Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ …

કેતન રુપેરા|Diaspora - Features|26 June 2023

સંપાદકીય

‘ચાલીસીએ ઓચ્છવ’ : પ્રકાશન – ‘હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ : પ્રકાશન-પ્રબંધ – એનહાન્સરઑન્‌લી, અમદાવાદ : સંપાદન – કેતન રુપેરા : પ્રથમ આવૃત્તિ – ઍપ્રિલ 2023 : કિંમત – રૂ. 200 • £ 5 : મુખ્ય વિક્રેતા – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ – 380 009

••••

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી

ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”…

                               — કવિ અરદેશર ફરામજી ખબરદાર

તળ ગુજરાતથી લઈને ગુજરાત બહાર અને દેશ-વિદેશ તથા યુનાઈટેડ કિંગ્ડમમાં ‌વસતાં સૌ ગુજરાતી ભાઈઓ-બહેનો …,

દિલ ગુજરાતી ગુજરાતી કરી દેતી, કવિ અરદેશર ફરામજી ખબરદારની આ કવિતાને યાદ કરીને કહેવાનું મન થાય કે ભાગ્યે જ કોઈ એ મુદ્દે અજાણ હશે અથવા અસહમત થશે કે સાહિત્ય હંમેશાં તેના ભૌગોલિક, સામાજિક, મનોવૈજ્ઞાનિકથી લઈને સાંસ્કૃતિક ને કંઈ કેટલાંય પરિવેશો ને પરિબળોની પયદાઈશ હોય છે. જે દેશ-પ્રદેશમાં જે ભાષા સૌથી વધુ લખાતી-બોલાતી-વંચાતી હોય એ પ્રદેશમાં રહીને એ ભાષા સિવાયની અન્ય કોઈ ભાષામાં સર્જન કરવું એ જે તે પ્રદેશની પોતાની ભાષામાં લખવા કરતાં વધુ પડકારભર્યું હોય છે. પછી એ વારસાની કહેવાતી ભાષા કેમ ન હોય, પણ કેમ કે હવે એ ભાષા અને પ્રદેશ સાથે પોતીકાપણાની લાગણી અનુભવવાનાં ગણ્યાંગાંઠ્યાં જ માધ્યમો રહ્યાં હોઈ અને એ માધ્યમો થકી જ પોતાનું એક અલગ વિશ્વ પણ આકાર પામતું હોઈ તે વિશ્વ જ કોઈ પણ સર્જકની ભાષાભિવ્યક્તિ કે સાહિત્ય-સર્જનનો આધાર બની રહેતું હોય છે.

વારસાની એ ભાષા અને વારસાના એ પ્રદેશ સાથે સર્જકનો નાતો ચોક્કસપણે જળવાયેલો રહે છે, પણ એ તળ કે મૂળ પ્રદેશ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવૃત્તિથી આવર્તન પૂરાં પાડે કે જે તીવ્રતાથી ધક્કો મારે તેની માત્રા કે તીવ્રતા, જ્યાં વસવામાં આવ્યું છે એ પ્રદેશમાં એટલાં હર્ટ્‌ઝ કે એટલા ડેસિબલમાં થોડી વર્તાવાની. તો બીજી પાસ, પોતે જ્યાં રહે છે, શ્વસે છે, જીવે છે એ પ્રદેશ ખુદ પણ પોતાની રોજબરોજની ઘટમાળ થકી જે આવર્તનો પૂરાં પાડે છે ને જે ધક્કા મારે છે, એની અસર પણ કંઈ ઓછી પ્રભાવી હોય છે?! …

… આવા બે અલગ અલગ પ્રદેશોનાં આવર્તનો ને ધક્કા વચ્ચે અલ્ટર-ટેબ (Alt-Tab) કરતાં કરતાં, બંનેના સામાજિક-સાંસ્કૃતિક પરિવેશને એકસાથે ઝીલતાં ઝીલતાં વારસાની ભાષા, વારસાની સંસ્કૃતિ “કેટલી જળવાય, કેટલી ટકે?” ભક્ત કવિ નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને અખો, ભાલણ કે શામળથી કંઈક વિશેષપણે વિકસતી આવતી ગુજરાતી ભાષા વિકાસના ક્રમમાં ગુજલિશથી આગળ વધીને ઇંગરાતી (કે ઇંગ્રાતી?) એ પહોંચી રહી છે ત્યારે એમેય પૂછવાનું મન થાય કે “ક્યાં સુધી ટકે?!” સ્વાભાવિક જ, આ પ્રશ્ન ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે, એ બધા જ પ્રદેશો માટે છે.

ખરેખર તો ભાષા, પોતાના કોઈ કારણસર ટકવા-ન ટકવા કરતાં વધારે તેનો ઉપયોગ કરનાર-પ્રયોજનાર સમાજના ટકવા-ન ટકવા પર જ વધુ આધાર રાખે છે ને? ગુજરાત બહાર વસતા ગુજરાતી સમાજ માટે વાત કરીએ તો વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યને સમજવા બહુમૂલ્ય એવા ‘એક ગુજરાતી, દેશ અનેક’ (૨૦૨૧) પુસ્તકમાં ‘ડાયસ્પોરા સમાજની વર્તમાન સફળતા અને ભાવિ મર્યાદા’ એવા શીર્ષક તળે પ્રકાશિત લેખમાં અમેરિકન સમાજશાસ્ત્રીઓ અને પ્રો. ભીખુભાઈ પારેખને ટાંકીને લેખક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી કહે છે એ વાતમાંથી કંઈક અંશે એનો જવાબ મળી રહે છે : “અમેરિકા સ્થળાંતરવાસીઓ, નિર્વાસિતોનો બસોત્રણસો વર્ષ જૂનો દેશ છે અને અમેરિકન સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વિવિધ ડાયસ્પોરાના લોકોની શક્તિમાં ક્ષીણતા આવવા લાગે છે. તેમની સફળતાઓમાં, સિદ્ધિઓમાં ઓટ આવવા લાગે છે અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.

“બ્રિટનના વિદ્વાન સમીક્ષક ભીખુ પારેખ આ તારણ સાથે સહમત થતા હોય તેમ, સને ૨૦૦૦ના વર્ષની બિડલા પ્રવચન શ્રેણીમાં કહ્યું હતું એ સંભારવા જેવું છે : ડાયસ્પોરિક સમાજના ભારતીય લોકોની ત્રીજી પેઢીના ફક્ત નવ ટકા પોતાની ભાષામાં વાત કરી શકે છે અને ‘પોતાના દેશ’ની મુલાકાતો ઘણી જ ઓછી થવા માંડી છે. પહેલી પેઢીના માણસો વર્ષમાં એક-બે વખત જઈ આવતા; ત્રીજી પેઢીના લોકો દસ વર્ષમાં એકાદ મુલાકાત ભાગ્યે જ લેતા હોય છે. સાંસ્કૃતિક સંબંધો સૂકાતા જાય છે અને ૨૦-૨૫ વર્ષોના ગાળામાં સાંસ્કૃતિક-સામાજિક સંબંધોમાં કટોકટીની અવસ્થા આવવાનો સંભવ રહે.” સમગ્રપણે અને કોઈ પણ ડાયસ્પોરા સમાજ માટે કહેવાયેલી આ વાત જેટલી અમેરિકામાં વસતા કોઈ પણ ભાષી-સમાજને એટલી જ વિવિધ ભારતીય-ભાષી સમાજને ય લાગુ પડે છે અને તેથી એટલી જ ગુજરાતી સમાજને પણ–આ હાડોહાડ વાસ્તવિકતા વચ્ચે વારસાની ગુજરાતી ભાષાનું, અને વારસાની ગુજરાતી ભાષામાં સર્જાતા સાહિત્યનું એના મૂળ પ્રદેશ-ગુજરાત અને ગુજરાતીમાં થતાં સર્જન વચ્ચે અંતરનું ઉત્તરોત્તર જે છેટું પડે એ તો પડવાનું જ ને …

… ઉત્ક્રાંતિના આ ક્રમને કંઈ થોડો ઉલટાવી કે અટકાવી શકીશું? અને આખરે તે નહીં અટકાવી શકવાની કે બીજી કોઈ પણ ‘ચિંતા સે ચતુરાઈ ઘટે … કહ ગયે દાસ કબીર.’ એટલે ઉત્તરોત્તર વધતાં જતાં આ અંતર મામલે એટલા સ્પષ્ટ થઈ જવું રહેશે કે એ કોઈ ધનથી ઋણ તરફની દિશામાં જતું અંતર નથી. એ તો પોતીકી ઓળખ અને પોતીકી લાક્ષણિકતા દર્શાવતાં દર્શાવતાં ગતિ કરતો કોઈ આંક છે જે ધન-ઋણથી પર છે. એટલે પહેલાં તો તળ પ્રદેશના સાહિત્ય સર્જન અને દૂર દેશાવરમાં થતાં સાહિત્ય સર્જનની એકમેક સમક્ષ કોઈ સરખામણી નથી. અને એ પછી, એ છતાં જો તળ પ્રદેશના સાહિત્ય સર્જન સમક્ષ આ સાહિત્ય કેટલીક મર્યાદા ધરાવે છે, એમ માનવા-કહેવામાં આવે છે, તો સાથે કેટલીક વિશેષતા ને વિશિષ્ટતા લઈને આવે છે, એમ માનવા-કહેવામાં ય હરકત નથી જ. ખરેખર તો, દૂર દેશાવરમાં રહીને વારસાની ભાષામાં થયેલું સર્જન એક અલગ અનુભૂતિમાંથી થયેલું સર્જન હોય છે. દરિયાપાર સર્જાતું ગુજરાતી સાહિત્ય એક અલગ માટી અને એ પર વસતા માણસ અને એનાં મનોભાવોની મહેક લઈને આવે છે. અરે, મૂળ ગુજરાતી પ્રકૃતિથી માંડીને નરી ડાયસ્પોરિક લાક્ષણિકતાનો લાંબો પટ લઈને આવે છે. બે બે ભાષા-સંસ્કૃતિના સમાંતરે નિરમાતા સંગાથ અને સંઘર્ષથી પરિણમતી આ ઓળખની ક્યાંક કોઈ સરખામણી હોય?

માટે જ જ્યારે કોઈ દેશ કે પ્રદેશ, અને આ કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમમાં સર્જાયેલા ગુજરાતી સાહિત્યની ચર્ચા થાય, એનાં લેખાંજોખાં થાય ત્યારે તેના માપદંડ તળ ગુજરાતમાં થયેલાં સર્જનના માપદંડથી સ્વાભાવિક જ અલગ હોય, આગવા હોય … ને ‌તો પછી, આ સર્જનાત્મક કૃતિઓનાં શિખર અને ધોધનાં ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા પણ ગિરીમાળા હિમાલય-ગિરનાર કે સરિતા ગંગા-નર્મદાના પ્રવાહ રૂપે કેમ હોય; માઉન્ટેઇન બેન નેવિસ-સ્કાફેલ પાઈક (Ben Nevis-Scafell Pike) કે રિવર સેવન-થેમ્સ (Severn-Thames) જ ન હોય! હા, હિમાલય કે ગિરનાર આ સ્વરૂપના સાહિત્ય માટે આદર્શ જરૂર હોય, પહોંચાય તો પહોંચી ય જવાય … ને તો પછી, આનંદનો અવસર યોજી પોંખી ય લેવાય. પણ તળ ગુજરાત ભૂમિ કે એનું સાહિત્યજગત એવી અપેક્ષા રાખે અથવા એ પાર ન પડે તો એનો ધોધ, પ્રવાહ કે શિખરને ઊણાં કે ઊતરતાં ગણે ત્યારે સહજપણે જ “એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી?…” (ઉમાશંકર જોશી) ગાવાનું મન થાય…

… તો, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ, જ્યારે બ્રિટનમાં ચાર દાયકામાં સર્જાયેલાં ગુજરાતી સાહિત્યનાં તમામ સ્વરૂપોનાં લેખાંજોખાં માંડે છે, પોતે છેલ્લા ચાર દાયકા દરમિયાન ગુજરાતી ભાષા-શિક્ષણ ક્ષેત્રે કરેલાં કામનું સરવૈયું પણ માંડે છે ત્યારે એ કાર્ય અવસર બની રહે ‌છે. અકાદમીની સ્થાપનાની ચાળીસીએ (૧૯૭૭•૨૦૧૭) યોજાયેલો આ એક દિવસીય પરિસંવાદ એક ઓચ્છવ બની રહે છે.

તારીખ સોળ ઑગસ્ટ, બે હજાર અઢાર ને રવિવારના રોજ યોજાયેલા આ પરિસંવાદમાં સાહિત્યનાં સઘળાં સ્વરૂપોનાં લેખાંજોખાં થયાં. અકાદમીની ખુદની વર્ષ ૧૯૮૧થી ચાલેલી ભાષા-શિક્ષણ પ્રવૃત્તિઓની પણ સમીક્ષા થઈ. સર્જનનાં જે ક્ષેત્રમાં જેમનું મુખ્ય પ્રદાન અને સ્વાભાવિક રસ-રુચિ હતાં, અકાદમી દ્વારા તેઓની એ સાહિત્ય સ્વરૂપના વિષય માટે વક્તા તરીકે પસંદગી કરાઈ. વક્તવ્ય દરમિયાન સંબંધિત સાહિત્ય કૃતિના આસ્વાદ માણવાની લોકભોગ્ય ઇચ્છા જતી કરીને મુદ્દાસર રજૂઆત જ થાય એ માટે સમયમર્યાદા પણ અંકાઈ. ન ઓછી, ન વધુ, એવી વીસ મિનિટ્‌સ રખાઈ. મોટા ભાગનાં વક્તાઓએ તે સાહિત્ય-સ્વરૂપ–અનુક્રમે કવિતા, નવલકથા, સુગમસંગીત, આત્મકથા-જીવનકથા, સાહિત્ય સંસ્થાઓ અને તેની પ્રવૃત્તિઓ, નવલિકા, નિબંધ, ભાષા-શિક્ષણ, નાટક, પત્રકારત્વ–ના પ્રારંભથી માંડીને, સફરની સાથે સંઘર્ષ, ઉપલબ્ધિની સાથે પડકાર અને વિશેષતાની સાથે મર્યાદા પણ વર્ણવી. તળ ગુજરાતના સાહિત્યના પ્રભાવથી માંડીને નખશિખ ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય એનાં ઉલ્લેખ-વિગતની રજૂઆત થઈ. સભાસંચાલકોએ પણ પોતાની ભૂમિકા અદ્દલ નિભાવી (કાર્યક્રમની રૂપરેખા, પાના નં. ૨૦). અકાદમી તથા અકાદમી સાથે સંકળાયેલા સૌને હૈયે હરખ હોય એમ, કાર્યક્રમમાં બે મહત્ત્વપૂર્ણ સત્કાર પણ થયા. અદમ ટંકારવીને અધ્યેતા પદ એનાયત તથા પ્રમુખ વિપુલ કલ્યાણીને મળેલા ઉમાશંકર જોશી વિશ્વ-ગૂર્જરી પારિતોષિક (૨૦૧૮) બદલ સન્માન … અને હા, મોડી સાંજે કાવ્યપઠન ને મુશાયરારૂપી અલગથી જલસો.

અકાદમીએ આ સમગ્ર આયોજનનું દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપ અંકે કરી સાચવ્યું, અકાદમીની વેબસાઈટ glauk.org પર પણ ચઢાવ્યું એના ફલસ્વરૂપ–પ્રચલિત અર્થમાં સંપાદન થોડું, પણ વ્યાપક અર્થમાં સંકલન-દસ્તાવેજીકરણ ઝાઝું–એવું માણેક ઝગારા મારતું આ પુસ્તક આપના હાથમાં.

હવે આ પુસ્તકના સંપાદકીય અંગે થોડી વાત. યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને એના વતી પ્રમુખ વિપુલ કલ્યાણીએ આ પુસ્તકની કાર્ય-જવાબદારી સોંપી ત્યારે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં પાંચેક પુસ્તકોમાં સંપાદનથી લઈને પુસ્તક-નિર્માણ સુધીની કામગીરી નિભાવી લીધી હતી, એટલે જ્યાં સુધી આ પુસ્તક માટે વિચારસ્પષ્ટતાથી લઈને સંકલ્પના અને નિર્માણ સુધીની વાત છે, સંપાદક તરીકે એ વિશે તો કોઈ ક્ષોભ-સંકોચ ન હતાં. પણ છેલ્લાં ચાર-પાંચ વરસમાં કરેલા આ સંપાદનકાર્ય દરમિયાન ડાયસ્પોરિક સમાજ કે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનાં અભ્યાસીઓ અને એ સંબંધિત અન્ય લેખકો-સાહિત્યકારોને વાંચવાનાં થતાં રહ્યાં હતાં એનાથી બંધાયેલા વિચારપિંડે જ એક ઠહરાવ આપ્યો. મનોમન જ એક પ્રશ્ન થયો.

કોઈ સંસ્થાની પ્રવૃત્તિઓનાં લેખાંજોખાંના દસ્તાવેજીકરણની સંપાદકીય ભૂમિકા બાંધવા માટે પણ કોઈ લઘુત્તમ લાયકાત હોય કે નહીં? ચાર દાયકાની વણથંભી સફર માટે ચાર-પાંચ વરસની સક્રિયતા પર્યાપ્ત કહેવાય? લઘુતમ માક્‌ર્સે પાસ થઈ જવાય એવો જવાબ એમ મળ્યો કે ચાર દાયકાનાં લેખાંજોખાંના સુપાત્ર સંપાદક હોવા માટે ઓછામાં ઓછા એક દાયકાનો, અને ન માત્ર સાહિત્યિક, પણ ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભ-પરિવેશ હોવો પણ જરૂરી છે. જ્યારે ડાયસ્પોરાનો પાયાનો સંદર્ભ જ એની ભૂગોળ સાથે જોડાયેલો છે, ત્યારે તળ ગુજરાત બેઠાં કરેલાં વાચન-સંશોધન-સંપાદન માત્ર, આ અંતર કાપી શકે?

હા, છેલ્લાં ચાર-પાંચ વરસ દરમિયાન ‘યુગાન્ડા મહીં એશિયન નર-નાર’ (૨૦૧૯, વનુ જીવરાજ), ‘સૌગાત–પાંચ ભાષાનાં કાવ્યો’ (૨૦૧૯, દીપક બારડોલીકર), ‘ઘડતર અને ચણતર’ (૨૦૨૦, ઘનશ્યામભાઈ ન. પટેલ), ‘એક ગુજરાતી, દેશ અનેક’ (૨૦૨૧, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી) અને ‌‘અમે તો પંખી પારાવારનાં’ (૨૦૨૨, ડૉ. દાઉદભાઈ ઘાંચી) … પુસ્તકોમાં પૂરક-લેખનથી માંડીને સંશોધન-સંપાદન અને પુસ્તક-નિર્માણ સુધીની કક્ષાએ સંકળાવાનું થયું. પાંચેય પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે ત્યારે આ દરેક પુસ્તકનાં વિષયવસ્તુ જોતાં એક તબક્કે પ્રશ્ન થાય કે આમાંના એક પણ પુસ્તકનો પ્રકાશન ક્રમ જે રહ્યો એનાથી એક પણ આગળપાછળ હોત તો એ પુસ્તકો હાલનાં સ્વરૂપની પૂર્ણતા પામ્યાં ‌‌‌‌‌હોત, અને તો પછી અકાદમીની ‘ચાળીસીએ ઓચ્છવ’ (૨૦૨૩) જેવાં સન્માનજનક સંપાદનની સોંપેલી જવાબદારી માટે યોગ્ય પૂર્વતૈયારી ગણાઈ હોત?!

આ ઉપક્રમને અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીની ક્રમ-અનુક્રમ દૂરંદેશીતા ગણવી કે કુદરત-સહજ ઘટનાક્રમ એ કળવું મુશ્કેલ છે. પણ સંપાદકની આ અવઢવ દરમિયાનના સંવાદને વાચા આપતા આ પુસ્તકમાં પરામર્શક પણ કહેવાય જ એવા પ્રમુખશ્રીએ ખુદ પ્રસ્તાવના લખી આપીને જે પાયો ચણી આપ્યો એના આધાર પર જ સંપાદકીય અને એ પછીનાં વક્તવ્યો શોભશે, એ બદલ સ્નેહાદરપૂર્વક એમનો આભાર. ‘ચાળીસીએ ‌‌‌‌‌ઓચ્છવ’ના આ પ્રકાશન નિમિત્તે, આગળનાં ય દરેક પુસ્તક માટે વિશ્વાસ મૂકવા બદલ અકાદમી અને તેનાં સૌ હોદ્દેદારોનો આભાર માનવાની તક ચુકાવી ન જોઈએ. સૌનો આભાર …

… અને ગૂર્જરભૂમિ પર બેઠાં બેઠાં તો ગુજરાતી પાઘડીનો વળ છેડે વાળતાં કે સાત હજાર કિલોમીટર છેટે રહીને પણ બે ઘડી યુનાઇટેડ કિંગ્ડમની ટ્રેડિશનલ પોપ્યુલર ‘ફ્લેટ કૅપ’ પહેરતાં, કહેવાનું મન થાય કે કોઈ પણ સંસ્થા કોઈ પણ ભાષામાં પોતે જે દેશ-પ્રદેશની ભાષા-સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, એ દેશ-પ્રદેશમાં એનાં સૌ સભ્યો સાથે મળીને અત્યાર સુધી થયેલા સાહિત્ય સર્જનની તટસ્થતાભરી સમીક્ષા કરે, એનું દૃશ્ય-શ્રાવ્ય રૂપ પોતાના મંચ પર સૌને માટે સુલભ કરે, પછી એનું સંપાદન-દસ્તાવેજીકરણ પણ કરાવે ને એ પ્રક્રિયા વળી માંહોમાંહે પૂર્ણ ન કરતાં જાણતાં-અજાણતાં કંઈક ‘તૃતીય પક્ષ નિરીક્ષણ’ બની રહે તો એની ય તૈયારી દાખવે એ કાબિલેતારીફ કાર્યક્રમ બની રહે છે. એમાં જ ગુજરાતી ભાષા અને ગુજરાતીતાની ઓળખ છે.

અકાદમીની જ વેબસાઇટ પર ઉઘડતે પાને લટાર મારતાં ગુજરાતનાં જ્યોતિર્ધરોનાં સચિત્ર અવતરણમાંથી એક : “ગુજરાત આજે જીવંત વ્યક્તિ છે કારણ કે આપણા આચાર ને વિચારો ગુજરાતીતાની ભાવનાથી પ્રેરાયા આવે છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ભાવનાના ર્નિણયાત્મક પ્રાબલ્યથી પ્રેરાઈને તેઓ બુદ્ધિપૂર્વક ભેગા મળે છે અને આમ ભવિષ્યનું સંકલ્પજન્ય ગુજરાત જન્મે છે.” ગુજરાતની અસ્મિતાના પ્રયોજક કનૈયાલાલ મુનશીનો આ વિચાર અકાદમીના પ્રસ્તુત ઉપક્રમમાં આ પુસ્તક થકી સાર્થક થાય છે. અકાદમીનો ધ્યેય મંત્ર “ગુજરાતી સાંભળીએ • ગુજરાતી બોલીએ • ગુજરાતી વાંચીએ • ગુજરાતી લખીએ • ગુજરાતી જીવીએ.” ચેતના સ્વરૂપે પ્રસરી રહે છે; અને પછી પ્રકાશક અને સંપાદક વચ્ચેની સ્થળ-કાળની મર્યાદા, મર્યાદા ન બની રહેતાં સમભાવ-મિત્રભાવમાં સમાઈ જાય છે.

આશા છે, વાચકો માટે પણ આ પુસ્તક બે બે ભાષા-સંસ્કૃતિનાં સમાંતરે નિરમાતા સંગાથ અને સંઘર્ષથી પરિણમતા સાહિત્યની આગવી ઓળખ સાથેનું એક ઉપયોગી વાચન બની રહેશે, ગુજરાતીતા પંથે ચાલવા-વિહરવામાં એક સુંદર મુકામ બની રહેશે.

સંપાદક

કેતન રુપેરા

Email : KetanRupera@gmail.com

Loading

એક વિહંગાવલોકન :

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar, Diaspora - Features|26 June 2023

ગુજરાતી સાહિત્ય અકાદમીના અસ્તિત્વને 46 સાલ થયા; ખરેખર ! … કોણ માનશે ? અકાદમીની ચાળીસી ટાંકણે, એક લેખ કરેલો. તેમાંથી લીધા આ ફકરાઓથી જ આદર કરીએ :

આ ચાર દાયકાના પટનો વિસ્તાર જેમ જેમ સ્મરણપટે ફિલ્માયા કરે છે, તેમ તેમ કેટકેટલાં સ્મરણો ને અવસરોનો ગંજ ખડકાતો અનુભવાય છે.

ગુજરાતી જબાનમાં આ દેશે લખનારાં કેટકેટલાં નામો સાંભરી આવે છે. કવિતાઓ કરતાં કવિમિત્રો, વાર્તા લખતાં વાર્તાકારોનું એક જૂથ હતું. માસિકી બેઠકોનો એ સિલસિલો હતો. આદાનપ્રદાન તેમ જ ભોજનવાળી મિજલસ બેસતી, જામતી. ‘ગુજરાતી પ્રકાશન લિમિટેડ’ની કેડીએ, ‘ગુજરાતી સાહિત્ય મંડળ’, અને પછી તેની પછીતે, 12 ફેબ્રુઆરી 1977ની એક સુભગ ઘડીએ, આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ.

કાન્તિ નાગડા, કુસુમબહેન શાહ, ટી.પી. સૂચક, ડાહ્યાભાઈ પટેલ, પંકજ વોરા, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, નિરંજના દેસાઈ, યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, હીરાલાલ શાહ − શાં અનેક અગ્રસૂરિઓએ અકાદમીનું સુપેરે ઘડતર ને ચણતર કરેલું છે.

… પછી, અકાદમીનો વ્યાપ વધતો ગયો, ફાલતો રહ્યો, ફૂલતો રહ્યો. સાહિત્ય સર્જન ઉપરાંત ગુજરાતી ભાષા સંવર્ધન તેમ જ વિવિધ લલિત કળાઓ સમેતનો સાંસ્કૃતિક વારસો અકાદમીના કાર્યવ્યાપમાં સમાવેશ થયો. આ લંબાયા પટે અકાદમીએ નવ ભાષા-સાહિત્ય પરિષદો આપી. અનેક સ્તરે પાંચસો ઉપરાંત ગુજરાતી શિક્ષકોને તાલીમબદ્ધ કર્યાં. ગુજરાતી ભાષાશિક્ષણને સારુ અભ્યાસક્રમ ઘડીને આપ્યો. પાઠ્યપુસ્તકો તૈયાર કરાયાં. અઢાર અઢાર સાલ સુધી સ્વાયત્તતાથી સ્વતંત્ર પરીક્ષાતંત્ર ચલાવ્યું. દર સાલ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેની પરીક્ષાઓમાં બેસતાં. અને તેની ક્ષિતિજ યુરોપ ઉપરાંત આફ્રિકે તેમ જ એક દા મુંબઈને સીમાડે અડતી. પ્રકાશનો કર્યાં. “અસ્મિતા”ના જાજરમાન આઠ અંકો દીધા, જેની સામગ્રી તળ ગુજરાતે પણ લાંબા અરસા લગી કામમાં આવે તેવી છે.

આ સમો પણ કેવા પોરસનો હતો. ઉત્તર ઇંગ્લૅન્ડે ગઝલને પકડીને આશરે 1968થી ગુંજારવ આરંભાયેલો અને લંડનમાં “ગુજરાત સમાચાર”નું પાક્ષિકીકરણ થયું. તેની જોડાજોડ “ગરવી ગુજરાત”નો પડઘમ વાગતો થયો. અને ઉત્તરે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ રચના થઈ. આ મુલકમાં આપણી નવીસવી વસાહતનો તે હણહણતો સમયકાળ.

•••

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના અનિયતકાલીન “અસ્મિતા”ના સન 1996માં પ્રગટ થયેલા આઠમા અંકમાં, ‘ભાનુશંકર ઓધવજી વ્યાસ નગર પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ : એક અવલોકન’ નામક હેવાલ પ્રસિદ્ધ થયો છે, તેમાંથી આ એક અવતરણ ઉદ્ધૃત લઈએ :

પ્રાધ્યાપક ભીખુભાઈ પારેખ પરિષદના અધ્યક્ષપદેથી કહેતા હતા, ‘જે દેશ પાસે સાહિત્ય નથી એની પાસે કોઈ યાદશક્તિ નથી. અને યાદશક્તિ વગર ભૂતકાળ નથી. ભૂતકાળના અનુભવ વગર વર્તમાન અને ભવિષ્યની યોજના કેવી રીતે કરી શકાય ? એવો સવાલ પેશ કરીને આ વિચારશીલ શિક્ષણશાસ્ત્રીએ પરદેશે વસેલી ગુજરાતી વસાહતે પોતાનું સાહિત્ય રચ્યું નથી, એનો રંજ વ્યક્ત કર્યો હતો. આપણા અનુભવો, આપણી વેદનાઓ, આપણાં સ્વપ્નાંઓ, આપણી રોજ-બ-રોજની સમસ્યાઓને વાચા આપતું સર્જન કરવા સાહિત્યકારોને એમણે અનુરોધ કર્યો હતો. આવા સાહિત્યમાં નવા શબ્દો, નવા સંવેદનો, નવી ભાષાનું જોમ આવવાં જોઈએ. આવી યાદશક્તિથી જ આપણી એકતા બની શકશે, એવો સૂર એમણે વ્યક્ત કર્યો હતો.’

ડાયસ્પોરિક સાહિત્ય, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય અંગે ભીખુભાઈના વિચારો, એમનું ચિંતન ઊંડું છે અને તેની પાયાગત સુદૃઢ રજૂઆત આ પહેલા આપી છે. જ્યારે બક્ષીનું લખાણ હાથવગું ન હોઈ તેને સરખામણી સારુ અહીં લઈ ન શકવાનો રંજ છે.

વારુ, ભીખુ પારેખની એ ભાષા-સાહિત્ય પરિષદમાં સન 1994ની રજૂઆતની પૂંઠે, એક પા, ગુજરાતી સાહિત્ય અકાદમીએ, અને બીજી પા, “ઓપિનિયન” સામયિકે આ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની બાબતને પોતાના પાયાગત મુદ્દામાં સક્રિયપણે વણી લીધી છે, તેમ જ તેના મશાલચી બનીને સતત કાર્યપ્રવૃત્ત રહેવાનું રાખ્યું છે.

‘ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન’ માટે ગુજરાતી ડાયસ્પોરાની કેટલીક ચૂંટેલી વાર્તાઓ અને કવિતાઓનું એક સંપાદનકામ મિત્ર દીપક બારડોલીકર જોડે કરવાની તક સાંપડેલી. એ સંપાદનમાં આ ગુજરાતી ડાયસ્પોરાની પ્રમાણમાં સારી વ્યાખ્યા બાંધવામાં આવી છે. આ સમૂળું લખાણ, અલબત્ત, દીપક સાહેબનું જ વળી :

‘ગુજરાતી ડાયસ્પોરા, યાને ગુજરાત બહારના ગુજરાતી સમાજો, આજે આફ્રિકાથી લઈને અમેરિકા સુધીના અનેક નાનામોટા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. આ સમાજો તે ગુજરાતી પ્રજાના છે, જે ક્યાં તો અર્થોપાર્જન ખાતર યા માફકસરની નહીં એવી રાજકીય પરિસ્થિતિ તથા વિપરીત સંજોગોને કારણે દેશવટો કરી ગયા હતા યા ઉખેડાઈને બીજા અને ત્યાંથી ત્રીજા દેશોમાં ફેંકાઈ ગયા હતા. આજે એમની મોટી વસ્તી બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન, ઑસ્ટેૃલિયા તથા આફ્રિકી દેશોમાં આવેલી છે.

‘આમ તો છે એ ગુજરાતી ડાયસ્પોરા, પરંતુ તેમનું કોઈ એક ચોક્કસ રૂપસ્વરૂપ નથી. દેશે દેશે તથા ધર્મભેદે તેમની ભાત કંઈક નોખીનોખી જોવા મળે છે. આ સમાજોને એક તરફ પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા યા એમ કહો કે તેને રક્ષવા માટે ભારે મથામણ કરવી પડી રહી હોવાનું જોઈ શકાય છે, તો બીજી તરફ તેમને સ્થાનિક પ્રવાહો સાથે પણ કદમ મિલાવવા આવશ્યક હોય છે. આ સમાજોને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રંગભેદ, સેક્સ, શરાબ, લૂંટ તથા અન્ય સામાજિક બદીઓના નિરંકુશ થપેડાઓનો પણ સામનો કરવો પડતો હોય છે, જે અનેક પ્રશ્નો ઊભા કરી જાય છે. આવી વિષમતા વચ્ચે પોતાની મૂળ ઓળખ યાને ગુજરાતીતા જાળવવા-રક્ષવાનું સહેલું હોઈ શકે નહીં. આમ માહોલ, પરિસ્થિતિ અને સંજોગોના કઠોર પ્રવાહોની પ્રબળ અસરો હેઠળ તેમના વિભિન્ન ઘાટો ઘડાતા જઈ રહ્યા છે. ગઈ કાલે જે રંગ હતો તે કદાચ આજે ન પણ મળે. રીતભાત, ખાનપાન, ભાષા વગેરેમાં પણ ફેરફારો દૃશ્યમાન થઈ રહ્યા છે.

‘વિદેશોમાં આપણા સાહિત્યકારો જે-તે દેશોમાંના ગુજરાતી ડાયસ્પોરાના જ સભ્યો છે. પોતાના સમાજ, માહોલ, પરિસ્થિતિ અને સંઘર્ષની નીપજ સમાં અવનવાં અનુભવો, અસરો તેમને આગવી રીતે વિચારતા અને લખતા કરે એ સ્વાભાવિક છે. આજે અમેરિકા, બ્રિટન વગેરે દેશોમાં જે ગુજરાતી સાહિત્ય સર્જાઈ રહ્યું છે તેની અંદર ત્યાંના ગુજરાતી સમાજોના, તેમના માહોલના પ્રશ્નોની ચર્ચા હોઈ શકે છે. ધબકાર પણ એ જ ધરતીનો હોવાનો. ઉડાનને તથા કલાતત્ત્વને લાગેવળગે છે ત્યાં સુધી કહી શકાય કે એનો સંબંધ અભ્યાસ અને સાધના સાથે હોય છે. અને એવી એંધાણી આપણા આ સાહિત્યકારોની કૃતિઓમાં અવશ્ય મળે છે. તેઓ કંઈક નોખી ઢબે, કંઈક નોખી વાત કરે છે. ભાષાની છાંટ પણ નોખી છે.

‘આ વિદેશવાસી ગુજરાતી લેખકોએ ઘણું લખ્યું છે, લખી રહ્યા છે. વાર્તા, લેખ, નિબંધ, નાટક, વિવેચન, પ્રવાસવર્ણન બધું તેમની કલમને સાધ્ય છે. તેમના પ્રામાણિક પ્રયાસોથી આજે વિદેશોમાં   ગુજરાતી ભાષાઓના દરિયા ઘૂઘવાટા મારી રહ્યા છે ત્યાં ગુજરાતી ભાષાના ડાયરા પણ ઠાઠથી જામી રહ્યા છે. ગુજરાતી ગીત-ગઝલ તથા સંગીતની મહેફીલો પણ યોજાઈ રહી છે અને નાટકોના પડદાયે ઊંચકાઈ રહ્યા છે. આ આ કંઈ નાનીસૂની વાત નથી. એક નોંધપાત્ર ઐતિહાસિક ઘટના છે.’

•••

વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.

અકાદમીએ અભ્યાસક્રમ ઘડી આપ્યો. પાઠ્યક્રમની સગવડ કરી આપી. તેને આધારે પાંચ સ્તરનું ભાષાશિક્ષણનું કામ આદરાયું. પાઠ્યપુસ્તકો થયાં. અઢારઅઢાર વરસો સુધી સર્વત્ર પરીક્ષાઓનું આયોજન કરાયું. શિક્ષણકામની સરળતાને ધ્યાનમાં રાખી, વિલાયતની તાસીર અનુસાર, શિક્ષક તાલીમની જોગવાઈ કરવામાં આવી. આશરે પાંચસોક શિક્ષકોને તાલીમબદ્ધ કરાયાં અને તે ય વિલાયતને ખૂણે ખૂણે. એક સમે એકાદ લાખ બાળકો અહીં ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યાં હતાં.

બ્રિટનના એક અવ્વલ ગુજરાતી શિક્ષિકા અને અકાદમીનાં સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના કહેવા મુજબ, બ્રિટનનાં બિન ગુજરાતી પાશ્ચાત્ય વાતાવરણમાં ઉછરતાં, ગુજરાતી ભાષા અને સાહિત્યથી અપરિચિત રહેતાં આપણાં ગુજરાતી બાળકો તેમ જ, આ બાળકોને ભાષા શીખવતાં શિક્ષકોને કેન્દ્રસ્થાને રાખીને, આશરે ૧૯૮૩માં, અકાદમીને પરીક્ષાઓની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. આથી, દિવંગત પોપટલાલ જરીવાળાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, ૧૯૮૪માં અકાદમીના અભ્યાસક્રમની રચના કરવામાં આવી. આ અભ્યાસક્રમને આધારે, બ્રિટનના માહોલને ધ્યાનમાં રાખીને, ગુજરાતી ભાષા શિક્ષણમાં એકસૂત્રતા સ્થાપવા માટે, પોપટભાઇની આગેવાની હેઠળ, જગદીશભાઈ દવેએ પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સંભાળી. ૧૯૮૬માં, ચાર ધોરણે પાઠ્ય-પુસ્તકોની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. ત્યારબાદ, પુસ્તકોની માંગ વધતાં બીજી બે આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આ પાઠ્ય‑પુસ્તકોનો, બ્રિટનમાં ગુજરાતી શીખવતી કેટલી ય ઐચ્છિક શાળાઓ વર્ષોથી ઉપયોગ કરે છે. પાઠ્ય-પુસ્તકોનાં પ્રકાશનમાં, મધ્ય ઇંગ્લૅન્ડમાં આવ્યા વેલિંગબરૉસ્થિત ‘બીદ એન્ટરપ્રાઇસ’ના ભીખુભાઈ શાહ અને સ્વર્ગીય શાંતિભાઈ શાહ તેમ જ, મુંબઈના ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ જ સાથ અને સહકાર કેટલાં ય વર્ષો સુધી મળતો રહ્યો.

ઇતિહાસ સાહેદી પૂરે છે કે બ્રિટનમાં સન 1964થી ગુજરાતી શિક્ષણ અપાવું શરૂ થયેલું અને તેનો યશ લેસ્ટર શહેરને ફાળે છે; પરિણામે ‘ઇન્ડિયન એજ્યકેશન સોસાયટી’ તેને સારુ મગરૂબી અનુભવે તે તદ્દન સ્વાભાવિક છે. એ દિવસોમાં આ સંસ્થા હેઠળ મોટા કદની પાંચપાંચ નિશાળોમાં ભરચક્કપણે દર સપ્તાહઅંતે ગુજરાતીનું શિક્ષણ અપાતું.

યુનાઇટેડ કિંગ્ડમના મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતી શીખવવાના વર્ગો ધમધમતા હતા. આજે તેમાં ઓટ આવી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અનુસાર, દરમિયાન, અહીંની અકાદમીએ પરીક્ષા લેવાનું સમેટી લેવાનું રાખ્યું. બીજી બાજુ, શનિવાર-રવિવારે ચાલતી આ ઐચ્છિક શિક્ષણ પ્રવૃત્તિઓ સારુ ભાડૂતી જગ્યાઓ પણ મોંઘી થવા લાગી. બાકી હતું તો ખાનગી ટ્યૂશનોનું જોર વધવા લાગ્યું. અને તેની અસરે સામૂહિક જોમ ઓસરવા માંડ્યું. પરિણામે, હવે ગણીગાંઠી જગ્યાએ ગુજરાતી શિક્ષણ અપાતું હોય તો અપાતું હોય. વિજ્યાબહેનના મત અનુસાર, બદલાતા માહોલ, ગુજરાતી શીખવા પ્રત્યે વાલીઓ તેમ જ, બાળકોની અરુચિના પરિણામે પરીક્ષાર્થીઓની ઘટતી જતી સંખ્યા, એમ કેટલાંક આનુષંગિક કારણોસર છેવટે, ૨૦૦૨માં અકાદમીને પરીક્ષાઓ સ્થગિત કરવી પડી.

•••

આ ચોપડીમાં, વારુ, 16 સપ્ટેમ્બર 2018ના યોજાયેલા અવસરના વક્તાઓનાં વક્તવ્યો આવરી લેવાયાં છે. બે બેઠકોમાં અગિયારેક વક્તાઓ હતાં. પહેલી બેઠકનું સંચાલન નયનાબહેન પટેલે કરેલું. જ્યારે બીજી બેઠકનું સંચાલન શૂચિબહેન ભટ્ટે કર્યું હતું. વક્તાઓ હતાં : પંચમભાઈ શુક્લ, વલ્લભભાઈ નાંઢા, ભદ્રાબહેન વડગામા, ઇમ્તિયાઝભાઈ પટેલ, કૃષ્ણકાન્તભાઈ બૂચ, અહમદભાઈ લુણત ‘ગુલ’, અનિલભાઈ વ્યાસ, આશાબહેન બૂચ, વિજ્યાબહેન ભંડેરી, વ્યોમેશભાઈ જોશી તેમ જ સુષમાબહેન શેઠના. ડૉ, અદમ ટંકારવી અવસરે અતિથિ વિશેષ હતા.

અહીં મોટા ભાગના વક્તવ્યોને સ્થાન છે, બે વક્તવ્યો વિષ્યાન્તરને કારણે લઈ નથી શક્યા તેનો રંજ છે. વળી, સંપાદનકામને સારુ, પ્રકાશનકામને સારુ EnhancerOnly તેમ જ કેતનભાઈ રુપેરા ભણી અકાદમી ઓશિંગણભાવ વ્યક્ત કરે છે.    

હેરૉ, 24 માર્ચ 2023
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

દેવીપૂજક સમાજની પૃષ્ઠભૂમિ પર લખાયેલી અનિતા તન્નાની નવલકથા રજકણ બને સૂરજ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|26 June 2023

વંચિતોના ઉત્કર્ષની જીવંત સંઘર્ષકથા : રજકણ બને સૂરજ દેવીપૂજક સમાજની રોજિંદી જીવનચર્યા પર આધારિત પ્રેમકથા છે. સવિતા-સૂરજ અને આકાશનાં નામોનું તત્ત્વચિંતન વણીને શાકબકાલું કે બરણી-પ્યાલા વેચતી, મોસમ પ્રમાણે જરૂરૂ વસ્તુઓ વેચતાં માતાપિતાની પુત્રીની વિકાસગાથા સાથે નવલકથા પ્રસ્તુત થઈ છે. એ જ એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ વિચારશૈલી, વાતચીતમાં વપરાતી બોલી-ભાષા, જીવનચર્યાનો હિસ્સો બનીને જીવતી સવિતાની કુટુંબકથામાં વિશેષ શું છે ? તો વંચિત-ન ફાવેલાં અને સંચિત-ફાવેલાં વચ્ચેની અસમાનતાની ખાઈનો જવાબ અને ઉકેલ શોધતાં આકાશ અને સવિતા-સૂરજની વિકાસગાથા એટલે રજકણ બને સૂરજ. સવિતાનું કુટુંબ એટલે  માતાપિતા, બે ભાઈઓ. પહેલાં પિતા દારૂ પીતાં અને ઘરનું વાતાવરણ કંઈક શુષ્ક, ચીડિયું હતું. સીધીસાદી રાખડી ખરીદવા અને બાંધવા જેવી ઘટનામાં ઈલાબહેન જેવાં પ્રભાવક વ્યક્તિત્વના પરિચય પછી સવિતાના પિતા ભરત દારૂ છોડે છે અને ઘરનો માહોલ બદલાઈ જાય છે. અલબત્ત, ઘરના દીકરાને ભણાવાય છે અને દીકરીને નહીં ! આકાશ નામનો છોકરો રેતીમાં અક્ષરો લખીને સવિતાને ભણાવે છે અને નિશાળમાં ગયાં વગર સવિતા ભણે છે.

આ વાંચતાં મને બીબી અશરફની વાંચતાં-લખતાં શીખવાની સંઘર્ષયાત્રા યાદ આવે છે. યુવાન થઈને ઈલાબહેન પાસે રહીને જીવન કૌશલ્યની તાલીમ લઈ એના જ વિસ્તાર રૂપે વિકાસ કેન્દ્ર દ્વારા કમાણી કરતા શીખે છે અને આસપાસની યુવતીઓ-સ્ત્રીઓનાં જીવનમાં પરિવર્તન લાવવામાં નિમિત્ત બને છે. અંતે પ્રેમકથા સફળ થઈને આકાશ-સવિતા ઉર્ફે સૂરજ એક થાય છે.

કહેવાય વંચિતો પરંતુ દરરોજ ચાલીના વસાહતીઓ કાળુભાની લારી પરથી ચા પીએ એમાં મને તો વૈભવ દેખાયો ! આ એ જ કાળુભા જેમનો ભાણિયો આકાશ સવિતાના જીવનમાં કેન્દ્રસ્થ બને છે. લેખિકાએ કોઈ સભાન પ્રયત્ન વગર અમદાવાદની ચાલી-જીવનનું સહજ વર્ણન કર્યું છે જે સરેરાશ સામાન્ય જ છે છતાં ક્યાંક ને ક્યાંક એ જીવનશૈલીમાં રહેલી માનવમનની સહજ ભાવનાઓને ઉજાગર કરવામાં એમને સફળતા આપે છે. કાળુભાની લારી તો મને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર જેવી લાગી અને કાળુભાને પણ ચાની લારી થકી સ્ત્રીઓની જેમ જ સેવ-પાપડ-અથાણાં બનાવવાની સામૂહિક પ્રવૃત્તિ દ્વારા જીવનની સમસ્યાઓ ઉકેલવાની ચાવી હાથ લાગી હોય તેવો અહેસાસ થયો.

વર્ષો પહેલાં કદાચ કિશોરાવસ્થામાં રમણલાલ વસંતલાલ દેસાઈની ગ્રામલક્ષ્મીનાં ચાર ભાગ વાંચેલાં. નાયક-નાયિકાનાં નામો પણ ભુલાઈ ગયાં છે છતાં એમાં વણાયેલો આદર્શવાદ મનમાં જીવંત છે. ત્યાર પછી કુન્દનિકાબહેનની સાત પગલાં આકાશમાં વાંચેલી અને આનંદગ્રામમાં નારીમુક્તિનો માર્ગ કે નકશો જોયેલો. પછી તો અસ્તિત્વ સંસ્થાનનાં સર્જન-સંવર્ધન સાથે નારીવાદી આંદોલનમાં સહભાગી પણ થવાયું. ૧૯૪૭થી ૨૦૨૩ સુધીમાં દેશે ઘણી પ્રગતિ કરી અને સમાંતર ઠેરનાં ઠેરની લાગણી પણ થઈ. તેવા સમયે અતિવાસ્તવિકતાની ભૂમિ પર, આશા-ઉત્સાહથી ભરપૂર, સરળ-સહજ અભિવ્યક્તિ સાથે ખાધું પીધું ને રાજ કીધુંની વિભાવના પર રચાયેલી અનિતા તન્નાની ૧૧૪ પાનામાં લખાયેલી આ લઘુનવલ સપ્રેમ ભેટ મળી અને એ વાંચી ત્યારે આપોઆપ ર.વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, કુન્દનિકાબહેન, ધીરુબહેન યાદ આવ્યાં. જો કે આ નવલકથા કાલ્પનિક જ છે છતાં એને દસ્તાવેજી નવલકથા (ડોક્યુ નોવેલ) કહેવાનું મન થાય. લેખિકાએ એમાં શબ્દલાલિત્ય ટાળ્યું છે પરંતુ પ્રશ્નો ચોક્કસ ઉઠાવ્યા છે. બેટી બચાઓ-બેટી પઢાઓ સૂત્રની જરૂર કેમ છે એનો ચિતાર આ વંચિતોની રોજિંદી જિંદગીમાંથી મળે છે. અક્ષરજ્ઞાનથી કે શિક્ષણથી જીવન પરિવર્તિત થાય એ સંદેશો અહીં બળવંત બન્યો છે.

જો કે મારું નમ્રપણે માનવું છે કે શાકબકાલું વેચવાનો કે મોસમ પ્રમાણે જરૂરિયાતની ચીજો વેચવાનો વ્યવસાય હોય એમાં વધારે ને વધારે કુશળ કઈ રીતે થઈ શકાય તે શીખવું અગત્યનું છે. લેખિકાને હવે દેખાતા બજાર-પરિવર્તનની ઝાંખી થઈ હોય એટલે એમણે આ વંચિતોની જીવનશૈલીમાં બદલાવને મહત્ત્વ આપ્યું હોય એમ બને. આ મુદ્દો લાંબી ચર્ચાનો છે એટલે અહીં જ સમેટું છું. અહીં અનિતાના જીવનસાથી રમેશ તન્નાની સકારાત્મક વલણની ફિલોસોફીને પણ યાદ કરી લઉં. એને કારણે વાસ્તવિકતાની પરિપાટી પર જિવાતી જિંદગીઓનો તાગ તો મળે જ છે. માનવજીવનને સમજવા માટે આ પ્રકારનું સાહિત્ય ચોક્કસ જ ઉપયોગી નીવડે છે. પ્રજ્ઞા પટેલ અને યશવંતદાદાએ આ પુસ્તકને આવકાર્યું છે. મારા તરફથી પણ અનિતા તન્નાના આ પ્રયત્નને આવકાર.

(૫૫૭ શબ્દો)
e.mail : bakula.ghaswala@gmail.com

Loading

...102030...1,0931,0941,0951,096...1,1001,1101,120...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved