Opinion Magazine
Number of visits: 9458187
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમાં, આપણે શું ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 March 2023

રવીન્દ્ર પારેખ

‘એમાં, આપણે શું ?’- ક્યારેક ને ક્યારેક, કોઈક ને કોઈક આ સવાલ પૂછતું રહે છે. આમ તો આ સવાલમાં બેફિકરાઈ અને સ્વાર્થ છે. એ સૂચવે છે કે પ્રજા તરીકે આપણે બહુ મતલબી છીએ. કોઈ પણ રાજ કરે, એમાં આપણે શું? અદાણી, અમીરીમાં 34માં સ્થાને ઊતરી આવે, એમાં આપણે શું? સિસોદિયાએ રાજીનામું આપ્યું, એમાં આપણે શું? રાંધણ ગેસ ઘરમાં 50 રૂપિયા મોંઘો થઈ ગયો ને કોમર્શિયલ ગેસ 350 રૂપિયા મોંઘો થયો. ટૂંકમાં, એક વર્ષમાં ગેસનો બાટલો 203 રૂપિયા મોંઘો થયો, પણ બધા ભાવ જાણે કોઠે પડી ગયા છે. એવું નથી કે ગેસનો કોમર્શિયલનો વધારો સાધારણ માણસને નડવાનો નથી, પણ આપણો જવાબ, ‘એમાં આપણે શું?’- કે ‘એમાં આપણે શું કરી શકીએ?’થી આગળ જતો નથી. યુક્રેન ખતમ થઈ ગયું છે, પણ યુદ્ધ ખતમ થયું નથી, એમાં આપણે શું? બોર્ડની પરીક્ષામાં ચોરી પકડવા તંત્રો સજાગ થઈ ગયાં છે, એમાં આપણે શું? કૂતરાંઓને રાજ્યમાં કરડ-વા લાગ્યો છે ને છેલ્લાં ચાર વર્ષમાં 12.49 લાખ લોકોને કૂતરાંઓ ગુજરાતમાં જ કરડ્યાં છે … કરડે, એમાં આપણે શું? આપણને કરડે ત્યારે જોઈશું. ખરેખર તો કૂતરાંઓએ ઉપકાર માનવો જોઈએ કે માણસો, હજી માણસોને જ કરડે છે, એણે હજી એકાદ કૂતરાને બચકું ભર્યું નથી, જે દિવસે માણસ, કૂતરાને કરડશે ને, ત્યારે એને માણસ-વા એવો વળગશે કે પાણી માંગવા ય નહીં રોકાય.

આજના જ સમાચાર છે કે 472 કિલો કાંદા વેચીને ખેડૂતો ‘કાંદા’ કમાયા. નફો તો ઘેર ગયો, 131 રૂપિયા ભરવાના થયા. જો કે, સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે અંગેનો વાયદો કરેલો, પણ 131ની ખોટ ખાવાની થઈ. એમાં થયું એવું કે સરકાર કૈં વિચારે તે કરતાં ખોટ વહેલી આવી ગઈ. આમ તો ખેડૂત 2 રૂપિયે કિલો કાંદા વેચે છે, પણ ત્યાંથી ગ્રાહક સુધી પહોંચતામાં ભાવ 12 રૂપિયા થઈ જાય છે. બધા જ પોતાનો નફો ચડાવે છે, પણ ખેડૂતને પૂરી કિંમત મળતી નથી ને ગ્રાહક સુધી પહોંચતામાં તેને 10 રૂપિયા, કિલોએ વધારે કાઢવાના આવે છે. એવું જ દૂધનું, અન્ય શાકભાજીનું ને અનાજનું છે. આ જ કાંદા 150 રૂપિયે કિલો પણ વેચાયા છે ને આજે ખેડૂતને કાંદાની પડતર કિંમત તો ઠીક, 131ની ખોટ ખાવી પડે એ સ્થિતિ છે. નફો તો ‘વચ્ચે’ જ રહે છે ને ખોટમાં ઉત્પાદક અને ગ્રાહક રહે છે. સરકારને પણ કમાણી તો થાય જ છે, ફેબ્રુઆરીનો જ દાખલો લઇએ તો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) સરકારને 12 ટકા વધુ મળ્યો છે ને તેનું ફેબ્રુઆરીનું કલેક્શન 1.49 લાખ કરોડ થયું છે. કમાલ એ છે કે આમાં બધાં જ કમાય છે. ખોટમાં માત્ર ઉત્પાદક અને ગ્રાહક છે. પણ, આપણો મૂળભૂત જવાબ એ છે કે- એમાં આપણે શું કરી શકીએ? આપણે કરી શકીએ, પણ કોઈક કારણે આપણે કરવા માંગતા નથી.

ગુજરાતની દરેક શાળામાં ધોરણ એકથી આઠમાં ગુજરાતી ફરજિયાત કરાયું. જે સ્કૂલો ગુજરાતી નહીં ભણાવે એને દંડ થશે ને માન્યતા રદ્દ થશે એવો ખરડો વિધાનસભામાં પસાર થયો. ગુજરાતમાં, ગુજરાતી ભણાવવા કાયદો કરવો પડે એ જ સૂચવે છે કે પ્રજા ગુજરાતીને કેટલું ચાહે છે ! એ સાથે જ મેડિકલના વિદ્યાર્થીઓને બી.પી. માપતાં પણ નથી આવડતું એવી વાત પણ છે. હોય. એ ડૉક્ટર છે, કૈં નર્સ થોડો છે કે બી.પી. માપે? ટૂંકમાં, સ્થિતિ એવી છે કે દવાખાને જાય, તો માણસ વધારે માંદો પડે.

છેતરપિંડી, દુષ્કર્મ, છેડતી, આપઘાત, હત્યાના કિસ્સા રોજ જ પ્રકાશમાં આવતા હોય, તેની આકરી સજા પણ ફટકારાતી હોય, પણ સાધારણ માણસોને એ બહુ સ્પર્શતું નથી. બીજું બધું જવા દઇએ, તો પણ તેમને વધતી મોંઘવારી પણ સ્પર્શતી નથી, તે તો ‘હોય, આવું પણ હોય’, કે ‘એમાં આપણે શું કરી શકીએ? એ તો એવું જ ચાલવાનું’, બોલીને રહી જાય છે. આટલી નિસ્પૃહી ને હાથ ખંખેરી દેનારી પ્રજા બીજે જડવી મુશ્કેલ છે.

બીજી તરફ સરકાર, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા, મધ્યસ્થી કરવા તૈયાર છે – જેવું જાહેર કરે છે ને વિશ્વમાં વધી રહેલી શાખનો પુરાવો આપે છે. કોઈ બજેટ પ્રસ્તુત થાય છે તે રાજ્યને કે કેન્દ્રને તો પ્રજાહિત કરનારું જ લાગે છે, ત્યારે પ્રશ્ન થાય કે બજેટથી મોંઘવારીના જ સંકેત મળતાં હોય તો તેમાં પ્રજાનું કયું હિત સચવાય છે? રાજ્યપાલ પણ કહે છે કે 20 વર્ષમાં ગુજરાતે સર્વાધિક વિકાસ કર્યો છે, ત્યારે એ વિકાસમાં સાધારણ પ્રજા ક્યાંક છે કે કેમ એ પૂછવાનું મન થાય છે. પ્રશ્ન એ પણ છે કે આ કહેવાતો વિકાસ છે કોને માટે? એનાથી વિકસે છે તે કોણ છે? એમાં આ દેશની જ સાધારણ પ્રજા છે કે એનો લાભ બીજા જ લે છે? એ સાચું કે વિદેશમાં ભારતની વાહવાહી થઈ રહી છે, તે એ હદે કે પાકિસ્તાનની પ્રજા પણ ભારતના વડા પ્રધાનને ઈચ્છે છે, ભાષણ કરવા ભારતીય વડા પ્રધાનને બોલાવો – એવું પણ વિદેશમાં સૂચવાય છે. એટલે ભારતની છબી વિશ્વમાં તો ઊજળી થઈ જ છે એમાં શંકા નથી, પણ અહીંની પરિસ્થિતિનો સામનો તો અહીંની પ્રજા જ કરે છે એ પણ ખરું.

એ સાચું કે વિશ્વ આખામાં મોંઘવારી છે, પણ તેની તુલના ભારત સાથે કરવી યોગ્ય નહીં ઠરે. મોંઘવારી વધે છે, તે સાથે જ ગરીબી પણ વધે છે. એક તરફ સરકાર દાવો કરે છે કે ભારતની અર્થ વ્યવસ્થા ઝડપથી વધતી અર્થ વ્યવસ્થા છે. એ સાચું છે તો પ્રશ્ન એ થાય કે 81 કરોડ લોકોને વધુ એક વર્ષ મફત અનાજ આપવાની યોજના લંબાવવી કેમ પડી? સરકારે વધુ એક વર્ષ કરોડો લોકોને અનાજ મફત આપવું પડે એનો અર્થ એ થાય કે હજી એવા કરોડો લોકો છે જેમની અનાજ ખરીદવાની ક્ષમતા નથી. બીજા દેશોની તુલનામાં ભારતની મોંઘવારી ઓછી છે એવું સરકાર કહે છે, પણ મજૂરોનું વેતન ભારતમાં મોંઘવારી સાથે જોડાયેલું નથી, જ્યારે અમેરિકા જેવામાં મજૂરોનું વેતન મોંઘવારી સાથે જોડાયેલું છે. એટલે કે મોંઘવારી વધે તો તે પ્રમાણે વેતન પણ વધે. એવું ભારતમાં નથી એટલે બીજા દેશ કરતાં ભારતમાં મોંઘવારી ઓછી છે એ વાત ગળે ઊતરે એવી નથી.

ફુગાવાનો દર ઓછો થઈ રહ્યો છે એનો અર્થ એવો નથી કે કિંમત ઘટી છે. દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ 110 સુધી વધીને 5 ટકા ઘટી હોય તો લાગે એવું કે 105નો ભાવ થયો છે, પણ સરવાળે એ વસ્તુ 115માં પડે એમ બને. તેનું કારણ એ છે કે મોંઘવારી વધે છે તેમ તેમ વ્યક્તિની ખરીદ શક્તિ ઘટે છે. એટલે કે ભાવ વધે તો વસ્તુ ઘરમાં ઓછી આવે. 20ના ભાવના 5 સફરજન આવતાં હોય, તે 25નો ભાવ થતા 4 આવશે ને પછી ભાવ ઘટીને 24 થશે તો પણ તે 25 કરતાં 1 રૂપિયો ઓછો થશે, પણ પેલા 20 કરતાં તો ચાર વધારે જ છે. એક વાત સ્પષ્ટ છે કે મોંઘવારી વધે તેનાં પ્રમાણમાં વેતન વધતું નથી ને જેમને મજૂરી મળે છે એમનું તો વધતું જ નથી. એટલે જીવન ધોરણ તો નીચું જ જાય છે તે સમજી લેવાનું રહે.

આ બધું જ સામાન્ય પ્રજાને પ્રભાવિત કરે છે, પણ કોણ જાણે કેમ પ્રજા મૂઢની જેમ વર્તતી જણાય છે. તે એટલી મૂઢ લાગે છે કે મોંઘવારી વાગે છે, પણ કોઈ અસર ન હોય તેમ ‘એમાં, આપણે શું?’ની જેમ તે બેફિકરાઈથી વર્તે છે. પ્રજા ભક્ત હોય તો પણ તેને પેટ્રોલ મોંઘું તો લાગે જ છે ને જો મફતથી તેનો કારભાર ન ચાલતો હોય તો, તે મોંઘવારીથી પ્રભાવિત ન થાય એવું તો બને નહીં, છતાં પ્રજા ચૂપ છે. વિરોધીઓની પણ એવી કોઈ પ્રતિક્રિયા નથી કે તેમનો અવાજ ધ્યાને ચડે. એ રીતે જોતાં લાગે છે કે પ્રજા તરીકે આપણને બહુ યોગ્ય સરકાર મળી છે. આપણે આ સરકારને લાયક છીએ એવું વગર જોયે પણ દેખાય છે. સરકારની ભક્તિ કરીએ કે તેને ગાળ દઇએ, પણ, આપણને પ્રજા તરીકેનું કોઈ ગૌરવ કે સ્વમાન નથી એમ લાગે છે. મોટે ભાગની પ્રજા તો અભણ, નિર્ધન અને નિર્માલ્ય જ છે. એને તો માથે કોઈ પણ હોય, બહુ ફેર પડતો નથી. એ પ્રજા પહેલાં માંગીને ખાતી હતી, તે હવે મફતનું ખાય છે ને ઓશિયાળી હોય તેમ ખૂણે પડીને હાંફે છે. જે સૌથી વધુ પીડાય છે તે સાધારણ માણસ ! એ એવો તટસ્થ થઈ ગયો છે કે જે કૈં વીતે છે તે કોઈ બીજાને વીતતું હોય તેમ એ પોતાને દૂર રાખીને જુએ છે. વારુ, જે ‘બનાવવા’માં માને છે તે તો સરકારને ને સ્વજનોને ય બનાવે જ છે. અત્યારની ચૂપકીદી કદાચ ઘણાંને બનાવવામાં જ ખર્ચાઈ રહી છે.

સચ્ચાઈ, અચ્છાઈ લગભગ આઉટડેટેડ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 માર્ચ 2023

Loading

નારીરત્નોની દાબડી

કેતન રુપેરા|Gandhiana|2 March 2023

સંપાદકીય

“હું સ્ત્રી છું. સ્ત્રીઓને સારુ હું સ્ત્રી જેવો બન્યો છું ને તેનું હૃદય ઓળખું છું. પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે અને જ્યાં લગી પતિપણું છૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. આવો પતિ હું મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બહેનોને ઓળખવા લાગ્યો.”

પૂતળીબાઈના ‘મોનિયા’થી લઈને સુભાષબાબુએ ઓળાખાવેલા ‘રાષ્ટ્રપિતા’ની આ વાત છે. મોનિયાથી લઈને રાષ્ટ્રપિતાની આ લાંબી મજલમાં અનેક પ્રયોગો કરતાં કરતાં ને અગણિત અનુભવો લેતાં લેતાં મોહન, મોહનદાસ, મિ. ગાંધી, મો.ક. ગાંધી, ગાંધીભાઈ, કર્મવીર ગાંધી, મહાત્મા, મહાત્મા ગાંધી, ગાંધીજી, ગાંધી, બાપુ, ગાંધીબાપુ … ઇત્યાદી નામે ઓળાખાયેલા-સંબોધાયેલા પુરુષ, મોહનદાસ કરમચંદ ગાંધીની આ વાત છે.

સ્વાતંત્ર્ય ચળવળમાં લાખો સ્ત્રીઓએ તેમની આગેવાનીમાં ભાગ લીધા પછી, હજારો સ્ત્રીઓએ જેલવાસ ભોગવ્યા પછી અને સેંકડો સ્ત્રીઓએ તેમની સાથે પત્રવ્યવહાર કર્યા પછી તો, તકલી ઝાટકીને કહી શકાય કે આ અનેક નામધારી પુરુષે સ્ત્રીના હૃદયને ઓળખ્યું નહિ હોય, એવું બન્યું નહિ હોય અને આત્મકથામાં ‘ધણીપણું’ શીર્ષક તળે નરી નિખાલસતા સાથે કાગળ પર ઉતરી આવ્યા પહેલાં, આ પુરુષે પોતે પતિપણું છોડ્યું નહિ હોય, એવું બન્યું નહિ હોય …

… અને એટલે જ પિતાના મૃત્યુથી એમને જે આઘાત લાગ્યો હતો તેના કરતાં માતાના મૃત્યુના સમાચારથી વધારે આઘાત પહોંચ્યો હતો, અને એટલે જ જીવનની છેલ્લી જેલ આગાખાન મહેલમાં સાથે નજરકેદ બાએ બાપુના ૭૪મા જન્મદિન(૧૯૪૨)ને વધાવતાં પોતાના ધોળા થઈ ગયેલા વાળમાં ફૂલ નાંખ્યાં હતાં.

આટલું જરી ઓછું હોય તો એ ય ઉમેરી શકાય કે એટલે જ કદાચ કુટુંબની દીકરી મનુબહેને એમની પાસેથી માનો પ્રેમ મેળવ્યો હશે; ‘બાપુ–મારી મા’ કહ્યું હશે. અને આશ્રમ બહાર ફીકી કહેવાતી રસોઈ પણ પ્રેમમાધુર્યથી જમાડવાને કારણે ગંગા‘બા’ કહેવાયેલાં ગંગાબહેન વૈદ્યે આમ કહ્યું હશે : “મૃત્યુ પછી બીજો જન્મ કેવો હશે, એમ આપણાં મનમાં થાય છે. પણ હું તો આ જિંદગીમાં જ બે જન્મો અનુભવી ચુકી છું. બાપુજી પહેલાનાં સંસારના રગડાઓમાં ભરાયેલું મારું જીવન, અને બાપુજીના સમાગમમાં આવ્યા પછીનું આ ધન્યજીવન. બાપુજીનો પવિત્ર પ્રેમ, સહાનુભૂતિ ને કરુણા મળતાં મને અમૃતસંજીવની મળી. મારા જીવનને હું સાર્થક કરી શકી. આ અનુભવ મારી એકલીનો નથી, મારા જેવી લાખો બહેનોનો, લાખો ભાઈઓનો, લાખો દીકરાઓનો છે.” પારસમણિના સ્પર્શે લોખંડ સોનું બની જતું હોય છે. આ તો ખુદ પંચધાતુ સમાં બહેનો હતાં. ગાંધીવિચારના સ્પર્શથી તેઓ રત્નમાં પરિણમ્યાં.

તો, ‘સ્ત્રી’ એવા પુરુષ અને ‘મા’ એવા બાપુની પાયારૂપ વાતથી હવે તે સંબંધિત પુસ્તક અને તેમાં સમાવાયેલી બહેનો, નારીરત્નો–પુસ્તકના વિશેષ સંદર્ભે ગાંધીવારસાનાં નારીરત્નો–પર ઉતરી આવીએ તો પુસ્તકમાં સમાવિષ્ટ અડધોઅડધ બહેનો, જીવનના બહુ નાજુક અને એટલા જ વિકટ સંજોગોમાં ગાંધીપ્રેરિત સ્વરાજની લડતમાં જોડાઈ હતી અથવા જોડાઈ પછી એવા સંજોગો સર્જાયા તો જીવનના ભાર તળે દબાઈ જવાને બદલે બમણા જૂસ્સાથી આ લડતમાં ઝુકાવ્યું-ઝંપલાવ્યું હતું. કોઈએ બાળ વયે જ માતા ગુમાવી હતી તો કોઈએ પિતા. કોઈએ પતિ તો કોઈએ ભાઈ-બહેન. કોઈએ તો એક પછી એક કુટુંબના બધા સભ્યો ગુમાવ્યા હતા. અને ભલે આંગળીના વેઢે તો આંગળીના વેઢે; એવા કિસ્સા ય ગણી શકાય એમ છે કે જેમાં કુટુંબનો વિરોધ છતાં, બાપુનો સાથ છોડ્યો ન હતો, સ્વરાજની લડત મૂકી ન હતી. ઊલટું, એમના જીવનમાં બાપુની પ્રત્યક્ષ હાજરી અને તેમનાં લખાયેલા અનેક પત્રોએ ઘણાં નારીરત્નોનાં જીવનની ધાર્મિક-આધ્યાત્મિક ઉન્નતિમાં પણ પ્રેરક ભૂમિકા ભજવી હતી.

આ અને આવાં બધાં – જમનાબાઈ સક્કઈ(૧૮૬ર)થી લઈને કોકિલાબહેન વ્યાસ – નિરંજનાબહેન કલાર્થી (૧૯૩૯) સુધી ૭૭ વરસના જન્મઅંતરાલ પટ સુધીનાં – નારીરત્નોનાં જન્મથી લઈને જીવનકાર્યને સંક્ષિપ્તમાં આલેખતા લેખોનો આ સંચય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતના સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપિકા મોસમ ત્રિવેદીએ ગાંધીની જ જન્મભૂમિ કાઠિયાવાડના ઐતિહાસિક અખબાર ‘ફૂલછાબ’માં ‘ગુર્જર નારી’ કૉલમ તળે લખાયેલા લેખોનો આ સંપાદિત સંચય છે. લેખિકા નિવેદનમાં લખે છે તેમ એમનાં પીએચ.ડી.ના સંશોધનકાર્ય દરમિયાન ગાંધીજી સાથે ખરા અર્થમાં સંપર્ક થયો ને ભવિષ્યમાં તક મળી ત્યારે સ્ત્રી હોવાના નાતે, સ્ત્રીશિક્ષણમાં રસ હોવાના નાતે ને સમાજશાસ્ત્રનાં અભ્યાસી હોવાના નાતે, આ સંપર્ક વધુ અભ્યાસ અને લેખન સ્વરૂપે ‘ગુર્જર નારી’ કૉલમ રૂપે ખીલ્યો. એક એક કરતાં સિત્તેરેક નારીઓ વિશે લખાયું. અગાઉથી આયોજનપૂર્વક લખાયું, કોઈ નારીનું સન્માન થતાં લખાયું, તો ક્યારેક કોઈની અણધારી વિદાય થતાં પણ લખાયું. આમ, અલગ અલગ સમયે અલગ અલગ પ્રાથમિકતાએ લખાયું. ચોક્કસ સાલવારી કે ભૌગોલિક પ્રદેશ કે બીજા કોઈ માપદંડ વગર આ લખાયું. એટલે વાચકને અહીં મહારાષ્ટ્રમાં જન્મેલાં લક્ષ્મીબહેન ખરે વિશે પણ વાંચવા મળે, કેમ કે આશ્રમમાં પંડિત નારાયણ મોરેશ્વર ખરેની સંગીત શિક્ષક તરીકે નિમણૂક થતાં તેમનાં પત્ની લક્ષ્મીબહેન પણ સાથે જ આશ્રમવાસી તરીકે જીવ્યાં ને આશ્રમ વિખેરાયો ત્યાં સુધીમાં તો ગૂર્જરનારી બની, ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનીને રહ્યાં; તો બીજી બાજુ મૂળ ગુજરાતનાં કેટલાંક નારીરત્નો વિશે લેખ ન પણ મળે. કેમ કે, ગાંધીવિચાર સાથે જોડાયેલાં નારીરત્નો સાથે સાથે સાહિત્ય-સમાજ-કળા ઇત્યાદી ક્ષેત્રની ગૂર્જરનારીઓ વિશે પણ લખાતું ગયું. લખતાં લખતાં જેમ જેમ નામો સામે આવતાં ગયાં એમ લખાતું ગયું. સાપ્તાહિક કૉલમની સમય, શબ્દ, અભ્યાસ, અભિવ્યક્તિ જેવી જે કોઈ પણ મર્યાદા રહેતી હોય એ બધાં વચ્ચે લખાતું ગયું – ને હવે વિજ્ઞાન ક્ષેત્રની બહેનો વિશે લખવું એવું નક્કી થયું તો આ મુકાઈ પણ ગયું.

એટલે પાઘડીનો વળ છેલ્લે વાળતાં, આ બધી મર્યાદાઓ વચ્ચે ને છતાં, ગાંધીવારસાનાં કુલ ચોસઠ નારીરત્નોનાં પ્રદાનને એક સાથે પ્રમાણસરની વિગતપૂર્ણ રીતે સમાવતું, ગુજરાતી ભાષાનું ને એથી કરીને કોઈ પણ ભાષાનું આ પહેલું પુસ્તક હશે?

ખેર! ગાંધીજીપ્રેરિત સ્વરાજની લડતમાં ભાગ લીધેલી માત્ર ગુજરાતી નારીઓનાં નામ પણ ગણવા બેસીએ તો કોને યાદ કરીએ ને કોને ભૂલીએ જેવો ઘાટ થાય. બહુ ઓછાં જાણીતાં ને સ્થાનિક સ્તરે સક્રિય એવાં ભાવનગરનાં સોનાબાઈ કાનજીભાઈ બારૈયાથી લઈને ‘ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગૌરવ’ કહેવાતાં હંસા મહેતા સુધીનાં, સૌના પ્રદાનને સમાવવા તો પાંચેક પુસ્તકોની શ્રેણી જ કરવી પડે. આ તો નારીરત્નોની દાબડી માત્ર છે. આશા રાખીએ કે ભવિષ્યમાં લેખિકા કે અન્યો દ્વારા આ આદરેલું પૂર્ણ થાય. કેમ કે, સંપાદક તરીકે આ લેખોમાંથી પસાર થતાં એવો અનુભવ રહ્યો છે કે આમાંનાં ઘણાં નારીરત્નોનાં જન્મ-અવસાનનાં વર્ષ અને છબી સહજપ્રાપ્ય નથી. તો કેટલાંકમાં તેમની સત્યાગ્રહ અને રચનાત્મક પ્રવૃત્તિની વિગત અલ્પમાત્રામાં મળી આવે છે. આ સંજોગોમાં, આવા કિસ્સામાં મુદ્રિત સામગ્રીથી આગળ વધીને પરિવાર-સંસ્થા સાથે સીધો સંપર્ક-સંવાદ અનિવાર્ય છે. થોડા વ્યક્તિગત અને સંસ્થાગત સહકાર થકી, એ ખોટને ઘણે અંશે પૂરી શકાઈ છે. તેમ છતાં, ભાગલા વખતે પુનર્વસનનું અસાધારણ કામ કરનાર કમળાબહેન પટેલ જેવાંની છબી, તો ગાંધીજીએ આત્મકથામાં જેને ‘મળ્યો’ જેવા સદાબહાર શીર્ષકે પોંખ્યો એવા એક નહીં, અભરાઈએ ચઢાવી દીધેલા અનેક રેંટિયા ઉતરાવનાર ગંગાબહેન મજમુદાર જેવાનું જન્મ-અવસાનનું વરસ પ્રાપ્ય થઈ શક્યું નથી.

આવા થોડા નાના-મોટા અફસોસ વચ્ચે, ઘણો આનંદ છે. ગુજરાતની “સામાજિક નિસબતની ઉજ્જવળ પરંપરાનો વારસો સંવર્ધિત કરવા” એવાં પુસ્તકો પ્રકાશિત થાય “જે માત્ર સમાજનો અરીસો ના બની રહે પણ સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનની દિશામાં રાહબર પણ બને” એવા સમાજશાસ્ત્રી-પ્રકાશક ગૌરાંગ જાની અને તેમના અણમોલ પ્રકાશનના આ બીજા પુસ્તકને સંપાદકનો આવકાર છે – વાચકો એને પોંખશે, એવો વિશ્વાસ છે.

Email: ketanrupera@gmail.com

Loading

ભારતની જેલો : કારાવાસ, કેદખાનું, સુધારગૃહ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 March 2023

ચંદુ મહેરિયા

ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેમના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો.. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે, પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬,૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે, પરંતુ તેમાં ૧૪,૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં, નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.

જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડોકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામ માત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ – પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા , ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે.

જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે.  જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતાં. તેમાંથી ૧,૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતાં. એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.

દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે. પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ-ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જો કે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચા કામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે.

જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવાં કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્ય પ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે,” જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય (અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે. તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.

૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણા રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટા ભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જો કે ૨૦૧૬ની આદર્શ જેલ નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના અધારે રસોડાંની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં.  પરંતુ આ બાબતનો ભાગ્યે જ અમલ થાય છે. અરે, જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે.

ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્ત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્ત્વનાં કાર્યો કર્યાં હતાં. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવાં કાર્યો કરવાના રહે છે.

જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભય પક્ષોએ પાલન કરવું જોઈએ. શંકાના અધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું. જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0831,0841,0851,086...1,0901,1001,110...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved