Opinion Magazine
Number of visits: 9667280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્સવઘેલો માણસ હરીશ પટેલ …..

પ્રીતમ લખલાણી|Diaspora - Features|9 July 2023

પ્રીતમ લખલાણી

છેલ્લા બે કલાકથી ગૃહના એક ખૂણામાં એક ખુરશી પર બે પગ ચઢાવીને નિરાંતે સભાની કાર્યવાહી નિહાળી રહેલ એક ત્રીસ-બત્રીસ વર્ષના યુવાને ઊભા થઈ પોતાની અસલ સુરતી ભાષામાં પોતાનો અંગત અભિપ્રાય રજૂ કરતાં જણાવ્યું,”મિત્રો, જો ભૂલથી આ નાના માણસથી કંઈ સાચુંખોટું બોલાઈ જાય તો, મહેરબાની કરીને મને માફ કરી દેજો.” પછી પોતાની ઓળખાણ આપતાં કહ્યું, “થોડા વખત પહેલાં હું ઓહાયોથી રોચેસ્ટરમાં સ્થાયી થયો છું. વ્યવસાયે હું એક નાની સરખી ત્રીસ રૂમની મોટેલ ચલાવું છું.” આટલું કહી તેણે ખોંખારો ખાઈને પોતાના મનહ્રદયની પછેડી ખોલી વાતને આગળ દોહરાવી. “છેલ્લા બે કલાકથી આપ સર્વ મિત્રોને આપણાં બાળકોને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે વિશેની ચર્ચા તમે હોંશેહોંશે અંગ્રેજીમાં કરી તેનું મને આશ્ચર્ય થાય છે! ખરેખર આ સભામાં કોઈ એકાદ ઘોળિયો કે પછી આફ્રિકન અમેરિકન આ ઘડીએ અહીં હાજર નથી. આપણે ગુજરાતના અને ભારતના જુદા જુદા પ્રાંતમાંથી અમેરિકામાં સ્થાયી થયેલા સંપૂર્ણ ગુજરાતીઓ છીએ! એમ છતાં આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલવાને બદલે આપણાં પોયરા-પોયરીને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે બાબતની ચર્ચા-વિચારણા આપણે કેટલા ગૌરવથી અંગ્રેજીમાં કરી રહ્યા છીએ, તેનું મને હૈયે અપાર દુઃખ થાય છે. મારે મનની વ્યથા સાથે તમને કહેવું પડે છે કે આપણે બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ તે પહેલાં આપણે બઘાએ ગુજરાતી ભાષા શીખવાની ખૂબ જ આવશ્યકતા છે એવું મને લાગે છે!”

જો તમારે આવું ખોટું-સાચું, ભાગ્યું-તૂટયું અંગ્રેજી બોલી, બાળકોને ગુજરાતી કઈ રીતે શીખવવું તે બાબતની ચર્ચા કરીને તમારે તમારો ખોટો સમય બગાડવો હોય તો તમે ખુશીથી બગાડો, મારી પાસે આ બાબત માટે બિલકુલ ફાલતુ સમય નથી. હું તો ચાલ્યો. તમને ગુજરાતીના વર્ગ ખોલવા માટે મારા તરફથી જે કંઈ મદદની જરૂર હોય, તો તમે મને ગમે ત્યારે ફોન કરીને ખુશી સાથે જણાવી શકો છો.

આ માતૃભાષાપ્રેમી, ખુશમિજાજ, ઉત્સાહપ્રેમી, યુવાન એ બીજું કોઈ નહીં પણ જેમને ફકત રોચેસ્ટર શહેરમાં વસતા ગુજરાતી પરિવારો જ નહીં પણ રોચેસ્ટર શહેરને પોતાનું વતન બનાવવા ભારતનાં જુદાં જુદાં રાજયોમાંથી આવેલા ભારતીયો, જેમને હરિના શ્રી હરિ “હરિકલ્પન” તરીકે ઓળખે છે તે નવસારી જિલ્લામાં આવેલા સાતમ ટોળી ગામના અસલ ખેડૂતપુત્ર હરીશ નાથુભાઈ પટેલ …..

સ્નેહભીના વરસતા વાદળ સમી ઝરમર ઝરમર વરસતી વહાલસોઈ નેહનિતરતી આંખ, વાને જરા શ્યામવર્ણના આ પટેલ યુવાનના માથે જુગતરામ જોષીની બાળવાર્તાના બાળ નાયક અડુકિયા ને દડુકિયાના જેવા એકમેકથી જુગલબંઘી કરતા પવનમાં ફરફર ઉડતા એ-ચાર વાળ. મલક મલક થતા હોઠો પર ઝીણું ઝીણું હસતી તલવાર કટ મૂછ. ઈશ્વરકૃપાથી ખાઘેપીઘે આ સુખી જીવ તનથી જરા ભરાવદાર તો ખરો જ! પણ આ પટેલ મર્દ જો હજારોનાં ટોળાંમાં ઊભા હોય તો? તેની સુરતી બોલીને કારણે આપણા કાન દૂરથી પામી જાય કે ત્યાં આગળ હરીશ પટેલ ઊભા લાગે છે.

આ પટેલ માણસનું દિલ તો દિલાવર છે. તેમનું મનહ્રદય ખળખળ વહેતાં ઝરણાં સમું નિર્મળ  છે. આ પ્રેમઘેલો માણસ સંબંધ નામના ગણિતથી બહુ જ દૂર ભાગે છે. તેમને ભાગાકાર અને બાદબાકીથી સખત ચીડ છે. તેમને મન મૈત્રી, ઘનદોલતની હવેલીથી ઘણી ઊંચી છે. આ માણસે ખરેખર આખી જિંદગી મૈત્રી અને સંબંઘ પાછળ ચંદનની જેમ ઘસાઈ જવામાં આનંદ માન્યો છે. હ્રદયમનથી જો આપણે હરીશ પટેલ વિશે ફકત બે શબ્દોમાં જ કહેવું હોય તો બસ આટલું જ કહી શકીએ કે, “આ પટેલ માણસ ગણિતના આઠના આંકડા જેવો નહીં પણ નવના આંકડા સમો સંપૂર્ણ  છે.

જલારામ બાપામાં અપાર શ્રદ્ઘા, ભકિત અને વિશ્વાસ ઘરાવતા આ પટેલે જીવનમાં રોટલા અને ઓટલાને બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. તેમના ઘરનો રોટલો અને ઓટલો બહુ જ મોટો છે. જો તમે અમેરિકા જેવા દેશમાં પણ તેના ઘરે ફોન કર્યા વગર દિવસે તો શું પણ કાળી રાતે જઈ ચઢો અને તેમના ઘરનો દરવાજો ખખડાવશો તો તમે એક બાબતનું આશ્ચર્ય અનુભવશો! તેમના ઘરનો દરવાજો ખોલનાર હરીશ પટેલ કે કલ્પનાબહેન નહીં પણ કોઈ મહેમાન જ હશે તેમનું ઘર બારે માસ મહેમાનોથી છલકે છે. તેમનું ઘર તો હરિ મંદિર છે. તેમને મન દુઃખી માણસ તેમનો ઈશ્વર છે.

હરીશ પટેલ કોઈ એવી વ્યકિત નથી કે તેને કોઈ લૉટરી લાગી હોય અને રાતોરાત ઘનવાન થઈ ગયા હોય. આ પટેલે અમેરિકામાં પોતાને તેમ જ પરિવારને સ્થાપિત કરવા રાતદિવસ લોહીપસીનો એક કરી એક સમૃદ્ઘ સામ્રાજય ઊભું કર્યું છે આજે પણ મોટલમાં માણસો હાજર હોય કે ન હોય મોટલનું નાનુંમોટુ કામ ખંત પ્રેમથી વહેલી સવારથી મોડી સાંજ લગી કરતા હોય છે. આ માણસ જ્યારે પણ કોઈને મદદ કરે છે ત્યારે હંમેશાં એક વાતનો ખ્યાલ અચૂક રાખે છે કે આપણે કોઈને જમણા હાથે કરેલ મદદ આપણા ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ. જ્યારે પણ તે પોતાના તરફથી કોઈ વ્યકિત કે સંસ્થાને મદદ કરે છે ત્યારે તેમના તરફથી એક શરત હોય છે કે તમે મારું કે મારા પરિવારના નામનો કયાં ય ઉલ્લેખ ન કરવાના હો તો જ હું તમને મારું યોગદાન આપીશ.

એક જમાનામાં અમારા રોચેસ્ટર ગામમાં અઢળક ગુજરાતી પરિવારો હતા. સમય સંજોગને કારણે આજે અહીં બે-ચાર મોટી નામાંકિત કંપનીમાં વ્યવસાયની તક ઓછી થતાં દિવસે દવસે ગુજરાતી પરિવારો ઓછા થતા ગયા. છતાં હરીશ પટેલ જેવા બે-ચાર સંસ્કૃતિપ્રિય મિત્રોને કારણે પણ આજે વર્તમાનમાં અમારા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્ર્મો પહેલાંની જેમ જ ઘમઘોકાર થતા રહે છે. ખાસ કરીને જો અમારે ગુજરાતી કવિ સંમેલન કે કોઈ સાહિત્યનો કે પછી સુગમ સંગીતનો કાર્યક્રમ કરવો હોય અને જો હરીશ પટેલ તરફથી બસ એક વાર મને ‘હા”નો સંકેત મળી જાય પછી મારે આગળ-પાછળનો કંઈ પણ વિચાર કર્યા વગર બેઘડક કાર્યક્રમ કરી નાખવાનો! સાથોસાથ હરીશ પટેલ કહેશે કે કવિ, હવે કોઈ ચિંતા કર્યા વગર કોઈ પાસે ડૉલર માગવા ન જશો. મિત્રો, ડૉલર તો આપવાના હશે તો જ આપશે, પણ તમને કારણ વગરની લાખ શિખામણ આપ્યા વગર નહીં રહે.”

૨૦૦૩ના સપ્ટેમ્બર માસમાં ભારતથી કવિ સુરેશ દલાલ, મહેશ દવે અને ઉત્પલ ભાયાણી કાવ્ય વાચન તેમ જ પુસ્તક પ્રદર્શન નિમિતે રોચેસ્ટર પઘારેલા. એક સાંજે કાર્યક્રમ બાદ હરીશ પટેલે આ ત્રણે મહેમાન મિત્રો સાથે મને પણ તેમના ઘરે બીજા દિવસની બપોરે ભોજન માટે આમંત્રિત કરેલો.

ઈશ્વરની ઈચ્છા શી હશે? તે તો ભલા ઈશ્વર સિવાય બીજું તો કોણ જાણી શકે? હરીશ પટેલનાં ઘર્મપત્ની કલ્પના બહેન સમી સાંજથી ઉત્સાહ સાથે અમારા માટે ભોજન બનાવવામાં ગૂંથાયેલ હતાં. બીજા દિવસની બપોરે અમે ચાર જણા તેમને જણાવેલા સમય મુજબ તેમના ઘરે ભોજન માટે ગયા ત્યારે હરીશભાઈ અને કલ્પનાબહેનને બહુ જ થાકેલા જોઈ સુરેશભાઈએ તેમને પૂછયું, “પટેલ, અત્યારે તમે કેમ બહુ જ થાકેલા લાગો છો?” હરીશ પટેલે બહુ જ સંકોચ સાથે અમને જણાવ્યું કે,”ગઈ કાલે સાંજે તમારા કાર્યક્રમમાંથી ઘરે આવ્યો ત્યારે મારી નાની દીકરી ઉર્વિએ મને ફરિયાદ કરી કે ડેડી મને પેટમાં સખત દુઃખે છે. અમે જરા ય સમય બગાડયા વિના તે જ ઘડીએ તેને હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉકટરોએ નિદાન કરી અમને જણાવ્યું કે અમારે તાત્કાલિક સમય બગાડ્યા વિના હમણાં જ તેના એપેન્ડિકસનું ઑપરેશન કરવું  પડશે. ઉર્વિનું ઑપરેશન મોડી રાત્રે કરવું પડ્યું. અમારે બંનેએ આખી રાત હૉસ્પિટલમાં તેની પાસે રહેવાનું થયું. આ કારણે જરા નિંદર કે આરામ નહીં થયો હોવાથી ચહેરા પર સહેજ થાક વરતાય છે. બાકી ખાસ કંઈ વાત નથી.

સુરેશભાઈએ એ જ વખતે હરીશ પટેલને કહ્યું,”અરે! પટેલ, આવું ઓચિંતું બન્યું તો તમારે અમને ફોન કરીને જણાવી દેવું હતું. અમે સમજી શકીએ છીએ કે તમારી દીકરીની તબિયત ઓચિંતી બગડી ગઈ અને તમારે હોસ્પિટલમાં દોડવું પડયું. ભોજન બહુ મહત્ત્વનું ન હતું. દીકરીની તબિયતનું પહેલાં જોવાનું હોય. જો તમે આ કારણે ભોજન રદ્દ કર્યું હોત તો અમને જરા ય ખોટું ન લાગત!”

હરીશભાઈ, પોતાના અસલ મિજાજમાં બોલ્યા, “કવિશ્રી. તમારો મારા પ્રત્યે જે આદર ભાવ છે તે બદલ હું તમારો આભાર વ્યકત કરું છું. અરે ભલા માણસ, આટલી નાની અમથી વાતથી આપણે ગભરાઈ જઈએ તો તે કેમ ચાલે? સુખદુઃખ કંઈ આપણને એકને જ આવે છે એવું થોડું છે. તે તો હર કોઈને આવે છે. તેની એવી શી ચિંતા કરવાની? પછી હસતાંહસતાં બંને પતિપત્ની બોલ્યાં, ‘અરે!સુરેશભાઈ, તમારા જેવા મિત્રો કયાં રોજ અમારે ઘરે પઘારે છે. અમારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારે પગલે અમારું ઘર આજે પાવન થઈ ગયું. તમારા આશીર્વાદે મારી દીકરી આજે સાંજે ઘરે પણ આવી જશે!”

હરીશ પટેલે રોચેસ્ટર ગામમાં મૈત્રીની એક લીલી વાડી ઊભી કરી છે. રોચેસ્ટરનો ગુજરાતી માત્ર સમાજ જ નહીં પરંતુ દરેક ભારતીય તેમને મન તેમનો એક પરિવાર છે. જો હરીશ પટેલને કોઈ મિત્રના દુઃખ-દર્દની વાત કયાંકથી તેમના કાને પડી જાય તો આ માણસને મિત્ર આવીને તેમની પાસે મનની વાત કરે તે પહેલાં તો આ બાબતની જાણ કોઈને કર્યા વગર મિત્રના દુઃખદર્દમાં મદદ રૂપ થવા પહોંચી જશે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|9 July 2023

રમેશ ઓઝા

વડા પ્રધાને વ્હાઈટ હાઉસમાં ભારતમાં ક્ષય પામી રહેલા લોકતંત્ર વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એ વાત ખોટી છે. “લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે, ભારતીય પ્રજાનાં લોહીમાં છે, ભારતનો આત્મા છે.” આની સામે ફ્રેંચ ફિલસૂફ, સાહિત્યકાર અને રાજપુરુષ આન્દ્રે માલરો(Andre Malraux)ને જવાહરલાલ નેહરુએ જે કહ્યું હતું એ સરખાવો. આઝાદી પછીનાં તરતનાં વર્ષોની વાત છે. માલરોને નેહરુને મળવાનું થયું ત્યારે તેમણે કુતૂહલવશ નેહરુને પૂછ્યું હતું કે ભારત જેવા દેશની ધૂરા સંભાળો છો તો શું અનુભવ કરી રહ્યા છો? નેહરુએ કહ્યું હતું કે પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.

વડા પ્રધાન બે, નિવેદન બે અને વચ્ચે લગભગ ૭૦ વરસનો ફાંસલો. જો લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં હોત, લોહીમાં હોત, ભારતનો આત્મા હોત તો જવાહરલાલ નેહરુએ આન્દ્રે માલરોને જે કહ્યું એ કહેવું પડ્યું ન હોત અને જો પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યો રોપાયાં હોત, ઊંડા ગયાં હોત તો ભારતમાં લોકતંત્રનો ક્ષય થયો ન હોત અને અમેરિકન પત્રકારને વડા પ્રધાનને અઘરો પ્રશ્ન પૂછવો ન પડ્યો હોત. શું લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે? તમને નથી લાગતું કે જવાહરલાલ નેહરુનું નિવેદન વાસ્તવિક ધરાતલ પર હતું અને નરેન્દ્ર મોદીનું નિવેદન મહાનતાનો વરખ ચડાવીને બગલ દેનારું હતું?

ભારત શું, જગતના કોઈ દેશમાં લોકતંત્ર તેનાં ડી.એન.એ.માં નથી. કોઈ પ્રજાના આત્મામાં એનો વાસ નથી કે નથી કોઈ પ્રજાનાં લોહીમાં. આ શુદ્ધ ખણખણતું જાગતિક સત્ય છે. આનું કારણ એ છે કે લોકતાંત્રિક મૂલ્યો વ્યક્તિ માટે છે અથવા વ્યક્તિ તેનાં કેન્દ્રમાં છે જ્યારે પારંપારિક મૂલ્યો સમાજ માટે છે અથવા તેના કેન્દ્રમાં સમાજના જે તે અંગ છે. રાજા ગોબ્રાહ્મણ પ્રતિપાલક હોવો જોઈએ. ગાય અને બ્રાહ્મણની રક્ષા કરનારો. આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ હત્યા કરે, કોઈની સાથે બળાત્કાર કરે તો પણ તેને સજા કરવામાં નહોતી આવતી. ગઢવી હજુ આજે પણ ગોબ્રાહ્મણ પ્રતિપાલક રાજવીનાં ડાયરાઓમાં ગુણગાન કરે છે. સ્ત્રીની રક્ષા કરવાની પુરુષોની ફરજ છે અને કોઈ કારણે પુરુષ સ્ત્રીની રક્ષા ન કરી શકે તો સ્ત્રીએ જૌહર કરવાનાં હોય. આ સિવાય પુરોહિત વર્ગ પણ સમાજનાં જે તે અંગ પર શાસન કરતો હતો. માત્ર ભારતમાં નહીં બીજા દેશોમાં પણ. ભારતની વાત કરીએ તો અસ્પૃશ્યનો સ્પર્શ વર્જ્ય ગણાય, રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય ગણાય, વગેરે. સમાજનાં ચોક્કસ લોકો માટે મર્યાદાઓ અને બંધનો અને ચોક્કસ  લોકો માટે વિશેષ છૂટછાટો. આ બધું પુરોહિતો ઠરાવતા હતા. એ પછી સમાજનાં મહાજનો અથવા પંચ સમાજનાં અલગ અલગ લોકો ઉપર અલગ અલગ રિવાજ દ્વારા શાસન કરતા હતા અને પંચ હંમેશાં પુરુષોનું જ બનેલું રહેતું. આજે પણ ખાપ પંચાયત પોતાની મરજીથી લગ્ન કરવા ઇચ્છતાં યુગલોને લગ્ન કરવા દેતી નથી.

ટૂંકમાં વ્યવસ્થાનાં કેન્દ્રમાં વ્યક્તિ નહોતી, સમાજ હતો અને તેનાં અલગ અલગ ઘટક હતા અને અલગ અલગ ઘટકો માટે અલગ અલગ કાયદાઓ, રિવાજો, નિયમો હતા. માટે તો અંગ્રેજોને ભારતમાં કૌટુંબિક કાયદાઓમાં હસ્તક્ષેપ કરીને સુધારા કરવા મોંઘા પડી ગયા હતા અને છેવટે તે કરવાનું પડતું મુક્યું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે ભારતની પ્રજા આધુનિક મૂલ્યોના સ્વીકાર માટે તૈયાર નથી. માટે અંગ્રેજોએ પરંપરાગત ધાર્મિક આદેશોનું અર્થઘટન કરવા બ્રાહ્મણો અને મૌલવીઓને અદાલતમાં બેસાડવા પડતા હતા. અને આવી સ્થિતિ માત્ર ભારતમાં જ હતી એવું નથી, જગતના દરેક દેશમાં અલગ અલગ સ્વરૂપમાં સમાજનો એક વર્ગ બીજા વર્ગ પર શાસન કરતો હતો. એક સમૂહનું બીજા સમૂહ ઉપર શાસન. વ્યક્તિ તો એ સમૂહનો સભ્ય માત્ર હતી.

યુરોપમાં ચર્ચ (ખ્રિસ્તી ધર્મ – ધર્મગુરુઓ) સૌથી વધુ શક્તિશાળી હતો. તેમની પાસે ભગવાન હતા અને ભગવાનનો ડર તલવારના ડરથી પણ મોટો હતો. ઈશુ, બાયબલ અને સંગઠિત ધર્મ. તેમણે લોકોના જીવન પર જ કબજો નહોતો જમાવ્યો, મસ્તિષ્ક પર પણ કબજો જમાવ્યો હતો. ચર્ચે ભગવાનને નામે જે ગોરખધંધા કર્યા હતાં એનાં ઉપર તો પુસ્તકો લખાયાં છે.

પણ કહેવાય છે ને દરેક ચીજનો અંત હોય છે અને એમાં જો અતિરેક બેશુમાર હોય તો અંત થોડો વહેલો આવતો હોય છે. માનવમસ્તિષ્કમાં વિચાર સ્ફૂરે છે અને વિચાર કરતાં વધુ શક્તિશાળી બીજી કોઈ ચીજ આ દુનિયામાં નથી. માટે તો જગત આખામાં તાનાશાહો વિચારથી અને વિચારકોથી ડરે છે. માટે તેઓ શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો જમાવે છે કે જેથી વિચારવાની પ્રક્રિયાને રૂંધી શકાય. ચર્ચે પણ એવો પ્રયાસ કર્યો હતો. પૃથ્વી ગોળ છે અને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે એમ કહેવા માટે ચર્ચે ખગોળવિજ્ઞાની ગેલેલિયોને સજા કરી હતી અને માફી મગાવી હતી. તેઓ એક વાત ભૂલી જાય છે કે વિચાર શિક્ષણસંસ્થાઓની ચાર દીવાલોનો મોહતાજ નથી. બીજું વિચારનો સ્વભાવ એવો છે કે તે જો સ્વતંત્રતા હોય, મોકળાશ હોય તો વધુ ખીલે અને જો દમન હોય તો હજુ વધુ ખીલે. મોકળાશમાં ખીલેલા વિચાર રોમેન્ટિક હોય છે અને દમનમાંથી જન્મેલો વિચાર પરિવર્તનને જન્મ આપનારો વિદ્રોહી હોય છે. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધીએ દમનનો અનુભવ કર્યો અને એક વિચાર સ્ફૂર્યો જેને સત્યાગ્રહ તરીકે ઓળખાવવામાં આવે છે. સત્યાગ્રહ જેને નિર્બળ સમજવામાં આવે છે એનું સબળ હથિયાર છે.

મધ્યકાલીન યુરોપમાં ચર્ચનું દમન વધવા લાગ્યું ત્યારે વિચાર સ્ફૂર્યો કે માનવી શું પશુઓનાં ધણનો હિસ્સો છે? તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી? સમૂહ અને સમૂહનું નિયમન કરનારી સામાજિક સંસ્થા મોટી કે હું? જો આ જીવન મારું હોય તો મારી રીતે જીવન જીવવાનો અધિકાર પણ મારો હોવો જોઈએ. એ વિચારે ક્રાંતિ સર્જી જેને યુરોપનાં નવજાગરણ તરીકે ઓળખાવવામાં આવે છે. પહેલીવાર માગણી ઊઠી કે કોઈ પણ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ હોવી જોઈએ અને વ્યક્તિ પર વ્યક્તિનું જ અનુશાસન હોવું જોઈએ. જે કોઈ વ્યવસ્થા રચવામાં આવે એ વ્યક્તિની સ્વતંત્રતાને રુંધનારી ન હોવી જોઈએ. નવજાગરણનાં આંદોલને સમૂહની જગ્યાએ વ્યક્તિની સ્થાપના કરી, વ્યવસ્થાને વ્યક્તિકેન્દ્રી કરી, દરેક સત્તા(ઓથોરિટીઝ)ને પડકારી અને શ્રદ્ધાની જગ્યાએ શંકા અને પ્રશ્નોનો મહિમા કર્યો.

લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યોનો જન્મ આમાંથી થયો છે. ભારતની વાત જવા દો, જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી. માટે તો જગત આખામાં લોકશાહી દેશોમાં સમૂહની સર્વોપરિતા સ્થાપનારાં પરંપરાગત મૂલ્યો અને વ્યક્તિની સ્થાપનાં કરનારાં લોકતાંત્રિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ ચાલે છે અને લોકતંત્ર સંપૂર્ણપણે સ્વીકાર પામતું નથી. લોકોને એમ લાગે છે કે અમે બહુમતીમાં છીએ એટલે અમારાં પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યોનો અન્ય લોકોએ સ્વીકાર કરવો જોઈએ. સ્ત્રીઓએ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વરખ ચડાવેલી મહાન વાતો કરવાથી કેટલાક લોકોની વાહવાહી મળે, વાસ્તવિકતા એની જગ્યાએ કાયમ છે. આની સામે નેહરુનું કથન સરખાવો. કેટલું પ્રામાણિક અને વાસ્તવિક છે! પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જુલાઈ 2023

Loading

અનિલ જોશીના ભરચક અસબાબની ગાંસડી છૂટ્યાની વેળા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 July 2023

પુસ્તક-પરિચય

અનિલ જોશી

‘ગાંસડી ઉપાડી શેઠની’ એ અત્યારે બ્યાંશી વર્ષના કવિ અનિલ જોશીની ભરચક અને નિખાલસ આત્મકથા છે.

‘જિવાઈ ગયેલા જીવનની આ વીતકથા’ના પોણા ત્રણસોથી વધુ પાનાંમાં યાદો, પાત્રો, પ્રસંગો, યોગાનુયોગ ઘટનાઓ, વર્ણનો, કાવ્યપંક્તિઓ, ઉલ્લેખો, સંદર્ભો, ચિંતન-અંશોની વાચનીય ભરમાર છે. મોંઘેરી જૂની મૂડી જેવા ઢગલાબંધ શબ્દો અને તળ કાઠિયાવાડની બોલીનો પાસ આનંદમાં ઉમેરો કરે છે. 

‘કન્યાવિદાય’નામની હૃદયસ્પર્શી કવિતાથી ખાસ જાણીતા અનિલે ઑક્ટોબર 2015માં એમ.એમ. કાલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકર નામના રૅશનાલિસ્ટ કર્મશીલોની હત્યાના વિરોધમાં સાહિત્ય અકાદેમી(દિલ્હી)નો પુરસ્કાર પાછો આપ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં અસાધારણ એવા આ જેશ્ચરની વાત લેખકે કોઈ હિરોઇઝમ વિના, માત્ર એક જ લીટીમાં લખી છે. ત્યાર બાદ,  રોમિલા  થાપર અને એ.જી. નૂરાનીનું, અવૉર્ડ વાપસીને બિરદાવતું  અવતરણ મૂક્યું છે.

જો કે અનિલે 2002ના ગુજરાતના રમખાણો વિશે આક્રોશપૂર્ણ અઢી પાનાં લખ્યા છે. હિંસાચારનો વિરોધ કરતું નિવેદન તેમણે ખાસ દોસ્ત રમેશ પારેખ સાથે બહાર પાડ્યું જેની પર સહી કરવામાં અનેક અગ્રણી ગુજરાતી સાહિત્યકારો પાછા પડ્યા. આખરે અનિલ ‘હુલ્લડ કાવ્યો’ અને રમેશ ‘કરફ્યુ કાવ્યો’ લખીને વ્યક્ત થયા.

જો કે આ જ કવિને શિવસેના સુપ્રીમોની ઓથ પણ મળી છે. મુંબઈ મહાનગરપાલિકામાં લૅન્ગ્વેજ ઑફિસર તરીકેની કાયમી નોકરી માટે ‘ડિગ્રીનો ટેક્નિકલ પ્રશ્ન આવ્યો’ ત્યારે બાળ ઠાકરેના  ‘એ કવિ છે એ જ મોટી ડિગ્રી છે’ એવા પ્રમાણપત્રથી નિમણૂકમાં મદદ થઈ.

‘સ્વભાવે હું નાસ્તિક હતો. ભગવાન-બગવાનમાં માનતો નહીં’ એમ અનિલ યુવાનીના ઉંબરે કહે છે, પંચોતેરની ઉંમરે રૅશનાલિઝમના ટેકામાં અવૉર્ડ વાપસી કરે છે, અને પુસ્તકના પોણા હિસ્સામાં વારંવાર ‘મા’ કહેતાં દેવી જગદમ્બાનો મહિમા કરે છે.

ઉપરોક્ત વિરોધાભાસોનો અનિલે બચાવ કે ઢાંકપિછોડો કર્યો નથી. દ્વિધાઓ-મર્યાદાઓ-ભૂલો-ઠોકરો સચ્ચાઈપૂર્વક બયાન અને આપવડાઈની ગેરહાજરી આત્મકથાને ઊંચું સ્તર આપે છે.

જન્મજાત તોતડાપણું કુમારવયે પ્રયત્નપૂર્વક દૂર કર્યું તે પહેલાંની હાલત, શાળા-કોલેજની પરીક્ષાઓમાં નિષ્ફળતા અને પાસ થવા માટેના નુસખા, મુગ્ધાવસ્થામાં ‘છોકરીને નિર્વસ્ત્ર જોવાનાં કોડ’, બે ટૂંકા ગાળાના પ્રેમપ્રકરણ, બીડી-સિગરેટ-શરાબનાં બંધાણ, વારંવારનું ડિપ્રેશન, આપઘાતની કોશિશો, નબળી કારર્કિર્દી, પૈસા કમાવા માટેની અપાત્રતા, ઘરસંસારની જવાબદારીઓ નિભાવવામાં કચાશ જેવી નબળાઈઓ વિશે કવિ તટસ્થભાવે લખે છે.

‘આત્મકથા લખવી એ મોટું દુ:સાહસ છે’ અને ‘રખડેલની આત્મકથા ન હોય’ એમ શરૂઆતમાં લખનારા કવિ આખર તરફ જતાં કહે છે : ‘મારા આત્મકથનાત્મકના કેન્દ્રમાં હું નથી રહ્યો, પણ જેમણે મને પ્રેમપૂર્વક ખભે તેડીને રમાડ્યો છે એ સર્વ વડીલો કેન્દ્રમાં છે.’

એટલે સંખ્યાબંધ વાલીઓ-વડીલો પ્રગટતા રહે છે. ઉપરાંત, જન્મ અને બાળપણના ગામ ગોંડલના કવિ મકરન્દ દવેના પ્રભાવ-પ્રેરણા અંગે વારંવાર વાંચવા મળે છે. તેમની જેમ નાથાલાલ જોષી પણ ‘મા’ની શક્તિમાં લેખકની શ્રદ્ધા જગવે છે.

બહોળા પરિવારમાં ઢસરડા કરતી ‘બાએ ધાવણ છોડાવવાં માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો … ઘરકામમાં આડો ન આવું એટલે મને અફીણનો ચમચો પાવાનું શરૂ કર્યું’, એમ લેખકને સાંભરે છે.

પિતા શિક્ષક તરીકે નોકરી શરૂ કરીને શિક્ષણાધિકારીના ઊંચા હોદ્દે પહોંચ્યા હતા. ‘ભગવાનમાં માનતો નથી ગાંધીજીમાં માનું છું’ એમ કહેતા રમાનાથ સંતાનોની બાબતમાં કુણા હતા.

પ્રસંગોપાત્ત અનેક પરિવારજનોના સરસ લઘુશબ્દચિત્રો મળતા રહે છે. પિતાની બદલી મોરબી, હિમ્મતનગર, અમરેલી અને ધ્રોળ થઈ. વેકેશન સાબરમતી આશ્રમમાં, કંડલા, ખીજડિયા જેવી જગ્યાએ વીત્યું. મોટી ઉંમરે બ્રિટન અને અમેરિકામાં રહેવાનું થયું.

આ બધી જગ્યાઓ, અને અલબત્ત વતન, ત્યાંના બનાવો, માણસો, માહોલ, ખુદની મન:સ્થિતિનું વિગતે નિરૂપણ કરવાની કોઈ તક લેખક જવા દેતા નથી. સમાજના અનેક સ્તરના કેટલાં ય નોખા-અનોખા મનેખ અને તેમના ક્યારેક કરુણ તો ક્યારેક રમૂજી કિસ્સા અહીં છે.

પુસ્તકનાં અધઝાઝેરાં પાનાં કવિની ઘડતરકથાને રસાળ, બિનસાહિત્યિક બાનીમાં માંડે છે. ઇન્ટરમાં મોરબીની કૉલેજમાં અનિલ ક્રિકેટ રમી ખાતા. ‘કવિતાબવિતામાં બહુ રસ પડતો નહીં’ કહેનાર ગુજરાતીમાં નાપાસ થયા, પણ કવિતા લખતા, છપાતી ય ખરી.

‘કુમાર’માં આવેલી એમની એક કવિતાએ, પછીના વર્ષે યશવંત શુક્લની એચ.કે. આર્ટસ ‘કૉલેજમાં પ્રવેશ અપાવ્યો’. ‘અમદાવાદ શબ્દભૂમિ’ બની તેનું દીર્ઘ મનોહર ચિત્રણ છે. કુમાર કાર્યાલય, બુધસભા, રે-મઠ, યુનિવર્સિટીનું ભાષા-સાહિત્ય ભવન, સાહિત્ય પરિષદનાં અધિવેશનો, ‘હૅવમોર’ હૉટેલમાં નિરંજન ભગતની બેઠક – આ બધામાં કવિ ઓતપ્રોત થતા જાય છે.

જો કે નોકરીઓ તો મુંબઈમાં જ છે; પહેલી કારકૂન જેવી નોકરી ‘કવિતાની લાગવગથી’ મળે છે. પછી પી.આર.ઓ., સહસંપાદક, મ.ન.પા.માં ભાષા સલાહકાર, પાર્ટટાઇમ લેક્ચરર અને આખરે લૅન્ગ્વેજ ઑફિસર.

નજીવી અનિયમિત આવકે પણ રહેઠાણ મળ્યાં, મોટા અકસ્માતમાંથી બહાર આવ્યા, પોતાનું ઘર થયું. ભણતર, નોકરી અને પોતાના ઘર જેવી બહુ પાયાની બાબતોમાં તેમને આકસ્મિક રીતે મળેલી મદદના – સહેલાઈથી ગળે ન ઊતરે, અથવા કંઈ નહીં તો અચંબો પમાડે જ તેવા તેવા યોગાનુયોગોના – કિસ્સા કવિએ નોંધ્યા છે.

ઉપરાંત પગલે મુંબઈના સાહિત્યકારો, સંપાદકો, રસિક શ્રેષ્ઠીઓ, રંગકર્મીઓ, કર્મશીલોનો સક્રિય ટેકો. મુંબઈકરો અને તેમના કલા-સાહિત્યજગત વિશે કવિ દિલથી લખે છે.

કવિનો બીજો દિલી મામલો કવિઓ સાથે દોસ્તી. ખાસ તો રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, આદિલ અને નિદા ફાઝલી. પોતાની અને બીજાની રચનાઓના સર્જનની ભાગ્યે જ વાંચવા મળે એવી એનેકડોટ્સ અહીં છે.

સદભાવી લેખકો- સહૃદયો સાથેના સંખ્યાબંધ સહવાસ-ચિત્રો, પ્રસંગો, યાદો છે. ઉમાશંકર, સુરેશ દલાલ, સુરેશ જોશી, હરીન્દ્ર દવે, સોનલ શુક્લ, મીનળ મહેતા, નામદેવ લહુટે, કાન્તિ મડિયા, મધુ રાય, ભાલચન્દ્ર નેમાડે, ધર્મવીર ભારતી, શરદ જોશી, ગણેશ દેવી – આ યાદી લાંબી થાય.

આખા પુસ્તકમાંથી પસાર થઈએ તો સ્વામી આનંદથી લઈને અત્યારના સિતાંશુ યશશ્ચન્દ્ર સુધીના પચાસથી વધુ લેખકો લાંબી-ટૂંકી જિકર છે, અને અરધી સદીના ગુજરાતી સાહિત્યની તસવીરો છે.

પુસ્તકનું મુખપૃષ્ઠ વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સર્જ્યું છે. ગુલામ મોહમ્મદ શેખે લખેલી સુંદર આવકાર નોંધનું શીર્ષક છે ‘પવનની ગાંસડી’.    

ગુલામ મોહમ્મદ લખે છે : ‘…આ સંભારણાં અનિલ જોશીની પaરદર્શી જિંદગીનો ભાતીગળ દસ્તાવેજ છે. આ ગાંસડીમાં ગોંડલની ભગવતપરાની શેરી અગિયારથી માંડીને ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે …

‘જોયું, જાણ્યું, માણ્યું, વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણાંમાં રોજ બ રોજની બાનીમાં તળ કાઠિયાવાડની બોલીની આંગળી ઝાલી નિખર્યો છે.’                     

09 જુલાઈ 2023 
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ, કેટલાક ઉમેરણ સાથે, 775 શબ્દો ]

પ્રકાશક : નવજીવન સાંપ્રત, પાનાં 280, રૂ.350/- પ્રાપ્તિસ્થાન :

– નવજીવન, ફોન : 079-27540635, 27542634
– ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન : 079- 26587949
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0781,0791,0801,081...1,0901,1001,110...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved