Opinion Magazine
Number of visits: 9458170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ભાષાની જન્મજાત સર્જકતા (3)

સુમન શાહ|Opinion - Literature|24 February 2023

પહેલાં કહ્યું હતું એમ આને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું વિશ્લેષણ ન ગણવા વિનન્તી છે. આજે આ પ્રયોગનું કરી જોઉં :

‘મમરો’ તો ‘મૂકી’ જો; જોઈએ, શું થાય છે.

‘મમરો’-નો સંકેતાર્થ છે ચોખામાંથી બનાવાયેલી વાનગી. દરેક મમરો ચોખાના એના મૂળ દાણા કરતાં કદમાં મોટો પણ વજનમાં હલકો હોય છે. રંગે વધારે સફેદ પણ હોય છે. ચોખાના દાણાની સરખામણીએ એને આરામથી ચાવી કે ખાઈ શકાય છે. પણ એને ક્યાંક મૂકવા માગીએ તો વિચારવું પડે છે કે ખસી કે ઊડી તો નહીં જાય ને.

આ પ્રયોગમાં ‘મમરો’ સંજ્ઞા એકવચનમાં છે, એનો મતલબ એ કે મૂકનારે એક જ મમરાને મૂકવાનો છે. પણ, પ્રયોગમાં એ નથી કહેવાયું કે ક્યાં મૂકવાનો છે. એટલે, મૉંમાં મૂકીને આરોગી જવાય એવો એનો જે મુખ્યાર્થ છે તેને બાજુએ રાખવો પડશે.

કોઈ ગૂંચવાડાભરી વાતમાં કે કોઈની જિદ્દમાં કે કોઈના નકારમાં બદલાવ આવે એ માટે મમરો મૂકવાનો હશે એમ ધારી શકાય છે. સવાલ એ છે કે ગૂંચવાડા જિદ્દ કે નકાર સાથે મમરાને શી લેવાદેવા.

A diplomate.
Pic courtesy : INFJ

એટલે, મમરાનાં ગુણલક્ષણોને કામે લગાડવાં પડશે. કોઈ ગૂંચવાડાભરી વાતમાં કે કોઈની જિદ્દમાં કે કોઈના નકારમાં બદલાવ માટે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે, એટલે કે, વાત કરે. તે વાત કદમાં નાની હોવી જોઈશે. તે વાત વજનમાં હલકી, હળવી હોવી જોઈશે. સામાવાળાની તકલીફ વધે એમ નથી કરવાનું તેમ દબાણ પણ નથી કરવાનું કેમ કે મમરાની જેમ વાત પણ કચડાઈ જાય. વાત સિફતથી થવી જોઈશે. નહિતર મમરો ખસી કે ઊડી જાય એમ એ વાતનું પણ થઈ શકે છે.

ટૂંકમાં, એ આખું કામ એક નીવડેલા મુત્સદ્દીની રીતે થવું જોઈશે. મમરો ‘મૂકી જોવાનો છે’ એટલે? મૂકનારે સફળતા કે નિષ્ફળતા માટે નિર્મમ રહેવાનું છે.  

અંગ્રેજીમાં, ‘લિટલ ઍફર્ટ’ પ્રયોગ છે પણ એમાં મમરાથી સૂચવાતી સર્જકતા નથી. એટલે જ હું એને આપણી ભાષાની જન્મજાત સર્જકતામાં ઉમેરું છું.

= = =

(Feb 24, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કવિતા જીવનાર અને જિંદગી લખનાર અમૃતા-ઈમરોઝ

સોનલ પરીખ|Opinion - Opinion|24 February 2023

ઈમરોઝ અમૃતા પ્રીતમના જીવનનો ત્રીજો પુરુષ. સોળ વર્ષની ઉંમરે અમૃતાનાં લગ્ન પ્રીતમસિંહ સાથે થયાં. પ્રેમવિહોણાં લગ્ન છૂટ્યાં, પણ પ્રીતમસિંહનું નામ સદા સાથે રહ્યું. સાહિર લુધિયાનવી પ્રત્યેનો તીવ્ર પ્રેમ આઘાતો આપતો રહ્યો, પણ ક્યાં ય પહોંચ્યો નહીં. ત્યાર પછી પરિપૂર્ણ આંતરિક શાંતિથી સભર ચાલીસ વર્ષ અમૃતાએ ચિત્રકાર અને કવિ ઈન્દ્રજિત ઈમરોઝ સાથે ગાળ્યાં … એમણે કહ્યું છે, ‘ઈમરોઝને મળ્યા પછી પિતા, ભાઈ, મિત્ર, પતિ – આ તમામ શબ્દોએ જાણે પોતાનો આત્મા શોધી લીધો.’

અમૃતા પ્રીતમ – ઈમરોઝ

વેલેન્ટાઈન ડે આવે અને આપણને રોમાન્સનો મૂડ આવી જાય છે, પણ સાચો અને શક્તિશાળી પ્રેમ કોઈ અવસરનો મોહતાજ નથી હોતો – એ બસ હોય છે, અને એનું હોવું જ દરેક પળને અવસર બનાવી દે છે. વેલેન્ટાઈન ડે નજીક છે ત્યારે યાદ કરીએ આવા પ્રેમને જીવનાર અમૃતા અને ઈમરોઝને.

કાવ્ય, નવલકથા, વાર્તાઓ, લેખો, સંપાદન અને આત્મકથાનાં સો જેટલાં પુસ્તકો લખનાર અમૃતા પ્રીતમ સાહિત્ય અકાદમી અવૉર્ડ મેળવનાર પહેલી સ્ત્રી હતાં. પછી તો જ્ઞાનપીઠ, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ તેમ જ વિદેશોનાં સન્માનો પણ મળ્યાં. એમની એક પંક્તિ છે, ‘હું જિંદગીભર જે વિચારતી અને લખતી રહી એ દેવતાઓને જગાડવાની કોશિશ હતી, એ દેવતાઓને જે માણસની અંદર સૂઈ ગયેલા છે.’

પ્રેમ અમૃતા માટે બ્રાન્ડ-નેમ હતું. ઈમરોઝ એમના જીવનનો ત્રીજો પુરુષ. સોળ વર્ષની ઉંમરે પ્રીતમસિંહ સાથે લગ્ન થયાં, પ્રેમ ન થયો. પ્રેમવિહોણા લગ્ન છૂટ્યાં, પણ પ્રીતમ સિંહનું નામ સદા સાથે રહ્યું. સાહિર લુધિયાનવી પ્રત્યેનો તીવ્ર પ્રેમ આઘાતો આપતો રહ્યો, પણ ક્યાં ય પહોંચ્યો નહીં. ત્યાર પછી જીવનનાં છેલ્લાં ચાલીસ વર્ષ – પરિપૂર્ણ આંતરિક શાંતિથી સભર ચાલીસ વર્ષ અમૃતાએ ચિત્રકાર અને કવિ ઈન્દ્રજિત ઈમરોઝ સાથે ગાળ્યાં. ઈમરોઝ અમૃતાથી દસ વર્ષ નાના હતા. અમૃતાએ ‘શામ કા ફૂલ’ કાવ્યમાં ઈમરોઝ જિંદગીમાં ખૂબ મોડા મળ્યા હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.

1957માં અમૃતા-ઈમરોઝ પહેલી વાર મળ્યાં, અમૃતા 48 વર્ષનાં હતાં. ભાગલા પછી અમૃતાનો પરિવાર લાહોરથી દિલ્હી આવીને વસેલો. અમૃતા ઑલ ઇન્ડિયા રેડિયો પર એક પંજાબી કાર્યક્રમ આપતાં. ઈમરોઝ ત્યારે ‘શમા’માં કામ કરતા. અમૃતાને ‘આખરી ખત’ પુસ્તકના કવરપેજ માટે આર્ટિસ્ટની જરૂર હતી, કોઈએ ઈમરોઝને મોકલી આપ્યા. પછી તો ઈમરોઝ અમૃતાના ઘરની બાજુમાં રહેવા આવ્યા. અમૃતાને બસમાં રેડિયો સ્ટેશન જતાં જોઈ ઈમરોઝને તકલીફ થતી. એમની પાસે સાયકલ હતી. પૈસા ભેગા કરી એમણે સ્કૂટર લીધું અને અમૃતાને ઘેરથી ઑલ ઇન્ડિયા રેડિયો સુધી મૂકવા-લાવવા લાગ્યા.

ક્યારેક સ્કૂટર પર અમૃતા ઈમરોઝની પીઠ પર કલમ ફેરવતાં. ઈમરોઝને ખબર હતી એ શું લખતાં – એ શબ્દ હતો ‘સાહિર’. ‘તો તમને ખરાબ ન લાગતું?’ ‘ખરાબ શું કામ લાગે, સાહિર અમૃતાનો હતો, અને મારી પીઠ પણ …’ ઈમરોઝ હસતા. અમૃતા કહેતાં, ‘સાહિર આકાશ છે અને ઈમરોઝ ઘરની છત. સાહિર બાબતની મારી નિષ્ફળતાના દર્દને ઈમરોઝે પોતાનું બનાવી દીધું હતું.’ ક્યારેક અમૃતા હસે, ‘હું અને સાહિર મળી ગયા હોત તો તું ન હોત.’ ‘વાહ, કેમ ન હોત? તું સાહિરના ઘરમાં નમાજ પઢતી હોત તો પણ મેં તને શોધી કાઢી હોત’ ઈમરોઝ કહેતા, ‘અમે કોઈ વચન આપ્યાં કે માગ્યાં નથી. નો પ્રોમિસિઝ, નો કમિટમેન્ટ્સ. નો ક્વેશ્ચન્સ, નો આન્સર્સ. પ્રેમ એની મેળે જ પ્રગટ્યો અને પાંગર્યો.’

જો કે ઉંમરના તફાવતથી અમૃતા સભાન હતાં. એક વાર એમણે કહ્યું, ‘જા, જરા દુનિયા ફરી આવ, પછી મારી સાથે રહેવાની વાત કર.’ ઈમરોઝે અમૃતાના કમરામાં ચક્કર માર્યું ને કહ્યું, ‘ફરી આવ્યો. હવે તો મારી સાથે રહીશ ને?’ આ વાત યાદ કરી અમૃતા કહેતાં, ‘આવા માણસનું શું કરવું? હસવું કે રોવું?’ સમયાંતરે તેમણે હૌજ ખાસનું ઘર લીધું અને એમાં સાથે રહેવા લાગ્યા. લગ્નની જરૂર પડી નહીં.

એક વાર કારમાં દિલ્હીથી મુંબઈ જતાં હતાં. પોલિસે એમને રોક્યાં. કોઈ નશીલાં દ્રવ્યો ન મળ્યા એટલે જવા દીધાં. ઈમરોઝ કહે, ‘બિચારો બુદ્ધુ પોલિસમેન. એને તું ન દેખાઈ. આટલી નશીલી ચીજ જોવાનું ચૂકી ગયો!’ અમૃતાનું સૌંદર્ય અને એની કવિતા બંને પર ઈમરોઝ ફિદા હતા, ‘સુંદર શબ્દો એવા જ સુંદર શરીરમાં વસતા હોય એવું ઓછું બને. અમૃતા એવી દુર્લભ ઘટના છે.’

‘પ્રેમની મારી વ્યાખ્યા સાદી છે : પ્રેમ એટલે સહજતા, સ્વયંસ્ફૂરણા. અને જે સહજ છે તે મુશ્કેલ નથી હોતું.’ ઈમરોઝ કહેતા. બંને એક ઘરમાં પણ અલગ અલગ કમરામાં રહેતા. અમૃતા મોડી રાત સુધી લખે. એકાદ વાગે એટલે ઈમરોઝ ચા બનાવી ચૂપચાપ એમના ટેબલ પર મૂકી આવે. ઘરના દાદરને અડતી ભીંતો પર ઈમરોઝે દોરેલાં અમૃતાનાં અલગ-અલગ અંદાઝના ચિત્રો શોભે.

બંને એકબીજાને ખૂબ પત્રો લખતાં. એક પત્રમાં અમૃતાએ લખ્યું છે, ‘મારા પ્રિય, માણસોનાં હૃદયમાં એકસરખી પીડા વસે છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે વસતા માણસના અંતરના તાર એના જ વજનથી તૂટતાં હોય છે. જીવનની આ ઠંડી સાંજે હું પ્રતીક્ષતી હોઉં છું તારા પત્રોના હૂંફાળા સૂર્યપ્રકાશને …’ ‘ઈમરોઝનો પ્રેમ એક વરદાન છે. તેને મળ્યા પછી પિતા, ભાઈ, મિત્ર, પતિ – આ તમામ શબ્દોએ જાણે પોતાનો આત્મા શોધી લીધો.’ એક વાર ઈમરોઝ બહારગામ હતા. અમૃતાએ લખ્યું, ‘તું જેટલા શ્વાસ મૂકીને ગયો હતો, લાગે છે એ ખલાસ થઈ ગયા છે.’

એક ઈન્ટરવ્યૂમાં ઈમરોઝે કહ્યું છે, ‘અંતિમ માંદગીમાં અમૃતા રોજ મને ઝેર લાવી આપવાનું કહેતી. હું પેઈન કિલર લાવી આપતો. એ ચાલી ગઈ ત્યારે હું રડ્યો નહીં. મૃત્યુ એ એની પીડાનો અંત હતો.’ મૃત્યુ પહેલા અમૃતાએ ઈમરોઝ માટે કાવ્ય લખ્યું છે, ‘મૈં તુઝે ફિર મિલૂંગી’ આજે આ કાવ્ય પ્રેમનું શાશ્વત્‌ પ્રતીક બની ગયું છે. ઈમરોઝ કવિ નહોતા. અમૃતાના મૃત્યુ પછી એમણે અમૃતાને સંબોધીને કાવ્યો લખવા માંડ્યાં. કોઈએ કહ્યું, ‘અમૃતા તો આ કાવ્યો કદી નહીં સાંભળી શકે. તમને દુ:ખ નથી થતું?’ ‘મને લાગે છે કે એ જ્યાં પણ છે, આ શબ્દો એને પહોંચે જ છે.’ અને કહ્યું, ‘એણે શરીર છોડ્યું છે, સાથ નહીં …’ ઈમરોઝે અમૃતા માટે કદી ભૂતકાળ નહોતો વાપર્યો.

સમાજની દરેક સીમા તોડતો, આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત એકસાથે લાવી દેતો આ પ્રેમ આપણને વિચારતા કરી દે કે આ બંને કઈ દુનિયાના માણસો છે! ઉમા ત્રિલોકે પુસ્તક લખ્યું છે, ‘અમૃતા ઈમરોઝ’. ભદ્રાયુ વચ્છરાજાનીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે. પ્રસ્તાવનામાં ઉમા લખે છે, ‘આ બંને વિશે લખવા માટે જે ઊંચાઈ જોઈએ, એમના સંબંધને સમજવા અને આલેખવા જે સર્જનાત્મક કૌશલ જોઈએ તે કદાચ મારામાં નથી. અમૃતા અને ઈમરોઝ સાથે મારી દસ વર્ષની ઘનિષ્ઠ મૈત્રી એ જ કદાચ મારી એકમાત્ર લાયકાત છે.’ અને ભદ્રાયુભાઈ લખે છે, ‘અમૃતા-ઈમરોઝની લિવ-ઈન નહીં, લવ-ઈન રિલેશનશીપ છે.’

ઉમાએ પુસ્તકમાં એક વાત લખી છે, ‘અમૃતાને વીસ વર્ષ સુધી લગભગ રોજ એક સ્વપ્ન આવતું. એક ઘર, એક તરફ જંગલ, બીજી તરફ સમુદ્ર, બારી પાસે ચિત્ર દોરતો એક પુરુષ. એ પુરુષનો ચહેરો કદી ન દેખાતો. ઈમરોઝને જોઈ અમૃતા તરત ઓળખી ગયાં કે આ એ જ પુરુષ છે. અને પછી એ સ્વપ્ન એમને કદી ન આવ્યું.’ પીડા અમૃતાનો પ્રિય વિષય હતી. ‘એક દર્દ હતું, જે મેં સિગરેટની જેમ પી લીધું; થોડી કવિતાઓ છે જે મેં સિગરેટની રાખની જેમ ખંખેરી છે.’ ‘મે ધ પેઈન લિવ ફૉરએવર’ ‘ખુલ્લા કદરૂપા જખમ પર સ્વપ્નનો એક ટુકડો લગાડું છું’

અમૃતા પ્રીતમ લખે છે, ‘મારી શૈયા તૈયાર છે, પણ જોડા અને ખમીસની જેમ તું તારું શરીર પણ ઊતારી લે; ત્યાં મૂડા પર મૂકી દે. કોઈ ખાસ વાત નથી – આ પોતપોતાના દેશનો રિવાજ છે.’ અને ઈમરોઝ કહે છે, ‘અમૃતાની કઈ વાત મને સૌથી વધારે પસંદ છે? તેનું હોવું.’ આ શબ્દોમાં રહેલા ઊંડાણને સમજવાનું ગજું હોય તો પ્રેમનું નામ લેવું, નહીં તો મઝા કરવી. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ફેબ્રુઆરી 2023

Loading

ગુજરાતના શિક્ષણમંત્રીશ્રીને જાહેર પત્ર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 February 2023

આદરણીય શિક્ષણ મંત્રીશ્રી,

કુબેરભાઈ મ. ડીંડોર

નમસ્કાર. કુશળ અને સ્વસ્થ હશો જ, પણ શિક્ષણને સ્વસ્થતા મળે તે માટે આ વિનંતી પત્ર ! તમને વાંચવાની અનુકૂળતા મળી રહે એવી પ્રાર્થના કરું છું.

હું માનું છું કે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ એકબીજા સાથે સંલગ્ન છે, પણ તમારી જાણ બહાર વર્તવાની મોકળાશ શિક્ષણ વિભાગ ભોગવે તો તેની જવાબદારી કોની તે વાતે મૂંઝાઉં છું. મારી સમજ શક્તિની મર્યાદા સ્વીકારીને પણ હું એમ કહેવા પ્રેરાઉં છું કે શિક્ષણ વિભાગ પરસ્પર વિરોધી નિર્ણયો લેવામાં સંકોચ નથી અનુભવતો. ઉતાવળે નિર્ણયો લઈને તેને સ્થગિત કે રદ્દ કરવાનું આ વિભાગના ડી.એન.એ.માં હોય એવું લાગે છે.

ઉદાહરણો આપીને અહીં કેટલીક વાતો કરવી છે.

આમ તો આપણે આપણાં રાજ્યને ગુજરાત કહીએ છીએ ને અહીં આદિ કવિ નરસિંહ મહેતાના કાળથી ગુજરાતી માતૃભાષા તરીકે વ્યવહારમાં રહી છે. તે પછી તો મીરાં, અખો, દયારામ, દલપત, નર્મદ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, પન્નાલાલ, ચં.ચી., સુંદરમ્‌, ઉમાશંકર, સુરેશ જોશી જેવાં અનેક સર્જકોને હાથે ગુજરાતી સહજ રીતે ખેડાતી રહી છે. નર્મદ પછીના તો ઘણા સર્જકો અંગ્રેજી ભાષા અને સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા, પણ ગુજરાતી તો વરવી થવા લાગી હોય તોય ‘જય જય ગરવી ગુજરાત..’ ગાતી રહી છે. ગુજરાતીનું તેજ એટલું બળકટ હતું કે કાલેલકર જેવા સર્જકે તો પોતાની મરાઠીમાં સર્જન કરવાને બદલે ગુજરાતીમાં લખવાનું સ્વીકાર્યું અને પોતાનું સવાઇ ગુજરાતીપણું સિદ્ધ કર્યું. અંગ્રેજોએ તો સૂરતથી ગુજરાતમાં અને દેશમાં વિસ્તરવાનું સ્વીકાર્યું. એમણે વહીવટ અંગ્રેજીમાં કર્યો, પણ ફાર્બસ જેવા તો ‘સાહિત્ય સભા’ સુધી પણ પહોંચ્યા. અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરવાનું કોઈ રીતે ફરજિયાત ન હતું, પણ તેમણે ગુજરાતી સ્કૂલો શરૂ કરી, એટલું જ નહીં, કન્યા કેળવણીનો મહિમા સ્વીકારીને કન્યાશાળાઓ પણ સ્થાપી. એ વખતે જેમને જરૂર લાગી, તેમણે અંગ્રેજી શિક્ષણ પણ લીધું ને વધુ અભ્યાસ માટે વિદેશ પણ ગયા, પણ કોઈને

રવીન્દ્ર પારેખ

ગુજરાતી આટલી ખટકી નથી જેટલી હાલની ગુજરાત સરકારને ખટકી રહી છે. એ અત્યંત દુ:ખદ છે કે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરી ને ગુજરાત સરકારે તે બંધ કરી, અંગ્રેજી માધ્યમની શાળાઓને ઉત્તેજન આપ્યું. આ કોઈ પણ રીતે યોગ્ય નથી. ગુજરાત ઇંગ્લેન્ડ નથી કે અહીંની માતૃભાષા અંગ્રેજી કરવાનો ઇરાદો રાખવો પડે. અંગ્રેજીનો મને જરા જેટલો ય વાંધો નથી. પ્રાદેશિક ભાષા તરીકે ગુજરાતી, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીનું સન્માન હોય જ !  પણ, ગુજરાતીને ભોગે અંગ્રેજીનો મહિમા અક્ષમ્ય છે.

માનનીય સાહેબ, જરા તપાસ કરાવજો કે છેલ્લા દાયકામાં કેટલી ગુજરાતી સ્કૂલો બંધ થઈ અને અંગ્રેજી માધ્યમની શરૂ થઈ? ગુજરાતી સ્કૂલો બંધ થવા માટે કારણ એવું અપાય છે કે વિદ્યાર્થીઓ નથી મળતા. હસવું આવે એવી વાત છે કે ગુજરાતમાં ગુજરાતી ભણવા ગુજરાતીઓ નથી મળતા ! તો એ ક્યાંથી,  ઇંગ્લેંડથી મળવાના છે? આ કેમ થયું? ગુજરાતીઓ ગુજરાતીથી દૂર ભાગતા કેમ થયા? એને માટે સરકારની નફાકારક નીતિ અને અમીર વાલીઓ જવાબદાર છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અંગ્રેજી સ્કૂલોનો એટલો મારો ચાલ્યો કે અંગ્રેજી વગર ઉદ્ધાર નથી એવું અલ્પ શિક્ષિત વાલીઓનાં મગજમાં ઠસી ગયું ને તેણે રાતોરાત પોતાનાં સંતાનોને અંગ્રેજ બનાવવા તનતોડ મહેનત કરવા માંડી. આખું ગુજરાત, ઇંગ્લેન્ડ, અમેરિકા જઈને ઠલવાવાનું હોય તેમ અહીં વસનારનો વિચાર બાજુ પર મુકાયો. જે વિદેશ જવાના હોય તેમને ભલે સરકાર અંગ્રેજ બનાવે, પણ જે અહીં રહેવાના હતા ને દાળભાત જ ખાવાના હતા એમને અંગ્રેજીથી વટલાવવા જેવું કરવાની જરૂર હતી? એક તરફ ગુજરાતી સ્કૂલો બંધ થતી જતી હતી ને બીજી તરફ અંગ્રેજી માધ્યમની સ્કૂલો, એક ભાષા તરીકે પણ ગુજરાતી ભણાવવા તૈયાર ન હતી. હાઇકોર્ટની ટકોર હતી કે એક વિષય તરીકે દરેક સ્કૂલોએ ગુજરાતી ભણાવવું જ, પણ અંગ્રેજોની ઔલાદ જેવી કેટલીક સ્કૂલો મચક આપતી ન હતી …

ભલું થજો ગુજરાત સરકારનું કે તેણે કેબિનેટમાં ધોરણ 1થી 8માં ગુજરાતી એક વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો નિર્ણય લીધો. સરકાર, વધારામાં સંબંધિત સ્કૂલો સામે ધોરણ 1થી ગુજરાતી ફરજિયાત ભણાવવા અંગેનું બિલ પણ લાવી રહી છે. નવાં વિધાનસભા સત્રમાં સરકાર કાયદો લાવે એમ બને. સરકારે હાઇકોર્ટને ગુજરાતી અંગે બાંહેધરી આપી હતી, તેનો કાયદો થતાં અમલ થાય એમ બને. કાયદો થશે તો ગુજરાતી ન ભણાવતી શાળાઓને બે વાર દંડ થશે ને તે પછી પણ તે ન માને તો સજા થશે. ગુજરાતમાં ગુજરાતી ભણાવવા કાયદો કરવો પડે એવી આ અભૂતપૂર્વ ઘટના પરથી પણ સમજી શકાય એવું છે કે ગુજરાતીઓ ગુજરાતીને કેટલું ચાહે છે !

મારા સાહેબ, ગુજરાતી અંગે બિલ લાવવા બદલ તમને હું અંગત રીતે અભિનંદનો પાઠવું છું ને વિનંતી કરું છું કે નરસિંહ, નર્મદની ગુજરાતી, નમર્દના હાથોમાં ન પડે એટલું જોવાય. આમાંની ઘણી વાતો તમે જાણતા જ હશો, પણ કેટલીક વાતો એટલે દ્રઢાવી છે કે હવે પછી હું જે વાતો કહેવા ધારું છું તેને પુષ્ટિ મળે.

ગયે વર્ષે એટલે કે 2022માં શિક્ષણ વિભાગ દ્વારા અંગ્રેજી-ગુજરાતી મિશ્ર ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની યોજના અમલમાં મુકાઇ. થોડાક અધિકારીઓની ધૂનને પોષવા કે અમુક જૂથની આર્થિક અનુકૂળતાઓ સાચવવા દ્વિભાષી પુસ્તકો તૈયાર કરવાનો નિર્ણય લેવાયો.

ફરીથી કહું છું કે અંગ્રેજી જરૂરી છે, પણ તેની ગુલામી તો ન હોય ને ! અંગ્રેજોની ગુલામી ન રહી હોય તો અંગ્રેજીની શું કામ રહેવી જોઈએ? એક તરફ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માતૃભાષામાં લેવાતી હોય, તબીબી વિદ્યાશાખાનો અભ્યાસ પોતાની ભાષામાં કરવાની અનુકૂળતાઓ ઊભી કરાતી હોય, ત્યાં જાણે ગુજરાતી પણ અંગ્રેજીમાં શીખવવાની વાત હોય તેમ, આ દ્વિભાષી પુસ્તકોની વાત આવી. ખુદ વડાપ્રધાને નવી શિક્ષણ નીતિમાં સાયન્સ, ટેકનોલોજી અને દાક્તરીનાં પુસ્તકો ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરી હોય, ગુજરાતી ફરજિયાત ભણાવવાનું ઠરાવાયું હોય, ત્યાં દ્વિભાષી પુસ્તકનું આખું તર્કટ કોઇકનાં મનસ્વીપણાંની જ ચાડી ખાય છે એવું નથી લાગતું? આવું તો ઘણું શિક્ષણ વિભાગમાં ભર્યું પડ્યું છે.

આ અંગ્રેજી-ગુજરાતી મિશ્ર પાઠ્ય પુસ્તક યોજનાનો જ દાખલો લઇએ તો તે ભાર વગરનાં ભણતરનો છેદ ઉડાડે છે. એક બાજુ ભાર વગરનાં ભણતરને સમર્થન અપાય, તેમ ન થાય તો કાનૂની જોગવાઈ કરી હોય, વાલીઓએ 10મી ફેબ્રુઆરીએ જ સ્કૂલ બેગનું વજન ઘટાડવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હોય, શરીરનાં વજનનું 10 ટકા વજન જ બેગનું  હોવું જોઈએ એવું કહેવાતું હોય ને બીજી બાજુ આ જ શિક્ષણ વિભાગ દ્વિભાષી પુસ્તકો દ્વારા પુસ્તકોનું કદ, વજન ને બમણું કરે તો ભણતર ભાર વગરનું થાય કે આભાર વગરનું તે જોવાનું રહે જ છે. વારુ, આ બધું ખર્ચની રીતે તો બમણું નથી થતું ને તે પણ જોવાનું રહે. પણ આવું કશું શિક્ષણ વિભાગના સિલેબસમાં આવતું હોય એમ લાગતું નથી.

એટલું જરૂર થયું કે ગણિત-વિજ્ઞાનનાં દ્વિભાષી પુસ્તકો છાપવાનો નિર્ણય તમારી દરમિયાનગીરીથી સ્થગિત થયો. આમ તો 17 માર્ચ, 2022ને રોજ શિક્ષણ વિભાગે ધોરણ 6થી 8 સુધી, ક્રમશ: ગણિત-વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્ય પુસ્તકોનાં અમલીકરણનો પરિપત્ર બહાર પાડ્યો, ત્યારે સરકારને વિશ્વાસમાં ન લીધી, એનો કમિટીના જ પાંચ સભ્યોએ વિરોધ કર્યો, તો એમને નજર અંદાજ કરાયા, ન તો શિક્ષણવિદો, શિક્ષકો, વાલીઓને વિશ્વાસમાં લીધા, આના પરથી નથી લાગતું કે આખો શિક્ષણ વિભાગ મનસ્વી રીતે કોઈ તુક્કાને અમલમાં મૂકવાની ગણતરીથી ચાલે છે? જો ભણતર ભાર વગરનું સ્વીકારાયું હોય તો સ્થૂળ બુદ્ધિને પણ  એટલું તો સમજાય કે દ્વિભાષી પુસ્તક તો આપ મેળે જ કદ અને વજન બમણું કરે એમ છે, તો, એનો અમલ કરવામાં થૂંકીને ચાટવા જેવું થશે એવો સાદો વિચાર પણ કોઈ અધિકારીને ન આવે એ સમજાતું નથી. આ વિભાગના સાહેબો બાળકોની બુદ્ધિના સહજ વિકાસને સ્વીકારવાને બદલે ભાષાનું ભારણ વધારવાની માનસિકતાથી પીડાતા હોય એવું લાગે છે. ધોરણ 6થી શરૂ કરીને ક્રમશ: આ યોજના ધોરણ 8 સુધી વિસ્તારવાની વાત હતી, આ વાતની તમને જાણ થઈ ને તમે એ નિર્ણય સ્થગિત કરીને બાળકોની પીઠ પરનો બોજ ઘટાડયો છે, એને માટે બાળકો તમારાં ઋણી રહેશે.

આવું તો ઘણું છે જે ગંભીર વિચારણા માંગે છે. પ્રવાસી શિક્ષકોને મહિનાઓથી પગાર નથી મળતો એ કદાચ તમે જાણતા હો તો એ દિશામાં કશુંક નક્કર કરવા વિનંતી છે. પ્રવાસી શિક્ષક, વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક નીમવા કરતાં મૂળ શિક્ષકોની નિમણૂક કદાચ વધારે સહેલી છે. આ ઉપરાંત શિક્ષકોને, આચાર્યોને પરિપત્રો ને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરવાનું ઓછું થાય તો એ ભણાવી પણ શકે. એને ભણાવવાની મોકળાશ થાય એવું વાતાવરણ અપેક્ષિત છે, કારણ શિક્ષક થયો છે જ ભણાવવા માટે –

વધારે શું કહું?

આભાર સહ,

રવીન્દ્ર પારેખ

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,0911,0921,0931,094...1,1001,1101,120...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved