Opinion Magazine
Number of visits: 9458198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘બિયૉન્ડ ટાઈમ’ અને ‘દીવારોં કે બીચ’ના સર્જકો

સોનલ પરીખ|Opinion - Opinion|23 February 2023

જગજિત–નિદા બંને અત્યંત સર્જનાત્મક, અત્યંત ગહન પ્રતિભાઓ. જીવનનો વિરોધાભાસ, અસ્તિત્વના અર્થની શોધ, સંબંધોની જટિલતા, કચડાતું ને ફરી ઊભું થતું મનુષ્યત્વ ને ખોઈ નાખેલા સ્વની તલાશ એમના શબ્દોમાં અને સૂરોમાં આકાર લેતાં ગયાં અને સાર્થક બનતી ગઈ આ પંક્તિ – ‘આવારામિઝાજીને ફૈલા દિયા આંગન કો; આકાશ કી ચાદર હૈ, ધરતી કા બિછૌના હૈ’

કલાકારો વચ્ચે ક્યારેક ન ભુલાય એવો યુગાનુયોગ જોવા મળે છે. જેમ કે મારા બે પ્રિય સર્જકો ગુરુ દત્ત અને જગજિત સિંહની પુણ્યતિથિ એક જ દિવસે છે. રાજેશ ખન્ના અને એમની દીકરી ટ્વિંકલ ખન્નાના જન્મદિન એક જ દિવસે છે. રાજ કપૂરનો જન્મદિન અને શૈલેન્દ્રની પુણ્યતિથિ એક જ દિવસે છે. શોધીએ તો બીજા દાખલા મળે, પણ જગજિત સિંહ અને નિદા ફાજલી વચ્ચે યોગાનુયોગની જે પરંપરા છે તેવી તો ભાગ્યે જ ક્યાં ય જોવા મળે. 8 ફેબ્રુઆરીએ જગજિત સિંહનો જન્મદિન છે અને નિદા ફાઝલીની પુણ્યતિથિ એ નિમિત્તે આજનો લેખ એમને અર્પણ કરીએ. જન્મદિન-મૃત્યુદિનનો બીજા છેડાનો યોગાનુયોગ પણ હતો આ બંનેના જીવનમાં. 12 ઑક્ટોબરે નિદા ફાજલીનો જન્મદિન છે અને 10 ઑક્ટોબરે જગજિત સિંહની પુણ્યતિથિ છે.

જગજીત સિંહ અને નીદા ફાઝલી

જગજિત જન્મ્યા 1941માં, નિદા 1938માં. મૂળ પંજાબના અને રાજસ્થાનમાં જન્મેલા-ઉછરેલા જગજિત 1965માં પોતાના સ્વપ્નની તલાશમાં મુંબઈ આવ્યા. મૂળ કાશ્મીરી અને દિલ્હીમાં જન્મેલા-ઉછરેલા નિદા લગભગ એ જ ગાળામાં એટલે કે 1964માં પોતાનું સ્વપ્ન શોધવા મુંબઈ આવ્યા હતા.

જો કે મુલાકાત જલદી થઈ ન હતી. બંનેનો સંઘર્ષ પોતપોતાની રીતે ચાલુ હતો. જગજિતે જિંગલો ગાવા શરૂ કર્યા હતા, નિદાએ પત્રકારત્વ અપનાવ્યું હતું. જગજિત 1967માં ચિત્રાને મળ્યા, 1969માં બંને પરણ્યાં. ગઝલ ગાયકીને જગજિતે આપેલું સ્વરૂપ લોકોએ બહુ ઊમળકાથી વધાવી લીધું હતું. નિદા આ દરમ્યાન મુશાયરાઓ ગજવતા થઈ ગયા હતા. બેખૌફ કલમથી સાહિર લુધિયાનવી અને કૈફી આઝમી જેવા દિગ્ગજોને નારાજ કરી ચૂકેલા નિદાએ પહેલો કાવ્યસંગ્રહ 1969માં આપ્યો. જગજિત ગઝલને તેમ જ નિદા ઉર્દૂ શાયરીને નવું રૂપ આપી રહ્યા હતા. બંનેની શૈલીનું મુખ્ય તત્ત્વ હતું સાદગી અને ઊંડાણ. 

‘દુનિયા જિસે કહતે હૈ, જાદુ કા ખિલૌના હૈ 

મિલ જાયે તો મિટ્ટી હૈ, ખો જાયે તો સોના હૈ’

આ એમના મિલનના પ્રારંભકાળની ગઝલ. શબ્દના પ્રેમીઓ, સંગીતના શોખીનો, જિંદગીના આશિકો એ સાંભળીને ખુશ થઈ ગયા. એ સમયે ટી.વી. ન હતા, રેડિયો પર ક્યારે પ્રસારિત થશે ખબર ન હોય, પણ આવે એટલે હાથમાંના કામ પડતા મૂકી આંખ બંધ કરી રેડિયો પાસે બેસી જવાતું એ મારી જેમ ઘણાને યાદ હશે.

1994માં જગજિત-નિદાનું ‘ઈનસાઈટ’ આલ્બમ આવ્યું. ‘યે ઝિંદગી’, ‘ગરજ બરસ પ્યાસી ધરતી કો ફિર પાની દે મૌલા, ચિડિયોં કો પાની બચ્ચોં કો ગુડધાની દે મૌલા’, ‘બદલા ન અપને આપ કો’, ‘જીવન ક્યા હૈ’, ‘મુંહ કી બાત સુને હર કોઈ, દિલ કે દર્દ કો જાને કૌન’ – અસ્તિત્વ સાથે હંમેશ માટે જોડાઈ જાય તેવી રચનાઓ. જગજિત-નિદા બંને અત્યંત સર્જનાત્મક, અત્યંત ગહન પ્રતિભાઓ. જીવનનો વિરોધાભાસ, અસ્તિત્વના અર્થની શોધ, સંબંધોની જટિલતા, કચડાતું ને ફરી ઊભું થતું મનુષ્યત્વ, ખોઈ નાખેલા સ્વની તલાશ એમના શબ્દો અને સૂરોમાં ઊભરતાં : કેટલી સાર્થક બની ગઈ આ પંક્તિ – ‘આવારામિઝાજીને ફૈલા દિયા આંગન કો; આકાશ કી ચાદર હૈ, ધરતી કા બિછૌના હૈ’.

ઘણું નક્કર કામ કર્યું બંનેએ એક સાથે. ‘હરેક ઘર મેં દિયા ભી જલે અનાજ ભી હો / હરેક બાર હી કલ ક્યોં કભી તો આજ ભી હો’ જેવી સામાજિક નિસબત સાથે ‘સબ કુછ તો હૈ ક્યા ઢૂંઢતી રહતી હૈ નિગાહેં / ક્યા બાત હૈ મૈં વક્ત પે ઘર ક્યોં નહીં આતા’ જેવી અંગત શૂન્યતા, ‘આવાઝોં કે બાજારોં મેં ખામોશી પહચાને કૌન’ જેવી વ્યથા, ‘બને-બનાયે હૈં સાંચે જો ઢલ સકો તો ચલો’ જેવી નિર્મમતા, ‘હર તરફ હર જગહ બેશુમાર આદમી / ફિર ભી તનહાઈયોં કા શિકાર આદમી’ જેવું સચોટ વાસ્તવનિરુપણ, ‘હોશવાલોં કો ખબર ક્યા, બેખુદી ક્યા ચીજ હૈ’ જેવી મસ્તી કે ‘સબકુછ તો હૈ, ક્યા ઢૂંઢતી રહતી હૈ નિગાહેં’ જેવો માર્મિક સવાલ – જિંદગીનાં કેટલાં કેટલાં પરિમાણો બંનેએ એક સાથે જોયાં, જાણ્યાં, પ્રમાણ્યાં અને ભાવકોએ પણ એને કેવાં માણ્યાં!

સંગીત અને શાયરીનો જેમને થોડો અભ્યાસ છે તેઓ જાણે છે કે બંને પોતપોતાના પુરોગામીઓથી કેટલા જુદા પડતા હતા. નિદાનું શબ્દવિશ્વ અને ભાવવિશ્વ સૂરદાસ-તુલસીદાસ, મીર-ગાલિબ અને એલિયટ-ચેખોવથી પોષાયું હતું. એમનાં માતાપિતા ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે દસ જ વર્ષના નિદાએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું.

કોમવાદ અને કટ્ટરતાના વિરોધી નિદા અભિવ્યક્તિમાં નિર્ભિક હતા. એક મુશાયરામાં એમણે પંક્તિઓ કહી, ‘ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર ચલો યું કર લેં / કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે’ બહાર નીકળ્યા તો થોડા મુસ્લિમોએ એમને ઘેરી લીધા, ‘શું બકી ગયો તું? મસ્જિદ કરતાં બાળક ચડિયાતું, એમ?’ નિદા કહે, ‘એ મને ખબર નથી. હું તો એટલું જાણું છું કે મસ્જિદ ઈન્સાનોએ બનાવી છે જ્યારે બાળક ખુદ ખુદાનું સર્જન છે.’

એમણે 24 પુસ્તકો લખ્યાં, પદ્મશ્રી અને સાહિત્યનાં ઉચ્ચ સન્માનોથી પોંખાયા અને ઈન્ટેલેક્ચ્યુઅલ પોએટ તરીકે નામના પામ્યા. જગજિત માટે એમણે કહેલું, ‘ગઝલ જિંદગી જેવી હોય છે – અનહદ, અવ્યાખ્યેય. તેમાં પોતાનું અને જિંદગીનું દર્દ હોય છે. જગજિતે આ દર્દને પ્રેમ કર્યો છે. જગજિત ઝિંદગી કા એક અંદાઝ હૈ, મુહબ્બત કી આવાઝ હૈ’

જગજિત તરુણ હતા ત્યારથી નિદાની શાયરી તેમને ગમતી. ‘નકશા ઉઠા કે અબ કોઈ નયા શહર ઢૂંઢિયે / ઈસ શહર મેં તો સબસે મુલાકાત હો ગઈ’ નિદાની આ પંક્તિઓ જગજિતની ફેવરિટ હતી. જગજિતે ગઝલ ગાયકીને ઝડઝમક અને પરંપરિત શૈલીમાંથી બહાર કાઢી અને તેને સાદા શબ્દો-સાદા સંગીત વડે નવી ગહનતા આપી. પશ્ચિમનાં વાદ્યોનો ગઝલમાં સરસ ઉપયોગ કર્યો. પાંચ દાયકાની કારકિર્દીમાં અટલબિહારી વાજપેયીનાં કાવ્યોનાં બે આલ્બમ સહિત 80 આલ્બમ આપ્યાં. પદ્મભૂષણ સહિત અનેક સન્માનો મેળવ્યાં. 1857ના સંગ્રામની 150મી જયંતી પ્રસંગે બહાદુરશાહ ઝફરનું ‘લગતા નહીં હૈ દિલ મેરા ઉજડે દયાર મેં’ ગાઈ દિલ્હીના શ્રોતાઓને હલાવી નાખેલા.

જગજિતની ‘બિયૉન્ડ ટાઈમ’ જીવનકથા પ્રગટ થઈ એ જ ગાળામાં નિદાની આત્મકથનાત્મક નવલકથા ‘દીવારોં કે બીચ’ પ્રગટ થઈ હતી. બંનેએ પોતપોતાની રીતે પણ અને સંયુક્તપણે પણ લોકોનાં દિલ જીત્યાં. નિદાના સંવેદનશીલ અને જીવનની ફિલોસોફીથી તરબોળ શબ્દો; જગજિતના ગહન, ઘેરા અને પ્રભાવશાળી કંઠ દ્વારા મન અને આત્માની ઉચ્ચતા અને ઊંડાણ બંનેને પહોંચ્યા. નિદા વિનાના જગજિત ઘણા મોટા છે અને જગજિત વિનાના નિદા પણ ઘણા મોટા છે, પણ બંને મળે ત્યારે સર્જકતાનું બે કાંઠે છલકતું મહાપૂર આવે છે ને આપણને તાણી જાય છે.

એક લેખમાં તો આ બંનેની વાતનો સરખો પ્રારંભ પણ ન થાય. થોડી પંક્તિઓ ટાંકીને અટકું : ‘સદિયોં સદિયોં વહી તમાશા, રસ્તા રસ્તા લંબી ખોજ / લેકિન જબ હમ મિલ જાતે હૈં, ખો જાતા હૈ જાને કૌન // વો મેરી પરછાઈ હૈ યા મૈં ઉસકા આઈના હૂં / મેરે હી ઘર મેં રહતા હૈ મુજ જૈસા હી જાને કૌન’, ‘સુબહ સે શામ તક બોજ ઢોતા હુઆ / અપની હી લાશ કા ખુદ મઝાર આદમી // ઝિંદગી કા મુકદ્દર સફર દર સફર / આખરી સાંસ તક બેકરાર આદમી’, ‘અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈ / રુખ હવાઓં કા જિધર કા હૈ, ઉધર કે હમ હૈ // પહલે હર ચીજ થી અપની મગર યે લગતા હૈ / અપને હી ઘર મેં કિસી દૂસરે ઘર કે હમ હૈ’, ‘દો ઔર દો કા જોડ હમેશા ચાર કહાં હોતા હૈ / સોચ-સમજવાલોં કો થોડી નાદાની દે મૌલા’

અને ‘મૈં રોયા પરદેસ મેં ભીગા માં કા પ્યાર / દિલ ને દિલ કી બાત સમજ લી બિન ચિઠ્ઠી બિન તાર’ … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ફેબ્રુઆરી 2023

Loading

જરૂર આવજો હોં ને !

જીવનસિંહ ઠાકુર|Opinion - Opinion|22 February 2023

ખબર નથી કેમ આ વિશ્વાસ તૂટ્યો કે તૂટી ગયો. કેટલો ભરોસો હતો ! સંપૂર્ણ જવાબદારીથી આ દાયિત્વ નિભાવવામાં આવતું હતું. પરંતુ દરેક વાસણમાંનું પાણી જેમનું તેમ ભરેલું રહે છે; પક્ષીઓ આવે, દૂરથી જુએ, તેમાંનું કોઈક વળી આ વાસણો પાસે પણ આવે પરંતુ કોઈ પણ આ પાણીમાં પોતાની ચાંચ નથી ડુબાડતું. વાસણોમાંનું પાણી અમે રોજ બદલી નાંખતા, તેની આસપાસ થોડા દાણા, ચણ, રોટલીના નાના ટુકડા પણ નાંખતા, પરંતુ પાણીની જેમ એ પણ વણસ્પર્શ્યા જ પડી રહેતા. હા, કીડીઓ એ બધા ટુકડાઓની આસપાસ ભેગી થઈ જાય છે ખરી ….

પક્ષીઓની આ ઉદાસીનતા ખૂબ જ ચિંતાજનક અને દુ:ખદ બની રહી છે. આખો દિવસ, આખી રાત એ વિચારમાં વીતી જાય છે કે આ શકોરાઓમાં ભરેલું પાણી પક્ષીઓ પીતાં કેમ નથી ? દાણા ચણતાં કેમ નથી? શું તેમને તરસ નથી લાગતી કે તેમને હવે પાણીની જરૂર જ નથી રહી? પરંતુ એવું તો કંઈ હોઈ શકે કે આ પરિંદાઓને પાણીની જરૂર ન રહે? તેમને તો પાણીની જરૂર વધુમાં વધુ હોય છે. જીવ-વિજ્ઞાનમાં વાંચ્યું હતું કે પક્ષીઓનું શરીર ગરમ લોહી વાળું હોય છે. તેથી તેમને દરેક ઊડાન પછી પાણીની જરૂર રહે છે. પાણી વગર તેમનું જીવન શક્ય જ નથી.

આસપાસ તપાસ કરી કે ક્યાંક કોઈએ દાણા-પાણીની વ્યવસ્થા તો નથી કરી ને, જ્યાં પક્ષીઓ દાણા ચણવા જતાં હોય અને પાણી પીતાં હોય ? પરંતુ ના, ક્યાં ય કોઈએ શકોરાં કે બીજાં કોઈ વાસણોમાં ન તો પાણી મૂક્યું છે, ન કોઈ તેમને દાણા નાંખે છે, તો ? થયું છે શું ?

કેટલો બેચેન છું હું ! તેમની ભાષા, તેમની જરૂરિયાત, એમના કિલકિલાટમાંથી વ્યક્ત થતો એમનો આનંદ, એમની ચીસો, એમના આર્તનાદ – આ બધાને હું કેવી રીતે સમજું ? વિશ્વવિદ્યાલયોની ડિગ્રી, જ્ઞાન-વિજ્ઞાન એ બધું જ આ પક્ષીઓની સામે કેટલાં વામણાં છે ! આ પક્ષીઓ આપણે વિશે શું વિચારતાં હશે તે જાણવા માંગું છું. પરંતુ કેવી રીતે ?

ક્યાંક એવું તો નથી ને કે આપણે જે રીતે તેમની દુનિયાને ઉજાડી દીધી છે, તેમના માળા, તેમનાં વૃક્ષો, તેમનાં જળાશયો, તેમની હરિયાળી બધું ખતમ કરી દીધું. આખા આકાશમાં ધુમાડો અને ઝેર ભરી દીધાં, પર્યાવરણને જ્વાળામુખી બનાવી દીધું. નદી-નહેર, કૂવા, વાવમાં પણ ઝેર વહાવડાવ્યું છે, તેનાથી નારાજ પરિંદાઓનો આ સત્યાગ્રહ છે ? વાદળોમાંથી આવનારાં પાણીનાં નિર્દોષ ટીપાં, માનવે પ્રદૂષિત કરેલી હવામાંથી પસાર થઈને આવતાં ઝેર વરસાવે છે, તેનો ગુસ્સો તો આ પક્ષીઓ નથી કાઢી રહ્યાં ને ? આ પક્ષીઓનો ‘સવિનય આજ્ઞાભંગ આંદોલન’ તો નથી ને ? હું બેહદ ચિંતિત છું. કહેવા માંગું છું, બૂમ પાડીને કહેવા માંગું છું કે હે પક્ષીઓ તમે જરૂર આવજો ! શકોરાં(વાસણો)માં ભરેલું પાણી તમારું છે, દાણે દાણે તમારું નામ લખાયેલું છે. તમને મારા ઘરના છજ્જાઓ પર, આંગણામાં જોવા માંગું છું. રોજ રોજ હું પાણીનાં શકોરાં ભરું છું, દાણા નાંખું છું, તમારી વાટ જોઉં છું. હું પોતાની જિંદગીના વિશ્વાસને વારંવાર, રોજ જીવવા માંગું છું.

પરંતુ હું ન બોલી શકું છું, ન બૂમ પાડી શકું છું. હું જાણું છું કે હવામાં ઝેર ઘોળાયેલું છે; ટી.વી., મોબાઈલના તરંગોનું દુષચક્ર બિછાવાયેલું છે. પાણીમાં એટલી જાતનાં પ્રદૂષકો છે જેને કારણે પાણી પીવાલાયક રહ્યું નથી. જે દાણા તમને નાંખું છું તે પણ જાણે રસાયણોથી ભરેલા વિકૃત ખજાના છે ! કેવી રીતે કહું કે તમે જરૂર આવજો ? હે પક્ષીઓ તમે હમણાં નહીં આવતાં !! આ દુનિયાને તમારે લાયક બનાવું પછી તમે આવજો !!

પરંતુ હું કેટલો ભોળો, કેટલો મૂરખ છું, જે એક અસંભવ-શું આશ્વાસન આપી રહ્યો છું. ના, મારો આત્મા કહે છે કે પક્ષીઓ, હવે આશ્વાસનો પર ભરોસો નહીં કરતાં … હું એક માનવી છું. બીજું કંઈ ન કરી શકું તો એક વધુ સારી દુનિયામાં તમારા હોવાનું સપનું તો જોઈ શકું ને. તેથી ધડકતા સ્વરે ભલે પરંતુ મારા કલેજામાં જેટલું જોર છે તે બધું લગાવીને તમને પોકાર કરું છું :

હે ચકલી … હે ચકલીઓ …. હે પક્ષીઓ …. તમે જરૂર આવજો. આવીને ઘર-ઘરના દરેક ખૂણાને તમારા ગુંજનથી ભરી દેજો. આખું વિશ્વ તમારા કિલકિલાટથી ભરાઈ જાય અને મારાં, તેમનાં, આપનાં સહુનાં બાળકોની કિલકારીઓ તેમાં ભળી જાય તેવી આશા રાખું છું. હા, જરૂર આવજો કારણ કે આ બધો મેલ, આ સમગ્ર વિશ્વ, મન-વચનમાં ભરાયેલો અંધકાર તમે જ, માત્ર તમારો કિલકિલાટ જ તેને દૂર કરી શકશે !

હે પક્ષીઓ, હે ચકલીઓ તમે જ્યાં પણ હો ત્યાંથી વળીને પાછાં જરૂર આવજો !

(‘ગાંધીમાર્ગ’માંથી સાભાર અનુવાદિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 11

Loading

ગાંધીજીની ત્રીજી ભૂમિકા

દાદા ધર્માધિકારી|Gandhiana|22 February 2023

પરલોકવાદીઓને આપણું કહેવું એ છે કે આ પૃથ્વીથી બહાર ક્યાં ય અવકાશમાં આપણે કોઈ સ્વર્ગની ખોજ કરવી નથી. આ સમગ્ર પૃથ્વીને જ કાશી બનાવવી છે. મનુષ્ય કેવળ ચૈતન્ય નથી, તે શરીર પણ છે. તેહવામાં રહેતો નથી. બીજી ભૂમિકાવાળા જેઓ અર્થને પ્રાધાન્ય આપનારા સામ્યવાદીઓ છે તેને આપણે કહેવું છે કે કેવળઆ ર્થિક સમાનતા પ્રસ્થાપિત કરીને જ આપણે સમાધાન મેળવવાનું નથી. આપણે એક ડગલું આગળ ભરવું છે. મનુષ્ય કેવળ પાર્થિવ નથી, કેવળ માટીનું પૂતળું નથી. સાર્વત્રિક સંપન્નતા ન હોય તો આર્થિક સમાનતા ટકશે નહીં. સંભવ તો એ છે કે ફરીથી વિષમતાનાં બીજ અંકુરિત થવા લાગે. કેવળ સંપન્નતા પણ વિશુદ્ધ કલ્યાણકારી આંતરરાષ્ટ્રીયતાના વિકાસ માટે પર્યાપ્ત નથી. તે માટે દ્રવ્ય નિષ્ઠાથી વધુ તો માનવ નિષ્ઠાની જરૂર પડશે. આ માનવ નિષ્ઠા જ સામ્યયોગ છે. ગાંધીજી જ્યારે કહે છે કે ધાર્મિક, આર્થિક અથવા પ્રાદેશિક – આ બધા ભેદ કૃત્રિમ છે. માનવ માત્ર એક છે ત્યારે ગાંધીજીની આ ત્રીજી ભૂમિકા છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 08

Loading

...102030...1,0931,0941,0951,096...1,1001,1101,120...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved