Opinion Magazine
Number of visits: 9458227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગ કેરી જમાતમાં એની છેક અનોખી ભાત

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar|12 February 2023

એમને જાણતો ય નહોતો તે દિવસોની વાત છે.

નીરજ શાહ

સંજોગો અનુસાર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી પદેથી છૂટા થયા પછીના એ દિવસો હતા. કાર્યવાહી સમિતિનો સભાસદ પણ નહોતો. તેમ છતાં, માર્ગદર્શન સારુ દરેક બેઠકમાં હાજર રહેવા નિમંત્રણ રહેતું. આવી જ બેઠકમાં, ખાલી પડેલી એક જગ્યા સારુ, ડૉ. પંચમ શુક્લે એક નીરજ શાહના નામનો પ્રસ્તાવ મુક્યો. હિસાબકિતાબના નિષ્ણાત એવા નીરજ શાહે ‘રણકાર’ નામે સરસ મજાની વેબસાઇટ ઊભી કરી છે, તેમ જ તે નામ, એક દા, ઈન્ટરનેટી રેડિયો પણ ચલાવેલો, તેવી માહિતી પણ અપાઈ.

મારા માટે વિમાસણ હતી, કેમ કે આ નવાઈનું નામ હતું. પરંતુ કારોબારીએ પંચમભાઈનું સૂચન સ્વીકારી લીધું. … ખેર ! આ ઘટનાને હવે લાંબો પનો મળ્યો છે.

હળુ હળુ નીરજભાઈ જોડેનો પરિચય થતો રહ્યો; જામતો રહ્યો. અમે ખૂબ નજીક આવ્યા. 

લાંબા સમય ગાળાથી અકાદમી પોતાની વેબસાઇટ ઊભી કરવા પ્રયત્નશીલ રહી; પણ અનેકવિધ કારણે તે શક્ય બનતું નહોતું. ફારુકભાઈ ઘાંચી, પંચમભાઈ શુક્લ જોડે મારી આ બાબત વાતો થયા કરતી, એ વાતોમાં હવે નીરજભાઈનો ઉમેરો થયો અને અમારી આ ફળદ્રુપતાને કારણે વિચારને કોટા ફૂટ્યા; ફૂલ બેઠાંનો અનુભવ થયો.

યૉકર્શર બેઠા બેઠા ફારુકભાઈએ; લંડનની કોઈક યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાભ્યાસ કરાવતાં કરાવતાં પંચમભાઈએ વાતાવરણ તૈયાર કરેલું, અને નીરજભાઈ શાહે સપનાંનાં વાવેતર કર્યાં. એમણે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વેબસાઇટ ઊભી કરી આપી. એમાં સાહિત્ય, ભાષા, અસ્મિતા, કાર્યક્રમો, પ્રકાશન, સમાચાર ઉપરાંત આનુષંગિક કડીઓ સમેતનું જીવંત ઈન્ટરનેટી જગત ખડું કરી દીધું. બીજી પાસ, નીરજભાઈએ પંચમભાઈના તેમ જ ફારુકભાઈના સાથમાં ફેઇસબૂકે સાહિત્ય અકાદમીનું ખાતુ ખોલી આપ્યું. આજે 72,756થી વધારે ‘સભ્યો’ તેનો લાભ લેતા રહ્યાં છે.

°°°

અમદાવાદમાં વસતાં કોકિલાબહેન અને બિપીનભાઈ શાહને ત્યાં નીરજભાઈનો 27 ઑગસ્ટ 1982ના રોજ જન્મ થયો. આ દંપતીનું એ બીજું સંતાન. પહેલું સંતાન એટલે નીરજભાઈથી મોટેરા વિપુલ શાહ. અમદાવાદની સ્વસ્તિક સ્કૂલ માંહેના શાળાકીય અભ્યાસકાળ પછી, સહજાનંદ કૉલેજના એક દા આ વિદ્યાર્થીએ ત્યાં જ બી.કૉમ.ની ઉપાધિ મેળવી હતી. આશરે બે દાયકા થયા હશે નીરજ શાહને ઇંગ્લૅન્ડ આવ્યાને. સપ્ટેમ્બર 2005 વેળા એ અહીં

બંધુ બેલડી : વિપુલ અને નીરજ શાહ

વિલાયતમાં વધુ અભ્યાસ સારુ આવેલા. યુનિવર્સિટી ઑવ્‌ ગ્રિનીચમાંથી ‘ઇન્ફૉર્મેશન સિસ્ટમ્સ મેનેજમેન્ટ’ વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ એમણે મેળવી. 

આવા આવા દિવસોમાં જ નીરજભાઈએ 2006/7 દરમિયાન, ‘રણકાર’નો આદર કર્યો. કવિતાનો, સંગીતનો નાદ જગવતો તે નામે રેડિયો ય પણ શરૂ કરી ચલાવી ય જોયો. એક મજેદાર વાતાવરણ ઊભું ય કરી જાણ્યું.

વડોદરાનિવાસી ઇન્દિરાબહેન અને અશોકભાઈ પુરાણીનાં દીકરી હેતલ આ દિવસોમાં અહીં ફાર્મસિસ્ટનો વ્યવસાય કરે. એ બન્નેનો પરિચય થયો અને હેતલ – નીરજનું મિલન 13 ફેબ્રુઆરી 2009ના રોજ પરિણયમાં પરિણમ્યું.

આ યુગલનું આતિથ્ય અનેક વાર માણ્યું છે અને એ બન્નેએ પારાવાર હૂંફ આપ્યાં કરી છે.

***

હેતલ − નીરજ શાહ

જેમને લગીર પણ જાણતો ન હતો તેવા આ નીરજ શાહ આજે (અ)મારા અડીખમ તેમ જ વિશ્વાસુ સાથીસહોદર બની ગયા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ તો એમણે દીપાવી જાણી જ જાણી, પરંતુ જોડાજોડ, અકાદમી યોજિત અનેકવિધ સોજ્જા અવસરોને યુટ્યુબ વાટે કાયમી બનાવી દીધા છે. કેટલાક કાર્યક્રમોમાં વક્તા ય બન્યા છે તથા અભ્યાસુ રજૂઆત કરીને ચકિત કર્યો છે. વરસો પહેલાં ગુજરાતી ડાયસ્પોરાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્ના નાયક અંગેની એમની રજૂઆત તો સાંભરે જ; પણ નવમી ભાષાસાહિત્ય પરિષદ ટાંકણે, ‘ઈન્ટરનેટ જગત, બ્લૉગ, વેબસાઈટ, ફેઇસબુક વગેરે વગેરે એટલે ગુજરાતી ભાષા-સાહિત્યની વાત’ વિષય બાબત, બીજા દિવસની સવારની બેઠકમાં, આપેલું વક્તવ્ય હજુ ય તાજાતર અનુભવું છું.

આવાં કસદાર જોમ અને આવડત છતાં, નીરજભાઈ છવાઈ જતા નથી, બલકે આવી જવાબદારીઓથી પર રહેવાની લાગણીમાં સતત પરોવાયેલા રહે છે. આગલી હરોળે ઘમરોળવા કરતાં સિપાહી બની રહેવાની જાણે કે મહેચ્છા ધરાવતા ન હોય તેમ લાગે !

કોવિડ-ઓગણીસે જગતને માથે લીધું. એ તો હજુ હમણાંની જ વાત છે. તે ટાંકણે પંચમભાઈ, નીરજભાઈ અને મને અસુખ રહ્યા કરે. સભ્યગણ જે દર માસે હળતોમળતો તેના પર પ્રતિબંધ થયો. તે હવે ઊકેલ રૂપે, ઇન્ટનેટી માધ્યમ વાટે વર્ચ્યુઅલ બેઠકો યોજવાનું અમે નક્કી કરી બેઠા. એક પછી એક અનુભવો લેતા ગયા, કરતા ગયા. સ્કાઈપથી આદર કર્યો; ગૂગલનો માર્ગ પણ લીધો અને છેવટે ઝૂમને પનારે આગળ ધપતા રહ્યા. આ ક્ષેત્રની મને કોઈ જ સૂજબૂજ નહીં; આવડત પણ નહીં. જાણે કે એક ઠોઠ નિશાળિયો ! પણ પંચમભાઈ અને નીરજભાઈ સક્રિય રહ્યા. અને કોઈ પણ જાતની આડંબરી વિના નીરજભાઈએ ગોઠવણ વ્યવસ્થાને સાંચવી લીધી. ડૉ. સુમન શાહના વક્તવ્યથી આદર કર્યો ત્યારે જગતને ચોક ભાગ્યે જ આવી ગોઠવણ વર્તાતી. આજે ચોમેર બિલાડીના ટોપાની જેમ છવાઈ ગયાનું વર્તાયા કરે છે !

તેમ છતાં, આ કાર્યક્રમોનું ખમીર મોટે ભાગે ઓજસ્વી રહ્યું છે તેમાં પંચમ શુક્લ ઉપરાંત નીરજ શાહનો પારાવાર સમો ફાળો વર્તાય. 

2021માં “ઓપિનિયન”ની રજત જયંતી મનાવવાનું વિચારાયું. નીરજ શાહ, પંચમ શુક્લ તથા અશોક કરણિયાને સાથે રાખ્યા. અમે ’રજત રાણ પડાવે ઓપિનિયન’ નામનો લાંબા અરસા સુધી યાદ રહી જાય તેવો કાર્યક્રમ ઘડી કાઢ્યો. નીરજભાઈએ અહીં બેઠા પેશગીની જબ્બર ગોઠવણ કરી. એમાં પંચમભાઈએ, અશોકભાઈએ મન મૂકીને પરોવાઈ જવાનું રાખ્યું. આ ત્રણેય મિત્રોની સામેલગીરી, એમની સૂજસમજ, એમની દૂરંદેશીને કારણે લાંબા અરસા લગી મમળાવ્યા કરવાનું મન થાય તેવો આ અવસર બની બેઠો. આ પહેલા, ક્વચિત, આ રીતે જગત ભરે વસેલી ગુજરાતી જમાતમાંથી વક્તાઓની પસંદગી થઈ હોય. વિષયો અફલાતૂન હતા અને પેશગી બેનમૂન. અને આના યશભાગી નીરજ શાહ સમેતની આ ત્રિપુટી જ હતી.

પરિસ્થિતિવસાત, ‘ગુજરાતી લેક્સિકૉન’ની સ્વાયત્તતા તેમ જ સ્વતંત્રતા વીંટીસાટીને ‘ગુજરાતી વિશ્વકોશ’માં સામેલ થઈ જવાનું થયું, તેને કારણે, “ઓપિનિયન”નું પાયાગત ઘર બદલવાનું થયું ત્યારે નીરજભાઈ શાહે જ જાતમહેનતે ગોઠવણ કરીને, ઘડીના છઠ્ઠા ભાગમાં, આ કમઠાણની ફેરબદલ સફળતાપૂર્વક કરી આપી. આટલું ઓછું હોય તેમ, “ઓપિનિયન”ના આરંભનાં મુદ્રિત વર્ષોના તેમ જ ડિજિટલ ગાળાના ત્રણ વર્ષ થઇને તમામે તમાત 18 વર્ષોની ફાઈલને પણ નવેસરથી કંડારીને હાથવગી કરી લીધી. 

“ઓપિનિયન”ની ડી.વી.ડી. માંહેના તમામ અંકોને આમ, “ઓપિનિયન”ની વેબસાઇટના માધ્યમે સુલભ કરી આપવાનું મહાભારત કામ પણ એમણે સુપરે પાર પાડ્યું છે.

સોટકે, ‘સાદી વાત, સાદો ભાવ અને રોજ બ રોજની તળપદી લાગણીઓને આછા ચમત્કાર સાથે વાચા આપનાર’ આપણા એક સોજ્જા કવિ દેવજી રામજી મોઢાની ‘મન’ નામે એક કવિતા સાંભરે છે. 

મનની મોટી વાત રે ભાઈ, મનની મોટી વાત !

જગ કેરી સૌ જમાતમાં એની છેક અનોખી ભાત રે, 

                                 ભાઈ, મનની મોટી વાત !

આવી અનોખી ભાતના આ મનેખ એક મિત્ર છે તેમ જ અદના સાથીદાર છે, એ ઘટનાને એક ઉમદા સૌભાગ્ય લેખું છું. 

પાનબીડું :

                                       મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,

                                      નાનાની મોટાઈ જોઈ જીવું છું.          

                                                                 − ઉમાશંકર જોશી  

(937 શબ્દો)
હેરૉ, ઇંગ્લૅન્ડ; 27 જાન્યુઆરી − 11 ફેબ્રુઆરી 2023
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

પરવેજ મુશર્રફ : કારગિલના ખલનાયક જ્યારે આગ્રામાં હીરો બનવા આવ્યા હતા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 February 2023

રાજ ગોસ્વામી

માણસની જેમ જેમ ઉંમર થાય તેમ તેમ તેની બુદ્ધિ ઠેકાણે આવતી જાય છે. ગયા સપ્તાહે, 79 વર્ષની ઉંમરે દેહાંત પામેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ જનરલ પરવેજ મુશર્રફે, 2006માં, ‘ઓન ધ લાઈન ઓફ ફાયર’ નામની આત્મકથા લખી હતી. એમાં તેમણે એકરાર કર્યો છે કે મિલીટરીની તેમની કારકિર્દી દરમિયાન તેઓ એક બિન-જવાબદાર, લાપરવાહ, અનુશાસનહીન અને વાત-વાતમાં લડી પડતા સૈનિક હતા. બેજવાબદારી એવી કે 1965માં ભારત સાથે પાકિસ્તાનનું જે યુદ્ધ થયું, તેનાં વાદળો બહુ વખતથી ઘેરાયેલાં હતાં અને એ વચ્ચે મુશર્રફ અઠવાડિયાની છુટ્ટી પર જતા રહ્યા હતા. તેમના કમાન્ડિંગ ઓફિસરે એ રજા નામંજૂર કરી દીધી હતી.

પાછળથી તેમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી શરુ કરાઈ હતી, પણ યુદ્ધ થયું તેમાં એ બચી ગયા. તેમના લશ્કરી કાર્યકાળ દરમિયાન તેમની અનુશાસનહીનતાના કારણે અનેક વાર મુશર્રફને સજા પણ થઇ હતી. વિધિની વક્રતા કેવી કે એ જ મુશર્રફને 2019માં પાકિસ્તાનનો કોર્ટે દેશદ્રોહના મામલે ફાંસીની સજા ફરમાવી હતી. દેહાંતદંડ પામનારા એ પહેલા પાકિસ્તાની રાષ્ટ્રપતિ હતા. એટલા માટે જ એ તેમના અંતિમ વર્ષોમાં દુબઈ જતા રહ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

જીદ્દી અને મનસ્વી મુશર્રફને ભારત બે રીતે યાદ રાખશે; એક, કારગિલમાં નાલેશીભર્યું ઉંબાડિયું મુકવા બદલ અને બે, આગ્રામાં અટલ બિહારી વાજપેયી સાથે કાશ્મીર પ્રશ્ને લગભગ સમાધાન સુધી પહોંચી જવા બદલ. બંને પરસ્પર વિરોધી મુશર્રફ છે. જે માણસે તેની ‘સદાબહાર’ લાપરવાહીના પગલે કારગિલમાં શરમજનક પરાજય થાય તેવું યુદ્ધ છેડ્યું હતું, એ જ માણસે તેની કોઈનું કહ્યું નહીં માનવાની મનસ્વી વૃત્તિના કારણે જ વાજપેયી સાથે બેસીને સમાધાન કરવાની હિમ્મત બતાવી હતી.

કારગિલવાળી ઘટના તો બહુ જાણીતી છે અને તેમના અવસાન પછી ઘણા રાજકીય લેખકો અને પત્રકારોએ તેમના એ દુ:સાહસને યાદ કર્યું હતું, પણ આગ્રાવાળી શિખર મંત્રણાનો ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે કાશ્મીર વિવાદના લોહિયાળ ઇતિહાસમાં એ એક માત્ર અવસર હતો, જ્યાં ભારત અને પાકિસ્તાન કાયમ માટે તેનો ઉકેલ લાવવા સુધી પહોંચી ગયા હોત.

એમાં ય મુશર્રફની લાંબી જીભ જ કારણભૂત બની હતી. ભારત-પાકિસ્તાનને સાંકળતી કોઈ પણ ઘટનામાં બંને છે તેમ, આગ્રા સંમેલનને લઈને વિરોધાભાસી વાતો છે. તે વખતના પાકિસ્તાની વિદેશ મંત્રી અબ્દુલ સત્તારે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ, કાશ્મીરના મુદ્દે મુશર્રફ ‘અનુકૂળ’ અને ‘પ્રભાવશાળી’ હતા. ભારતના તત્કાલીન વિદેશ મંત્રી જશવંતસિંહે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ મુશર્રફ ‘લડાયક’ અને ‘નુમાઈશી’ હતા અને બોલબોલ કરીને વાતાવરણ ખરાબ કર્યું હતું. મુશર્રફ ભારતીય મીડિયા પર છવાઈ જવા માંગતા હતા, જે સામાન્ય રીતે અંતરરાષ્ટ્રીય મંત્રણાઓની રીત નથી. 

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર ટી.સી.એ. રાઘવન લખે છે કે મુશર્રફને શિખર મંત્રણા માટેનું આમંત્રણ જ ‘અશુભ’ સમયે આપવામાં આવ્યું હતું. મે-જૂન 1999માં કારગિલ જંગ પછી મુશર્રફે પાકિસ્તાનમાં લોકશાહી સ્થાપવાના બહાને તખ્તાપલટ કર્યું હતું. એમાં ડિસેમ્બર 1999માં ભારતના વિમાનને અફઘાનિસ્તાનમાં હાઈજેક કરી જવામાં આવ્યું, જેના બદલામાં ભારતે અમુક આતંકવાદીઓને જેલમાંથી છોડવા પડ્યા હતા.

1999નું એ વર્ષ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સૌથી ખરાબ હતું. મે 2001માં, મુશર્રફને વાતચીત કરવા માટે ભારત આવવાનું નોતરું આપવામાં આવ્યું હતું. જાણકાર લોકો એવું કહે છે કે કારગિલ યુદ્ધમાં જેમ અમેરિકાએ પીછેહઠ કરવા માટે વડા પ્રધાન નવાઝ શરીફ પર દબાણ કર્યું હતું (શરીફ સામેથી અમેરિકા ગયા હતા અને મદદ માગી હતી) , તેવી રીતે તેણે મંત્રણાના ટેબલ પર આવવા માટે ભારતને દબાણ કર્યું હતું. ‘જ્યાં સુધી આતંકવાદને સમર્થન બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાત નહીં’ તેવા ભારતના કાયમી અભિગમ છતાં, વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2000ની સાલમાં કહ્યું હતું કે, “આત્મવિશ્વાસથી ભરપૂર અને સ્થિતિસ્થાપક રાષ્ટ્ર અતીતના અસુવિધાજનક મુદ્દાઓને આવતીકાલ પર ઠેલતું નથી.”

વાજપેયી પ્રધાનમંડળના બે વરિષ્ઠ સભ્યો, ગૃહ પ્રધાન એલ.કે. અડવાણી અને જશવંતસિંહ, આ શિખર મંત્રણાના પ્રમુખ રચનાકાર હતા. મુશર્રફ પાકિસ્તાનમાં ખુદને રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા હતા અને કાશ્મીર મુદ્દે ભારતને નમાવાના બદઈરાદાથી આગ્રા આવવા તૈયાર થયા હતા. પાકિસ્તાનમાં મંત્રી રહેલી આબિદા હુસેન તેના પુસ્તકમાં લખે છે કે, “મુશર્રફ ગરમ દિમાગવાળા કમાન્ડોના રૂપમાં પ્રખ્યાત હતા, જે હંમેશાં વગર વિચારે બિન-જવાબદારીપૂર્વક નિર્ણયો કરતા હતા.”

કારગિલમાં સળી કરવાનું, શરીફને ઉથલાવીને રાષ્ટ્રપતિ બની જવાનું, ભારતના વિમાનના અપહરણકર્તાઓને મદદ કરવાનું, 9/11ના ત્રણ મહિના પછી ભારતીય સંસદ પર આતંકી હુમલામાં જરૂરી સહાય કરવામાં અને પછી વાજપેયીનું નોતરું સ્વીકારી લઈને ભારત આવવાનું તેમનું સાહસ કમાન્ડો વ્યૂહરચનાથી ઓછું નહોતું.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરી તેમના એક પુસ્તકમાં લખે છે કે કાશ્મીરનું સમાધાન બંને સરકારોના હાથમાં હતું અને તેઓ કરવા પણ માંગતા હતા. છતાં કેમ નિષ્ફળતા મળી? મંત્રણા બે દિવસની હતી. પહેલો દિવસ તો હરવા-ફરવા અને મહેમાનનવાજીમાં ગયો હતો. બીજા દિવસે વાજપેયી અને મુશર્રફ વચ્ચે 90 મિનિટની આમને-સામને મુલાકાત થઇ હતી. તેમાં બંને નેતાઓએ કાશ્મીરના પડતર પ્રશ્નો, સરહદ-પારના આતંકવાદ, ન્યુક્લિયર જોખમમાં ઘટાડા, યુદ્ધ કેદીઓના છુટકારા અને આર્થિક સંબંધો પર ચર્ચા થઇ હતી.

અધિકૃત રીતે તો શું ચર્ચા થઇ હતી તે તો સાર્વજનિક કરવામાં નથી આવ્યું, પરંતુ બંને દેશોના જાણકાર લોકો અનુસાર, મુશર્રફે સમાધાન માટે ચાર સૂત્રી ફોર્મુલા પેશ કરી હતી. 

1. કાયમી શાંતિ માટે નિયંત્રણ રેખાની બંને બાજુ લાખો સૈનિકો તૈનાત છે વાપસી કરવામાં આવે. એ કઈ રીતે થાય તે વિચારનો મુદ્દો છે.

2. કાશ્મીરની સીમાઓમાં (વાસ્તવિક નિયંત્રણ રેખા અને અંતરરાષ્ટ્રીય સીમામાં) કોઈ બદલાવ નહીં થાય, જો કે જમ્મુ-કાશ્મીરના લોકોને નિયંત્રણ રેખાની આરપાર સ્વતંત્ર રીતે જવાની છૂટ હશે. આવું થયું હોત તો ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર પર પાકિસ્તાનનો અખત્યાર મંજૂર રાખ્યો હોત અને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનું અંગ માન્યું હોત. 

3. પાકિસ્તાન હંમેશાંથી ‘કાશ્મીરીઓના આત્મનિર્ણય’નું હિમાયતી રહ્યું છે, પરંતુ મુશર્રફ કાશ્મીરીઓને સ્વાયત્તા આપવાની શરત જતી કરવા માંગતા હતા. તેની સામે જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ કાયમી કરવામાં આવે. ભા.જ.પે. તેનો આ એજન્ડા છોડવો પડ્યો હોત. 

4. ભારત, પાકિસ્તાન અને કાશ્મીરનું બનેલું એક સંયુક્ત દેખરેખ તંત્ર બનાવવામાં આવે. મુશર્રફનો આગ્રહ હતો કે આ તંત્રમાં સ્થાનિક કાશ્મીરી નેતાઓને સામેલ કરવામાં આવે.

જાણકાર લોકો અનુસાર, સીમા-પારના આતંકવાદને લઈને મુશર્રફની નિષ્ઠાથી વાજપેયી ખુશ નહોતા. આ શિખર મંત્રણા ચાલતી હતી ત્યારે પણ સીમા પર ઘુસણખોરી અને ગોળીબાર થતા રહ્યા હતા. વાજપેયી સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાના પક્ષમાં નહોતા. એમાં મંત્રણા પડી ભાંગી અને મુશર્રફ વિલા મોઢે પાછા ગયા.

આ મંત્રણાનાં પાંચ વર્ષ પછી, 2004માં, એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે આગ્રા શિખર સંમેલનનો સમાધાનપત્ર હસ્તાક્ષર માટે તૈયાર હતો, પરંતુ ભારતીય કેબિનેટે તેને મંજૂરી આપવાનો ઇન્‌કાર કરી દીધો હતો. કેમ? 2006માં તેમની આત્મકથામાં મુશર્રફે લખ્યું હતું, “રાતે લગભગ 11 વાગે પ્રધાન મંત્રી વાજપેયી સાથે મુલાકાત થઇ. માહોલ ગંભીર હતો. મેં સાફ-સાફ કહી દીધું કે એવું લાગે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે આપણા બંનેની ઉપર છે અને તેની આગળ આપણા બંનેનું ન ચાલ્યું. આમાં આપણા બંનેની નાલેશી થઇ છે.”

મુશર્રફનો ઈશારો એલ.કે. અડવાણી તરફ હતો. ‘માય કન્ટ્રી માય લાઈફ’ પુસ્તકમાં અડવાણીએ લખ્યું હતું કે મુશર્રફે મારું નામ તો લીધું નહોતું પણ ઈશારો મારી તરફ હતો. વાજપેયીએ મુશર્રફના બયાનને સરાસર જૂઠ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો અડિયલ વ્યવહાર અને કાશ્મીરના આતંકવાદને આઝાદીની લડાઈ તરીકે ખપાવાનો પ્રયાસ આગ્રા સમજૂતીને નિષ્ફળતા તરફ લઇ ગયો હતો.

પાકિસ્તાની જાણીતી સુરક્ષા વિશ્લેષક આયેશા સિદ્દીકાને એકવાર પૂછવામાં આવ્યું હતું કે સત્તામાં હતા ત્યારે મુશર્રફની સૌથી મોટી ભૂલ શું હતી? જવાબ  હતો, સત્તામાં ચીટકી રહેવાની જીદ. એ એમાંથી નીકળી શકે તેમ નહોતા. દરેક જનરલ આવું જ કરતા હોય છે. છેવટે મુશર્રફની બધી વિશ્વસનિયતા ખતમ થઇ ગઈ હતી અને દેશનિકાલ થઇને અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. ભારત (અને પાકિસ્તાન માટે પણ) એ એક ખરાબ સ્વપ્ન સિવાય કશું નહોતા. 

લાસ્ટ લાઈન :

“કાં તો તમે અમારી સાથે છો, અથવા અમારી સામે છો. નક્કી કરી લો.”

— જ્યોર્જ બુશ, મુશર્રફને, 9/11 પછી   

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 12 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યર ઑફ મિલેટઃ અંગ્રેજોને કારણે હાંસિયામાં ધકેલાયા મિલેટ્સ હવે સુપરફૂડનું છોગું મળ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 February 2023

મિલેટ્સ કૂલ 131 દેશોમાં ઉગાડાય છે અને તે એશિયા અનેઆફ્રિકાનાં 60 કરોડ જેટલા લોકોનું પારંપરિક ખાણું છે, મિલેટ્સનો પહેલો પુરાવો હડપ્પાની સંસ્કૃતિના વખતનો મળી આવ્યો છે

છેલ્લા કેટલાક દિવસોથી ‘મિલેટ્સ’ (Millets) ચર્ચાનો વિષય બન્યા છે. યુનાઇટે નેશન્સે 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ જાહેર કર્યું છે અને આ કરવા માટેનું સૂચન ભારતીય સરકારે યુ.એન.ને 2019માં કર્યું હતું. મિલેટ્સ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર જેટલું થઇ શકે અને જેવું થઇ શકે તેવું બનતું બધું જ કરી રહી છે. વડા પ્રધાને કેટલાક સાંસદો સાથે મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓની મિજબાની પણ કરી. જ્યારે 1લી ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજૂ કર્યું, ત્યારે તેમણે મિલેટને એક ઉમદા ખોરાક ગણાવ્યાં અને તરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત ટેબલ પર થાપ આપી વધાવી લીધી અને બીજા સાંસદોએ પણ એ ઉત્સાહને ટેકો આપ્યો. ભારતે છેલ્લા કેટલાક વખતથી મિલેટ્સનો પ્રચાર પ્રસાર કરવાનું બીડું ઝડપ્યું છે. વિદેશમાં પણ ભારતીય મિલેટ્સની લોકપ્રિયતા વધારવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તાતા અને આઇ.ટી.સી. જેવી મોટી કોર્પોરેટ્સ પણ મિલેટ્સ સંબંધિત પ્રોડક્ટ્સ બનાવવામાં હોંશે હોંશે પોતાનું યોગદાન આપી રહી છે.

મિલેટને હિંદીમાં મોટું અનાજ કહેવાય છે અને ગુજરાતીમાં બરછટ અનાજ – મિલેટ્સ એટલે શું એ સવાલ બાજરી અને જુવાર જમનારા આપણને આમ તો ન જ થાય, પણ ભારતમાં દસ જાતના મિલેટ્સ ઉપલબ્ધ છે. મિલેટ્સ એટલે નાના દાણાનું જૂથ, આમ તો બીજ જે ઘાસ જેવી ડૂંડીમાં ઊગે અને મોટે ભાગે ગરમ દેશો અને ઓછી રસાળ-ફળદ્રુપ જમીનમાં મિલેટ્સની ખેતી થતી હોય છે.  મુખ્ય અનાજ જેમ કે ઘઉં કે ચોખાથી તેનો દાણો નાનો હોય છે. મિલેટ્સ કૂલ 131 દેશોમાં ઉગાડાય છે અને તે એશિયા અને આફ્રિકાનાં 60 કરોડ જેટલા લોકોનું પારંપરિક ખાણું છે. મિલેટ્સનો પહેલો પુરાવો હડપ્પાની સંસ્કૃતિના વખતનો મળી આવ્યો છે. જે મિલેટ્સ હડપ્પાની સંસ્કૃતિમાં હોવાના પુરાવા મળ્યા છે તે અંગે આટલો શોર-બકોર કેમ? વળી આજકાલ સુપરફૂડ્ઝનું લેબલ જેની સાથે જોડાઇ ગયું છે એવા આ મિલેટ્સ કંઇ આપણને અચાનક જ પ્રાપ્ત થયા છે એમ નથી. તો પછી એવું તો શું થયું જેનાથી અચાનક જ ગરીબની થાળીની શોભા ગણાતા, જુવાર, બાજરી, નાચણી કે કાંગને આગળ કરવામાં આવ્યા?

ભારતમાં તો આ ધાન પહેલાં પણ પ્રચલિત હતા જ, વૈદિક કાળમાં લખાયેલ યજુર્વેદમાં પણ આ ધાનનો ઉલ્લેખ છે. જો એમ હોય તો આ ઘઉં અને ચોખાનું મહત્ત્વ આટલું બધું કેવી રીતે વધી ગયું? આ શરૂઆત થઇ અંગ્રેજોના વખતમાં. બ્રિટિશ રાજ હતું ત્યારે મિલેટ્સ ભારતનો મુખ્ય આહાર હતો પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોને તો શેરડી અને કપાસના પાકમાં રસ હોત અને માટે જ બાજરી અને જુવાર જેવા મિલેટ્સનો પાક લેવાની વાત અભેરાઈએ ચઢી ગઇ. જો કે સ્વતંત્રતા પછી મિલેટ્સને પાછી અગત્યતા તરત મળી ગઇ, તેમ નહોતું થયું કારણે ૫૦ના દાયકા પછી રાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાના પ્રશ્નો હતા. અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યાં સુધીમાં ચોખા અને ઘઉં ભારતીયોનો મુખ્ય ખોરાક બની ગયા હતા પણ તેની અછત પણ એટલી જ હતી. આ અછત લાંબી ચાલી, જ્યાં સુધી હરિયાળી ક્રાંતિનું હળ ન ફર્યું ત્યાં સુધી અને ત્યાર બાદ સિંચાઇની સારી સવલતો, ખેતીની નવી પદ્ધતિઓ અને બહેતર ગુણવત્તા વાળું બિયારણ વપરાતું થયું. હરિયાળી ક્રાંતિને પગલે ભારત આખરે અનાજની આયાત કરતાં અટક્યો અને આપણે સ્વાવલંબી દેશ તો બન્યાં જ પણ સાથે આપણે અનાજની નિકાસ કરતાં થયા. જો કે આ બધામાં ય કેન્દ્ર સ્થાને તો ચોખા અને ઘઉં જ હતા કારણ કે મિલેટ્સનો પાક ચોખા-ઘઉં જેવા મુખ્ય અનાજ કરતાં ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક લાભ ન થતો.  મિલેટ્સ ઉગાડવા માટે વપરાતી જમીનનો વિસ્તાર પણ ઘટ્યો, ખેડૂતોએ જુવાર-બાજરાને જાણે નોધારા કરી દીધા. એમાં પાછું રાશનિંગ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને કારણે સ્વાવલંબી પ્રજા જે પોતાનું ધાન જાતે ઉગાડતી તેમને મફત અનાજ મળતા તેમણે પણ આ પાક લેવાનું બંધ કર્યું, વળી તેમને વહેંચણીમાં મળતા ઘઉં અને ચોખા એટલે જુવાર-બાજરી સાવ ખૂણામાં ધકેલાઇ ગયા. 

આ બધાનું એક મોટું પરિણામ આવ્યું કે ભારતમાં કેલરી ધબાધબ વધી અને સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ, અને ઘઉં ચોખા જમવામાં સૂક્ષ્મ પોષણને મામલે આપણે પાછળ રહી ગયા. ચોખા કે ઘઉંમાં ઝિંક અને આયર્ન જેવા તત્ત્વો નથી હોતા અને ભારતમાં કુપોષણનો પ્રશ્ન કેટલો મોટો છે તે આપણે જાણીએ છીએ. બદલાયેલા વર્તમાન સંજોગોમાં મિલેટ્સને આગળ કરવામાં આવી રહ્યા છે. ભારત આ પ્રકારના ધાનનું ઉત્પાદન કરવામાં મોખરે છે અને જો તેને પ્રોત્સાહન મળે તો આપણને આર્થિક ફાયદો પણ થાય. આમ કરવામાં મિલેટ્સને વધુ પડતું જ મહત્ત્વ મળી જાય એમ બને પણ જે રીતે તે અંગ્રેજોના સમયથી બિનજરૂરી થઇ ગયા છે તે જોતાં આવું થાય તો કંઇ ખોટું ન કહેવાય.

હવે આપણા શરીરનું વિજ્ઞાન સમજીએ. આપણે જે પણ ખાઇએ તેમાંથી મોટા ભાગનું ગ્લુકોઝમાં ફેરવાઇને લોહીમાં ભળે. ગ્લુકોઝ ખાંડનું સાદું સ્વરૂપ છે, ખોરાકમાંથી જેટલી જલદી ગ્લુકોઝ બને એટલું જ એ ખાવાનું આપણને ગમે. વનસ્પતિ જ ખોરાકની લોકપ્રિયતા અથવા વ્યવસાયી સફળતાનો આધાર હોય છે તેની સુગર ડિલીવરી સિસ્ટમની ગતિ – આ મામલે પણ ચોખા અને ઘઉંએ મિલેટ્સને પાછળ મૂક્યાં. આપણે બધાં ખાંડના ગુલામ બની ચૂક્યાં છીએ. મિલેટ્સનું પરિવર્તન ગ્લુકોઝમાં ઘઉં અને ચોખા કરતાં ઘણું ધીમું થાય છે અને માટે તેને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે. મિલેટ્સમાં કોમ્પલેક્સ કાર્બ્ઝ હોવાથી તે ગટ માટેના સારા બેક્ટેરિયા માટે ફાયદાકારક હોય છે તો તેમાં રહેલું ફાઇબર પ્રોબાયોટિકનું કામ કરે છે, હ્રદય રોગનાં જોખમને ઘટાડવા માટે પણ મિલેટ્સ જરૂરી છે અને તેમાં વિટામિન એ, બી, પોટેશિયમ, ફોસ્ફરસ, એન્ટિઑક્સિડન્ટ્સ, નિયાસિન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. ગ્લૂટન ફ્રી ખાનારાઓ માટે મિલેટ્સ ઉત્તમ વિકલ્પ છે પણ અતિરેક તો કશાનો પણ સારો નહીં અને હાઇ ફાબરને કારણે થતું ધીમું પાચન અમુક લોકોને સદે નહીં એમ પણ બને.

ખેડૂતોની દૃષ્ટિએ વિચારીએ તો મિલેટ્સ ઉગાડવાનું આસાન છે, તેને માટે બહુ પાણી કે ખાસ ખાતરની જરૂર નથી પડતી. તેનો પાક મુખ્ય પાક ઉગાડવાની વચ્ચેની મોસમમાં લઇ શકાય છે. હવે કેન્દ્ર સરકાર ભારતને મિલેટ્સના મુખ્ય ઉત્પાદક અને નિકાસ કરનારા તરીકે વૈશ્વિક સ્તરે વધુને વધુ આગળ કરવાના બધાં જ પ્રયાસ કરી રહી છે. યુ.એન.ને 2023ને યર ઑફ મિલેટ્સ જાહેર કર્યું છે એટલે ભારતીય ખેડૂતોને પણ એક નવી ગતિ મળશે. મિલેટ્સ ખેતીનું ભાવિ બદલી શકે તેમ છે, એમાં ય જ્યારે ભારતની જમીનમાં ભૂગર્ભ જળ 61 ટકા ઘટ્યું છે ત્યારે એવા પાક જેમાં પાણી ઓછું જોઇએ તે તો આશીર્વાદ જ કહેવાય.

બાય ધી વેઃ

ગ્લૂટન ફ્રી, ફાઇબર રિચ, વિગન, ડેરી ફ્રી – આ બધા શબ્દો ભલે આપણે સાંભળતા હોઇએ પણ દરેકનું તંત્ર જુદું હોય અને માટે જ બધા માટે એક સરખું ડાયટ ન ચાલે. મિલેટ્સ શ્રેષ્ઠ છે એમ માનીને મંડી ન પડવું પણ એક્સપર્ટ પાસેથી તમને શું સદે છે તે જાણીને આ ધાનને પોતાના રોજિંદા આહારમાં ધીરે ધીરે ઉમેરવું. થાયરોઇડ હોય તો મિલેટ્સ ન સદે, પાચનતંત્ર ગરબડ હોય તો એકદમ જ મિલેટ્સનો મારો ન કરાય જેવી બાબતો સમજવી જરૂરી છે. અધૂરામાં પૂરું ખાસ તો એ કે આ મિલેટ્સને મોંઘાદાટ કરીને બ્રાન્ડ બનાવાશે તો શું થશે એ વિચારવું રહ્યું. કિનોઆ જે ભારતીય નથી તે મોંઘું દાટ છે પણ લોકો ખરીદીને ખાય છે, એવું સન્માન આપણા દેશી મિલેટ્સને મળવું જોઇએ તો સાથે ખેડૂતોને પણ તેનો પાક લેવાનો ફાયદો થવો જોઇએ નહિંતર જે ઉદ્દેશથી મિલેટ્સને પ્રચલિત કરાયા છે તે જ પાર નહીં પડે અને આપણે ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલ વાળો દેશ રહીશું અને ખેડૂતો બેહાલ બનશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,1061,1071,1081,109...1,1201,1301,140...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved