Opinion Magazine
Number of visits: 9565303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડો. જયંત ખત્રી : અધા ધી ગ્રેટ

કીર્તિ ખત્રી|Profile|3 June 2023

કર્મનિષ્ઠ પુત્રની પિતાને અંજલિ :

ડો. જયંત ખત્રી વિશેની કેટલીક જાણવા જેવી વાતો

આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના મુખ્ય પ્રણેતા ડો. જયંત ખત્રી એટલે મારા પિતાશ્રી. બે દિવસ પછી મંગળવાર, 6ઠ્ઠી જૂને તેમની પુણ્યતિથિ છે એટલે એમના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો ફરી યાદ કરવાનું ઉચિત ગણાશે. માત્ર વાર્તાકાર નહીં, એક કામદાર નેતા, માનવતાવાદી તબીબ, પ્રામાણિક રાજકારણી, મંત્રમુગ્ધ કરી દે તેવા વક્તા, અનોખા ચિત્રકાર, સંગીતપ્રેમી … સાચા અર્થમાં બહુમુખી પ્રતિભા … એમના જીવનના જુદાં-જુદાં પાસાંઓ વિશે એમના અવસાન પછી ઘણું ઘણું લખાયું છે. છતાં જેમ ડો. ખત્રીની વાર્તાઓને ફરી ફરીને વાંચવાથી નવા અર્થઘટન અને સમજણ ખૂલતા જાય છે  તેમ એમના જીવનના અન્ય પાસાઓનુંયે છે. રંગીન કાચના ટુકડાઓને કેલિડોસ્કોપમાં નાખીને ફેરવવાથી જુદી જુદી ભાત – ડિઝાઇન આકાર પામે છે તેમ જયંત ખત્રીનું વ્યક્તિત્વ પણ જુદાં-જુદાં પાસાંઓને એકસાથે એકઠાં કરવાથી ઉપસતું રહે છે. સાથે સાથે આ તમામ હકીકતોએ તેમની સર્જન પ્રક્રિયા પર પણ અસર કરી હોય એમ માનવાનેય કારણ છે.

આ રીતે વિચાર કરીએ તો  આપણી આંખ સામે બે જયંત ખત્રી તરી આવે છે. એક જયંત ખત્રી એટલે કર્મવીર જયંત ખત્રી. ગીતાના સંદેશમાં છે તેમ આંખ મીંચીને કર્મ નિભાવતા જયંત ખત્રી અને બીજા સાવ અલગારી જયંત ખત્રી. એક જયંત ખત્રી દુનિયાની માયાજાળમાં ઓતપ્રોત લાગે તો બીજા દુનિયાથી પર હોય એવા એકાકી જીવ લાગે. કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો બજાવવામાં તેમણે ક્યારે ય પાછીપાની કરી નહોતી. આખો દિવસ કાર્યમાં રત રહેતા. માંડ ચાર-પાંચ કલાકની ઊંઘ લેતા. માંડવીમાં રાતે દવાખાનું બંધ થયા પછી જીમખાને જતા. ક્યારેક જમ્યા વિનાયે ક્લબમાં જતા. અનિદ્રા જેવું હતું, પણ મૂળ તો કોઇ બેચેની, કોઇ અજંપો એમને હોય એવું લાગ્યા કરે. સંભવત: તેથી જ ઘણીવાર એવું બનતું કે જીમખાનામાંથી પાછા ફરતાં રાતે દોઢ-બે વાગ્યે. જયંત ખત્રી ઘેર આવવાને બદલે દરિયા તરફ જતા રહે. રાતના ઘોર અંધકારમાં ઘૂઘવતા સાગરની ડરામણી મુદ્રા વચ્ચે ય જયંત ખત્રી સિગારેટ પર સિગારેટ ફૂંકતા રહેતા. સમય જાણે થીજી જતો. ચાર-પાંચ કિ.મી. જેટલા વિસ્તારમાં માણસ જોવા ન મળે એવા નિર્જન કિનારા પર કલાકો સુધી બેસી રહીને જયંતભાઇ વિચાર્યા કરતા. તો ક્યારેક અમારા ઘરની ત્રીજા માળની અગાશીની પાળ પર બેસીને મોડી રાત્રે તેઓ વાયોલીન કે દિલરૂબાના સૂરમાં પોતાની જાતને જાણે ભેળવી લેતા અને છતાંયે જીવને શાંતિ ન મળે તો દરિયાની વાટ પકડી લેતા. બેચેની અને અજંપાની વાત આવે કે તરત જ જયંતભાઇની મોટી, ચમકતી આંખો યાદ આવે. એમના ચહેરા પર નજર કરતાં જ અતિ પ્રભાવશાળી આંખો તમારું ચિત્ત હરી લે. હોલીવૂડનો પ્રખ્યાત અભિનેતા યુલ બ્રિનર યાદ આવી જાય. મેગ્નિફિસન્ટ સેવન, તારાશ બુલ્બા અને બેનહર જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતાના શિખર સર કરનાર યુલ બ્રિનર માથું મુંડાવેલું જ રાખતો. પણ તમે એના ચહેરા પર નજર કરો તો મોટી માંજરી આકર્ષક આંખો તમને જકડી લે. જયંતભાઇની આંખો પણ એવી જ. ક્યારેક એમાં વહાલનો દરિયો ઉછળતો દેખાય તો ક્યારેક આક્રોશના તણખાયે જોવા મળે. આવી અનોખી આંખોવાળા જયંતભાઇ ક્યારેક બપોર પછીના સમયમાં આરામ ખુરશી પર લંબાવીને બારી બહાર આકાશ તરફ મીટ માંડી લાંબા સમય સુધી જોયા કરતા. આ રીતે આકાશમાં ખોવાઇ જવું અને દરિયા પર ઘૂમવું એ જયંતભાઇની વિચારપ્રક્રિયાનો ભાગમાત્ર હતા. સામાન્ય માણસ અને એના કલ્યાણને કેન્દ્રમાં રાખીને ફિલસૂફની જેમ વિચારતા રહેતા.

આવા વિચારમંથનને લીધે જ પોતાના તમામ કર્મક્ષેત્રો માટે જયંતભાઇ એક આગવી દૃષ્ટિએક `વિઝન’ વિકસાવી શક્યા હતા. સંભવત: તેથી જ દરેક ક્ષેત્રમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું એ વિશે તેઓ સ્પષ્ટ હતા. દા.ત. કર્મચારીઓના વિશાળ હિત ખાતર હડતાળનું શસ્ત્ર ઉગામવામાં વાંધો નહીં, પરંતુ કોઇ ભ્રષ્ટાચારી કર્મચારીને બચાવવા માટે યુનિયન મેદાને પડે એ જયંતભાઇને મંજૂર નહોતું. એકવાર એક કંડક્ટર `કટકી’ કરતાં ઝડપાયો અને એનો કેસ યુનિયન પાસે આવ્યો ત્યારે જયંતભાઇ ગુસ્સે ભરાયા હતા.

તેમના વિશે આટલી વાત કર્યા પછી કુટુંબ જીવનની વાત કરીએ. એક જીનિયસ કહી શકાય એવી બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ સામે કુટુંબની સ્થિતિ કેવી હતી ? માંડ લખતા વાંચતા આવડે એવા જીવનસાથી અને રૂઢિચુસ્ત વડીલો. વિરોધાભાસી પરિબળોથી દ્વંદ્વ પેદા થાય એવી સ્થિતિ હતી. છતાં ક્યાંયે ટક્કર સર્જ્યા વિના કુટુંબજીવન તેમણે નિભાવ્યું. એમની સાહિત્યિક કે જાહેરજીવનની બીજી કોઇ પ્રવૃત્તિ ક્યારે ય કુટુંબ જીવનમાં અવરોધક બની નહીં. ખરેખર તો કુટુંબ વ્યવસ્થા એવી હતી કે જયંતભાઇ માટે જાહેર પ્રવૃત્તિ કરવાને પૂરતી મોકળાશ હતી. ડો. જયંત ખત્રી સાવ નાના હતા ત્યારે પિતાનું છત્ર ગુમાવેલું. મોટાભાઇ શિવજીભાઇએ તેમને ઉછેર્યા અને ડોક્ટર બનાવ્યા. મુંબઇમાં માટુંગા અને કરી રોડ એમ બબ્બે સ્થળે દવાખાના ધૂમ ચાલે. ગુજરાતી સામયિકોમાં ડો. ખત્રીનાં ચિત્રો નિયમિત પ્રસિદ્ધ થતાં. પણ બકુલેશ સાથેની દોસ્તીએ તેમને વાર્તા લખવા પ્રેર્યા. પણ પ્રથમ પત્નીના અવસાનનો આઘાત અને એ પછી પેદા થયેલી સ્થિતિમાં ડો. ખત્રી મુંબઇની ધીકતી કમાણી છોડી કચ્છ પાછા ફર્યા અને માંડવીમાં દવાખાનું શરૂ કર્યું. અમે પાંચ ભાઇ અને મોટા બહેન સૌ પિતાજીને `અધા’ કહેતા. એમની સાથે અમે કચ્છમાં ખૂબ ફર્યા છીએ. માંડવીની આસપાસનો દરિયા કિનારો તો અમે અવારનવાર ખૂંદતા રહેતા. માંડવીમાં મિત્રો અને સાથી સર્જકો સાથે સાહિત્ય વિષયક ચર્ચા કરવાનું જયંતભાઇને ગમતું. કેટલીયેવાર અમારે ઘેર રાતે લેખકોનો ડાયરો જામતો. અધા પોતાની વિશિષ્ઠ શૈલીથી ચર્ચામાં ભાગ લેતા અને ખાસ તો કોઇ નવી વાર્તા લખવા ધારી હોય તેની માંડીને વાત કરતા. 

તેમની આ એક ખાસિયત હતી. તેઓ વાર્તા લખતાં પહેલાં વાર્તા કહેતા. એક જ કથાવસ્તુની જુદા જુદા દૃષ્ટિકોણથી રજૂઆત કરતા અને સાથી મિત્રોના પ્રતિભાવ પણ જાણતા. ક્યારેક કથા ફલેશબેક પદ્ધતિએ કહેતા તો કયારેક `હું’ને સામેલ કરીને તો કયારેક વળી ત્રીજી રીતે. વાર્તાલેખનમાં પણ જયંતભાઇ એક જ વાર્તાને જુદી જુદી રીતે રજૂ કરતા અને આખરે અંતિમરૂપ આપતા. તેથી જ તેમની વાર્તાઓ સંઘાડા ઉતાર લાગે છે. કેટલીકવાર તેમણે ચર્ચેલી વાર્તાઓ પાછળથી લખાઇ જ ન હોય એવુંયે બન્યું છે. ચર્ચા દરમ્યાન સાથીઓના ટેલન્ટની કસોટીયે કરતા અને પછી હીરાપારખુની જેમ અલગ તારવી લેતા. `સર્જકને ઘડવામાં વાતાવરણ ભાગ ભજવે છે કે પછી એ શક્તિ વારસાગત દેન છે.’ એ વિષય પર પાર્લા અધિવેશન વખતે સાથી સર્જકો સાથે ચર્ચા કરી હતી. એક તરફ કવિવર ટાગોરના કલાવૃત્તિથી છલકાતા પરિવારનો દાખલો આપ્યો હતો તો બીજીતરફ બકુલેશને મૂક્યા હતા. બકુલેશના માતા-પિતા બિલકુલ અભણ. બકુલેશ જાતે પણ બહુ ભણ્યા નહોતા. છતાં પશ્ચિમના સાહિત્યના મોટા અભ્યાસી હતા અને ટૂંકી વાર્તામાં નવો ચીલો પાડયો હતો. તો ભુજના મિત્રો સાથે અશ્લીલતાના મુદ્દે થયેલી ચર્ચામાં જયંતભાઇએ મૂળ મુદ્દો દૃષ્ટિનો છે એવું વિધાન કરીને ઉમેર્યું હતું કે એક તરફ સૌંદર્યવાન મોડેલ જેવી નિર્વત્ર સ્ત્રી છે તો બીજીતરફ ભૂખમરાથી સબડતી ગરીબ સ્ત્રી કે જેને અંગ ઢાંકવા માટે કપડુંયે નથી – એ પણ નિર્વસ્ત્ર છે. અશ્લીલ કોણ ? એ સમયે ખત્રીએ બે રેખાચિત્રો પણ ફટાફટ દોરી આપ્યાં હતાં.

ભુજના ખત્રી ચોકમાં મામાઇ ભાઇ સામજીભાઇ મચ્છરને ઘેર પણ જયંત ખત્રીની બેઠકો રાતભર ચાલતી. સામજીભાઇને જ્યોતિષ વિજ્ઞાનમાં રસ એટલે જયંતભાઇની કુંડળીનીયે ચર્ચા થતી. સામજીભાઇના ગુરુ પ્રભુલાલ દવે ભૂસ્તરશાસ્ત્રી હતા અને કચ્છની ખનિજ સંપત્તિ વિશે એમનો ઊંડો અભ્યાસ. એમના સંપર્ક બાદ આશ્ચર્ય લાગે તેવી ઘટનામાં જયંત ખત્રીએ માતાના મઢમાં ફટકડીનું કારખાનું નાના પાયે શરૂ કર્યું હતું. એ સમયે કચ્છ `ક’ વર્ગનું રાજ્ય હતું. ખનિજ માટે લીઝ કેમ લેવી એના નિયમોયે પૂરતા ઘડાયા નહોતા, એ સમયે તેમણે આ સાહસ કર્યું હતું. ટ્રાન્સપોર્ટેશનની કોઇ વ્યવસ્થા નહીં. ગધેડાઓ પર ફટકડીના થેલા નાખીને કોટેશ્વર બંદરે માલ લઇ જવાયો. મોટા ઓર્ડર મળતાં માલ મુંબઇ મોકલવાનો હતો પણ જૂન મહિનામાં આખરની મોસમ શરૂ થઇ ચૂકી હતી એટલે કોઇ પણ વહાણવાળો મુંબઇ જવા તૈયાર ન થયો. આખરે કોટેશ્વરથી માંડવી સુધીની ખેપ નક્કી થઇ. પણ અફસોસ કે વહાણ માંડવીના બારામાં આવતાં જ માલસાથે ડૂબી ગયું. સાથે જયંતભાઇનું સપનુંય ધરબાઇ ગયું. જયંતભાઇની દૃષ્ટિ અને વ્યક્તિત્વ ક્યાં સુધી વિસ્તરેલા હતા તેનો આ ઉત્તમ દાખલો છે.

જાપાન પર અમેરિકાએ પહેલો અણુબોંબ ઝીંક્યો ત્યારે એના વિશેની તમામ વૈજ્ઞાનિક માહિતી અને આઇન્સ્ટાઇનની થિયરી અંગે જયંતભાઇએ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર વાર્તાલાપ આપ્યો હતો. કામદાર પ્રવૃત્તિને સંબંધ છે ત્યાં સુધી માંડવીનું નાવિક મંડળ અને ભુજનું કચ્છ એસ.ટી. કર્મચારી મંડળ લાંબું ટક્યા નહીં પરંતુ કંડલામાં બંદરીય કર્મચારી સંઘે જયંતભાઇને મોખરાનું સ્થાન અપાવ્યું. કંડલા પોર્ટ ટ્રસ્ટ બોર્ડમાં જયંતભાઇ કામદાર નેતાની હેસિયતથી પ્રથમ ટ્રસ્ટી તરીકે નીમાયા હતા. તેમની સફળતામાં અગાઉ કહ્યું છે તેમ કામદારના સર્વગ્રાહી વિકાસની નીતિએ ભાગ ભજવ્યો છે. કામદારોની સલામતીનો પૂરતો બંદોબસ્ત ઉપરાંત તેમના આવાસ માટે અધાના યુનિયને જમીન મેળવીને નવો રાહચીંધ્યો હતો. આજે કંડલામાં બબ્બે કોલોનીઓ જયંતભાઇના નામ સાથે સંકળાયેલી છે. તો ગોપાલપુરીમાં પોર્ટ કર્મચારીઓને રહેણાકના 3,000 પ્લોટ રાહતભાવે અપાયા તેમાં પણ મૂળ તો જયંતભાઇની દૃષ્ટિ જવાબદાર હતી.

એક વાર કંડલા બંદરે આવેલા ગ્રીસ જહાજની કેબિનમાં બે કાળા મજૂરોને કેદ કરાયા હોવાની માહિતી મળતાં `માનવ અધિકાર’નો મુદ્દો ઉઠાવીને જયંતભાઇના યુનિયને તેમને મુક્ત કરાવ્યા હતા. એ સમયે ઇંદિરાજીનું શાસન હતું. દિલ્હીમાં સાંસદ ભૂપેશ ગુપ્તાએ આ કેસમાં દરમ્યાનગીરી કરી હતી. આમ છતાં જયંતભાઇ જાતે જેના માટે ગૌરવ અનુભવતા એ કિસ્સો તો દરિયાને ખોળે પોઢેલા માંડવીના બાર ખારવાઓના વળતરનો હતો. મધદરિયે એક વહાણ તોફાનમાં સપડાયું અનેડૂબી જતાં બાર જણ સાગરશહીદ થયા. આ કેસનો ઇતિહાસ લાંબો છે પણ સંભવત: આખા ભારતમાં મૃત ખલાસીઓ માટે કોર્ટે વળતર મંજૂર કર્યું હોય એવો આ પ્રથમ બનાવ હતો. તેથી એનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. પણ એથીયે નોંધનીય બાબત અહીં એ હતી કે વહાણમાલિક જે જ્ઞાતિના હતા એ જ્ઞાતિના કેટલાક લોકો કે જેમના ફેમિલી ડોક્ટર જયંતભાઇ હતા તેમણે કોર્ટ કેસ થયા પછી દવાખાને આવવાનું બંધ કર્યું હતું. ટૂંકમાં, વળતરના આ કેસની જયંતભાઇની પ્રેક્ટિસ પર અસર થઇ હતી. પણ આ જ ઘટનાએ `અધા’ને ખારવા જ્ઞાતિમાં ભારે લોકપ્રિયતા અપાવી. અરે, આજે એમના અવસાનના ચાર-ચાર દાયકા પછીયે અમે લોકો ખારવા પાંચાડામાંથી પસાર થઇએ છીએ ત્યારે અવાજ સંભળાય છે … `જો જેન્તી ડોક્ટરનો ગીગો જાયશ …’

આજે એટલા જ ભાવથી ઓળખીતા ખારવા અમને બોલાવે છે … અને છતાં નિયતિનો ખેલ તો જુઓ કે અધાના અંતિમ વરસો દરમ્યાનની ચૂંટણીમાં આ જ વોર્ડમાં એટલે કે ખારવા પાંચાડામાં તેમને સુધરાઇની ચૂંટણીમાં હાર ખમવી પડી. જેના માટે અધાએ પ્રેક્ટિસની પરવાહ ન કરી ત્યાં જ આવો `બદલો’ મળ્યો ! રાજકારણને સંબંધ છે ત્યાં સુધી પણ જયંત ખત્રી શરૂઆતથી જ ડાબેરી વિચારસરણીવાળા હોવા છતાં ઉદારમતવાદી તરીકે જ વર્ત્યા હતા. જે એમની સતત વિચારપ્રક્રિયા અને દૃષ્ટિ `વિઝન’ને આભારી હતા. જાહેર જીવનમાં શુદ્ધતા અને પારદર્શિતાના તેઓ આગ્રહી હતા. 1952ની પ્રથમ લોકસભા ચૂંટણી પ્રો. કે.ટી. શાહ કચ્છમાંથી લડ્યા એની પાછળનાં જવાબદાર કારણોમાં એક જયંત ખત્રી અને એમના સાથીઓયે હતા. કે.ટી. શાહ ડાબેરી ઝોકવાળા સ્વતંત્ર ઉમેદવાર હતા એટલે જયંતભાઇ એમને ટેકો આપે એમાં નવાઇ ન લાગે, પણ 1962માં કચ્છમાં સ્વતંત્ર પક્ષ જેવા મૂડીવાદી રાજકીય પક્ષના ઉમેદવાર તરીકે મ.કુ. શ્રી હિંમતાસિંહજી મેદાને જંગમાં ઊતર્યા અને એમની તરફેણમાં ડો. ખત્રીએ તન-મનથી પ્રચાર ઝુંબેશ ચલાવી. એ ઘટનાએ, ખાસ કરીને એમના યુવાન સાથીઓમાં ચર્ચા અને નારાજગીયે જગાવી હતી. મ.કુ. હિંમતાસિંહજી એટલે રાજવી કુટુંબના નબીરા, સામંતશાહી યુગના પ્રતીકને ટેકો શા માટે – એમ કહીને મિત્રોએ બગાવત કરેલી, પણ ખત્રીએ એ સમયના શાસક પક્ષ કાઁગ્રેસની આપખુદ નીતિઓની તુલનાએ સ્વતંત્ર પક્ષ `લેસર ઇવિલ’ છે એવું કહેલું. આ જ જયંત ખત્રીએ થોડાં વરસો પછી માંડવીના પુલ પર કચ્છના માજી રાજવી વિજયરાજજીનું પૂતળું મૂકવાની દરખાસ્ત સુધરાઇએ કરી ત્યારે વિરોધ કર્યો હતો કારણ કે, કચ્છના વિકાસમાં આ રાજવીનો કોઇ નોંધપાત્ર ફાળો નહોતો એમ તેઓ માનતા.

વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓના પ્રચારને બાદ કરતાં જયંતભાઇનું રાજકારણ માંડવી સુધરાઇ પૂરતું મર્યાદિત હતું, પણ 1962ની વિધાનસભા પેટા ચૂંટણીમાં કોાઁગ્રેસ અને સ્વતંત્ર પક્ષની સમાંતર સભાઓ એકી સમયે મળી હતી ત્યારે તેમણે કરેલું પ્રવચન આજે ય માંડવીવાસીઓને યાદ છે.  આઝાદ ચોક કે અન્ય સ્થળે થતી સામાન્ય સભાઓમાં ખાસ જયંતભાઇને સાંભળવા લોકો આવતા. શાંત અને સ્વસ્થ અવાજે કોઇપણ ઉશ્કેરણી વિના મુદ્દાસર બોલવાની એમની શૈલી હતી. 1962માં ચીને આક્રમણ કર્યા પછી જયંતભાઇની તમામ ટપાલ `સેન્સર’ થતી. એકવાર ભુજ ખાતે પોતાના ડાબેરી મિત્રોને જયંતભાઇએ કહેલું કે, `સેન્સર’થી ડરવાની કોઇ જરૂર નથી. હવે તમે લોકો ખુલ્લા પોસ્ટકાર્ડમાં જ જે કાંઇ લખવું હોય તે લખીને પોસ્ટ કરજો. આઝાદી પછીના બે દાયકા સુધી ભારતભરમાં કાઁગ્રેસનો ડંકો વાગતો હતો, તેવા સમયે માંડવીમાં વિપક્ષની સુધરાઇ હતી. અરે, સાઠના દાયકામાં તો મોટા સલાયા અને મચ્છીપીઠ જેવા માંડવીના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારમાં કાઁગ્રેસના ઉમેદવારને હરાવીને વિપક્ષે જીત મેળવીને સનસનાટી સર્જી હતી. સલાયાની જીત જયંતભાઇ રચિત નાવિક મંડળને આભારી હતી. હરિરામભાઇ કોઠારીના નેજા હેઠળની એ સમયની માંડવી સુધરાઇ સ્વચ્છતા તેમજ  વિકાસની નજરે ગુજરાતમાં બીજા નંબરની ગણાતી.

(કીર્તિ ખત્રી જયંત ખત્રીના પુત્ર)
[પ્રગટ : “કચ્છમિત્ર”; 05 જૂન 2020]
https://www.facebook.com/groups/glauk/posts/2988666154565251/?comment_id=2990418591056674

Loading

લાગે છે ! 

"પ્રણય" જામનગરી|Poetry|3 June 2023

હળવું-મળવું ય સજા લાગે છે ! 

હોઉં તન્હા; તો મજા લાગે છે !  

ખૂબ કંટાળો મને આવે છે,

મારી જેવા જ બધા લાગે છે !    

મારો શબ્દ જ નકામો હો જાણે,

તારું હસવું ય કળા લાગે છે ! 

બંધ પરબીડિયા મહીં કોઈ,

નક્કી વસમી જ બલા લાગે છે ! 

તૂં ઉદાસી છે, તો ગઝલ સાંભળ,

એ જ અક્સીર દવા લાગે છે !    

એને ગમતી નથી ઉદાસ આંખો,

માણસો ખૂબ ભલા લાગે છે ! 

આજ જૂદી જ છે દશા મનની,

આજ જૂદી જ અદા લાગે છે ! 

એમને ઓળખી શક્યા જ નહીં,

આપણી એ જ ખતા લાગે છે ! 

હોય તારી કે મારી; કે સહુની,

એકસરખી જ કથા લાગે છે ! 

જીવ અંદરથી રાજી રાજી છે,

 જાણીતી આબો-હવા લાગે છે ! 

બેસી રહીશું ‘પ્રણય’; તો પસ્તાશું,

કૌરવોની આ સભા લાગે છે !   

તા. ૦૩/૦૫/૨૦૨૧      

Loading

ચલ મન મુંબઈ નગરી—199

દીપક મહેતા|Opinion - Opinion|3 June 2023

૧૯મી સદીના મુંબઈમાં ફેલાયેલો ‘સ્ટેચ્યુમેનિયા’નો રોગ 

કોઈ પણ પૂતળું તોડાય ત્યારે હથોડાની સામે ટાંકણાની હાર થતી હોય છે

 જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.

માણસની સૌથી મોટી ઇચ્છા-આકાંક્ષા કઈ? અમર બનવાની. સદેહે નહિ તો ચિત્ર, પૂતળું, સ્મારક. અંગ્રેજ કવિ બાયરને કહ્યું છે કે ‘પબ્લિક ફેમ’ની ભૂખને કારણે ઊભાં થાય છે પૂતળાં, બાવલાં, પ્રતિમા, સ્ટેચ્યુ. આવાં સ્મારક ઊભાં કરવાં જેટલાં સહેલાં છે એના કરતાં ઘણાં વધારે સહેલાં છે એને તોડવાં. કોઈ પણ પૂતળું તોડાય ત્યારે હથોડાની સામે ટાંકણાની હાર થતી હોય છે.

યરપ અને અમેરિકામાં ૧૯મી સદીમાં ‘સ્ટેચ્યુમેનિયા’નો રોગ ફેલાયેલો એમ કહેવાય છે. રાજ્સત્તાએ, ધર્મસત્તાએ, ધનસત્તાએ જ્યાં જુઓ ત્યાં પૂતળાં ખડકી દીધાં, સ્મારકો ઊભાં કરી દીધાં. બ્રિટિશ શાસન નીચેનું મુંબઈ પણ આ ‘સ્ટેચ્યુમેનિયા’ની અસર નીચે આવ્યા વગર કેમ રહે? પોર્ટુગીઝ શાસન વખતે મુંબઈમાં કોઈ પૂતળું મૂકાયું હોય એવું જાણ્યું નથી. મૂકાયું હોય તો વિસ્મૃતિમાં ધકેલાઈ ગયું છે. પોર્ટુગીઝ સરકારને વેપાર સિવાય, પૈસા કમાવા સિવાય, બીજા કશામાં ભાગ્યે જ રસ હતો. તેમના પછી આવેલી કંપની સરકારને પણ શરૂઆતમાં બીજો કશો રસ નહોતો. મુંબઈના ઉજ્જવળ ભાવિનો વર્તારો જેણે પહેલી વાર ભાખ્યો તે ગવર્નર જેરાલ્ડ ઓન્ગિયારનું નથી ક્યાં ય પૂતળું, નથી ક્યાં ય ચિત્ર.

મુંબઈ શહેર જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ તેનું કેન્દ્ર ખસતું, બદલાતું ગયું. પોર્ટુગીઝ રાજવટ દરમ્યાન અને કંપની સરકારના શરૂઆતના દાયકાઓમાં મુંબઈ શહેરનું કેન્દ્ર હતું કોટન ગ્રીન – હાલનું હોર્નિમન સર્કલ – પર આવેલું સેન્ટ થોમસ કેથીડ્રલ. તેને ‘શૂન્ય’ માનીને બીજી બધી જગ્યાએ માઈલના પથ્થર ખોડાતા.

કોટન ગ્રીન પર આવેલું લોર્ડ વેલેસ્લીનું પૂતળું

કંપની સરકારે મુંબઈમાં સૌથી પહેલું પૂતળું કોનું મૂકેલું એ તો જાણવા મળ્યું નથી. પણ કોટન ગ્રીન વિસ્તારનાં બે પૂતળાં વિશેની માહિતી મળે છે. આ પૂતળાં કદાચ મુંબઈમાંનાં પહેલવહેલાં બ્રિટિશ પૂતળાં. ૧૭૯૭થી ૧૮૦૫ સુધી લોર્ડ વેલેસ્લી બંગાળના ગવર્નર જનરલ હતા. એ જમાનામાં બંગાળના ગવર્નર જનરલ તે હિન્દુસ્તાનમાંના આખા બ્રિટિશ રાજના ગવર્નર જનરલ ગણાતા. મૈસૂર અને મરાઠાઓ સાથેના યુદ્ધોમાં વેલેસ્લીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અને છતાં નસીબની બલિહારી જુઓ : તેમનું આ પૂતળું બનાવવા માટે ગ્રેટ બ્રિટનમાં ઓર્ડર અપાયો. પૂતળું સમયસર મુંબઈ પહોચ્યું. પણ પછી? પછી એને મોકલી દેવાયું ગોડાઉનમાં! સર ચાર્લ્સ ફોર્બ્સ મૂળ તો વેપારી. પણ હિન્દુસ્તાન-પ્રેમી. ‘દેશીઓ’ના હક્કો માટે અવાજ ઉઠાવનાર. તેમના ધ્યાનમાં આવ્યું કે લોર્ડ વેલેસ્લીનું પૂતળું ગોડાઉનમાં સબડે છે. તેમણે સારી એવી મહેનત કરીને એ પૂતળું બહાર કઢાવ્યું અને કોટન ગ્રીન વિસ્તારમાં ટાઉન હોલ નજીક મૂકાવ્યું.

લોર્ડ કોર્નવોલિસનું સ્મારક – કોટન ગ્રીન

કોટન ગ્રીનમાં આવેલું બીજું પૂતળું હતું ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ ઓફ ઇન્ડિયા કોર્નવોલિસનું. તેમનો જન્મ ૧૭૩૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે, અવસાન ૧૮૦૫ના ઓક્ટોબરની પાંચમી તારીખે. બે વખત ગવર્નર જનરલના પદે રહ્યા. ૧૭૮૬ના સપ્ટેમ્બરની ૧૨મી તારીખથી ૧૭૯૩ના ઓક્ટોબરની ૨૮મી સુધી, અને બીજી વાર ૧૮૦૫ના જુલાઈની ૩૦મીથી એ જ વરસના ઓક્ટોબરની પાંચમી સુધી. હિન્દુસ્તાનમાં કંપની સરકારના રાજના પાયા ઊંડા કરવામાં તેમનો સારો એવો ફાળો. હિન્દુસ્તાનમાં કુલ ચાર સ્થળે તેમનાં સ્મારક હતાં : મદ્રાસ, મુંબઈ, કલકત્તા, અને જ્યાં તેમનું અવસાન થયું તે ગાઝીપુર.

સદીઓનાં વહાણાં વાઈ ગયાં છે. દેશ આઝાદ થયો છે. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો સ્થપાયાં છે. એ વાતને ય પાંચેક વરસ થઈ ગયાં છે. ૧૯૬૫ના ઓગસ્ટની ૧૦મી તારીખ. રોજની જેમ વહેલી સવારે વોચમેન હોર્નિમન સર્કલ પર ફરી રહ્યો છે – સબ સલામત છે કે નહિ એ જોવા. પણ ના. આજે સબ સલામત નહોતું. એની નજર લોર્ડ કોર્નવાલીસ અને લોર્ડ વેલેસ્લીનાં પૂતળાં પર પડી. જે જોયું તે પહેલાં તો માન્યું નહિ. આંખો ચોળીને ફરી જોયું : બંને પૂતળાંનાં માથાં ધડથી જૂદાં થઈ ગયાં હતાં. એણે ઉપરી-અધિકારીની ઓફિસ તરફ દોટ મૂકી. એ પોતાની વાત કહી રહ્યો હતો ત્યાં તો શહેરના જુદા જુદા ભાગોમાંથી આવા જ સમાચાર આવવા લાગ્યા. કોઈ પૂતળાનું નાક કપાયું, કોઈનો મુગટ ચોરાયો. અને મ્યુનિસિપાલિટી સફાળી જાગી. થોડાક દિવસમાં બધાં જાહેર સ્થળોએથી અંગ્રેજોનાં પૂતળાં દૂર કર્યાં.

એસ્પ્લનેડ રોડ પરનું ક્વીન વિક્ટોરિયાનું પૂતળું

પણ આ બે ગવર્નર જનરલ કરતાં વધુ બૂરી દશા તો રાણી વિક્ટોરિયા(૧૮૧૯-૧૯૦૧)ના પૂતળાની થઈ. એ જમાનાના પ્રખ્યાત શિલ્પકાર મેથ્યુ નોબલ (૧૮૧૭-૧૮૭૬). તેમણે બનાવેલું રાણી વિક્ટોરિયાનું પૂતળું બ્રિટનથી દરિયાઈ રસ્તે મુંબઈ લાવવામાં આવ્યું. ૧૮૭૨ના એપ્રિલની ૨૯મી તારીખે એસ્પ્લનેડ રોડ – આજનો મહાત્મા ગાંધી રોડ — પર મહત્ત્વની જગ્યાએ મૂકવામાં આવ્યું. આ પૂતળું મુંબઈ શહેરને વડોદરાના ગાયકવાડ તરફથી ભેટ આપવામાં આવ્યું હતું. રાણીનું પૂતળું આઠ ફૂટ ઊંચું હતું પણ તેમને માથે જે છત્રી (કેનોપી) હતી તે ૩૪ ફૂટ ઊંચી હતી. એટલે આખા સ્મારકની ઊંચાઈ ૪૨ ફૂટની હતી. પૂતળું અને કેનોપી બંને, સફેદ આરસનાં હતાં. મુંબઈમાં બ્રિટિશ શાસકોનાં જે પૂતળાં મૂકાયાં હતાં તેમાં આ સૌથી વધુ સુંદર અને પ્રભાવી પૂતળું હતું. હિન્દુસ્તાનમાં મૂકાયેલું આ પહેલવહેલું રાણીનું પૂતળું હતું. પછીથી જ્યાં વિદેશ સંચાર નિગમ(ખાનગીકરણ પછી તાતા કમ્યુનિકેશન્સ લિમિટેડ)ની ઈમારત ઊભી છે ત્યાં રાણીનું પૂતળું મૂકાયું હતું. એ જ શિલ્પકારે બનાવેલું પ્રિન્સ આલ્બર્ટનું પૂતળું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ(આજનું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ)માં મૂકેલું હતું. મૂળ યોજના રાણી વિક્ટોરિયાનું પૂતળું એ મ્યુઝિયમમાં પ્રિન્સ આલ્બર્ટના પૂતળાની બાજુમાં મૂકવાની હતી. પણ કોણ જાણે કેમ, પછીથી તે એસ્પ્લનેડ રોડ પર મૂકવામાં આવ્યું. ૧૯૬૫ના અરસામાં બીજાં પૂતળાંની સાથે રાણીનું આ પૂતળું પણ તેની જગ્યાએથી હટાવવામાં આવ્યું. પણ તેનું નસીબ કઠણ હશે એટલે તેના બે ભાગ અલગ કરવામાં આવ્યા. મુંબઈના એક ઉદ્યોગગૃહે માત્ર કેનોપી ખરીદી લીધી, પૂતળું નહિ. અને એ કેનોપીની નીચે ગોઠવી દીધું પોતાના સ્થાપકનું પૂતળું! અને રાણીનું પૂતળું પહોચ્યું ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં. એટલે મૂળ યોજના પ્રમાણે હવે રાજા-રાણી એક જ જગ્યાએ રહે છે. એ વખતે કહેવાતું કે રાણી વિક્ટોરિયાના સામ્રાજ્યમાં ક્યારે ય સૂર્ય આથમતો નથી. હવે રાણીનું પૂતળું રોજ આથમતો સૂર્ય જુએ છે, ટાઢ-તડકો-વરસાદ ઝીલે છે. અને હવે તો માથા પર પેલી છત્રી પણ નથી!

ગિરગામ ચોપાટી પરનું લોકમાન્ય ટિળકનું પૂતળું

પણ આ પૂતળાં ઊભાં શા માટે કરાય છે? કોણ કરે છે? એક કારણ, કોઈ અગ્રણી વ્યક્તિની સ્મૃતિ જાળવવા માટે. જેમ કે મુંબઈમાં ચોપાટી ખાતે આવેલું લોકમાન્ય ટિળકનું પૂતળું. એ કોઈની સત્તાનું નહિ, લોકોના પ્રેમનું પ્રતિક છે. એ પ્રેમને પારખી જઈને જ અંગ્રેજ સત્તાવાળાઓએ પોતાના બે બે નિયમ નેવે મૂક્યા. ટિળકની અંતિમ ક્રિયા ગિરગામ ચોપાટી જેવી જાહેર જગ્યાએ કરવાની કોર્પોરેશને પરવાનગી આપી અને ગવર્નરે તેને મંજૂરી આપી. અને આ બધું થયું એક રાતમાં. પછી જ્યાં અગ્નિસંસ્કાર થયેલા એ જગ્યાએ ટિળકનું પૂતળું મૂકવાની માગણી પણ સ્વીકારી લીધી. કોર્પોરેશને ૧૯૨૫માં આ માગણી સ્વીકારી. ૧૯૨૬માં ગવર્નરની મંજૂરી મળી. પૂતળું ઊભું કરવા માટે લોકમાન્ય ટિળક મેમોરિયલ કમિટી બની જેના પ્રમુખ હતાં સરોજિની નાયડુ. આમજનતા પાસેથી ઉઘરાવીને જરૂરી પૈસા ઊભા કર્યા. એ વખતના પ્રખ્યાત શિલ્પકાર રઘુનાથ કૃષ્ણ ફડકેને કામ સોંપાયું. ટિળકની હયાતીમાં જ આ શિલ્પકારે તેમની આરસની અર્ધપ્રતિમા બનાવેલી. એ બનાવવા માટે તેમણે ટિળકના મોઢા અને શરીરનું માપ લીધેલું. બધી બાજુથી ફોટા પણ પાડેલા. પછી જે અર્ધપ્રતિમા તૈયાર થઈ તે સાંગલીના લોકમાન્ય ટિળક સ્મારક મંદિરમાં મૂકવામાં આવેલી. એટલે ચોપાટી પર મૂકવા માટેનું પૂતળું તૈયાર કરવાનું કામ ફડકેને સોંપાયું. બે શરતે : તેમણે પૂતળું ૧૮ મહિનામાં તૈયાર કરી આપવું, અને તે માટે તેમને ૧૯ હજાર રુપિયા ચૂકવવા. જો કે પૂતળું મુંબઈમાં નહિ, પણ વડોદરાના એક સ્ટુડિયોમાં તૈયાર થયું. કેટલાંક કારણોને લીધે વિલંબ થતો ગયો. છેવટે ૧૯૩૩ના ઓગસ્ટની પહેલી તારીખે, ટિળકના અવસાન પછી તેર વરસે, પૂતળાની ચોપાટી પર પ્રતિષ્ઠા કરવામાં આવી. અને યાદ રહે, ટિળકના અંતિમ સંસ્કાર અને પૂતળા માટે મંજૂરી આપનાર બ્રિટિશ સરકારે જ ટિળક પર ત્રણ-ત્રણ વખત ‘સેડેશન’ના ગુના સબબ કેસ માંડ્યા હતા અને તેમાંના બે કેસમાં ટિળકને સજા થઈ હતી. એક કેસમાં તો તેમને બર્માના માંડલેની જેલમાં ૧૮ મહિનાની કેદની સજા થઈ હતી. એ જમાનામાં માંડલેની જેલ આંદામાનની જેલ જેટલી જ ખરાબ ગણાતી. અને છતાં એ જ ટિળકના અગ્નિસંસ્કાર ગિરગાંવ ચોપાટી પર કરવાની અને પછીથી ત્યાં તેમનું પૂતળું ઊભું કરવાની મંજૂરી એ જ બ્રિટિશ સરકારે આપી.

દેશને આઝાદી મળી તે પછીનાં પહેલાં ૧૫-૧૭ વરસમાં ‘અંગ્રેજ પૂતળાં હટાવ’ની ઝુંબેશ શરૂ ન થઈ અને છેક ૧૯૬૫ના અરસામાં ઝનૂનપૂર્વક શરૂ થઈ તેનું શું કારણ? એક વ્યક્તિની ડહાપણભરી સૂઝ, સમજ, અને વિચારણા. એ વ્યક્તિ તે દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ. આ પ્રખર બુદ્ધિવાદી રાષ્ટ્રવાદી નેતા માનતા અને વારંવાર કહેતા કે બ્રિટિશ શાસન એ હિન્દુસ્તાનના ઇતિહાસનો એક હિસ્સો છે. એટલે એને ભૂંસી નાખવાનું નથી શક્ય, કે નથી યોગ્ય. તેઓ કહેતા કે આપણે જેમ મોગલ સામ્રાજ્યનાં સ્મારકો જાળવી રાખ્યાં છે, એ જ રીતે અંગ્રેજોએ બનાવેલાં સ્મારકોની પણ જાળવણી કરવી જોઈએ. અલબત્ત, છેલ્લાં વરસોમાં માંદગીને લીધે તેમની પકડ થોડી ઢીલી પડી હતી. એ તકનો લાભ લઈને એ વખતના ‘સમાજવાદીઓ’એ પાર્લામેન્ટના પ્રવેશદ્વાર પાસેના લોર્ડ ઈરવિનના પૂતળાનું નાક કાપી નાખ્યું હતું. આજે તો હવે ભૂતકાળને ભૂંસી નાખવામાં કોણ ચડે એની ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.

આવતા શનિવારે પૂતળાં પારાયણનો અધ્યાય બીજો.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 03 જૂન 2023 

Loading

...102030...1,0801,0811,0821,083...1,0901,1001,110...

Search by

Opinion

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved