Opinion Magazine
Number of visits: 9458223
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વહેતા રહેવું એ જ સત્ય છે : ઓશો

સોનલ પરીખ|Opinion - Opinion|13 February 2023

પ્રેમ શરીર દ્વારા પ્રગટે તો જાતીયતા થઈ જાય, મન દ્વારા પ્રગટે તો પ્રેમ અને આત્મા દ્વારા પ્રગટે તો પ્રાર્થના બની જાય; પણ પ્રેમ આ ત્રણેને પણ ઓળંગી જાય ત્યારે જે ચોથી અવસ્થા આવે છે તે ભર્યા ભર્યા સૂનકારની સ્થિતિ છે. ત્યાં બધું જ અદૃશ્ય થઈ જાય છે 

— ઓશો

‘સમગ્ર માનવજાતમાં સંભવત: હું એકલો એવો માનવી છું જે અઢળક પ્રેમ પામ્યો છે, અત્યંત ધિક્કારનો ભોગ બન્યો છે અને અનંત ગેરસમજનો શિકાર બન્યો છે.’ એકથી વધારે વાર આ વાક્ય ન વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવી જ જાય કે આ વિધાન ઓશોનું હોવું જોઈએ. 11 ડિસેમ્બરે તેમનો જન્મદિન ગયો અને 19 જાન્યુઆરીએ આવશે તેમની પુણ્યતિથિ.

21 વર્ષની ઉંમરે તેમને સંબોધિ પ્રાપ્ત કરી લીધી હતી એમ કહેવાય છે. તે પછી 60ના દાયકામાં ભારતભરમાં ઘૂમી એમણે સોશિયાલિઝમ, ગાંધી અને રૂઢિવાદી હિંદુ ધર્મની આલોચના કરી ટીકાઓ વહોરી લીધી. જાતીયતા તરફ ખુલ્લો દૃષ્ટિકોણ રાખવાની હિમાયત કરી એક તરફ પ્રશંસકોનો ને બીજી તરફ વિરોધીઓનો નવો વર્ગ પેદા કર્યો. એ દિવસોમાં તેઓ આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા. રજનીશ એટલે ચંદ્ર. તેમના મૂળ નામ ચંદ્રમોહનની એમાં છાયા છે.

1974માં તેમને પુણેમાં આશ્રમ શરૂ કર્યો. વૈભવી જીવન, રૉલ્સ રૉય્ઝનો કાફલો, કિંમતી ઘડિયાળો-પેન-પોષાકો અને આશ્રમની મુક્ત જીવનશૈલીને કારણે ત્યારની મોરારજી સરકારે પુણેનો તેમનો આશ્રમ બંધ કરાવ્યો, તો એમણે અમેરિકાના ઓરેગોનમાં 65 હજાર એકરનું રજનીશપુરમ્‌ શરૂ કર્યું. ત્યાં પણ મોટા વિવાદો સર્જાયા. અમેરિકાની સરકારે તેમની હકાલપટ્ટી કરી. સત્તર દેશોએ તેમને રાખવાની ન પાડી ત્યારે તેઓ ભારત પાછા આવ્યા અને પુણેમાં નવેસરથી બધું શરૂ કર્યું. 70-80ના દાયકામાં તેઓ ‘આચાર્ય’માંથી ‘ભગવાન’ બન્યા અને ત્યાર પછી ‘ઓશો’ નામ ધારણ કર્યું. વિલિયમ જેમ્સના લેટિન શબ્દ ‘ઓશનિક’ પરથી ‘ઓશો’ શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય સમુદ્રમાં ઓગળી જવું. તેમના અનુયાયીઓના મતે તેઓ સમુદ્રમાં ઓગળી નથી ગયા, તેમણે સમુદ્રત્વ પ્રાપ્ત કર્યું છે. આ નામ પરથી ઓશો આંદોલન ચાલ્યું હતું.

ઓશોના નામ સાથે આજે પણ થોડાંક આંદોલન, થોડાંક વમળ પેદા થઈ જાય છે. નક્કી નથી કરી શકાતું આપણે તેમની સાથે સંમત છીએ કે અસંમત. ઓશોએ બાળ વયે તેમના નાનાનું મૃત્યુ જોયું હતું. એ પછી તેમણે લખેલું, ‘નાનાના મૃત્યુ સાથે મારી તમામ આસક્તિ મરી ગઈ. ત્યાર પછી હું કોઈ પ્રત્યે કદી આસક્ત થયો નથી.’ તેમના એક શિષ્યે લખ્યું છે કે ઓશો પોતાની હૃદયગુફામાં સાવ એકાકી હતા. પોતાની આસપાસ ભયાનક વંટોળ ઊભો કરી તેની વચ્ચે શાંતિથી રહેવું કદાચ તેમને ગમતું હતું.

કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈસુ, તાઓ અને ઝેન તેમના પ્રિય વિષય. તેઓ કહે છે, ‘અસ્તિત્વનું ગહનતમ રહસ્ય કયું? અસ્તિત્વનું ગહનતમ રહસ્ય જિંદગી નથી. પ્રેમ પણ નથી. અસ્તિત્વનું ગહનતમ રહસ્ય છે મૃત્યુ. વિજ્ઞાનીઓ જિંદગીની પાછળ પડ્યા છે, પણ જિંદગી તો એક મહાન રહસ્યનો બહુ નાનો, બહુ ઉપરછલ્લો, ક્ષણભંગુર એવો અંશ છે. જીવન પવનની લહેર જેવું છે – ઊઠે છે, આગળ વધે છે, શમી જાય છે. પ્રેમ જીવન કરતાં થોડો વધારે રહસ્યમય છે કારણ કે તેમાં મૃત્યુની છાયા પણ ભળેલી છે. જેણે મૃત્યુને જાણ્યું નથી તે પ્રેમને જાણી શકે નહીં. જેને મૃત્યુનો ડર હોય તે પ્રેમની ગહનતામાં પ્રવેશી શકે નહીં. કલાનું ફોકસ પ્રેમના રહસ્ય પર છે તેથી તે વિજ્ઞાન કરતાં થોડી આગળ જાય છે. મૃત્યુ અસ્તિત્વની પરમ ઊંચાઈ છે અથવા અંતિમ ગહનતા છે – રહસ્યવાદીનું લક્ષ્ય તેને સમજવાનું છે. તેને ખબર છે કે જો મૃત્યુ સમજાઈ જશે તો પ્રેમ અને જીવન બન્ને સમજાઈ જશે. રહસ્યવાદી મૃત્યુને ચાહે છે, મૃત્યુને જીવે છે. જે ક્ષણેક્ષણે નિ:શેષ થાય છે તે ક્ષણેક્ષણે પરોઢના તાજા ઝાકળબિંદુની જેમ જન્મ છે.’

પરંપરામાત્રનો વિરોધ, વિદ્રોહ અને સેક્સ એ તેમની પ્રિય બાબતો. ‘આજ સુધી આપણે સેક્સ શબ્દનું ઉચ્ચારણ પણ ભયભીત થઈને, આજુબાજુ જોઈ લઈને કરીએ છીએ. એને એવી રીતે છુપાવી રાખીએ છીએ, જાણે એ છે જ નહીં. ક્યારેક ગાળો આપીએ છીએ, ક્યારેક નફરત કરીએ છીએ. જીવનની સૌથી સુંદર અને સૌથી મહત્ત્વની ઘટનાને વિરુપ, વિકૃત અને વાસનાગ્રસ્ત કરીને જ જંપીએ છીએ.’

‘જો શરીર બનીને રહી જશો તો થોડી પળોનો આનંદ મેળવશો. પ્રેમ બની જાઓ. જ્યારે આલિંગનમાં હો, આલિંગન થઈ જાઓ. ચુંબન બની જાઓ. પોતાને પૂર્ણપણે એ રીતે ભૂલી જાઓ કે કહી શકો કે હવે હું નથી, ફક્ત પ્રેમ છે. હૃદય નથી ધડકતું, પ્રેમ ધડકે છે. રક્ત નથી વહેતું, પ્રેમ વહે છે. સ્પર્શ કરવા હાથ નહીં, પ્રેમ આગળ વધે છે. જો પ્રેમ બની જશો તો શાશ્વત જીવનમાં પ્રવેશ કરવા પામશો. ત્યાર પછી અસ્તિત્વ પ્રાર્થના બની જશે અને આ તમામ ઓગળી જશે ત્યારે ચોથી, એક ભર્યા ભર્યા સૂનકારની સ્થિતિ આવશે, બધું જ અદૃશ્ય થઈ જશે.’ ‘મોટા ભાગનાં લગ્નોમાં પ્રેમ નથી હોતો. ભયથી ફફડતાં બે જણ એકબીજાને વળગ્યાં હોય તેમ પતિપત્ની સાથે જીવતાં હોય છે.’ ‘પ્રેમ એટલે પૂર્ણ સ્વીકૃતિ. અપેક્ષારહિતતા. કશાને બદલવાની ઈચ્છા ન હોય તે પ્રેમ.’

ઓશો નદીના આશક હતા. કહેતા, ‘વહેતા રહેવું એ જ સત્ય છે. તરવું એટલે મથામણ કરવી, પ્રયોજન રાખવું. આ બંનેમાં અહંકાર છે. વહેણ લઈ જાય ત્યાં અવિરોધ વહેવું તે જ જીવન છે.’ ઓશો કવિતાનો જીવ પણ ખરા. મીરાં, ટાગોર, જિબ્રાનનાં અવતરણો તેમની જીભને ટેરવે રમતાં. એક સુંદર વાત તેમણે કહી છે કે પ્રત્યેક પુરુષમાં એક સ્ત્રી વસે છે અને પ્રત્યેક સ્ત્રીમાં એક પુરુષ રહેલો છે. જો પુરુષ પોતાનામાં રહેલી સ્ત્રીનું જતન ન કરે તો તે રાક્ષસ થઈ જાય અને જો સ્ત્રી પોતાનામાં રહેલા પુરુષનું જતન ન કરે તો તે નરી આસક્તિની પૂતળી થઈ જાય.

રૂઢ અર્થમાં તેમને ધાર્મિક, આધ્યાત્મિક કે આસ્તિક કહી ન શકાય. તેમને નાસ્તિક પણ કહી શકાતા નથી. તેઓ રાગી પણ છે, વિરાગી પણ – કે પછી કશું નથી. આઘાત આપવાની ને ઉખેડી નાખવાની તેમને આદત હતી. તેમનામાં ભારોભાર જિદ અને ઝનૂન પણ હતાં. તેમની શિષ્યા અને રજનીશપુરમ્‌ની કર્તાહર્તા મા આનંદશીલાએ ઓશોને વ્યસની, બાલિશ અને અત્યંત વૈભવમાં રમમાણ વર્ણવ્યા છે. તેમના આશ્રમમાં નિરંકુશ પ્રેમના નામે ગળે ન ઊતરે તેવું ઘણુંબધું ચાલતું તેવું લખ્યું છે. આ પુસ્તકને ખોટું કે એકાંગી કહેનારા પણ ઓછા નથી.

પુણે સ્થિત તેમની સમાધિ પર લખ્યું છે : ‘તેઓ ક્યારે ય જન્મ્યા નહોતા અને તેમનું ક્યારે ય મૃત્યુ પણ નથી થયું. તેઓ ધરતી પર 11 ડિસેમ્બર, 1931થી 19 જાન્યુઆરી, 1990 દરમિયાન આવ્યા હતા.’

સુરેશ દલાલે લખ્યું છે, ‘ઓશો વિશિષ્ટ, વિચિત્ર, વિદ્રોહી અને વિવાદાસ્પદ સન્યાસી હતા. તેમનામાં પદ્ધતિસરનું પાગલપણું હતું. તેમની સામે ફેણ માંડવાની જરૂર નથી. તેમની તરફેણ કરવાની પણ જરૂર નથી. જે ગમે તે લઈ લેવું ને જે ન ગમે તે પડતું મૂકી દેતાં શીખી જવું પડે. જો તે કરતાં ગમાઅણગમાથી પર થઈ જવાય તો ઉત્તમ.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જાન્યુઆરી 2023

Loading

છુપાવી બેઠો છે

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Opinion - Opinion|13 February 2023

એટલું બધું છુપાવી બેઠો છે,

ઝાકમઝોળ પણ અંધારી લાગે છે.

કોઈ બોલે મીઠા શબ્દો હવે તો,

બાણથી પણ ઘાતક વાગે છે.

આંખ ભીની નથી પણ રડતો દેખાય છે,

ચહેરા પરનો પસીનો અશ્રુ લાગે છે.

હવે વાત કરીશ કે વિવાદ કરીશ તું,

ઊંઘમાં પણ એ તો હવે જાગે છે.

શરીર તો છે જ એનું એની સાથે,

આ તો આત્મા હવે દૂર ભાગે છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

સત્યનો ક્ષય ને પાપનો જય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 February 2023

રવીન્દ્ર પારેખ

મૂળ તો ‘સત્યનો જય, પાપનો ક્ષય’ છે, પણ હવે જમાનો બદલાયો છે. એવો સમય હતો જ્યારે મનુષ્ય પાપ ભીરુ હતો. ઈશ્વરથી ડરતો. ખોટું કરતાં ખચકાતો. હજી સત્યનો મહિમા ક્યાંક છે જ ! માણસાઈ, ભલમનસાઈ, સદ્દભાવનું મૂલ્ય હજી છે, પણ જે રીતે લુચ્ચાઈ, બદમાશી, છેતરપિંડી વધી રહી છે, સત્યને રહેવાની જગ્યા સાંકડી થતી આવે છે. ચારે બાજુ જે રીતે અસત્ય, જૂઠાણાં, વધતાં આવે છે તે જોતાં સચ્ચાઈ, અચ્છાઈ, માણસાઈને માટે જગ્યા ઓછી જ બચે છે. ખૂન, લૂંટફાટ, બળાત્કાર, છેડતીના કિસ્સાઓ જે રીતે વધતા આવે છે ને એ જ સાચું હોય તેમ પ્રચાર માધ્યમો તેનો મહિમા કરે છે, તે પરથી તો મૂલ્યોની વાત મજાક જેવી જ લાગે છે. પ્રચાર માધ્યમો જે રીતે પ્રજાને ડરાવી, ધમકાવીને કાબૂ કરે છે, તેમાં પોતે સર્વગુણ સંપન્ન હોવાનો વહેમ કેન્દ્રમાં છે. અમુક જ કરો, અમુક તો ન જ કરો જેવી સલાહો આપનારા પ્રજાને મેસ્મેરાઇઝ કે હિપ્નોટાઈઝ કરતાં હોય તેમ પૂરી બેશરમીથી ને દાદાગીરીથી વર્તે છે. આ બરાબર નથી. પ્રચાર માધ્યમો દ્વારા આવાં કામ માટે ખપમાં લેવાતી જગ્યાનું પ્રમાણ પણ તપાસવા જેવું છે. એમાં થાય છે એવું કે જે સમાચારને મહત્ત્વ અપાવું જોઈએ તે એવે ખૂણે નંખાય છે કે નજરે જ ન ચડે. તેને બદલે રાજકીય અપપ્રચાર, ધંધાકીય ગોલમાલ, આંતરરાષ્ટ્રીય રાજરમતોને એટલું મહત્ત્વ અપાય છે કે જગતમાં સારું તો કશું બનતું જ નહીં હોય એવો વહેમ પડે. એને કારણે મહત્ત્વની સમસ્યાઓ હાંસિયામાં ધકેલાતી હોવાનું પણ લાગે છે.

બીજી ઘણી સમસ્યાઓ છે જ ને તેને વિષે પણ વાત થઈ જ શકે, પણ બજેટ સંદર્ભે એક વાત તરફ નજર નાખવાનું હાલ જરૂરી લાગે છે. એક સમયે રેલવે બજેટ અલગથી પ્રસ્તુત થતું ને તેને પૂરતો સમય ફાળવાતો. નવી ટ્રેનો કે રેલવે સ્ટેશનોની સુવિધાઓ કે રેલવે ભાડાં અંગે વિગતે વાતો થતી, ચર્ચાતી. હવે મુખ્ય બજેટની સાથે જ રેલવે બજેટ પણ એવી રીતે પ્રસ્તુત થાય છે કે તે સાવ ગૌણ હોય. તેને સ્પર્શીને છોડી દેવાતું હોય તેવું વધારે લાગે છે. આવો સાવકો વ્યવહાર અટકવો જોઈએ. નથી પ્રજા એ અંગે કશું બોલતી કે નથી તો રેલવે મંત્રાલયને એમાં કૈં ખૂટતું લાગતું. રેલવે મંત્રી રાબેતા મુજબ ખોટની અને નથી પરવડતું-ની વાત કરતાં રહે છે. એમાં સચ્ચાઈ ઓછી ને ખંધાઈ વધારે છે. તેમાં વળી આ વખતના બજેટમાં નાણાં મંત્રી ઇન્કમટેક્સની રાહતો આપવામાં એવા ઉમંગી રહ્યાં કે સિનિયર્સને ટ્રેનમાં મળતી છૂટ અંગે કોઈ જાહેરાત જ ન કરી. એમને એમ હશે કે ઇન્કમટેક્સનું લોલીપોપ ધર્યું છે, તો સિનિયર્સ રેલવે કન્સેશનને યાદ નહીં કરે. રેલવે મંત્રીને તો ખોટ જ એટલી દેખાય છે કે રાહતની કોઈ વાત ભૂલમાં ય આવે એમ લાગતું નથી.

વડીલોને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ અપાઈ, ત્યારે સિનિયર્સ, કર ભરવામાંથી મુક્તિ અપાઈ છે એમ માનીને હરખાયેલા, પણ કરની જવાબદારીઓ ઘટી ન હતી એ વાત તેમને મોડી પહોંચેલી. વાત ત્યારે એવી યુક્તિથી રજૂ થયેલી કે સિનિયર્સને છેતરાયાનું ભાન પણ મોડેથી થયેલું. એવું જ રેલવે કન્સેશન બાબતે પણ થયું હોવાનું લાગે છે. 2020 સુધી 58ની ઉપરની મહિલાઓને 50 ટકા અને ભાડામાં સિનિયર્સને 40 ટકા રાહત રેલવે ભાડાંમાં અપાતી હતી, તે આવક ઘટી છે – એ વાત આગળ કરીને, 2020થી બંધ કરી દેવાઈ. કમ સે કમ આ વખતના બજેટમાં એ રાહતની અપેક્ષા સિનિયર્સને હતી, પણ સરકારે મગનું નામ મરી ન જ પડ્યું. આ ઉપરાંત કોરોનાને નામે રેલવેએ ભાડાં તો વધાર્યાં જ, ઉપરથી પ્લેટફોર્મ ટિકિટનાં 10નાં સીધાં 30 કરી દીધા. શતાબ્દી કે રાજધાની જેવી ટ્રેનોમાં ધાબળા, ઓશીકાની સગવડો અપાતી હતી તે કોરોનાને નામે બંધ કરી દેવાઈ, આ સગવડો બંધ થઈ તો તે હિસાબે ભાડું ઘટવું જોઈએ, તેને બદલે વધ્યું. માની લઇએ કે ટ્રેન વ્યવહાર કોરોનામાં બંધ પડ્યો તો રેલવેને ખોટ ગઈ ને એ ભરપાઈ કરવા સિનિયર્સને અપાતું કન્સેશન બંધ થયું. હવે રેલવેને ખોટ ગઈ જ હોય તો સિનિયર્સને અપાતી રાહત બંધ થાય તે સમજી શકાય, તો  સાંસદોને અને પૂર્વ સાંસદોને એકનું કે એકથી વધુની મફત મુસાફરીની સવલત આપવાનું ય બંધ થવું  જોઈએને, પણ એ રાહતો તો ચાલુ જ છે. સિનિયર્સને અપાતી રાહત વખતે રેલવે પોતાને ખોટ કરતી લાગે છે, તો સાંસદોને એ.સી.ની મફત ટિકિટો આપતી વખતે રેલવે નફો કરતી થઈ જાય છે? વારુ, સિનિયર્સને અપાતી રેલવે રાહતો લોકોનાં ટેક્સમાંથી અપાય છે. એવી જ રીતે સાંસદોને અપાતી રાહત પણ લોકોના કરવેરામાંથી જ અપાય છે. તો એકને રાહત બંધ રહે ને એકને ચાલુ રહે એ યોગ્ય છે? રેલવે બીજી રાહતો બંધ કરતી હોય તો સાંસદોને ફર્સ્ટક્લાસ એ.સી.ની કે સેકન્ડ ક્લાસ એ.સી.ની એક કે તેથી વધુની અપાતી મફત ટિકિટો પણ બંધ થવી જોઈએ, એવું નહીં? કે પેલા સાંસદ છે એટલે ખોટ નથી જતી ને ખોટ સિનિયર્સથી જ જાય છે એમ માનવાનું છે? આવી બેવડી નીતિ યોગ્ય નથી.

આવું જ સાંસદોના પગાર, ભાડાંભથ્થાં ને અન્ય સવલતો બાબતે પણ થાય છે. આમ તો સાંસદોએ કેટલો પગાર ને ભથ્થાં કે સવલતો લેવાં તે અંગે કદી કોઈ વિવાદ થતો નથી. જો કે, સારી વાત એ છે કે કેન્ટિનની સબસિડી બંધ કરવાનો અવાજ પણ એક સાંસદે જ ઉઠાવ્યો હતો, પણ પગાર-ભથ્થાંને મામલે તો કોઈ અવાજ સંસદમાંથી નથી જ ઊઠયો તે દુ:ખદ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળતા તમામ સરકારી લાભો બંધ કરી દેવા જોઈએ એ મતલબની અરજી 2019માં થયેલી ને સુપ્રીમે તેનો સ્વીકાર પણ કરેલો, પણ પરિણામ અટકવામાં નહીં, પણ વધવામાં આવ્યું. કોઈ સાંસદનાં પગાર કે પેન્શનમાં વધારા સિવાય કોઈ ફેરફાર થયો નથી. થાય છે એવું કે બધું જ વધે છે તો ટેક્સ પણ વધે છે ને એનો બોજ સામાન્ય પ્રજા પર જ પડે છે. આ લાભ સાંસદો, ધારાસભ્યોથી માંડીને કોર્પોરેટરો સુધીના બધા જ લે છે. એમને પગાર, ભથ્થાં ઉપરાંત ઘણું મફતમાં જ મળે છે ને ઉપરથી તમામ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ મળે છે તે નફામાં. સિનિયર્સને રેલવે કન્સેશનમાંથી મુક્તિ અપાઈ, પણ તેમની ટેક્સની જવાબદારીઓ ઘટી નથી. જ્યારે સાંસદને કન્સેશન તો અપાય જ છે, ઉપરથી ટેક્સની જવાબદારીમાંથી મુક્તિ પણ અપાઈ છે. એમનો પોસ્ટનો, મોબાઈલનો, પ્રવાસનો ખર્ચ સામાન્ય પ્રજા પર છે. એની એક ટર્મ પૂરી થાય ને ફરી ન ચૂંટાય કે ચૂંટણી ના લડે તો તે પેન્શનને પાત્ર ઠરે છે. લોકોને ગેસની સબસિડી છોડવાની અપીલ થાય ને લોકો સ્વેચ્છાએ એ લાભ જતો કરે, પણ સાંસદને તેનાં ગામમાં મળતી ગેસની સબસિડી છોડવાની ઈચ્છા નથી જ થતી તે હકીકત છે.

કશુંક મેળવવાને મામલે બધાં જ રાજકારણીઓ એક થઈ જાય છે. મહિને ત્રણેક લાખનો પગાર ને ઉપરથી ભથ્થાં ને સગવડો મેળવનાર સાંસદોને પેટ્રોલ, લિટરનાં હજાર રૂપિયા થાય તો ય મોંઘું ન લાગે એમ બને. સાંસદ હોવું નોકરીનો ભાગ નથી, તે સેવાકીય પ્રવૃત્તિ છે ને છતાં તેનો પગાર લાખોમાં બને છે. એટલું ઓછું હોય તેમ તેનું પેન્શન બંધાય છે. એ પણ એક નહીં, ત્રણ ત્રણ. તે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તેની ટર્મ પૂરી થાય કે ત્રણ ત્રણ પેન્શન એક જ જણને નામે ચડે છે. હવે તો પેન્શન લગભગ બધેથી ગયું છે. ત્રીસ-પાંત્રીસ વર્ષની નોકરી પછી પણ પેન્શન ન હોય ને રાજકારણમાં પાંચ વર્ષે પેન્શન લાગુ થઈ જાય છે ને તે ય કેટલાક કિસ્સાઓમાં તો ત્રણત્રણ ! આ બરાબર છે? આટલા સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો આખા દેશમાં છે, પણ કોઈ માઈના લાલને એ સવાલ નથી થતો કે આ રીતે પેન્શન, ભથ્થાં લઈ શકાય તો પેલા સિનિયર્સને ટ્રેનમાં કન્સેશન કેમ ન આપી શકાય? રેલવે શું માત્ર સિનિયર્સને કારણે ખોટમાં જાય છે? એને માટે સાંસદો જવાબદાર નથી, શું? વર્ષનાં પાંચ લાખ કમાનારો ઇન્કમટેક્સ ભરતો હોય અને મહિને પાંચ લાખ પાડનારો સાંસદ રૂપિયો ય ટેક્સ ન ભરતો હોય એ બરાબર છે? કોર્ટ આ મામલે સરકારને પોતાનાં ધોરણો સ્પષ્ટ કરવાનો આગ્રહ કરે છે તો સરકાર રોકડું પરખાવે છે કે ગૃહની વાતો ગૃહ જ નક્કી કરશે, એમાં ન્યાયતંત્રે માથું મારવાની જરૂર નથી. સાચું તો એ છે કે મૂળ કાયદામાં પેન્શનની વાત જ ન હતી, પણ 2004માં પેન્શનનો લાભ ઉમેરવામાં આવ્યો. એક વાર સભ્યો ગૃહમાં ટર્મ પૂરી કરે કે જિંદગીભરનું પેન્શન પાકું. આ હકીકત છે. પછી કઇ રીતે સત્ય પર ભરોસો રહે? સત્યનો ડગલે ને પગલે ક્ષય થતો જતો હોય ને આંખ સામે જ થતો જતો હોય, તો અ’સત્યમેવ જયતે’ જ કહેવાનું બાકી રહે કે બીજું કૈં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,1051,1061,1071,108...1,1201,1301,140...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved