Opinion Magazine
Number of visits: 9667280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફૂલ સમો મહેકતો માણસ

પ્રીતમ લખલાણી|Diaspora - Features|8 July 2023

પ્રીતમ લખલાણી

મારા તમારા જેવા ત્રીસપાંત્રીસ વર્ષના યુવાનને શરમાવે તેવા કાર્યશીલ નાથાબાપા મૂળ તો નવસારી પાસે આવેલ ટોળી ગામના પટેલ. છેલ્લાં પચ્ચીસ વર્ષથી પણ વઘારે સમયથી તેઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. મૂળ પોતે જન્મે પટેલ એટલે તેમના લોહીમાં જ ખેતી અને માટીની ભીની મહેક મહેકે છે. હાલમાં નાથાબાપાની ઉંમર પાંસઠ વર્ષની આસપાસ હશે! પરંતુ નાનપણથી જ નાથાબાપાએ ખેતીવાડીનું કામકાજ કરેલ હોવાથી તેમને નિરાંતે પલાંઠી વાળીને બેસવું ગમતું નથી!

તેમના દીકરા હરેશ પટેલે દસબાર વર્ષ પહેલાં રોચેસ્ટરમાં એક મોટેલ લીઘી. મોટેલના પાછલા ભાગમાં એક દોઢબે એકરના ટુકડો સાવ પડતર પડેલ. એક બપોરે નાથાબાપાએ મનમાં ને મનમાં વિચારી લીઘું, આ પડતર જગ્યામાં એકાદ નાની સરખી શાક્ભાજીની વાડી ઊભી કરી નાખું તો કેમ રહેશે; આ વિચાર તેમણે પોતાના દીકરાને બેધડક કહી નાખ્યો! હરેશ પટેલે બાપાને ઘીરજ આપતાં જણાવ્યું કે બાપા મને આ દેશના ખેતીવાડીના કાયદા કાનૂનની આંટીઘૂંટીની કશી ખબર નથી. હું આપણા વકીલ દ્વારા બઘી કાયદેસરની તપાસ કરાવી તમને એકાદબે અઠવાડિયાંમાં જણાવું છું. એક સાંજે ડાઈનિંગ ટેબલ પર સહપરિવાર ડિનર લેતા હરેશ પટેલે નાથાબાપાને ખુશખબર આપ્યા કે આપણે મોટેલ પાછળની પડતર જગ્યામાં કાયદેસરની ખેતીવાડી કરી શકીએ! આ બાબતમાં ટાઉનને કોઈ વાંધો નથી.

બીજે દિવસે હજી સવારે સૂરજ ઊગ્યો નહતો. નાથાબાપા કોદાળી અને પાવડો લઈને પડતર જગ્યામાં લાગી પડ્યા. એકાદ અઠવાડિયા જેવા ટૂંકા ગાળામાં તો બાપાએ દોઢબે એકર જમીનને વિનોબાજીની કૃષિપદ્ઘતિથી ખેડી, સાફસૂફ કરી ગુજરાત સૌરાષ્ટ્ર્ સમું ખેતર અમેરિકાની ધરતી પર ઊભું કરી નાંખ્યું!

નાથાબાપા

તે દિવસથી આજની ક્ષણ લગી એટલે કે, છેલ્લાં દસેક વર્ષથી નાથાબાપા માર્ચ એપ્રિલથી મોટેલ પાછળના ખેતરમાં સૂરજ ઊગતાંની સાથે પાવડોકોદાળી લઈને ઑકટોબરના અંત સુઘી કામે લાગી જાય. જૂન-જુલાઈ આવતાં તો બાપાની વાડી શાકભાજીથી લચી પડે! બાપાની દિનરાત મહેનતથી વાડીમાં શાકભાજીનાં ટોપલાં ને ટોપલાં ઊતરે! અઢળક ઊતરતું શાક્ભાજી જો નાથાબાપાની જગ્યાએ બીજી કોઈ વ્યકિત હોય તો તે અમેરિકામાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર સાથે સોદો કરીને વેચી નાખે અને અઢળક કમાય, પરંતુ નાથાબાપાનું હ્રદય, મન સાગરથી વિશાળ. ઢગલાબંઘ ઊતરતાં શાક્ભાજીમાંથી ફકત સાત જણના પરિવારને જોઈએ એટલું રાખી બાકીનું શાક્ભાજી સાફસૂફ કરી મોટીમોટી ગ્રોસરીની બૅગોમાં ભરી. પોતાની કારમાં ગોઠવી, બાપા શહેરમાં વસતાં સગાંસંબંઘી, મિત્રો અને અરસપરસમાં રહેતા અમેરિકન પડોશીના દરવાજે જઈને રોજ મૂકી આવે!

એક બપોરે બાપા જોડે વાડીમાં આંટા મારતાં મારાથી કહેવાઈ ગયું, “તમે આમ રોજરોજ ગ્રોસરીની મોટીમોટી બૅગો શાકભાજીથી ભરીને શહેરના આ ખૂણેથી બીજા ખૂણા સુઘી લોકોના ઘરે પહોંચાડવા કરતાં બઘાને ફોન કરીને કહી દેતા હો, તો કે ફુરસદે વાડીમાં આવીને શાક્ભાજી લઈ જાવ તો, તમને પણ આરામ!”

બાપા હસતાહસતા કહે, “અરે! પ્રીતમભાઈ, આ દેશમાં વસતા આપણા ગુજરાતી પરિવારોની જિંદગી જોઈને ઘણી વાર મને પારાવાર દુઃખ થાય. પતિપત્ની બંને આખો દહાડો કામ કરી સાંજે થાકયાંપાકયાં ઘરે આવે એટલે ચૂલો સળગાવીને થોડાં રોજરોજ રોટલીશાક અને દાળભાત કરવાના. અમેરિકનોની જેમ કૅન ખોલી સ્પેગેટી અને પાંઉના ડૂચા ખાય ટી.વી. જોતાંજોતાં સીઘા બેડમાં. હવે આ બઘાને રોજ વાડીમાં આવીને શાક્ભાજી લેવા આવવાની કયાંથી ફુરસદ મળે! આ સમજીને હું આપણા ગુજરાતી પરિવારોના ઘરની બહાર તાજા શાક્ભાજીની થેલી મૂકી આવું છું. સાંજે ઘરે કામ પરથી આવતાં બારણામાં તાજાં શાક્ભાજીમાં પરવળ, તૂરિયાં, ટમેટાં, વાલોળ અને ભીંડો જૂએ એટલે હોંશેહોંશે બઘી રસોઈ કરવાનું મન થાય અને જો બઘી રસોઈ ન બનાવે તો, ગરમાગરમ શાકરોટલી તો અચૂક બનાવે જ!”

“આમાં કયાં મારો સમય બગડવાનો. સવારે ચારપાંચ કલાકમાં શાકભાજી વાડીમાંથી ઉતારી સાફસફાઈ કરી બાકીનો દિવસ આખો હું નવરો બેસીને શું કરવાનો! બસ મનમાં એક આનંદ થાય કે મારા ઠાકોરજીનો પ્રસાદ આજે ઘણાં ઘરે પહોંચાડ્યો. આ ભાવે જ ઘરેઘરે રોજ શાક્ભાજીની થેલી મૂક્વા જાઉં છું.”    

આ નાથાબાપાનો જીવ કોઈને ખવડાવીને ખુશ થાય, ક્યારેક જો આપણાથી મજાકમશ્કરીમાં કહેવાઈ જાય કે “બાપા, તમે શાક્ભાજીની થેલી મૂકી ગયા હતા ને તે બહુ જ કામ આવી ગઈ; કાલે અમારા ફલાણાફલાણા મિત્ર તેની પત્ની સાથે ઘરે ડિનર માટે આવ્યા હતા. તમારી વાડીનાં પરવળ, તૂરિયાં અને ગલકાંના શાકની મજા માણતાં તેઓ અમને કહેવા લાગ્યાં કે આપણાં નસીબ ક્યાંથી કે અમેરિકામાં આ શાક આપણને ખાવા મળ્યાં!” આપણું આ વાકય પૂર્ણ થયું નથી અને બાપા કહેશે કે “લાવો તમારા ફ્રેન્ડનું સરનામું અને કેવી રીતે તેના ઘરે જવાનું ડિરેકશન! આવતી કાલે સવારે તેમના ઘરે પણ એકાદ થેલી પહોંચાડી દઉં. ભલે તેઓ એકાદ અઠવાડિયું લીલાલહેર કરતાં શાકરોટલીની મજા માણે!”

નાથાબાપાની વાડીનાં શાક્ભાજીની મજા ફકત અમારા ગામના જ મિત્રો માણે છે એવું નથી. ગાંઠનું ગોપીચંદન ઘસીને અમેરિકામાં દૂરદૂર વસતાં સગાંસંબંઘી મિત્રોને બાપા યુ.પી.એસ.થી અથવા ફેડરલ એકસ્પ્રેસથી, નહીંનહીં તો અઠવાડિયે દસથી બાર જગ્યાએ, શાક્ભાજી પહોંચાડવાનો લહાવો માણે.

ક્યારેક મારાથી બાપાને કહેવાઈ જાય કે “બાપા, આ બઘી હાયવોય ગામ માટે શું કામ કરો  છો?”  બાપા કહેશે! “અરે ભાઈ, આ મનુષ્યદેહ કંઈ ઘડીએ ઘડીએ નથી મળવાનો!”

‘આ વેળા આપણે કોઈ જન્મના પુણ્યે મળ્યો છે તો પ્રભુનો પાડ માનીએ! તો પછી શું કામ મનુષ્યને શાભે તેવું જીવન ન જીવવું. આપણે અહીં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા! આ વાડીમાં આપણું શું છે! જે કંઈ છે  તે તો બઘું મારા ઠાકોરજીનું છે! આપણે કોણ? ફકત તેના નીમેલા એક રખેવાળ! ઠાકોરજીને કોઈને આપવામાં વાંઘો નથી તો પછી આપણે રખેવાળે શું કામ નકામો વાઘરી જેવો જીવ રાખવો! જે દિવસે આપણી ઈચ્છાથી આ ખેતરમાં ઊગવા માંડે ત્યારે નહીં આપીએ! પ્રભુનું દીઘેલું છે તો શું કામ બે હાથે ન વહેંચીએ!

ઑકટોબરની જેવી ઠંડી શરૂ થઈ જાય એટલે બાપા ખેતરને બે હાથ જોડી બઘું ઉઠામણ કરી, જાન્યુઆરીમાં ઇન્ડિયા જવા માટે શૉપિંગ કરવા આસપાસના મોલમાં ડિસેમ્બરના અંત સુઘી આંટા ફેરા શરૂ કરી દે.

બેચાર બૅગો છલોછલ ભરાય નહીં ત્યાં લગી બાપા પોતાના ગામના હળપતિના પરિવાર માટે શૉપિંગ કર્યે રાખે. આ બઘી બૅગોમાં પોતાના અંગત કામ માટે કે નજદીકના પરિવાર માટે બાપા સમખાવા પૂરતી એકાદ નાની વસ્તુ પણ ન ખરીદે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની એકાદ સાંજે બાપાને મુંબઇ સહાર ઍરપૉર્ટથી લઈને આવતી ગાડી ટોળીના પાદરમાં પ્રવેશે તેવું જ ગામઆખું બાપાને મળવા હડી કાઢે.

ગાડીમાંથી ઊતરતા જ બાપા ઘરમાં જવાને બદલે ફળિયામાં ખાટલો ઢાળી બઘી બૅગોને વારાફરતી ખોલે. એક પછી એક હળપતિને પરિવાર સાથે બોલાવી બઘાના ખુશખબર પૂછી, છોકરાઓને કૅન્ડી, રમકડાં અને લૂગડાં આપી તમામ બૅગોને સાવ ખાલી કરી ઘરમાં પગ મૂકતા પહેલાં ખિસ્સામાંથી પોતાની રોજિંદી ડાયરીમાં ભૂલેચૂકે જે કોઈ આ વખતે રહી ગયું હોય તેની નોંઘ કરી લે જેથી આવતા વખતે તેમને ભુલાય નહીં!

અમેરિકાથી તમે જો મુંબઈ આવતા હો અને સહાર ઍરપૉર્ટ પર કોઈ સાઠપાંસઠ વર્ષના અમેરિકન પાસપૉર્ટ ધરાવતી વ્યકિતને કસ્ટમ ઑફિસર જોડે અણીશુદ્ઘ ગુજરાતીમાં માથાઝીંક કરતી જુઓ અને તેમના મોઢેથી તમને અચૂક એક વાકય સાંભળવા મળે કે, “તને ઘર્મના સોગંદ ખાઈને કહું છું કે આ બૅગોમાં હું જે કંઈ લાવ્યો છું તે મારા ગામના ગરીબ હળપતિના છોકરાંવ માટે છે. એટલે તું ઈશ્વરને ખાતર આમાં જીવ બગાડ મા, પરંતુ જો તું મારા ગામના હળપતિઓ કરતાં દૂબળો હો તો તું તારે રાજીખુશીથી આ બૅગમાંથી તારા અને તારાં છોકરાંવ માટે જે જોઈએ તે લઈ લે.” આ સાંભળતાની સાથે જ તમારે આંખ બંઘ કરીને માની લેવું કે આ માણસ નાથા પટેલ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓ

સોનલ પરીખ|Opinion - Opinion|8 July 2023

·       ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ

·       આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન

·       લોકો મોં બંધ કરાવી શકશે, વિચારને ચૂપ નહીં કરી શકે   

—    એન ફ્રેન્ક (જન્મદિન 12 જૂન)

આપણે જાણીએ છીએ કે 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધીમાં 60 લાખ યુરોપિયન યહૂદીઓ કતલ થઈ ગયા હતા. આમાંના 15 લાખ બાળકો હતાં. આમાંનાં થોડાં બાળકોએ ડાયરીઓ લખી હતી. આ ક્ષણે એન ફ્રેન્કનું નામ મનમાં આવે જ. એનો જન્મદિન 12 જૂને હતો, એ નિમિત્તે આજે વાત કરીશું એની ડાયરીની. આ ડાયરી સૌથી વધારે પ્રખ્યાત છે એ ખરું, પણ બીજાં પણ ઘણાં બાળકોએ એ સમયની ડાયરી લખી છે. આ ડાયરીઓમાં દુ:સ્વપ્ન જેવાં એ દિવસો દરમ્યાનનાં તેમના અનુભવો અને લાગણીઓ આલેખાયાં છે.

એન ફ્રેન્કની ડાયરી પહેલાં લગભગ સાત વર્ષે મિરિયમ વૅટેનબર્ગ(મેરી બર્ગ)ની ડાયરી લોકો સુધી પહોંચી હતી. પશ્ચિમના વિશ્વએ એક બાળકની કલમે પહેલી વાર હોલોકાસ્ટની ભયાનકતા જાણી હતી. મેરી 1924માં જન્મી. પોલાન્ડ જર્મનીને શરણે ગયું એ અરસામાં એટલે કે 1939માં તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું. 1940ના નવેમ્બરમાં વૅટેનબર્ગ પરિવાર – મેરી તેના માબાપ અને નાની બહેન – ને પોલાન્ડની રાજધાની વૉર્સોના ઘેટ્ટોમાં મોકલવામાં આવ્યો. મેરીની મા અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી એટલે કુટુંબને થોડી સવલતો મળી હતી.

1942ના ઉનાળામાં વૉર્સો ઘેટ્ટોના લોકોને ટ્રેબ્લિંકા લઈ જવામાં આવ્યા. મેરીનું કુટુંબ અને તેના જેવા બીજા દેશોના પાસપૉર્ટ ધરાવતા પરિવારોને બદનામ એવી પાવૈક જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાંથી ફ્રાસ અને ત્યાંથી અમેરિકા પહોંચતા બીજાં બે વર્ષ થયાં. આ વર્ષો દરમ્યાન લખાયેલી મેરીની ડાયરીમાં યહૂદીઓની સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ હતો, જે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલા જ અંગ્રેજી જાણનારા લોકો સુધી પહોંચી ગયો હતો. 1945ની શરૂઆતમાં મેરી બર્ગની ડાયરી છપાઈ અને પ્રગટ થઈ. વૉર્સો ઘેટ્ટો વિશે આ પહેલા કોઈએ વાત કરી નહોતી.

એન ફ્રેન્ક 12 જૂન 1929ના દિવસે ફ્રેન્કફર્ટમાં જન્મી. એ પરિવાર સાથે એમ્સ્ટરડમના એક જૂના મકાનમાં છુપાઈ હતી. એન ફ્રેંકની ડાયરી હોલોકાસ્ટનો ભોગ બનેલા બાળકોની ડાયરીઓમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે.

એનો જન્મ ફ્રેન્કફર્ટમાં. વેપારી પિતા ઑટો અને ગૃહિણી માતા એડિથની એ બીજી દીકરી. જાન્યુઆરી 1933માં નાઝી અત્યાચારો વધી ગયા ત્યારે પરિવાર એમ્સ્ટરડમ ચાલ્યો ગયો. અને ત્યાં ગુપ્તપણે આશ્રય લીધો. એન ફ્રેન્કના પરિવાર ઉપરાંત અન્ય ચાર લોકો એટલે કે કુલ આઠ લોકો બે વર્ષ સુધી આ સ્થળે છુપાયા હતા. વાંકુ વળીને એ જગ્યાએ જવું પડતું. એક નાનકડી બારીમાંથી સાવ નાનું અમથું આકાશ જોવા મળતું અને એ બારીમાંથી ખોબા જેવડું અજવાળું આવતું.

એન ફ્રેન્ક

એનને તેના બારમા જન્મદિને એક ડાયરી ભેટ મળી હતી. તેમાં તે લખવા માંડી. પરિસ્થિતિ, મનની વાતો, બનાવોની વિગત. પણ એક બાતમીદાર પાસેથી મળેલી માહિતી પરથી એન ફ્રેન્ક સહિત કુલ આઠ લોકોને આખરે ૪ ઑગસ્ટ ૧૯૪૪ના રોજ પકડીને કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા. એન અને તેની બહેન માર્ગોટને વેસ્ટરબૉર્કની છાવણીમાં, ત્યાર પછી ઓશવિટ્ઝ અને પછી બર્ગન-બેલ્સેન મોકલવામાં આવ્યા.

એનની માતા એડિથ ફેન્કનું ૬ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ભૂખ અને થાકને કારણે મૃત્યુ થયું. તેના બે મહિના બાદ એન અને તેની બહેન માર્ગોટ બંને બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યા. તેમનાં મૃત્યુની ચોક્કસ તારીખો મળતી નથી. ૧૨ એપ્રિલ, ૧૯૪૫ના દિવસે બ્રિટિશરોએ કોન્સન્સ્ટ્રેશન સેન્ટરમાં રહેલા લોકોને મુક્ત કર્યા, તેમાં એનના પિતા ઓટો ફ્રેન્ક પણ હતા. માંડ એમ્સ્ટરડમ પહોંચી એમણે ડાયરી અને બીજાં કાગળો મેળવ્યાં. 

પહેલીવાર નેધરલૅન્ડમાં આ ડાયરી પહોંચી ત્યારે 1947ની સાલ હતી. 1952માં અંગ્રેજીમાં ‘ડાયરી ઑફ અ યંગ ગર્લ’ નામથી એ પ્રગટ થઈ અને ઝડપથી વિશ્વના સૌથી વધારે વંચાયેલાં પુસ્તકોમાં સ્થાન પામી. એન ફ્રેન્ક હોલોકાસ્ટનો ભોગ બનેલાં તમામ બાળકોનું પ્રતીક બની ગઈ. હોલોકાસ્ટનો ભોગ બનેલાં બાળકોનાં અન્ય લખાણો થોડા વખત માટે આ ડાયરી પાછળ ઢંકાઈ ગયાં. પણ એ ડાયરીએ જે કુતૂહલ અને સહાનુભૂતિ જગાડ્યાં હતાં એને કારણે જ અન્ય ડાયરીઓ પણ પ્રગટ થઈ અને યુદ્ધગ્રસ્ત યુરોપમાં નાઝી દમનનો ભોગ બનેલા યહૂદી બાળકોની તકલીફો પર પ્રકાશ પડ્યો.

આ બાળલેખકોમાં ગરીબ ખેડૂતોનાં બાળકો હતાં. મધ્યમવર્ગનાં વ્યવસાયીઓનાં બાળકો હતાં, ધાર્મિક કુટુંબોનાં, સેક્યુલરોનાં અને શ્રીમંતોનાં સંતાનો હતાં. પણ આ બધાં શ્રદ્ધાળુ હતાં. અમુક જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગી છૂટેલાં નિરાશ્રિતો હતાં, અમુક ક્યાંક ગુપ્તપણે છુપાઈને રહેતાં હતાં. અમુક ઘેટ્ટોમાં રહેતાં, થોડાં કોન્સન્ટ્રેશન કૅમ્પોમાં પણ રહ્યાં હતાં.

આ ડાયરીઓ 1930ના અંત અને 1940ની શરૂઆતમાં લખાયેલી છે, લખનારાં છે જર્મની, ઑસ્ટ્રિયા અને ઝેક પ્રદેશનાં બાળકો. હાથમાં આવ્યાં તેવાં નોટબુક-પેન્સિલથી છુપાઈને ફફડતા જીવે લખવાનું – છતાં એમણે લખ્યું છે કેમ કે મનની વ્યથા ઠાલવવાનો એ એક જ ઉપાય હતો. ઘેટ્ટોમાં રહેતાં બાળકોની ડાયરીઓમાં વિસ્થાપનનો આતંક અને દૂર અજાણી જગામાં અપરિચિત લોકો વચ્ચે નિરાશ્રિત બનીને અનેક અભાવો વચ્ચે જીવાતા જીવનની અસહાયતા છે. અગવડો, ભય, અજાણ્યા માણસો, અભાવો, શરીર તોડી નાખે એવી મજૂરી, ટકવા માટેનો જીવલેણ સંઘર્ષ અને આ બધાં વચ્ચે પણ સર્જનાત્મકતા, આનંદ, રમવાનું ને શીખવાનું ચાલુ રાખવાની કોશિશ. ખૂબ ડાયરીઓ મળી આવેલી ત્યાંથી.

આ બાળકોએ યુદ્ધ પછી નવા દેશોમાં વસવા માટે વીઝા અને ઇમિગ્રેશન પેપર્સ માટે પડેલી તકલીફો, સંસ્કૃતિ અને ભાષાની સમસ્યાઓ, વિખૂટાપણું પણ વર્ણવ્યાં છે. ગેરકાયદેસર રીતે ભાગેલા પરિવારોનાં બાળકોએ તેમની ભયાનક સફરની યાતના અને પકડાઈ જવાના ભયનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. 

જે બાળકો ગુપ્તપણે રહેતાં તેમના પરિવારો જર્મનશાસિત પ્રદેશોમાંથી ભાગીને પૂર્વ અને પશ્ચિમ યુરોપમાં ભોંયરામાં, માળિયામાં, કોટડીઓમાં છુપાયાં હતાં. એમની તકલીફો અને ભય અને ચિંતા અનંત હતાં. આ બાળકોને બહાર જવા કે કોઈને મળવા ન મળતું. નાની એવી જગામાં કલાકો સુધી ચૂપચાપ પુરાઈ રહેવાનું. કોઈના પગલાંના અવાજ પણ એમને ધ્રૂજાવી દેતા. આસપાસના લોકો એમને શંકાની નજરે જોતા. નામ-ઓળખ છુપાવી ખોટા નામે રહેવાનું અને ભૂલેચૂકે કોઈ આવે તો પઢાવેલા જવાબો આપવાના. એમને આશ્રય આપનાર અન્ય ધર્મ પાળનારા હોય તો એમને એ ધર્મોની પ્રાર્થનાઓ શીખવી ને બોલવી પડતી, જેથી પોતે કે આશ્રય આપનાર તકલીફમાં ન મુકાય. એક ખોટું વર્તન ભયાનક જોખમ ઊભું કરી શકે એમ હતું.

અનેક ડાયરીઓ ઘેટો બહાર વસતાં બાળકોએ પણ લખી છે. આ બધી ડાયરીઓ એના લખનારને તો વ્યક્ત કરે છે, પણ સમગ્રપણે એ હોલોકાસ્ટ દરમ્યાન જીવેલાં અને મૃત્યુ પામેલાં બાળકોની કરુણ મનોદશાનો ચિતાર આપે છે. આવી અનેક ડાયરીઓ અમેરિકાના હોલોકાસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે.

એન ફ્રેન્કનું પૂરું નામ એન્નેલીસ મેરી ફ્રેન્ક હતું. તેની ડાયરી કાલ્પનિક મિત્ર કિટ્ટીને સંબોધીને લખાઈ છે. પહેલો સંદેશ જૂન 12, 1942ના દિવસે લખાયો છે. ડાયરી લખવી એ કઠોર વાસ્તવિકતામાંથી બચવાનો પ્રયત્ન હતો. 1944માં રેડિયો પર નેધરલેન્ડના પ્રધાન મંત્રીએ સંદેશ મૂક્યો કે નાઝી અત્યાચારોને લગતા દસ્તાવેજો સૌએ જાળવવા. ખાસ કરીને યહૂદીઓએ, આ સાંભળી એને પોતાની ડાયરીની વિગતો પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું. એન ફ્રાન્કનું સંગ્રહાલય તે જ ઘરમાં છે જેમાં તેણે આશ્રય લીધો હતો. 1959માં જ્યોર્જ સ્ટીવેન્સે ‘ડાયરી ઓફ એન ફ્રેન્ક’ નામની ફિલ્મ બનાવી હતી. તેની અભિનેત્રીને ઓસ્કાર મળ્યો હતો.

એન લખે છે તે યાદ રાખીએ, ‘ડિસ્પાઈટ એવરીથિંગ આઈ સ્ટીલ બિલિવ ધૅટ પીપલ આર ગૂડ એટ હાર્ટ.’ ‘આઈ બિલિવ ઈન સન ઈવન વ્હેન ઈટ ઈઝ રેઈન’ ‘લોકો તમારું મોં બંધ કરાવી શકશે, પણ તમારા વિચારને ચૂપ નહીં કરી શકે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 જૂન 2023

Loading

નૂતન : ‘સીમા’, ‘સુજાતા’ અને ‘બંદિની’ 

સોનલ પરીખ|Opinion - Opinion|7 July 2023

નૂતને ભજવેલાં પાત્રો કશુંક ઝંખતાં અને પોતાનો માર્ગ શોધતાં શોષણથી લઈ આત્મઆવિષ્કાર સુધીના આખા ગ્રાફમાંથી પસાર થતાં. મનોવૈજ્ઞાનિક ગૂંચવણોની શિકાર ‘સીમા’ની ગૌરી, સફળ પણ શોષણનો ભોગ બનતી ને અંતે બધું ફગાવી દેતી ‘સોને કી ચિડિયા’ની અભિનેત્રી લક્ષ્મી, વ્યક્તિ તરીકેના સ્વીકાર માટે સંઘર્ષ કરતી ‘સુજાતા’ની અછૂત સુજાતા, દુ:ખી અને ઘવાયેલી છતાં સ્વાભિમાની ‘સૌદાગર’ની મહેજબીન – નારીવાદના લેબલ વિના આ પાત્રોમાં આત્મશક્તિની આભા છે અને સૂક્ષ્મ આકલન, આગવી સંવાદછટા, ઘણું બધું કહેતી આંખો અને સહજસ્વાભાવિક અભિનયથી નૂતન એને જીવી બતાવે છે

સોનલ પરીખ

4 જૂને વીતેલા યુગની શાનદાર અભિનેત્રી નૂતનનો જન્મદિન હતો. નૂતનના નામ સાથે જે ફિલ્મો યાદ આવે છે તે છે ‘સીમા’, ‘સુજાતા’ અને બંદિની’ – નૂતનને જે ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ મળ્યો એમાંની પહેલી ત્રણ ફિલ્મો. નૂતને જિંદગીમાં માત્ર આ ત્રણ ફિલ્મ કરી હોત તો પણ એ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સ્થાન પામી હોત.

નૂતનનો જન્મ 1936માં. ચાર દાયકાની કારકિર્દી. 80થી વધુ, મોટેભાગે પાત્રકેન્દ્રી, મોટા પ્રોડક્શનની, કલાત્મક, વાસ્તવદર્શી ફિલ્મો. અર્બન રોમાન્સથી લઈને મનોવૈજ્ઞાનિક, અપરંપરાગત પાત્રોમાં છવાઈ જતી નૂતન અભિનેત્રી શોભના સમર્થ અને દિગ્દર્શક કુમારસેન સમર્થની પુત્રી. સંગીત-નૃત્ય શીખી, કૉન્વેન્ટમાં ભણી, સ્વીટ્ઝરલૅન્ડમાં પણ એક વર્ષ ભણી. મિસ ઇન્ડિયા બનનાર એ પહેલી અભિનેત્રી હતી.

નૂતને પહેલો અભિનય 11 વર્ષની ઉંમરે પિતાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં કર્યો. પહેલી હિંદી ફિલ્મ ‘હમારી બેટી’ (1950) શોભના સમર્થે 14 વર્ષની નૂતન માટે બનાવી હતી. નૂતન સારી ગાયિકા પણ હતી. ‘હમારી બેટી’નું એક ગીત ‘તુઝે કૈસા દુલ્હા ભાયે’ નૂતને ગાયું હતું. ‘છબીલી’માં હેમંતકુમાર સાથે ‘લહરોં પે લહર’ પણ ગાયેલું. પણ કારકિર્દી ઊંચકાઈ 1955ની ફિલ્મ ‘સીમા’થી. 60 અને 70ના દાયકામાં ‘સુજાતા’, ‘બંદિની’, ‘મિલન’, ‘અનાડી’, ‘છલિયા’, ‘તેરે ઘર કે સામને’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘ખાનદાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘સૌદાગર’, ‘મૈં તુલસી તેરે આંગન કી’ જેવી ફિલ્મોમાં નૈસર્ગિક પ્રતિભા બતાવી નૂતને ગ્લેમરજગતમાં પોતાની એક સન્માનભરી જગ્યા બનાવી. નૂતન રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર ત્રણે સાથે કામ કરનાર જૂજ અભિનેત્રીઓમાંની એક છે. સાધના અને સ્મિતા પાટિલ નૂતનને આદર્શ માનતાં.

તે વખતની નાયિકાઓ મોટેભાગે ભોગ બનતી, પુષ્કળ રડતી ત્યાગ-કરુણતાની મૂર્તિઓ હતી. નૂતને ભજવેલાં પાત્રો કશુંક ઝંખતાં અને પોતાનો માર્ગ શોધતાં શોષણથી લઈ આત્મઆવિષ્કાર સુધીના આખા ગ્રાફમાંથી પસાર થતાં. મનોવૈજ્ઞાનિક ગૂંચવણોની શિકાર ‘સીમા’ની ગૌરી, સફળ પણ શોષણનો ભોગ બનતી ને અંતે બધું ફગાવી દેતી ‘સોને કી ચિડિયા’ની અભિનેત્રી લક્ષ્મી, વ્યક્તિ તરીકેના સ્વીકાર માટે સંઘર્ષ કરતી ‘સુજાતા’ની અછૂત સુજાતા, દુ:ખી અને ઘવાયેલી છતાં સ્વાભિમાની ‘સૌદાગર’ની મહેજબીન – નારીવાદના લેબલ વિના આ પાત્રોમાં આત્મશક્તિની આભા છે અને સૂક્ષ્મ આકલન, આગવી સંવાદછટા, ઘણું બધું કહેતી આંખો અને સહજસ્વાભાવિક અભિનયથી નૂતન એને જીવી બતાવે છે.

મોટી સ્ટાર હોવા છતાં એ ગ્લેમર-પ્રતિષ્ઠાથી દૂર રહેતી. કે. આસિફની મુગલ-એ-આઝમ પહેલા નૂતનને ઑફર થઈ હતી. તેને સમજાતું હતું અને તેણે કહ્યું પણ, કે પોતે અનારકલીના પાત્ર માટે અનુરૂપ નથી. એટલું જ નહીં, તેણે મધુબાલાનું નામ પણ સૂચવ્યું. ફિલ્મોના અતિશય સ્પર્ધાત્મક વાતાવરણમાં આવું ભાગ્યે જ કોઈ કરી શકે. ‘કાલીગંજ કી બહૂ’ની પડકારરૂપ ભૂમિકામાં તથા ‘મુજરિમ હાજિર’ શીર્ષક હેઠળની દૂરદર્શન શ્રેણીમાં નૂતને અભિનય કર્યો હતો. 

અને છતાં દેવ આનંદે એક વાર કહેલું તેમ નૂતન પર એક ઉદાસીની છાયા હંમેશાં રહી. નૂતન અને તેની મા વચ્ચે મિલકતના પ્રશ્ને વીસ વર્ષ સુધી અબોલા રહ્યા. માંડ સંબંધો સુધર્યા, ત્યાં કેન્સરનું નિદાન થયું. તેણે માને કહ્યું, ‘આઈ, મી સૂટલી. – મા, હું મુક્ત થઈ.’ 1991ની 21મી ફેબ્રુઆરીએ 54 વર્ષની ઉંમરે તેણે ચિરવિદાય લીધી. એક વાર તેણે કહ્યું હતું, ‘અસેન મી, નસેન મી – હું હોઉં કે ન હોઉં, છતાં હું હોઈશ.’ તેના આ શબ્દોને યાદ કરી લલિતા તામ્હણેએ નૂતનનાં સંસ્મરણો આલેખ્યા છે.

તો હવે વાત કરીએ તેની ફિલ્મોની. 

‘સીમા’ 1955ની ફિલ્મ. વૈતરું કરવા છતાં સગાંઓનાં મહેણાં જ ખાઈને મોટી થયેલી અનાથ ગૌરી(નૂતન)નું તરુણ મન, એક દિવસ એને ચોર ઠરાવીને સુધારગૃહમાં માટે મોકલાય છે ત્યારે વિફરે છે. એ નિયમો પાળતી નથી, સામી થાય છે, તોડફોડ કરે છે ને ભાગી જવાનો પ્રયાસ પણ કરે છે. સંચાલક અશોક (બલરાજ સહાની) ખૂબ ધીરજ અને સ્નેહથી તેને શાંત કરે છે, એનામાં રહેલા ઉમદા ગુણો બહાર લાવે છે અને એ ચોર નહોતી એ પણ સાબિત કરે છે. હવે એ સુધારગૃહમાં રહેવા બંધાયેલી નથી. પણ એ ક્યાં જાય? એનું કોઈ નથી. ઉપરાંત એ અશોકને ચાહે છે. અશોક પણ એને ચાહે છે પણ પોતે હૃદયરોગથી પીડાતો હોવાથી ઈચ્છે છે કે એનો ભાઈ મુરલીધર (સુંદર) ગૌરી સાથે લગ્ન કરે. ગૌરી અનિચ્છાએ હા પાડે છે, ત્યારે મુરલીધર એને ખખડાવે છે, ‘અત્યાર સુધી તો કદી કોઈનું માનતી નહોતી અને અત્યારે એ માણસને પડતો મૂકવા તૈયાર થઈ છે, જેણે તને ખરાબ દિવસોમાં સાથ આપ્યો?’ ગૌરી તમામ સીમાઓ તોડી અશોકને કહી દે છે, ‘હું તમારું માનવાની નથી.’

અમિય ચક્રવર્તી આ ફિલ્મના દિગ્દર્શક હતા. ‘દાગ’ ‘પતિતા’ અને ‘સીમા’ એમની યાદગાર ફિલ્મો. દિલીપકુમારને શોધવાનું શ્રેય દેવિકારાણી સાથે એમને પણ જાય છે. દિલિપકુમારને પહેલો બ્રેક અમિય ચક્રવર્તીની ‘જ્વારભાટા’ ફિલ્મથી મળ્યો અને પહેલો ફિલ્મફેર પણ એમની ફિલ્મ ‘દાગ’માં મળ્યો. ‘તૂ પ્યારકા સાગર હૈ’ ‘કહાં જા રહા હૈ’, ‘મનમોહના બડે જૂઠે’, ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની’ ‘બાત બાત મેં રૂઠો ના’ – ‘સીમા’નાં સદાબહાર ગીતો શૈલેન્દ્ર-હસરતે લખ્યાં હતાં અને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં.

‘સીમા’માં નૂતને અભિનેત્રી તરીકેની પોતાની ક્ષમતા સિદ્ધ કરી અને આ ક્ષમતાને પૂર્ણતા બક્ષી બિમલ રૉયે. 1959માં બિમલ રૉયે બનાવેલી ‘સુજાતા’એ નૂતનને ટોચ પર મૂકી આપી. સુબોધ ઘોષની આ જ નામની બંગાળી વાર્તા પરથી બનેલી ‘સુજાતા’માં એક બ્રાહ્મણ દંપતી ઉપેન-ચારુ અનાથ અછૂત કન્યાને સુજાતા નામ આપી ઉછેરે છે, પણ એક અંતર રહી જાય છે. સુજાતા ‘બેટી જૈસી’માંથી ‘બેટી’ બનવા તલસતી રહે છે. ઉપેન-ચારુ પોતાની દીકરી રમા(શશીકલા)નાં લગ્ન અધીર (સુનીલ દત્ત) સાથે કરવા માગે છે, પણ અધીર સુજાતાને ચાહે છે. ઉશ્કેરાયેલી ચારુ સીડી પરથી પડી હૉસ્પિટલાઈઝ્ડ થાય છે ત્યારે સુજાતા એને લોહી આપી બચાવે છે. છેવટે ચારુ સુજાતાને દીકરી તરીકે સ્વીકારી અધીર સાથે એનાં લગ્ન કરાવે છે.

બુદ્ધની જાતકકથા પરથી ટાગોરે લખેલી ‘ચાંડાલિકા’ અને અસ્પૃશ્યતાનિવારણની ગાંધીજીએ ચલાવેલી ઝૂંબેશ આ ફિલ્મના પાયામાં છે. પ્રબળ સંદેશ છતાં એની કલાત્મકતા જોખમાઈ નથી. ફિલ્મને પાંચ અવૉર્ડ મળ્યા હતા. ‘સુન મેરે બંધુ રે’, ‘જલતે હૈં જિસ કે લિયે’, ‘કાલી ઘટા છાય’, ‘તુમ જિયો હજારોં સાલ, ‘નન્હી કલી સોને ચલી’ મજરુહનાં લખેલાં અને એસ.ડી. બર્મનનાં સ્વરબદ્ધ કરેલાં આ ગીતોમાં અનોખી પકડ છે.

અને ‘બંદિની’ – 1959માં નૂતન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલને પરણી. લગ્ન પછી એને ફિલ્મો છોડવી હતી, પણ બિમલ રૉયે આવીને કહ્યું કે જો નૂતન નહીં કરે તો પોતે ‘બંદિની’ બનાવશે જ નહીં. વાર્તા સંભળ્યા પછી રજનીશ બહલે પણ આગ્રહ કર્યો અને નૂતને એ ભૂમિકા સ્વીકારી.

ફિલ્મ 1934 આસપાસની એક જેલમાં શરૂ થાય છે, જ્યાં કલ્યાણી (નૂતન) ખૂન માટે જનમટીપ ભોગવી રહી છે. ફ્લેશબેકથી આપણે જાણીએ છીએ કે પોસ્ટમાસ્તરની દીકરી કલ્યાણી, અચાનક આવી ચડેલા એક ક્રાંતિકારી બિકાસ(અશોકકુમાર)ને ચાહી બેસે છે. બિકાસ ‘પાછો આવીશ’ કહીને ચાલ્યો જાય છે ત્યારે પિતાને બદનામીથી બચાવવા કલ્યાણી ઘર-ગામ છોડી શહેરમાં ચાલી જાય છે. એને એક પાગલ ઓરતની દેખભાળ કરવાનું કામ મળે છે, જે બિકાસની પત્ની નીકળે છે. એ જ સમયે તેને ખબર પડે છે કે પોતાને શોધવા શહેરમાં આવેલા પિતા અકસ્માતથી મૃત્યુ પામ્યા છે. દુ:ખ અને ગુસ્સાથી ફાટતા મગજે કલ્યાણી બિકાસની પત્નીને ઝેર આપી દે છે ને એ જ આવેશમાં કબૂલાત પણ કરે છે. બધું જાણીને પણ જેલનો ડૉક્ટર દેવેન (ધર્મેન્દ્ર) એને અપનાવવા માગે છે. પણ કલ્યાણી બીમાર, બદહાલ બિકાસની સાથે ચાલી જાય છે – ‘મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી’ – બંદિની શબ્દની અર્થછાયાઓ આમ પ્રેમ અને મુક્તિની ક્ષિતિજોને આંબે છે.

જેલજીવનની સુંદર સત્યકથાઓ લખનાર જરાસંઘ(ચારુચંદ્ર ચક્રવર્તી)ની ‘તમસી’ વાર્તા પરથી ‘બંદિની’ ફિલ્મ બની હતી. તેને સાત ફિલ્મફેર મળ્યા હતા. એસ.ડી. બર્મનના સંગીતમાં ‘મોરા ગોરા અંગ લઈ લે’, ગુલઝારનું પહેલું ફિલ્મી ગીત હતું. બાકીના ‘જોગી જબ સે તૂ આયા મેરે દ્વારે’, અબ કે બરસ’, ‘ઓ જાને વાલે’ અને બર્મનદાનું અદ્દભુત ‘મેરે સાજન હૈ ઉસ પાર’ શૈલેન્દ્રએ લખ્યાં હતાં.

નૂતન અને તેની આ અદ્દભુત ફિલ્મોને એક લેખમાં સમાવતાં હાંફી જવાય. એના જ એક ગીતના શબ્દોથી વિરમીએ, ‘સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની, જૈસે તારોં કી બાત સુને રાત સુહાની …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 જૂન 2023

Loading

...102030...1,0811,0821,0831,084...1,0901,1001,110...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved