખ ઘૂંટાઈ. 700 વર્ષથી મુંબઈને ગુજરાતીઓએ મન મૂકીને પ્રેમ કર્યો છે. 1671માં સુરતના વાણિયા મહાજને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે વેપાર સ્વતંત્રતાની માંગણી કરી અને તે મંજૂર થઇ. 1803માં ગુજરાતના દુકાળે ઘણા ગુજરાતીઓને મુંબઈ તરફ વાળ્યા. અંગ્રેજ રાજ દરમિયાન ગુજરાતીઓને કારણે મુંબઈમાંથી રૂની નિકાસ થતી તો સટ્ટા બજાર અને હીરા બજાર શરૂઆતથી માંડીને આજ સુધી ગુજરાતીઓથી ઉબાય છે. 19મી સદીમાં ધીરુભાઇ અંબાણી અને પ્રેમચંદ રાયચંદ મુંબઈ આવ્યા. અંગ્રેજોએ ગુજરાતીઓને બોમ્બે સ્ટેટમાં આવાકાર આપ્યો કારણ કે ગુજરાતીઓ બિઝનેસ લાવી આપતાં, આજે પણ લાવી આપે છે. પારસીઓ પણ તો ગુજરાતીપણાના રંગે રંગાયેલા છે જ અને જમશેદજી જીજીભૉય, અબ્દુલ હુસેન આદમજી પીરભૉય, સર કાવસજી જહાંગીર જેવા પારસીઓએ મુંબઈને ખોબલે ખોબલે આપ્યું છે. ઠાકરશી પરિવારને લીધે આજે મુંબઈ પાસે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી છે. ક્રૉફ્રડ માર્કેટમાં આવેલા કાપડ બજારો, મુંબઈની જાણીતી હૉસ્પિટલ્સ, વિલે-પાર્લે કેળવણી મંડળ જેવું તો કેટલું બધું આજે મુંબઈમાં ગુજરાતીઓને કારણે છે. નાના ચુડાસમા જેવા કેટલા ય મોટાં નામો છે જે મુંબઈની ઓળખ ઘડવામાં મોખરે રહ્યા છે અને તે પણ અલગ અલગ વ્યવસાયોમાં – કોઈ ધારાશાસ્ત્રી તો કોઇ ડૉક્ટર્સ તો કોઈ બિલ્ડર્સ અને ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં કામ કરતા ગુજરાતીઓ પાછા છોગાંમાં.

જે ગુજરાતીઓને કારણે મુંબઈમાં વેપાર વાણિજ્યનો વિકાસ થયો તેમની સાથે બાથ ભીડવામાં કંઇ સાર નથી એ રાજકારણીઓ સમજવું જોઇએ. ગુજરાતીઓ સુરત તરફથી મુંબઈ આવ્યા તેનું કારણ એ પણ હતું કે શિવાજી અને તેમની ગેરીલા સેના દ્વારા થતી હેરાનગતી. સુરતને અનેકવાર લૂંટનારા મરાઠાઓથી કંટાળીને ગુજરાતીઓ મુંબઈ તરફ વળ્યા હતા. તમે મુંબઈમાં ગાંધિયાણું લેવા જશો અને ત્યાં બેઠેલો દુકાનદાર ગુજરાતી ન નીકળે તો જ નવાઈ. આવામાં મુંબઈ કોનું – વાળી બબાલ કરવાનું મૂકીને વિકાસ – સાચા અર્થમાં કોના થકી થયો છે તે સમજીને ડહાપણભર્યું વર્તન કરવું.

બાય ધી વેઃ

રાજકારણ અને ધ્રુવીકરણ એક જ સિક્કાની બે બાજુ બની ગયાં છે. પહેલાં ધર્મને નામે ભાગલાં કરો, એ પતે પછી જાતિવાદની કરવત ચલાવો અને બચી ગયું છે તો ભાષાવાદના દેકારા કરી વાડાબંધી કરો. ‘ચક દે’ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં હૉકી કૉચનું પાત્ર ભજવનારા શાહરૂખ ખાન પોતાની હૉકી ટીમને પોતાની ઓળખ આપવા કહે છે અને તે દરેક ખેલાડી પોતાના રાજ્યના નામથી પોતાની ઓળખાણ આપે છે. આ પછી શાહરૂખ ખાન કહે છે કે આમ તો તમે જીતી જ નથી શકવાના, કૉચ પાસેથી મુદ્દો સમજ્યા પછી દરેક ખેલાડી પોતાની ઓળખાણ ભારતીય તરીકે આપે છે અને પછી દરેકનો અભિગમ બદલાય છે. આપણા રાજકારણીઓએ આ ફિલ્મ જોવી જોઇએ કારણ કે અંગ્રેજોની જેમ ભાગલા કરો અને રાજ કરોના ગણિતમાં બધા પોતાની જ ઘોર ખોદે છે. આપણે પ્રજા તરીકે સત્તાની લાલચમાં ભાગલા પાડનારા રાજકારણીઓથી અંજાઇ ન જવું અને મગજ વાપરીને એકતા દાખવીને પોતાના તથા બીજાના વિકાસની દિશામાં કામ કરવું તો જ લોકલ, ગ્લોબલ બધે સ્તરે સાચા અર્થમાં ઉજળો, લગભગ નિષ્પાપ કહી શકાય તેવો વિકાસ થશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023

Loading

જો યુદ્ધ થશે તો યુદ્ધનું સ્વરૂપ લગભગ આવું હશે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 May 2023

રમેશ ઓઝા

આજકાલ હું પ્રવીણ સાહનીનું પુસ્તક The last war – How Artificial Intelligence will shape India’s final showdown with China.’ વાંચું છું. આ પુસ્તક શરીરમાંથી લખલખું પસાર થઈ જાય, એવું ડરાવનારું છે. પ્રવીણ સાહની લશ્કરમાં હતા અને મુદ્દત પહેલાં નિવૃત્તિ લીધા પછી અત્યારે તેઓ ડિફેન્સ રિસર્ચનું કામ કરે છે. તેઓ નિયમિત રીતે અખબારોમાં અને ‘જેને ડિફેન્સ રિસર્ચ વીકલી’ અને એવાં બીજા લશ્કરી તેમ જ સંરક્ષણની બાબતોને લગતાં પ્રતિષ્ઠિત સામયિકોમાં લખે છે.

પ્રવીણ સાહની તેમનાં પુસ્તકમાં કહે છે કે ચીન ૨૦૨૩ના પૂર્વાર્ધમાં ભારત સામે યુદ્ધ કરવા લશ્કરી રીતે તૈયાર હશે. આનો અર્થ એવો નથી કે યુદ્ધ થશે જ પણ જો યુદ્ધ થયું તો માત્ર દસ દિવસમાં ચીન ભારતને પરાજીત કરશે, અરુણાચલ પ્રદેશ અને લડાખ છીનવી લેશે. યુદ્ધમાં જોડાઈને પાકિસ્તાન સિયાચીન લઈ લેશે અને કાશ્મીરની ખીણ યુનોમાં ચર્ચાનો વિષય બનશે અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ભારત ઉપર દબાવ આવશે. પણ ભારત, ચીન અને પાકિસ્તાન એમ ત્રણેય દેશો પાસે અણુશસ્ત્રો છે. શું અણુશસ્ત્રો પરસ્પર ડર (ડેટરંટ) પેદા કરવાનું અને એ રીતે યુદ્ધને ખાળવાનું કામ નહીં કરે? એ જ તો તર્ક આપવામાં આવે છે અણુશસ્ત્રોના ખપનો. શું અણુશસ્ત્રો ડરાવવા પૂરતા પણ ખપનાં નહીં રહે? પ્રવીણ સાહની કહે છે કે ના. એનાં કરતાં પણ ખતરનાક શસ્ત્રો ચીન પાસે છે અને તેનું નામ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રવીણ સાહનીએ તેમનાં પુસ્તકમાં પહેલું પ્રકરણ ભારત અને ચીન વચ્ચેનાં ૨૦૨૩નાં કાલ્પનિક પણ સંભવિત યુદ્ધ વિષે લખ્યું છે અને એ વાંચીને હાજાં ગગડી જાય.

એ યુદ્ધમાં છેક દસમાં અને છેલ્લા દિવસે ચીની લશ્કર અરુણાચલ પ્રદેશમાં તવાંગમાં નજરે પડે છે. ત્યાં સુધી ભારતીય જવાનોએ કોઈ ચીનાને ભાળ્યો સુદ્ધા નહોતો. તો ચીનાઓ તરફથી યુદ્ધ લડ્યું કોણે? જવાબ છે રોબોએ, પ્રોગ્રામિંગ કરેલાં ડ્રોને, દૂરથી નરી આંખે નજરે પણ ન પડે અને મધમાખીની જેમ હજારોની સંખ્યામાં ઉડતાં આવતાં માઈક્રો ડ્રોને અને બીજાં એવાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જનિત હથિયારોએ. ચીનનો જવાન તો સરહદથી સો કિલોમીટર દૂર બેસીને યુદ્ધનું નિયંત્રણ કરતો હોય. પણ મીઝાઈલ્સ અને એવાં બીજાં શસ્ત્રો ભારત પાસે છે જે ચીનની અંદર સેંકડો કિલોમીટર સુધીનાં ટાર્ગેટ પર એટેક કરી શકવાની ક્ષમતા ધરાવે છે તે શું  યુદ્ધનું નિયંત્રણ કરનારા ચીનાઓ જ્યાં બેઠા હોય ત્યાં અટેક ન કરી શકે? નહીં. કારણ કે યુદ્ધની શરૂઆત જ ભારતની દરેક પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ હૅક કરવા સાથે થશે. મીઝાઈલસ છોડનારાઓ સુધી આદેશ જ નહીં પહોંચે કે તેમણે મીઝાઈલ્સ છોડવાનાં છે. સરહદે રહેલા ભારતીય જવાનોને દિલ્હીથી કોઈ સંદેશ જ નહીં મળે કે તેણે શું કરવાનું છે અને સામેથી મધમાખીઓનાં કદનાં ડ્રોનનો હુમલો થશે. ભારત પોતાનો પ્રદેશ પણ ગુમાવશે અને ભારે લશ્કરી ખુવારી થશે.

એ પ્રકારણના અંતે પ્રવીણ સાહની લખે છે ચીન યુદ્ધ કરશે કે નહીં એ ખાતરીપૂર્વક ન કહેવાય, પણ જો યુદ્ધ થશે તો યુદ્ધનું સ્વરૂપ લગભગ આવું હશે એ ખાતરીપૂર્વક કહી શકાય. કારણ ચીનની આ રીતની તૈયારી છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો લશ્કરી હેતુ માટે ઉપયોગ કરવામાં ચીન જગત આખામાં અગ્રેસર છે જે રીતે અમેરિકા અણુમાં હતું કે છે. અણુશક્તિ દેશનાં સીમાડા  જોયા વિના પ્રચંડ સાર્વત્રિક નુકસાન પહોંચાડી શકે છે જ્યારે રોબોટિક યુદ્ધ સ્થાનિક ટાર્ગેટેડ નુકસાન પહોંચાડી શકે. આને કારણે રશિયા એક રીતે યુક્રેન સામે હારી ગયું હોવા છતાં પણ હાર કબૂલ કરતું નથી, કારણ ચીન પાસેથી તેને ડ્રોનનો પૂરવઠો મળતો રહે છે. સામે અમેરિકાનાં અણુશસ્ત્રો તેની પ્રચંડ સંહારકશક્તિ હોવાથી યુક્રેન માટે કોઈ કામનાં નથી. ટૂંકમાં ચીનના અશ્વમેઘી ઘોડાને નાથવો શક્ય નથી.

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની તાકાતની ખાતરી કરાવવા પ્રવીણ સાહનીએ એક પ્રકરણ ગો નામની રમત વિષે લખ્યું છે. આ રમત ચેસ જેવી હોય છે, પણ ગોની રમત ખૂબ જટિલ હોય છે. જેને જીનિયસ કહેવાય એવા લોકો માટેની આ રમત છે જે પ્રતિસ્પર્ધીની ૮૦ જેટલી મુવ્ઝ કેવી હશે એ વિષે વિચારી શકે. આ રમતની શોધ પણ ચીનાઓએ અઢી હજાર વર્ષ પહેલાં કરી હતી. ૨૦૧૯માં ગોની રમતમાં બીજા ક્રમના દક્ષિણ કોરિયાના વર્લ્ડ ચેમ્પિયન લી સેડોલે નિવૃત્તિ જાહેર કરી. સેડોલની ઉંમર ત્યારે માત્ર ૩૫ વરસની હતી અને આખું જગત માનતું હતું કે તે વરસ બે વરસમાં વર્લ્ડ ચેમ્પિયન લી ચાંગ હોને હારાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો છે. સેદોલને પણ એ વાતની ખાતરી હતી.

પોતાની કસમયની નિવૃત્તિ વિષે સેડોલે કહ્યું હતું કે હું ગોની રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બની પણ જઉં તો પણ એક હસ્તી એવી છે જેને હું ક્યારે ય હરાવી શકવાનો નથી. એ પછી પણ વર્લ્ડ ચેમ્પિયન તો એ હસ્તી જ રહેવાની છે. એ અજીંક્ય હસ્તીનું નામ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ.

સેડોલે નિવૃત્તિ જાહેર કરી અને આવા તારણ પર આવ્યો એની પાછળ તેનો જાતઅનુભવ હતો. ૨૦૧૬માં ડીપમાઈન્ડ નામની બ્રિટિશ કંપનીએ ગૂગલ સાથે મળીને ગોની રમત માટે આલ્ફાગો નામનો એક પ્રોગ્રામ બનાવ્યો હતો અને તેને તેઓ અજમાવવા માગતા હતા. ડીપમાઈન્ડે આલ્ફાગોને હરાવનારા વિજેતાને દસ લાખ અમેરિકન ડોલર્સનું ઇનામ જાહેર કર્યું. સેડોલે વિચાર્યું કે આલ્ફાગોને હરાવવો એ કોઈ મોટી વાત નથી. પ્રોગ્રામ બનાવનારાઓએ વિચારી વિચારીને પ્રતિસ્પર્ધીની કેટલી મૂવ્ઝ વિચારી હશે? માનવમસ્તિષ્કની કેટલી સંભાવનાઓ કલ્પી હશે? સેડોલે ચેલેન્જ સ્વીકારી અને તેના આશ્ચર્ય વચ્ચે ૧૫૦ મૂવ્ઝ પછી એ બુદ્ધિ આરોપેલા મશીન સામે હારી ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ બુદ્ધિશાળી મશીન અજીંક્ય છે. એ પહેલાં ૧૯૯૭માં ડીપબ્લુ નામની ચેસની એપ સામે રમતા વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ હારી ગયો હતો. ૧૯૯૭થી ૨૦૧૬ અને હવે ૨૦૨૨.

દરમ્યાન ગૂગલ માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ કરનારા અને જેને ગોડફાધર ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવવામાં આવે છે એ જયોફ્રી હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપી દીધું છે. શા માટે એની વાત આવતા સપ્તાહે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 મે 2023

Loading

...102030...1,1081,1091,1101,111...1,1201,1301,140...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved