Opinion Magazine
Number of visits: 9566846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્જનાત્મક ઇતિહાસલેખનનો આદર્શ 

સોનલ પરીખ|Gandhiana|12 May 2023

ગાંધીજી ઇતિહાસકાર નહોતા, પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ લખીને તેમણે સર્જનાત્મક ઇતિહાસલેખનનો એક આદર્શ પૂરો પાડ્યો. એમાં ભૂમિકા, પુરાવા, આધાર બધું ઇતિહાસનું, પ્રસંગ–પાત્રનું નિરુપણ નવલકથાકારનું અને દૃષ્ટિ સંતત્વ તરફ ગતિ કરતા મહાપુરુષની આવું સંયોજન થયું છે. 

ગાંધીજીનું ધ્યેય સાહિત્યકાર કે પત્રકાર બનવાનું નહોતું પણ તેમના નામનો એક યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બોલે છે અને તેમના પત્રકારત્વએ લોકકેળવણીનું અને લોકોને સાચી માહિતીથી અપડેટેડ રાખવાનું જે કામ કર્યું તે માટે પત્રકારત્વ ભણનારે પત્રકાર ગાંધીને ભણવા પડે છે. આ લેખન–પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર થઈ, જેના વિશે પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પ્રકરણો છે

‘જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. જાહેર સંસ્થાના ચાલુ ખર્ચનો આધાર લોકો પાસેથી મળતા ફાળા પર રહેવો જોઈએ. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતા અને તેના સંચાલકોની પ્રામાણિકતાની કસોટી છે અને દરેક સંસ્થાએ તે કસોટી પર ચડવું જોઈએ તેવો મારો અભિપ્રાય છે.’ મહાત્મા ગાંધીનો આ બહુ જાણીતો અને અનેક સંસ્થાઓએ અનુસરેલો વિચાર તેમના દક્ષિણ આફ્રિકાકાળની નીપજ છે.

મહાત્મા ગાંધીની આત્મકથાના લગભગ 250 પાનાં એમના દક્ષિણ આફ્રિકાકાળની વાતમાં રોકાયાં છે. આમ છતાં એમણે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ નામે જુદું પુસ્તક લખ્યું છે. ગાંધીજીના જીવનમાં 6 એપ્રિલનું જાણે એક આગવું સ્થાન છે. કાળા કાયદા તરીકે ઓળખાતા રોલેટ એક્ટ સામે સત્યાગ્રહ 6 એપ્રિલ 1919ના દિવસે શરૂ થયો હતો. ત્યાર પછી 6 એપ્રિલ 2024ના દિવસે નવજીવન દ્વારા ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પ્રગટ થયું હતું અને 6 એપ્રિલ 1930ના દિવસે એમણે અન્યાયી મીઠાનો કાયદો તોડી નમક સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આજે થોડી વાતો કરીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની ભવ્ય જ્વલંત સફળતા પાછળ ઢંકાઈ ગયેલી છે. આત્મકથાનાં 200થી વધારે પાનાં દક્ષિણ આફ્રિકાની ઘટનાઓના વર્ણનમાં રોકાયેલાં છે એટલે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને માટે જુદું પુસ્તક વાંચવાનું અને તેનો અભ્યાસ કરવાનું ઓછા લોકોને મન થયું હશે. પણ ગાંધીજીએ તો આત્મકથા લખાઈ એ જ ગાળામાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પર સ્વતંત્ર પુસ્તક લખ્યું છે અને તેને ‘નવજીવન’માં સાપ્તાહિક શ્રેણી રૂપે આત્મકથા સાથોસાથ, કદાચ એની પહેલાં 1923ના ગાળામાં પ્રગટ કર્યું છે.

એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે તેની પ્રસ્તાવનાના પહેલા જ ફકરામાં ગાંધીજી લખે છે, ‘સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત અંગે શોધાયો અને યોજાયો. આ લડતનો ઇતિહાસ મારા હાથે લખાય એમ હું ઘણા વખતથી ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ તે તો લડાઈનો ચલાવનારો જ જાણી શકે. અને એના મોટા પાયા પર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ બધા લોકો જાણે એ જરૂરી હતું’ ગાંધીસાહિત્યના વાચકો અને અભ્યાસીઓએ પણ આ વાત યાદ રાખવા જેવી છે.

પુસ્તક બે ભાગ, 50 પ્રકરણ ને 620 પાનાંમાં વિસ્તાર પામ્યું છે. પહેલા 30 પ્રકરણ યરવડા જેલમાં લખાયાં છે. ગાંધીજી બોલતા અને ઈન્દુલાલ યાજ્ઞિક લખતા જતા. ત્યાર પછીનાં પ્રકરણો જૂહુથી લખાયાં.

તો સત્યાગ્રહનો પ્રથમ સફળ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં થયો. આ અનુભવને આધારે જ ગાંધીજીએ ભારતમાં સત્યાગ્રહો કર્યા. યાદ રાખીએ કે સત્યાગ્રહનું મહત્ત્વ ગાંધીજી પૂરતું કે દક્ષિણ આફ્રિકા પૂરતું કે ભારત પૂરતું પણ નથી. જગતના ઇતિહાસમાં એ પ્રથમ દ્વેષમુક્ત, વેરવિહીન, સતનો સંગ્રામ હતો. તેની તવારીખ સમજવા માટે આ પુસ્તક મહત્ત્વનું છે.

ઇતિહાસને સામાન્ય રીતે કોઈ રાષ્ટ્ર, કોઈ રાજનીતિ કે કોઈ પ્રજા પ્રત્યે પક્ષપાત હોય છે – અહીં એવું નથી. પક્ષપાત હોય તો તે નીતિ, ન્યાય અને સત્યનો છે. આ કદાચ પહેલો જ ઇતિહાસ છે જે કોઈ ઇતિહાસકારે નહીં; પણ એક સંતે, એ ઇતિહાસના સર્જનહારે-સૈનિકે લખ્યો છે. અને જાત પર, શબ્દો પર, નિરુપણ પરનો ગાંધીજીનો સંયમ ચકિત કરી દે તેવો છે.

શરૂઆતનાં પ્રકરણોમાં ત્યારના દક્ષિણ આફ્રિકાનાં ઇતિહાસ-ભૂગોળ અને ત્યાંના મૂળ હબસી રહેવાસીઓની વાતો છે. એ પછી ત્યાં હિંદીઓનું આગમન કેવી રીતે થયું, ગિરમિટ શું, ગિરમિટિયા કોણ ને ગિરમિટમુક્ત કોણ, એમની મુસીબતો કયા કારણથી ને કેવી-કેટલી વધી તેનું વર્ણન છે. પોતાની હાલાકીઓનું ટૂંકું વર્ણન પણ છે, ‘આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા.’

આ પશ્ચાદભૂમિકા પછી એક પછી એક રાજકીય અનુભવો – 27ની ઉંમરે લખાયેલું ‘ગ્રીન પેમ્ફલેટ, તેની ભારત અને ઇંગ્લેન્ડમાં વ્યાપકપણે લેવાયેલી નોંધ, પરિણામે આફ્રિકામાં થયેલો હુમલો, પરવાનાની હોળી, મીર આલમનો કિસ્સો – આ બધાથી નવો ઇતિહાસ રચાતો-આલેખાતો જાય છે.

લડત ન્યાય માટે હતી. સત્ય અને અહિંસાના પાયા પર હતી. આંદોલન સ્વરૂપની હતી. તેને ખૂબ સહાનુભૂતિ મળી. એના સૈનિકો એકસંપથી ને એકસમાન આદર્શોથી જીવે તે માટે ગાંધીજીએ આશ્રમો બનાવ્યા. ખ્રિસ્તી પદ્ધતિથી થયેલાં હોય તે સિવાયનાં લગ્નો અમાન્ય ગણતા કાયદા સામેની લડતથી સામાજિક પાસું ઉમેરાયું અને સ્ત્રીઓનો લડતમાં પ્રવેશ થયો. હિંસા સામે અહિંસા, દ્વેષ સામે પ્રેમ, જુલમ સામે મિત્રભાવ વગેરે શસ્ત્રો કામિયાબ નીવડતાં ગયાં. છેવટે અસત પર સતનો વિજય થયો.

આ ઇતિહાસમાં રાજકીય અને સામાજિક સાથે નૈતિક અને આધ્યામિક તત્ત્વ પણ છે કેમ કે તેમાં ગાંધીજીની અંત:પ્રેરણા પગલે પગલે મુખ્ય ભાગ ભજવે છે. 

લેખનશૈલી શુષ્ક નથી, રોચક છે. ભૂમિકા, પુરાવા, આધાર બધું ઇતિહાસનું, પ્રસંગ-પાત્રનું નિરુપણ નવલકથાકારનું અને દૃષ્ટિ સંતત્વ તરફ ગતિ કરતા મહાપુરુષની આવું સંયોજન થયું છે. વાતો સૂક્ષ્મ અને અટપટી છતાં રસમય છે. ગાંધીજીના વ્યક્તિત્વમાં રહેલી ઉત્કૃષ્ટ માનવતા સાત્ત્વિક આનંદના ઓઘ ઉછાળે છે. એક પણ વાત નકામી કે બિનજરૂરી નથી. ઔચિત્ય, કલાસંયમ, સતર્કતાનો સતત અનુભવ થાય છે.

સાહિત્ય અને જીવન પરસ્પર સંકળાયેલાં છે. કોઈ કોઈ કૃતિ એવી હોય છે જેણે પ્રબળતાથી જીવનની અસર ઝીલી હોય. કોઈ કૃતિ એવી હોય છે જે જીવનને પ્રભાવિત કરે. ગાંધીજીનાં પુસ્તકોમાં આ બન્ને રીતના પ્રભાવ જોવા મળે છે. એમણે જિવાતા જીવનને ઝીલ્યું પણ છે અને પ્રભાવિત પણ કર્યું છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પણ આ બન્ને તત્ત્વ છે. જો કે સત્યના પ્રયોગો જેટલો વિરાટ પ્રભાવ આ પુસ્તકનો નથી. પણ ગાંધીસાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર જે સમગ્ર પ્રભાવ છે તેમાં આ પુસ્તકનો પણ ફાળો છે જ. 1909માં લખાયેલા ‘હિંદ સ્વરાજ’ને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની બાયપ્રોડક્ટ ગણી શકાય.

ગાંધીજી ઇતિહાસકાર નહોતા, પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ લખીને તેમણે સર્જનાત્મક ઇતિહાસલેખનનો એક આદર્શ પૂરો પાડ્યો. તેઓ સાહિત્યકાર નહોતા પણ તેમના નામનો એક યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બોલે છે. ગાંધીજીનું ધ્યેય પત્રકાર બનવાનું નહોતું, પણ તેમના પત્રકારત્વએ લોકકેળવણીનું અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડી એમને અપડેટેડ રાખવાનું જે કામ કર્યું તે માટે પત્રકારત્વ ભણનારે પત્રકાર ગાંધીને ભણવા પડે છે. આ લેખન-પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર થઈ, જેના વિશે પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પ્રકરણો છે.

કેટલાક પુસ્તકોનો ઉલ્લેખ કરું – ગાંધીજીની સૌ પહેલી જીવનકથા મિ. જૉસેફ ડૉક (અનુ. પ્રાણજીવનદાસ મહેતા) અને રાવજીભાઈ પટેલ – ગાંધીજીના અંતેવાસીનું ‘ગાંધીજીની સાધના’ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની સમાંતરે ચાલ્યાં છે. પ્રભુદાસ ગાંધીના ‘જીવનનું પરોઢ’માં આ પુસ્તકોની ખૂટતી કડીઓ છે. ગિરિરાજ કિશોરનું ‘પહેલો ગિરમિટિયો’ (અનુ. મોહન દાંડીકર), રાજેન્દ્રમોહન ભટનાગરનું ‘કુલી બેરિસ્ટર’ (અનુ. છાયા ત્રિવેદી) અને નારાયણ દેસાઈ લિખિત ‘મારું જીવન એ જ મારી વાણી’ના પહેલા ભાગના અડધાથી વધારે પાનાં ગાંધીજીવનના દક્ષિણ આફ્રિકાકાળ પર લખાયાં છે.

દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળતાં ગાંધીજીએ જે ટકોર કરી છે તે આજના સોશ્યલ મિડિયા માટે પણ કેટલી સાચી છે – ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઍપ્રિલ 2023

Loading

સત્યો જ એટલાં બધાં છે કે સત્ય શોધ્યું જડતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 May 2023

રવીન્દ્ર પારેખ

તમે પ્લેટફોર્મ પર ઊભાં હો ને ટ્રેનને આવતી જુઓ તો કહેશો કે ટ્રેન આવી રહી છે. એ જ વખતે કોઈ ટ્રેનમાંથી બહાર જોશે તો કહેશે કે પ્લેટફોર્મ આવી રહ્યું છે, તો પ્રશ્ન થાય કે સાચું શું? ટ્રેન આવી રહી છે એ કે પ્લેટફોર્મ આવી રહ્યું છે એ? કે બંને વાત સાચી છે? સત્ય સાપેક્ષ છે. પ્લેટફોર્મ પર ઊભેલાં માટે ટ્રેન આવી રહી છે એ સાચું છે, તો, ટ્રેનમાં છે તેને માટે પ્લેટફોર્મ આવી રહ્યું છે એ સાચું છે. જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં એવું બન્યું છે કે એટલાં બધાં સત્યો એક સાથે પ્રગટ થવાં લાગ્યાં છે કે સત્ય સુધી પહોંચવાનું મુશ્કેલ થઈ ગયું છે. બધાં એટલું બધું સાચું બોલી રહ્યાં છે કે ખોટું પણ, ખરું હોય એમ એનો પ્રચાર થાય છે. પ્રચાર આજનો રાજરોગ છે. સત્ય હવે નિર્ભેળ નથી. એક જ વાત એકને સાચી તો બીજાને ખોટી લાગે છે. તેમાં સ્વાર્થ હોય તો સાચી વાતને ખોટી અને ખોટી વાતને સાચી ઠેરવવાનો પ્રયત્ન પણ થાય છે. ઘણાંને તો પોતાની માન્યતા જ સાચી લાગે છે. માન્યતા ખોટી હોઈ શકે, પણ હવે તેને જ સાચી ઠેરવવાની કોશિશો થાય છે. પોતે માને છે તે જ સાચું છે ને સામેવાળો માને છે તે ખોટું છે, એ વાત હવે ઝનૂનની હદે સક્રિય છે, તે પણ કોઈ ઘટના સંદર્ભે નહીં, પણ એકાદ ફિલ્મ સંદર્ભે ! થોડા વખત પર ‘કાશ્મીર ફાઇલ્સ’, કાશ્મીરી પંડિતોને થયેલા અન્યાયની વાતો લઈને આવી હતી. એ ગમે એટલી સત્ય ઘટના પર આધારિત હોય તો પણ તે એક સારી કે નબળી ફિલ્મ હતી ને તેને તે જ રીતે જોવી જોઈએ, પણ એ રીતે જોવાતી નથી, તેમાં ય તે કોઈ કોમની તરફેણ કે ટીકા, કોઈ ગણતરીથી કરે ત્યારે ફિલ્મનો હેતુ બદલાઈને રાજકારણમાં ફેરવાય છે.

સેન્સર બોર્ડે મંજૂરી આપ્યા પછી ફિલ્મ જોવી કે ન જોવી એ વ્યક્તિ પોતે નક્કી કરતી હોય છે, પણ હવે એવું થયું છે કે કોઈ ચોક્કસ ફિલ્મ બાન કરવી કે તેને કરમુક્ત કરવી એ રાજકીય પ્રભાવો નક્કી કરે છે. અત્યારે તો આખો દેશ પક્ષ અને વિપક્ષ એમ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કોઈ પક્ષ કે વિપક્ષમાં ન હોય તો તેને માટે કોઈ જગ્યા જ નથી જાણે ! ’કાશ્મીર ફાઇલ્સ’ પછી એવા જ હેતુ માટે ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ 5 મેએ થિયેટરોમાં રિલીઝ થઈ ને તેણે હિન્દુ અને ખ્રિસ્તી સ્ત્રીઓની આતંકવાદી પ્રવૃત્તિઓમાં, કેવી રીતે ISIS નામક આતંકી સંસ્થા દ્વારા સંડોવણી થઈ તેની વાત કરી છે. કોઈ પણ સ્ત્રીને આતંકવાદી સંગઠન દ્વારા વિદેશમાં આત્મઘાતી બોમ્બ બનાવવા સુધી ઇરાદાપૂર્વક ખેંચવામાં આવે તો તેનો ફિલ્મમાં તો શું, દેશભરમાં વિરોધ થવો ઘટે, પણ આપણે ફિલ્મો પૂરતો વિરોધ કરીને રહી જઈએ છીએ, બાકી, આતંકી સંગઠનો હુમલાઓ તો વર્ષોથી કરે છે, પણ આપણે અફસોસ કરવાથી બહુ આગળ જતાં નથી.

‘ધ કેરળ સ્ટોરી’ ચોક્કસ હેતુથી બની છે, પણ હેતુ પાર પાડવા બનાવટ કરવામાં આવે તો તે યોગ્ય નથી. એમાં 32,000 મહિલાઓની આતંકી સંસ્થા સુધી પહોંચવાની વાતે ફિલ્મ પહેલાં જ લોકોની આંખો પહોળી કરી નાખી. ફિલ્મ તો ત્રણચાર મહિલાની આસપાસ વિકસે છે, તેમાં હજારો મહિલાઓ ફસાયાનો ઉલ્લેખ છે, પણ 32,000નો આંકડો એવો ફેલાવાયો કે એ જ સર્વોપરિ થઈને રહ્યો. બાકી હતું તે એમાં રાજકારણ પ્રવેશ્યું એટલે પક્ષ-વિપક્ષ સામસામે ખડકાઈ ગયા. ફિલ્મ મેકર્સના 32,000ના દાવાએ લક્ષ્ય તો પાર પાડી દીધું હતું ને એને સાચું માનીને બધા પોતપોતાનો રોટલો ય શેકવા લાગ્યા હતા. ફિલ્મ મેકર્સનો હેતુ શુદ્ધ હશે, પણ ખુદ નિર્માતા વિપુલ શાહે પછી કબૂલ કર્યું કે 32,000નો આંકડો બનાવટી છે. 32 કે 32,000 મહિલાઓ ધાર્મિક પરિવર્તનમાં ફસાઈ એનાથી કોઈ ફરક પડતો નથી, મહત્ત્વની બાબત એ છે કે ધર્મ પરિવર્તન થયું અને આ વાતને પબ્લિક ડોમેઇનમાં લાવવાની હતી. વિપુલ શાહની આ વાત સાથે સંમત થવાનો વાંધો નથી, પણ 32,000ના આંકડાએ જે ખોરાક પક્ષને અને વિપક્ષને પૂરો પાડ્યો ને એણે દેશ આખામાં જે હલચલ મચાવી એની જવાબદારી કોને માથે નાખવી તે એ કહી શકે એમ છે? એમને ખબર છે કે જે વાસ્તવિકતાનો દાવો કરાયો એ જ વાસ્તવિકતા પશ્ચિમ બંગાળને કાલ્પનિક લાગી ને ફિલ્મને બાન કરવામાં આવી. બીજી તરફ એ જ આંકડો સાચો માનીને ગુજરાતમાં મહિલાઓને મફત ફિલ્મ બતાવીને લવ જેહાદ સામે જાગૃત કરવાની કોશિશો ચાલી, કેમ જાણે મહિલાઓને પોતાને તો જાગૃત થવાનું સૂઝતું જ નહીં હોય !

આખા દેશમાં આ ફિલ્મ બાન થવી જોઈએ એ માટે કેરળ હાઇકોર્ટે નન્નો ભણ્યો છે, એટલે અરજી હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે ને તેની સુનાવણી 15 મેએ થવાની છે. એનો તો જે નિકાલ લાગે તે ખરો, પણ તે પહેલાં લોકોમાં જે સામસામે કડવાશ અને તીવ્રતા વધી છે તે દુ:ખદ છે. કોર્ટના નિર્ણય પહેલાં પરસ્પર આક્ષેપોની જે ઝડી વરસે છે તે જોખમી છે. જવાબદાર કોઈ પણ હોય, પણ જનતા જે રીતે વિભાજિત થઈ રહી છે, રાધર, વિભાજિત કરવામાં આવી રહી છે તેનો અર્થ કોઈ કાળે એકતા થાય એમ નથી. ફિલ્મ કોઈ કોમની વિરુદ્ધ નથી. તે આતંકી પ્રવૃત્તિની સામે પડી છે, તેવું કહેવાય છે. એ સાચું હોય તો પણ, તેની જે આડઅસર થઈ છે એનો ખ્યાલ ફિલ્મ મેકર્સને ન જ હતો એવું તેઓ પ્રમાણિકપણે કહી શકે એમ છે? આનો વળી રાજકીય પક્ષો પોતાની વોટ બેન્ક માટે ઉપયોગ કરે છે ને વિરોધ કે તરફેણનું વાતાવરણ મજબૂત કરતા જાય છે. એ કેવી કમનસીબી છે કે કોઈ ફિલ્મ આ દેશમાં સ્પષ્ટ બે ભાગ પાડી શકે છે ! આ દેશની અખંડિતતા એટલી તકલાદી છે કે તે એકબે ફિલ્મથી ખંડિત થઈ શકે? એનો અર્થ તો એ થયો કે આ દેશને શિક્ષણ, રાજકારણ, ધર્મનું કોઈ કવચ જ નથી જે દેશને એક રાખી શકે.

ખુદ વડા પ્રધાન ફિલ્મના પ્રચારમાં અને એ દ્વારા કાઁગ્રેસ વિરોધી વાતાવરણ સર્જવામાં પ્રવૃત્ત થાય તેનું આશ્ચર્ય છે. એમણે કોઈ ફિલ્મના પક્ષકાર થવું પડે એ, કેવું? ફિલ્મ સત્યઘટના પર આધારિત હોય તો પણ તે સત્યઘટના નથી જ ! ફિલ્મને અનુરૂપ જે ફેરફારો કરવા પડે તે પેલી સત્યઘટનાને પૂરેપૂરી સત્ય ન રહેવા દે એ સ્પષ્ટ છે. એ જાણીને કે જાણ્યા વગર પક્ષ અને વિપક્ષના સમર્થકો સામસામે આવી ગયા. પક્ષના કે વિપક્ષના નેતાઓને તો ખબર પણ નહીં હોય કે એમના સમર્થકો એમની ભક્તિ કરવામાં જરા ય પાછીપાની કરે એવા નથી. ફિલ્મને પશ્ચિમ બંગાળે ને તમિલનાડુએ બાન કરી છે, તો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે કરમુક્ત કરી છે. કેરળ મુસ્લિમ રાજ્ય થવાનો ભય ફિલ્મમાં બતાવાય છે, તો કેરળના મુખ્ય મંત્રી આ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી રહ્યા છે. સામસામે ચાલતી આવી અનેક ચર્ચાઓનો છેડો દેખાતો નથી.

એક તરફ 32,000ના આંકડાથી ખેલ ખેલાયો તો એને નાનો પાડવા 41,621નો આંકડો ગુજરાતને નામે રમતો મુકાયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડા પ્રમાણે 2016થી 2020 સુધીમાં 41,621 મહિલાઓ ગુજરાતમાંથી ગુમ થઈ છે. 32,000નો આંકડો તો ફિલ્મનો હતો ને તે ઘટીને 3 પર આવી ગયો, પણ 41,621ના આંકડાનું શું કરીશું? એ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો છે. 32,000ના આંકડા પરથી ફિલ્મને બાન કરવાની કે કરમુક્ત કરવાની વાત આવી, તો 41,621ના આંકડા પરથી હવે ગુજરાતને બાન કરીશું કે કરમુક્ત કરીશું? કેરળની મહિલાઓની ચિંતા થાય છે તો ગુજરાતની મહિલાઓનો પત્તો નથી તેની ચિંતા કરવાની છે કે કેમ? કે એ ફિલ્મ નથી એટલે ચાલે? ગુજરાતમાં સ્ત્રીઓ સંદર્ભે થતા અપરાધોની જે સ્થિતિ છે તે જોતાં આ ચાળીસ હજારથી વધુ સ્ત્રીઓની શી દશા થઈ હશે તેની કલ્પના કરવાનું બહુ મુશ્કેલ નથી. આમ તો આ આંકડા 2020 સુધીના છે, તે 2023માં ને તે પણ હમણાં જ બહાર પાડવામાં આવ્યા. કેમ? સિમ્પલ ! પેલો 32,000નો આંકડો નાનો લાગે એટલે. આંકડા સાચા છે, 32,000નું તો પાકું નથી, પણ ગુજરાતના આંકડા તો સરકારી છે. ટૂંકમાં, કેરળની પાઘડી હવે ગુજરાતને માથે ફિટ થઈ રહી છે. આ બધું કુદરતી લાગે છે?

કુદરતી હોય કે કરામતી, વાત એ નથી. વાત એ છે કે પ્રજા તરીકે આપણા ભાગ પડી રહ્યા છે. એ ભાગ એકબીજા સામે દાંતિયા કરતા રહે એવી વ્યવસ્થા છે. એનો આપણે ભાગ અને ભોગ બની રહ્યા છીએ. એક ફિલ્મ 32,000નો આંકડો પાડે છે ને આપણે બે ભાગમાં કામે લાગી જઇએ છીએ. એક ભાગ તેને સાચો સાબિત કરવા ને બીજો તેને ખોટો સાબિત કરવા ધંધે લાગી જાય છે, તેને લગતા પુરાવાઓ ને પ્રમાણો રજૂ કરવા લાગે છે. આવું બીજાં કારણોસર પણ થાય છે. એ કરવાનું સીધી રીતે તો કોઈ કહેતું નથી, પણ આપણને જ આપણા પક્ષની કે વિપક્ષની ભક્તિ કરવાનું ગમે છે અથવા તો પક્ષ કે વિપક્ષ એવું કરવા પ્રેરે છે. જેથી એ બંને મજબૂત થાય. આ કેવળ મત આધારિત છે. આવું કઈં ન કરીએ તો પણ જીવી શકાય. ઘણાં એ રીતે જીવે પણ છે, એ બધાં દેશદ્રોહી છે એવું નથી ને જે આવું કરી રહ્યાં છે તે બધાં જ શુદ્ધ દેશપ્રેમથી કરે છે એવું ય નથી. એમને ય એમની ગણતરીઓ છે. જે એમાં જાણીને પડે છે એમને તો જાણ છે, પોતે શું કરી રહ્યાં છે એની, પણ જે નથી જાણતા એમણે ચેતવાની જરૂર છે. બધાં સત્ય પોતાને પક્ષે જ છે એમ માનીને વર્તે છે ને સ્થિતિ ટ્રેન જેવી થાય છે. સ્ટેશન પર છે તેને ટ્રેન આવતી દેખાય છે ને ટ્રેનમાં છે તેમને સ્ટેશન આવતું દેખાય છે. આમાં તો બંને સાચાં છે, પણ હવેનું સત્ય એટલું બધું વિખેરી નંખાયું છે કે અનેક સત્યોમાં સત્ય એક જ હોય એ વાતનો જાણે કે છેદ જ ઊડી ગયો છે ને રડવાનું હોય તો એનું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 મે 2023

Loading

જોગી

બીજલ જગડ|Opinion - Opinion|11 May 2023

છંદ છોડી, સ્હેજમાં શબ્દ આત્મિક વાણી બોલે,

લય પરમ શબ્દ વીંધી ત્રણ લોક અપારે ડોલે.

આભ ઊંડા અનંત રથઝાંઝર પૂરે એમાં તાન રે,

સંસારપારનાં સૂર વીંધી ત્રણ લોક અપારે ડોલે.

ગહન મૌન શબ્દ આતમની આરત સમાં રે બોલ,

બધા સૂનકાર શોધી ને ત્રણ લોક અપારે ડોલે.

શોધું આતમ આરજૂ અનંતમાં હે જાણતલ જોગી,

જોયા છે ગુફા પહાડ ને ત્રણ લોક અપારે ડોલે.

ધૂણી ધખાવી વાજે છે ઉરમાં બ્રહ્મની વાંસળી,

અગમના ભેદો ઊંડા ને  ત્રણ લોક અપારે ડોલે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,1061,1071,1081,109...1,1201,1301,140...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved